Opinion Magazine
Opinion Magazine
Number of visits: 9345162
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

નરેન્દ્ર મોદી અને ઇન્દિરા ગાંધી વચ્ચે સામ્ય

પરેશ ર. વૈદ્ય|Samantar Gujarat - Samantar|9 November 2014

16મી લોકસભાની ચૂંટણીના માહોલમાં લખાયેલો લેખ. એ વખતે વધુ લેખોના ભારણ તળે પ્રકાશિત ન થઈ શક્યો, પરંત 01 અૉક્ટોબર 2014ના “નિરીક્ષક”માં નરેન્દ્ર મોદીની વડા પ્રધાન બન્યા પછીની કાર્યશૈલી વિશેનો લેખ [કોની સરકાર … લે. રમેશ ઓઝા] પ્રકાશિત થતાં તેના પૂર્વસંધાન રૂપે આ લેખ. : તંત્રી – પ્રકાશ ન. શાહ

હાલની ચૂંટણીના સંદર્ભમાં જોઈએ તો એમ લાગે છે કે નરેન્દ્ર મોદી માટે દુશ્મન નંબર વન એક ગાંધીપરિવાર છે. છેલ્લાં ચાર વર્ષમાં ભલે નરેન્દ્ર મોદીએ મનમોહનસિંઘની ટીકા કર્યે રાખી, પરંતુ છેલ્લા બે માસમાં તેમનું નામ એક વાર પણ નથી લીધું. દરેક જાહેરસભામાં એ ગાંધીપરિવારનાં ચારે જણાં (R.S.V.P.) વિષે કશુંક કહેતા રહ્યા, પરંતુ આ તિરસ્કારમાં એક છૂપો વદતો વ્યાઘાત છે. તે એ કે મોદીની કાર્યશૈલી અને વ્યક્તિત્વ પર ગાંધીપરિવારનાં મુખ્ય વડીલ ઇન્દિરા ગાંધની છાપ દેખાય છે. કટોકટી દરમિયાન ઇન્દિરા ગાંધીનો પૂરો વિરોધ કરનાર નરેન્દ્ર મોદી એમને આદર્શ માને તેવું તો ન બને. પરંતુ અહીં નીચે લખેલા કેટલાક એવા મુદ્દા છે જે સ્પષ્ટ રીતે ચલિત કરે છે કે બંનેમાં ભારોભાર સામ્ય છે. આમ, અજાણતાં બંધાઈ ગયેલી કંઠીનું કારણ મનોવિશ્લેષકો શોધી શકે …

અતિ મહત્ત્વાકાંક્ષા

બંનેમાં દેખાતો આ એક ગુણ એવો છે કે તેના બળે બાકીનાં સામ્યો આપોઆપ પેદા થાય છે. મૅનેજમેન્ટના નિષ્ણાતો મહત્ત્વાકાંક્ષાને ખરાબ નથી ગણતા. કહે છે કે એ વ્યક્તિના વિકાસ માટે ચાલના પૂરી પડે છે. પરંતુ ઇન્દિરા ગાંધી અને નરેન્દ્ર મોદીના કિસ્સા તીવ્ર મહત્ત્વાકાંક્ષાના છે. તેનાથી કદાચ તેઓનાં વ્યક્તિત્વ ઘડાયાં હશે, પરંતુ બંને જે વ્યવસ્થાનાં એક ઘટક છે, તેની તો ઘોર ખોદી છે. મહત્ત્વાકાંક્ષાનું જો ભૂત ભરાય (obsession) તો ઘણા બીજા અવગુણોની ગંગોત્રી બને છે. જે અનૈતિક હથિયાર વાપરવાં પડે તેનાથી દેશ ઉપરાંત વ્યક્તિનું પોતાનું પણ લાંબે ગાળે નુકસાન થાય છે. ઇન્દિરા ગાંધીને પણ આ વાત ૧૯૭૭ની હાર પછી થોડી સમજાઈ હતી. સત્તાની મહત્ત્વાકાંક્ષા માટે તેમણે ૮૪ વર્ષ જૂની કૉંગ્રેસને તોડી, કટોકટી લાદી અને વૃદ્ધ નેતાઓને જેલમાં નાંખ્યા. આ પ્રક્રિયામાં પોતાની છબી બગાડી અને ખરા મિત્રો ગુમાવ્યા. નવી સમજણ આવ્યા પછી ૧૯૮૦-૮૪માં તેમના શાસનકાળમાં ઘણી નમ્રતા આવી ગયેલી, પરંતુ ત્યાં સુધીમાં તેમણે સિદ્ધાંતહીન રાજકારણના ભરપૂર પાઠ ભણાવેલા, જેનાં ખાટાં ફળ રાજકીય વૃક્ષ પર આજ સુધી બેસતાં રહ્યાં છે.

વિરોધી મતનો નાશ

મહત્ત્વાકાંક્ષાને કારણે કે પછી ઘમંડી સ્વભાવને કારણે, બંને નેતાઓથી વિરોધ સહન નથી થયો. વિરોધના અભિપ્રાયને બદલે તેને વ્યક્ત કરનારને જ માર્ગમાંથી હટાવવાની નીતિ બંનેની રહી છે. ઇન્દિરા ગાંધીએ કૉંગ્રેસની દ્વિતીય હરોળ આખી કરી પાંખી, તેથી જ તેની સત્તા ક્રમશઃ બધાં રાજ્યોમાંથી નાબૂદ થતી ગઈ. નરેન્દ્ર મોદીના કારણે ગુજરાત ભાજપ પક્ષના બે-ત્રણ ટુકડા થઈ ગયા. પક્ષના રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને વિશ્વ હિન્દુ પરિષદ જોડેના સંબંધો વણસ્યા. સંજય જોષીનું પ્રકરણ તો તાજું છે, પરંતુ કેશુભાઈ, સુરેશ મહેતા, પ્રમાણમાં ગડકરી, નીતિન એ બધાએ આ રૂપ જોયું. જો નરેન્દ્ર મોદી કેન્દ્રમાં જાય, તો આ ‘ગુણ’ને ગાંધીનગરમાં છોડીને જાય તો જ સફળ થાય.

એકહથ્થુ સત્તા

કંઈક અંશે આ ઉપરના મુદ્દાને મળતો જ મુદ્દો છે. આપખુદશાહી અને લોકશાહી બંને જોડાજોડ ન રહી શકે. કેન્દ્રના વાણિજ્ય- મંત્રીશ્રી આનંદ શર્માએ રાજ્યસભા ટેલિવિઝનને ગયા પખવાડિયે કહ્યું તે સાચું હોય તો અહીં લાગુ પડે છે. તેઓ કહે કે ગુજરાતના પ્રધાનમંડળમાં ગમે તેટલા પ્રધાન હોય કૅબિનેટ મિટિંગમાં બધાએ માત્ર મુખ્ય પ્રધાનને સાંભળવા જવાનું હોય છે અને જે કહે તે રીતે પોતાનું ખાતું ચલાવવાનું હોય છે. એટલે એકંદરે કૅબિનેટમાં એક જ પ્રધાન છે. વિધાનસભા વર્ષમાં સરેરાશ ૨૩ દિવસ માત્ર મળી છે, તેમાં ઘણું કરીને વિરોધપક્ષને કાઢી મુકાય છે અને પ્રશ્નકાળ છે જ નહીં ! કોઈને જવાબ આપવો એમને પસંદ નથી.

ઇન્દિરા ગાંધી પ્રધાનોનાં ખાતાં વારંવાર બદલતાં રહેતાં, જેથી કોઈ નેતા મજબૂત કે પ્રજાનો માનીતો ન થઈ જાય. વડાપ્રધાન એ ટીમનાં કૅપ્ટન છે, તેવી ભાવના તેમના સમયમાં ખતમ થઈ ગઈ; સરકાર તેમની માલિકીની છે અને પ્રધાનો પોતાનાં સ્થાન માટે તેમના ઋણી છે, તેવું લાગતું. આ વખતની ચૂંટણી લગભગ ‘પ્રમુખપદ’ના મૉડેલ પર થઈ હોવાથી આ ભાવના નૈતિક સ્તરે હવે વધુ કાયદેસર (legitimate) થશે ! એકલવ્ય નરેન્દ્ર મોદી આ બાબતે પોતાના દ્રોણાચાર્ય કરતાં સવાયા સાબિત થયા.

બંધારણનો અનાદર

એ તો જાણીતી વાત છે કે સૌથી મોટો સરમુખત્યાર હિટલર જર્મનીના બંધારણની મર્યાદામાં રહીને જ સત્તા પર આવેલો. ઇન્દિરા ગાંધી અને નરેન્દ્ર મોદીનાં પણ આ જ ઘટનાનાં ભારતીય દૃષ્ટાંતો છે. બંનેમાં આવડત છે કે કાયદાનો ખુલ્લો અનાદર કરવાને બદલે તેમાં છીંડાં શોધી તેનો ઉપયોગ કરવો. આ ચૂંટણીમાં લોકપ્રતિનિધિધારાનું વારંવાર ઉલ્લંઘન મોદી કરતા રહ્યા, છેક છેલ્લા દિવસ સુધી, જ્યારે તેમણે મોબાઇલ, ફોન પર સંદેશ મોકલ્યા.

ઇન્દિરા ગાંધીએ ૧૯૭૧માં સંસદ ભંગ કરી તે દેશ માટે પહેલો પ્રસંગ હતો. તે પછી પાંચ વર્ષે ૧૯૭૬માં ચૂંટણી ન કરાવી તે ય બંધારણમાં કટોકટી અંગે જે કલમો હતી, તે હેઠળ કટોકટીની જાહેરાત પણ બંધારણમાંનું છીંડું જ હતું. કારણ કે દેશમાં એવી કોઈ પરિસ્થિતિ નહોતી ઊભી થઈ, જે આ કલમનો ઉપયોગ વાજબી ઠરાવે, આમે ય એ જાહેરાત પ્રધાનમંડળની મંજૂરી લેવાયા પહેલાં જ થઈ હતી, તેથી ગેરકાયદેસર હતી.1 વડાપ્રધાન કે વડાપ્રધાન બનવાની તમન્ના રાખનાર જો પોતે રાજ્યબંધારણ અથવા કાયદાઓ માન ન રાખે અને છીડાં શોધે તો પ્રજા પાસેથી વધુ વફાદારીની આશા કેમ રાખે ?

પોતા સાથે પ્રેમ

એક ગ્રીક દંતકથાનો નાયક નારસીસ સરોવરમાં પોતાનું પ્રતિબિંબ જોઈ પોતાના જ પ્રેમમાં પડી ગયો હતો. તેથી આ લક્ષણને ‘નારસીસિઝમ’ કહ્યું છે. ઇન્દિરા અને નરેન્દ્ર મોદી પણ આ જ લક્ષણથી ગ્રસ્ત હતાં / છે. ગુજરાતની ચૂંટણીમાં પહેલી વાર મહોરાંનો ઉપયોગ થયો. (શ્રોતાઓને જોઈને ભાષણ આપવા કરતાં પોતાને જોઈને બોલવું સહેલું થતું હશે !) ત્રિ-પરિમાણી હોલોગ્રામથી પણ પોતે જ બધે પહોંચવું એ સારી ભાવના છે, પણ આ નવી નથી. ઇન્દિરા ગાંધીએ કટોકટીમાં પોતાનાં ચિત્રોની મૅગેઝિનો લહાણી કરાવ્યા પછી દેશમાં સેંકડો ‘લો પાવર ટ્રાન્સમીટર બેસાડી, રંગીની ટેલિવિઝન પર દર્શન દેવું પસંદ કરેલું.’ જોકે ટેલિવિઝનનાં ઇન્ટરવ્યૂ કે ભાષણોમાં એ મોદીની જેમ પોતાનું જ નામ વારંવાર ઉચ્ચારતાં ન હતાં !

નારસીસિઝમમાંથી જ કદાચ એક બીજી માનસિકતા વિકસતી હશે – તે પોતા પ્રત્યે ધ્યાન આકર્ષિત કરવાની. બાળકોમાં જેને attention seeking attitude કહે છે, તેવો અભિગમ આ બંનેમાં છે. તેમ કરતાં ક્યારેક નાટકનું તત્ત્વ પણ પેસી જાય ખરું. પ્રિયંકા ગાંધીની ‘નીચી કક્ષા’એ જ રાજનીતિ કરવાના આરોપને ઝડપી લઈ કેવો ‘નીચી જાતિ’ના આરોપમાં બદલી નાંખ્યો! ઇન્દિરા ગાંધી સભાઓને ઘણીવાર બરાડી બરાડીને કહેતાં કે ‘યહ લોગ મેરી હત્યા કરાના ચાહતે હૈં.’ ૧૯૭૭-’૮૦ના રાજકીય વનવાસ દરમ્યાન બેલછી નામે ગામમાં એક દલિતની હત્યા થઈ, તો હાથી પર બેસી એ ગામની મુલાકાતે ગયેલા તેમના પ્રથમ શાસનકાળ દરમિયાન ધડાકાભેર જાહેરાતોથી પ્રજાને ચોંકાવતા રહીને જ રાજ્ય કરેલું. કમનસીબે, હજુ લગી લોકો આવાં નાટકિયાવેડાંના પ્રભાવમાં આવી જાય છે.

હકારાત્મક સામ્યતા

આટલાં અનિચ્છનીય સામ્ય જોયા બાદ એક-બે ઉપયોગી સામ્ય પણ ગણાવવાં જોઈએ. બંનેની વહીવટી તંત્ર ઉપર પકડ સારી છે. ઇન્દિરા ગાંધીને તો એ વાતાવરણમાં ઊછરવાનો મોકો મળેલો, પરંતુ નરેન્દ્ર મોદીએ આ ક્ષમતા સંઘમાં કામ કરતા સ્વબળે મેળવી હતી. તે માટે પ્રશંસાને સ્થાન છે. તે રીતે બંને સારાં tactician – વ્યૂહરચનાકાર – નરેન્દ્ર મોદીએ તેનો ઉપયોગ માત્ર મહત્ત્વાકાંક્ષા માટે કર્યો. ઇન્દિરાએ શરૂઆતમાં તો આ ગુણનો ઉપયોગ રાજકીય કાવાદાવા ખેલવામાં જ કર્યો, પરંતુ જરૂર પડી ત્યારે દેશનાં હિતમાં વિદેશનીતિમાં તેનો સારો ઉપયોગ કર્યો. બાંગ્લાદેશની મુક્તિ તેનું જાણીતું ઉદાહરણ છે. ઍન્ટાર્કિટકા ઉપર આપણું કાયમી મથક સ્થાપવા જેવાં કેટલાંક વૈજ્ઞાનિક પગલાં પણ દૂરંદેશીવાળાં હતાં.

એમ તો ધર્મનો રાજકારણમાં ઉપયોગ કરવા બાબતે પણ બંનેમાં સામ્ય છે. પરંતુ અહીં બે મુદ્દા જુદા છે : એક કે આ કામ નરેન્દ્ર મોદીએ ઇન્દિરા ગાંધીમાંથી પ્રેરણા લઈને નથી કર્યું, એ પોતાની સંસ્થામાંથી વ્યવસ્થિત રીતે શીખીને આવ્યા છે. તો આ બાજુ ઇન્દિરાએ આ કામ આજની કૉંગ્રેસની જેમ અણઘડતાથી ન કર્યું. અંગ્રેજીમાં શબ્દ છે, subtle – તેમ સૂક્ષ્મ સંવેદનથી એ કરી ગયાં. મુસ્લિમો અને ખ્રિસ્તીઓ ૧૯૬૭ સુધી ક્રમશઃ દેશના મૂળ પ્રવાહમાં ભળી જવામાં હતા, ત્યાં તેમણે દરમિયાનગીરી કરી, એમની નીતિ અને ઉચ્ચારણોથી એ પાછા અલગ પડી ગયા અને છતાં આ કોણે કરાવ્યું તે ખબર ન પડી. નરેન્દ્ર મોદી માટે જરૂરી રહ્યું છે કે એ આ જ ખુલ્લંખુલ્લાં કરે, તો જ તેનો રાજકીય હેતુ સરે.

તફાવતો

આમ તો આ લેખનો હેતુ એ દર્શાવવાનો હતો કે નરેન્દ્ર મોદીની કાર્યશૈલી એમને ન ગમતી કૉંગ્રેસના જ એ મુખ્ય નેતાને મળતી આવે છે. પરંતુ આટલું કર્યા પછી બંનેનાં વ્યક્તિત્વના કેટલાક તફાવતો પણ બતાવવા જોઈએ :

૧. જાહેરસભાઓમાં ઇન્દિરા ગાંધી નાટકીય તત્ત્વ લાવતાં અને જરૂર પડે ઉશ્કેરાટથી અવાજ પણ ચડાવતાં. પરંતુ ભાષાનું ગરિમાસ્તર જાળવતાં. હલકા કે દ્વિઅર્થી શબ્દો, હુલામણાં કે અપમાનજનક નામો આપવાં, અંગત પ્રહાર કરવા એ બધું નરેન્દ્ર મોદીનું આપબળે શીખેલું છે, જેનું શ્રેય ઇન્દિરા ગાંધીને ન આપી શકાય.

૨. ઇન્દિરા ગાંધીમાં એક અસુરક્ષાની ભાવના હતી (paranoia). જેને લઈને તે સામા ઉપર પ્રહાર કરતાં. તેથી ઊલટું મોદી હંમેશાં આત્મવિશ્વાસમાં હોય છે. એ જો કોઈ પણ પ્રહાર કરે, તો તે ગણતરીથી હોય છે, ભયથી નહીં. (કદાચ એ સામા માણસને અસુરક્ષાની ભાવના અપાવતા હશે ?)

૩. ઇન્દિરા ગાંધીની આસપાસ જી-હજૂરિયાઓની એક રિંગ રહેતી (જેમાં મુખ્યત્વે પંજાબીઓ હતા). તેને પાર કરવા બધાં માટે શક્ય ન હતું. નરેન્દ્ર મોદીનો વિકાસ ગ્રાસરૂટ સંસ્થામાં થયો હોવાથી આવા હજૂરિયા તેમની ઇચ્છા વિના જમા ન થઈ શકે અને બહારની દુનિયાથી તેમને કાપી ન નાંખી શકે.

ઉપસંહાર

આવા થોડા તફાવતો ન ગણતાં નરેન્દ્ર મોદીનું વ્યક્તિત્વ અને કાર્યશૈલી જાણે ઇન્દિરા મૉડેલ પર જ ઘડાયાં છે તેમ દેખાય છે. જે પરિવારનો વિરોધ તેમનાં હાડમાં ઊંડે સુધી છે, તેના જ એક વડીલના જેવું પોતાનું વર્તન છે, તેવો કદી તેમને ખ્યાલ આવ્યો હશે ? અહીં એક બાજુ વાત સાબિત થાય છે કે સોનિયા ગાંધીએ પોતાનાં સાસુના પ્રભાવમાંથી પક્ષને છોડાવી લીધો છે. તેમનું પોતાનું વ્યક્તિત્વ પણ મહત્ત્વકાંક્ષા, કપટ કે નાટકબાજીથી ઉપર છે. કદાચ તેથી જ નરેન્દ્ર મોદી તેમને પ્રથમ દુશ્મન માને છે !

1. નવી પેઢીના વાચકોને કટોકટીની પશ્ચાદ્દભૂ ખબર ન હોય તો સંક્ષેપમાં તેનો ઇતિહાસ કરીએ : 1966માં શાસ્ત્રીજીના મૃત્યુ પછી ત્યારના કૉંગ્રેસ નેતાઓએ મોરારજીભાઈનો દાવો અવગણી ઇન્દિરા ગાંધીને વડાં પ્રધાનપદે બેસાડ્યાં, પરંતુ 1967ની ચૂંટણીમાં કૉંગ્રેસનો દેખાવ નબળો થયો. સત્તામાં રહેવા માટે હવે ડાબેરીઓનો ટેકો જરૂરી હતો. પોતાની ડાબેરી હોવાની છાપ ઊભી કરવા ઇન્દિરા ગાંધીએ બૅંકોનું રાષ્ટૃીયકરણ કર્યું, રાજાઓનાં સાલિયાણાં બંધ કર્યાં અને રાષ્ટૃપતિની ચૂંટણી માટે પક્ષના સત્તાવાર ઉમેદવાર સંજીવ રેડ્ડીની સામે મજૂરનેતા વી.વી. ગિરિને પોતાના ઉમેદવાર તરીકે ઊભા રાખ્યા. 1969માં કૉંગ્રેસના બે ટુકડા થયા. ત્યાર બાદ 1971ની ચૂંટણી, બાંગ્લાદેશ યુદ્ધ, પ્રચંડ ભાવવધારો અને છેલ્લે જયપ્રકાશ આંદોલન આવ્યાં. તેમાં ઉમેરાયો અલાહાબાદ હાઇકોર્ટનો ચૂકાદો, જેથી ઇન્દિરા ગાંધીની ચૂંટણી રદ જાહેર થઈ તે સાથે લોકશાહી અૌચિત્યની રીતે કામ ન લેતાં ઇન્દિરાજીએ કટોકટી લાદી પોતાની સત્તા જાળવવાનો રાહ લીધો હતો.

ફ્લેટ નં. ૩, પ્લોટ-૧૧૦, સેક્ટર-૨૮, વસઈ (નવી મુંબઈ) – ૪૦૦ ૭૦૩

સૌજન્ય :”નિરીક્ષક”, 01 નવેમ્બર 2014, પૃ. 06 – 07 અને 10

Loading

સરાહનીય ‘યજ્ઞ’ કાર્ય

ડંકેશ ઓઝા|Opinion - Opinion|9 November 2014

તા. ૧૨-૧૦-’૧૪ને રવિવારના રોજ ગૂજરાત વિદ્યાપીઠના ‘અહિંસા શોધ ભવન’માં યજ્ઞ પ્રકાશનના ઉપક્રમે તાજેતરનાં બાર પ્રકાશનોનો લોકાર્પણ કાર્યક્રમ અને બપોરના ભાગમાં પખવાડિક ‘ભૂમિપુત્ર’ના વાચકોના મિલનનો કાર્યક્રમ યોજાઈ ગયો. શ્રોતાઓની સંખ્યા પ્રમાણમાં બંને કાર્યક્રમોમાં સારી રહી. આજના સમયમાં આ પ્રવૃત્તિનુ જે મહત્ત્વ છે તે દૃઢીભૂત થયું.

૧૯૫૩થી ‘ભૂમિપુત્ર’ સામયિક પ્રગટ થાય છે. શરૂઆતમાં તે દસવારિક હતું. ભૂદાન આંદોલનના એ દિવસોમાં સામયિક શરૂ કરવાનાં બીજ સાબરમતી આશ્રમમાં મળેલી ચારેક મિત્રોની મંડળીમાં રોપાયેલાં, જેમાં પ્રબોધ ચોકસી, નારાયણ દેસાઈ, ચુનીભાઈ વૈદ્ય અને સૂર્યકાંત પરીખ હતા, સાથે ભાઈદાસ પરીખ વગેરે પણ ખરા. ચુનીકાકાએ સંસ્મરણો વાગોળતાં પ્રબોધ ચોકસીને આ મિત્રમંડળીમાં ખરા ‘જિનિયસ’ ગણાવ્યા! આખી પ્રવૃત્તિનો ઘણો બધો યશ તેમને જાય છે એમ પણ કહ્યું. સમયાન્તરે સૂર્યકાન્ત પરીખ સિવાયના આ ત્રણ મિત્રો ઉપરાંત ભીખુ વ્યાસ, મહેન્દ્ર ભટ્ટ, કાંતિ શાહ વગેરે તંત્રીપદે કામ કરતા રહ્યા અને અત્યારે રજનીભાઈ દવે, સ્વાતિ અને પારુલ દાંડીકરની નવી ટીમ આ સંપાદન-પ્રકાશન કાર્યમાં સક્રિય છે.

૧૯૭૫ના કટોકટીકાળમાં ઇન્દિરા ગાંધીની કૉંગ્રેસ સરકારે નાગરિકોની અભિવ્યક્તિને ગળે ટૂંપો દેવાનું પાપકાર્ય કર્યું ત્યારે બાબુભાઈ જશભાઈ પટેલની રાજ્ય સરકારને કારણે ગુજરાત લોકશાહીનો એક ટાપુ બની રહેલું. તે સમયે ‘ભૂમિપુત્ર’ અને ‘સાધના’, આ બે સામયિકોએ પ્રેસની આઝાદીનો ઝંડો ફરકતો રાખેલો. આજે ગુજરાતનાં ત્રણ વિચારપત્રો ગણાય છે : નિરીક્ષક, નયામાર્ગ અને ભૂમિપૂત્ર. બૌદ્ધિક અને શિક્ષિત સમાજમાં તેનાં ગૌરવપૂર્વક ઉલ્લેખ થાય છે. તેમાં ‘ભૂમિપુત્ર’નું ઘણું મોટું યોગદાન રહેલું છે.

સર્વોદય-ભૂદાન-વિનોબાના વિચારને સમર્પિત આ સામયિક વ્યાપક લોકહિતની બાબતોને પણ નિશ્ચિત રીતે ઉજાગર કરતું રહ્યું છે પછી તે આઝાદીની વાત હોય, ખાદી કે બુનિયાદી શિક્ષણની વાત હોય, અણુશક્તિ અને તેનાં દુષ્પરિણામોની વાત હોય, જળ-જમીન-જંગલ કે સમગ્ર પર્યાવરણની વાત હોય કે રાજ્યનાં ગૌચરો અદૃશ્ય થઈ રહ્યાં હોય તેની વાત હોય – આ બધી વખતે ‘ભૂમિપુત્ર’એ આખા સમાજનું ધ્યાન આ પ્રશ્નો અને સમસ્યાઓ પ્રત્યે અભ્યાસપૂર્ણ લેખો લખીને કે નાની-મોટી ચળવળોના અહેવાલો આપીને દોરતાં રહેવાનું પુણ્યકાર્ય સાતત્યપૂર્ણ રીતે કર્યું છે. આ જ વિષય પરનાં પ્રકાશન પણ તેણે કર્યાં છે.

સમગ્ર કાર્યક્રમની નોંધનીય બાબત એ હતી કે પ્રકાશનોના લેખકોએ અને કવચિત ઈન્દુકુમાર જાની અને પ્રકાશ ન. શાહ જેવા સમીક્ષકો, જે આ પૈકી કોઈ પુસ્તક સાથે પ્રસ્તાવના મારફતે જોડાયા હોય તેમને પણ પુસ્તકના લોકાર્પણ અને તેના પરિચયમાં સામેલ કરવામાં આવ્યા હતા. ‘ભૂમિપુત્ર’નાં પૂર્વ સંપાદકો ઉપરાંત ‘નિરીક્ષક’ અને ‘નયા માર્ગ’ના તંત્રીઓનું તથા સામયિક તેમ જ પુસ્તકોના છાપકામ સાથે સંકળાયેલા પ્રેસના મનીષભાઈનું પણ શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું. રોહિત શુક્લ અને સાગર રબારીનાં પુસ્તકો સાંપ્રત સમસ્યાઓ વિશે એક રીતે આંખ ઉઘાડનારાં અને બીજી રીતે માર્ગદર્શક બની રહે એવાં છે. છેલ્લાં પાનાની વાર્તા અને તે પણ પ્રાદેશિકભાષાની વાર્તા ‘ભૂમિપુત્ર’નું ઘરેણું મનાયું છે. અગાઉ હરિશ્ચંદ્ર બહેનો લાંબા સમય સુધી આ કામ સંભાળતી હતી. તે પછી આશા વીરેન્દ્ર સારી રીતે તે કરે છે એવી વાર્તાઓનો ‘તર્પણ-૨’ નામે બીજો સંગ્રહ પણ ખુલ્લો મૂકવામાં આવ્યો.

ચિંતાનો વિષય એ છે કે દેશની સમસ્યાઓ બાબતે આપણે નવી પેઢીને સામેલ કરવામાં ઊણા ઉતર્યા છીએ. શ્રોતાજનોમાં ભાગ્યે જ નવીપેઢીના પ્રતિનિધિઓ દેખાતા હતા. પ્રાધ્યાપક સંજય શ્રીપાદ ભાવે, ચંદુ મહેરિયા (દલિત અધિકાર), ભદ્રાબહેન સવાઈ અને આ લખનાર વગેરેએ વાચકો તરફથી ‘ભૂમિપુત્ર’ના સંપાદનની શક્તિઓ-નબળાઈઓ વિશે નુક્તેચીની કરી હતી.

છએક લાખના રૂપિયાના વાર્ષિક વેચાણ સાથે યજ્ઞ પ્રકાશન પોતાની પ્રવૃત્તિ સમાજના હિતમાં હાથ ધરી રહ્યું છે. ત્રણેક હજાર નકલો સાથે ‘ભૂમિપૂત્ર’ સામયિક સમાજની સમસ્યાઓ બાબતે વાચકોને જાગ્રતિ અને અભ્યાસનું ભાથું પૂરું પાડે છે. યજ્ઞ પ્રકાશનમાં પુસ્તકો સુઘડ રીતે અને પડતર કિંમતે મૂકાતાં હોય તેવું આપણે જોતાં આવ્યાં છીએ. દિગજ્જ સંપાદકોના ગયા પછી પણ આ યજ્ઞકાર્ય બરાબર ગતિએ ચાલતું રહ્યું છે તે આનંદદાયક અને સંતોષજનક બાબત છે, જે માટે ગુજરાત ગૌરવ અનુભવી શકે. આવો રૂડો અવસર યોજવાનું ‘નવી ટીમ’ને સૂઝી આવ્યું તે બદલ સંબંધિત સર્વને અભિનંદન.

આ પ્રસંગે પ્રકાશિત પુસ્તકોની યાદી …

૧. જીવનની વાતો – વિનોબા ભાવે

૨. નિંદ્રા સમાધિ સ્થિતિ – વિનોબા ભાવે

૩. આધુનિક યુગના આંતરપ્રવાહ – ગોવર્ધન દવે

૪. ખુદાઈ ખિદમતગાર – અનુ. સં. અમૃત મોદી

૫. ચિંતનનો ચંદરવો – રોહિત શુક્લ

૬. મોતનાં વાવેતર – સં. સ્વાતિ દેસાઈ

૭. ખેડૂત : ટકી રહેવાની મથામણ – સાગર રબારી

૮. ગુજરાત સરકારના કાયદા અને ગામડાં – સાગર રબારી.

૯. નર્મદા કિનારો : યાત્રાધામ કે પ્રવાસ ? – લખનભાઈ

૧૦. આપણો સહિયારો સાંસ્કૃતિક વારસો – મોહન દાંડીકર

૧૧. તર્પણ – ૨ (વાર્તાસંગ્રહ) – આશા વીરેન્દ્ર

૧૨. આવો, નવી દુનિયા બનાવીએ – સં. રજની દવે

સ્વાગત સિટી, અડાલજ, ગાંધીનગર

સૌજન્ય : “નિરીક્ષક”, 01 નવેમ્બર 2014, પૃ. 09

Loading

બુનિયાદી સવાલ શિક્ષણની તરાહનો?

પ્રકાશ ન. શાહ|Opinion - Opinion|8 November 2014

બુનિયાદી સવાલ શિક્ષણની તરાહનો ?

ગૂજરાત વિદ્યાપીઠ : વર્ણ અને વર્ગને ઓળાંડી જવાની શૈક્ષણિક મથામણના નવ દાયકે,

‘યુજીસી ગાઈડલાઈન્સ’ની પેલી મેર …

કોઈકે, કદાચ ધીરુભાઈ ઠાકરે એ મતલબનો પેરેલલ અંકિત કર્યો છે કે અમદાવાદમાં ગૂજરાત વિદ્યાપીઠ અને દીવાબત્તી એક સાથે આવ્યાં! અહીં અભિમત બાબત અલબત્ત સ્થૂલ સાલવારીની નથી. એ તો થોડી આઘીપાછી પણ વખત છે ને હોઈ શકે. પણ મુદ્દાની વાત એ છે કે આપણા વિશ્વકોશકારને ગાંધીજીનું શૈક્ષણિક પ્રસ્થાન, એકદમ જ જાણે કે ‘ભોમંડળમાં અજવાળું’ થયા જેવું લાગ્યું હતું. નવેમ્બર 2014માં આ પેરેલલ સાંભરી આવ્યો તે માટેનો ધક્કો અલબત્ત વિદ્યાપીઠના કુલનાયક (વાઈસ ચાન્સેલર) સંબંધે અને વિદ્યાપીઠ આસપાસ તાજેતરના દિવસોમાં જે બધો ઊહાપોહ ચાલ્યો તેને કારણે છે. સુદર્શન આયંગારનું સ્થાન હવે યથાસમય અનામિક શાહ લેશે. જો કે સર્ચ કમિટીની નિમણૂકને (અને તેથી કુલનાયકની વરણીને) કોઈક વર્તુળો પડકારવા ઈચ્છે છે એવા હેવાલો છે. પણ આ આખા ઘટનાક્રમને નકરી ટેકિનકાલિટીમાં ખતવી નાખવાથી વિદ્યાપીઠ નામે ઘટનાનો મરમ અને માયનો સમજવાથી વંચિત રહીએ એવું યે બને.

ભોમંડળમાં અજવાળા જેવો એક અનુભવ, એમ તો, 1857માં પણ ક્યાં નહોતો થયો? જેવો કહો તેવો પણ એક વિપ્લવ ત્યારે થયો હતો જેણે કંપની બહાદૂરના અંગ્રેજી રાજને પડકારવાપણું જોયું હતું. પણ આ જ 1857નું વરસ પાછું મુંબઈ યુનિવર્સિટીની સ્થાપનાનું પણ વરસ છે ! સાંસ્થાનિક રાજ સામે સામંતી તો સામંતી પણ એ જો એક સ્વરાજ ઉછાળો હતો તો જેની ખરે જ ખાસી જરૂર હતી એવા નવા જ્ઞાન અને નવી કેળવણી વાસ્તે યુનિવર્સિટીના આરંભનો પણ એ હરખ ઉછાળો હતો.બીજી પાસ, ગુરુકુલ કાંગડી અને શાંતિનિકેતન જેવા પ્રયાસો છતી નવી યુનિવર્સિટીઓએ ભારતીય છેડેથી કાંક જુદું જે જરૂરી જણાયું એમાંથી આવ્યા હતા. હકીકતે, 1915માં ગાંધીજી આફ્રિકાનો વસવાટ સંકેલી ભારત પાછા ફર્યા તે આગમચ એમણે ત્યાંના આશ્રમસાથીઓને  દેશમાં મોકલી ગુરુકુલ કાંગડી અને શાંતિનિકેતનમાં  રહેવા પણ સૂચવ્યું હતું. ગાંધીજી દેશ પરત ફર્યા પછી આ સાથીઓની સંભાળ લેવા શાંતિનિકેતન ગયા ત્યાં જ એમની કાલેલકર અને કૃપાલાની સાથે પ્રથમ મુલાકાત થઈ હતી, જે બંને આગળ ચાલતાં ગૂજરાત વિદ્યાપીઠ મારફતે નવગુજરાતનું ઘડતર કરવામાં અગ્રભૂમિકા ભજવવાના હતા.

પાછલા ઇતિહાસમાં જરી લાંબે ગયો છું, પણ ઉતાવળે એક વિગત કરી લઉં કે શાંતિનિકેતન અને કાંગડી તરેહનો નહીં પણ બ્રિટિશ ધાટીએ યુનિવર્સિટી પરંપરાનો કહી શકાય એવો એક મહદ્દ પ્રયાસ મદનમોહન માલવીયે કાશી હિન્દુ વિશ્વવિદ્યાલય(બનારસ હિંદુ યુનિવર્સિટી)રૂપે કર્યો હતો. એમાં પ્રાચીન ભારતીય ખેંચાણ અને પરદેશી સરકારની માન્યતા બેઉની અજબ જેવી મિલાવટ હતી. એલિટિસ્ટ ટાપુલોક, પ્રાચીનમતિ, વ્યાપક બહુજનસમાજથી વિખૂટા એક નવા બાબુવર્ગનો ઉદય આપણી યુનિવર્સિટી પ્રથામાં એને કારણે થઈ રહ્યો હતો. ગાંધીને આ યુનિવર્સિટીઓથી શક્ય જ્ઞાન પ્રાપ્તિ બાબતે કદર નહોતી એવું નથી, પણ અંગ્રેજી રાજ વેળાની જ યથાસ્થિતિ (સ્ટેટસ કો) સ્વરાજમાં પરબારી સંક્રાન્ત થવાની હોય એટલે કે ભદ્રલોક, બાબુલોગ એક પા અને લોક બીજી પા એવાં જુવારાં રહેવાનાં હોય તો એ સ્વરાજ અને નવી દુનિયા વિશેની એમની સમજના મેળમાં નહોતું. તેથી એમણે જેમાં જાતમહેનત અંગભૂત હોય એવી નવી કેળવણીની કોશિશ કરી અને વિદ્યાપીઠ મારફતે જો એક વૈશ્ય થકી શક્ય હોય તો બ્રાહ્મણનો ધર્મ બજાવવાનું ઋષિકાર્ય કર્યું. વર્ણ અને વર્ગ બંનેને ઓળાંડી જતી અને જન જનના જુવારાં ભાંગવા મથતી એ નવી કેળવણીની કોશિશ હતી : આ અર્થમાં વિદ્યાપીઠ ને દીવાબત્તી બેઉ સાથે આવ્યાં એ પેરેલલને જોવા જેવો છે.

સ્વરાજની ચળવળ વખતે તો જાણે સમજ્યા કે બનારસ હિંદુ યુનિવર્સિટીથી વિપરીત ગૂજરાત વિદ્યાપીઠ સરકારથી નિરપેક્ષપણે ચાલવાનો આગ્રહ સેવે … પરંતુ, સ્વરાજમાં પણ એવું શા માટે? આ મથામણમાંથી આગળ ચાલતાં મોરારજી દેસાઈ અને રામલાલ પરીખે એક સમયે એવી પરિપાટી વિકસાવી જેમાં યુ.જી.સી. સાથે સંબંધ છતાં વિદ્યાપીઠનું સ્વતંત્ર વ્યક્તિત્વ યથાસંભવ બની રહે. આપણે એક વસ્તુ સમજી લેવી જોઈએ કે સરકાર એટલે સરકાર, પછી તે અંગ્રેજ નહીં પણ સ્વરાજ હોય તો તે પણ; અને પક્ષ “અ’ નહીં ને પક્ષ “બ’ હોય તો પણ.

તેથી કથિત યુ.જી.સી. ગાઈડલાઈન્સ અને વિદ્યાપીઠની ભૂમિકા ટકરાયાના અખબારી હેવાલોની પેલી મેર જોવાની જરૂર છે : તમારું શિક્ષણ સરકારી (અને સવિશેષ તો કોર્પોરેટ) રાહે ચાલશે, કે પછી પ્રજાકીય રાહે? જો તે અખબારી હેવાલો કે અદાલતી ઊંચકનીચક, કશામાં આ મુદ્દો પકડાતો નથી એ આપણી સમજ કેવી દેકારાની દશા પામી હશે એની દ્યોતક બીના છે. 2020માં ગૂજરાત વિદ્યાપીઠ એક સૈકો પૂરો કરશે. કદાચ, એ સમય પાકી ગયો છે જ્યારે ગુજરાતનો નાગરિક સમાજ ચાલુ યુનિવર્સિટી પ્રથાથી કંઈક જુદા હોઈ શકતા આ પ્રયાસને ભલે તુલનાત્મક પણ સહૃદય ધોરણે તપાસે. જતીઆવતી સરકારો જેને પોતાના થાણા તરીકે નહીં પણ નવ્ય નાગરિકતા નીરક્ષીરવિવેકના ઠેકાણા તરીકે જુએ એવી સંસ્થાઓ વિકસાવ્યા વગર આપણો જયવારો હોવાનો નથી.

હજુ ઘણા મુદ્દા છૂટી જતા લાગે; પણ આ એકબે બુનિયાદી વાતો, પરિપ્રેક્ષ્ય રૂપે.

(લેખક વરિષ્ઠ પત્રકાર  છે અને વિચારપત્ર ‘નિરીક્ષક’ના તંત્રી છે.)

સૌજન્ય :”દિવ્ય ભાસ્કર”, 08 નવેમ્બર 2014

Loading

...102030...3,6583,6593,6603,661...3,6703,6803,690...

Search by

Opinion

  • લાકડાના વેપારીની બોઇંગ કંપનીનું સો વર્ષનું એકચક્રી શાસન ડામડોળ થઇ રહ્યું છે
  • ….. તો શું થાત?
  • અમેરિકી પ્રમુખ ટ્રમ્પને નોબેલ ‘અશાંતિ’ પુરસ્કાર અપાવો જોઈએ …
  • ભારતીય ઉડ્‍ડયન ક્ષેત્રના રન-વેની વિટંબણાઓઃ સલામતી, આર્થિક મજબૂતાઈ, નીતિની ગૂંચ જેવા બર્ડ હિટ
  • પશ્ચિમનો યુગ પૂરો થઈ ગયો છે

Diaspora

  • ભાષાના ભેખધારી
  • બ્રિટનમાં ગુજરાતી ભાષા-સાહિત્યની દશા અને દિશા
  • દીપક બારડોલીકર : ડાયસ્પોરી ગુજરાતી સર્જક
  • મુસાજી ઈસપજી હાફેસજી ‘દીપક બારડોલીકર’ લખ્યું એવું જીવ્યા
  • દ્વીપોના દેશ ફિજીમાં ભારતીય સંસ્કૃતિ અને હિન્દી

Gandhiana

  • પંડ સાથે ગાંધીચીંધ્યા જીવનને જોડીએ! 
  • ગાંધીમાર્ગ કઠિન છે?
  • બાપુનો દાંત
  • વિરાટદર્શન
  • નિર્મમ પ્રેમી

Poetry

  • કારમો દુકાળ
  • વિમાન લઇને બેઠા …
  • તારવણ
  • હે કૃષ્ણ ! કોણ છે તું?
  • આ યુદ્ધ છે !

Samantar Gujarat

  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 
  • સરકારને આની ખબર ખરી કે … 

English Bazaar Patrika

  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day
  • Destroying Secularism
  • Between Hope and Despair: 75 Years of Indian Republic

Profile

  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર
  • મૃદુલા સારાભાઈ
  • મકરંદ મહેતા (૧૯૩૧-૨૦૨૪): ગુજરાતના ઇતિહાસલેખનના રણદ્વીપ
  • અરુણભાઈનું ઘડતર – ચણતર અને સહજીવન

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved