અર્વાચીન ગુજરાતી સાહિત્યના કેટલાક પ્રકારો એવા છે કે જેનું પગેરું શોધતાં મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય કે સંસ્કૃત-પ્રાકૃત સાહિત્ય સુધી પહોંચી શકાય. પણ નવલકથાની બાબતમાં આમ કરવું શક્ય નથી. અંગ્રેજી સાહિત્યના પરિચય પછી જ અને એ જમાનાના અગ્રણી અંગ્રેજ નવલકથાકારોની કૃતિઓને આદર્શ તરીકે નજર સામે રાખીને જ આ પ્રકાર આપણે ત્યાં ખેડાયો. આપણને અંગ્રેજી સાહિત્યનો પરિચય થયો ૧૯મી સદીની પહેલી પચ્ચીસીમાં શરૂ થયેલ બ્રિટિશ પદ્ધતિના શિક્ષણને પ્રતાપે. નવલકથાના આવિર્ભાવને અનુકૂળ બીજું પરિબળ તે મુદ્રણની સગવડ. કેવળ કંઠ પરંપરા કે હસ્તપ્રતોને આધારે જીવવાનું નવલકથાને સદે નહિ. ૧૮મી સદીના છેલ્લા દસકા દરમ્યાન ગુજરાતી મુદ્રણની શરૂઆત તો થઈ ગઈ હતી. અને બ્રિટિશ પદ્ધતિના શાલેય શિક્ષણની શરૂઆત ૧૯મી સદીની પહેલી પચ્ચીસીમાં થઈ ચૂકી હતી. છતાં આપણી પહેલી નવલકથા ‘કરણઘેલો’ પ્રગટ થઈ છેક ૧૮૬૬માં. એમ કેમ?
અર્વાચીન ગુજરાતી પદ્ય અને ગદ્યના વિકાસક્રમ વચ્ચે રહેલો તફાવત કદાચ આ માટે જવાબદાર છે. અર્વાચીન પદ્યની બાબતમાં પહેલાં મૌલિક રચનાઓ અને પછી અંગ્રેજી તથા બીજી ભાષાઓમાંથી અનુવાદ, એવો ક્રમ જોવા મળે છે. જ્યારે ગદ્યની બાબતમાં પહેલાં અનુવાદ અને પછી મૌલિક લેખન એવો ક્રમ જોવા મળે છે. આનું મુખ્ય કારણ એ કે સાહિત્યિક ગદ્યનું માધ્યમ આપણે માટે નવું હતું. પદ્યની જેવી લાંબી અને સમૃદ્ધ પરંપરા હતી, એવી પરંપરા ગદ્યની આપણી પાસે નહિ. પણ નવલકથાની બાબતમાં તો અનુવાદ પણ ભાગ્યે જ જોવા મળે, ૧૮૬૬ પહેલાં પ્રગટ થયેલા.
અને જે પ્રગટ થયેલા તેના તરફ આપણે ધ્યાન જ નથી આપ્યું. છેક ૧૮૪૪માં એક અંગ્રેજી નવલકથાનો ગુજરાતી અનુવાદ સુરતથી પ્રગટ થયેલો. એનું નામ ‘યાત્રાકરી.’ જેમ્સ બનિયનની પ્રખ્યાત કૃતિ ‘ધ પિલગ્રિમ્સ પ્રોગ્રેસ’નો એ અનુવાદ રેવરન્ડ ફાધર વિલિયમ ફલાવરે કરેલો. આજના ગુજરાત રાજ્યમાં પહેલવહેલું મૂવેબલ ટાઈપ વાપરતું છાપખાનું લંડન મિશનરી સોસાયટીના બે પાદરીઓ રેવરંડ જેમ્સ સ્કિનર અને રેવરંડ વિલિયમ ફાઈવીએ ૧૮૨૦માં શરૂ કર્યું, જે પછીથી લંડન મિશનરી પ્રેસ તરીકે ઓળખાયું. બાઈબલના ન્યૂ ટેસ્ટમેન્ટનો ગુજરાતી અનુવાદ કરીને એ બંનેએ આ પ્રેસમાં છાપીને ૧૮૨૧ના જુલાઈમાં પ્રગટ કર્યો. ૧૮૩૯માં આ જ સોસાયટીના રેવરંડ વિલિયમ ફ્લાવર સુરતમાં સ્થાયી થઈ ચૂક્યા હતા. અને તેમણે કરેલો અનુવાદ ‘યાત્રાકરી’ એ જ સુરત મિશન પ્રેસમાં છપાઈને ૧૮૪૪માં પ્રગટ થયેલો. તેની બીજી આવૃત્તિ એ જ પ્રેસમાં છપાઈને ૧૮૭૭માં પ્રગટ થઈ હતી.
યાત્રાકરીનું ગદ્ય નર્મદ અને દલપતરામના ગદ્ય પહેલાંનું છે. જેની માતૃભાષા ગુજરાતી નથી તેવા એક અંગ્રેજનું છે. છતાં પ્રમાણમાં સારું એવું સફાઈદાર છે. કથાની શરૂઆતનો પહેલો ફકરો જોઈએ. (હવે પછી બધાં અવતરણોમાં ભાષા-જોડણી મૂળ પ્રમાણે)
હું આ જંગલરૂપ દુનિયામાં ફરતે ફરતે એક જગ્યાએ જઈ પહોંચ્યો. ત્યાં એક ગુફા હતી, તેમાં હું સૂઈ ગયો. હું ઉંઘતો હતો એટલામાં મને સમણું આવ્યું. તે સમણામાં ફાટાંતુટાં લૂગડાં પહેરેલો માણસ એક જગ્યામાં ઉભેલો જોયો. તેનું મ્હોં પોતાના ઘરની ગમથી અવળું હતું, તેના હાથમાં પુસ્તક હતું, ને તેની પીઠ પર એક મોટો બોજ હતો. મેં તેને પુસ્તક ઉઘાડીને વાંચતાં જોયો. વાંચતાં વાંચતાં તે રડતો ને ધ્રુજતો હતો, પછી દુઃખ ન દાબી શકાયાથી તેણે મોટે ઘાંટે વિલાપ કરી કહ્યું, કે ‘હું શુ કરૂં?’
અહી નોંધાવા જેવી પહેલી વાત એ કે ભાષા ક્યાં ય તરજુમિયા કે અંગ્રેજીગંધી નથી લાગતી. બીજી વાત તે ભાષાની પ્રવાહિતા અને સરળતા. ત્રીજી વાત તે સમણું, લૂગડાં (કપડાંને બદલે), ગમથી, ઘાંટે, જેવા સુરત બાજુ બોલચાલમાં વપરાતા શબ્દોનો ઉપયોગ. ચોથી, એ વખતે પણ ‘દુઃખ’માં વિસર્ગનો ઉપયોગ. એટલે કે અનુવાદકને સંસ્કૃત વ્યાકરણથી પ્રભાવિત ‘શુદ્ધ’ ગુજરાતીનો પણ પરિચય હશે. આથી જ કથાના ખંડો માટેના મૂળમાંના ‘સ્ટેજ’ માટે તેમણે ‘અધ્યાય’ શબ્દનો પ્રયોગ કર્યો છે.
મૂળ કૃતિનો સારો એવો ભાગ સંવાદાત્મક છે, એટલે જોઈએ એક સંવાદનો ભાગ, પંદરમા ‘અધ્યાય’માંના આશાવાદ અને ખ્રિસ્તી વચ્ચેના સંવાદમાંથી.
ખ્રીસ્તી : આપણે ભૂલા પડીશું એવું પહેલાંથી કોને સૂઝત?
આશા : પહેલાં હું એ રસ્તે આવતાં બીધો, માટે મેં તમને થોડા ચેતાવ્યા. તમે મારા કરતાં વત્તી ઉમરના છો, નહિ તો હું ખુલ્લું કહેત.
ખ્રીસ્તી : ભલા ભાઈ, તમે નાખૂશ ન થાઓ. મારા કહેવાથી તમે આ રસ્તે આવ્યા ને એવા ભયમાં પડ્યા, માટે હું દિલગીર છુ. મારા ભાઈ, મને માફ કરો. મેં જાણી જોઇને એવું કીધું નથી.
આશા : મારા ભાઈ, ધીરજ રાખો. હું તમને માફ કરું છુ. મને ભરોસો છે કે એમાંથી આપણે ફાયદો થશે.
ખ્રીસ્તી : મારી સાથે દયાળુ ભાઈ છે, એથી હું ખૂશી છું, પણ હ્યાં આપણે ઊભા તો ન રહેવું. આપણે પાછા જવાનું યત્ન કરીયે.
નોંધાવા જેવી વાતો : સંવાદમાં બોલચાલની વાક્છટા. ‘મોટી ઉંમર’ને બદલે ‘વત્તી ઉમર.’ ‘કર્યું’ ને બદલે ‘કીધું’. યાતના અને વિઘ્ન જેવા સંસ્કૃત શબ્દોનો પણ ઉપયોગ. ‘યત્ન’નો નાન્યતર જાતિમાં પ્રયોગ પણ ધ્યાન ખેંચે.
મૂળના પદ્યોનો અનુવાદકે અહીં પદ્યાત્મક અનુવાદ કર્યો છે. છઠ્ઠા અધ્યાયમાંથી એક નમૂનો :
પાતક પીડાએ લાદેલો, હું આવ્યો આ ઠામ,
તાં લગ કોપણ રીત થકી તો, નો’તું સુખનું નામ.
ધન ધન આ તો ઠાંમ ગણું છું, સુખનો અહિં આરંભ.
મજ શિર પરથી બોજ ગયો છે, તરત, – વિના જ વિલંબ.
જે બંધનથી હું બાંધેલો, તે અહિં છૂટી જાય,
મજ બેડીનાં ભારે દુઃખો, દૂર બધાં તો થાય.
અહીં નોંધપાત્ર છે લયની પ્રવાહિતા અને અંત્યાનુપ્રાસ મેળવવાનો સભાન પ્રયત્ન. ૧૮૪૫માં લખાયેલા દલપતરામના કાવ્ય ‘બાપાની પીપર’ પહેલાનું આ પદ્ય છે. અને તેમાં મધ્યકાલીન ગુજરાતી કવિતાની છાંટ ભાગ્યે જ જોવા મળે છે. એટલે યાત્રાકરીનું ગદ્ય તેમ જ પદ્ય, ભલે મૌલિક ન હોય, પણ નર્મદ અને દલપતરામનું પુરોગામી ઠરે તેમ છે.
આ લખનારને યાત્રાકરી’ની ૧૮૭૭ની બીજી આવૃત્તિની નકલ જોવા મળેલી, અને આખા પુસ્તકની ઝેરોક્સ નકલ પણ મેળવી શકાઈ. તેમાં પહેલી આવૃત્તિ ક્યારે પ્રગટ થયેલી તે છાપ્યું નથી. તો પછી ૧૮૪૪ની સાલ ક્યાંથી આવી? ૧૯મી સદીમાં ગુજરાતી, મરાઠી, બંગાળી વગેરે ભાષાઓમાં પ્રગટ થયેલાં પુસ્તકો અંગેની ખાતરીભરી માહિતી મેળવવાનું એક સાધન છે જે.એમ. બ્લમહાર્ટની લંડનથી પ્રગટ થયેલી પુસ્તક-સૂચિઓ. તેઓ લંડનની યુનિવર્સિટી કોલેજમાં હિન્દુસ્તાની (ઉર્દૂ), હિન્દી અને બંગાળીના અધ્યાપક હતા અને ઓક્સફર્ડ યુનિવર્સિટી ખાતે બંગાળી શીખવતા હતા. અગાઉ પ્રગટ થયેલી સૂચિઓ ઉપરાંત ૧૯૦૮માં તેમની એક સૂચિ Catalogue of the Library of the India Office પ્રગટ થઈ. તેના ખંડ ૨, ભાગ ૫માં મરાઠી અને ગુજરાતી પુસ્તકો નોંધાયાં છે. આ સૂચિના ૨૫૨મા પાને ‘પિલગ્રિમ્સ પ્રોગ્રેસના આ અનુવાદની ૧૮૪૪ અને ૧૮૭૭ની, એમ બંને આવૃત્તિ નોંધાઈ છે. ઇન્ડિયા ઓફિસ લાઈબ્રેરીના સંગ્રહમાંનાં પુસ્તકો જોઇને આ સૂચિ બનાવાઈ છે, દ્વૈતિયીક સાધનોને આધારે નહિ. એટલે તેના પર પૂરેપૂરો ભરોસો મૂકી શકાય તેમ છે. એટલે ૧૮૬૬માં આપણી ભાષાની પહેલી નવલકથા ‘કરણઘેલો’ પ્રગટ થઈ તે પહેલાં બાર વરસે આ અનુવાદિત નવલકથા પ્રગટ થઈ હતી. પાદરીઓ, પરદેશીઓ, અને પારસીઓએ અર્વાચીન ગુજરાતી સાહિત્યને સમૃદ્ધ કરવામાં જે મહત્ત્વનો ફાળો આપ્યો છે તેની આપણા સાહિત્યનાં વિવેચન અને ઇતિહાસ લખનારાઓએ લગભગ અવગણના કરી છે. એટલે આપણી ભાષાની આ પહેલી અનૂદિત નવલકથા તરફ ભાગ્યે જ કોઈનું ધ્યાન ગયું છે.
Email: deepakbmehta@gmail.com
પ્રગટ : “બુદ્ધિપ્રકાશ”; ડિસેમ્બર 2022