Opinion Magazine
Opinion Magazine
Number of visits: 9299670
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

‘દર્શક’ સાથેનાં સંસ્મરણો – ૧

રતિભાઈ પંડ્યા|Profile|2 September 2014

મનુભાઈ પંચોળી એટલે ‘દર્શક’ અને ‘દર્શક’ એટલે ? બતાવનાર – જોનાર અથવા તો દર્શન કરાવનાર એવો સાદો અર્થ થઈ શકે. ઇતિહાસના ઊંડા અભ્યાસ પરથી, વર્તમાનના અનુભવમાંથી અને ભવિષ્યના દીર્ઘદૃષ્ટિવાળા ચિંતનમાંથી જગતને અને માનવ-જીવનને કંઈક આપી જવાની ખેવના અને ભાવનાવાળો માણસ એટલે મનુભાઈ રાજારામ પંચોળી. ટૂંકમાં, દર્શક.

‘દર્શક’નું નામ મારા શાળાકાળ એટલે કે ઇ.સ. ૧૯૫૦થી સાંભળવા મળેલું, તેઓ ગુજરાતી ભાષાના લેખક છે, એટલી જ ખબર, પરંતુ તેમને ૧૯૬૧ના ઑક્ટોબર માસમાં સણોસરા (જિ. ભાવનગર) મુકામે લોકભારતી ગ્રામવિદ્યાપીઠમાં પ્રથમ વાર રૂબરૂ મળવાનું બન્યું. તસવીરમાં જોયેલા વિજ્ઞાની આલ્બર્ટ આઇન્સ્ટાઇનને મળતા ચહેરા અને વાળવાળા મનુભાઈના પ્રથમ દર્શન થયા. વ્યક્તિત્વ પ્રભાવશાળી લાગ્યું. તે વખતે હું આણંદ એગ્રિકલ્ચર કૉલેજ સંચાલિત સાણંદ નજીકના છારોડી કેટલ બ્રીડિંગ ફાર્મ(ગૌશાળા)માં કામ કરતો હતો. હાલમાં તે જગ્યા અને જમીન પર તાતા કંપની ‘નેનો’ કાર બનાવવાનું કામ કરે છે !

કૌટુંબિક કારણોસર આ ફાયદાવાળી કાયમી નોકરી છોડી અન્યત્ર જોડાવાની વિચારણા મનમાં ચાલતી હતી. તે વખતે જાણવા મળ્યું કે ભાવનગર નજીકની લોકભારતી ગ્રામવિદ્યાપીઠમાં ડેરી-પશુપાલનના અધ્યાપકની જગ્યા ખાલી પડી છે. સણોસરાની રૂરલ ઇન્સ્ટિટ્યૂટના તે વખતના આચાર્યે રતિભાઈ અંધારિયાના આમંત્રણથી લોકભારતી જવાનું બન્યું. ત્યાં તેમણે મને મનુભાઈ પંચોળી અને નાનાભાઈ ભટ્ટનો પરિચય કરાવ્યો. વાતચીત અને વાતાવરણથી વ્યક્તિઓ અને સ્થળ ગમી ગયાં નાનાભાઈ ભટ્ટ તે વખતે માંદગીની પથારીએ હતા. મનુભાઈ સંસ્થાના નિયામક અને મૅનેજિંગ ટ્રસ્ટી હતા. રતિભાઈ અંધારિયાએ બંને મહાનુભવોને મારો પરિચય આપી દીધો, તેથી ખાસ વાતચીત થઈ શકી નહીં. પરંતુ નાનાભાઈ ભટ્ટે પથારીમાં પડ્યા-પડ્યા એટલું કહ્યાનું યાદ છે કે ‘તમે તો આણંદની મોટી ખેતીવાડી સંસ્થામાં ભણ્યા છો, અને હાલ પણ ભણાવો છો, એટલે મોટા વૈજ્ઞાનિક કહેવાવ. અમારી લોકભારતી સંસ્થા તો ગામડાની નાનકડી સંસ્થા છે, પરંતુ અમારે વિજ્ઞાનીનો દીવો ગામડાંના ગરીબ લોકનાં ઝૂંપડાં સુધી લઈ જવો છે. તમને તેમાં રસ હોય, તો જોડાવાનું વિચારજો. વહીવટ અને નિર્ણયો તો મનુભાઈ-મૂળશંકરભાઈ-બૂચભાઈ-રતિભાઈ વગેરે મિત્રો કરે છે.’ મને આ ઋષિવાક્ય સ્પર્શી ગયું.

મનુભાઈએ પૂછેલું કે તમને ગામડાનું અને ગામડામાં કામ કરવાનું ગમે ? મેં તરત જ હા પાડી અને કહ્યું કે કિશોર-અવસ્થામાં ર.વ. દેસાઈની નવલકથા ‘ગ્રામલક્ષ્મી’ વાંચીને ખેતીવાડી કૉલેજમાં ભણીને વાર્તાના નાયક માફક ગામડામાં રહીને કામ કરવાનો નિર્ણય કર્યો છે. મનુભાઈનો બીજો પ્રશ્ન એ હતો કે ‘ગાયને ઇન્જેક્શન આપતા આવડે છે?’ મેં હા કહી ઉમેર્યું કે, ‘હાલ છારોડી કૅટલ ફાર્મ પર જ્યાં કામ કરું છું, ત્યાં ૫૦૦ પશુ તથા ૨૫ જેટલા કુટુંબ-પરિવારો માટે ઇન્જેક્શન અને દવા-દારૂનું કામ મારે જ કરવાનું હોય છે. વળી, એકાદ માસ પહેલાં સાણંદમાં સર્કસ આવેલું, તેમાં બીમાર પડેલા સિંહને પણ ઇન્જેક્શન આપવાનું બનેલું !’ મારી વાત સાંભળી મનુભાઈ, રતિભાઈ અને બચુભાઈ હસી પડેલા. મનુભાઈએ સૂચવ્યું, તમારો બાયોડેટા ઉપનિયામક બચુભાઈને આપતા જજો. ટૂંક સમયમાં જ મને ન.પ્ર. બૂચ તરફથી લોકભારતીમાં જોડાવા અંગેનો પત્ર મળ્યો. તેને ઍપોઇન્ટમૅન્ટ ઑર્ડર (નિમણૂકપત્ર) નહીં, પરંતુ ઇન્વિટેશન-કાર્ડ (આમંત્રણ-પત્રિકા) કહી શકાય તેવું આ મુજબ લખાણ હતું. ‘તમે અહીં જોડાશો તો અમને સૌને ગમશે. અમારે અહીં એક રતિભાઈ (અંધારિયા) તો છે, તમે જોડાશો તો બે રતિભાઈ થશે. ‘એકથી ભલા બે’ની કહેવત સાર્થક થશે.’

લોકભારતીમાં ૧૯૬૨ ફેબ્રુઆરીથી ૧૯૯૭ના એપ્રિલ સુધી અધ્યાપક અને ગૌશાળાના મૅનેજર તરીકે કામ કરવાની તક મળી, તેને હું અને મારો સમગ્ર પરિવાર આનંદ અને ગૌરવનો અવસર ગણીએ છીએ. મનુભાઈ સાથે દીર્ઘકાળ સુધી રહેવાનું અને કામ કરવાનું મળ્યું, તેથી આનંદ અને આદરની લાગણી કાયમ મનમાં રહી છે. સંસ્થામાં જોડાયો, તેના આગળના વર્ષ ૧૯૬૧-૬૨માં ગૌશાળામાં દસ હજાર રૂપિયાની ખોટ ગયેલી, જે અત્યારના ૨૦૧૩-૧૪ના વર્ષની ગણતરીએ લગભગ લાખ રૂપિયાની ખોટ ગણી શકાય. આથી મનુભાઈ અને ટ્રસ્ટીમંડળ ચિંતામાં હતું. ગૌશાળાનો ચાર્જ સોંપતી વખતે મનુભાઈએ કહેલું કે ‘ગૌશાળા એ સંસ્થા માટે ભાણેજ ખાતું (ખર્ચખાતું) છે. તમે આ વિષયના અનુભવી અને અભ્યાસી છો, તો તેમાં આર્થિક રીતે ખોટ ન આવે તેવી રીતે તેનું સંચાલન કરજો, જેથી ગૌશાળા માટે દાન મેળવવા શ્રીમંતોની દાઢીમાં હાથ નાખવા ન જવું પડે. વળી, આપણે સામેથી દાન માગવા જઈએ, તો આપણું તેજ ઘટે.’ મને આ વાત અને વિચાર બરાબર સમજાઈ ગયો. તેથી મેં આત્મવિશ્વાસપૂર્વક કહ્યું કે, ખોટ ન આવે અને કાર્ય કરી અને વિદ્યાર્થીઓની મદદથી સરભરના પાયા પર સંચાલન કરીશું. ગૌશાળાને ભાણેજમાંથી ભત્રીજો બનાવવાની કોશિશ કરીશું, જેથી તેમાં થોડી બચત રહે. જે દુકાળ કે અછતનાં વર્ષોમાં કામ આવે. પછીનાં વર્ષોમાં વાર્ષિક દસ-વીસ હજારની રૂપિયાની બચત પણ થઈ શકી હતી. ગૌશાળાના વહીવટ-વ્યવહારોમાં મૅનેજિંગ ટ્રસ્ટી ‘દર્શક’ અને નિયામક કુમુદભાઈ ઠાકરે અમારા પર પૂરો વિશ્વાસ રાખી કામ કરવાની સ્વતંત્રતા આપી. તેઓ ગૌશાળાની સફળતાના સાથીદાર બન્યા.

૧૯૬૨માં લોકભારતીમાં જોડાયા પછીના બીજા જ મહિને મનુભાઈએ મને રૂબરૂ બોલાવી એક મોજણી કરવાનું કામ સોંપ્યું. લોકભારતી આસપાસનાં ગામડાંમાં પશુપાલનની દૃષ્ટિએ વિકાસ કરવા શું-શું કરવા જેવું છે, તેનો અહેવાલ પણ બે માસમાં આપવા સૂચવ્યું. વિદ્યાવિસ્તારના ભાગ રૂપે રતિભાઈ અંધારિયા નિયમિત રીતે આસપાસનાં ગામોમાં જતા, તેની સાથે હું જોડાઈ ગયો અને દસેક ગામોનો અભ્યાસ કર્યો. બે માસના સઘન અભ્યાસ પછીથી મનુભાઈએ અહેવાલ આપતાં કહ્યું કે, ગામડામાં જે દૂધ પેદા થાય છે, તેના નિકાલની કે વાજબી ભાવે વેચાણવ્યવસ્થા નથી, આથી લોકોને આ ધંધામાં ખાસ રસ નથી. ગાયના દૂધમાં ચાર ટકા ફેટ અને ભેંસના દૂધમાં સાત ટકા ફેટ હોય છે. ગાયના દૂધમાંથી ઘી બનાવવું લોકોને પોસાતું નથી, આથી લોકોને ગોપાલનમાં ખાસ રસ નથી, દૂધના દલાલો ગામડામાંથી ગાયનું ૨૦ લિટર દૂધના છથી આઠ રૂપિયા અને ભેંસના દૂધના આઠ થી ૧૦ રૂપિયા ચૂકવી લઈ જાય છે. દૂધ ઉત્પાદકોને નિયમિત અને પૂરાં નાણાં ચૂકવતાં નથી. દૂધના દલાલો ગામડાંનું દૂધ શિહોરના પેંડાવાળાને અને ભાવનગરના વેપારીઓને વેચે છે, અને બમણા ભાવ મેળવે છે. જો અમૂલ ડેરીની માફક સહકારી ધોરણે દૂધ-મંડળીઓની રચના કરી દૂધની વેચાણવ્યવસ્થા વાજબી ભાવે ગોઠવાય, તો ઉત્પાદકોને રસ પડે અને પશુપાલનના ધંધાનો વિકાસ થાય. મારી વાત સાંભળી મનુભાઈ તે વખતે ગુસ્સે થઈ કહે, ‘ગામડાંમાંથી દૂધનું વેચાણ કરવાથી લોકોને દૂધ-ઘી-માખણ-છાશ જેવો ખોરાક મળતો બંધ થાય અથવા ઓછો થાય. આમ, ગાય મારીને કૂતરાં ધરવવાનું કામ થાય !’ મનુભાઈની આ વાત મને ગળે ન ઊતરી. તેથી મારા આ વિચારને કોલ્ડ-સ્ટોરેજમાં સાચવવા મૂકી રાખ્યો અને કોઈ દલીલો પણ ન કરી.

પાંચેક વર્ષ પછી ૧૯૬૭માં એક વહેલી સવારે મનુભાઈ ફરતાં ફરતાં મારે ઘેર આવીને કહે, ‘પંડ્યાભાઈ, ગામડાંમાં પેદા થતા વધારાના દૂધની સહકારી ધોરણે બજારવ્યવસ્થા કરી ઉત્પાદકોને વાજબી અને વધુ ભાવો મળી રહે, તે માટે કાંઈક કરવું જોઈએ. મેં વિદેશોમાં તેમ જ આપણે ત્યાં આણંદ-મહેસાણામાં ડેરીઉદ્યોગ દ્વારા ગામડાંનો આર્થિક વિકાસ થતો જોયો છે તેમ જ ડૉ. કુરિયન, અમૂલના ચૅરમેન ત્રિભુવનદાસ પટેલ, મહેસાણા ડેરી અને ગામડાંની દૂધ સહકારી મંડળીઓ જોઈ અનેક લોકોને મળ્યો છું. ગામડાંમાં પેદા થતા દૂધની વેચાણવ્યવસ્થા પડતર ભાવે થવી જોઈએ, જેથી પશુપાલનનો વિકાસ થાય અને દૂધનું ઉત્પાદન વધે. મેં કહ્યું, આ વાત મેં પાંચેક વર્ષ પહેલાં તમને કહેલી, તે વખતે તમને ગળે ઊતરી ન હતી. હવે તમને સમજાયું, તેનો આનંદ છે, બે-ત્રણ ગામોમાંથી દૂધ એકઠું કરી નજીકમાં આવેલા અમરગઢની હૉસ્પિટલને તથા ભાવનગર તખ્તસિંહના હજારેક દર્દીઓને ચોખ્ખું દૂધ વ્યાજબી ભાવે પૂરું પાડવાની યોજના થઈ અને દૂધ-ઉત્પાદકોને પણ વાજબી ભાવો મળ્યા.

‘દર્શક’ પોતાની જૂની માન્યતાઓને તિલાંજલિ આપી, નવો વિચાર સ્વીકારી તેનો અમલ કરતા. તે ખરા અર્થમાં ‘દર્શક’ હતા, તેમ તેમની સાથેના સુદીર્ઘ સહવાસથી કહી શકાય.

(સૌજન્ય : "નિરીક્ષક", 01 સપ્ટેમ્બર 2014; પૃ. 13-14) 

[ફોટાઓ નીતાબહેન પંડ્યાના ફેઇસબુક પાન પરેથી]

Loading

‘અમે બહુ સમૃદ્ધ રહેતાં’ ઃ હંસાબહેન પટેલ

કેતન રૂપેરા|Opinion - Opinion|2 September 2014

‘આવો પુસ્તકવિક્રેતા કદી જોયો નથી’ એવો અનુભવ ઘણા અપરિચિત લોકોને ય નાનક મેઘાણી (૧૯૩૧-૨૦૧૪) માટે થયો હશે. ‘અમારા કામનાં પુસ્તકો શા માટે આટલી બધી ચીવટ રાખીને નાનકભાઈ સાચવી રાખતા હશે?’ એવો પ્રશ્ન પણ ઘણા પરિચિત લોકોને ય નાનકભાઈ માટે થયો હશે. ‘આ માણસ  આટલા બધા દિવસો ઉધાર કેવી રીતે રાખી શકે છે !’ એવી ચિંતા ઘણા વાચકોને તેમના માટે જન્મી હશે. પણ આ લાગણી, આ અનુભવ, આ ચિંતાના મૂળમાં શું હતું? પુસ્તકો અને વાચકો માટેનો પ્રેમ તો ખરાં જ. પણ જીવનના પાંચ દાયકા સુધી સતત પેઢી દર પેઢીનો વાચનરસ સંતોષનારા એ જ્ઞાનપ્રસારકના વ્યક્તિત્વમાં એ સિવાય પણ કશુંક હોવું જોઈએ. ગ્રંથાગાર માટે અઢી દાયકાથીયે વધુ સમય રહી, સૌને સસ્મિત આવકાર આપનાર અને કોઈ પણ પુસ્તક શોધી આપવામાં હંમેશાં હકાર ધરનાર હંસાબહેન સાથેનો સંવાદ ‘એ કશુંક’ શોધી આપવામાં મદદરૂપ બની શકે એમ છે …

કેતન રૂપેરા : નાનકભાઈ સાથેનો તમારો પરિચય અને ‘ગ્રંથાગાર’માં જોડાણ કેવી રીતે થયાં?

હંસાબહેન પટેલ : હું બી.કોમ. થઈને નવજીવનમાં એકાઉન્ટ વિભાગમાં એપ્રેન્ટીસ હતી. એ પહેલાં મારા પપ્પા નવજીવનમાં હોવાના કારણે બાલુભાઈ પારેખ સાથે મારે સારો એવો પરિચય. અને બાલુભાઈ નિયમિત ‘ગ્રંથાગાર’માં જતા એટલે નાનકભાઈએ એમને કદાચ કહી રાખ્યું હશે કે ‘ગ્રંથાગાર’ના કામ માટે એકાદ વ્યક્તિની જરૂર છે. બાલુભાઈએ નાનકભાઈ સાથે મારી મુલાકાત કરાવી. ૧૯૮૬-૮૭ની એ સાલ હશે. એમણે કહ્યું, ‘આવો, મને ય ખબર નથી કે હું તમને શું સોંપીશ પણ થોડા દિવસ કામ કરો, પછી જોઈએ’. એ વખતે પહેલી વાર મેં એટલા બધાં પુસ્તકો ભરેલાં ભરચક ઘોડા જોયેલાં ! પુસ્તકોની યાદી બનાવવાથી કામ શરૂ કર્યું. આજ-કાલ કરતાં ૨૬-૨૭ વર્ષ વીતી ગયાં પણ મેં કદી વિચારેલું નહોતું કે આટલાં વર્ષો હું કામ કરીશ. મને એમ કે એકાઉન્ટના ચોપડા કે એવું કંઈક લખીશ. આમ પણ મને એવું પડદા પાછળનું કામ જ ગમે.

સ. : એ કામ કરતાં કરતાં કોઈ વિશેષ સંવાદો થતા એવું ખરું?

જ. ઃ શરૂઆતમાં તો મારે એવો કોઈ સંવાદ ન થાય. એવી કક્ષા પણ ન હોય આપણી. બધું કામ આપણાં માટે નવું હોય. બધું જોયા કરીએ. એટલે હું બધાને સાંભળું એ જ મારું કામ હતું. અને મને એ બહુ ગમે. કારણ કે ‘ઘણું વાંચનારા’ લોકો એમની પાસે આવીને બેસતા. વળી નાનકભાઈની કોઈ કૅબિન નહીં. હું બેઠી હોઉં એમ જ એ બેઠા હોય. એટલે કોઈએ પણ જે પણ વાત કરવાની થાય એ બધા વચ્ચે જ કરવાની થાય. એટલે કામ કરતાં કરતાં બધું કાને પડે. અને નાનકભાઈને એવું કે કામ કરતાં હોઈએ ને કોઈ આવે તો કહે, ‘હવે આ બધું મૂકી દો. કરશું પછી’ ને વાતોએ વળગી જાય. ઘણી વાર એ કહેતા કે આપણું મુખ્ય કામ લોકોને મળવાનું છે. કોઈ નહીં હોય ત્યારે શાંતિથી બાકીનું કામ કરીશું.

સ. : પછી એ કામને પહોંચી વળવાનું કેવી રીતે ગોઠવાતું ?

જ. ઃ મારે તો એવું કે જે સમય નક્કી થયેલો હોય એ ટાઇમે આવતી ને જતી. ૧૧ઃ૦૦થી પઃ૦૦નો ટાઇમ. પણ નાનકભાઈની સવાર વહેલી પડે એટલે એ વહેલા ઊઠીને કે મોડે સુધી કામ કરતા. ઘણી વાર એવું બનતું કે એ બીજા કોઈ કામે ગયા હોય તો ૧૧ વાગ્યે નયે આવ્યા હોય. મને થાય કે મને કશું કામ તો સોંપ્યું નથી અને એ આવશે પછી મોડે સુધી કામ કરવું પડશે ! પાછું નાનકભાઈને ય દરેક વખતે એવું યાદ ન આવે કે આમનો સમય થઈ ગયો એટલે જવાનું કહું. પછી અચાનક ધ્યાન જાય એટલે કહે કે, તમારો સમય થઈ ગયો, તમે જાવ. મને શરૂઆતમાં એવું લાગે કે આમને ખ્યાલ જ નથી આવતો કે મારો સમય થઈ ગયો છે. એક તો પોતે ૧૨ વાગ્યે આવે છે ને પછી મારી જોડે મોડે સુધી કામ કરાવે છે ! પણ એમાં એમનો આશય એવો ન હોય. એ રાજકોટ રહીને આવેલા એટલે સવારે વહેલા કામ કરે, બપોરે આરામ ને પછી ચાર વાગ્યાથી ફરી કામ શરૂ. એ આપણને અમદાવાદવાળાને જચે નહીં, પણ ધીરેધીરે હું એમની જોડે ટેવાતી ગઈ ને તેઓ પણ ધીરેધીરે અમદાવાદના સમય પ્રમાણે ગોઠવાઈ ગયા. પણ શરૂઆતનાં વર્ષો સુધી કદાચ એવા કોઈ સંવાદો ના થાય એટલે હું પુસ્તકો પર નજર ફેરવું પણ પુસ્તકો તો એવા અઘરાં અઘરાં રાખતા કે નવરાશના સમયમાં મારી ચાંચ એમાં ડૂબે તો હું વાંચું ને. કોઈ નાનકભાઈને મળવા આવે તો તેમની સાથે વાતે ય ન કરી શકું, એટલે શરૂઆતનાં ત્રણ-ચાર વર્ષ તો એમ કોરાં જ ગયાં હશે.

પછી જેમ જેમ ખબર પડે તેમ તેમ સંવાદ થાય. નાનકભાઈના વ્યક્તિત્વનો અને પુસ્તકો લઈ જનારનો પણ પરિચય થાય. ‘નાનકભાઈ, આ પુસ્તક લઈ જઉં છું.’ કોઈ વાચક એમ કહીને એક ઝલક બતાવી દે, પણ નાનકભાઈએ પુસ્તક બરાબર જોયું પણ ન હોય. ધીરે ધીરે એ બધું હું યાદ રાખતી થઈ ગઈ.  ક્યારેક એ પૂછે ત્યારે કહું કે એ પુસ્તક કોણ લઈ ગયું છે. જેમ જેમ વર્ષો વીતવાં લાગ્યાં એમ ધીરે ધીરે બધી ખબર પડતી ગઈ. પછી તો જે કામ નાનકભાઈ કરે એ હુંય કરું. એટલે સમજણવાળું નહીં, પણ ખાનાંમાં પુસ્તકો ગોઠવવાનું. મારા ધ્યાનમાં એવું આવે કે નાનકભાઈએ આ ધ્યાન રાખવું જોઈએ તો પછી એ ધ્યાન હું રાખવા માંડું. અને પછી એ ય મને સોંપતા ગયા કે આ નોંધ તમે રાખી છે તો હવે તમે ચાલુ રાખજો.

સ. : પણ એમ કરતાં કરતાં જ પછી એક સમય એવો આવ્યો કે ‘ગ્રંથાગાર’માં આપ એવા ગોઠવાઈ ગયાં કે ક્યારેક નાનકભાઈ ન હોય તો એમની ખોટ વાચકો-ગ્રાહકો-મુલાકાતીઓને ન સાલતી. એક રીતે કહીએ તો તમે તેમના પૂરક બની શક્યાં.

જ. ઃ હા, એમ થઈ શક્યું. તે એવી રીતે કે પુસ્તકોની પસંદગી અને જેને જે પુસ્તક ગમે તેને એ પહોંચાડવામાં નાનકભાઈ એટલા બધા રચ્યાપચ્યા રહે કે એકાઉન્ટની બાબત પર જરા ય ધ્યાન ન આપે. બધું મારા પર છોડે. પણ સમયાંતરે હિસાબ કરવાનો થાય, પ્રકાશકોને રૂપિયા ચુકવવાના થાય એટલે પાછા થોડુંક એ દિશામાં વિચારે. કોઈની પાસે ઉઘરાણી કરવાનું થાય તો ય પાછું એવું નહીં કે બીજી વખતના વ્યવહારમાં સજાગ બની જાય. એ થોડાક અરસા પૂરતું જ હોય ફરી પાછું એમનું ધ્યાન પુસ્તકો ખરીદવામાં અને તેને વાચકો સુધી પહોંચાડવામાં. એ એમની રીતે જ વર્તે. એટલે એમનું બધું ધ્યાન સારાં પુસ્તકો લાવવામાં. એના માટે પોતાની શક્તિના સો ટકા ખર્ચી નાખે. અને એ પુસ્તક મુલાકાતીઓને ગમ્યું એટલે પૂરું. એમને સંતોષ થઈ જાય. મારે હંમેશાં એમની જોડે સંવાદ થાય કે આપણાં પુસ્તકો વેચાવાં જોઈએ કાં પાછાં જવાં જોઈએ, પડ્યાં ન રહેવાં જોઈએ. આમ તો નુકસાન થાય. ક્યાં પુસ્તકો ક્યાં ફરે છે તેની નોંધ તો હોવી જોઈએ ને.

સ. : એટલે લિટરલી નોંધ ના થાય તે ના જ થાય ?

જ. ઃ ખરેખર ના થાય.

સ. : આ રીત જોખમી હોવા અંગેની તમારે વાતચીત થતી?

જ. ઃ હા થતી, પણ એ એવું જ માનતા કે જે લઈ જાય છે એ નોંધ રાખે છે.

સ. : પણ પુસ્તક નહીં આવવાના કે ખૂબ મોડા આવવાના અનુભવો થતા હશે ને.

જ. ઃ થાય ને, પણ એવા અનુભવ થયા પછી થોડોક સમય જ યાદ રાખવાનું કે નોંધવાનું થાય, પછી એ તો એમની રીતમાં જ આવી જાય. એમને એવું યાદ પણ ન રહે કે આ વ્યક્તિ જોડે પુસ્તક ખોવાઈ જવાનો કે સમયમર્યાદા કરતાં મોડું આવ્યાનો અનુભવ થયો છે. મારા આવ્યા પછી ધીરે ધીરે હું એ નોંધ રાખતી થઈ. ક્યારેક કોઈક પુસ્તકની ઘેડ ન બેસે એટલે એની યાદી પરથી ખ્યાલ આવે કે તે કોની પાસે છે. પણ સામે પક્ષે અધ્યાપકો ય એવા જ હોય. એમણે કંઈ ચાહીને પુસ્તક પોતાની પાસે ન રાખી મૂક્યું હોય. એ ય ભૂલી ગયા હોય. પછી એમના ત્યાં અમારો માણસ પુસ્તક શોધવા જાય. પાછું એ અધ્યાપકોને ખરાબ ન લાગે કે મારા કબાટમાં આવીને કોઈ પુસ્તકો ફંફોસે છે ! ઘરના સંબંધ બંધાઈ ગયા હોય. બંને પક્ષે એટલું સહજ હોય આ બધું … ઘણી વાર તો એવું બને કે એ અધ્યાપક પાસે કોઈ વિદ્યાર્થી એમ. ફિલ. કે પીએચ.ડી. કરતા હોય તો એના ત્યાં પુસ્તક પહોંચી ગયું હોય. ઘણી વાર તો ત્યાંથીયે આગળ જતું રહ્યું હોય. યુનિવર્સિટીની લાઇબ્રેરી માટે આવું ઘણી વાર બનતું. પોતાના વિષયનાં પુસ્તકો અધ્યાપકે લાઇબ્રેરી માટે સૂચવવાના હોય. એ કહે એટલાં પુસ્તકો મોકલી આપીએ. લગભગ એંશી-નેવુંના દાયકાની વાત કરીએ તો ત્યારે એવું કે જેટલાં પુસ્તકો જોવાં માટે જાય એમાંનાં મોટા ભાગનાનો ઓર્ડર આવે જ. એટલે અમે ય મોકલવામાં નિશ્ચિંત હોઈએ. પછી કેટલાંક પુસ્તકો માટે જ્યારે લાઇબ્રેરીનો ઓર્ડર ન આવે ને અમારે પાછાં લેવાનાં થાય ત્યારે પુસ્તકો હાથ ન લાગે. જો કે એનું જૅકેટ કાઢી રાખવાની નાનકભાઈની ટેવ ખરી એટલે છેવટે પુસ્તકોની તો ખબર રહેતી કે આ પુસ્તક ખૂટે છે. પણ આવા કિસ્સા અવારનવાર બનતા.

સ. : ગજબ. જાણે પુસ્તકોની કોઈક અલગ જ દુનિયા હોય !

જ. ઃ હા, કેમ કે નાનકભાઈ એવું માનતા કે મોંઘાં પુસ્તકો કંઈ બધા વ્યક્તિગત થોડા ખરીદે, એ તો લાઇબ્રેરીએ જ ખરીદવાનાં હોય ને. અધ્યાપકની એ પુસ્તક રાખી લેવાની દાનત નથી ને, એટલું પૂરતું છે. ‘ટેકનિકલી ભલે ભૂલી ગયા છે પણ મૉરલી તો સાચા છે ને’, એ રીતે કાયમ તેમનો બચાવ કરે. પછી મારે કહેવાનું થતું કે ‘ટેકનિકલી કે મૉરલી, છેવટે રીઝલ્ટ તો એ જ આવે ને કે ‘ગ્રંથાગાર’ને પુસ્તકની ખોટ પડે છે’. જો કે આવા સંવાદો ય મારે આઠ-દસ વર્ષો પછી શરૂ થયા.

સ. : આવું ઘણી બધી વાર થાય તો પછી સ્ટોલ કેવી રીતે ચાલતો?

જ. ઃ એનું કારણ એ કે નાનકભાઈ મહેનત ખૂબ કરતા. એટલી બધી મહેનત કરે કે આપણને નવાઈ લાગે. એક તો માણસો વધારે રાખે નહીં. પુસ્તકોનાં પાર્સલ લાવવાનાં થાય તો રિક્સામાં, સાઇકલ પર, બસમાં કે થોડુંક ઓછું વજન હોય તો ઊંચકીને ય લાવે. સફાઈ જાતે કરે. એટલે આ બધા ખર્ચા ન થાય. કહે કે મારી જોડે સમય છે તો પછી રિક્સામાં આવવા-જવાની ક્યાં જરૂર છે ? બસ, આવી રીતે જ ક્યાંક ને ક્યાંક બચત કરતા રહે. કરકસર ખૂબ કરે, એટલે પુસ્તકોનાં વેચાણથી ભલે સમૃદ્ધ ન થવાય પણ તો ય તમારું ગાડું ગબડી જાય. બીજું કે એમના ખર્ચા બહુ ઓછા. દિલ્હી જાય તો સેકન્ડ ક્લાસ કે એનાથી જે કંઈ નીચું હોય એમાં ય જાય. અને ત્યાં પણ ગુજરાતી સમાજમાં કે એ પ્રકારની કોઈ સંસ્થામાં જ રહે. કપડાંનો પણ બહુ ખર્ચ નહીં. કપડું ફાટી ગયું હોય તો પછી એને પહેરવાનું મેલી દે એવું નહીં. એને સંધાવે જ. રફ્ફૂ કરાવેલાં કપડાં પણ પહેરે. એ માટેનો એમનો દરજી અલગ રોકેલો હોય. પહેલાં સાઇકલ ચલાવતા તો ઢીંચણે પેન્ટ વધારે ફાટે તો રફ્ફૂ કરાવીને પહેરતા. પછી અમે કહીએ કે નાનકભાઈ, હવે તો એક બાજુ વજન વધી ગયું. એ પછીયે પહેરવું હોય તો પહેરે જ. અને હા, મસ્તાનભાઈ કુવૈતથી આવે ત્યારે એ આર્થિક મદદ કરતા. એના કારણે પણ આ તંત્ર સહજતાથી ચાલતું રહેતું.

સ. : નાનકભાઈ કહે કે, આપણું મુખ્ય કામ લોકોને મળવાનું છે. એટલે મદદનીશ તરીકે તમે એમાં ઉત્સાહથી જોડાવ પણ વ્યક્તિગત રીતે તમારું મુખ્ય કામ તો એકાઉન્ટ સંભાળવાનું ને …

જ. ઃ એ થોડાં વર્ષો પછી. શરૂઆતમાં તો એકાઉન્ટ જેવું કશું હતું જ નહીં. કેમ કે હિસાબ રાખવા જેવો થાય એવો મોટો લે-વેચનો વ્યવહાર પણ નહીં. પ્રકાશકો ઉઘરાણી કરે તો એ સાચી માની લેવાની. આપણે કોઈ યુનિવર્સિટી કે સંસ્થાને પુસ્તકો વેચ્યાં હોય એની યાદી નાનકભાઈ રાખે. એ મુજબ ઉઘરાણી કરવાની આવે પણ વ્યક્તિગત વેચાણમાં તો સામેવાળા યાદ કરીને આપે તો અને ત્યારે જ ઉઘરાણી લેવાની થાય, નહીં તો મહિનાઓ વીતી જાય.

સ. : ચંદ્રકાન્ત શેઠ સાથે થોડાક દિવસ પહેલાં જ વાત થઈ હતી. એમણે કહ્યું કે હું તો પુસ્તકો ખરીદ્યા પછી રૂપિયા આપવાનું ભૂલી ગયો, એમ કરતાં કરતાં ત્રણ વર્ષ નીકળી ગયા ને એ પછીયે જ્યારે મેં યાદ કરીને આપ્યા તો ત્યારે ય, જાણે આપણે તેમના પર ઉપકાર કરતા હોઈએ એ રીતે રૂપિયા જમા કરે.

જ. ઃ હા, એવું એમને અનેક લોકો સાથે બનતું. સાંજ પડે અમુક પુસ્તકોનું વેચાણ થાય તો એમને સંતોષ. એવું નહીં કે એમાંથી લાખો રૂપિયા કમાઈએ. લાખો તો વધારે કહેવાય, એંસી-નેવુંના દાયકામાં તો વાત હજારોમાં જ હોય. મોટું ટર્નઓવર કરવું છે, એવું એમના મનમાં નહીં. પોતાનું ઘર ચાલતું હોય, સંતાનની ફી ભરાઈ જતી હોય કે કોઈ પ્રકાશક ઉઘરાણી કરે ત્યારે એ ભરાઈ જતી હોય તો પછી વધારે કમાવા માટેની એમની ઇચ્છા નહીં.

સ. : .. તો સાઇકલ ક્યાં સુધી ચલાવતા?

જ. ઃ લગભગ ૨૦૦૦(ઉંમર ૬૯ વર્ષ)ની સાલ સુધી તો ખરી જ.

સ. : એ પછી સ્કૂટર કે લ્યુના …

જ. : ના, સ્કૂટર તો ચલાવ્યું જ નથી. બસમાં આવતા-જતા. રિક્સામાં પણ ભાગ્યે જ જાય-આવે, રિક્સા કરવી પડે તો જ કરે. એમને એમ થાય કે રિક્સાના ૫૦-૧૦૦ રૂપિયા તો કેવી રીતે અપાય? ક્યારેક બસમાંથીયે અધવચ્ચેથી ઉતરીને ચાલતા જાય-આવે. ગ્રંથાગારમાં આવનાર કોઈએ એમને જોઈ લીધા હોય ને કહે કે તમે ચાલતા જતા હતા ? તો કહે કે હા, થોડુંક ચાલવું હતું એટલે ઊતરી ગયો. પણ અમે ઉંમર કે બીજી કોઈ દલીલથી એમ ન કરવા કહીએ તો અમને કહે કે, મારે ચાલવું તો જોઈએ ને. તમે તો મને અપંગ બનાવી દેશો. એમની પાસે એમની તૈયાર દલીલ હોય જ. ટૂંકમાં, કરકસરના ભાગરૂપે એ બધું જ કરે. કચરો પોતે વાળી નાંખે, કપડાં જાતે ધૂએ, એવું જે કંઈ હોય જાતે કરે.

સ. : એટલે કરકસર એમના જીવનમાં વણાઈ ગઈ હતી એમ કહી શકાય. પણ એમના વ્યક્તિત્વમાં જે નમ્રતા, સાદગી, કરકસર, જાતમહેનત વણાઈ ગયાં હતાં, એની ગાંધીજી કે બીજી કોઈ વ્યક્તિને ટાંકીને ક્યારે ય સૈદ્ધાંતિક ચર્ચા થતી?

જ. ઃ ના કદી નહીં. કોઈ પુસ્તકની વાત થતી હોય, એની સમીક્ષા હોય એમાં વાત આવતી હોય તો આવે, પોતાના જીવન સાથે જોડીને એવી કોઈ ચર્ચા નહીં. આ બધી બાબતોમાં એમનું એવું કે ‘આ તો આમ જ હોય ને.’ અથવા તો કહે કે મને મજા આવે છે. અને ખરેખર બહુ પ્રેમથી બધું કરતા હોય. જ્યારે ગ્રંથાગારમાં રાખેલા કોઈ માણસે કચરો વાળ્યો હોય ને એ બરાબર ન હોય તો એને ટોકે નહીં. બીજા દિવસે પોતે એ સરસ રીતે વાળી નાંખે. અમે સમજી જઈએ, પણ પછી તો કશું કહેવાનો ય અર્થ નહીં, અમે ટેવાઈ ગયા હોઈએ. હા, લખાણમાં ચેકચાક થાય, ખાસ કરીને ટાઇપિંગ કરેલો લેટર બગડે એવામાં ટોકે. એ એમને જરાય ન ગમે.

સ. : એટલે આમ જોવા જઈએ તો ખાસ્સું સરળ અને કદાચ એટલે જ અત્યારની પેઢી માટે અઘરું વ્યક્તિત્વ તો ખરું જ. એમની સાથે આટલાં બધાં વર્ષો રહ્યાં એમાં તમારે મહેનત કરવી પડી હોય …

જ. : … મને એવું બહુ નહોતું લાગ્યું. એનું કારણ કદાચ એ કે મારા પપ્પા ય એવા જ હતા. નાના હોઈએ ત્યારે કોઈ ચીજવસ્તુ લેવા ગયા હોઈએ તો પ્રેમથી દરેક વસ્તુનો હિસાબ લે. એમને ય ચેકચાક થાય એ ગમે નહીં. એટલે મારે માટે સરળ હતું પણ બધાં માટે એ નહોતું બનતું. એમને ત્યાંથી ભાગી જનારા કહે કે નાનકભાઈ તો બહુ ચીકણાં.

સ. : નાનકભાઈ સાથે કામ કરવાના કારણે જેમ ‘ગ્રંથાગાર’ના કાર્ય માટે સજ્જતા વધી એમ જ તમારા વ્યક્તિત્વમાં પણ કેટલુંક પરિવર્તન આવ્યું હશે …

જ. ઃ હા, એવો ઘણો લાભ થયો. આપણે કોઈ પણ વ્યવસાય સાથે જોડાયેલા હોઈએ તો એના ગુણો આપણામાં આવવા જોઈએ એમ નાનકભાઈ કહેતા. જેમ કોલસાના વ્યવસાયમાં હાથ કાળા થાય એમ પુસ્તકોના વ્યવસાયમાં વ્યક્તિત્વ ઊજળું થાય, એવું બને. એ રીતે મારે પુસ્તકોને સ્પર્શવાનું બન્યું હશે એના કારણે જે કંઈ પણ આવ્યું હશે એ ગમ્યું છે. તમે એની કશા સાથે તુલના ન કરી શકો. બસ, મને ખૂબ આનંદ આવ્યો છે. અને છેવટે તો આપણે બધા આનંદ માટે જ જીવીએ છીએ ને.

સ. : પુસ્તકોને લઈને નાનકભાઈની કઈ વાત તમને સૌથી વધુ ગમતી ?

જ. ઃ કોઈ નવું પુસ્તક આવ્યું છે તો આપણી પાસે એ પહેલાં આવી જવું જોઈએ એવું નાનકભાઈને કાયમ રહેતું. પુસ્તક મોડું આવે એ ન ચાલે. દિલ્હી જાય તો કયાં પુસ્તકો આવી રહ્યાં છે, એનું વધારે ધ્યાન રાખે. નવાં પુસ્તકો જુએ ખરાં પણ વધુ રસ forth comingમાં.

સ. : હા, નવાં આવેલાં પુસ્તકોને તો આગળની મુલાકાતના forth comingમાં જ જોઈ જ લીધા હોય ને …

જ. ઃ હા … હા … હા … અને બીજું એ કે તેમાં એમને જાણે થ્રિલિંગ જેવું લાગતું. એ ત્યાં સુધી કે પુસ્તકો સમય મેળવવા માટે પ્રકાશકોની પૉલિસીમાં ય ફેરફાર કરાવતા. દા.ત. ઑક્સફર્ડનું કોઈ પુસ્તક કોઈ ચોક્કસ તારીખે પ્રકાશિત થવાનું હોય તો તેઓ એ દિવસે સપ્લાય કરે. નાનકભાઈ તેમને કહે કે આ રીતે તો પુસ્તકો અહીં આવતાં જેટલા દિવસ થાય એટલા દિવસ અમને મોડું મળે. આપણને અંદાજ છે કે બે-ચાર કે પાંચ દિવસમાં પુસ્તક દિલ્હીથી અમદાવાદ પહોંચી જાય છે તો તેટલા દિવસ પહેલાં સપ્લાય કરો, એટલે અમદાવાદને ય દિલ્હીની હારોહાર પુસ્તક મળી જાય. નાના પ્રકાશકો તરત માની જાય, મોટા પ્રકાશકોને મનાવતા તકલીફ પડે. પણ કેમે ય કરીને એમણે ઘણાં પ્રકાશનોમાં એમ કર્યું. એ અમને કહે કે આપણે અમદાવાદના છીએ એટલે દિલ્હી કરતાં પછાત છીએ ને દિલ્હી આગળ છે, આગળ જ રહેશે, એવું નહીં માનવાનું. નાનકભાઈ ગુજરાત બહાર જાય તો ત્યાં પણ ગુજરાતની બીબાંઢાળ છાપ સુધરાવે.

સ. : નાનકભાઈના આ પાસાનો તો કદાચ બહુ ઓછાને ખ્યાલ હશે. હવે પ્રશ્ન એ થાય છે કે આટલી ખાંખત અને મહેનત છતાં ‘ગ્રંથાગાર’ને બંધ કરવાનો નિર્ણય શા માટે લેવાયો ? થોડોક વિગતે જવાબ જોઈએ.

જ. ઃ હા, આમ જોવા જઈએ તો છેલ્લાં દાયકાથી નાનકભાઈને આનંદ થાય એવાં પુસ્તકોનું પ્રમાણ ખાસ્સું ઘટી ગયું હતું. અંગ્રેજી સાહિત્યમાં તો તો ય થોડાંક પુસ્તકો આવતાં પણ ગુજરાતી સાહિત્યમાં દર વર્ષે એવાં નવાં ટાઇટલ મળતાં નહોતાં.

આવામાં મહત્ત્વની બાબત બની તે પ્રકાશકો દ્વારા સંસ્થાઓ-યુનિવર્સિટીઓને સીધું વેચાણ અને તેમને અપાતું વધુ વળતર. નાનકભાઈ તો ૧૦ ટકા માટે મક્કમ અને એનાથી આગળ વધીને વધુમાં વધુ ૧૫થી ૨૦ ટકા, પણ પછી અમુક હદથી વધુ તો આપણને પોષાય નહીં અને ૧૫થી ૨૦ ટકા તો જે ‘બાર્ગેનિંગ’ કરે એને જ આપવાના થાય. એવામાં જેને ૧૦ ટકા વળતર આપ્યું છે તેને જો ખબર પડે તો આટલાં વર્ષોનો વિશ્વાસભંગ થાય, એ નાનકભાઈને ન ગમે. એ કહેતાં કે આપણે કંઈ થોડા વેપાર કરવા આવ્યા છીએ?

કેટલાંક પ્રકાશકો કે હિતેચ્છુઓ સાથે આ બાબતે વાતચીત થાય. તેઓ કહે કે હવે સમય બદલાયો, થોડાં ફ્લેક્સિબલ બનવું પડે તો નાનકભાઈ બહુ સ્પષ્ટ કહેતા, ‘હું ગ્રંથાગાર બંધ કરી દઈશ પણ મારા મૂલ્યો સાથે સમાધાન નહીં કરું.’

સ. : તો ય ચોક્કસ ઘટના ખરી કે જે ગ્રંથાગાર બંધ કરવા માટે મુખ્ય રહી ?

જ. ઃ હા ખરી ને. છેલ્લા દાયકામાં પુસ્તકોના વેચાણમાં સંકુચિતતા તો પ્રવેશી જ ગઈ હતી. પ્રકાશકો સંસ્થા-લાઇબ્રેરીઓ સાથે સીધો સંપર્ક કરીને પુસ્તકો વેચતાં અને એના કારણે યુનિવર્સિટીઓ આપણી સાથે ‘બાર્ગેનિંગ’ કરવા લાગી કે અમને આટલું વળતર મળે છે, બોલો તમે કેટલું આપશો ? નાનકભાઈને આ ખટકતું. એવામાં એક યુનિવર્સિટીનો ફોન આવ્યો કે આપના ચેકની રકમમાંથી યુનિવર્સિટીએ ૧૦ ટકા ડેવલપમેન્ટ ફંડમાં લેવાનું નક્કી કર્યું છે, એટલે તેમાં તમારે આટલી રકમ આપવાની રહેશે. નવા બનેલા વાઇસ ચાન્સેલરને લાગ્યું હશે કે આ રીતે પણ યુનિવર્સિટીનો વિકાસ થઈ શકે ! એ યુનિવર્સિટી પાસે ગ્રંથાગારે પચાસેક હજાર રૂપિયા લેવાના નીકળતા હતા. નાનકભાઈએ પત્ર લખ્યો કે તમે નિયમ કર્યો એ પહેલાંથી અમારી લેણાની રકમ નીકળે છે તે અંગે તમે એનો અમલ ન કરી શકો. એ રકમ તો પૂરી ચુકવવાની જ રહે. તમારે નિયમ લાગુ કરવો હોય તો નવા ખરીદ-વેચાણ માટે થઈ શકે અને આ નિયમ અમલી રહેવાનો હોય તો આપણે અહીં જ અટકીએ. એ વખતે યુનિવર્સિટીઓને યુ.જી.સી.ની નિયમિત ગ્રાંટ નહોતી મળતી. ત્યારે નાનકભાઈએ બે-બે વર્ષ સુધી ઉઘરાણી ન કરી હોય અને એમાંની કોઈક યુનિવર્સિટી તરફથી આવી માગણી થાય એનું  દુઃખ થાય ને?  પ્રકાશકોને આ ડેવલપમેન્ટ ફંડ આપવું પોષાય પણ વિક્રેતાને તો ન જ પોષાય. નાનકભાઈ કહેતા કે આપણે કંઈ વેપાર કરવા નથી આવ્યા તો પછી શા માટે આવી સ્પર્ધામાં પડવું? એટલે એમણે ધીરેધીરે પોતાને સંકોરવાનું શરૂ કર્યું. નવરંગપુરાના સ્ટોલમાંથી પરિષદમાં આવ્યા એટલે થોડું લાંબુ ખેંચાયું. કેમ કે પછી ગુજરાતી પ્રકાશકોના સંપર્કમાં આવ્યા. પરિષદમાં આવતા લેખકો-મુલાકાતીઓ પણ ગ્રંથાગારમાં ટહુકો કરતા જાય, સંબંધ બંધાય એટલે શરૂઆતમાં થોડુંક સારું લાગ્યું ને સાત-આઠ વર્ષો ખેંચાયા, પણ તેનાથી કંઈ પરિસ્થિતિ નહોતી બદલાઈ. એ તો વર્ષે ને વર્ષે વધુ બગડતી જતી’તી. નાનકભાઈના સિદ્ધાંતમાં આ પ્રકારની ગણતરીનો મેળ ન બેસે.

સ. : નાનકભાઈ અને મહેન્દ્રભાઈની સરખામણીનો એક સંવાદ હમણાં વાંચવાનો થયો કે મહેન્દ્રભાઈ આદર્શવાદી અને વ્યવહારવાદી પણ નાનકભાઈ નર્યા આદર્શવાદી.

જ. ઃ હા, એમનાથી નવા જમાનાની આ વાતો સ્વીકારી ના શકાઈ. પ્રકાશકોના નવા પ્રતિનિધિઓ આવ્યા હોય તો જૂના કેટલાકની સારી બાબતોનો ઉલ્લેખ કરીને નાનકભાઈ તેમને ય કહે કે એમના વખતમાં આટઆટલું સારું હતું. એ પ્રતિનિધિઓ કહે કે આજના સમયમાં હવે એમ ના થાય. માત્ર પુસ્તક વ્યવસાય નહીં, બધે જ આમ થઈ રહ્યું છે. અમે કહીએ કે તમે દલીલો કરો છો, એમાં તમારું બ્લડપ્રેસર વધી જાય છે. એમનામાં કોઈ ફરક પડે છે ખરો ? તો અમને કહે કે તમે નવા જમાનાના બધા ચલાવી બહુ લો છો. એટલે જ એ લોકો મરજી મુજબ કર્યે જાય છે.

સ. : નવરંગપુરા અને પરિષદવાળા ‘ગ્રંથાગાર’માં તમારી દૃષ્ટિએ કોઈ બદલાવ?

જ. ઃ હા, ખરો જ ને. નવરંગપુરામાં ગુજરાતી પુસ્તકોનું એક જ ખાનું હતું. અંગ્રેજી પુસ્તકો જ વધુ રાખતા ત્યાં સુધી કે મેઘાણી સાહિત્ય ગ્રંથાગારે રાખવું જોઈએ એવું નાનકભાઈ નહોતા માનતા. બાકીના લોકો એ સાહિત્ય વેચે જ છે ને. તો પછી આપણે શા માટે વેચવું જોઈએ?! એ હંમેશાં કહેતા કે આપણે કોઈને રીપ્લેસ કરવાની જરૂર નથી. બીજી બાજુ જ્યારે ક્રોસ વર્ડ ખૂલ્યું ને લોકો એની મુલાકાત લઈ આવીને કહે કે અમે ત્યાં આ વાંચ્યું કે આ પુસ્તક ખરીદ્યું તો નાનકભાઈને આનંદ જ થાય. એમને એ ક્યારે ય હરીફ નહોતું લાગ્યું. પૂરક જ લાગ્યું હતું.

સ. : આવા સાદગીભર્યા સરળ અને સમર્પિત વ્યક્તિત્વ સાથે ૨૭ વર્ષ કામ કર્યા પછી એમની ગેરહાજરીમાં કેવી લાગણી અનુભવાય છે …

જ. ઃ એમ જ લાગે છે કે મારા માટે જે કંઈ નિર્માયું તે અનાયાસે જ નિર્માયું અને મને એનો લાભ થયો. આજની તારીખે હું વિચારવા બેસું તો મને એમ નથી લાગતું કે આટલાં વર્ષો એમ જ ગયાં. મને મારી લાયકાત કરતાં વિશેષ મળ્યું છે. આવું બધાંને મળતું નથી. ક્યારેક કોઈ પરિચિત કે સગાસંબંધી આવી ચઢે તો પછી મને કહે કે તારું કામ તો કેટલું સારું કે વાતો જ કર્યા કરવાની! આમ જોવા જઈએ તો લોકો આવે ત્યારે અમે કશું જ ન કરતાં હોઈએ પણ પછી રજાના દિવસે ય પાર્સલ બાંધતાં. જો કે અમને એનો ભાર ન લાગે. નાનકભાઈ પોતે પણ પાર્સલ બાંધતા. અત્યારે બીજા કોઈ સ્ટોલમાં જઈએ ત્યાં પૅકિંગ કરનાર માણસ હાજર ન હોય ને કાઉન્ટર પરથી કોઈ થોડીવાર રાહ જુઓ એમ કહે તો અમને અસહજ લાગે. ખરેખર અમે મનથી બહુ સમૃદ્ધ રહેતા હતા. કોઈ આવે તો એમને પાણી આપવાનું ગમે. નાનકભાઈ ચા-નાસ્તો ય કરાવે. એમાં ય જ્યારે નવરંગપુરામાં હતા ત્યારે બાજુમાં જ કપ ધોઈ શકાતાં પણ પરિષદમાં કપ ધોવા સીડી ચઢીને ઉપર જવાનું થાય. એમ ન કરવું પડે એ માટે પેપરકપ લાવીએ તો એમાં ય નાનકભાઈ સારા કપનો આગ્રહ રાખે. એના કલર ડિઝાઇનમાં રસ લે. કિટલીવાળા પ્લાસ્ટિકના જે કપ આપે છે એમાં તો એમને કોઈને ચા આપવી ગમે જ નહીં. મને કહે કે તમે ગઈ વખતે સારા કપ લાવ્યા હતાં એ ક્યાંથી લાવ્યાં હતાં ? હું કહું કે એ તો હું કાલુપુર ગઈ હતી. તો કહે, એમ ? તો તમે કાલુપુર જઈ આવો પણ એવા કપ લેતા આવો.

સ. : જીવન પ્રત્યેના દૃષ્ટિકોણમાં બદલાવ …

જ. ઃ મારામાં જે કંઈ સારું છે એ બધું નાનકભાઈના કારણે છે અને જે કોઈકને નથી ગમતું તો એ મારું છે. મને ઘણી વાર કોઈ કહે કે તમારી ભાષા સારી છે તો મને શંકા પડે, કેમ કે નાનકભાઈ મને ‘સ’ અને ‘શ’ના ઉચ્ચારણ માટે ઘણીવાર ટોકતા. જેમ ઘણા બધા લોકો કરે છે તેમ હું પણ મારી સહી અંગ્રેજીમાં જ કરતી. નાનકભાઈ કહે કે આપણે આપણી માતૃભાષામાં સહી કરવી જોઈએ. ગુજરાતીમાં સહી કરવાનું શરૂ કર્યા પછી એ મને બહુ ગમે છે. એવી નાની-નાની ઘણી વાતો છે જે અત્યારે વિચારી કે કહી ન શકાય પણ એ હવે મારા જીવનનો ભાગ બની ગઈ છે.

સૌજન્ય : “નિરીક્ષક”, 01 સપ્ટેમ્બર 2014; પૃ. 18-21

Loading

સાંપ્રત પરિસ્થિતિમાં આપણું દાયિત્વ

નારાયણ દેસાઈ|Samantar Gujarat - Samantar|31 August 2014

પ્રિય મિત્ર,

સપ્રેમ જય જગત !

લોકસભાના પરિણામો જોયા પછી આ લખવા બેઠો છું. મને એવી સલાહ મળી છે કે હમણાં રોકાઈ જાઓ, પરિસ્થિતિ જુઓ, પછી લખો. મને લાગે છે કે આ પત્ર પણ થોડું વિચારવાની તક આપવાનો પ્રસંગ છે. તેથી બહુ મોડું ન કરતાં, થોડા વિચારો પ્રગટ તો કરવા જ જોઈએ.

સહુથી મોટી ચિંતા જીતેલા પક્ષના નાયકના વિચાર-ચિંતન બાબતમાં છે. હમણાં સુધીની તેની કાર્યપદ્ધતિ ફાસીસ્ટ પદ્ધતિને મળતી રહી છે.

(1) વિશિષ્ટ અમીર વર્ગનો સાથ લીધો.

(2) વાતાવરણ તૈયાર કરવામાં પોતાના વાક્ચાતુર્યની મદદ મળી.

(3) દેશની કદાચ સહુથી વધુ અનુશાસિત તથા દેશભરમાં ફેલાયેલી સંસ્થા સાથેનો સંબંધ તથા પૂરું સમર્થન પ્રાપ્ત થયું.

(4) લગભગ બધાં માધ્યમોને ખરીદી લીધાં.

(5) જેની સામે લડવાનું હતું તે શક્તિ સંપૂર્ણપણે ખોખલી થઈ ગઈ હતી.

તેઓ માટે દેશની ભાવિ દિશા માટે પહેલાં સાંસ્કૃિતક રાષ્ટૃવાદ અથવા ધર્મનો આધાર હતો, પાછળથી તેઓએ ‘વિકાસ’ શબ્દ પસંદ કર્યો છે. તેઓની વિકાસની દિશા તથા કૉંગ્રેસના વિકાસમાં ખાસ અંતર નથી. બન્ને તે શક્તિઓનું આંધળું અનુકરણ કરે છે, જે ખૂબ જલદી જગતને ડૂબાડી દેશે. આપણા દેશમાં ખૂબ ઝડપે વધી રહેલા માધ્યમ વર્ગને આ પ્રગતિ અથવા વિકાસમાં સ્વર્ગ દેખાઈ રહ્યું છે. તેઓના સમર્થનથી ફાસીવાદ જીત્યો છે અને તે જોતજોતામાં જ હુકમ માનવાવાળો – કાયર બૌદ્ધિકવર્ગ બની જશે. આંતરરાષ્ટૃીય માનસિકતા ટૂંકા સમયમાં યુદ્ધ પ્રતિ લઈ જઈ શકે છે.

પ્રશ્ન એ છે કે આવી પરિસ્થિતિમાં જીવનની તાકાતોનું કર્તવ્ય શું હોઈ શકે ? આપણે લોકો, પોતાને ગાંધીના વિચાર સાથેના સમજીએ છીએ તેવા લોકોનું કર્તવ્ય શું ? પરંતુ આપણે પોતે જ કર્તવ્યવિમૂઢ છીએ, વર્તમાન પ્રવાહ સાથે રહેવા ઈચ્છીએ છીએ, મનમાં ને મનમાં પોતાના સિવાય અન્યને જ દોષિત ગણીએ છીએ અને લગભગ નિષ્ક્રિય અથવા જડતાથી ભરેલા છીએ.

વિચારવું એ જોઈએ કે દેશમાં કોઈ નવી તાકાતો અંકુરિત થઈ રહી છે ખરી ?જે દિશાને વળાંક આપવામાં સહાય કરી શકે, જે અંદરોઅંદર લડીને પોતાની શક્તિ બરબાદ ન કરે. જેઓ દેશને નવી દિશામાં લઈ જવા સમર્થ ન હોય, તેઓ ઓછામાં ઓછું દેશમાં થતા પતનને રોકવાની કોશિશ તો કરે. આવા લોકોમાં નીચે લખેલા વર્ગોને સામેલ કરી શકાય ? શું તેઓને સાચી દિશા દેખાડી શકાય ? ભલે આજે નહીં તો થોડાં વર્ષો પછી દેશ કોઈ નૂતન દર્શન જગત સામે રાખી શકશે ? ખાસ કરીને એવી પરિસ્થિતિમાં − જ્યારે આપણી પાસે ગાંધી નથી અને વિવેકાનંદ પણ નથી.

[૧] નવો યુવા વર્ગ : દુનિયાભરમાં કદાચ ક્યાં ય ન હોય તેવડો મોટો યુવા વર્ગ આપણી પાસે છે. જેની સમક્ષ આજે તો સિનેસ્ટાર અથવા રમતગમતના હીરો સિવાય કોઈ રોલમેડેલ નથી. તેઓ કોઈ રોલમોડેલની ખોજમાં પણ નથી. આ વર્ગ દિશાહીન ભટકે છે અથવા કોઈ સ્પર્ધામાં ઝૂકાવે છે. તેમાં થોડાક સફળ થાય છે અને વધુ તો નિરાશ થાય છે. તેઓ ગાડરિયા પ્રવાહમાં ફસાઈ જાય છે અથવા તો અપરાધની ચુંગાલમાં ફસાઈ જાય છે. બગડેલી દુનિયાને વધુ બદતર બનાવવામાં તેઓ સહાય કરે છે. તેઓને સંભાળવા એ જ જાણે શાસનના પરાક્રમનો મુખ્ય વિષય બની જાય છે.

[૨] બીજા છે દલિત, આદિવાસી અને અન્ય પછાત જાતિના લોકો. તેમાંનો બહુ નાનો ભાગ જાગ્રત છે. અધિકતર તો ચૂપ છે, દબાયેલા છે. તેઓ કઈ કક્ષામાં છે તે પણ જાણતા નથી. તે વર્ગ પાસે સમાજને ધિક્કારવા સિવાય કોઈ પણ દર્શન નથી. ઓછામાં ઓછું આપણે તો અંદરોઅંદર લડીને શક્તિ બરબાદ કરવી જોઈએ નહીં, એટલી સમજ પણ તેઓમાં નથી. તેઓમાં જે જાગ્રત છે તેઓ પરસ્પરના અભિમાનની ટકરામણમાં શક્તિ બરબાદ કરે છે. જેઓ જાગ્રત નથી તેઓ સૂતેલા છે. તેઓ કોઈ સ્વપ્ના પણ નથી જોતા.

[૩] નારીશક્તિ : આમાં જે જાગ્રત છે તે કાં તો પુરુષના તિરસ્કારમાં છે – તેઓ પાસે સદીઓનો અનુભવ અને પીડા છે. અને જેઓ તિરસ્કાર નથી કરતી તે પુરુષોની આજની દુષ્ટ વ્યવસ્થાનું અનુકરણ કરવામાં ગૌરવ અનુભવે છે. મૌલિક સૂઝ ખૂબ ઓછી દેખાય છે, પરંતુ આ શક્તિમાં ખૂબ બધી શક્તિઓ છે. તે શક્તિઓમાં અનેક સંભાવનાઓ છે તેને કોણ જગાડશે ?

[૪] એક શક્તિ બાબાના ભક્તો પાસે છે. તેમાં વધુ તો ઘેટાંનાં ટોળાં છે, પરંતુ તેમાં થોડાક એવા છે જેને આજની પરિસ્થિતિમાં આધ્યાત્મિક ઉકેલ જોઈએ છે. તેમાં ખૂબ ભણેલા-ગણેલા-વિચારવંત લોકો પણ છે, પરંતુ તેમાં કોઈ એવો માર્ગદર્શક જોઈએ જે આંતરિક સંતોષ આપે. બહારથી જે સુખ મળે છે તેને ચાલુ રાખે. તેમાંથી પણ કોઈ બળવો કરનાર નીકળશે ખરા ? જેઓ પોતે જ ત્યાગ-તપસ્યાના રોલમોડેલ બની શકે ? તેઓ મહાત્માઓના કેવળ પ્રચારક બનીને ન રહી જાય ?

આ પરિસ્થિતિમાં શું કરવું તે પ્રશ્ન થાય છે. આજે લખવામાં સંકોચ એટલા માટે થાય છે કે થોડા મહિનાઓ પછી મારી વય 90 વર્ષ પૂરાં કરશે. મનનો ઉત્સાહ ભલે પહેલાં જેટલો જ જોશપૂર્ણ હોય, પરંતુ શરીરની મર્યાદા તો છે જ. આમ છતાં વિચારની દૃષ્ટિએ થોડાં સૂચનો કરું છું.

બની શકે ત્યાં તૃણમૂલ(ગ્રાસરૂટ)ને મજબૂત બનાવવામાં શક્તિ લગાવવી જોઈએ. આજે ભલે વિરોધી વાતાવરણ દેખાતું હોય, કાલે તે અનુકૂળ પણ થઈ શકે છે. તેવી પરિસ્થિતિ ઊભી કરવા અથવા તેનું સ્વાગત કરવા માટે નક્કર પરિસ્થિતિ જોઈએ. એ ત્યારે જ થશે જ્યારે સમાજના નિમ્નતમ સ્તર(ગ્રાસરૂટ્સ)માં કોઈ તાકાત બચી હશે.

જયપ્રકાશજીએ વર્ષો પહેલાં જે કાર્યક્રમો રજૂ કરેલા તે જ કાર્યક્રમ મને તો સૂઝે છે તે ચતુર્વિધ કાર્યક્રમ હતા : [અ] પ્રબોધન [બ] સંગઠન [ક] નમૂના (પ્રયોગક્ષેત્ર) [ડ] સંઘર્ષ.

સકારાત્મક વિચારોનો ફેલાવો કરવાની ખૂબ જરૂર છે. શાળાના બાળકોથી માંડીને વૃદ્ધો સુધીના માટે. તેનું માધ્યમ અલગ અલગ હોઈ શકે છે. મને ગાંધીકથાનું માધ્યમ સૂઝી ગયું છે.

તેમાં હું યથાશક્તિ-મતિ સુધારા-સંશોધન કરતો રહીશ. સાંભળ્યું છે કે કેટલાક લોકો આ માધ્યમને સ્વીકારવા ઈચ્છે છે. તેઓનું સ્વાગત છે, પરંતુ અહીં વધુ ધ્યાન એ બાબતનું રાખવું જરૂરી છે કે આપણા વિચારો અને માહિતી પાકી હોવી જોઈએ. તેમાં જો શિથિલતા હશે તો લાભ થવાને બદલે વધુ નુકસાન થશે.

અલગ અલગ સ્તરના શ્રોતાઓ માટે પ્રબોધનનું માધ્યમ પણ અલગ અલગ હોઈ શકે. ગુજરાતમાં જેટલું ધ્યાન પ્રાથમિક શિક્ષણમાં અપાયું છે તેટલું ઉચ્ચ શિક્ષણમાં નથી અપાયું.

સંગઠનમાં હજુ સુધી અનુકરણ જ જોવા મળે છે. સંગઠન માટે સ્વાભાવિક મૌલિક પ્રયોગો કરવા પડશે. અંગ્રેજો આવ્યા તે પહેલાં આપણે ત્યાં સંગઠનોનું જે સ્વરૂપ હતું, તેના પર ધ્યાન આપીને કંઈક તેનું નવ-સંસ્કરણ કરવું પડશે.

સંગઠનોને ભ્રષ્ટ કરવા માટે આજકાલનો સરળ માર્ગ ચૂંટણી છે. આપણે ચૂંટણીનો વિકલ્પ પણ શોધવો પડશે. કંઈક મૌલિક-લોકતાંત્રિક માર્ગ શોધવો પડશે. તેમાં તમે કંઈ સૂચવી શકો છો ? ડૉ. આંબેડકરને પરંપરાગત ગ્રામીણ રીતો પ્રતિ ચીડ હતી, કારણ કે તેના સહુથી વધુ ખરાબ પરિણામ તેઓ ભોગવી ચૂક્યા હતા. ગાંધીએ ગામની પોતાની કલ્પનાની સાથે પોતાના આદર્શોને પણ જોડ્યા હતા. હકીકતે પહેલાં ક્યારે ય એવી વ્યવસ્થા ન પણ રહી હોય ! સંગઠનો અંગે કેટલાક પ્રયોગો વિદેશમાં પણ થયા છે. જેમ કે ક્વેકર સંપ્રદાયના વિશ્વભરના ક્રિયાશીલોના પ્રયોગો પણ તપાસી જોવા જોઈએ. આપના આ અંગે કોઈ સુઝાવ છે ?

સંઘર્ષની ગાંધીની રીત – સત્યાગ્રહ. તેનાથી સમગ જગત આકર્ષિત છે, પરંતુ સત્યાગ્રહનો સમાનાર્થી અર્થ ગાંધીએ Love Force − પ્રેમની શક્તિ કહેલ છે. આપણી સગવડતા ખાતર આપણે તે ભૂલી ગયા છીએ.

વિકલ્પ ઊભો કરવા આપણે ખૂબ શક્તિ લગાવવી જોઈએ. ઓછામાં ઓછું જીવનની પ્રાથમિક જરૂરિયાતની વસ્તુઓ તો આપણાં ગામો પેદા કરી લે. ચારે બાજુ પરમાણુ શક્તિથી ઘેરાયેલા આપણાં ચાર લાખ ગામો સ્વાવલંબી બનાવવા માટે સર્વોત્તમ સુરક્ષાના પગલાં લેવાય. આ વિચાર ઇઝરાઇલના કિબુત્સુના અનુભવી લોકોને પણ વ્યવહારિક લાગેલો.

વિકલ્પમાં કુમારપ્પા, શુમાખર વગેરેના આધુનિક વારસદારો નીકળવા જોઈએ. વિનોબાના વિચાર તો વિજ્ઞાન અને અધ્યાત્મના સંવાદના હતા. શું આપણામાંથી કોઈ તરુણને આને માટે પોતાનું તારુણ્ય ન્યોછાવર કરવાની પ્રેરણા આપીશું ?

આ તો મારા વિચારો બની શકે તેટલા સંક્ષેપમાં આપ્યા છે. આપ પણ આજની વર્તમાન પરિસ્થિતિ વિશે તથા તેના ઉપાયો વિશે વિચારતા હશો. મારા લંબાણપૂર્વકના પત્ર માટે મને ક્ષમા કરીને આપ આપના વિચાર-સુઝાવ મોકલશો.

સપ્રેમ.

− નારાયણ દેસાઈ

(સંપૂર્ણ ક્રાંતિ વિદ્યાલય, વેડછી – 394 641, વાયા વાલોડ, જિલ્લો સુરત, ગુજરાત, ભારત)

સૌજન્ય : “િબરાદર”, અૉગસ્ટ 2014, પૃ. 03-05

Loading

...102030...3,6593,6603,6613,662...3,6703,6803,690...

Search by

Opinion

  • ચોપાસ પ્રદૂષણ અને પ્રદૂષણ નિયંત્રણનું વણવપરાયેલ ફંડ!
  • કોઈ દલિત અધિકારી પણ ન કરી શકે તેવું  કામ પ્રવીણ ગઢવીએ કર્યું !
  • સાર્થક જલસામાં ‘જલસી પડી ગઈ !’
  • સોક્રેટિસ ઉવાચ-૮  : સોક્રેટિસ અને ભારતીય રાજકારણી વચ્ચે એક કાલ્પનિક સંવાદ
  • જમીન 

Diaspora

  • ભાષાના ભેખધારી
  • બ્રિટનમાં ગુજરાતી ભાષા-સાહિત્યની દશા અને દિશા
  • દીપક બારડોલીકર : ડાયસ્પોરી ગુજરાતી સર્જક
  • મુસાજી ઈસપજી હાફેસજી ‘દીપક બારડોલીકર’ લખ્યું એવું જીવ્યા
  • દ્વીપોના દેશ ફિજીમાં ભારતીય સંસ્કૃતિ અને હિન્દી

Gandhiana

  • બાપુ અને બાદશાહ 
  • ચિકિત્સક બાપુ
  • બાપુ અને બડેદાદા
  • રાષ્ટ્રપિતા
  • ગાંધીજીનો ઘરડો દોસ્ત

Poetry

  • હાલો…
  • એક ટીપું
  • સાત કાવ્યો
  • એમના પગના તળિયામાં દુનિયાનો નકશો છે
  • બે કાવ્યો

Samantar Gujarat

  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 
  • સરકારને આની ખબર ખરી કે … 

English Bazaar Patrika

  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day
  • Destroying Secularism
  • Between Hope and Despair: 75 Years of Indian Republic

Profile

  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર
  • મૃદુલા સારાભાઈ
  • મકરંદ મહેતા (૧૯૩૧-૨૦૨૪): ગુજરાતના ઇતિહાસલેખનના રણદ્વીપ
  • અરુણભાઈનું ઘડતર – ચણતર અને સહજીવન

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved