જે પિતાએ આપણે જન્મ પામીએ એ પહેલાથી આપણા માટે સ્વપ્નો જોયાં, જન્મ પછી આપણને માણસ બનાવવા ખુવાર થતા રહ્યા એ પિતાને સાચે જ કઈં મૂલ્યવાન આપવું હોય તો તેમની આંખમાં આંખ પરોવી પ્રેમભર્યું સ્મિત આપજો. ઉષ્માભર્યું એક આલિંગન આપજો. નક્કી કરજો કે દિવસમાં બેપાંચ મિનિટ એમની સાથે બેસવું અને અમસ્તી અમસ્તી, કામ વગરની, મજા આવે એવી વાતો કરવી. તેમની સાથે તમે પણ ધન્ય થઈ જશો …

સોનલ પરીખ
આજે ફાધર્સ ડે. પિતાના પ્રેમ, સમર્પણ અને આશીર્વાદને વ્યક્ત કરતી સુંદર ફિલ્મો આપણે ત્યાં અને વિદેશોમાં પણ બની છે. યાદ કરવાનું મન થાય છે ૧૯૬૮માં આવેલી ઋષિકેશ મુખર્જીની ફિલ્મ ‘આશીર્વાદ’. એક કમનસીબ પિતાના દીકરી માટેના ઝુરાપાની વાત આટલી સંવેદનશીલતાથી અને રડારોળ કે નાટકીયતા વિના કરવા માટે જબ્બર ગજું જોઈએ.
વાર્તા આમ છે : બંગાળના એક ગામમાં રહેતો સરળ અને પ્રેમાળ જોગી ઠાકુર એક શ્રીમંત જમીનદારનો ઘરજમાઈ છે. મિલકતનો વહીવટ તેની શાસક સ્વભાવની પત્ની કરે છે. એક વાર પત્નીના આદેશથી એસ્ટેટનો એકાઉન્ટન્ટ ચાલાકીથી ગરીબોના ઘર બાળી નાખવાના હુકમ પર જોગી ઠાકુરના હસ્તાક્ષર લઇ લે છે. છેતરપિંડીથી આઘાત પામેલો જોગી ઠાકુર લગ્ન તોડી, ઘર છોડીને ચાલ્યો જાય છે, વ્હાલસોઈ દીકરી નીનાથી પણ દૂર. મુંબઈ જઈ તે એક પાર્કમાં બાળકોનું મનોરંજન કરીને ગુજરાન ચલાવે છે. ત્યાં તેને નીના નામની એક નાનકડી છોકરી ખૂબ ગમી જાય છે. જ્યારે એ છોકરી બીમાર પડીને મૃત્યુ પામે છે ત્યારે જોગી ઠાકુર પોતાની નીના વગર તરફડી ઊઠે છે ને ગામમાં પાછો ફરે છે પણ નીનાને મળે તે પહેલા તેના હાથે મિત્ર બૈજુની પુત્રીને બળાત્કારમાંથી બચાવવાની કોશિશમાં એસ્ટેટના એ જ એકાઉન્ટન્ટની હત્યા થાય છે. અદાલતમાં ગુનો કબૂલી એ જેલમાં જાય છે. નીનાને સંબોધીને કાવ્યો લખતાં અને જેલનો બગીચો સંભાળતાં વર્ષો વીતે છે.
જેલના ડૉક્ટર બિરેનને આ સૌમ્ય અને શાલીન વૃદ્ધ કેદી તરફ એક જાતની મમતા છે. સંયોગથી, જોગી ઠાકુરની પુત્રી નીના, આ ડૉક્ટર સાથે લગ્ન કરવાની છે. જોગી ઠાકુર નીનાને જુએ છે, પણ ઓળખ છુપાવી રાખે છે. જે દિવસે તે જેલમાંથી છૂટે છે તેના બીજા દિવસે નીના અને બિરેનનાં લગ્ન છે. દીકરીને નવવધૂના રૂપે જોવા તે ખૂબ બીમાર હોવા છતાં લાંબી અને કઠિન સફર ખેડી એ લગ્નસ્થળે આવે છે – ઇચ્છતો નથી કે કોઈ તેને ઓળખે, પણ દીકરી તેને ઓળખી જાય છે. જીવનભર જેને માટે ઝૂર્યો છે એ દીકરીના માથે હાથ મૂકી આશીર્વાદ આપી એ મૃત્યુ પામે છે. આ ફિલ્મને સર્વશ્રેષ્ઠ હિન્દી ફિચર ફિલ્મનો નેશનલ ઍવોર્ડ મળ્યો હતો. અશોકકુમારને શ્રેષ્ઠ અભિનય માટે બે ઍવોર્ડ મળ્યા હતા.
શું જોઈતું હોય છે એક પિતાને? ફાધર્સ ડેના દિવસે આધુનિક સંતાનો પિતાને ભેટ આપતા હોય છે, એમનું ભાવતું જમાડતા હોય છે કે પછી ક્યાંક ફરવા લઇ જતા હોય છે. પણ જો પિતાને સાચે જ કઈં મૂલ્યવાન આપવું હોય તો તેમની આંખમાં આંખ પરોવી પ્રેમભર્યું સ્મિત આપજો. એક ઉષ્માભર્યું આલિંગન આપજો. નક્કી કરજો કે દિવસમાં બેપાંચ મિનિટ એમની સાથે બેસવું અને અમસ્તી અમસ્તી, કામ વગરની, મજા આવે એવી વાતો કરવી. જે પિતાએ આપણને જન્મ આપ્યો, આપણે જન્મ પામીએ એ પહેલાથી આપણા માટે સ્વપ્નો જોયાં, આપણા જન્મ પછી આપણને માણસ બનાવવા ખુવાર થતા રહ્યા એ પિતા માટે આપણી પાસે થોડી મિનિટો ન હોય, એમની સામે જોવાની કે સ્મિત કરવાની ઇચ્છા થતી ન હોય, એમણે સ્પર્શવું ગમતું ન હોય, એ કેવું?
ભલભલા રેશનલ પુરુષો વૃદ્ધાવસ્થામાં થોડા ઈમોશનલ થઈ જાય છે. પત્ની હયાત હોય તો તેઓ સચવાઈ જાય છે, પણ જ્યારે મા ચાલી જાય અને એકલા પિતાને સંભાળવાની સ્થિતિ આવે ત્યારે સંતાનોએ આ હકીકત સમજવી જોઈએ. વૃદ્ધાવસ્થા સારી રીતે કેમ વિતાવવી તેનું કાઉન્સેલિંગ કરતા નિરંજનભાઈ પોતે વૃદ્ધ થયા ત્યારે શું થયું? ધીરે ધીરે પગ થાક્યા અને બહારની દુનિયા સમેટાતી ગઈ. આંખો થાકી પછી વાંચનલેખનના શોખ પર પણ કાપ આવ્યો. મગજ પણ થાક્યું. પત્નીને અલ્ઝાઇમરની અસર થઈ. એમનાં સંતાનો એ જ શહેરમાં રહેતાં અને જરૂર પડે તો અડધી રાતે દોડી આવતાં. ૮૬ વર્ષની ઉંમરે એમનું મૃત્યુ થયું ત્યારે એમની ડાયરી મળી. ‘દીકરો-દીકરી શહેરમાં છે અને તકલીફ વખતે હાજર હોય જ છે. પણ એમને એ સમજાતું નથી કે હું તકલીફમાં જ છું. મને કોઈના સ્પર્શની જરૂર છે. કોઈ હોય જે અમસ્તો જ હાથ પકડે, સરસ સ્મિત આપે, બરડે હાથ ફેરવે, વાળ સરખા કરે, મને બાથમાં લે – આ શું બહુ મોટી ઇચ્છા છે? હું મારા દીકરા-દીકરીને આવું કહેતો નથી. સંકોચ થાય છે. પણ મને એમના સ્પર્શની, એમના વહાલભર્યા સ્મિતની ખૂબ જરૂર છે.’
મોટેભાગે આવું થઈ શકતું નથી. એવું નથી કે યુવાન થતાં કે ઢળતી યુવાની પહોંચેલાં આજનાં સંતાનો ખરાબ છે કે ખોટાં છે. એમણે એમના પ્રશ્નો હોય છે, સંઘર્ષો હોય છે, જવાબદારીઓ હોય છે. તેમના અગ્રતાક્રમ બદલાયા હોય છે. પોતાનાં સંતાનોને દુનિયામાં પગ મૂકવાલાયક બનાવવાની ચિંતા હોય છે. પોતાની દોડાદોડી વચ્ચે તેઓ માબાપની સુવિધાઓની વ્યવસ્થા તો કરે છે, ખાવાપીવાનું, દવાઓનું ધ્યાન રાખી લે છે, પણ ત્યાર પછી માબાપે ચૂપચાપ જીવ્યા કરવું ને આડા ન આવવું એવી આશા રાખે છે. એમને સમય, સ્પર્શ, સ્મિત કે સન્માન આપવાનું ભૂલી જાય છે. ભૂલી જાય છે કે શરીરની સાથે મન પણ જીર્ણ થયું છે. લાગણીઓ પણ ટેકો માગે છે.
નાના બાળકની જેમ વૃદ્ધ વ્યક્તિના ચહેરા પર પણ હાસ્ય ખૂબ સુંદર અને નિર્દોષ લાગે છે. જેમના ચહેરા પરની દરેક કરચલીમાં પ્રસન્નતા પ્રસરેલી હોય તેવા વૃદ્ધ ચહેરા ખૂબ વહાલસોયા લાગે છે. આપણી ભારતીયોની સંવેદના લાઉડ હોય છે અને સૌંદર્યની વિભાવના છીછરી, એટલે આપણે વૃદ્ધત્વમાં રહેલા આ વ્હાલસોયા નિર્દોષ સૌંદર્યને જોઈ શકતા નથી. જાણે શરીર જીર્ણ થાય એટલે સમજ પણ જતી રહી હોય એવા ભાવથી એમને એક જવાબદારી ગણીને ઉપકાર કરતા હોઈએ એમ ચડેલા મોઢે બધું કર્યા કરી છીએ. તેઓ સ્મિત કરે કે વાત કરવાની કોશિશ કરે તો અવગણી કાઢીએ છીએ ને પછી જો ક્યારેક તેઓ કડવા થાય તો એમના હજારો વાંક બતાવીએ છીએ. જાણે આવા શરીરે આટલું જીવીને એમણે અપરાધ ન કર્યો હોય! આ અસંસ્કાર છે. યુવાનીના તોરમાં આપણને પિતાની સંવેદના સમજાતી નથી અને પોતે પણ વૃદ્ધ થઈશું એ તો કદી યાદ જ આવતું નથી.
દીકરાઓને ઘણીવાર પિતા માટે ફરિયાદ હોય છે, કે તમે અમારા માટે કઈં કર્યું નહીં, તમારામાં અક્કલ ઓછી વગેરે. દીકરીઓ દૂર રહેતી હોય છે, પણ ક્યારેક એ પણ ભાઈની વાતમાં સંમત થતી હોય છે. માતાપિતા પણ માણસ છે. તમે ઇચ્છયું હોય, ધાર્યું હોય તે બધું જ તમારા માટે ન પણ કરી શક્યાં હોય. પણ તેમણે તમને દુનિયા દેખાડી છે, સાચુંખોટું સમજાવ્યું છે. આજે દુનિયામાં પગ મૂકીને માબાપનો વાંક કાઢવા જેવા થયા છો તે પણ એમના જ લીધે. આ જો ભૂલી જાઓ તો તમે ગમે તેટલું ધન ને માન મેળવ્યું હોય, માણસ તરીકે તમે નાપાસ, નિષ્ફળ, નકામા, નપાવટ.
એમણે આપણે માટે શું કર્યું તે નહીં, પણ આપણે એમને માટે શું કર્યું તે વિચારીશું તો જિંદગીનો સાચો આનંદ પામી શકીશું. શરૂઆત આ ફાધર્સ ડેથી જ કરીએ તો?
e.mail : sonalparikh1000@gmail.com
પ્રગટ : ‘રિફ્લેક્શન’ નામે લેખિકાની સાપ્તાહિક કોલમ, “જન્મભૂમિ પ્રવાસી”, 21 જૂન 2026
![]()

