વેનકુવર-કેનેડામાં રહેતા ૧૦૨ વર્ષીય પંજાબી દલિત ખુશીરામના આત્મચરિત્ર ‘From Servitude To Freedom’નો મેં ટોરન્ટો-કેનેડાથી લખેલ અને અમદાવાદથી પ્રકાશિત ‘દિશા’ પત્રિકામાં પ્રકાશિત થયેલ અવલોકન લેખ આપને તસવીરો સાથે મોકલું છું. આભાર.
— નટુભાઈ પરમાર
●
:: પુસ્તક પરિચય ::
● એક સમયે ભારતમાં ઉચ્ચ અધિકારી ને હવે કેનેડા વસતા ૧૦૨ વર્ષીય પંજાબી દલિત ખુશીરામે ૯૦ની ઉમરે લખેલી આત્મકથા અનોખી છે
………………………………………..
● મરી ગયા પછી પોતાનો મૃતદેહ માતૃભૂમિ ભારતને નહીં પણ કેનેડાની યુનિવર્સિટીને સંશોધન માટે સોંપી દેવાનું ખુશી રામે વીલ કર્યું છે !
………………………………………..
● ડૉ. બાબાસાહેબની હયાતીમાં તેમણે સ્થાપેલ સંગઠનના હોદ્દેદાર રહ્યા છે ખુશી રામ : સાથે હતા નાનકચંદ રત્તુ પણ
…………………………………….
● અસમાનતાની ભૂમિ ભારતમાં આયખાનાં ૯૦ વર્ષ ગુજારનાર ખુશીરામને કેનેડા સમાનતાનું સ્વર્ગ જણાય છે !
દશમી ડિસેમ્બર ૨૦૨૨એ હું અહીં ટોરન્ટો (કેનેડા) મારા દીકરાને ત્યાં આવ્યો, એના ત્રીજા જ દિવસે, કેનેડાના વેનકુવર શહેરથી એક ફોન મારા મોબાઇલ પર રણક્યો, એ હતો મુંબઈનિવાસી પણ હાલ મારી જેમ તેમના દીકરા પાસે કેનેડા આવેલા વાલજીભાઈ વિરાસનો ! અને એમને આ રેફરન્સ આપેલો ‘દિશા’ તંત્રી મિત્ર મૂળજીભાઈ ખુમાણે !
ઔપચારિક વાત પછી તરત વાલજીભાઈએ ત્યાં વેનકુવરમાં એમના ઘરે, એમની સાથે એક સોફા પર બેઠેલા ૧૦૨ વર્ષીય પંજાબી દલિતબંધુ-વડીલ ખુશીરામ સાથેની તસવીર મને વોટ્સએપ કરીને, ખુશીરામ અને એમના આ આત્મકથનાત્મક પુસ્તક ‘From Servitude To Freedom (Autobiographical & Philosophical Reflaction)’નો સંદર્ભ આપીને, અહીં ફુરસદના સમયમાં તેના પર લખવા મને આગ્રહ કર્યો.
તદઅનુસંધાને મેં જે કંઈ લખ્યું તે આ – જે આપ વાંચી રહ્યા છો.
આ પુસ્તક ખુશીરામની માતૃભાષા પંજાબીમાં તો છે જ, તે મરાઠી ભાષામાં પણ ”पराधीनतेकडून स्वाधीनतेकडे’ (અનુવાદ : ડૉ.માધુરી સુટે) શીર્ષક હેઠળ પ્રકાશિત થયું છે.
ડૉ. બાબાસાહેબ આંબેડકર જ્યારે નેહરુ કેબિનેટમાં પ્રથમ કાયદા મંત્રી હતા ત્યારે – તે જ અરસામાં તા. ૧૫\૦૯\૧૯૪૮ના રોજ ખુશીરામ UPSC(ભારત સરકાર)માં આસિસ્ટન્ટ તરીકે જોડાયેલા અને ત્યાં જ છેક ડેપ્યુટી સેક્રેટરી સુધી પહોંચી ૧૯૭૯માં નિવૃત્ત થયેલા.
નિવૃત્તિ પછી પણ તેઓએ SBIના ભરતી બોર્ડના સદસ્ય અને આંન્ધ્રા બેન્કના ડાયરેક્ટર પદે પણ પ્રશસ્ય સેવાઓ બજાવેલી. પ્રતિનિયુક્તિ સેવાઓના ભાગ રૂપે ભારત સરકારના SC/ST કમિશનમાં પણ તેઓએ નોંધપાત્ર સેવાઓ આપી. UPSCની નોકરી માટે ખોટા જાતિ પ્રમાણપત્રો રજૂ કરનારાને શોધી કાઢી, તેમણે નિયમોમાં ઘણા ફેરફાર કરાવ્યા હતા. દિલ્હીમાં લાંબો સમય રહીને અનેક દલિતબંધુઓની આંગળી ઝાલીને – તેમને નોકરી અપાવીને – તેમને આર્થિક રીતે મજબૂત બનાવીને ‘Pay back to the society’ના સિદ્ધાંતને ખુશીરામે ખરા અર્થમાં ચરિતાર્થ કરેલો.
દિલ્હીમાં ડૉ. આંબેડકર ભારત સરકારમાં કાયદા મંત્રી હતા ત્યારે તેમણે ‘દિલ્હી શિડ્યૂલ્ડ કાસ્ટ વેલફેર એસોસિયેશન’ની સ્થાપના કરી હતી અને સરકારે દિલ્હીમાં ફાળવેલ એક સ્થળે તેની ઓફિસ કાર્યરત હતી. ખુશીરામ લખે છે કે, ૧૯૪૫માં સરકારમાં ભરતી પામેલા મોટા ભાગના પંજાબી વાલ્મીકિ અને ચમાર કર્મચારીઓ તેના સભ્યો હતા. આ સંગઠનના ખુશીરામ પણ સભ્ય બન્યા ને તેના મહા મંત્રી પણ નિમાયા ત્યારે નાનકચંદ રત્તુ (જેઓ પાછલા દિવસોમાં ડૉ. બાબાસાહેબના અંતેવાસી બની રહ્યા) પણ તેમના સાથીદાર હતા. ખુશીરામના કાર્યકાળમાં જ આ સંગઠનને સરકારી માન્યતા મળી. આ સંગઠન ડૉ. આંબેડકરના જન્મદિન અને ગુરુ રવિદાસની જન્મજયંતીની હંમેશાં વિશિષ્ટ ઉજવણી કરતું.
દળદાર દલિત આત્મચરિત્રો તો આપણે ઘણાં વાંચ્યાં છે કિન્તુ આ લેખક તો માત્ર ૬૩ (ત્રેસઠ) પાનાંના તેમના આત્મકથાનકમાં, અસ્પૃશ્યતાના પારાવાર ડંખોથી છેદાયેલા એક આખા જીવનનો ચિતાર આપણી સમક્ષ તાદ્દશ કરી દે છે. તેઓ લખે છે ૯૦ની ઉંમરે જ્યારે મેં આત્મકથા લખવાનું શરૂ કર્યું ત્યારે મારા ગામમાં મારી ઉંમરનું કોઈ બચ્યું જ નહોતું !
કહેવું જોઈએ કે ખુશીરામે એમની માતૃભાષા પંજાબીમાં લખેલી આત્મકથા અને એ પરથી મરાઠીમાં અનુવાદિત થયેલ આત્મકથા પ્રમાણમાં વિસ્તૃત અને વધારે પાનાંમાં ફેલાયેલી છે કિન્તુ એની અંગ્રેજી આવૃત્તિ પ્રમાણમાં Compact અને સંક્ષિપ્ત કરેલી જણાય છે. મરાઠી કે પંજાબી વાંચવી મારા બસની વાત ન હોય, મેં અંગ્રેજી આવૃત્તિના સહારે આ લેખ લખેલ છે.
ટૂંકમાં લખવું ને સચોટ-સટીક લખવું એ ખરેખર જ એક આવડત ને સિદ્ધિ કહેવાય. ખુશીરામની આ આત્મકથા એનું શ્રેષ્ઠ ઉદાહરણ છે.
૧૦(દશ) પ્રકરણોમાં અવિભાજીત ભારતના પંજાબના (તે સમયે હુશૈનાબાદ જિલ્લાના) સૈનાબાદ-જલંધરમાં ૧૯૨૧માં જન્મેલા ખુશીરામે બાળપણ, પ્રાથમિક – ઉચ્ચતર શિક્ષણ, કોલેજના દિવસો, સરકારી સેવાની સુદીર્ઘ કારકિર્દી, જાહેરજીવનની પ્રવૃત્તિઓ, ભારતના ભાગલા, બાબાસાહેબના સાંનિધ્યમાં મળેલ સમાજસેવાની તક, સમાજ માટે કંઈક કરી છૂટવાના તેમના પ્રયાસો, જીવનના ખરાબ તબક્કા ને દરેક તબક્કે થયેલા જાતિવાદના અનુભવો આલેખ્યા છે.
જીવનની પાછલી સંધ્યાએ આજીવન અસ્પૃશ્યતાના કારમા ડંખ દેનારી માતૃભૂમિ ભારતને કાયમ માટે તિલાંજલિ આપીને, (લેખકના શબ્દોમાં જાતિવાદી ભેદભાવ વિનાના) કેનેડાના સ્વર્ગમાં એક નવા જીવનને – એક નવી ઓળખ સાથે – પામવાના પ્રયાસને લેખક અત્યંત ઓછા ને સાવ જ સંયમિત શબ્દોમાં જે રીતે રજૂ કરે છે, તે આત્મચરિત્ર લખવાનું વિચારનારા ભાવિ લેખકોને માર્ગદર્શન રૂપ પુરવાર થાય તેમ છે.
૯૦ વર્ષ સુધીની સુદીર્ઘ જીવનયાત્રામાં આવેલા અનેક મુકામોને લેખકે અહીં જીવનના એકથી વધુ ટર્નિંગ પોઇન્ટ તરીકે આલેખ્યા છે. પિતાને મજૂરી કામમાં મદદ કરનાર બાળક ખુશીરામને કાકા જીદ કરીને પ્રાથમિક શાળાના પાંચમા ધોરણમાં મૂકી આવ્યા તેને પ્રથમ ટર્નિંગ પોઈન્ટ, વર્નાક્યુલર ફાઈનલમાં ઉચ્ચ ક્રમાંકે પાસ થનાર ખુશીરામને ગામના શિક્ષક ધરમસિંહ ખાલસાએ હાઈસ્કૂલમાં પ્રવેશ અપાવ્યો તેને બીજા ટર્નિંગ પોઇન્ટ અને મેટ્રિકમાં ૭૦ % મેળવનાર ખુશીરામને પોતાના ઘેર રાખી જલંધર કોલેજમાં પ્રવેશ અપાવનાર શિક્ષકની માનવીયતાને ત્રીજા ટર્નિંગ પોઈન્ટ તરીકે ઓળખાવે છે.
બી.એ. પાસ થયા નોકરી મેળવવા લાહોર ગયા પણ ભારત-પાકિસ્તાન વિભાજનની હવા વચ્ચે પરત આવ્યા ને તે પછી વતનના ગામમાં જ શિક્ષક તરીકે જોડાઈને સમાજના દલિતબંધુઓના ઉત્થાન અને જાગૃતિ માટે પ્રયત્નશીલ થયેલા ખુશીરામને, ‘તમને હરિજનોના ઉદ્ધાર માટે અમે નથી રાખ્યા’ એમ કહી સ્કૂલ બોર્ડે શિક્ષક પદેથી બરતરફ કર્યા તેને ચોથા ને એમણે નોકરી માટે દિલ્હીની વાટ પકડવી પડી તેને જીવનના પાંચમા ટર્નિંગ પોઈન્ટ તરીકે ઓળખાવતા ખુશીરામના જીવનનો અંતિમ ટર્નિંગ પોઈન્ટ તે તેમનું ભારત છોડીને કાયમ માટે કેનેડા જઈ વસવું અને ૧૦૨ની આયુએ અડીખમ રહી અહીં શ્વસવું !
આત્મચરિત્રમાં ખુશીરામ થોડા શબ્દોમાં પણ ઘણું જ કહી ગયા છે. પિતા ધન્નારામ કેવા હતા ? તો લેખક લખે છે : ‘સુદઢ બાંધો. ગોરું શરીર. કોઈ ગ્રીક નાયક જેવું એમનું વ્યક્તિત્વ. સ્વાદિષ્ટ ખાવાના ખૂબ શોખીન હતા અને એ માટે જ એ વધુ મહેનત કરતા – એક સાથે બે જણનું કામ કરી લે એવા પડછંદ હતા. આર્મીમાં હોત તો નામ મેળવતા. ૮૪ની ઉમરે મારા દિલ્હીના ઘરમાં તેમણે દેહ છોડ્યો.’
વતનનું ગામ સૈનાબાદ કેવું હતું ? તો ખુશીરામ જણાવે છે : ‘નાનકડા સૈનાબાદમાં ૧૦૦ ઘર જાટ જાતિના હતા, ગામની બધી જમીન એમને હસ્તક હતી. ૨૫ દલિતો(ચમાર-રામદાસિયા-વાલ્મીકિ)ના ઘર, બે મુસ્લિમ ગુજ્જરોના ઘર, બે મુસ્લિમ મોચીના ઘર, એક મુસ્લિમ મેરાશીનું ઘર, પાંચ શીખ સુથારોના ઘર, એક ભિસ્તીનું ઘર અને ત્રણ બ્રાહ્મણોના ઘર હતા ! જમીનમાં વધુ ભાગલા ન પડે માટે જાટ પરિવારમાંથી કોઈ એક જ પરણતો ને બાકીના વાંઢા રહેતા ! પણ આજે કોઈ ત્યાં નથી. મુસ્લિમો પાકિસ્તાન ચાલ્યા ગયા છે ને બાકીના બધા વિદેશ વસી ગયા છે.’
ખુશીરામ લખે છે, ઘર નામે અમારે માત્ર દોઢ રૂમ હતો. દલિતો વણવાનું, ચામડાનું યા ખેતીનું કામ કરતા. ગામમાં બે-ત્રણ જ પાકા મકાનો હતા ને વાહન નામે ગામમાં આખી મળીને બે જ સાયકલો હતી ! નહેરુ કેબિનેટના પહેલા મંત્રી સ્વર્ણસિંહ પણ આ જ ગામના.
માતા જસ્સીએ બનાવેલી માટીની કોઠી જેમાં કપડાં સહિતની કિંમતી ચીજો સચવાતી, ત્યારના માટીનાં વાસણો, ત્યારનો ગામનો ગુરુદ્વાર જે મહિનાની પહેલી તારીખે જ ખુલતો ને ત્યાં ય દલિતોને લોકો પગરખાં ઉતારે ત્યાં જ બેસવાનું લેખકને બરાબર યાદ છે.
બાળપણના એક પ્રસંગનો ઉલ્લેખ કરતા ખુશીરામ લખે છે, નાનો હતો ત્યારે હું ગામડેથી અમારા રિસ્તેદારને ત્યાંથી એક પપી-ગલૂડિયું લઈ આવેલો. તે એક જાટના છોકરાએ જીદ કરતાં, મારા પિતાએ ઊંચી જાતિ જાટના ભયે તે મારી પાસેથી છીનવીને જાટના છોકરાને દઈ દીધેલું. કિન્તુ એક દિવસ ફરતા ફરતા મારી પાસે આવેલા તે ગલુડિયાને હું છેક ત્રણ કિલોમીટર દૂર ગામડે ચાલીને ચૂપચાપ પાછું મૂકી આવેલો ને એમ મેં મારો બદલો લીધો હતો !
ભણવાના એ દિવસો ને વેઠવા પડેલા જાતિવાદી અપમાનોને યાદ કરતા ખુશીરામ લખે છે, પ્રાથમિક શાળામાં નોટ કે પેન્સિલ તો અમે જોઈ જ ન હતી, સ્લેટના ટૂકડા પર લખતા. ઊંચી જાતિના છોકરા કંતાન પર બેસતા ને અમે કોરી જમીન પર. શાળામાં પાણી તો હતું પણ કોઈ પાય તો જ અમારે પીવાનું રહેતું. શાળાનું ગ્રાઉન્ડ અમારે જ સાફ કરવાનું. ઘોડા પર આવતા શિક્ષકના ઘોડાનું ઘાસ પણ ખેતરોમાંથી અમારે જ માંગી લાવવાનું. ત્રીજામાં હતો ને મને પરણાવી દેવાયેલો !
આમ તો અમે હિન્દુ શીખ પણ ઘરમાં કયો ધર્મ પળાતો એની મને ખબર જ નહોતી પડતી ! માતા હિન્દુ-મુસ્લિમ બે ય ધર્મમાં માનતી ! સામાજિક પ્રસંગોએ કેટલાક શીખો પણ મુસ્લિમો જેવાં કપડાં પહેરીને પધારતા !
એક સમયે પોતાને ભણવા મોકલવાને બદલે મજૂરી કરાવીને પરિવારને મદદરૂપ થવાનો આગ્રહ રાખનારા પિતા, પોતે (ખુશીરામ) ચોથા ધોરણથી પરિવારના ને ગામના પત્રો વાંચતા થઈ ગયેલા એથી ખૂબ જ રાજી રહેતા. ખુશીરામ ભણવામાં એવા તો તેજસ્વી હતા કે હંમેશાં ઊંચા ગુણાંકે ઉત્તીર્ણ તો થયા જ, તેજસ્વી છાત્રોને મળવાપાત્ર સરકારી સ્કોલરશિપ પણ તેમને છેક કોલેજ અભ્યાસ સુધી મળતી રહી.
પંજાબના તે સમયના દલિત આગેવાન બાબુ મંગુ રામ અને ભારતના દલિત આગેવાન ડૉ. આંબેડકરનો નતમસ્તકે ઋણસ્વીકાર કરતા ખુશીરામ લખે છે, જો આ નેતાઓની છાયા ને એમનો પ્રભાવ ન હોત તો આજે ય વતનના કોઈ ખેતરમાં પોતે ઘાસ કાપતા હોત.
આજે તો કેનેડાના વેનકુવરમાં દીકરા-દીકરીઓ ને બહોળા પરિવાર સાથે અહીં વસી ગયેલા ને અહીંની આંબેડકરી-બૌદ્ધ-માનવ અધિકારની પ્રવૃત્તિઓ તેમ જ અન્ય સમાજસેવાની પ્રવૃત્તિઓમાં સક્રિય ખુશીરામના જીવનસંગિની ભાગવંતી જે હવે સદેહે નથી, એના એક માત્ર વસવસા સાથે ભેદભાવ વિનાની અને એમના મતે ‘સ્વર્ગ જેવી’ કેનેડાની ભૂમિ પર બાળકોનાં બાળકો સાથે સંતોષ અને આનંદનું જીવન જીવી રહ્યા છે.
ખુશીરામ લખે છે : ‘એક મારા પિતા હતા જે જીવનના સંઘર્ષ વચ્ચે મારું ધ્યાન પણ નહોતા રાખી શકતા, ત્યાં હવે મારાં બાળકોનાં બાળકો પળેપળ મારી દેખરેખ નીચે પૂરી સુખસુવિધા સાથે કેનેડાની ધરતી પર ઉછરી રહ્યા છે.’
ખુશીરામ માટે એક અર્થમાં આ જીવનના સંતોષનો સમય જો છે, તો સાથે જ જાતિવાદી અપમાનિત જીવનથી જોજનો દૂર પહોંચી તેનાથી છૂટકારાનો સમય પણ છે, જેના ખરા અર્થમાં તેઓ અધિકારી છે.
આત્મકથાના પ્રકરણ-૨ હેઠળના નાના ભાગમાં પોતે અનેક સંઘર્ષો વચ્ચે જે મુકામ પર પહોંચ્યા ને આ કંટકભરી સફરે એમને જે શિખવ્યું એનો સંક્ષિપ્ત હિસાબ આપવાનો પ્રયાસ ખુશીરામે કર્યો છે તે પણ તેમના વ્યક્તિત્વનો પરિચાયક અને જિદંગી પ્રત્યેના તેમના અભિગમનો પરિચાયક બની રહે છે. અને તેથી જ તેઓ લખી શકે છે : ‘હું હિન્દુ-શીખ પરિવારમાં જન્મ્યો પણ તેનાથી મને અસંતોષ સિવાય કંઈ મળ્યું નથી, મારો ધર્મ માનવધર્મ છે.’
ખુશીરામ કેનેડા વસી તો રહ્યા છે ને અહીંના ગુરુદ્વારાઓમાં પ્રવેશ કરનારની જાતિ જાણવાને આતુર કેટલાક તત્ત્વોથી તેમની નફરત પણ બરકરાર છે. અહીં કેનેડામાં પણ અસ્તિત્વમાં આવી રહેલા રવિદાસીયાઓના અલગ-આગવા ગુરુદ્વારાઓથી પણ ખુશીરામ વ્યથિત છે.
વિશાળ ઘેરાવાવાળા એક જ દેશ કેનેડામાં આવેલા બે શહેરો ટોરેન્ટો અને વેનકુવર વચ્ચે વિમાન માર્ગે જ ચાર કલાક થાય છે ! અને ઉપરથી અહીંની કાતિલ ઠંડી ! અત: ખુશીરામને મળવાની તીવ્ર ઈચ્છા હોવા છતાં, ફોન સંપર્ક સિવાય તેમને રૂબરૂ મળવાનો સંયોગ ન થયો એનો મને રંજ છે.
વિશેષ આભાર તો વાલજીભાઈ વિરાશનો કે જેઓએ વેનકુવરમાં એકથી વધુ વાર ખુશીરામ સાથે સંપર્ક કરી, મારી સાથે વીડિયોકોલથી તેમની વાત કરાવી, મેં લખેલ લખાણમાં કોઈ હકીકતદોષ નથી તેની ખાતરી, આ આખાય આલેખને ખુશીરામ સમક્ષ હિન્દીમાં રજૂ કરીને મને મેળવી આપી તે બદલ વાલજીભાઈનો દિલથી આભાર માનું છું.
ભારતભરમાં દલિતોની સૌથી વધુ વસ્તી ધરાવતું રાજ્ય પંજાબ છે ત્યારે અહીંના દલિત સમાજની જે તે કાળની સ્થિતિ પર આ આત્મકથા એક આધારભૂત દસ્તાવેજ છે.
ખુશીરામને અભિનંદન સાથે સારાં સ્વાસ્થ્યની શુભકામનાઓ.
૧૦૧ વર્ષીય આપણા ગુજરાતી દલિત સર્જક માન. બબલદાસ ચાવડા પાસે પણ શું આપણે આવા કોઈ આત્મચરિત્રાત્મક લખાણની અપેક્ષા રાખી શકીએ ?!
(હાલ : ટોરેન્ટો-કેનેડા; તા. ૨૦\૧૨\૨૦૨૨)
□□□
e.mail : natubhaip56@gmail.com