કોઈ પણ વ્યક્તિ અંદાજે વીસેકની ઉંમરે કમાવાનું શરૂ કરતો હોય છે ને તે સાંઠેકની ઉંમર સુધી ક્માતો હોય તો આજને હિસાબે થોડાક કરોડ તેને જોઈએ, જેમાં તેનો પોતાનો, લગ્નનો, મકાનનો, ઘરવખરીનો, સંતાનોનાં શિક્ષણ, લગ્ન, માંદગી વગેરેનો ખર્ચ ઉમેરવો પડે. એમાં માબાપની, પત્નીની માંદગીનો ખર્ચ પણ ખરો. વળી ઉચ્ચ શિક્ષણનો ખર્ચ વધે તો તેટલી કમાણી વધે પણ ખરી.
ટૂંકમાં, એક માણસને સારી રીતે જીવવા માટે થોડાક કરોડ જોઈએ.
આમાં એ લોકોનો સમાસ નથી, જે લોકોને પૂરતું શિક્ષણ મળ્યું નથી. નથી તો તેમનો સારી રીતે ઉછેર થયો કે નથી તો તેમની ઓછામાં ઓછી જરૂરિયાત સંતોષાઈ. એવા લોકો આ દેશમાં કરોડોની સંખ્યામાં છે. એવા લોકો અછતમાં જન્મ્યાં છે ને એમનો અંત પણ અછતમાં જ આવે છે. આ એ લોકો છે જે અમીરોના ને સરકારોના રસ્તા બાંધે છે, ઇમારતો બાંધે છે, ફેક્ટરીઓ ચલાવે છે, અનાજ પકવે છે ને એવું એવું તો ઘણું કરે છે. આ એ લોકો છે જે ઓછું મેળવે છે અને અમીરોને, સરકારોને, ઓફિસોને અબજોનો નફો કરાવે છે. કદાચ અતિશયોક્તિ લાગે પણ આખા દેશનો નફો શ્રમિકોને કારણે શકય બને છે એ ભૂલવા જેવુ નથી. શ્રમિકો ન હોય તો નફો પણ ન હોય.
એમ કહેવાય છે કે આ દેશની 90 ટકા સંપત્તિ 10 ટકા લોકો પાસે છે ને 90 ટકા લોકો પાસે માત્ર 10 ટકા સંપત્તિ છે. આ સ્થિતિ સુધારવા સરકારો કોશિશો કરતી રહે છે, પણ સ્થિતિમાં જોઈએ એવો સુધારો ખાસ થતો નથી તે હકીકત છે. આમાં સરકારો બદલાતી જાય તેમ તેમ સંપત્તિ સરકારમાં જે હોય તેમની જ સુધરે છે ને જે ગરીબોને મદદ મળે એટલાને બાદ કરતાં, નવા ગરીબો એટલા ઉમેરાય છે કે મૂળભૂત સમસ્યાઓમાં બહુ ફેર પડતો નથી.
સ્થિતિ એવી છે કે ઘણા લોકોને કામના પ્રમાણમાં વળતર મળતું નથી. એમ પણ ખરું કે કામના પ્રમાણમાં વળતર મળતું થાય તો પણ, અમીરી અપવાદ રૂપે જ મળતી હશે. કોઈ લોટરી ફાટે કે બહુ મોટો આકસ્મિક લાભ થાય તે બાદ કરતાં, શ્રમિકોને અમીર થવાની તકો ઓછી જ હોય છે. સાચું તો એ છે કે કામનાં પ્રમાણમાં વળતર ભાગ્યે જ મળે છે ને ધારો કે મળતું હોય તો પણ અમીરી અકસ્માતે જ મળતી હોય છે.
આની સામે કેટલાક નસીબદારો એવા પણ છે જે મહેનત વગર કે ઓછી મહેનતે એટલું કમાય છે કે તે વેડફે તો પણ સંપત્તિના ડુંગરો ખડકાય. બધી મોંઘવારીનાં મૂળમાં ઈઝી મનીનો ફાળો નકારી શકાય એમ નથી.
કોઇકે વોટ્સ એપ પર એક મેસેજ ફોરવર્ડ કરેલો જેમાં કામનાં પ્રમાણમાં અઢળક સંપત્તિ ભેગી કરનારા લોકોની વાત હતી. એ ચોંકાવનારો મેસેજ હતો. વાત તાજેતરમાં જ એક ફિલ્મી અભિનેતાએ કરેલા આપઘાત સંદર્ભે હતી. સાચું ખોટું તો ખબર નથી, પણ જે વાતો બહાર આવી એમાં એક અભિનેતાએ કરોડો રૂપિયાનો કેવો ઉપયોગ, કોને માટે કર્યો એની ચર્ચા જ કેન્દ્રમાં રહી. આવા ઘણા અભિનેતા, અભિનેત્રીઓ હશે જ જેમણે કરોડો કમાઈને ધુમાડો જ કર્યો હોય ! સંયમથી જીવનારા કલાકારો પણ છે જ, પણ મોટો ભાગ એવા લોકોનો છે જે બહુ કમાઈને બહુ વેડફી દે છે. આવા લોકો કોઈને મદદ પણ ભાગ્યે જ કરતા હોય છે. એ લોકો મોટે ભાગે સંપત્તિ, વ્યસન અને ઐયાશીમાં જ વેડફતાં હોય છે. એવા ઘણા ફિલ્મી કલાકારો હતા અને છે જેઓ બહુ કમાયા ને બહુ ગાજયા, પણ એમનો અંત એવો આવ્યો કે અંતિમવિધિ બીજાને ખર્ચે થઈ હોય. આવું એટલે બન્યું કે એમને કામનાં પ્રમાણમાં અનેકગણું મળ્યું અને પૈસાની કદર ન હતી એટલે એનો લાભ-ગેરલાભ પણ એમણે જ ભોગવ્યો. એવાઓની સંપત્તિથી કોઈ સેવા ભાગ્યે જ થઈ.
ફિલ્મ કલાકારો જેટલા જ ક્રિકેટરો પણ ભારતમાં લોકપ્રિય છે. આજકાલ ટેસ્ટ ક્રિકેટની એટલી બોલબાલા નથી જેટલી વન ડે ક્રિકેટની છે. એક ફિલ્મ કે એક મેચના અભિનેતા કે ક્રિકેટરોને આજે તો કરોડો રૂપિયા મળે છે ને લોકપ્રિયતા તો નફામાં ! ફિલ્મની એક શિફ્ટ કે ક્રિકેટની એક મેચ ભાગ્યે જ આઠ કલાકથી લાંબી ચાલતી હશે. એક ફિલ્મ કે એક ક્રિકેટ શ્રેણી પૂરી થતાં મહિનાઓ લાગતાં હોય તો પણ, આ લોકો કરોડો રૂપિયા મેળવતા હોય છે. આ આખો ઉપક્રમ ગાયને દોહીને બકરીને પાવા જેવો છે. એમાં કરોડો લોકોના ગજવા ખંખેરીને એકાદનું ગજવું કરોડોથી ભરવા જેવું થાય છે. આમાં મેચ ફિકસીંગ કે કાસ્ટિંગ કાઉચ જેવી રમતો પણ રમાય જ છે ને છતાં જે કમાય છે તે કરોડોમાં રમે છે તે હકીકત છે. સવાલોનો સવાલ એ છે કે એક ક્રિકેટર કે એક ફિલ્મ કલાકાર ખરેખર એવું શું અને કેટલું કામ કરે છે કે તેને કરોડો રૂપિયા મળે છે? એ સોના જેવુ અદ્ભુત કામ હોય તો પણ તેની કિંમત સોના કરતાં પણ વધારે છે એવું નથી લાગતું? કામનાં પ્રમાણ કરતાં આ કિંમત કરોડો ગણી છે એવું ખરું કે કેમ? આના પર કોઈ કાયદો, કોઈ નિયમ, કોઈ નિયંત્રણ કેમ લાગુ નથી થતાં તે નથી સમજાતું. એ પણ તપાસનો મુદ્દો છે કે ફિલ્મી કલાકારો કરોડોની આવક કરીને પ્રમાણિકતાથી ટેક્સ ભરે છે કે કેમ? એકદમ સ્પષ્ટ હકીકત તો એ છે કે આ દેશનો ટેક્સ મોટે ભાગે તો પગારદારો જ ભરે છે.
એક વર્ગ ઉદ્યોગપતિઓનો પણ છે. જે શ્રમિકોને જોરે ઉદ્યોગો વિકસાવતા જઈને દુનિયાના સૌથી મોટા અમીરોની યાદીમાં આવવા અનેક રમતો ને કાવાદાવા કરતાં હોય છે. એમાં ઘણુંખરું બાપીકો વારસો કામ કરતો હોય છે અથવા તો તેઓ છેતરવાની તરકીબો જાણતા હોય છે. લોકોને મૂરખ બનાવીને કે લોકોનાં ભોળપણનો લાભ ઉઠાવીને કામનારા લોકોની આમે ય ક્યાં ખોટ છે?
કામનાં પ્રમાણમાં અનેકગણું કમાનારા લોકોમાં રાજકારણીઓનો પણ સમાવેશ કરવો પડે. આમ નેતા કહેવાય પણ, તેઓ અભિનેતા કરતા બહુ જુદા નથી. એ જ કારણ છે કે તેઓ અભિનેતા જેટલું જ ને કેટલાક કિસ્સાઓમાં તેમનાથી પણ વધારે કમાય છે. આ વર્ગ પણ લોકોના જીવ પર જ કમાય છે. અહીં પણ પ્રશ્ન તો રહે જ છે કે આ લોકો એવું તે કેવુંક ભવ્ય કામ કરે છે કે તેમને અનેક સગવડો ને લાભો છતાં કરોડોની કમાણી થાય છે? આ લોકો સેવાને નામે જે મેવા કમાય છે તેનો મોટો લાભ એ છે કે તેઓ પગાર મેળવે છે, પણ તેમને કોઈ ટેકસ લાગતો નથી. સાદો સવાલ એ છે કે અભિનેતાએ ટેક્સ ભરવાનો હોય તો નેતાએ કેમ નહીં? આટલું કરમુક્ત જીવન ઓછું હોય તેમ તેમને પેન્શનનો લાભ પણ મળે છે. જો આ નોકરી નથી ને સેવા જ છે તો પેન્શનનો લાભ કઈ ખુશીમાં મળે છે તે સ્પષ્ટ થવું જોઈએ. આનો વિરોધ પ્રજાએ જ કરવાનો રહે, કારણ કોઈ રાજકારણી તો સામે ચાલીને કહેવાનો નથી કે અમને પેન્શન નથી જોઈતું. બીજી તરફ પ્રજા નિર્જીવ છે. એનો અવાજ નથી. અવાજ રહે એવું હવે ન બને તે શક્ય છે. એવા દિવસો આવી રહ્યા છે કે તમે વિરોધ કરો ને તમને દેશદ્રોહી ગણી તમારા પર કામ ચલાવવામાં આવે. વિદેશી સરકારમાં જ એવું હતું, એવું નથી, દેશી સરકાર પણ દેશદ્રોહી ગણીને લટકાવી દે તો …..
0
e.mail : ravindra21111946@gmail.com