Opinion Magazine
Opinion Magazine
Number of visits: 9330598
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

નિર્વ્યાજ, નિરપેક્ષ સ્નેહ

નંદિતા ઠાકોર|Opinion - Opinion|13 October 2014

મારી હથેળીમાં સમાય એવડો નાનકડો હતો એ, ને તો ય અને અડતાં, ઊંચકતા મને ફાવતું નહીં. સહેજ ડર પણ લાગતો. અણગમો નહિ, પણ ગમો ય નહીં. બસ એક નિર્વિકાર ભાવ.
પણ દૂરથી હું એને જોતી. મારી દીકરી એને રમાડતી તે ય જોતી. ત્યાં મને અચાનક ખ્યાલ આવ્યો કે એના નાનકડા પિંજરામાંથી એ પણ મને જુએ છે. મોટી મોટી આંખોમાં ક્યારેક વિસ્મય, ક્યારેક હું ના સમજી શકું એવું કૈક,ને ક્યારેક ખુશી, આનંદ જેવું ય કૈંક. કોઈવાર મને થતું કે આ ભાવવૈવિધ્ય ખરે જ છે કે પછી એ મારા જ મનનાં સંચલનો છે? પણ ધીરે ધીરે એક પરિચય કેળવાતો ગયો. હું એને કોઈવાર બોલાવતી, એની નોંધ લેતી અને એ એની રીતે, એની ભાષામાં આ નોંધ લેવાયાનો પડઘો પાડતો.

વ્યોમા હવે ક્યારેક એને બહાર કાઢીને છૂટો મૂકતી અને એ ઘર આખામાં રખડીને કોક મનપસંદ ખૂણો શોધી બેસી જતો. એક દિવસ બહાર કાઢ્યા પછી એ સીધો રસોડામાં આવ્યો અને હું ઊભી રહીને કામ કરતી હતી ત્યાં મારા પગ પાસે ગોઠવાઈને બેસી ગયો! એણે આ પહેલ કરી પછી પણ મને એને આવકારતાં સહેજ વાર લાગતી પણ મારો એની સાથેનો વાર્તાલાપ વધ્યો, એની આદતો, જરૂરતો સમજાવા લાગ્યા.
હવે તો હું જ્યાં હોઉં ત્યાં મારા ચરણોમાં જ સ્થાન ગ્રહણ કરી લેવું એવું એણે નક્કી જ કરી લીધું! થોડા દિવસમાં તો મારી બાજુમાં બેસવું, કે હું સંગીત શીખવતી હોઉં ત્યારે એકધ્યાન થઈ શાંતિથી સાંભળવું એ શરૂ થયું. મારો એના તરફનો ગમો વધવા લાગ્યો. વ્યોમાએ પાડેલું 'બબા' નામ મને ગમતું નહીં એટલે હું એને જાતજાતના નામે બોલાવતી અને 'ચિમચિમ' નામ પડ્યા પછી ય આખરે ચીમન કહેતી થઈ તે ય એણે સ્વીકાર્યું..

અને પછી એક વાર ગુડનાઈટ કહેવા આવેલી દીકરીના હાથમાંથી ધરાર કૂદકો મારી એ બેસી ગયો મારા ખોળામાં અને મારી સામું જોઈ રહ્યો – જાણે કહેતો હોય, 'તું એકલી નાનુને જ વ્હાલ કેમ કરે છે? મને પણ કર! ' મેં એના માથા પર, શરીર પર હળવેથી હાથ ફેરવ્યો અને એ તો આંખ બંધ કરી, શરીર રીલેક્સ કરી ગોઠવાઈ ગયો! પછી તો આ રૂટીન થતું ગયું. મારો પગરવ ઓળખીને હું નજીક આવું તો એની ભાષામાં મને બોલાવવી, પાણી કે ખાવાનું ખલાસ થયું હોય તો અવાજ ઊંચો કરી ફરિયાદ કરવી, અને રાત્રે એના માથે હાથ ફેરવી બે વાત ન કરું ત્યાં સુધી જવું જ નહિ એ પ્રથા એણે શરૂ કરી. મને ખબર પણ ન પડી કે હું ક્યારે એના રૂટીનમાં ગોઠવાઈ ગઈ! એની હાજરી, અવાજ, આદતો, જરૂરતો, તકલીફો એ બધામાં હું ક્યારે ભળી ગઈ એ જ સમજાયું નહિ! એકવાર મુંબઈથી દીકરીઓ સાથે skype પર વાત કરતાં મને જોઈ, સાંભળી એણે લેપટોપના સ્ક્રીન પર કૂદકો માર્યો, મારી પાસે આવવા, અને મારા રહ્યા સહ્યા બંધ પણ છૂટી ગયા .. સહજ મમતાની આડે હવે કશું ય રહ્યું નહીં!

આઠમી ઓક્ટોબરે સવારે એણે સાડા પાંચ વર્ષ અમારી પાસે રહી કાયમી વિદાય લીધી – એની આગલી સાંજે પણ એની નાદુરસ્ત તબિયતે મારા ખોળામાં જ એ શાંતિથી થોડું ઊંઘ્યો હતો. 
એને વિદાય આપવાનું વ્યોમા માટે તો આકરું થયું જ,પણ મારા માટે પણ – કારણ કે એણે જ તો પોતાને સાવ સહજતાથી મને સમર્પી દઈ મને નિર્વ્યાજ, નિરપેક્ષ સ્નેહ કરતાં શીખવાડ્યું!

https://www.facebook.com/profile.php?id=1474836073&fref=nf

Loading

સફાઈમાં ખુદાઈ જોનારા લોકસેવક બબલભાઈ

દિવ્યેશ વ્યાસ|Opinion - Opinion|13 October 2014

શારીરિક શ્રમથી કસાયેલું શરીર, બીજાને માટે ઘસાઈ છૂટવાની વૃત્તિવાળું મન અને અટપટા પ્રશ્નનો તોડ કાઢી શકે એવી તીક્ષ્ણ બુદ્ધિ – આ મારી કલ્પનાના સેવકની લાયકાત છે. ગ્રામસેવક આખરે તો પ્રજાનો સેવક છે. પ્રજા એની શેઠ છે. જે સેવકની જરૂરિયાત શેઠ કરતાં વધારે એની સેવા શેઠ કઈ રીતે લઈ શકે? સેવક તો એ કે જે વધારેમાં વધારે આપે અને ઓછામાં ઓછું લે."

રવિશંકર મહારાજે બબલભાઈ મહેતાના પુસ્તક 'મારું ગામડું'ની પ્રસ્તાવનામાં લોકસેવકની આવી વ્યાખ્યા આપી છે, પણ ખરું જોતાં તો આ બબલભાઈના વ્યક્તિત્વનો જ ચિતાર લાગે છે. બબલભાઈ ગુજરાતના એવા ઉચ્ચ કોટિના લોકસેવક હતા, જેમનું વ્યક્તિત્વ અને જીવન લોકસેવા કરવા તત્પર લોકો માટે એક આદર્શ પૂરો પાડે છે. ઉપદેશ નહીં પણ આચરણ થકી પ્રેરણામાં માનતા બબલભાઈનો ગંદકી સામેનો આજીવન સંઘર્ષ આજે સ્વચ્છ ભારત અભિયાનના દિવસોમાં યાદ આવ્યા વિના રહેતો નથી.

'સફાઈમાં જ ખુદાઈ'નો મંત્ર તેમણે માત્ર આપ્યો નહોતો, પરંતુ જીવી બતાવ્યો હતો. બબલભાઈ જેવો સ્વચ્છતા માટે સમર્પિત સેવક ગુજરાતમાં તો ઠીક આખા દેશમાં મળવો મુશ્કેલ છે. સ્વચ્છતા બાબતે લોકોમાં જાગૃતિ લાવવા માટે બબલભાઈએ જીભ કરતાં પોતાના હાથનો ઉપયોગ વધારે કર્યો હતો. કહેવાય છે કે બબલભાઈ પોતાની સાથે કાયમ એક ઝાડું રાખતા અને જ્યાં ક્યાં ય પણ કચરો કે ગંદકી જુએ ત્યાં જાતે જ સફાઈકામ કરવા મચી પડતા. ગાંધીસંસ્કારના આદર્શ લોકસેવક એવા બબલભાઈનાં પગલાં જ્યાં જ્યાં પડયાં ત્યાં ત્યાં સ્વચ્છતાનો ઉજાસ ફેલાયો હતો.

બબલભાઈ મહેતાનું નામ નવી પેઢીના લોકો માટે અજાણ્યું છે, એ આપણા સમાજની નબળાઈ અને નગુણાઈ જ કહેવાય. જીવનના અંતિમ શ્વાસ સુધી લોકસેવામાં વ્યસ્ત રહેનારા બબલભાઈ ન કોઈ સંસ્થાના સભ્ય બન્યા કે ન કદી કોઈ સંસ્થા કે તંત્રનું પદ સંભાળ્યું. આવા અકિંચન લોકનેતાને યાદ રાખવા અને યાદ કરતા રહેવામાં આપણા સમાજનો જ સ્વાર્થ છે. ૧૦મી ઓક્ટોબર, ૧૯૧૦ના રોજ સાયલા ખાતે જન્મેલા બબલભાઈનું બાળપણ તેમના વતન હળવદમાં વીત્યું હતું. માત્ર એક વર્ષની નાની ઉંમરે પિતા પ્રાણજીવનદાસના અવસાન પછી તેમનું લાલનપાલન માતા દિવાળીબાએ જ કરેલું. બબલભાઈના વ્યક્તિત્વ પર દિવાળીબાનો વિશેષ પ્રભાવ હતો, ખાસ કરીને તેમની સ્વચ્છતા અને કરકસરની બાબતમાં. પોતાની આત્મકથા 'મારી જીવનયાત્રા'માં તેમણે નોંધ્યું છે, "અમારું ઘર નાનું હતું, પણ બા રોજ રસોડાની દીવાલને સફેદ ખડીથી પોતું મારી લેતી ને જમીન ઉપર લીંપણ કરી લેતી એટલે ઘર નવું નવું થઈ જતું. મને એ બહુ ગમતું. અમારા ઘરમાં વાસણ થોડાં હતાં પણ બા એ ઊટકીને ચકચકિત રાખતી … મારા ઘડતરમાં મારી બાનો બહુ મોટો ફાળો છે." બાના સુઘડતા-સ્વચ્છતાના ગુણોથી આકર્ષાયેલા-પોષાયેલા બબલભાઈને કદાચ એટલે ગાંધીજીનો ગ્રામસફાઈનો વિચાર વધારે સ્પર્શી ગયેલો. બબલભાઈ માસરા કે થામણામાં રહેતા હોય કે અન્ય ગમે તે ગામ કે શહેરમાં ગયા હોય, સવારના એકાદ-બે કલાક તો તેઓ ગ્રામસફાઈમાં જ ગાળતા હતા.

બબલભાઈએ 'મારું ગામડું' નામના પુસ્તકમાં 'ગ્રામસફાઈ'ના પ્રકરણમાં આપણા દેશનાં ગામડાંઓમાં ગંદકી કેવડી મોટી સમસ્યા છે, એ વિશે લખ્યું છે, "શું ગામડાંના લોકોની ગરીબાઈનો સવાલ નાનોસૂનો છે? એમની દેવાદાર સ્થિતિનો પ્રશ્ન ઓછો વિકટ છે? કે બધા એવી મહત્ત્વની વાતો છોડીને સફાઈ સફાઈ કરી રહ્યા છે! – ગામડાનો અનુભવ ન હોય એવો માણસ સહેજે આવું બોલી ઊઠે. પણ ગામડામાં જે ગયો છે અને ત્યાં જઈને રહ્યો છે એને પાકો અનુભવ થયો છે કે, ગામડાની ગરીબાઈ, દેવાદાર સ્થિતિ અને એ ઉપરાંત હાડમારીઓનો કાંઈ પાર નથી, પણ એ બધાથીયે આગળ વધી જાય એવો – આપણી આંખ ફાડીને અંદર પેસી જાય એવો – પ્રશ્ન ત્યાંની ગંદકીનો છે."

આજીવન ગંદકી સામે જંગ ચલાવનારા બબલભાઈના જીવન-કાર્યમાંથી ત્રણ સ્પષ્ટ સંદેશા મળે છે, જે સ્વચ્છ ભારતના અભિયાનને સફળ જ નહીં સાર્થક કરવું હોય તો ગાંઠે બાંધી રાખવા જેવા છે. એક, લોકોને ઠાલો ઉપદેશ આપી દેવાથી તેમની જીવનશૈલીમાં પરિવર્તન આવી જવાનું નથી, ગંદકીની જાતે સફાઈ કરીને જ તેમને સફાઈ માટે સભાન-સક્રિય બનાવી શકાશે. બીજો, ગંદકી પ્રત્યે લોકોમાં સૂગ ઉત્પન્ન કરવી પડશે અને તો જ માણસ ગંદકી કરતાં શરમાશે, ગંદકી કરતો અટકશે અને જ્યાં ગંદકી હોય ત્યાં સ્વચ્છતા માટે પ્રયાસ કરશે. ત્રીજો, ગંદકી સાફ કરવી એ કોઈ નીચલી ગણાતી જાતિના લોકોનું કામ નથી, એ આપણું સૌનું કામ છે. સફાઈના કામમાં શરમ પણ ન હોવી જોઈએ અને એ કામ કરનાર પ્રત્યે સૂગ કે હીન ભાવ તો ન જ હોવો જોઈએ.

એ પણ યાદ રહે કે બબલભાઈએ માત્ર સડક-મહોલ્લા નહીં લોકોનાં દિલોદિમાગ પણ સ્વચ્છ અને સ્વસ્થ કર્યાં હતાં. બબલભાઈ જેમ દેશનો દરેક નાગરિક સફાઈમાં ખુદાઈ જોતો થશે ત્યારે જ ગંદકીના દૈત્યને નાથી શકાશે.

e.mail : divyeshvyas.amd@gmail.com

સૌજન્ય : ‘સમય સંકેત’ નામે લેખકની સાપ્તાહિકી કટાર, “સંદેશ”, 12 અૉક્ટોબર 2014

http://www.sandesh.com/article.aspx?newsid=2997557

Loading

સબૂર … ક્યાં જઈ રહ્યા છીએ આપણે?

પ્રકાશ ન. શાહ|Opinion - Opinion|11 October 2014

સબૂર … ક્યાં જઈ રહ્યા છીએ આપણે?

જયપ્રકાશ 2014. સાંકડા રાષ્ટ્રવાદ અને અંધ વિકાસવાદના રાજસૂય ઉધામા વચ્ચે ક્યાં છે ક્રાંતિની પ્રજાસૂય ખોજ, કોઈક તો બોલો

આજે, 1977ના બીજા સ્વરાજની પિતૃમૂર્તિ શા લોકનાયક જયપ્રકાશ નારાયણનું જયંતી પર્વ અમદાવાદ અનોખી રીતે ઉજવશે : નારાયણ દેસાઈએ જયપ્રકાશના જીવનકાર્યને ઉપસાવતું જે એક નાટક લખ્યું છે એનું પ્રકાશન થશે, અને એના કેટલાક અંશોનું મંચન પણ થશે. જયપ્રકાશ અલબત્ત એક મોટું નામ છે, અને હાલની કેન્દ્ર સરકાર પણ એમના જયંતી પર્વ સાથે કોઈક ને કોઈક રીતે જોડાશે. દેશના એકોએક લોકસભા મતવિસ્તારમાં પ્રાયોગિક ધોરણે થોડાં થોડાં ગામોમાં આદર્શ ગ્રામ યોજનાની સાથે જયપ્રકાશનું નામ જોડવાની સત્તાવાર જાહેરાત પણ થઈ ચૂકી છે.

તો, આવા એક રાજસૂય આયોજનના માહોલમાં પ્રજાસૂય મંચનનો જેપી જોગાનુજોગ અનાયાસ જ એક વૈકલ્પિક વિચારખીલો ખોડી રહે એવું પણ બને. વાત એમ છે કે બેઠકોની સુવાંગ બહુમતિ સાથે (જો કે એકત્રીસ ટકે અટકેલ) ગાદીનશીન થયેલ પ્રતિભા, પક્ષ અને વિચારધારા વ્યાપક સ્વીકૃતિની શોધમાં છે. સાંકડી ઓળખનું ઝનૂની રાજકારણ ખેલી સત્તાપાયરીએ પહોંચી શકાતું હોય તો પણ છતી બહુમતીએ સ્વીકૃતિ કહેતાં લેજિટિમસી સુધીનું અંતર કાપવું રહે છે : આજનું જેપી જયંતી પર્વ હો કે આવતીકાલનું લોહિયા સ્મૃિત પર્વ – વર્તમાન શાસન કોઈક ને કોઈક રીતે જેપી-લોહિયા સાથે સંકળાઈને આ અંતર કાપવાનો મનોવૈજ્ઞાનિક વ્યાયામ કરી રહ્યું છે એમ પણ તમે કહી શકો.

ભાઈ, જયપ્રકાશ અને લોહિયા કોઈની માલિકી બેલાશક નહોતા અને નથી. રાષ્ટ્રીય ચળવળમાં, 1947 પહેલાં અને પછી એમ બેઉ તબક્કે એમનું જે યોગદાન રહ્યું છે એ જોતાં કોંગ્રેસ શાસનને પણ એમના સત્તાદર સુમિરનનો સંકોચ હોવાને કારણ નથી. આખરે હતા તો બેઉ કોંગ્રેસ સોશલિસ્ટ પાર્ટીના જ નેતાઓ – અને 1942 બાદ તો નેહરુપટેલ અને એમની હેડીના નેતાઓ પછી તરતની નવી હરોળનાં આ બેઉ અગ્રનામો હતાં. બલકે, 1947ના અરસામાં નેહરુ અને પટેલ સાથે દિલી સંબંધ છતાં ગાંધી જે રીતે અંતર અનુભવતા હતા ત્યારે કોઈક તબક્કે ભાવાત્મક રીતે જેપી અને લોહિયા ગાંધીની વધુ નજીક પણ હોઈ શકતા હતા.

જો કે, ઇતિહાસે કંઈક એવો વળાંક લીધો કે જેપી લોહિયાને હિસ્સે સ્વરાજલડાઈનો સ્વાતંત્ર્યોત્તર તબક્કો કોંગ્રેસની સામે લડવાનો આવ્યો. વિગતોમાં નહીં જતાં અહીં એટલું જ કહેવું બસ થશે કે 1977માં સંયુક્ત વિધાયક દળની સરકારો સાથે તેમ 1975માં ગુજરાતની મોરચા સરકાર અને 1977માં કેન્દ્રની જનતા સરકાર સાથે અનુક્રમે લોહિયા અને જેપી િબનકોંગ્રેસવાદ વાટે લોકશાહી પ્રક્રિયા પ્રવહમાન રાખવામાં ઇતિહાસનિમિત્ત બની રહ્યા. જયપ્રકાશ અને લોહિયા હતા તો રાષ્ટ્રીય ચળવળથી પરિચાલતિ અને બેસતે સ્વરાજે જવાહરલાલે વિધાતા સાથે જે કોલકરારની અનુભૂતિ કરી હતી, કંઈક એવો જ ભાવાત્મક નાતો એમનો પણ હતો. છતાં, એમની સ્વાતંત્ર્યોત્તર ઓળખ ભલે જાડી રીતે પણ બિનકોંગ્રેસવાદના અધ્વર્યુ તરીકેની ઉપસી રહી.

જયપ્રકાશની આ જાડી ઓળખનો લાભ સંસ્થા કોંગ્રેસને, સમાજવાદી પક્ષને અને સવિશેષ તો જનસંઘને સૂંડલા મોઢે મળી રહ્યો એ નોંધવું જોઈશે. સંસ્થા કોંગ્રેસ અને સમાજવાદી પક્ષ પાસે તો પોતીકી તરેહનું રાષ્ટ્રીય સંગ્રામનું સંધાન પણ હતું; જનસંઘ કને એ નહોતું તે સંજોગોમાં જયપ્રકાશ એને વિશેષ ઉપયોગી થઈ પડે. એ દેખીતું હતું. હમણેના ભૂતકાળમાં જેમ ગુજરાતમાં સરદારને વિશેષ આગળ કરવાની ગરજ એને વર્તાય જ છે ને. સરદારની સંઘ આવૃત્તિની ચર્ચા અહીં પૂર્વે કરેલી છે અને યથાપ્રસંગ કરીશું.

પણ જયપ્રકાશ અને લોહિયા સબબ એક વાત સાફ કરી દેવી જોઈએ કે બિનકોંગ્રેસવાદ તો એમનાં સમૃદધ ચિંતન અને અપૂર્વ યોગદાનનો છેક જ નાનો હિસ્સો હતો. રોજમર્રાના નવી અને પેજપવિત્રાથી ઊંચે જ ઊઠી નવી અને ન્યાયી દુનિયા વાસ્તે લડનાર જોદ્ધા એ હતા. એકે સંપૂર્ણ ક્રાંન્તિને ધોરણે વાત કરી, બીજાએ સાત ક્રાંતિને ધોરણે. બિનકોંગ્રેસવાદ એ તો તે માટેની મથામણમાં આવી પડેલો એક ચાલચલાઉ વ્યૂહ હતો, એટલું જ. લોહિયા અને જેપીના ક્રાંતિચિંતનની કસોટીએ ભાજપનો સાંકડો રાષ્ટ્રવાદ અને અંધ વિકાસવાદ બેઉ મુદ્દલ ટકી શકે એમ નથી. જેમ ‘સફાઈ’, ‘સફાઈ’ના શોરથી સમગ્ર ગાંધીને પામી શકાતો નથી તેમ લોહિયા-જેપીને નામે કોઈ યોજના ખતવ્યાથી એમને પામી શકાતા નથી.

આ સંજોગોમાં ગાંધી કથાકાર નારાયણ દેસાઈનું ‘જયપ્રકાશ’ વિષયક લઈને આવવું એ અધિકૃત જેપી શોધ માટેની ઓઝોન ઘટનાથી ઓછું નથી. સ્વરાજ અને પરવર્તિનની એમની વ્યાખ્યા, લોકશાહી અને સમાજવાદની એમની સમજ, હાલના વિષમતાવર્ય વૈશ્વિકીકરણથી જોજનો દૂર હતી. ક્યારેક એની વિગતે ચર્ચા કરીશું, પણ અત્યારે એટલું જ કહેવું બસ થશે કે સહભાગી અને સમતામૂલક વિકાસ એ ભાજપના વશની વાત નથી.

જોગનુજોગ, એમ તો દર્શકની ‘સોક્રેટીસ’ નવલકથા આધારતિ નાટકના મંચનનો પણ ક્યાં નથી? એથેન્સનું નમૂનેદાર લેખાતું નગરરાજ્ય (લોકશાહી ગણતંત્ર) કેટલાક બેફામ ભાષણખોરો – ડેમેગોગ્ઝ-થી ખેંચાઈ કેવું ન કરવાનું કરી બેઠું એનું એ ચિત્ર છે. આ જ તરજ ઉપર ગાંધી, જેપી, લોહિયા વસ્તુત: ડેમેગોગી થકી આહત અને અપહૃત લોકશાહી બાબત લાલબત્તી લઈને આવે છે.

સૌજન્ય : “દિવ્ય ભાસ્કર”, 11 અૉક્ટોબર 2014

Loading

...102030...3,6603,6613,6623,663...3,6703,6803,690...

Search by

Opinion

  • પ્રેમને મારી નાખતી સંસ્કૃતિને જ મારી નાખો
  • ધૂલ કા ફૂલ : હિંદુ-મુસ્લિમ એકતામાં યશ ચોપરાનો નહેરુવાદી રોમાન્સ
  • મોંઘા ગુલાબના ઉપવનો
  • ક્યારે ય ‘આઉટ ઓફ પ્રિન્ટ’ ન થયેલી નવલકથા 
  • ઝૂફાર્માકોગ્નોસી : પ્રાણીઓ કેવી રીતે પ્લાન્ટ્સને દવાખાનું બનાવે છે!

Diaspora

  • ભાષાના ભેખધારી
  • બ્રિટનમાં ગુજરાતી ભાષા-સાહિત્યની દશા અને દિશા
  • દીપક બારડોલીકર : ડાયસ્પોરી ગુજરાતી સર્જક
  • મુસાજી ઈસપજી હાફેસજી ‘દીપક બારડોલીકર’ લખ્યું એવું જીવ્યા
  • દ્વીપોના દેશ ફિજીમાં ભારતીય સંસ્કૃતિ અને હિન્દી

Gandhiana

  • ગાંધીનો હિટલરને પત્ર 
  • ઈશુનું ગિરિ-પ્રવચન અને ગાંધીજી
  • ગાંધી : ભારતની પ્રતિમા અને પ્રતીક
  • પૂજ્ય બાપુની કચ્છ યાત્રાની શતાબ્દી 
  • ગાંધીશતાબ્દી કેવી રીતે ઊજવીશું?

Poetry

  • તારવણ
  • હે કૃષ્ણ ! કોણ છે તું?
  • આ યુદ્ધ છે !
  • હાલો…
  • એક ટીપું

Samantar Gujarat

  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 
  • સરકારને આની ખબર ખરી કે … 

English Bazaar Patrika

  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day
  • Destroying Secularism
  • Between Hope and Despair: 75 Years of Indian Republic

Profile

  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર
  • મૃદુલા સારાભાઈ
  • મકરંદ મહેતા (૧૯૩૧-૨૦૨૪): ગુજરાતના ઇતિહાસલેખનના રણદ્વીપ
  • અરુણભાઈનું ઘડતર – ચણતર અને સહજીવન

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved