Opinion Magazine
Number of visits: 9882599
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ગુજરાતી ભાષામાં સુવાંગ અને સુરેખ એવી પહેલી મહિલા આત્મકથા આપનાર સાહિત્યકાર હિમાંશી શેલત

સંજય શ્રીપાદ ભાવે|Opinion - Literature|29 April 2016

આપણા સાંપ્રતમાં વિરલ એવા સાહિત્યકાર હિમાંશી શેલતને આવતી કાલે શ્રી મનુભાઈ પંચોળી ફાઉન્ડેશન અવૉર્ડથી સન્માનવામાં આવી રહ્યાં છે. તેમણે ટૂંકી વાર્તાઓ થકી એકંદર સ્ત્રીવર્ગની મનોદશા, અનેક રીતે શોષિત-વંચિત સ્ત્રીઓની અવદશા, સ્ત્રીનાં સંઘર્ષ અને શક્તિને વાચા આપી  છે. વળી નવલિકાઓ થકી તેમણે સમાજના હાંસિયા બહાર મૂકાયેલા લોકોના વાસ્તવને, વાચક હચમચી ઊઠે તે રીતે ઉજાગર કર્યું છે. કરમાયેલાં બાળપણને કેન્દ્રમાં રાખીને કરુણા અને સહજતાના સંયોજન સાથેનાં લખાણો પણ હિમાંશીબહેને આપ્યાં છે. હિમાંશીબહેન કદાચ એકમાત્ર ગુજરાતી લેખક છે કે જેમણે તેમની આસપાસની પ્રાણીસૃષ્ટિ સાથેના સ્નેહસંબંધ વિશે માંડીને લખ્યું હોય. તેમણે લાવણ્યમય લલિત નિબંધો અને અસરકારક અખબારી લેખો પણ લખ્યા છે. પોતાનાં કેટલાંક પુસ્તકોમાં નમણાં રેખાંકનો પણ એમણે કર્યાં છે.

અંગ્રેજીના પૂર્વ અધ્યાપક હિમાંશીબહેને પ્લૅટફૉર્મ પર રખડતાં, ઝૂંપડપટ્ટીમાં રહેતાં, રિમાન્ડ હોમ તેમ જ અનાથાશ્રમમાં વસતાં બાળકો સાથે પોતાની રીતે કામ કર્યું છે. તદુપરાંત સુરતમાં દેહવ્યવસાય કરનારી મહિલાઓ સાથે પણ તેમણે કેટલોક વખત કામ કર્યું છે. આસમાની-સુલતાની વખતે તે પીડિતોને વહારે દોડ્યાં છે. સમાજકાર્યના દાવા-દેખાડા વિનાના અનુકંપાપૂર્ણ અનુભવે તેમને લેખન માટેની સામગ્રી પૂરી પાડવા ઉપરાંત તેમના સર્જનને પ્રતીતિજનક બનાવ્યું છે. એમના સર્જનમાં સામાજિક નિસબત અને કલાસૌંદર્યનું દુર્લભ સંતુલન જોવા મળે છે. લેખક તરીકેની તેમની મહત્તામાં  ઉત્કટતા, કળા અને  સામાજિક સભાનતા ઉપરાંત ગદ્ય-પ્રતિભાનો મોટો ફાળો છે. અનેક જાતના અવળા અભરખાના જમાનામાં અંદરથી ઝળાંહળાં અને જાત સાથે ઇમાનદાર એવાં હિમાંશીબહેન આપણને મળતાં મળે એવા સર્જક છે.

હિમાંશીબહેનનું આત્મકથન ‘મુક્તિ-વૃત્તાંત’ (અરુણોદય પ્રકાશન, અમદાવાદ)  હમણાં  ફેબ્રુઆરી મહિનામાં પ્રકાશિત થયું છે. સ્વકથન માટે જરૂરી નિખાલસતા અને નિર્ધાર, પ્રામાણિકતા અને પ્રમાણભાન, આત્મકથાના સ્વરૂપની સમજ અને સભાનતા ‘મુક્તિ-વૃતાંત’ને ગુજરાતી ભાષાની પૂરા કદની, સુરેખ અને સુવાંગ એવી પહેલી મહિલા આત્મકથા બનાવે છે. હિમાંશીબહેને તેમનાં  જન્મથી ( ‘હું મુક્તિ. સુડતાળીસમાં જન્મી એટલે સ્વતંત્રતાને વધાવવા પાડેલું મારું પહેલું નામ. રાશિ-નામ મળ્યું એ પાછળથી.’) છેક હમણાં સુધીના એટલે કે ‘રાજ્યની સાહિત્ય અકાદમી પર સરકારની પકડ’ કે ‘દિલ્હીની હવા અત્યંત દૂષિત બનતી જાય છે’ ત્યાં સુધીના સમયનું પોતાનું જીવન, ધોરણસરની નિખાલસતાથી આલેખ્યું છે. તેની સાથે કેટલાક મહત્ત્વના સામાજિક-રાજકીય બનાવો તરફનો પ્રતિભાવ પણ છે. આખું પુસ્તક તેના લગભગ દરેક પાસામાં ગમી જાય તેવું છે.

હિમાંશીબહેનનાં જન્મ, ઉછેર, શિક્ષણ અને કારકિર્દીનો મોટો હિસ્સો સુરતમાં. ઘણા સભ્યોવાળા પરિવારમાં લાડકોડ અને સુખસલામતીવાળું, કોઈ ખાસ ધાકધમકી કે વડીલશાહી વિનાનું બાળપણ. પત્રકાર દાદા અને આઠ ચોપડી ભણેલાં પણ પોતાની રીતે રસિક, કર્તૃત્વશાળી માતુ:શ્રીની મોટી છાપ છે. વાચન-લેખન માટેના લગાવ, રોજબરોજનાં વાણીવર્તનની સંસ્કારિતાનાં મૂળ પણ ત્યાં. પિતાજીના પરગજુપણાની તેમ જ વીતરાગી વૃત્તિની અસર. ‘જીવનભારતી’ જેવી વિશિષ્ટ શાળા અને એમ.ટી.બી. જેવી જાણીતી કૉલેજ. આ જ કૉલેજમાં અંગ્રેજીના અધ્યાપક તરીકે શીખવવા-શીખવા માટેની નિષ્ઠાપૂર્વકની મથામણ છવ્વીસ વર્ષ ચાલી. તે દરમિયાન ભારતીય મૂળના અંગ્રેજી લેખક વિદ્યાધર નાયપૉલની નવલકથાઓ પર ડૉક્ટરેટ મેળવી. અધ્યાપક તરીકે ‘બે-પાંચ પાણીદાર નાગરિકો તૈયાર કરવા જેવું કામ થયું છે ખરું ?’ એવા ખુદને પૂછેલા સવાલ સાથે કમાઉ, સલામત નોકરીમાંથી રાજીનામું આપ્યું. અલગારી વૃત્તિના, ખુદ્દાર, રસિક અને પરિશ્રમી એકલવીર મેઘાણીપુત્ર વિનોદભાઈ સાથે 1995માં લગ્ન કર્યાં. વલસાડ પાસેનાં અબ્રામામાં વાંકી નદી, ઝાડપાન, ફૂલછોડ, પશુપક્ષીઓના સંગમાં; લેખન-વાચન-સંશોધન, સંગીતકળા, ગરીબ બાળકોને રમાડવા-ભણાવવાની પ્રવૃત્તિથી ભર્યું ભર્યું જીવન શરૂ કર્યું. તે વિનોદભાઈના અવસાન (2009) અને ખુદને 2014માં થયેલા હૃદયરોગના હુમલા પછી પણ યથાશક્તિ ચાલુ છે.

ગુજરાતી અને અંગ્રેજી સાહિત્યનું વિપુલ વાચન, ચિત્ર-સંગીત-નાટ્યકલામાં ઘણો રસ. પહેલો વાર્તાસંગ્રહ આવ્યો ‘અંતરાલ’ (1987). તેમાં લેખક કહે છે: ‘ટૂંકી વાર્તાના સ્વરૂપનું મને ભારે ખેંચાણ રહ્યું છે. અત્યંત મર્યાદિત ફલક પર તીવ્ર અનુભૂતિની ક્ષણોને કલમના લસરકાથી આલેખવાનો પડકાર ઝીલવાનું મને ગમે છે …. ક્લિષ્ટતા, ટેકનિકની વધુ પડતી આળપંપાળ કે ભાષાના આંજી દે તેવા ઝગઝગાટ કે ચબરાકીની તરફેણમાં હું નથી.’ આવી સરળતા કથાસર્જનમાં મોટે ભાગે જળવાઈ છે. ત્યાર બાદ ‘અંધારી ગલીમાં સફેદ ટપકાં’ ‘એ લોકો’, ‘સાંજનો સમય’ અને ‘પંચવાયકા’ સંગ્રહો આવે છે. ‘ખાંડણિયામાં માથું’(2003)ની પ્રસ્તાવનામાં હિમાંશી બહેન કહે છે : ‘બે હજાર બેના ગુજરાતને જોયા પછી સમકાલીન વાસ્તવને વાર્તામાં ઝડપી લેવાનો પડકાર ઉપાડવાની મારી તાકાત અંગે ય હું સાશંક બની છું … છતાં વાર્તાએ મને ટકાવી છે.’ ‘સ્ત્રી અને માતૃત્વ સાથે વણાયેલી વાર્તાઓ’ ના સંચય તરીકે ‘ગર્ભગાથા’ જેટલું ખળભળાવી દેનારું ભાગ્યે જ કંઈ વાંચવા મળે. ‘ઘટના પછી’ (2011) સંચય બાદ ચાર વર્ષે આવે છે ‘એમનાં જીવન’.

‘આઠમો રંગ’ (2001) એ વિખ્યાત મનસ્વી ચિત્રકાર અમૃતા શેરગિલને ‘નજીકથી ઓળખવાની અને  જોવાની તીવ્ર ઇચ્છા’ થી લખાયેલી નવલકથા છે ‘સપ્તધારા’ (2012) લઘુનવલમાં યુદ્ધ, કોમી રમખાણો,નાતજાત, માનસિક વિકૃતિઓ, નશાખોરી, ગુનેગારી,બેકારી જેવાં પરિબળોને કારણે છિન્નભિન્ન થતાં બાળપણની વાત નોંધપાત્ર વસ્તુસંકલના સાથે સતત ઊઘડતી રહે છે. નિતાંત સુંદર નિબંધ સંગ્રહ ‘એકડાની ચકલીઓ’ (2004) અને સમકાલીન જાહેરજીવન પરનાં વ્યંગ-કટાક્ષ લેખોનો સંગ્રહ ‘ડાબે હાથે’ (2012) હરગિઝ  ચૂકવા જેવા નથી.

‘પ્લૅટફૉર્મ નંબર ચાર’(1998)માં સુરત રેલવે સ્ટેશને અને અન્યત્ર રઝળતાં તકવિહોણાં બાળકોએ કાર્યકર્તા લેખકને આપેલાં આનંદનું વર્ણન છે. ‘વિક્ટર’ (1999) પુસ્તક ‘પ્રાણી અને મનુષ્યના અતૂટ, ઉત્કટ, રહસ્યમય પ્રેમસંબંધ’ની અનુભવકથાઓ છે. ટીકો-નાની-શાણી-ટપ્પી-પારકો-શ્યામલ (બિલાડાં), લાલુ-નાનકો-જૉલી-રામુ-રાજુ-મોતી-લિઓ-વિક્ટર-સોનુ(કૂતરાં)નાં અને વાનરોના મનભર સહવાસચિત્રો હિમાંશીબહેને નજાકતથી આલેખ્યાં છે. ‘સોનુ અને માઓ’ કૂતરા અને બિલાડીના બચ્ચાની ભાઇબંધી પર બાળકો માટેની કથા છે. ‘રમતાં-ભમતાં’ના બે ભાગમાં દસ બાળવાર્તાઓ અને ‘આનંદે ભજવીએ’ માં છ બાળનાટકો છે. રિમાન્ડહોમના બાળક પરનું નાનકડું પુસ્તક ‘ગણપતની નોંધપોથી’ સહુથી ચોટદાર છે.

હિમાંશીબહેનનાં નવ સંપાદનોમાં પહેલું સંપાદન સ્વામી આનંદ અને મકરંદ દવેનો પત્રવ્યવહાર ‘સ્વામી અને સાંઈ’ (1993). મા-દીકરીના મૈત્રીસંબંધ વિશેના લેખોનો, સહુને ગમી જાય તેવો સંચય તે ‘પહેલો અક્ષર’. પચીસેક વર્ષ સાગરખેડૂ તરીકે વીતાવનાર અનુવાદક અને સંપાદક એવા વિચક્ષણ  વિનોદભાઈની મુસાફરીઓનાં ‘મૌલિક સ્મૃિતચિત્રો’નું ‘ઘુમવા દીગ્દીગંતો’ (2009) નામે  તેમણે સંપાદન કર્યું છે. જયંત પાઠકના ‘દ્રુતવિલંબિત’ કાવ્યસંચયને હિમાંશીબહેન,અંગ્રેજીમાં લઈ ગયાં છે.  સ્વાશ્રયી મહિલા સંગઠન ‘સેવા’ ના સ્થાપક ઈલાબહેન ભટ્ટના  બહુ પ્રસ્તુત  પુસ્તક  ‘વી આર પુઅર બટ સો મેની’ તેમણે  ‘ગરીબ, પણ છૈયે કેટલાં બધાં !’  નામે આપ્યું  છે.

હિમાંશીબહેને બે હજાર પાનાંના ત્રણ ગ્રંથોમાં વ્યાપેલા સંપાદનનું ગુજરાતીમાં લગભગ અભૂતપૂર્વ કામ વિનોદભાઈ સાથે કરેલું છે : ‘અંતર-છબિ’ નામે ‘ઝવેરચંદ મેઘાણીનું સંકલિત આત્મવૃત્તાંત’, અને ઝવેરચંદ મેઘાણીનું પત્રજીવન ‘લિ. હું આવું છું’. બે ભાગના પત્રસંગ્રહના ઉંઝા જોડણીમાં લખાયેલા પોતાના નિવેદનમાં હિમાંશીબહેન નોંધે છે કે આ કામ દરમિયાન ‘એક પ્રાણવાન અસ્તીત્વની દીપ્તિમાં તરબોળ’ થવાનો’ ભાવ તેમણે અનુભવ્યો હતો. હિમાંશીબહેનનાં પુસ્તકો વાંચતા પણ આવી લાગણી જન્મે છે.  હિમાંશી શેલતનું સાહિત્યસર્જન માટેના  દર્શક ફાઉન્ડેશન સન્માનથી ગૌરવ કરવામાં આવે તેમાં કલા અને સામાજિક નિસબતના સમન્વયની જરૂરિયાત તેમ જ  સ્વીકૃતિનો નિર્દેશ રહેલો  છે.

28/4/2016

+++++

e.mail : sanjaysbhave@yahoo.com

Loading

ગાંધીજી અને નટેસનઃ ગાંધીયુગનું ભૂલાયેલું પ્રકરણ

વિશાલ શાહ|Gandhiana|23 April 2016

મોહનદાસ ઈ.સ. ૧૮૯૩માં દક્ષિણ આફ્રિકા ગયા, ત્યાં તેમણે બે દાયકા રાજકીય-સામાજિક આંદોલનમાં ગાળ્યાં, અને ઈ.સ. ૧૯૧૫માં ૪૬ વર્ષની ઉંમરે ભારત પરત ફર્યા. ગાંધીજી (એ વખતે ગાંધીભાઈ) દક્ષિણ આફ્રિકાથી ભારત આવ્યા એ પહેલાં જ અહીંના રાજકીય-સામાજિક અને બૌદ્ધિક વર્તુળોમાં જાણીતા થઈ ગયા હતા. સોશિયલ મીડિયાના ઉદ્ભવની એક સદી પહેલાં ભારતમાં પ્રચંડ લોકપ્રિયતા હાંસલ કરી ચૂકેલા ગાંધીભાઈને જાહેર સમારંભોમાં જોવા-સાંભળવા ઊમટતી ભીડ જોઈને ત્યારના અનેક નેતાઓને આશ્વર્ય થતું. એ વખતે તેઓ ‘મહાત્મા’ તરીકે નહીં પણ દક્ષિણ આફ્રિકામાં વસતા હિંદીઓના અધિકાર માટે સત્યાગ્રહ કરનારા બારિસ્ટર તરીકે જાણીતા હતા. એક એવા બારિસ્ટર જેમણે સત્ય અને અહિંસાના માર્ગે અન્યાય સામે અવાજ ઉઠાવ્યો હતો. એ પહેલાં વિશ્વએ આવું વિશિષ્ટ પ્રકારનું આંદોલન જોયું ન હતું. હવે સવાલ એ છે કે, ગાંધીજી દક્ષિણ આફ્રિકામાં હતા ત્યારે તેમના વિચારો ભારતના રાજકીય-સામાજિક અને બૌદ્ધિક વર્તુળોમાં કેવી રીતે પહોંચ્યા હતા? જવાબઃ ભારતીય સમાજમાં પત્રકારત્વ અને પુસ્તકો થકી ગાંધીવિચારનો પ્રચાર-પ્રસાર કરનારી વ્યક્તિ હતી, ગણપતિ અગ્રાહરમ અન્નાદુરાઈ અય્યર નટેસન. દક્ષિણ આફ્રિકા જ નહીં, ભારતીય સ્વતંત્રતા આંદોલનના પણ એ રસપ્રદ પ્રકરણ પર બાઝી ગયેલી ધૂળ ખંખેરવાનો પ્રયાસ કરીએ.

ગણપતિ નટેસન તમિળનાડુના પત્રકાર, લેખક, પુસ્તક પ્રકાશક અને સ્વાતંત્ર્ય સેનાની હતા. તેમનો જન્મ ૨૫મી ઓગસ્ટ, ૧૮૭૩ના રોજ તમિલનાડુના તાંજોર જિલ્લાના અગ્રાહરમ અન્નાદુરાઈ ગામે થયો હતો. મદ્રાસ પ્રેસિડેન્સી કોલેજમાંથી આર્ટ્સમાં સ્નાતકની પદવી લીધા પછી નટેસને ૨૧ વર્ષની વયે ‘મદ્રાસ ટાઈમ્સ’માં નોકરી શરૂ કરી. ઉદ્યોગસાહસિકતાના ભરપૂર ગુણ ધરાવતા નટેસને ઈ.સ. ૧૮૯૭માં નોકરી છોડીને ‘જી.એ. નટેસન એન્ડ કંપની’ નામે પ્રકાશન સંસ્થા શરૂ કરી. નટેસનની પ્રકાશન કંપનીનું કામ સારું ચાલતું હતું, પરંતુ ઈ.સ. ૧૯૦૦માં તેમણે ‘ધ ઈન્ડિયન રિવ્યૂ’ નામનું અંગ્રેજી માસિક શરૂ કરી, ફરી એકવાર, પત્રકારત્વમાં ઝંપલાવ્યું. આ માસિકમાં નટેસને ધર્મ, રાજકારણ, આર્થિક-સામાજિક પ્રવાહો, અર્થતંત્ર, કૃષિ, સાહિત્યિક સમીક્ષાઓની સાથે ગાંધીજી વિશે પણ ઘણું છાપ્યું. આ સામાયિકના કવરપેજ પર નટેસન ‘તમામ વિષયોની ચર્ચાને વરેલું માસિક’ એ મતલબની જાહેરખબર પણ મૂકતા. ‘ધ ઈન્ડિયન રિવ્યૂ’ના શરૂઆતના અંકો પ્રાપ્ય નથી પણ વર્ષ ૧૯૧૦ અને એ પછીના અંકોમાં ગાંધીજીના અનેક ઉલ્લેખ મળે છે.

‘સ્પિચિઝ એન્ડ રાઈટિંગ્સ ઓફ એમ. કે. ગાંધી’ની વર્ષ ૧૯૧૫માં પ્રકાશિત પ્રથમ આવૃત્તિનું  કવર અને બાજુમાં એ જ પુસ્તકમાં ગાંધીજી અને કસ્તૂરબા સાથે જી.એ. નટેસનની તસવીર

ગાંધીજી ‘ગાંધીભાઈ’ હતા ત્યારથી જ નટેસનનો તેમના સાથે નાતો જોડાઈ ગયો હતો. ‘ગાંધીજીનો અક્ષરદેહ’માં નટેસનનો સૌથી પહેલો ઉલ્લેખ ૩૦મી જુલાઈ, ૧૯૦૯ના રોજ ગાંધીજીએ દક્ષિણ આફ્રિકાના આંદોલનમાં તેમના સાથીદાર હેનરી પોલાકને લખેલા પત્રમાં મળે છે. એ પત્રમાં ગાંધીજીએ પોતાના વિચારો અને અભિપ્રાયોનો પ્રચાર કરવા નટેસન સાથે ચોક્કસ પ્રકારની સમજૂતી થાય એવી પોલાક સમક્ષ આશા સેવી હતી. જો કે, ગાંધીજી નટેસનની કામગીરીથી કેવી રીતે પરિચિત થયા એ વિશે માહિતી મળતી નથી, પરંતુ જુલાઈ ૧૯૦૯ પછી નટેસને ગાંધીજીના વિચારોનો પ્રચાર-પ્રસાર કરવામાં મદદ કરી હતી, એ સાબિતીઓ ગાંધીજીના પત્રો અને લખાણોમાં મળે છે. ગાંધીજીના ભારત આગમન પહેલાં વર્ષ ૧૯૦૯માં નટેસને ‘ધ ઈન્ડિયન્સ ઓફ સાઉથ આફ્રિકા, હેલ્ટોસ વિથિન ધ એમ્પાયર એન્ડ હાઉ ધે ટ્રીટેડ’ નામનું હેનરી પોલાકનું પુસ્તક પ્રકાશિત કર્યું હતું. એ પછીના વર્ષે તેમણે ‘એમ. કે. ગાંધી એન્ડ ધ સાઉથ આફ્રિકા ઈન્ડિયન પ્રોબ્લેમ’ નામનું પ્રાણજીવન જગજીવન મહેતા લિખિત પુસ્તક પ્રકાશિત કર્યું હતું. આ પુસ્તકોના કારણે અંગ્રેજી જાણતા-બોલતા ભારતીયો ગાંધીજીના દક્ષિણ આફ્રિકાના આંદોલનના વધુ નિકટ પરિચયમાં આવ્યા હતા.

ગાંધીજી અને કસ્તૂરબા દક્ષિણ આફ્રિકાથી ભારત આવ્યાં એ જ વર્ષે ૧૭મી એપ્રિલ, ૧૯૧૫ના રોજ મદ્રાસની મુલાકાતે ગયાં, ત્યારે તેમનો ઉતારો નટેસનના ઘરે હતો. ગાંધીજી અને કસ્તૂરબા મદ્રાસ સેન્ટ્રલ સ્ટેશને પહોંચ્યાં ત્યારે તેમને જોવા-સાંભળવા અને તેમનું સ્વાગત કરવા આશરે બે હજાર લોકો ભેગા થયા હતા. ગાંધી દંપતીના મદ્રાસ આગમનનો ‘ધ હિંદુ’માં અહેવાલ છપાયો હતો, જેની નોંધ ‘ગાંધીજીનો અક્ષરદેહ’માં છે. આ અહેવાલ પ્રમાણે, ‘‘… શ્રી ગાંધી દૂબળા પાતળા દેખાતા હતા. એમણે એક ખૂલતું પહેરણ અને પાયજામો પહેર્યાં હતા, જે બંને ચાર દિવસની સતત મુસાફરીને લીધે મેલાં થઈ ગયાં હતાં. લોકો એ ડબા ઉપર ધસી ગયા અને ભીડ એટલી બધી હતી કે ત્યાં ઊભેલા ડઝનેક પોલીસ એને કાબૂમાં રાખી શક્યા નહીં. એટલે આખરે તેઓ એ ટોળાને એની મરજી પર છોડી દઈ ત્યાંથી હઠી ગયા … ટોળામાંથી ‘ગાંધી દંપતી ઝિંદાબાદ’, ‘અમારા વીર ઝિંદાબાદ’, ‘વન્દે માતરમ’ના પોકારો ગાજી ઊઠ્યા. શ્રી ગાંધીએ નમસ્કાર કરી એ પોકારો ઝીલ્યા. પછી તેમને ઘોડાગાડી નજીક લઈ જવામાં આવ્યા. વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં આવ્યા હતા. એમણે ગાડીને જોડેલા ઘોડાને છૂટો કરી નાખ્યો અને પોતે ગાડી ખેંચવા આગળ આવ્યા. તેઓ ગાડીને ખેંચીને સુનકુરામ ચેટ્ટી સ્ટ્રીટમાં આવેલા મેસર્સ નટેસન એન્ડ કંપનીના મકાને લઈ ગયા. આખે રસ્તે લોકો શ્રી ગાંધીનો હર્ષનાદથી જયજયકાર કરતા હતા …’’ 

‘સ્પિચિઝ એન્ડ રાઈટિંગ્સ ઓફ એમ. કે. ગાંધી’ ની ૧૯૨૨માં પ્રકાશિત ત્રીજી આવૃત્તિમાં નટેસને મૂકેલી ગાંધીજીના પુસ્તકની જાહેરખબર. આ જાહેરખબરમાં ‘ઇન્ડિયન રિવ્યૂ’ના ગ્રાહકોને વિવિધ પુસ્તકો પર અપાતા ડિસ્કાઉન્ટની પણ વિગતો જાણવા મળે છે.    

ગાંધીજી અને નટેસનની એ પહેલી મુલાકાત હતી. ગાંધીજી આઠમી મે, ૧૯૧૫ સુધી એટલે કે ત્રણ અઠવાડિયા નટેસનના ઘરે રોકાયા. આ દરમિયાન તેમણે મદ્રાસમાં કેટલાક સ્થળોએ ભાષણો આપ્યા તેમ જ અનેક સંસ્થાઓના આમંત્રણો સ્વીકારીને ત્યાં જાહેર બેઠકો યોજી. ગાંધીજીનો મદ્રાસ જવાનો મુખ્ય હેતુ દક્ષિણ આફ્રિકાથી હદપાર (ડિપોર્ટ) કરાયેલા સત્યાગ્રહીઓને મળવાનો હતો કારણ કે, દક્ષિણ આફ્રિકાના મોટા ભાગના હિંદી વસાહતીઓ દક્ષિણ ભારતીયો હતા. દક્ષિણ આફ્રિકાના ટ્રાન્સવાલથી હદપાર કરાયેલા દક્ષિણ ભારતીયોને નટેસને ખૂબ મદદ કરી હતી. એ મુદ્દે ગાંધીજીએ ૧૬મી જુલાઈ, ૧૯૧૦ના ‘ઈન્ડિયન ઓપિનિયન’માં નોંધ્યું હતું કે, ‘‘… મિ. નટેસનની સેવાઓની પ્રશંસા કરતા ઘણા પત્રો અમને મળ્યા છે. હદપારીઓની દશા સહ્ય બને તે માટે તેમણે ઘણું ઘણું કર્યું છે. મદ્રાસના વર્તમાનપત્રોએ પણ તેમના વખાણનાં પાનાંના પાનાં ભર્યાં છે. તેમની મહાન લોકલાગણી માટે અમે મિ. નટેસનને અભિનંદન આપીએ છીએ.’’ આમ, દક્ષિણ આફ્રિકાના આંદોલનોથી શરૂ થયેલો ગાંધીજી-નટેસનનો સંબંધ તેમના ભારત આગમન પછી વધારે ગાઢ બન્યો હતો.

એ પછી નટેસને વર્ષ ૧૯૧૮માં ‘સ્પિચિઝ એન્ડ રાઈટિંગ્સ ઓફ એમ. કે. ગાંધી’ નામનું પુસ્તક પ્રકાશિત કર્યું, જેના શીર્ષક નીચે ‘ઓથોરાઈઝ્ડ. અપ ટુ ડેટ, કોમ્પ્રિહેન્સિવ.’ એવું ઝીણું લખાણ મૂકાયું હતું. આ પુસ્તકની પ્રસ્તાવનામાં નટેસને નોંધ્યું છે કે, ગાંધીજીના ભાષણો અને લખાણો ધરાવતું આ સંપૂર્ણ, અધિકૃત અને અપ-ટુ-ડેટ પુસ્તક છે … ગાંધીજી દક્ષિણ આફ્રિકામાં હતા ત્યારે તેમના વિચારો-અભિપ્રાયો તોડી-મરોડીને રજૂ કરાતા હતા એટલે નટેસને એવું લખાણ રાખ્યું હોઈ શકે! આ જ કારણસર દક્ષિણ આફ્રિકાના આંદોલન વખતે ગાંધીજીને પોતાનું અખબાર હોવું જોઈએ એવો વિચાર આવ્યો હતો. દક્ષિણ આફ્રિકામાં ગાંધીજીએ વિવિધ અખબારોમાં લેખો-ચર્ચા પત્રો લખીને તેમ જ ઈન્ટરવ્યૂ આપીને લોકમત ઊભો કરવાનો પ્રયાસ કર્યો હતો. એ પ્રયાસ અપૂરતા લાગતા ગાંધીજીએ વર્ષ ૧૯૦૩માં ‘ઈન્ડિયન ઓપિનિયન’ અખબાર શરૂ કર્યું. આ અખબાર અંગ્રેજી, હિન્દી, ગુજરાતી અને તમિળ એમ ચાર ભાષામાં પ્રકાશિત થતું હતું. એટલે એવું અનુમાન થઈ શકે કે, દક્ષિણ આફ્રિકા સ્થિત તમિળભાષીઓ થકી તેમ જ પોતાના વિચારો યોગ્ય રીતે લોકો સુધી પહોંચે એવી મથામણમાંથી ગાંધીજી નટેસનના પરિચયમાં આવ્યા હશે! ગાંધીજીએ તમિળ શીખવાની શરૂઆત કર્યા પછી તમિળમાં સૌથી પહેલો પત્ર નટેસનને લખ્યો હતો, જે આજે ય તમિલનાડુના મદુરાઈસ્થિત ગાંધી મ્યુિઝયમમાં જોવા મળે છે. દિલ્હીના ગાંધી મ્યુિઝયમમાં પણ ગાંધી-નટેસનના સંબંધની અમુક યાદો સચવાયેલી છે, જે નટેસન પરિવારે ભારત સરકારને ભેટ આપી હતી.

‘સ્પિચિઝ ઓન ઇન્ડિયન અફેર્સ બાય મોર્લી’ પુસ્તકની ત્રીજી આવૃત્તિમાં  ‘સ્પિચિઝ એન્ડ રાઈટિંગ્સ’ શ્રેણી હેઠળના પુસ્તકોની જાહેરખબર. આ જાહેરખબરમાં પણ ‘ઇન્ડિયન રિવ્યૂ’ના ગ્રાહકોને વિવિધ પુસ્તકો પર અપાતા ડિસ્કાઉન્ટની વિગતો તેમ જ ‘ઇન્ડિયન રિવ્યૂ’નું વાર્ષિક લવાજમ રૂ. પાંચ હતું અે જાણવા મળે છે.'

ગાંધીજી ભારત આવ્યા એ પછીયે નટેસને ગાંધીવિચારોનો ફેલાવો કરવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. વર્ષ ૧૯૨૨માં નટેસને ગાંધીજીનું ‘હિંદ સ્વરાજ’ પુસ્તક ‘હિંદ સ્વરાજ ઓર ઈન્ડિયન હોમ રૂલ’ નામે અંગ્રેજીમાં પ્રકાશિત કર્યું હતું. એ જ વર્ષે ‘સ્પિચિઝ એન્ડ રાઈટિંગ્સ ઓફ એમ. કે. ગાંધી’ની ત્રીજી આવૃત્તિ પ્રકાશિત થઈ હતી, જેના કવરપેજ પર ‘વિથ એન ઈન્ટ્રોડક્શન બાય સી. એફ. એન્ડ્રુઝ એન્ડ એ બાયોગ્રાફિકલ સ્કેચ’ એવું લખાણ જોવા મળે છે. સી. એફ. એન્ડ્રુઝ ચર્ચ ઓફ ઇંગ્લેન્ડ વતી ભારતમાં ખ્રિસ્તી ધર્મનો પ્રચાર કરવા આવ્યા હતા. ગોપાલકૃષ્ણ ગોખલેએ એન્ડ્રુઝ થકી ગાંધીજીને દક્ષિણ આફ્રિકાથી ભારત પાછા આવી જવાનો સંદેશ મોકલ્યો હતો. એ મુદ્દે ગાંધીજીને સમજાવવાનો શ્રેય એન્ડ્રુઝને જાય છે. નટેસને ઈ.સ. ૧૮૯૮માં એટલે કે પ્રકાશન સંસ્થા શરૂ કર્યાના બીજા જ વર્ષે, ‘સ્પિચિઝ ઓફ ધ ઓનરેબલ મિ. જી. કે. ગોખલે’ પુસ્તક પ્રકાશિત કર્યું હતું. શું ગાંધીજી-નટેસનનો પરિચય ગોખલે થકી થયો હશે? વર્ષ ૧૯૩૧માં નટેસનની કંપનીએ હેનરી પોલાકના ‘મહાત્મા ગાંધી, એન એન્લાર્જ્ડ એન્ડ અપ-ટુ-ડેટ એડિશન ઓફ હિઝ લાઈફ એન્ડ ટીચિંગ્સ’ નામના પુસ્તકની નવમી આવૃત્તિ પ્રકાશિત કરી હતી. એક પુસ્તકની આટલી આવૃત્તિઓ પરથી ગાંધીવિચારો ફેલાવવામાં નટેસનનું યોગદાન કેવું હશે, એ સમજી શકાય એમ છે. 

આજે આપણે વિશ્વ પુસ્તક દિવસની ઉજવણી કરી રહ્યા છીએ ત્યારે ગણપતિ અગ્રાહરમ અન્નાદુરાઈ અય્યર નટેસનને એક ક્રાંતિકારી પુસ્તક પ્રકાશક તરીકે પણ યાદ કરવા જોઈએ. તેમણે ઈ.સ. ૧૯૦૦થી ૧૯૩૦ વચ્ચે ‘સ્પિચિઝ એન્ડ રાઈટિંગ્સ’ અને ‘જીવનચરિત્રો’ જેવી શ્રેણી અંતર્ગત મદનમોહન માલવિયા, ગોપાલકૃષ્ણ ગોખલે, મહાદેવ ગોવિંદ રાનડે, સર દિનશા એદલજી વાચ્છા, દાદાભાઈ નવરોજી, જગદીશચંદ્ર બોઝ, સુરેન્દ્રનાથ બેનરજી, રામકૃષ્ણ પરમહંસ, એમિનન્ટ મુસલમાન્સ, લીડર્સ ઓફ બ્રહ્મો સમાજ, ચૈતન્ય ટુ વિવેકાનંદ અને ફેમસ પારસીઝ જેવાં પુસ્તકોની એકથી વધારે આવૃત્તિઓ પ્રકાશિત કરી હતી. નટેસનની કંપનીએ છાપેલાં પુસ્તકોમાં વિષય વૈવિધ્ય, ઓછી કિંમત અને એકથી વધારે આવૃત્તિઓની સંખ્યા ઊડીને આંખે વળગે છે. તેમણે હિંદુ ધર્મ, સંપ્રદાયો, ભારત અને રાષ્ટ્રવાદ, ઇતિહાસ, અર્થતંત્ર, શિક્ષણ, ખેતી, ભારતીય કળા, તેલુગુ લોકસાહિત્ય, શંકરાચાર્ય, ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ, ઈશાન ભારતીયો, ભારતીય ઉત્પાદકો, ઉદ્યોગો, બ્રિટન તેમ જ બ્રિટનની એશિયાઈ કોલોની જેવા વિષયોનાં ઓછી કિંમત ધરાવતાં પુસ્તકો પણ પ્રકાશિત કર્યા હતા. નટેસને પ્રકાશિત કરેલાં પુસ્તકોની રેન્જ શેક્સપિયરથી લઈને તેનાલીરામન સુધીની છે. નટેસને ગાંધીવિચાર જ નહીં, ભારતીય સ્વતંત્રતા આંદોલન વખતે લોકોમાં રાષ્ટ્રવાદની ભાવના જાગૃત કરવા તેમ જ જ્ઞાનનો પ્રચાર-પ્રસાર કરવા પુસ્તક પ્રકાશનનું એક ક્રાંતિકારીને છાજે એવું કામ કર્યું હતું.

નટેસને સ્વતંત્રતા આંદોલન વખતે ગાંધીજીને તેમના વિચારો ફેલાવવાની સાથે આર્થિક મદદ પણ કરી હતી. ‘ગાંધીજીનો અક્ષરદેહ’માં નોંધ્યા પ્રમાણે, ૨૮મી મે, ૧૯૧૫ના રોજ ગાંધીજીએ નટેસનને ‘તમારો રૂ. ત્રણ હજારનો ચેક મળી ગયો છે’ એવો ઉલ્લેખ કરતો પત્ર લખ્યો હતો, જે કદાચ તેનો એકમાત્ર અધિકૃત પુરાવો છે.

e.mail : vishnubharatiya@gmail.com

Loading

અન્યાય સામે અડીખમ લડાઈ

ચંદુ મહેરિયા|Opinion - Opinion|22 April 2016

મેં સચ્ચાઈ કહી એમાં શું ખોટું કર્યું કે મને આટલો ભયંકર માનસિક – શારીરિક ત્રાસ આપવામાં આવે છે?

છત્તીસગઢના દંતેવાડા-બસ્તર વિસ્તારનાં સામાજિક-રાજકીય કાર્યકર સોની સોરી ફરી એક વાર સરકારી હિંસાનો ભોગ બન્યાં છે. આ વરસની ૨૦મી ફેબ્રુઆરીએ સોની સોરીના ચહેરા પર જ્વલનશીલ કેમિકલ નાખી તેમનો ચહેરો વિકૃત કરી નાંખવાનો પ્રયાસ થયોે. હાલ દિલ્હીમાં સારવાર લઈ રહેલાં સોનીના જણાવ્યા મુજબ તેઓ મોટર સાયકલ પર બેસીને જગદલપુરથી ગીદમ જઈ રહ્યાં હતાં ત્યારે રસ્તામાં ત્રણ અજાણ્યા મોટર સાયકલ સવારોએ તેમને આંતરી તેમના ચહેરા પર કેમિકલ નાખ્યું હતું. સોનીનો આરોપ છે કે હુમલાખોરો માર્ડુમ ફેક એન્કાઉન્ટર અને આઈજી વિરુદ્ધ ન બોલવા ધમકી આપતા હતા. એટલે આ હુમલો પોલીસ અને આઈ.જી. દ્વારા થયો હોઈ શકે છે.

નકસલવાદ-માઓવાદ પ્રભાવિત છત્તીસગઢના દંતેવાડા જિલ્લાના જબેલી ગામની સરકારી પ્રાથમિક શાળામાં સોની સોરી શિક્ષિકા છે. તેમના પિતા મદ્રુરામ ૧૫ વરસ ગામના સરપંચ હતા, કાકા ભારતીય સામ્યવાદી પક્ષના પૂર્વ ધારાસભ્ય તો મોટા ભાઈ કોંગ્રેસમાં છે. રાજકીય રીતે સક્રિય એવા આ આદિવાસી પરિવારની દીકરીએ શિક્ષણ મેળવ્યું અને કુટુંબના વારસાગત રાજકીય સંસ્કાર કરતાં ભિન્ન માર્ગ પસંદ કર્યો. પોતાનાં આદિવાસી ભાંડુરડાંઓને સારુ શિક્ષણ મળે એ હેતુસર ભણીગણીને શહેરમાં જતાં રહેવાને બદલે ગામમાં રહ્યાં અને શિક્ષણનું કામ કર્યું. ચાળીસેકની વયનાં સોની ત્રણ બાળકોનાં માતા છે. સુખચેનનું ગૃહસ્થ જીવન જીવતાં સોની સોરીનાં માથે છેલ્લાં પાંચેક વરસથી સરકારી હિંસાનો પહાડ તૂટી પડ્યાં છે.

બસ્તર વિસ્તારમાં ૪૦ લાખ જેટલી આદિવાસી વસ્તી છે. સરકાર અને પોલીસની નજરમાં પ્રત્યેક આદિવાસી નક્સલવાદી કે નકસલ સમર્થક છે. અહીંના નિવાસીઓ માટે બે જ વિકલ્પ છે. નકસલવાદ – માઓવાદના પક્ષે રહો કાં તેમના વિરોધી પોલીસના પક્ષે રહો. એ સિવાયનો કોઈ અન્ય માર્ગ ન તો પોલીસને મંજૂર છે, ન તો નકસલોને. શિક્ષણ સાથે સંકળાયેલાં સોનીને પોતાના સાદાસીધા જાતભાઈને પોલીસ નકસલ ગણી જેલમાં ધકેલી દે તે મંજૂર નહોતું. આ પોલીસદમન સામે તે અવાજ ઉઠાવતાં હતાં. નકસલવિરોધી પોલીસઝુંબેશ સાલવા જુડુમનો ભાગ ન બનવા બદલ સોનીના પત્રકાર તરીકે કાર્યરત ભત્રીજા લિંગારામ કોડોપીને ૯મી સપ્ટેમ્બર ૨૦૧૧ના રોજ દંતેવાડાના પાલનાર બજારમાંથી પોલીસે પકડી લીધા. છત્તીસગઢ પોલીસે તેમના પર માઓવાદીઓના મદદગાર હોવાનો આરોપ મૂક્યો. આવો જ આરોપ સોની સોરીના પતિ પર પણ મૂક્યો હતો અને પછી વારો આવ્યો સોની સોરીનો.

પોલીસ ધરપકડના ડરથી મીડિયા સમક્ષ પોતાનો પક્ષ રજૂ કરવા અને કાનૂની સહાય તથા માર્ગદર્શન અર્થે દિલ્હી આવેલાં સોની સોરીની ૪થી ઓકટોબર ૨૦૧૨ના રોજ પોલીસે ધરપકડ કરી. તેમનાં પર ઉદ્યોગસમૂહ એસ્સાર ગ્રુપ અને માઓવાદીઓ વચ્ચેના સંપર્કસૂત્ર હોવાનો આરોપ મૂકવામાં આવ્યો. સોની સોરી એસ્સાર પાસેથી પૈસા મેળવી માઓવાદીઓને પહોંચાડે છે તેવો આરોપ પૂરવાર કરવા પોલીસે તેમના પર તમામ પ્રકારના શારીરિક – માનસિક જુલમો કર્યા. આઈ.પી.એસ. અધિકારી અંકિત ગર્ગે સોની સોરીની યોનીમાં પથ્થરના ટુકડા પીસીને નાંખ્યા અને ઈલેકટ્રિક કરન્ટ આપ્યા. આ બર્બર પોલીસદમન અને અમાનવીય જુલમનો દેશ અને દુનિયામાં ભારે વિરોધ થયો. નોમ ચોમ્સકી, અરુંધતી રોય, ઝ્યાં ડ્રેઝ અને આનંદ પટવર્ધન સહિતના ૨૫૦ જેટલા અગ્રણી બૌદ્ધિકો અને કર્મશીલોએ તત્કાલીન વડાપ્રધાન ડો. મનમોહનસિંઘને ખૂલ્લો પત્ર લખી આ અત્યાચારનો અંત આણવા, તેની તપાસ કરવા માગણી કરી હતી.

સોની સોરી પર છત્તીસગઢ પોલીસ અને અને સરકારે આઠેક કેસો ઠોકી દીધા હતા. છત્તીસગઢ હાઈકોર્ટે તેમને જામીન ન આપતાં ભારતની સર્વોચ્ચ અદાલતમાં ન્યાય માટે ધા નાંખવામાં આવી હતી. ૨૦૧૨ના વરસનો રાષ્ટ્રપ્રમુખનો પોલીસ વીરતા એવોર્ડ મેળવેલ આઈ.પી.એસ. અધિકારી અંકિત ગર્ગે સોની પર કરેલા અત્યાચારોના આરોપની ચકાસણી અને તબીબી તપાસનો સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યો હતો. દિલ્હીની એઈમ્સમાં સોનીની તબીબી તપાસ થઈ અને તેમની યોનીમાંથી પથ્થરો કાઢ્વામાં આવ્યાં. એકાદ મહિનાની સારવાર પછી એમને પહેલાં જબલપુર અને પછી રાયપુર જેલમાં રાખવામાં આવ્યાં. ત્યાં ફરી શારીરિક યાતનાઓ શરૂ થઈ.

૨૭મી સપ્ટેમ્બર ૨૦૧૨ના રોજ સોનીએ જેલમાંથી દેશની સર્વોચ્ચ અદાલતનો ઈલાજ માટે ઋણસ્વીકાર કરવા સાથે ફરિયાદ કરતો પત્ર લખ્યો અને જણાવ્યું કે, ‘મને નગ્ન કરીને જમીન પર બેસાડે છે. ખાવાપીવાનું આપતાં નથી. મારા શરીરને અડકીને તપાસ કરવામાં આવે છે. જજસાહેબ, છત્તીસગઢ સરકાર અને પોલીસ ક્યાં સુધી મારાં કપડાં ઉતરાવ્યાં કરશે. હું પણ ભારતીય આદિવાસી મહિલા છું. મારામાં પણ શરમ છે. પણ હું મારી ઈજ્જત બચાવી શકતી નથી. મને સતત હેરાન કરવામાં આવે છે. ગંદી ગાળો બોલવામાં આવે છે. મેં સચ્ચાઈ કહી એમાં શું ખોટું કર્યું કે મને આટલો ભયંકર માનસિક શારીરિક ત્રાસ આપવામાં આવે છે? શું જોર-જુલમ-અત્યાચાર સામે લડવું ગુનો છે?’

આઠમાંથી સાત કેસોમાં સોની નિર્દોષ પૂરવાર થયાં. એક કેસમાં સુપ્રીમ કોર્ટે તેમને કાયમી જામીન આપ્યા છે. પણ તેમની જિંદગી તબાહ કરી નાખવામાં આવી છે. અઢી વરસના તેમના જેલવાસ  દરમિયાન જ તેમનાં પતિની પોલીસે ધરપકડ કરી હતી. તેમના પર એટલો ત્રાસ ગુજારવામાં આવ્યો કે તેમને પેરેલિસિસ થઈ ગયો અને અંતે અવસાન થયું. આટલી યાતનાઓ છતાં સોની ડગ્યાં નથી. હાલમાં બમણા જોરે સરકાર, પોલીસ અને નકસલો સામે સંઘર્ષ કરતાં રહે છે. શાંતિ, શિક્ષણ અને કલમને તેમણે પોતાનાં હથિયારો બનાવ્યાં છે. આ વિસ્તારના દર ચોથા ઘરની એક વ્યક્તિ જેલમાં છે. પોલીસ પુરુષોને એક યા બીજા બહાને પકડીની પૂરી દે છે. સ્ત્રીઓ પર બળાત્કાર, નકલી એન્કાઉન્ટર, બર્બર પોલીસ અત્યાચાર આ વિસ્તારની રોજિંદી વાસ્તવિકતા બની ગઈ છે. સોની એ તમામ સામે લડે છે. લોકસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર તરીકે તેઓ ચૂંટણી લડી ચૂક્યાં છે.

સોની પર એસિડ હુમલો થયો, એમનાં બહેન–બનેવીને પોલીસ ઉઠાવી ગઈ, તેમનાં બાળકો પર હુમલાના જાસા મળી રહ્યા છે. પરંતુ સોની આદિવાસીઓના જંગલ, જમીન, જળ, શિક્ષણ, રોજીના અધિકારો માટે ડર્યા વિના મુકાબલો કરવાના મક્કમ નિર્ધાર સાથે સંઘર્ષ જારી રાખે છે. સરકાર  આદિવાસીઓને ખદેડી મૂકી તેમની જમીનો મોટા ઉદ્યોગોને આપી દેવા માગે છે તેની સામે સોનીનો વિરોધ છે. સુદૂર મણિપુરમાં પોલીસને દમનનો છૂટો દોર આપતા કાળા કાનૂન સામે ઈરોમ શર્મિલા ગાંધીમાર્ગે આમરણ અનશન પર છે. આદિવાસીઓના માનવઅધિકારો માટે લડતાં સોની સરકારી હિંસાનો ભોગ બનતાં રહે છે. જ્યારે ભારતમાતાની જયનો દેશમાં વિવાદ હોય ત્યારે ઈરોમ અને સોની જેવી સાચી ભારતમાતાઓ ઠેબાં ખાય અને તેમનાં બાળુંડાં ઉવેખાતાં રહે તે ભારતની રાજનીતિની કરુણ વાસ્તવિકતા છે. 

ચંદુ મહેરિયા લેખક સામાજિક-રાજકીય  પ્રવાહોના ઊંડા અભ્યાસી અને વિશ્લેષક છે 

e.mail : maheriyachandu@gmail.com

સૌજન્ય : ‘સોની સોરીનો સવાલ’,  “દિવ્ય ભાસ્કર”, 21 અૅપ્રિલ 2016

Loading

...102030...3,6913,6923,6933,694...3,7003,7103,720...

Search by

Opinion

  • સહિષ્ણુતા: ભારતની અસલી તાકાત
  • Artificial Intelligence: જવાબો વધી રહ્યા છે, પણ આપણી વિચારશીલતા પર કાટ ચઢી રહ્યો છે?
  • ચલ મન મુંબઈ નગરી—343
  • ઓઈલ કંપનીઓ મગરનાં આંસુ સારે છે …
  • જ્યોતિરાવ ફુલે અને સ્ત્રી શિક્ષણની ક્રાંતિ: એક અર્થશાસ્ત્રીય અર્થઘટન

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 
  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …

Poetry

  • ગઝલ
  • ગઝલ
  • નોકરી એક ચુડેલ
  • સાંજ….ગઝલ.
  • મારા પછી

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved