1996માં એવરેસ્ટ સર કરવા નીકળેલા એક પર્વતારોહીની ભાળ હાલમાં મળી છે અને તે માટે ભારત સરકારે એક વિશેષ ઓપરેશન હાથ ધર્યું છે. એવરેસ્ટના શિખરથી 350 મીટર નીચે એક નાનકડી ગુફા જેવા હિસ્સામાં ‘ગ્રીન બુટ્સ’થી ઓળખાતો એક મૃતદેહ છેલ્લાં ત્રીસ વર્ષથી પડ્યો હતો. તિબેટની સરહદમાંથી એવરેસ્ટ સર કરનારાં અનેક પર્વતારોહીને આ ‘ગ્રીન બુટ્સ’ ધરાવતો મૃતદેહ દેખા પણ દેતો. ઘણી વાર પર્વતારોહી પહોંચવાના નિશાની તરીકે ‘ગ્રીન બુટ્સ’ના મૃતદેહનો ઉલ્લેખ કરતા હતા. પરંતુ હવે આ મૃતદેહની ઓળખ થઈ છે અને તેને નીચે લાવવા માટે એક ઓપરેશન હાથ ધરાયું છે.

સૌથી પહેલાં તો પ્રશ્ન એ થાય કે અત્યાર સુધી જે મૃતદેહને પર્વતારોહી જોતા હતા, તેમ છતાં તેને લાવવા માટે કેમ પ્રયાસ ન કરવામાં આવ્યો અને છેક હવે તે માટે ‘ઇન્ડો તિબેટિયન બોર્ડર પોલીસ’ દ્વારા જોખમી ઓપરેશન લોન્ચ કરવામાં આવ્યું છે. જે સ્થાને ‘ગ્રીન બુટ્સ’ ધરાવતો મૃતદેહ હતો, તે એવરેસ્ટના શિખરથી સાડા ત્રણસો મીટર જ નીચેનો ભાગ છે. અને જ્યાં મૃતદેહ ત્રીસ વર્ષથી છે તે એક ગુફા જેવું સ્થળ છે. અહીંયા પહોંચનારા ગણ્યાગાંઠ્યા હોય છે અને એવરેસ્ટે નોર્થ એટલે તિબેટ બાજુથી એવરેસ્ટ સર કરનારાઓની સંખ્યા ઓછી હોય છે. આ રૂટ પર ‘ઇન્ડો તિબેટિયન બોર્ડર પોલીસ એક્સ્પેક્ડિશન’[આઈ.ટી.બી.પી.] કરનારી છ વ્યક્તિઓની ટીમ 1996ના મે મહિનામાં એવરેસ્ટ સર કરવા માટે નીકળી હતી. આ પર્વતારોહણ કરનારી ‘આઈ.ટી.પી.’ ટીમમાંથી એક પોઈન્ટ પર આવીને ત્રણ સભ્યોએ ઉપર જવાનું માંડી વાળ્યું અને તેઓ અડધે રસ્તેથી પાછા ફર્યા. પરંતુ ત્રણ સભ્યોએ એવરેસ્ટ સર કરવાનો નિર્ધાર કરી લીધો હતો. તેમાંના એક હતા સુબેદાર સેવાંગ સ્માનલા, બીજા લાન્સ નાયક દોર્જે મોરપ અને ત્રીજા હેડ કોન્સ્ટેબલ સેવાંગ પાલજોર. આ ત્રણેય સભ્યો એવરેસ્ટના શિખરથી અંદાજે 350 મીટર અંતરે હતા ત્યારે તેમણે આ નિર્ણય લેવાનો થયો. સ્વાભાવિક છે બાકીના સભ્યોને જોખમ કે પછી પોતાની ક્ષમતાનો અંદાજ આવી ગયો હશે. આ ત્રણેય શિખર પર આગળ વધતા હતા. ઉપર તે સમયે એક્ઝેટલી શું થયું તેનો તો અંદાજો જ લગાવવો રહ્યો. પરંતુ તેમનું મૃત્યુ હિમપ્રપાતથી થયું હતું તે સ્થાપિત થઈ ચૂક્યું છે.

આ ત્રણેય જ્યાં મૃત્યુ પામ્યા તે જગ્યા ‘ડેથ ઝોન’ તરીકે ઓળખાય છે. અને આ સ્થળ એવું છે જ્યાં મહદંશે પર્વતારોહી થોડા સમય આરામ કરવા રોકાય છે. આવું કહેનારા અનેક પર્વતારોહી છે અને તેમાંના એક નોએલ હન્ના છે; જેઓ સાત વખત એવરેસ્ટ શિખર સર કરી ચૂક્યા છે. ‘આ.ટી.બી.પી.’ના આ ત્રણેય જવાન ઉપર જે રીતે મૃત્યુ પામ્યા તેમાં અનેક નિવેદનો આવે છે. પરંતુ ‘બી.બી.સી.’ અંગ્રેજીના વેબસાઈટ પર રેચલ નુવર નામની પત્રકારે 2015માં જે અહેવાલ લખ્યો છે તેમાં ખાસ્સી વિગત વિસ્તૃત રીતે મૂકવામાં આવી છે. જો કે આ અહેવાલમાં ‘ગ્રીન બુટ્સ’ ધરાવતો મૃતદેહની ઓળખ ત્રીજા હેડ કોન્સ્ટેબલ સેવાંગ પાલજોર તરીકે જ કરવામાં આવતી રહી. તે અંગે કેટલાંક પુસ્તકો પણ લખાયાં. એક પુસ્તક ખૂબ જાણીતું છે અને તે લખ્યું છે જોન ક્રેકૂરે. પુસ્તકનું નામ છે ‘ઇન્ટો થિન એર’. એવરેસ્ટ વિશે બ્લોગ અને વેબસાઇટ પણ અઢળક છે અને તેમાંથી કંઈ વેબસાઈટ-બ્લોગ કેટલી આધારભૂત છે તે પણ સવાલ છે. પરંતુ એલન આર્નેટ્ટે નામના પર્વતારોહી વર્ષોથી બ્લોગ લખે છે અને તેમણે કેટલાંક તથ્યો સામે મૂક્યા છે તે ચોક્કસથી જોઈ લેવા જોઈએ. તે બ્લોગ પર આપેલી માહિતી મુજબ 1924થી 2015 સુધી 283 લોકોએ એવરેસ્ટ સર કરતાં જાન ગુમાવી છે. તેમાં 170 જેટલાં વિદેશીઓ છે અને 113 નેપાળી. અહીંયા એક સરેરાશ કાઢવામાં આવી છે કે એવરેસ્ટ સર કરનારા સોમાંથી ચાર વ્યક્તિ મોતને ભેટે છે.
હવે ફરી 1996ની મે મહિનાની ઘટના પર આવીએ. આ ધટનાના એક માત્ર સાક્ષી કમાન્ડન્ટ મોહિન્દર સિંઘ હતા, જેઓ તે વખતે ટીમને લિડ કરી રહ્યા હતા. 2015માં જ્યારે તેઓનો ‘બી.બી.સી.’ દ્વારા ઇન્ટર્વ્યૂ લેવામાં આવ્યો હતો ત્યારે તેમનું ઠેકાણું સાન ફ્રાન્સિસ્કો હતું. મોહિન્દર સિંઘ જ્યારે આ ત્રણેય પર પસંદગી ઉતારી હતી ત્યારે તેમની ભારોભાર સ્કીલને જોઈ ચૂક્યા હતા. સિંઘ કહે છે આ ત્રણેય લદાખથી આવતા હતા અને ફીલ્ડ પર પોતાની જાતને તેમણે સાબિત કરી હતી. પરંતુ જ્યારે પર્વતારોહણ શરૂ કર્યું ત્યારે તેમણે ઉપરાઉપરી ભૂલો કરી. અને ઘણી વખત તો તેમણે સૂચનાની દરકાર ન કરી. આમાંથી ઘણું બધું મોહિન્દર સિંઘ ઇન્ટર્વ્યૂમાં કહ્યું છે અને બીજું કેટલુંક તેમણે પોતાના પુસ્તકમાં પણ લખ્યું છે. આ પુસ્તક છે : ‘એવરેસ્ટ : ધ ફર્સ્ટ ઇન્ડિયન એસ્કેન્ટ ફ્રોમ નોર્થ’. તે દિવસનો ઉલ્લેખ કરતા સિંઘ કહે છે કે, ‘મુશ્કેલી 10 મેના રોજ સવારે શરૂ થઈ, જ્યારે ખૂબ ઝડપી પવન ફૂંકાવાનો શરૂ થયો અને તેઓ વધુ સમય સુધી ઊંઘતા રહ્યા. તેમણે યોજના અનુસાર સવારે 3:30 વાગ્યાના બદલે મોડા સવારે 8: 00 વાગે કેમ્પથી આરોહણ શરૂ કર્યું. મોડું થયું હતું એટલે તેમણે શિખર તરફ જવાના બદલે પર્વતના ઉપર દોરડાં બાંધવાનું કામ શરૂ કર્યું. તેમણે આવું કરવાનું કારણ જો તેઓ શિખર પર જતાં તો તેમણે અંધારુ થયા બાદ ‘ડેથ ઝોન’થી નીચે ઉતરવું પડત. આ ‘ડેથ ઝોન’ એવો વિસ્તાર છે જ્યાં ઓક્સિજન ખૂબ ઓછો હોય છે અને ચઢાણના કારણે મહદંશે પર્વતારોહી અહીંયા મોતને ભેટે છે. બપોરે 2:30 વાગ્યા સુધીમાં આ ટીમે ખાસ્સા ઉપર પહોંચી ગયા હતા અને તેઓ સારી રીતે આગળ વધી રહ્યા હતા. પરંતુ તે પછી હવાએ ફરી ગતિ પકડી. વાતાવરણ જોઈને એક અન્ય સાથી હરભજન સિંઘ [મોહિન્દર સિંઘ કમાન્ડન્ટ હતા અને હરભજન સિંઘ ડેપ્યૂટી ટીમ લિડર હતા] એવા સ્પષ્ટ નિર્દેશ આપ્યા કે વધુમાં વધુ 3: 00 વાગ્યા સુધી કેમ્પ પર પાછા ફરી જશો. જો કે આ સમયે હરભજન સિંઘ તે ત્રણેય સભ્યોથી ખાસ્સા પાછળ રહી ગયા હતા. એવી શક્યતા છે કે તેમણે હરભજનસિંઘની સૂચનાની અવગણના કરી હોય અથવા તો તેમને સૂચના સંભળાઈ જ ન હોય. તેઓને આગળ વધતા જોઈને હરભજન સિંઘ કેમ્પ પર પાછા ફર્યા. તેમની પાસે કેમ્પ પર પાછા ફરવા સિવાય બીજો કોઈ વિકલ્પ નહોતો.’

હરભજન સિંઘ જ્યારે બેઝ કેમ્પ પર આવી ગયા હતા ત્યારે તેમને ત્રણ વાગ્યાના સુમારે વોકી ટોકી પર એક સંદેશ સુબેદાર સેવાંગ સ્માનલાનો મળે છે. તે કહે છે કે અમે શિખર તરફ આગળ વધી રહ્યા છે. ત્યારે સિંઘ નિરાશાથી કહે છે કે પાછા ફરો. વાતાવરણ ખૂબ ખરાબ છે. જો કે સ્માનલા જરા ય હતોત્સાહ ન થયા અને તેમણે કહ્યું કે શિખરથી અમે એકાદ કલાકના જ અંતરે છીએ અને અમે ત્રણેય સ્વસ્થ છીએ. ત્યારે હરભજન સિંઘે ફરી ચેતવ્યા કે, વધુ પડતો આત્મવિશ્વાસ ન દાખવો. તમને વિનંતી છે કે નીચે આવી જાઓ. સૂર્ય અસ્ત થવા જઈ રહ્યો છે. સ્માનલા ફોન હેડ કોન્સ્ટેબલ સેવાંગ પાલજોરને આપ્યો. પાલજોરે કહ્યું કે, ‘પ્લીઝ, અમને ઉપર જવાની મંજૂરી આપો. તેના અવાજમાં ઉત્સાહ દેખાતો હતો. પરંતુ તે પછી તેમનો રેડિયો અચાનક બંધ થઈ ગયો. તે પછી સાડા પાંચ સુધી હરભજન સિંઘને તેમના ટીમના સભ્યોનો કોઈ અવાજ ન સંભળાયો. તે પછી તેઓ ત્રણેય શિખર પર પહોંચી ચૂક્યા છે તે ખબર આવ્યા અને બેઝ કેમ્પ પર ઉત્સાહનું વાતાવરણ છવાયું. જો કે સિંઘે તેમને ઝડપથી પાછા ફરવા જણાવ્યું.’ તે પછી સુબેદાર સેવાંગ સ્માનલા, બીજા લાન્સ નાયક દોર્જે મોરપ અને ત્રીજા હેડ કોન્સ્ટેબલ સેવાંગ પાલજોર ક્યારે ય બેઝ કેમ્પ પર પાછા ન ફર્યા. અને આખરે તેમને પહેલાં ‘મિસિંગ’ દાખવવામાં આવ્યા અને પછીથી તેમનું મૃત્યુ થયું છે તે માની લેવામાં આવ્યું. જો કે આ ત્રણેયના મૃત્યુ પછી જે મૃતદેહ ‘ગ્રીન બુટ્સ’થી ઓળખાતો હતો; તેમાં ઓળખ સેવાંગ પાલજોરની આપવામાં આવતી હતી. પરંતુ હાલમાં એક ટેકનિકલ ટીમ જઈને તે મૃતદેહના સેમ્પલ લઈ આવી અને તેના ડિ.એન.એ.થી સાબિત થયું કે આ મૃતદેહ હેડ કોન્સ્ટેબલ સેવાંગ પાલજોરનો નહીં; બલકે લાન્સ નાયક દોર્જે મોરપનો છે. હવે આ મૃતદેહ એવરેસ્ટથી નીચે લાવવા માટે ‘ઇન્ડો તિબેટિયન બોર્ડર પોલીસ એક્સ્પેક્ડિશન’ દ્વારા એક ઓપરેશન આરંભાયું છે અને તે માટે પ્રોફેશનલ ટીમને તે કામ સોંપવામાં આવ્યું છે. જો લાન્સ નાયક દોર્જે મોરપનો મૃતદેહ નીચે લાવવામાં સફળ થશે તો તેમના પરિવારની વર્ષોની આશ પૂર્ણ થશે.
e.mail : kirankapure@gmail.com
![]()

