Opinion Magazine
Number of visits: 10080936
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ખાલી ચણો વાગે ઘણો –

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|3 November 2025

રવીન્દ્ર પારેખ

આંધળાને પણ ખબર પડે એમ છે કે આખા દેશમાં શિયાળો શરૂ થવાને બદલે ચોમાસું ફરી શરૂ થયું હોય એવી સ્થિતિ છે. ચાર માસ માટે નહીં, પણ છ માસ માટે હોય તેમ ચોમાસું હવે છોમાસું કહેવાય તો નવાઈ નહીં ! સવારે સ્વેટર, બપોરે પહેરણ અને બહાર રેઈનકોટ પહેરવો પડે તેવી હાલત છે. દિવાળીની આસપાસ ખેડૂતોના પાક તૈયાર થઈ ગયા હતા, પણ કમોસમી વરસાદને લીધે ડાંગર, મગફળી, કપાસ ખેતરમાં જ ઠલવાઈ, ધોવાઈ ને નકામાં થઈ ગયાં છે. ઘણાં ગામોમાં મગફળીનો પાક તૈયાર હતો, પણ ખેતરમાં ભેજ સુકાય એટલે પાથર કરી રાખ્યા હતા, પણ તે પલળી જતાં ખેડૂતોની પાંચ મહિનાની મહેનત પર પાણી ફરી વળ્યું છે. મગફળીના પાકને તો 250 કરોડ સુધીનું નુકસાન થયાનો અંદાજ છે. ડાંગર પાણીમાં તરબોળ રહેવાને લીધે તેને અંકુર ફૂટ્યાં છે. આખા દેશની ખેતીને વત્તુંઓછું નુકસાન થયું છે, તેમાં ગુજરાતને વરસાદ અને વાવાઝોડાંએ એવું ધોયું છે કે ઊભો પાક નષ્ટ થઈ ગયો છે. ખેડૂતોને માથે હાથ દેવાનો વારો આવ્યો છે. આ નુકસાન એટલું વ્યાપક અને દેખીતું છે કે તેમાં કંઇ બચી જવાની ગુંજાઈશ જ ઓછી છે.

સરકારી અંદાજ પ્રમાણે દસ લાખ હેક્ટરના વાવેતર એરિયામાં 11,000 કરોડથી વધુના નુકસાનનો અંદાજ છે. નવેમ્બરમાં પણ વરસાદની આગાહીઓ ચાલુ જ છે, એટલે રવિ પાકનું વાવેતર પણ લંબાય એવી સ્થિતિ છે. એ હિસાબે વધુ નુકસાનની સંભાવનાઓ નકારી શકાય એમ નથી. ડિજિટલ સર્વે પડતો મૂકીને સરકારે ફિઝિકલ સર્વે ત્રણ દિવસમાં પૂરો કરવા તંત્રને સૂચના આપી છે, એટલે મંગળવાર સાંજ સુધીમાં નુકસાનનો અંદાજ આવવાની ધારણા છે. તે પછી બુધવારે મંત્રીમંડળની બેઠકમાં રાહત પેકેજ જાહેર થાય એમ બને. એ તો થતાં થશે, પણ ખેડૂતો સર્વેની વિરુદ્ધ છે એ ખરું. બીજી તરફ રોજ જ વરસાદી એલર્ટ અપાતાં રહે છે ને ખેતરો છલકાતાં રહે છે. દરિયામાં સ્થિર થયેલ ડિપ્રેશનને કારણે રાજ્યના સોથી વધુ તાલુકાઓ માવઠાંનો ભોગ બન્યા છે. 5 નવેમ્બર સુધી વરસાદી ઉન્માદ રહેશે એવું કહેવાય છે ને ત્યાં સુધીમાં બીજું કેટલું ને કેવું ધોવાણ થશે તેની કલ્પના જ કરવાની રહે છે.

રાજ્યના અમરેલી, ભાવનગર, સુરત, વલસાડ જેવા જિલ્લાઓમાં ખેડૂતોને ઘણું નુકસાન થયું છે. લાખો ટન મગફળી ખેતરમાં જ નકામી થઈ ગઈ છે. કપાસમાં ઈયળ પડી છે. આ ઉપરાંત ડુંગળી, લસણ, શાકભાજી, તુવેર વગેરેમાં પણ ઘણું નુકસાન છે. એવું સરકાર સ્વીકારે છે, પણ એક સમાચાર મુજબ સરકાર, દરિયામાં ખસખસ જેવું વળતર, હેક્ટરે 22,000નું આપવા તૈયાર થઈ છે. આમાં પણ સરકારની નીતિ બદલાતી રહે તો ખબર નહીં. શનિવારની બેઠકમાં સરકાર એમ કહે છે કે ૩૩ ટકાથી વધુ નુકસાન હશે તો જ વળતર અપાશે. આ સહાય પણ ફિઝિકલ સર્વે પછી કરવા સરકાર તૈયાર થઈ છે. સર્વેને નામે મજાક થઇ રહી હોવાનું ખેડૂતોને લાગે છે, તે એટલે કે ડિજિટલ સર્વેનો ખાસ અનુભવ ખેડૂતોને નથી ને કેટલાકે કોશિશ કરી તો કૃષિ એપ જ ખૂલતી નથી. બને કે અત્યારે ખેડૂતોના મત લેવાના નથી એટલે ઓછું વળતર જાહેર થયું હોય. ખેડૂતોની માંગ તો એવી છે કે સરકાર સહાય કરવાને બદલે, ખેડૂતોનું દેવું માફ કરે. મુખ્ય મંત્રીએ તો કમોસમી વરસાદથી થયેલા પાકના નુકસાન સંદર્ભે તાત્કાલિક સર્વે કરી સહાય ચૂકવવા નિર્દેશ આપ્યો છે, તો ડિજિટલ સર્વેનો વિપક્ષે પણ વિરોધ કર્યો છે ને ખેડૂતોનાં દેવાં માફ કરવાં પણ જણાવ્યું છે.

સાચી વાત તો એ છે કે છેલ્લા થોડા દિવસોમાં વરસી રહેલા વરસાદે ખેડૂતોના ઊભા પાકનો સોથ વાળી દીધો છે. આ નુકસાન એટલું દેખીતું અને વ્યાપક છે કે તેમાં નુકસાની સિવાય ખાસ કંઇ હાથમાં આવ્યું નથી. દેખીતું છે કે અણધારી ખોટની સામે ડિજિટલ સર્વેનો ખેડૂતોને વાંધો પડે ને પડ્યો જ છે. તેમણે વિરોધ પ્રદર્શિત કરવા ખેતરમાં પાક બાળીને હવન કર્યો છે. અનેક જિલ્લાના ખેડૂતોએ સરકારના સર્વે સામે વિરોધ નોંધાવતા કહ્યું કે કોઈ અધિકારીઓએ અને નેતાઓએ આવવાની જરૂર નથી. એ તો બધાં જ જાણે છે કે નુકસાન સો ટકા થયું છે, તો સરકારે સર્વેનું નાટક શું કામ કરવું જોઈએ? ખેડૂતોનું માનવું છે કે સરકાર હેક્ટર દીઠ બાર કે બાવીસ હજાર આપે તો એટલામાં ખાતર-બિયારણ પણ ન આવે અને બગડેલો પાક બહાર કાઢવાનો ખર્ચ ખાતર પર દિવેલ જ પુરવાર થાય !

ટૂંકમાં, સર્વેનો વિરોધ બધા જ ખેડૂતો કરે છે. પાક ધીરાણની સરકાર માફી આપે અને જો વળતર આપવું હોય તો સીધું ખાતામાં આપે એવી માંગ ખેડૂતોની છે. જો કે, ભારતીય કિસાન સંઘના પ્રદેશ પ્રમુખે સર્વેને આવકારતા ખેડૂતો વતી કહ્યું કે સર્વે થયા પછી કેટલા દિવસમાં વળતર મળશે તેનો એક્શન પ્લાન બનાવવો જોઈએ. કિસાન ક્રાંતિ ટ્રસ્ટના પ્રમુખે પણ સો ટકા નુકસાનની વાત દોહરાવતા કહ્યું કે માત્ર 500 કરોડ કે 2,000 કરોડની જાહેરાત કરીને, તેના ભાગ પાડીને બટકું નાખવાના હો તો તેવું નથી જોઈતું. ખેડૂત દેવામાં ગળાડૂબ છે. આ હાલત હોય ત્યારે સરકાર પડખે હોય તેવી અપેક્ષા ખેડૂતોને છે.

*

દસેક દિવસના કમોસમી વરસાદે ગુજરાતમાં અને મોન્થા વાવાઝોડાએ દક્ષિણમાં ને આમ તો લગભગ આખા દેશમાં અનેક રીતે તારાજી સર્જી છે. થોડાં વર્ષ પર આવેલા કોરોનાએ કોઈ પણ મહાયુદ્ધ કરતાં વધારે જીવ લીધા છે. ધરતીકંપ, પૂર, આગ જેવી અણધારી આફતો મૃત્યુ અને મિલકતોનો એવો વિનાશ સર્જે છે કે કહેવાતી પ્રગતિ પર પાણી ફરી વળે છે. આપણે પૃથ્વીનું વાતાવરણ સુધારવાને બદલે, ચંદ્રને બગાડવા ત્યાં વસાહતો ઊભી કરવા તત્પર છીએ તેનું આશ્ચર્ય જ છે. ખરેખર તો અહીં દસ દિવસ વરસાદ આવે છે ને ઊભા પાકને નકામો કરી દે છે, તે સ્થિતિ સુધારવાની જરૂર છે. ઋતુઓમાં આવી રહેલું પરિવર્તન અનેક મુશ્કેલીઓ ઊભી કરી રહ્યું છે, ત્યારે તેના ઉપાયો કરવાની જરૂર છે. આ સ્થિતિ જોડે જ ટેવાવાનું હોય તો તેને પહોંચી વળવાના રસ્તા શોધવા અનિવાર્ય બન્યા છે. ભારતમાં શિયાળો, ઉનાળો અને ચોમાસું – એમ ત્રણ ઋતુનો જે સ્પષ્ટ અનુભવ થતો હતો, તે સ્થિતિ બદલાતી આવે છે ને હવે એક જ દિવસમાં ત્રણે ઋતુનો અનુભવ થાય છે.

દુનિયા આખી એવા વૈશ્વિક ડરનો શિકાર છે કે કોઈ મારી ન જાય એટલે શસ્ત્રોથી કિલ્લેબંધી કરવી ને તેને માટે શસ્ત્રો વસાવવાં. હજારો કિલોમીટર દૂરના શત્રુને મારવા અદૃશ્ય મિસાઈલનું પરીક્ષણ થાય છે, પણ નજીકમાં વસતાં લોકોને જીવાડવાની કોશિશ ખાસ થતી નથી. બે સત્તાઓ લડે છે, પણ તેને ખાસ કંઇ થતું નથી, પણ બંને સત્તાઓના નિર્દોષ લોકો માર્યા જાય છે ને જે બચી જાય છે, તેમની હાલત પણ ઓછી લોહિયાળ નથી ! શાંતિથી જીવવાનું છે તેને બદલે સર્વોપરી બનવાની લહાયમાં અનેકોની જિંદગી જોડે રમત રમવાના ખેલ વૈશ્વિક સ્તરે ચાલે છે ને કહેવાતાં સમાધાનોનાં પણ સુરસુરિયાં થતાં રહે છે. ચાર પાંચ પાગલોની હુંસાતુંસીમાં આખું વિશ્વ બેયોનેટ પર ઊંચકાયેલું હોય એવી સ્થિતિ છે.

અંદરોઅંદર લડી મરવાનું શૂરાતન આદિકાળથી ચાલે છે, પણ માણસ જાત એ વિચારતી નથી કે કોઈને પણ લડાવ્યા વગર, એક કોરોના આવે છે તો લાખો જીવો પછી શોધ્યા જડતા નથી, આખું જંગલ આગમાં ખાખ થાય છે તેની સામે આપણું વૃક્ષારોપણ ક્યાં અને કેટલું ટકે છે તે જોવાનું રહે. એક વાવાઝોડા સામે આપણી પામરતા વારંવાર સિદ્ધ થઈ છે કે એકાદ વિનાશક પૂર કેટલાં ય ઘરોનાં ઈંટ, ચૂના કેવાં રસ્તે લાવી દે છે તે કહેવાની જરૂર નથી. આપણે અણુ સંહાર કરીએ તેનાં કરતાં કુદરત વિફરે તો આખી પૃથ્વી હાથથી જાય એવું બને, પણ કુદરત સર્જન, વિસર્જનનું સંતુલન જાણે છે ને જાળવે છે. માણસ જાત બબ્બે વિશ્વયુદ્ધોના કારમા અનુભવ પછી પણ યુદ્ધની લાલાશનો મોહ છોડી શકતી નથી તે દુ:ખદ છે. વધારે નહીં તો કમોસમી વરસાદ રોકવાનું માણસ કંઇ શોધી આપે તો કમ સે કમ ખેડૂતો તો તેનાં ઋણી જ રહેશે, વધારે શું કહેવું?

000

e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 03 નવેમ્બર 2025

Loading

પ્રેમનું નગર

ચૈતન્ય જોષી 'દીપક'|Opinion - Opinion|3 November 2025

નફરતની ગલીમાં પ્રેમનું નગર વસાવ્યું મેં.
વહેતી જ્યાં સ્નેહ સરિતા એવું બનાવ્યું મેં.

શબ્દો ઉચ્ચરતા સૌ સદાય ત્યાં સુંવાળાને,
વૈખરીને આપી વિદાય કેટકેટલું સજાવ્યું મેં.

મધુજબાને‌ હસ્તધૂનન કરી એકમેક ભેટતા,
જાણે કે સ્નેહઝરણ પારસ્પરિક વહાવ્યું મેં.

ખટપટ, પંચાત, કાવાદાવાને પ્રવેશબંધી રાખી,
માનવ થઈને સૌને રહેવાનું એ સમજાવ્યું મેં.

સંપ, એકતા, કરુણા, આસ્થાએ વાસ કીધો
પ્રેમના સામ્રાજ્યે સ્વર્ગ સાકેતને ભૂલાવ્યુ મેં .

પોરબંદર
e.mail : chaitanyajc555@gmail.com

Loading

આપણા શ્રેષ્ઠ યોદ્ધાઓના નાયક

વલ્લભભાઈ પટેલ [પ્રેષક / અનુવાદ : હિદાયત પરમાર]|Opinion - Opinion|2 November 2025

[સરદાર વલ્લભભાઈ પટેલ (૧૮૭૫-૧૯૫૦) ભારતીય રાષ્ટ્રીય કાઁગ્રેસના સૌથી મહત્ત્વપૂર્ણ નેતાઓમાંના એક હતા, જેમણે ભારતીય સ્વતંત્રતા આંદોલનમાં અને પછી એક એકીકૃત તથા સ્વતંત્ર ભારતના નિર્માણમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. તેઓ તેમની કેબિનેટમાં દેશના પ્રથમ ગૃહ મંત્રી અને નાયબ વડા પ્રધાન હતા. બંને શબ્દો—નેહરુ અને પટેલ—ઘણી વખત અનેક મુદ્દાઓ પર અસહમત થઈ જતા હતા. આ મતભેદ વ્યક્તિગત અને જાહેર બંને રીતે વ્યક્ત થતો હતો. તેમ છતાં બંને વ્યક્તિઓ એકબીજાનો ખૂબ આદર કરતા હતા અને ભારતના સામાજિક તથા રાજકીય જીવનમાં એકબીજા દ્વારા કરવામાં આવેલા યોગદાનને ખુલ્લેઆમ વખાણતા-સ્વીકારતા હતા. આ લેખ આ જ બિંદુને દર્શાવે છે.]

સરદાર પટેલ અને પંડિત નેહરુ

જવાહરલાલ અને હું સાથે સાથે કાઁગ્રેસના સભ્ય, આઝાદીના સિપાહી, કાઁગ્રેસની કાર્યકારિણી અને અન્ય વ્યૂહરચનાઓના સહકાર્યકર, મહાત્માજીના—જેઓ આપણા દુર્ભાગ્યથી આપણને મોટી જટિલ સમસ્યાઓ સાથે ઝઝૂમવા માટે છોડી ગયા છે—અનુયાયીઓ, અને આ વિશાળ દેશની શાસન વ્યવસ્થામાં અધિક ભારના વાહક રહ્યા છીએ. આટલા વિવિધ પ્રકારના કર્મક્ષેત્રોમાં સાથે રહીને અને એકબીજાને જાણીને અમારામાં પરસ્પર સ્નેહ હોવો સ્વાભાવિક હતો. સમયની ગતિ સાથે તે સ્નેહ વધતો ગયો છે અને આજે લોકો કલ્પના પણ નથી કરી શકતા કે જ્યારે આપણે અલગ થઈએ છીએ અને પોતાની સમસ્યાઓ અને મુશ્કેલીઓનો ઉકેલ કાઢવા માટે એકબીજા સાથે મળીને વિચાર નથી કરી શકતા, તો આ અંતર અમને ઘણું ખટકે છે. પરિચયની આ ઘનિષ્ઠતા, આત્મીયતા અને ભાઈસમાન સ્નેહને કારણે મારા માટે તેની સમીક્ષા સામાન્ય લોકો માટે રજૂ કરવી મુશ્કેલ બની જાય છે. પરંતુ દેશના આદર્શ, જનતાના નેતા, રાષ્ટ્રના વડા પ્રધાન અને સૌના લાડકા જવાહરલાલને, જેમના મહાન કાર્યોનો ભવ્ય ઇતિહાસ સૌની સામે ખુલ્લી પોથી જેવો છે, મારા અનુમોદનની કોઈ જરૂર નથી.

દૃઢ અને નિષ્કપટ યોદ્ધા તરીકે તેમણે વિદેશી શાસન સામે અવિરત યુદ્ધ કર્યું. યુનાઇટેડ પ્રોવિન્સના ખેડૂત આંદોલનના આયોજક તરીકે પ્રથમ ‘દીક્ષા’ મેળવીને તેઓ અહિંસક યુદ્ધની કળા અને વિજ્ઞાનમાં સંપૂર્ણ નિપુણ બની ગયા. તેમની લાગણીઓની તીવ્રતા અને અન્યાય અથવા ઉત્પીડન સામેના તેમના વિરોધે ટૂંક સમયમાં જ તેમને ગરીબી પર જેહાદ જાહેર કરવા મજબૂર કરી દીધા. દીન પ્રત્યેની સહજ સહાનુભૂતિ સાથે તેમણે નિર્ધન ખેડૂતોની સ્થિતિ સુધારવાના આંદોલનની આગમાં પોતાને ઝોંકી દીધા. ક્રમશઃ ઊંચે થી ઊંચા શિખરો પર પહોંચાડી દીધા છે. પત્નીની બીમારીને કારણે કરવામાં આવેલી વિદેશયાત્રાએ ભારતીય રાષ્ટ્રવાદ સંબંધિત તેમની લાગણીઓને એક આકાશી આંતરરાષ્ટ્રીય સ્તર પર પહોંચાડી દીધી. આ તેમના જીવન અને ચરિત્રના તે આંતરરાષ્ટ્રીય વલણની શરૂઆત હતી જે આંતરરાષ્ટ્રીય અથવા વિશ્વ સમસ્યાઓ પ્રત્યેના તેમના વલણમાં સ્પષ્ટપણે દેખાય છે. તે સમયથી જવાહરલાલે ક્યારે ય પાછળ વળીને નથી જોયું; ભારતમાં પણ અને બહાર પણ તેમનું મહત્ત્વ વધતું જ ગયું છે. તેમની વૈચારિક નિષ્ઠા, ઉદાર વૃત્તિ, તીક્ષ્ણ દૃષ્ટિ અને લાગણીઓની સત્યતા પ્રત્યે દેશ અને વિદેશની લાખો જનતાએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે.

આથી તે યોગ્ય જ હતું કે સ્વતંત્રતાના પ્રભાત પહેલાંના ઘોર અંધકારમાં તેઓ આપણા માર્ગદર્શક જ્યોતિ બન્યા, અને સ્વાધીનતા મળતાં જ જ્યારે ભારતની આગળ સંકટ પર સંકટ આવી રહ્યા હોય ત્યારે આપણા વિશ્વાસનું કેન્દ્ર બન્યા અને આપણી જનતાનું નેતૃત્વ કર્યું. અમારા નવા જીવનના છેલ્લા બે કઠિન વર્ષોમાં તેમણે દેશ માટે જે અથાક પરિશ્રમ કર્યો છે, તેને મારા કરતાં વધુ સારી રીતે કોઈ નથી જાણતું. આ અવધિમાં તેમને પોતાના ઉચ્ચ પદની ચિંતાઓ અને પોતાની ગંભીર જવાબદારીઓના ભારને કારણે ઝડપથી વૃદ્ધ થતા જોયા છે. શરણાર્થીઓની સેવામાં તેમણે કોઈ કસર નથી છોડી, અને તેમાંથી કોઈ શાયદ જ તેમની પાસેથી નિરાશ પાછા ફર્યા હોય. કોમનવેલ્થની પરામર્શોમાં તેમણે નોંધપાત્ર ભાગ લીધો છે, અને વિશ્વના મંચ પર પણ તેમનું કાર્ય અત્યંત મહત્ત્વપૂર્ણ રહ્યું છે. પરંતુ આ બધું છતાં તેમના ચહેરા પર યુવાનીની જૂની ચમક કાયમ છે, અને તે સંતુલન, મર્યાદા-જ્ઞાન અને ધૈર્ય, મિલનસારી, જે આંતરિક સંયમ અને બૌદ્ધિક અનુશાસનનો પરિચય આપે છે, હજુ પણ જેમના તેમ છે. નિ:શંક તેમનો ક્રોધ ક્યારેક ફાટી નીકળે છે, પરંતુ તેમની અધીરાઈ, કારણ કે ન્યાય અને કાર્ય-તત્પરતા માટે હોય છે અને અન્યાયને સહન નથી કરતું, તેથી આ વિસ્ફોટો પ્રેરણાદાયી જ હોય છે અને બાબતોને ઝડપ અને પરિશ્રમ સાથે ઉકેલવામાં મદદ કરે છે. આ માની લો સુરક્ષિત શક્તિ જ છે, જેની મદદથી આળસ, દીર્ઘસૂત્રતા અને લગન અથવા તત્પરતાની ઊણપ પર વિજય મેળવાય છે.

ઉંમરમાં મોટા હોવાને કારણે મને અનેક વખત તેમને શાસન-વ્યવસ્થા અથવા સંગઠનના ક્ષેત્રમાં અમારી સામે આવતી સમસ્યાઓ પર સલાહ આપવાનું સૌભાગ્ય મળ્યું છે. મેં હંમેશાં તેમને સલાહ લેવા તૈયાર અને માનવા તૈયાર જ જોયા છે. કેટલાક સ્વાર્થી લોકોએ અમારા વિશે ભ્રમ ફેલાવવાનો પ્રયત્ન કર્યો છે અને કેટલાક નિર્દોષ વ્યક્તિઓ તેના પર વિશ્વાસ પણ કરી લે છે, પરંતુ વાસ્તવમાં અમે આજીવન સહકારીઓ અને ભાઈઓની જેમ સાથે કામ કર્યું છે, અને એકબીજાના મતામતનો હંમેશાં આદર કર્યો છે જેમ કે ઊંડો વિશ્વાસ હોય ત્યારે જ કરી શકાય. તેમના મનોભાવ યુવાનોના ઉત્સાહથી લઈને પ્રૌઢ ગંભીરતા સુધી સતત બદલાતા રહે છે, અને તેમાં તે માનસિક લચક છે જે બીજાને સહન પણ કરી લે છે અને નિરુત્તર પણ કરી દે છે. રમતા બાળકોમાં અને વિચારમાં ડૂબેલા વૃદ્ધોમાં જવાહરલાલ સમાન ભાવથી ભાગ લઈ લે છે. આ લચક અને બહુમુખીતા જ તેમના અજસ્ર યૌવનનું, તેમની અદ્ભુત ચપળતા અને તાજગીનું રહસ્ય છે.

તેમના મહાન અને ઉજ્જવળ વ્યક્તિત્વ સાથે આ થોડા શબ્દોમાં ન્યાય નથી કરી શકાતો. તેમના ચરિત્ર અને કાર્યોનો બહુમુખી વિસ્તાર વર્ણનથી પર છે. તેમના વિચારોમાં ક્યારેક તે ઊંડાઈ હોય છે જેનું તળ ન મળે, પરંતુ તેમની નીચે હંમેશાં એક નિર્મળ પારદર્શી ખરાપણું, અને યૌવનની તેજસ્વિતા રહે છે, અને આ ગુણોને કારણે સર્વસામાન્ય—જાતિ ધર્મ દેશની સીમાઓ પાર કરીને—તેમની સાથે સ્નેહ કરે છે.

સ્વાધીન ભારતની આ અમૂલ્ય નિધિનું આપણે આજે, તેમની હીરક જયંતીના અવસરે, અભિનંદન કરીએ છીએ. દેશની સેવામાં, અને આદર્શોની સાધનામાં તેઓ સતત નવા વિજય પ્રાપ્ત કરતા રહે.

– વલ્લભભાઈ પટેલ
૧૪ ઓક્ટોબર, ૧૯૪૯
સૌજન્ય : હિદાયતભાઈ પરમારની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

...102030...201202203204...210220230...

Search by

Opinion

  • એક યુવક જન્તર મન્તર છોડતી વખતે પોલીસને કહેતો જાય કે, “ફિર આયેંગે ઔર તબ બંદૂક લેકર આના.”
  •  પ્રાથમિક શિક્ષણથી યુનિવર્સિટી શિક્ષણ સુધી ભ્રષ્ટાચાર એ જ શિષ્ટાચાર …
  • ૨૧મી સદીમાં ઘર પુન: બાંધવું
  • Gen Zનો રોષ: કઠેડામાં આજની કે અગાઉની પેઢી નહીં, વ્યવસ્થા છે
  • ચલ મન મુંબઈ નગરી—353

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 
  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …

Poetry

  • નિષ્ક્રમણ
  • ગઝલ
  • માર્યા જશે
  • ચાર સાંપ્રત હિન્દી કાવ્યો
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • State-Sponsored Communal Profiling : The Gujarat Government Must Be Held Accountable
  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved