Opinion Magazine
Number of visits: 9521475
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

‘નીચા નગર’ થકી દેશનું નામ ઊંચું થયેલું, પણ …

દિવ્યેશ વ્યાસ|Opinion - Opinion|20 September 2015

આ લેખ લખાઈ રહ્યો છે ત્યારે જ એક અહેવાલ વાંચવા મળે છે – ભારતમાં કરોડપતિઓની સંખ્યા ૧.૯૮ લાખે પહોંચી ગઈ. ૨૦૧૩માં આ આંકડો ૧.૫૬ લાખ હતો, જેમાં એક જ વર્ષમાં ૪૨ હજારનો (૨૬ ટકાનો) વધારો થયો છે. તેમની સંપત્તિની વૃદ્ધિમાં ૨૮.૨ ટકા જેટલો ઊંચો વધારો થયો છે, જે એશિયન દેશો તો જવા દો વિશ્વના દેશોમાં સૌથી ઊંચો વધારો છે. પહેલી નજરે આ ગુડ ન્યૂઝ છે, પણ જરા ઊંડું વિચારીએ તો દેશમાં ગરીબોની-ખેડૂતોની સ્થિતિ વણસતી-વકરતી જાય છે તો બીજી તરફ અમીરો વધારે અમીર થતાં જાય છે. આમ, આ ન્યૂઝ દેશમાં અમીર અને ગરીબ વચ્ચે ઊંડી બનતી ખાઈ તરફ દિશાનિર્દેશ કરે છે. આઝાદીના સાત દાયકા પૂરા થવા આવ્યા છતાં દેશમાં 'ઊંચા નગરો' સ્માર્ટ થતાં જાય છે અને 'નીચા નગરો' ગંદકી અને ગરીબીમાં જ સબડી રહ્યાં છે, એ હકીકત જોતાં ચેતન આનંદની ૧૯૪૬માં બનેલી 'નીચા નગર' ફિલ્મનું સ્મરણ તીવ્ર બને છે અને સાથે એક સવાલ ઊઠે છે કે આપણે શું વિકાસની કોઈ ભળતી દિશા તરફ તો ગતિ નથી કરતા ને?

ખેર, વિકાસ-કંકાશને થોડી વાર માટે ભૂલી જઈએ પણ 'નીચા નગર'ની વાત નીકળી છે ત્યારે આ ફિલ્મને આંતરરાષ્ટ્રીય સ્તરે પોંખનારા ફિલ્મ ફેસ્ટિવલની થોડી વાત કરવી રસપ્રદ રહેશે. ભારતીય સિનેમાની વૈશ્વિક સ્તરે નોંધ પહેલી વખત લેવાઈ હતી, કાન ફિલ્મ ફેસ્ટિવલમાં. ૧૯૪૬માં પહેલી વખત આયોજિત આ ફેસ્ટિવલમાં ચેતન આનંદની 'નીચા નગર' ફિલ્મે આંતરરાષ્ટ્રીય શ્રેષ્ઠ ફિલ્મનો એવોર્ડ જીતીને દેશની શાન વધારી હતી. ફિલ્મની વાત કરતાં પહેલાં થોડી વાત આ ફિલ્મ ફેસ્ટિવલ વિશે …

કાન ફિલ્મ ફેસ્ટિવલનો ઉદ્દભવ ફાસીસ્ટ અને નાઝીના વિરોધમાં થયો હતો. વિશ્વનો પહેલો વાર્ષિક આંતરરાષ્ટ્રીય ફિલ્મ ફેસ્ટિવલ ૧૯૩૨માં વેનિસ શહેરમાં યોજાયો હતો, પણ ધીમે ધીમે વેનિસ ફિલ્મ ફેસ્ટિવલ નાઝી-ફાસીસ્ટની નાગચૂડમાં ફસાઈ ગયો. જર્મનીના હિટલર અને ઈટાલીના મુસોલિનીએ તેના પર એવો કબજો જમાવેલો કે તેમના ઈશારે જ એવોર્ડ અપાવા માંડયા હતા. આના વિરોધમાં કલાપ્રેમી દેશ ફ્રાંસે પોતાનો અલગથી ફિલ્મ ફેસ્ટિવલ યોજવાનો નિર્ણય લીધો. જૂન-૧૯૩૯માં પેરિસમાં જાહેર કરાયું કે ૧થી ૨૦ સપ્ટેમ્બર દરમિયાન સૌંદર્યસભર બીચ અને રળિયામણા રિસોર્ટના નગર એવા કાન શહેરમાં ફિલ્મ ફેસ્ટિવલ યોજાશે. કાન ફિલ્મ ફેસ્ટિવલની તૈયારીઓ થઈ રહી હતી અને ઓગસ્ટથી જ ફિલ્મો અને ફિલ્મનિર્માતાઓ ફ્રાંસ આવી પહોંચ્યા હતાં. ૧ સપ્ટેમ્બરે ફેસ્ટિવલ શરૂ થયો અને બરાબર ત્યારે જ જર્મનીએ પોલેન્ડ પર આક્રમણ કર્યું. બીજા વિશ્વયુદ્ધનો પ્રારંભ થતાં સપ્ટેમ્બરના પહેલા સપ્તાહમાં જ ફ્રાંસ અને બ્રિટને જર્મની વિરુદ્ધ યુદ્ધ જાહેર કર્યું અને કાન ફિલ્મ ફેસ્ટિવલ અટકાવી દેવો પડયો. બીજું વિશ્વયુદ્ધ છ વર્ષ ચાલ્યું અને આખરે ૧૯૪૫માં હિટલર-મુસોલિનીના અંત અને જાપાનની શરણાગતિ પછી પૂરું થયું. ૧૯૪૬માં ફ્રાંસની સરકારે આ ફિલ્મ ફેસ્ટિવલને ફરીથી શરૂ કરવાની મંજૂરી આપી. આમ, ૨૦મી સપ્ટેમ્બર, ૧૯૪૬ના રોજ પહેલો કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ યોજાયો. આ ફેસ્ટિવલમાં કુલ ૧૬ દેશોએ ભાગ લીધો હતો. આ પ્રથમ કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ આપણા માટે એટલે ઐતિહાસિક છે કે તેમાં 'નીચા નગર'ને શ્રેષ્ઠ ફિલ્મનું સન્માન મળેલું.

'નીચા નગર' ફિલ્મે ભારતીય સિનેમાને આટલું મોટું સન્માન અપાવ્યા છતાં તે ભારતીય સિનેમાની મોસ્ટ અંડરરેટેડ મૂવિ ગણાય છે. દુર્દશા તો જુઓ કે આંતરરાષ્ટ્રીય સ્તરે પોંખાયેલી આ ફિલ્મ દેશમાં જ કમર્શિયલી રીલિઝ થઈ શકી નહોતી. વળી, સત્યજીત રેની 'પાથેર પાંચાલી' વિશ્વસ્તરે પોંખાયાના એક દાયકા પહેલાં આ ફિલ્મે દેશને નામના અપાવી હોવા છતાં ભાગ્યે જ તેને યાદ કરાતી હોય છે.

સામ્યવાદી વિચારધારા તરફ ઝોક ધરાવતા ચેતન આનંદની આ પહેલી જ ફિલ્મ હતી, જે આજે ય માસ્ટરપીસ ગણાય છે. 'નીચા નગર'માં આપણા સમાજની વાસ્તવિકતાને કળાત્મક અને અસરકારક રીતે રજૂ કરવામાં આવી છે. ખાસ કરીને તે આર્થિક અસમાનતાની ઊંડી ખાઈનું ચોટદાર દર્શન કરાવે છે. ફિલ્મમાં એક નગર હોય છે, જે અમીરોના 'ઊંચા નગર' અને ગરીબોના 'નીચા નગર'માં વહેંચાયેલું છે. સરકાર સાહેબ નામનું પાત્ર એક અમીર, વગદાર અને મોટો બિલ્ડર હોય છે. સરકાર સાહેબ ઊંચા નગરમાં બાંધકામ માટે ગટરનું પાણી નીચા નગર તરફ વહાવી દે છે, જેને કારણે નીચા નગરમાં રોગચાળો ફાટી નીકળી છે. સરકાર સાહેબનો જ મળતિયો પાછો નીચા નગરમાં હોસ્પિટલ બાંધે છે, પણ આખા ષડયંત્રથી સચેત થઈ ગયેલા લોકો સારવાર માટે પેલી હોસ્પિટલમાં જવાનું ટાળીને અહિંસક આંદોલન કરે છે. ફિલ્મના અંતમાં લોકો જાતિ-જ્ઞાતિ-ધર્મના વાડાથી ઉપર ઊઠીને સંગઠિત બને છે અને પોતાના અધિકાર માટે સંઘર્ષ કરતા દર્શાવાયા છે.

આ ફિલ્મે આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતીય સિનેમાને ઓળખ અપાવવા ઉપરાંત પંડિત રવિ શંકર જેવા સિતારવાદકને સંગીતકાર તરીકે રજૂ કર્યા તો કામિની કૌશલ જેવી અભિનેત્રી પણ આપી હતી. કમનસીબે આ ફિલ્મની આપણે ત્યાં જોઈએ એવી કદર-કિંમત થઈ નથી, એટલું જ નહીં આ ફિલ્મમાંથી જે કંઈ શીખ મળે છે, તેને આપણે આટલે વર્ષે પણ ગાંઠે બાંધી શક્યા નથી. 'નીચા નગર' જેવી શરમજનક-સંઘર્ષજનક સ્થિતિ આજે પણ આપણે ત્યાં મોજૂદ છે, એ આપણા માટે 'નીચાજોણું' ક્યારે ગણાશે?

સૌજન્ય : ‘સમય સંકેત’ નામક લેખકની કોલમ, ‘સંસ્કાર’ પૂર્તિ, “સંદેશ”, 20 સપ્ટેમ્બર 2015

http://www.sandesh.com/article.aspx?newsid=3136057

આ આખ્ખેઆખી ફિલ્મની કડી : https://www.youtube.com/watch?v=UpweCnKyNVw 

Loading

ભારતમાં રમાય છે ઓળખ અથડામણોનું રાજકારણ

પ્રકાશ ન. શાહ|Samantar Gujarat - Samantar|20 September 2015

નકરી શ્વેત કે નકરી શ્યામ એવી ખાનાપૂરણીમાં નહીં પુરાતાં સંકુલ, સંમિશ્ર સમગ્રતા સાથે કામ પાડવું પડે

ટપાલ ખાતાની રસમી થપ્પા અગર સિક્કાનું તો જાણે કે સમજ્યા મારા ભૈ, પણ નાનામોટા રાજકીય ને બીજા ફિરકાઓ પોતપોતાનાં ખાસંખાસ નામો ટપાલ ટિકિટે લહેરાય ને એમ પોતાનો સિક્કો પડે તે સારુ ખાસા લાલાયિત હોય છે, નહીં? એની પૂંઠે જો ઓળખ કહેતાં ‘આઇડેન્ટિટી’નું રાજકારણ હશે તો સાથે પોતીકી તરેહનો ઇતિહાસબોધ સ્થાપિત કરવાનીયે ગણતરી હશે. વસ્તુત: વિશેષ ટપાલ ટિકિટની પરંપરા કોઈ એક કૌટુંબિક ઈજારો ન હોય એવી લાગણી, અતિરેકની પ્રણાલિ જોતાં, વાજબી પણ છે. પરંતુ, આ મુદ્દે ભાજપ પ્રતિષ્ઠાનની ભૂમિકા પ્રીછ્યા પછી પણ એ એક વાનું તો જોવુંસમજવુંતપાસવું રહે જ છે કે કવચિત હકાર, કવચિત નકાર એવો તમારો જે હુંકાર પ્રગટ થવા કરે છે તેમાંથી કેવોક ઇતિહાસબોધ ફોરે છે અગર ઢેકો કાઢે છે.

દક્ષિણ ભારતના સુપરસ્ટાર કહેવાતા રજનીકાન્તે ટીપુ સુલતાન પરની ફિલ્મમાં ટીપુનો અભિનય કરવાની ઓફર ન સ્વીકારવી જોઈએ એવો ગોકીરો ભાજપ અને હિંદુ મનાની સહિતની સંઘ પરિવારની કે એની નજીકની સંસ્થાઓએ મચાવ્યો છે. તેમાંથી ઇતિહાસબોધ બાબતે જે વરવી એકાક્ષી તાસીર પ્રગટ થાય છે તે આ સંદર્ભે નોંધવા જેવી છે. ભાજપના એક રાષ્ટ્રીય મંત્રી એચ. રાજાએ કહ્યું છે કે રજનીકાન્ત કે જે કોઈ પણ અભિનેતા સૂચિત ફિલ્મ સાથે જોડાશે તે ‘ભારતવિરોધી’ લેખાશે. નાનીમોટી, ખરીખોટી કોઈપણ બાબતને પરબારી દેશભક્તિની કસોટી બનાવી મેલવી એ અભિગમની પોતાની મર્યાદા વિશે શું કહેવું.

ટીપુ સુલતાન સામસામાં અર્થઘટનોનો વિષય રહ્યો છે તે જાણીતું છે. એને હસ્તક હિંદુઓની હત્યા થવાની વાત છે, તો એણે જજિયાવેરો નહીં નાખ્યાની પણ વાત છે. રાજની કારવાઈ આડે આવેલા મુસ્લિમોને એણે નહીં બક્ષ્યાનું તેમ જ મરાઠા આક્રમણ સામે શંકરાચાર્યે ટીપુની સહાય મળવાનુંયે એટલું જ જાણીતું છે. જો આ બધું સાથે મૂકીને જોઈએ તો જે સમયમાં હિંસા મારફતે કામ લેવું જાયજ અને સહજ મનાતું તે સમયમાં ટીપુની ચાલનાઓ સ્થાપિત ધર્મસંપ્રદાયની નહીં એટલી રાજકીય ગણતરીસરની હતી તે હકીકત તરત સામે આવે છે. બલકે, જે સમય ભારતમાં બહુધા હિંદુ વિ. મુસ્લિમ અગર હિંદુ વિ. હિંદુ, મુસ્લિમ વિ. મુસ્લિમ એવી રજવાડી અથડામણો અને ખટપટોનો હતો તે સમયે અંગ્રેજો સામે લડવાની ટીપુની અગ્રતા એક નવું જ મૂલ્યાંકન માગે છે. અને આ રીતે જોઈએ તો અતિશયોક્તિનું આળ વહોરીને ય એને 1857ના ઉઠાવની પુરોગામી ઘટનાનું માન આપવાનો કેસ ન જ બને તેમ નથી. મુદ્દે, ઇતિહાસમાં ખાસું સંમિશ્ર અને સંકુલ ઘણુંબધું પડેલું હોય છે. એને સમગ્રતામાં નહીં જોતાં પોતાને અનુકૂળ પસંદગીચોસલામાં જોવું આપણને સૌને ફાવતું આવતું હોય છે. પસંદગીનાં ધોરણો જેમ વસ્તુગત તેમ વ્યક્તિગત પણ હોઈ શકે છે. પરંતુ, એથી સામી વ્યક્તિ – જેમ કે, કદાચ ટીપુની ભૂમિકા કરતો રજનીકાન્ત – જો આપણે મન પરબારો દેશદ્રોહી ઠરાવાનો હોય તો આપણી સમજ તળેઉપર તપાસ માગે છે એટલું ચોક્કસ.

દેશ કહો, રાષ્ટ્ર કહો, સમાજ કહો, આ બધાંની વ્યાખ્યામાં જે તે સમયની સ્થાપિત માન્યતાઓ અને પ્રભુતાસમ્પન્ન વર્ગો ખાસાં સમીકૃત થઈ જતાં હોય છે. ફરી રજનીકાન્ત-ટીપુ પ્રકરણનું દૃષ્ટાંત લઉં તો ટીપુ સુલતાન તમિલવિરોધી હતો, એટલે તેની ભૂમિકા ભજવતા રજનીકાન્તને પણ તમિલદ્રોહી શા માટે ન કહેવા એવોયે એક સવાલ દક્ષિણદેશમાં આ દિવસોમાં ઉછળાઈ રહ્યો છે.

અથવા પાટીદાર અનામતનો સવાલ લો. આવતે અઠવાડિયે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અમેરિકાયાત્રા વખતે યુનાઇટેડ નેશન્સના વડામથકથી ન્યૂયોર્ક ખાતેની ઇન્ડિયન કોન્સ્યુલેટ લગીના 3.5 કિલોમીટરની પાટીદાર રેલીનું આયોજન થઈ રહ્યું છે ત્યારે અમેરિકા સ્થિત વિહિંપ અને ઓવરસીઝ ફ્રેન્ડ્ઝ ઓફ બીજેપીએ આવી ‘દ્રોહી’ રેલી સામે વિરોધનો સૂર ઉચ્ચાર્યો છે. અલબત્ત, રેલીકારોને સરદારના પ્રપૌત્રનું સમર્થન છે, કેમ કે ‘સરદારે પાટીદારોને 1947માં અનામત લેવાનું કહ્યું હતું.’ ભાગ્યે જ ગ્રાહ્ય રહી શકે એવું આ વિધાન છે. પણ સરદારને જો ‘ગુજરાતને અન્યાય’ની કાગારોળમાં કેવળ ગુજરાતના નેતા બનાવી દઈ શકાતા હોય તો એમાંથી નકરા ‘પાટીદાર નેતા’ બનાવવાનું કેટલું સહેલું છે તે પાટીદાર રેલી રૂપે અમેરિકાની ધરતી પર થઈ રહેલી સમુત્ક્રાન્તિ પછી સમજાઈ રહેવું જોઈએ.

એક રીતે જોતાં, સંઘના કેન્દ્રીય અગ્રણી મનમોહન વૈદ્યની ભલે મોડી મોડી પણ એ ટિપ્પણી છે તો સાચી જ કે હાર્દિક પટેલનાં ઉચ્ચારણો સમાજમાં ભાગલા પડાવનારા અને સામાજિક તાણાવાણા ખેરવિખેર કરનારા છે. એમણે એમ પણ ઉમેર્યું છે કે ઓબીસી-એસસી-એસટી સહિતના સમાજને અપાઈ રહેલી અનામત સામાજિક-સમાનતાની દિશામાં યોગ્ય છે. 

ગાંધીનેહરુપટેલની સ્વરાજત્રિપુટીમાંથી એકલા સરદારને (અને તે પણ ગાંધીજી કરતા ‘મોટા’ સરદારને) લઈને સંઘ પરિવારે કરેલી રાજનીતિ, હિંદુ ઓળખનું રાજકારણ કેટલી ઝડપથી પાટીદાર હુંકારનું રાજકારણ બની શકે છે તે જોયા પછી, કાશ, કશુંકે આત્મનિરીક્ષણ પ્રેરી શકે! જો કે, અત્યારે તો કેટલાંક ભાજપ વર્તુળો એ વાતે રાજી હશે કે સંઘમાં એક અધિકૃત પદેથી હાર્દિક પટેલની ટીકા થઈ છે તેનો અર્થ એ થયો કે હાલની રાજ્ય સરકાર સલામત છે. આવી છાપ, માનો કે, આ ક્ષણનું સત્ય હોય તો પણ કદીક હિંદુ, કદીક પટેલ, કદીક ગુજરાતી એવી ઓળખ અથડામણો તો ત્યાં સુધી એક સ્થાયી સત્ય જેવી રહેવાની જ્યાં સુધી તમે સમગ્ર વિમર્શને નાગરિકતાની નરવીનક્કુર ભોંયમાં ન રોપો. ક્યારે ય વ્યાપક રાષ્ટ્રીય ધરાના પ્લેટફોર્મરૂપે ઉભરેલી કોંગ્રેસે – પહેલી કેબિનેટમાં મુખર્જી અને આંબેડકરને સમાવી શકતી કોંગ્રેસે – આ રાષ્ટ્રીય કે નાગરિક વિમર્શ છાંડીને કુનબાપરસ્તીમાં નિજનું મોચન લહ્યું એટલે આગળ ચાલતાં જેમ ગુજરાત અને સરદાર તેમ બંગાળ અને સુભાષ એવું એક રાજકીય ઓળખ-સમીકરણ ઊભું થઈ રહ્યું છે. અધૂરામાં પૂરું નેતાજી વિષયક ફાઇલો વિવર્ગીકૃત (ડિક્લાસિફાય) કરવા બાબતે યુપીએ જેવી જ આડોડાઈ એનડીએએ પ્રગટ કર્યા પછી, પોતાની પાસેની ફાઇલો જાહેર કરવા સાથે પશ્ચિમ બંગાળ સરકાર અને મમતા બેનરજી સુભાષ ને બંગાળના સમીકરણ પર મહોર મારશે. બને કે તે સાથે મમતા બંગાળ પૂરતાં ડાબેરીઓ, કોંગ્રેસ, ભાજપ સૌ પર પોતાની મહારત સ્થાપવામાં અને સુભાષના રાજકીય ઉત્તરાધિકારી તરીકેનો દાવો આગળ કરવામાં કામયાબ પણ રહે.

ધારો કે સુભાષ વિષયક ફાઇલો સબબ યુપીએના અભિગમનું કોઈક તથ્ય (પોતે કરેલ સળંગ વિરોધ છતાં) વસ્યું હોય તો ભાજપે તે માટે સૌને વિશ્વાસમાં લેવાની રીતે મત કેળવવાનું સાહસ દાખવવું જોઈએ. નાગરિક વિમર્શનો અર્થ બધા નેતાનું બધ્ધેબધ્ધું જેમનું તેમ સ્વીકારવું એવો નથી થતો. નીરક્ષીરવિવેકને અવકાશ હતો, છે અને રહેશે. પણ આ વિવેક એક એવો ઇતિહાસબોધ માગે છે જે આવતીકાલને તાકતો અને તાગતો હોય. દેખીતી રીતે જ, પોતપોતાને છેડેથી નકરી શ્વેત કે નકરી શ્યામ એવી ખાનાપૂરણીમાં નહીં પુરાતાં એણે સંમિશ્ર અને સંકુલ એવી સમગ્રતા સાથે કામ પાડવું રહે છે.

સૌજન્ય : ‘ઇતિહાસબોધ’ નામક લેખ, “દિવ્ય ભાસ્કર”, 19 સપ્ટેમ્બર 2015

Loading

ઘડિયાળના કૂવામાં

મનીષી જાની|Opinion - Opinion|19 September 2015

ઘડિયાળના કૂવામાં

સમય બદલાતો હતો
કે
ચાલતો હતો?
એ ખબર તો હતી નહીં.
કાળી ભમ્મર મૂછ તો
ચમકવા માંડી હતી
એ કાળે
ને
કાંડા પર એચ.એમ.ટી.
કાંટાને
હાથથી ચાવી આપીને
દોડાવતો હતો.
સમય બદલાતો કે ચાલતો કે
દોડતો હતો એ તો લગીરે
ખબર ન હતી.
યંત્રતંત્રમાંથી
અર્થતંત્ર એ
કેવી તે દોડ માંડી?!
ઓગણીસસો એકાણુ-બેકાણુએ
તો
હવા બદલી.
મુક્ત હવા
બધું મુક્ત-મુક્ત!
બીજું બધું
મૂક મૂક!
મૂક મૂક માળિયે!
બજારની ચાવીએ
ચાલતો સમય …
એમ.એમ.ટી. ઘડિયાળને
તો
ગીધડાં ખેંચી ગયા હાથથી …
ઓગણીસસો બાણુંમાં
બાબરી મસ્જિદના માથે બેસી
ઇતિહાસને તોડ્યો
વર્તમાનને તોડ્યો’તો?
સમય તે તૂટ્યો
કે ચાલવા માંડ્યો?
તે
શું ફેર પડ્યો?
સમય તો એ જ રીતે સરતો,
ફરતો ….
સમય અને કાંટા તો
એમ જ ફરતાં.
અલ્યા?!
હવે કાંટો કે કાંટા
ક્યાં ફરે છે?
ગુલાબને કાંટા હજી છે.
બાવળને કાંટા હજી છે.
ઘડિયાળને હવે કાંટા ક્યાં છે?
હવે તો બધું ડિજિટલ ડિજિટલ!
ડિજિટ જો!
૧૨ઃ૧૭, ૮ઃ૦૯, ૨૩ઃ૩૩
કાંટા તે ક્યાં  મેલી આયા રાજ?
બજારમાં ખોવાયા રાજ?
સમય તો ચાલ્યા કરે.
કાંટો-કાંટ ક્યાં ખોવાયા આજ?
સેલફોનમાં શોધું છું – ટાઈમ
રીયલ ટાઈમ
ડીજીટલ ટાઈમ
વર્ચ્યુલ ટાઈમ
સમય તો દોડ્યા કરે.
બજારે બજારે
ગલીએ ગલીએ
શોધું છું કાંટા
ક્યાં ખોવાયા?
સૅલફોનમાં
કેદ થયેલી ઘડિયાળ
દેખાય છે.
ઘડિયાળમાં કાંટા ફરે છે.
ગોળગોળ ફરે છે.
મને લાગે છે :
હું
કાંટો થઈ ગયો છું.
ક્યારેક મોટો કાંટો
ક્યારેક નાનો કાંટો
મનુસ્મૃિત ગોખું તો
મોટો કાંટો બની જાઉં છું.
ખિસ્સામાં ચતુર્વર્ણ વ્યવસ્થાનો ભાર
વધે તો!
મોટો કાંટો બની જાઉં છું.
ખિસ્સાં કાણાં થઈ જાય,
કડકડતી રૂપિયાની નોટની
થપ્પડ વાગે તો
હું નાનો કાંટો થઈ જાઉં છું.
ગોળ ગોળ ફરું છે.
ઘડિયાળનાં ઊંડા કૂવામાં
નફરતના ખીલે બંધાઈને,
જડતાના ખીલે બંધાઈને,
હું ને માત્ર હું ના ખીલે
બંધાઈને જ નહીં,
જોતરાઈ ને,
હું
ગોળ ગોળ ફર્યા કરું છું.
સમય
વહે છે, સરે છે, પલટાય છે,
હું તો ગોળ, ગોળ, ગોળ!

૨૦-૮-૨૦૧૫

સૌજન્ય : “નિરીક્ષક”, 16 સપ્ટેમ્બર 2015; પૃ. 19

Loading

...102030...3,6623,6633,6643,665...3,6703,6803,690...

Search by

Opinion

  • દેરિદા અને વિઘટનશીલ ફિલસૂફી – ૯ (સાહિત્યવિશેષ : ગાયત્રી સ્પિવાક)
  • કામના કલાકો વધે, ઉત્પાદન વધે, કામદારો ઘટે
  • જેન્ડર સ્ટીરિયોટાઈપ્સ – આરુષિ અને મેઘાની વાર્તા
  • દલિત સાહિત્ય અંગે પ્રભાવશાળી અને ઐતિહાસિક રીતે મહત્ત્વપૂર્ણ આંદોલન
  • ટ્રમ્પ, ગુલામીનો ઇતિહાસ, ભેરપ્પા અને ‘આવરણ’ 

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા
  • ઋષિપરંપરાના બે આધુનિક ચહેરા 
  • રાજમોહન ગાંધી – એક પ્રભાવશાળી અને ગંભીર વ્યક્તિ
  • ભારતીય તત્ત્વજ્ઞાન અને ગાંધીજી 
  • માતા પૂતળીબાઈની સાક્ષીએ —

Poetry

  •  ૨૧ સદીને સ્મૃતિપત્ર
  • ભૂખ
  • ગઝલ
  • નદી
  • ગઝલ

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved