Opinion Magazine
Number of visits: 9522173
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ઉમાશંકર, ગીત ગોત્યું ગોત્યું … ને જડ્યું !

પ્રકાશ ન. શાહ|Opinion - Opinion|3 August 2015

ઉમાશંકર જોશીએ સરકારી ગુજરાત સાહિત્ય અકાદમીના સન્માનનો સવિનય અસ્વીકાર કર્યો અને સ્વાયત્ત અકાદમીની દિશામાં આપણે ત્યાં ઊહ ને અપોહનો આરંભ થયો. આગળ ચાલતાં ૧૯૯૩માં દર્શકના યોજકત્વમાં સ્વાયત્ત અકાદમી શક્ય બની એ તો હવે ઇતિહાસવસ્તુ છે. ૨૦૦૩માં સ્વાયત્ત અકાદમીના સુષુપ્તીકરણની પ્રક્રિયા શરૂ થઈ અને એપ્રિલ ૨૦૧૫માં ઊંટની પીઠ પરના છેલ્લા તણખલા પેઠે પરબારી અધ્યક્ષનિયુક્તિ આવી પડી તે સાથે ઉમાશંકર-દર્શકનાં આંદોલનવર્ષોનું વળી વળીને સ્મરણ થવું સ્વાભાવિક હતું અને છે. વચગાળાનાં વર્ષોમાં પણ કંઈક ટીકાવચનોથી માંડીને, હાલની અધ્યક્ષનિયુક્તિથી આગમચ ૨૦૧૪માં અસહયોગની મંદ પણ મક્કમ શરૂઆત થઈ ત્યારથી ઉમાશંકર જાણે આપણી વચ્ચે હાજરાહજૂર અનુભવાતા રહ્યા છે.

તેથી ચાલુ વરસે ઉમાશંકરજયંતી પર્વે (૨૧મી જુલાઈએ) કોઈ વિશેષ આયોજન છે કે કેમ એવી પૃચ્છા ઊઠવી સ્વાભાવિક હતી, અને પત્રકારત્વના અધ્યાપક અશ્વિનકુમાર વિદ્યાપીઠના છાત્રાવાસમાં ઉમાશંકરની ઓરડીએ છાત્રો સાથે પ્રતિવર્ષે ‘જગો’ કરે છે તે સિવાય બીજું કોઈ જાહેર આયોજન લક્ષમાં ન આવે તો આ પૃચ્છાને ધાર નીકળે તે પણ એટલું જ સ્વાભાવિક હતું.

‘નિરીક્ષક’ના પ્રથમ અવતારના બૉર્ડ ઑફ ડિરેક્ટર્સના અધ્યક્ષ અને તંત્રીનામ્ વરિષ્ઠઃ ઉમાશંકરની એ મતલબની પંક્તિઓમાં કદાચ આ પ્રશ્નનો ઉત્તર પડેલો છે કે જ્યારે કંઈ પણ સારું કામ થતાં થઈ જાય તે દિવસે ગાંધીજયંતી જાણશો. એનો તારીખિયા સાથે સંબંધ હોવો જરૂરી નથી. ‘નિરીક્ષક’ તંત્રીની આ દિવસોની લાગણી એ રહી છે કે ગુજરાતના અક્ષરકર્મીઓમાં સ્વાયત્તતા આંદોલનનો કિંચિત્પણ નવસંચાર થયો એ ઉમાશંકર જયંતીની રૂડી ઉજવણીરૂપ બીના છે.

જાહેર જીવનમાં સીધી સંડોવણી સારુ બધો વખત જાણીતા નહીં એવા નિરંજન ભગત સ્વાયત્તતાને મુદ્દે સક્રિય હોય અને વિશ્વભારતી સારુ રવીન્દ્રનાથ પરના ઉમાશંકરના લેખોના સંપાદનની જેમ જ આ પણ ઉમાશંકર સંદર્ભે પ્રાપ્ત દાયિત્વ છે એ રીતે વિચારતા હોય એ વાનું ગુજરાતના અક્ષરકર્મીઓએ અને સત્તાકર્મીઓએ ઓછું આંકવા જેવું નથી. જરી જુદો એક દાખલો, આ જ દિવસોમાં બની આવ્યો તે સુપ્રતિષ્ઠ વિવેચક ચંદ્રકાન્ત ટોપીવાળાના પ્રત્યક્ષ પ્રવેશનો છે. અસહયોગ તો ૨૦૧૪માં જ એ પોકારી ચૂક્યા હતા પણ સ્વાયત્તતા સંમેલનમાં જોડાવાથી માંડીને હવે તો રીતસરની ચૂંટણીમાં જવાની તૈયારી એમના આજ સુધીના મિજાજ કરતાં ન્યારી અને અનેરી વરતાય છે. હવે વિધિકૌતુક જુઓ, હું પરિષદ પ્રમુખની ચૂંટણી લડવા તૈયાર છું એવો સંમતિપત્ર એમણે લખ્યો તે તારીખ, જોગાનુજોગ, ૨૧મી જુલાઈ હતી! આપણા વિવેચકને કંઈ આવા કોઈ તારીખમેળનો ખ્યાલ ત્યારે ભાગ્યે જ હશે પણ થતાં થઈ ગયું તે થઈ ગયું.

સ્વાયત્તતા આંદોલન શરૂ થયું ત્યારથી, સ્વાભાવિક જ શતાયુ સાહિત્ય પરિષદથી માંડીને મુકાબલે નવતરુણ ગુજરાતી લેખક મંડળ વગેરે એ અંગે સક્રિય ભૂમિકા લે એવી અપેક્ષા રહેતી આવી છે. પરિષદ પ્રમુખ ડૉ. ધીરુભાઈ પરીખે સ્વાયત્તતા સંમેલનની અધ્યક્ષતા કરી તો લેખક મંડળના પ્રમુખ મનીષી જાની, પ્રવીણ પંડ્યા અને આ લખનાર સહિતના સાથીઓ જોડે સંમેલનના આયોજન અને અગ્રચરણમાં બરોબરના હિસ્સેદાર છે તે આ સંદર્ભમાં અવશ્ય સ્મરણીય છે.

૨૦૦૭માં નારાયણ દેસાઈની અધ્યક્ષતામાં ગુજરાતી સાહિત્ય પરિષદે સ્વાયત્ત અકાદમીની માંગણી, કેવળ કારોબારી કે મધ્યસ્થ સમિતિના ધોરણે નહીં પણ સમગ્ર અધિવેશનના, રિપીટ, સમગ્ર અધિવેશનના ધોરણે ઘૂંટી હતી. સ્વાયત્તતા આંદોલનના માહોલમાં પરિષદની કારોબારી અને મધ્યસ્થ સમિતિએ તેનું પુનરુચ્ચારણ પણ કર્યું છે. તેમ છતાં, પરિષદના હોદ્દેદારો સરકારી અકાદમીમાં પરબારી નિયુક્તિ સ્વીકારતા માલૂમ પડે એમાં કંઈ નહીં તોપણ સંમિશ્ર સંકેતો પડેલા છે અને તે સોઈ ઝાટકીને સફાઈ માંગે છે. ૧૯૮૭માં સરકારી અકાદમીથી ફારેગ થવાનું સરૂપ ધ્રુવ, વીનેશ અંતાણી, રમણલાલ જોશી આદિને સૂઝી રહ્યું હતું એ હાલના પરબારા નિયુક્તિગત સૌને સારુ બેલાશક એક પથપ્રશસ્તકારી ઘટના છે.

જો કે સહજ સૂઝવું જોઈતું હતું તે આ હદે ખેંચાતું હોય ત્યારે મુખર સંડોવણી એ કોઈ પણ સ્વાયત્તતાચાહક અક્ષરકર્મીનું પ્રાપ્ત કર્તવ્ય બની રહે છે. એથી સ્તો પરિષદ પ્રમુખની ચૂંટણીમાં ‘નિરીક્ષક’ તંત્રીનો રસ સવિશેષ છે. નડિયાદના સંકલ્પ પરિવારે પ્રફુલ્લ ભારતીયની પહેલથી પ્રકાશ ન. શાહનું નામ લાગટ બીજી વાર સૂચવ્યું ત્યારે પ્રથમ પ્રતિભાવ બેલાશક દરમ્યાન થવાનો એટલે કે લડી લેવાનો હતો. પણ ડૉ. ટોપીવાળાનો મક્કમ નિર્ણય જાણ્યા પછી, મૂળ આશયને સંગતપણે એમની તરફેણમાં (સંકલ્પ પરિવાર અને મને ઇચ્છતા અન્ય સૌ પરત્વે કૃતજ્ઞતાપૂર્વક) ખસી જવાનો મારો નિર્ણય પણ એટલો જ ઉમંગભર્યો છે જેટલો ખુદ લડતી વેળાએ હોઈ શકતો હતો.

ટોપીવાળાની પ્રતિષ્ઠા અને ઓળખ આ લખનારની મોહતાજ નથી. પણ એક વસ્તુ કહેવી જોઈએ કે ગુજરાત-મુંબઈનાં વિવિધ વર્તુળોમાંથી છએક ઠેકાણેથી એમનું નામ સૂચવાયું છે તેમાં સ્વાયત્તતા પરત્વે એમની સક્રિય પ્રતિબધ્ધતાની પણ ભૂમિકા અવશ્ય રહેલી છે.

વારુ. ગીત ગોત્યું ગોત્યું ને ના જડ્યું એ કવિબોલ સામે, જાહેર જીવનના કવિ ઉમાશંકર જોશીએ યથાપ્રસંગ એ પ્રતીતિ પણ કરાવી છે કે જે ગીત ગાવા જોગ જણાયું તે બાબતે એમણે કદી પરહેજ કરી નથી. દેખીતી અંગત વાત છતાં એકંદરે બિનંગત એવી જાહેર નિસબતની આ વાત, લોકશાહીમાં ગાવા જોગ ગીતની આ વાત, તંત્રી તરફથી પોતાની ઉમેદવારી અને સંડોવણી સબબ વાચક પરિવારની ખિદમતમાં.                  

જુલાઈ ૨૭, ૨૦૧૫

સૌજન્ય : “નિરીક્ષક”, 01 અૉગસ્ટ 2015; પૃ. 10

Loading

સ્વાયત્તતા મુદ્દે સરકારનો વિરોધ ૨૦૦૭માં

સંજય શ્રીપાદ ભાવે|Opinion - Opinion|3 August 2015

પ્રથમ વ્યક્તિ એકવચનથી થયેલા આ લખાણની વાત નવી નથી, જૂની છે. પણ અત્યારે તેને પ્રસ્તુત જણાઈ, એટલે સ્થાન આપવા માટે તંત્રીને વિનંતી કરું છું.

લક્ષ્મણ માનેના દલિત આત્મકથન ‘ઉપરા’ના ગુજરાતી અનુવાદ માટે દિલ્હીની કેન્દ્રીય સાહિત્ય અકાદમીનો ‘અનુવાદ પુરસ્કાર ૨૦૦૬’ એ પછીના વર્ષે સ્વીકારતા અંગ્રેજીમાં કરેલા ભાષણમાં આભાર અને અનુવાદક તરીકેના ઘડતરની વાત કરી હતી. તદુપરાંત માનેનું પુસ્તક જે વિચરતી અને વિમુક્ત જાતિના અનુભવોનું કથન કરે છે, તે સમુદાયો વિશે કંઈક વાત કરી હતી. સામાજિક નિસબત ધરાવતા આવા સાહિત્યના અનુવાદની ઉદારીકરણ, ખાનગીકરણ અને વૈશ્વિકીકરણની લોકવિરોધી નીતિઓના યુગમાં વિશેષ જરૂરિયાત છે, એમ એ નીતિઓ સામે ટીકાના સૂર સાથે નોંધ્યું હતું. એ વખતે કેન્દ્રમાં  યુનાઇટેડ પ્રોગ્રેસિવ અલાયન્સની સરકાર હતી. એ ભાષણ પછીથી ગુજરાતી વિચારપત્રોમાં પણ છપાયું હતું.

દિલ્હીની અકાદમીના પુરસ્કારને પગલે ગુજરાતી સાહિત્ય અકાદમીનો ૨૦૦૩ના વર્ષ માટેના અનુવાદ માટેનો પ્રથમ પુરસ્કાર પણ ‘ઉપરા’ માટે જાહેર થયો. તેનો પ્રશસ્તિપત્ર અને પાંચ હજાર રૂપિયાનો ચૅક પણ સપ્ટેમ્બર ૨૦૦૭ના પહેલા વર્ષમાં ટપાલ દ્વારા મોકલવામાં આવ્યાં. આ પુરસ્કારનો સ્વીકાર મેં વિરોધ સાથે કર્યો. વિરોધ વ્યક્ત કરતો પત્ર મેં ‘દિવ્ય ભાસ્કર’ને મોકલ્યો. અકાદમીને મોકલ્યો કે નહીં તેનું સાંભરણ નથી. તંત્રી અજય ઉમટે અગિયારમી સપ્ટેમ્બર ૨૦૦૭ના અખબારમાં તે પત્ર એક લેખ તરીકે તંત્રીપાને ઊલટભેર છાપ્યો. એ પત્રનો પહેલો વિરોધમુદ્દો અકાદમીની સ્વાયત્તતાનો હતો.

એ પત્ર આ નોંધ સાથે મૂકું છું. પણ તે પહેલાં એ જણાવવું જોઈએ કે આવો કોઈ વિરોધ કર્યો હતો, એ વાત હમણાં અકાદમી સ્વાયત્તતા માટેનું આંદોલન શરૂ થયું, ત્યારથી ગયા અઠવાડિયા સુધી યાદ જ આવી ન હતી. આવું કેમ તે વિચારતા એમ થાય છે કે આમ કરવું એ સહજ ક્રમ હતો. ‘આ તો આમ જ હોયને! આ સન્માન વિરોધ વિના શી રીતે સ્વીકારાય ?’ એવું કંઈક મનમાં હશે. એની પાછળ પ્રકાશ ન.શાહ, પુ.લ.દેશપાંડે, સરૂપ ધ્રુવ, હિરેન ગાંધી, નર્મદ-મેઘાણી લાઇબ્રેરીના સાથીઓ જેવાની વચ્ચે, તેમ જ સામયિકો-પુસ્તકો થકી થયેલું વિચારઘડતર હશે એમ ધારું છું. એ પણ નોંધવું જોઈએ કે મોટા અખબારમાં બહુ સાફ રીતે કરેલા વિરોધ પછી પણ સરકારની કે સાહિત્યકારોની  કનડગત કે કિન્નાખોરી અનુભવી નથી. સરકારે કોઈ સીધા કે આડકતરા ઇશારા  આપ્યા નથી. ‘શબ્દસૃષ્ટિ’માં મારા લેખો તે પછી પણ છપાયા છે. અકાદમીના એક ચર્ચાસત્રમાં વક્તવ્ય પણ આપવાનું થયું છે. લોકશાહીમાં  હોવાનો આ અનુભવ દિલાસો આપનારો રહ્યો છે. ‘દિવ્ય ભાસ્કર’માં આવેલો પત્ર આ મુજબ હતો :

‘ગાંધીનગરની ગુજરાત સાહિત્ય અકાદમીએ ઑગસ્ટમાં જાહેર કરેલા પુરસ્કારોમાં સાહિત્યકૃતિના અનુવાદ માટેનો ૨૦૦૩ના વર્ષનો પ્રથમ ક્રમાંકનો પુરસ્કાર આ લખનારને મરાઠી લેખક લક્ષ્મણ માનેના આત્મકથાત્મક પુસ્તક ‘ઉપરા’ના અનુવાદ માટે મળ્યો છે. પુરસ્કારના પાંચ હજાર રૂપિયાનો ચૅક મને ગયે અઠવાડિયે મળ્યો. ગુજરાત સાહિત્ય અકાદમીનો આ પુરસ્કાર હું સ્વીકારું છું, પણ વિરોધ સાથે.

‘અકાદમી અત્યારે ગુજરાત સરકારના હાથમાં છે. તે સરકારનો હું ત્રણ મુદ્દે વિરોધ કરું છું : (૧) લોકશાહી પદ્ધતિથી રચાયેલી રાજ્ય સરકારે લાંબા સમયથી અકાદમીને યેનકેનપ્રકારેણ પોતાના તાબા હેઠળ રાખીને તેની બંધારણલક્ષી સ્વાયત્તતાનો ભંગ કરવાની પેરવી કરી છે. (૨) એક અધ્યાપક તરીકે, નરેન્દ્ર મોદીના મુખ્યમંત્રીપદ હેઠળની સરકારની ઉચ્ચશિક્ષણ અંગેની નીતિઓનો હું વિરોધ કરું છું. ઉજવણીઓ, ઉત્સવો અને ખુદની વાહવાહીની જાહેરખબરોમાં રાચતી સરકારે નવી ગ્રાન્ટ-ઇન-એઇડ કૉલેજો શરૂ કરવાને બદલે સેલ્ફ-ફાઇનાન્સ્ડ કૉલેજોને ફૂલવા-ફાલવા દીધી છે. ગ્રાન્ટ-ઇન-એઇડ કૉલેજોમાં નવા અધ્યાપકોની નિમણૂક ન કરીને શિક્ષણને ભારે નુકસાન પહોંચાડ્યું છે. શિક્ષણનું મોટા પાયે સરકારીકરણ થયું છે. સરકારના કહ્યામાં રહેનાર મોટા ભાગના વાઇસ-ચાન્સલરો અને યુનિવર્સિટીના હોદ્દેદારોએ અધ્યાપકોને અન્યાય અને અવહેલના સહન કરવી પડે તેવી રીતિનીતિ અપનાવી છે. (૩) પોસ્ટ દ્વારા ચૅક મોકલી દેવો એ પુરસ્કાર આપવાની રીત ન હોઈ શકે.

‘ઉપર્યુક્ત ત્રણેય મુદ્દા છતાં હું પુરસ્કાર એટલા માટે સ્વીકારું છું  કે સરકાર એટલે કોઈ વ્યક્તિ કે પક્ષ નહીં. સરકાર એટલે લોકો અને સમાજ. પુરસ્કારની રકમમાં મહેનતથી કમાણીમાંથી કરવેરા ભરતા લોકોનો પણ ફાળો છે. એ લોકોમાં અને સમાજમાં મને શ્રદ્ધા છે. પુરસ્કારની રકમનો ઉપયોગ હું ગુજરાતી વિચારપત્રોની સ્વલ્પઅલ્પ સહાય માટે કરવાનો છું.’                           

(૧૧ સપ્ટેમ્બર ૨૦૦૭)     

૨૪ જુલાઈ, ૨૦૧૫

e.mail : sanjaysbhave@yahoo.com

સૌજન્ય : “નિરીક્ષક”, 01 અૉગસ્ટ 2015; પૃ. 11

Loading

શાંતિ અને સમાનતાના પત્રકાર : પ્રફુલ્લ બિડવાઈ

પાર્થ ત્રિવેદી|Opinion - Opinion|3 August 2015

વિશ્વશાંતિ, સામાજિક ન્યાય, બિનસાંપ્રદાયિકતા અને સમાનતા માટે અંગ્રેજીમાં આજીવન કલમ ચલાવનાર પત્રકાર-કટાર લેખક પ્રફુલ્લ બિડવાઈનું ત્રીસમી જૂનના રોજ ૬૬ વર્ષની વયે અવસાન થયું. નેધરલૅન્ડના એમ્સ્ટરડૅમ શહેરની એક હોટલમાં ભોજન લેતી વખતે ખોરાક ગળામાં ફસાઈ જતાં ગૂંગળામણથી તેઓ અચાનક જ મૃત્યુ પામ્યા.

પ્રફુલ્લ બિડવાઈનો જન્મ ૧૯૪૯માં મધ્યપ્રદેશના દેવાસ ગામમાં થયો હતો. પિતા નાગપુરની સરકારી કૉલેજમાં ભૂગોળ વિભાગના વડા હતા. ભણવામાં હોશિયાર પ્રફુલ્લે આઈઆઈટી-મુંબઈમાં ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગમાં પ્રવેશ મેળવ્યો. સાઠના દાયકામાં દુનિયાભરમાં ચાલતા નાગરિક-અધિકારો માટેના આંદોલનની અસર હેઠળ તેમણે તેમની કૉલેજમાં પણ પ્રગતિશીલ વિદ્યાર્થીઓના જૂથની સ્થાપના કરી. આ અંદોલનમાં યુરોપ, અમેરિકા સહિત એશિયા, લેટિન અમેરિકા અને આફ્રિકાના  યુવાનો જોડાયા. તેમણે  દરેક પ્રકારના સંસ્થાનવાદ અને સામ્રાજ્યશાહીનો વિરોધ કર્યો. તેમનાં ધ્યેયોમાં, રાજ્ય અને લોકો વચ્ચે સંવાદ વધે, વિકસિત અને વિકાસતા દેશો વચ્ચેની, તેમ જ ગરીબો અને ધનિકો વચ્ચેની ખાઈ ઓછી થાય, તેવા પ્રયત્નોનો પણ સમાવેશ હતો. સાથે નિઃશસ્ત્રીકરણ અને અણુહથિયારમુક્તિ માટે વિરોધ પ્રદર્શનોમાં પણ આ જૂથ જોડાતું. આ વૈશ્વિક ઘટનાઓની નોંધ ભારતીય પત્રકારો અને પુસ્તક-પ્રકાશકો દ્વારા લેવાઈ. તે સમયનાં પ્રગતિશીલ યુવાનો માટે સંદર્ભસાહિત્ય બન્યું.

ભારતની સામાજિક અસમાનતા અને ખાસ કરીને દલિતો-આદિવાસીઓની દુર્દશા પ્રફુલ્લને અસ્વસ્થ કરતી. તેમણે ટ્રૅડ યુનિયનો અને મુંબઈના દલિત યુવાનો સાથે કામ શરૂ કર્યું. ૧૯૬૯માં આઈઆઈટીનો  પાંચ વર્ષનો અભ્યાસ ત્રણ વર્ષમાં છોડી દઈને પ્રફુલ્લે પૂર્ણ સમયના રેડિકલ રાજકીય કર્મશીલ તરીકે કામ કરવાનું નક્કી કર્યું. ત્યાર બાદ તેઓ મહારાષ્ટ્રના ધુળે જિલ્લામાં ચાલતા શાહદાની ચળવળમાં જોડાયા. નક્સલબારીની ચળવળે ભારતનાં યુવક-યુવતીઓને આકર્ષ્યાં હતા તેમ શાહાદાની ચળવળે મહારાષ્ટ્રના યુવાનોને આકર્ષ્યા હતા. આ ચળવળ આદિવાસીઓ પર થતા અન્યાયના વિરોધમાં હતી. આ લડત આગળ જતાં ખેડૂતોની લડત બની અને ‘શ્રમિક સંગઠન’ અસ્તિત્વમાં આવ્યું.

અભ્યાસ છોડવાનો પ્રફુલ્લનો નિર્ણય માતા-પિતાને અવિચારી લાગ્યો હતો. માતા-પિતાના આ ઠપકાની પ્રતિક્રિયા રૂપે તેમણે કુટુંબ સાથેના સંબંધો લાંબા સમય માટે તોડી નાખ્યા. તે વર્ષો બાદ માતાની માંદગી દરમિયાન ફરી બંધાયા. શ્રમિક સંગઠન સાથે બે વર્ષ કામ કર્યા બાદ નાદુરસ્ત તબિયતને કારણે પ્રફુલ્લને મુંબઈ આવવાની ફરજ પડી. નવી સમાજ-રચનાના ધ્યેયથી ૧૯૭૨માં મુંબઈના મિત્રો સાથે ‘માગોવા’ નામના પ્રગતિશીલ જૂથના નિર્માણમાં પ્રફુલ્લ પણ જોડાયા. ‘માગોવા’માં ટાટા ઇન્સ્ટિટ્યૂટ ઑફ ફન્ડામેન્ટલ રિસર્ચ અને ટાટા ઇન્સ્ટિટ્યૂટ ઑફ સોશિયલ સાયન્સિસ તેમ જ પૂના અને મહારાષ્ટ્રની વિવિધ સંસ્થાઓના વિજ્ઞાનીઓ, ઇજનેરો, સામાજિક વિજ્ઞાનના અભ્યાસીઓ, તબીબો સામેલ હતા. ૧૯૭૫માં કટોકટી જાહેર થયા બાદ આ જૂથની પ્રવૃત્તિઓ પર કાપ મુકાયા છતાં બાર પૂર્ણ સમયના કર્મશીલોએ ૧૯૭૮ સુધી ‘માગોવા’ની વિવિધ પ્રવૃત્તિઓ ચાલુ રાખી.

પ્રફુલ્લ ૧૯૭૭ બાદ ‘માગોવા’ની પ્રવૃત્તિ ઓછી કરી હવે વધુ સમય વર્કર્સ ડેમોક્રેટિક યુનિયનને આપવા લાગ્યા. તે સમયે તેમણે ‘ઇકોનૉમિક ઍન્ડ પોલિટિકલ વિકલી ઑફ ઇન્ડિયા’માં લેખો લખવાનું શરૂ કર્યું. ત્યાર બાદ થોડો સમય ઑક્સફર્ડ યુનિવર્સિટી પ્રેસમાં પ્રૂફરીડર તરીકે કામ કરી ૧૯૭૮માં ‘બિઝનેસ ઇન્ડિયા’માં પત્રકાર તરીકે જોડાયા. ૧૯૮૧થી ’૯૭ સુધી તેઓ ‘ટાઇમ્સ ઑફ ઇન્ડિયા’માં રહ્યા. ફ્રીલાન્સ પત્રકાર તરીકે તેમના લેખો અને અભ્યાસો આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય સામયિકો અને અખબારોમાં છપાતા. તે બાર વર્ષ ‘ફ્રન્ટલાઇન’ પખવાડિક સાથે હતા. ભોપાલ ગૅસદુર્ઘટનાનાં કારણો અને તેની અસરો પરના  અનેક અભ્યાસપૂર્ણ તેમણે ‘ધ ટાઇમ્સ ઑફ ઇન્ડિયા’માં લેખો લખ્યા. વિકાસ માટેની દોડમાં બેપરવાહીથી લેવાયેલા નિર્ણયોની પર્યાવરણ અને સમાજ પર ઊભી થતી અસરની બાબતમાં તીવ્ર સંવેદનશીલતા ધરાવતા પ્રફુલ્લ નર્મદાબચાવ આંદોલનના પ્રખર સમર્થક હતા. તેમણે મેધા પાટકરને નવા હરિતયુદ્ધના પ્રણેતા ગણાવ્યાં છે. તે માનતા કે નર્મદાબચાવ અંદોલન માત્ર શાંતિપૂર્ણ રીતે લોકોની પુનર્વસનની અવિરત માંગણી કરનારું આંદોલન હતું. વળી, તેના થકી મોટી યોજનાની પર્યાવરણીય, સામાજિક અને આર્થિક અસરો પ્રત્યે ગુનાઇત બેપરવાઈ, અસરગ્રસ્તોનો લેવાતો ભોગ જેવા પ્રશ્નો વિશ્વ સ્તરે ચર્ચામાં મુકાયા. પ્રફુલ્લે બાબરી મસ્જિદનો ધ્વંસ, સાંપ્રદાયિકતાના અને શિક્ષણના કોમવાદીકરણના વિરોધમાં પણ લખ્યું છે. બજારવાદના તેઓ કડક ટીકાકાર હતા.

બિનજોડાણવાદના પુરસ્કર્તા પ્રફુલ્લ જણાવે છે કે નેહરુવિયન મત પ્રમાણે લોકશાહી, બિનસાંપ્રદાયિકતા અને આત્મનિર્ભર ન્યાયપૂર્ણ વિકાસ આજે પહેલાં કરતાં વધુ પ્રસ્તુત છે. અત્યારે આર્થિક અસમાનતા પાછલાં વર્ષો કરતાં અનેક ગણી વધી છે. આ સંજોગોમાં ભારતે કંઈક સારું કરવું હોય તો પશ્ચિમનું અનુકરણ છોડી વૈશ્વિક શાંતિ, ન્યાય અને સમાનતાના સમર્થન સાથે કચડાયેલા લોકોનો અવાજ બનવું પડશે.

પ્રફુલ્લ ઝિયોનવાદ વિરોધી હતા અને છેલ્લાં સિત્તેર વર્ષોથી સ્વતંત્ર રાજ્ય સ્થાપવા માટે મથતા પૅલેસ્ટાઇનના લોકોના સમર્થક હતા. દિલ્હીના પૅલેસ્ટાઇન દૂતાવાસે રાજ્ય અને લોકો વતી બિડવાઈના અવસાન અંગે દુઃખ વ્યક્ત કરીને તેમને બાંધછોડ ન કરતા પત્રકાર અને નૈતિક સભાનતા સાથેના જાહેરજીવનના બૌદ્ધિક ગણાવ્યા છે. પ્રફુલ્લ વૈશ્વિક અણુનિઃશસ્ત્રીકરણના હિમાયતી હતા. ૧૯૯૮માં જ્યારે ભારત-પાકિસ્તાને પરમાણુ-અખતરા કર્યા, ત્યારે તેમણે અણુનિઃશસ્ત્રીકરણ અને શાંતિ માટેના સંગઠનની રચનામાં સક્રિય યોગદાન આપ્યું. વળી, તેઓ કોઈ પણ પ્રકારના અણુ-ઊર્જા ઉત્પાદનના વિરોધી હતા તેમ જ અણુવિદ્યુત મથકોનાં વિસ્તરણ અને મથકો દ્વારા નિયત ધોરણોના ભંગ અંગે સખત વિરોધ નોંધાવતા. તાજેતરમાં તેઓ ભારતમાં ડાબેરી આંદોલન વિષય પર પુસ્તક લખી રહ્યા હતા. ભારતમાં ડાબેરી ચળવળનું ભાવિ સમજવા માટે તેમને આ વિષય સાથે સંકળાયેલા અનેક લોકોની રૂબરૂ મુલાકાત લીધી હતી.

ભવિષ્યના ગુજરાતી પત્રકારો જાહેરજીવનના પ્રશ્નોમાં રસ લઈ સ્વતંત્ર અને નિર્ભિકપણે સમાજના મૂંગા છતાં દબાયેલા અને કચડાયેલા લોકોનો અવાજ બની વ્યક્ત થાય તે પ્રફુલ્લ બિડવાઈને સાચી શ્રદ્ધાંજલી હશે.  

e.mail : parth.trivedi18@yahoo.com

સૌજન્ય : “નિરીક્ષક”, 01 અૉગસ્ટ 2015; પૃ. 18

Loading

...102030...3,6893,6903,6913,692...3,7003,7103,720...

Search by

Opinion

  • આર્ષદૃષ્ટા નેહરુનું ઇતિહાસદર્શન
  • અફઘાન સ્ત્રીઓના અંધકારમય-અનિશ્ચિત ભવિષ્યની પાછળ શું હશે?  
  • અદનો કર્ણ
  • નહેરુ સાથે તમે સંમત થાઓ કે ન થાઓ …
  • લાતોં કે ભૂત બાતોં સે નહીં માનતે …

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા
  • ઋષિપરંપરાના બે આધુનિક ચહેરા 
  • રાજમોહન ગાંધી – એક પ્રભાવશાળી અને ગંભીર વ્યક્તિ
  • ભારતીય તત્ત્વજ્ઞાન અને ગાંધીજી 

Poetry

  •  ૨૧ સદીને સ્મૃતિપત્ર
  • ભૂખ
  • ગઝલ
  • નદી
  • ગઝલ

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved