Opinion Magazine
Number of visits: 9842846
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

બ્રિટિશ સરકાર દ્વારા પ્રતિબંધિત ગુજરાતી પુસ્તકો

દીપક મહેતા|Opinion - Literature|14 August 2025

ગ્રંથયાત્રા – 9

દીપક મહેતા

આપણા દેશમાં ૧૯૪૭ પહેલાં બ્રિટિશ સરકાર દ્વારા જે ગુજરાતી પુસ્તકો પર એક યા બીજે વખતે પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો તે વિષે વાત કરતાં પહેલાં એક-બે વાતની સ્પષ્ટતા કરવાનું જરૂરી છે. વ્યવહારની સરળતા ખાતર આપણે ભલે ‘પ્રતિબંધિત’ શબ્દ વાપરીએ, પણ કાયદાની દૃષ્ટિએ એ જમાનામાં પણ સરકારે એક પણ પુસ્તક પર ‘પ્રતિબંધ’ મૂક્યો નહોતો, પ્રકાશન અટકાવ્યું નહોતું, કે પ્રિસેન્સરશિપ લાદી નહોતી. પણ સરકારને જે પુસ્તક (કે સામયિક અથવા અખબારનો અંક) વાંધાજનક લાગે તે પુસ્તક રાખવું, વાંચવું, વેચવું કે વહેંચવું, વગેરે ગુનાહિત કૃત્ય ગણાય એમ કાયદા દ્વારા ઠરાવ્યું હતું. પુસ્તક ‘વાંધાજનક,’ ઉશ્કેરણીજનક’ કે ‘જાહેર શાંતિ અને સલામતીને જોખમાવે’ એમ છે એવું સરકારને લાગે તો તેની મળે તેટલી નકલો સરકાર જપ્ત કરતી અને કેટલાક કિસ્સાઓમાં તેનો નાશ કરતી. પણ આ રીતે જપ્ત કરેલ કે નાશ કરેલ દરેક પુસ્તક કે સામયિકની કેટલીક નકલ સરકારી દફતરમાં સાચવી રાખવામાં આવતી – દેશમાં તેમ જ બ્રિટનમાં. ૧૮૯૮ના ક્રિમિનલ પ્રોસિજર કોડ(૧૮૯૮નો પાંચમો કાયદો)ની ૯૮બી કલમ હેઠળ આમ કરવાની સત્તા સરકારને પહેલી વાર મળી હતી. 

The Government may, by notification in the official Gazette, stating the grounds of its opinion, declare every copy of the issue of the newspaper containing such matter, words or visible representations, and every copy of such book or other document to be forfeited to Government, and thereupon any police-officer may seize the same wherever found in India and any Magistrate may by warrant authorise any police-officer not below the rank of sub-inspector to enter upon and search for the same in any premises where any copy of such issue or any such book or other document may be or may be reasonably suspected to be.

એટલે કે, આ અંગે પહેલાં સરકારી ગેઝેટમાં જાહેરાત કરવી પડતી. ત્યાર બાદ આવી નકલો શોધવા માટે સ્થાનિક મેજિસ્ટ્રેટ પાસેથી વોરંટ મેળવ્યા પછી સ્થાનિક પોલીસને ‘સર્ચ એન્ડ સીઝર’ની કાર્યવાહી કરવાની સત્તા મળતી હતી. વળી એ પણ નોંધવું જોઈએ કે થોડા ઘણા ફેરફારો સાથે બ્રિટિશ સરકારે ઘડેલો આ કાયદો આજે પણ ભારત, પાકિસ્તાન, અને બાંગ્લાદેશની સરકારોએ અપનાવ્યો છે.

આ રીતે કોઈ પુસ્તક પર ‘પ્રતિબંધ’ લાદવામાં આવે તે પછી તેની નકલો જાહેરમાં રાખવાનું તો શક્ય નહોતું. એટલે આજે પણ જાહેર પુસ્તકાલયોમાં આવાં પુસ્તકોની નકલ ભાગ્યે જ જોવા મળે છે. પણ સારે નસીબે, આવાં પુસ્તકોની નકલો ચાર સ્થળે વ્યવસ્થિત રીતે સાચવવામાં આવી છે. તેમાંની બે જગ્યા બ્રિટનમાં છે અને બે ભારતમાં. આવાં પુસ્તકોનો અલાયદો સંગ્રહ બ્રિટિશ લાઈબ્રેરી અંતર્ગત ઇન્ડિયા ઓફિસ લાયબ્રેરીમાં અને બ્રિટિશ મ્યુઝિયમમાં રાખવામાં આવ્યો છે. ઇન્ડિયા ઓફિસ લાયબ્રેરીમાંથી મળતી માહિતી પ્રમાણે બ્રિટિશ સરકારે કૂલ ૧૦૭ ગુજરાતી આઇટમ આ રીતે જપ્ત કરી હતી. તેમાં ૫૮ પુસ્તકોનો સમાવેશ થતો હતો. બાકીની ૪૯ આઈટમમાં સામાયિક કે અખબારના અંકો, હેન્ડ બિલ, જાહેરાતો, વગેરેનો સમાવેશ થતો હતો. આપણા દેશમાં નેશનલ આર્કાઇવ્ઝમાં રાખવામાં આવેલ ‘હોમ (પોલિટિકલ) પ્રોસીડીન્ગ્ઝ ખાતે તથા નેશનલ આર્કાઇવ્ઝની લાયબ્રેરીમાં આ પ્રકારની સામગ્રી સચવાઈ છે. નેશનલ આર્કાઈવ્ઝમાંથી મળતી માહિતી પ્રમાણે કૂલ ૬૧ ગુજરાતી આઈટમ બ્રિટિશ સરકારે જપ્ત કરી હતી. અહીં એ વાત ખાસ નોંધવા જેવી છે કે આપણા દેશમાં રહેલા સંગ્રહ કરતાં બ્રિટનમાં સચવાયેલો સંગ્રહ સારો એવો મોટો છે.

બીજી એક રસપ્રદ વાત પણ ધ્યાનમાં આવે તેમ છે. દેશની બધી ભાષાઓ અને તેમના સાહિત્યમાંથી ગાંધીજીનો પ્રભાવ જો કોઈના પર સૌથી વધુ પડ્યો હોય તો તે ગુજરાતી પર. એટલે આપણે એમ માનીએ કે બીજી ભાષાઓની સરખામણીમાં ગુજરાતી પ્રતિબંધિત પુસ્તકોની સંખ્યા વધુ હશે. પણ નેશનલ આર્કાઈવ્ઝમાંથી મળતા આંકડા કૈંક જૂદું જ ચિત્ર રજૂ કરે છે. સૌથી વધુ પ્રતિબંધિત આઈટમ (૪૦૨) હિન્દી ભાષાની હતી. ત્યાર બાદ આવે છે ઉર્દૂ ૧૨૬, પંજાબી ૧૧૪, અંગ્રેજી ૮૯, મરાઠી ૮૮. બીજી નવાઈની વાત એ છે કે બંગાળીમાં પ્રતિબંધિત આઈટમની સંખ્યા સૌથી ઓછી છે, ૪૮. 

આપણા દેશમાંના સંગ્રહની યાદી જોતાં ૧૯૦૭ સુધી કોઈ ગુજરાતી પુસ્તક આ કાયદા હેઠળ જપ્ત થયું હોય તેવું જાણવા મળતું નથી. ૧૯૦૭માં ‘સ્વદેશ કીર્તન’ નામના પુસ્તકનો પહેલો ભાગ જપ્ત થયો હતો. ૩૨ પાનાંનું આ પુસ્તક અમદાવાદના સસ્તું સાહિત્ય પ્રચારક મંડલ દ્વારા પ્રગટ થયું હતું. બ્રિટિશ શાસન દરમ્યાન જપ્ત થયેલું છેલ્લું પુસ્તક હતું લાભુબહેન મહેતાએ ‘વીર જવાહરલાલ’ નામે લખેલું પંડિત જવાહરલાલ નેહરુનું જીવન ચરિત્ર. ૧૯૪૧માં અમદાવાદના ભારતી સાહિત્ય સંઘ દ્વારા તે પ્રગટ થયું હતું. જેનું પુસ્તક બ્રિટિશ સરકારે જપ્ત કર્યું હોય તેવાં એકમાત્ર ગુજરાતી લેખિકા લાભુબહેન છે. એ વખતે એમની ઉંમર માત્ર ૨૬ વર્ષની હતી.

‘સ્વદેશ કીર્તન’ની ૧૯૦૭ની આવૃત્તિની પ્રસ્તાવના પરથી જણાય છે કે મૂળ આ પુસ્તક ‘દેશભક્તિનાં કાવ્યો’ નામે ગુજરાત સાહિત્ય સભા દ્વારા પ્રગટ થયું હતું અને તેનું સંપાદન હિમ્મતલાલ ગણેશજી અંજારિયાએ કર્યું હતું. તેની ૫૦૦ નકલ વેચાઈ ગઈ હતી. ‘સ્વદેશ કીર્તન’ નામે તેની પહેલી આવૃત્તિ ૧૯૦૬ પહેલાં ક્યારેક પ્રગટ થઇ હતી અને તેની ૨,૦૦૦ નકલ વેચાઈ ગઈ હતી. પણ તે વખતે તે સરકારની નજરે ચડ્યું નહિ હોય. પણ સ્વદેશ કીર્તનની બીજી આવૃત્તિ ૧૯૦૭માં પ્રગટ થઇ તે સરકારની નજરે ચડી ગઈ અને તેના પર પ્રતિબંધ મૂકાયો. આ પુસ્તકના ટાઈટલ પેજ પર તેના સંપાદક તરીકે કોઈનું નામ છાપ્યું નથી. પણ પ્રસ્તાવનામાં જણાવ્યા પ્રમાણે તેનું સંપાદન આપણા જાણીતા વિદ્વાન રમણભાઈ નીલકંઠે કર્યું હતું! બિન્દુભાઈ જસવંતરાય અને ભોગીન્દ્રરાવ રતનલાલ દિવેટીઆએ તેમને મદદ કરી હતી. પહેલી આવૃત્તિ કરતાં બીજી આવૃત્તિમાં વધારે ગીતો મૂક્યાં છે (કૂલ ૮૩ ગીતો છે) જેમાંનાં કેટલાંક ઉત્કટ દેશદાઝનાં છે એટલે કદાચ સરકારને તે પુસ્તક વાંધાજનક લાગ્યું હશે. પુસ્તકને આરંભે ‘સ્વદેશ ધર્મ’ નામનો બે પાનાંનો લેખ મૂક્યો છે. લાલા શિવનારાયણના મૂળ અંગ્રેજી લેખનો અનુવાદ કર્યો છે આનંદશંકર બાપુભાઈ ધ્રુવે!     

કવિતા, નવલકથા, ટૂંકી વાર્તા, નાટકનાં તથા ધર્મ અને તત્ત્વજ્ઞાન વિશેનાં એક સો કરતાં વધુ પુસ્તકો લખનાર નારાયણ વસનજી ઠક્કુર (૧૮૮૪-૧૯૩૮) એમના જમાનાના એક અત્યંત લોકપ્રિય લેખક હતા. ૧૯૧૧માં તેમની એક સામાજિક નવલકથા પ્રગટ થઇ : ‘આજકાલનો સુધારો કે રમણીય ભયંકરતા?’ ૩૫૨ પાનાંની આ નવલકથામાં ક્યાં ય એક શબ્દ પણ સરકારની વિરુદ્ધનો હોય તેવો જોવા મળતો નથી. તો પછી સરકારે આ પુસ્તક જપ્ત કેમ કર્યું હશે? સંભવિત કારણ એ છે કે તેમાં સામાજિક સુધારાનો આત્યંતિક વિરોધ કરવામાં આવ્યો છે. અને કહેવાતી ભારતીય પરંપરાને ઉજળી બતાવવા ખાતર લેખકે બ્રિટિશ પદ્ધતિનાં શિક્ષણ, ન્યાયવ્યવસ્થા, વહીવટી તંત્ર વગેરેને ઉતારી પાડ્યાં છે અને આ પરદેશીઓ માંસ, દારુ વગેરે છૂટથી ખાય-પીએ છે તેની આકરી ટીકા કરી છે. કથાનો આરંભ થાય છે મુંબઈની ‘તાતાની તાજ મહેલ’ હોટેલમાં. ગુજરાતમાં એક બાજુથી સમાજ સુધારાની ચળવળ જોરશોરથી ચાલી રહી હતી અને તેની તરફેણમાં લખનારાઓ ઘણા હતા, તો બીજી બાજુ તેનો ઉગ્રપણે વિરોધ કરનારી એક નાની પણ બોલકી ટોળકી પણ હતી. નારાયણ વસનજી ઠક્કુર આ ટોળકીના સભ્ય હતા. એટલે, ભલે આ પુસ્તકમાં સરકારની ટીકા ન હોય, પણ બ્રિટિશ જીવન-પદ્ધતિની ટીકા હતી, તેનો ઉપહાસ પણ હતો તેથી સરકારને આ પુસ્તક વાંધાજનક લાગ્યું હશે. 

પ્રતિબંધિત પુસ્તકોની યાદીમાં ‘ગાંધીકૂચ’ (આલ્બમ) એવું નામ જોયું ત્યારે થોડી નવાઈ લાગેલી. ગાંધીજીના ફોટાના આલ્બમ પર પ્રતિબંધ મૂકવા પાછળ શું કારણ હશે? સારે નસીબે એ પુસ્તક જોવા મળ્યું અને જોતાંવેંત મનમાંની શંકા દૂર થઇ. બધા ફોટા ૧૯૩૦ની દાંડીકૂચના, સાથેના લખાણમાં બ્રિટિશ સરકારની ભારોભાર ટીકા, અને ગાંધીજીનાં ભાષણો અને લેખોમાંથી આપેલા સંખ્યાબંધ ઉતારા. ફોટા સાથેનું લખાણ લખેલું આપણા જાણીતા સાહિત્યકાર રસિકલાલ પરીખે (૧૮૯૭-૧૯૮૨). આ પુસ્તક પ્રસ્થાન કાર્યાલયે પ્રગટ કર્યું હતું, જેની સાથે રામનારાયણ વિ. પાઠક સંકળાયેલા હતા.

૧૯૩૦માં પ્રગટ થયેલી ‘રાષ્ટ્રીય રણગીતો’ નામની ૧૮ પાનાંની પુસ્તિકાના નિવેદનનું પહેલું વાક્ય આ પ્રમાણે છે : “અંધ કવિ શ્રી હંસરાજભાઈને તો ગુજરાત બરોબર ઓળખે છે જ.” પણ આજે ૮૬ વર્ષ પછી પ્રયત્નો કરવા છતાં અંધકવિ હંસરાજભાઈ વિશેની માહિતી મળી શકી નથી. પણ આપણી આઝાદી માટેની લડત દરમ્યાન તેમનાં ગીતો ખૂબ લોકપ્રિય થયેલાં અને પ્રભાતફેરી, સભા-સરઘસ વગેરેમાં નિયમિત રીતે ગવાતાં. આ પુસ્તિકા સરકારે જપ્ત કરી હતી. કારણ તેના એકે એક પાના પર જે ગીત હતાં તેમાં સરકાર વિરુદ્ધનો દારુગોળો ઠાંસી ઠાંસીને ભર્યો હતો. એક ગીતના આરંભની પંક્તિઓ :

ક્યાં સુધી સામ્રાજ્ય સત્તા? ચંદ રોજ,

ક્યાં સુધી એની મહત્તા? ચંદ રોજ.

પણ એમનું સૌથી વધુ જાણીતું થયેલું ગીત તે તો છેલ્લે છપાયેલું ‘પરદેશી ભૂખ્યાં ટોપીવાળાનાં ટોળાં ઊતર્યાં’. આ લખનારને બાળપણમાં આ ગીત ગવાતું સાંભળ્યું હોવાનું યાદ છે. આ લાંબા ગીતની થોડીક પંક્તિઓ જોઈએ :

ટૂટ્યા ચોરા ને ટૂટ્યા ગોચરો

ટૂટ્યા ટૂટ્યા પાણીયારીના ઘાટ રે.

થાપ્યાં થાણાં ને થાપી કોઠીઓ,

આદર્યા કાળા કોપના વેપાર રે.    

આપણાં ભાષા-સાહિત્ય ઉપર ગાંધીજીનો પ્રભાવ એટલો તો વ્યાપક હતો કે ૧૯૨૦ પછીનાં ત્રીસેક વર્ષના ગાળાને આપણે ‘ગાંધીયુગ’ તરીકે ઓળખીએ છીએ. પણ આ યુગના અગ્રણી સાહિત્યકારોમાંથી બહુ ઓછાનાં પુસ્તકો જપ્ત થયાં હોય તેમ જણાય છે. તેમાં બે અપવાદ છે : એક, ઝવેરચંદ મેઘાણી અને બીજા મનુભાઈ પંચોળી ‘દર્શક.’ માત્ર ૩૦ પાનાંનો મેઘાણીનો કાવ્યસંગ્રહ /સિંધૂડો/ ૧૯૩૦ના એપ્રિલની છઠ્ઠી તારીખે પ્રગટ થયો. સવિનય કાનૂનભંગની ચળવળ તે જ દિવસે શરૂ થઇ. પુસ્તકની દસ હજાર નકલ છપાયેલી. બ્રિટિશ સરકાર જાગે અને જપ્તી જાહેર કરે તે પહેલાં તો તેમાંની ઘણીખરી નકલો વેચાઈ ગઈ હતી. છતાં લોકોની માગ તો ચાલુ જ હતી. એટલે રતુભાઈ અદાણીએ પોતાના સુંદર હસ્તાક્ષરમાં ‘સિંધુડા’ની નકલ કરી હતી અને  ભાવનગરના એક મકાનના ભોંયરામાં તેની પાંચ હજાર નકલ સાઈકલોસ્ટાઈલ કરીને ઠેર ઠેર મફત વહેંચવામાં આવી હતી. પહેલી આવૃત્તિ પછી બરાબર બે વર્ષે, ૧૯૩૨ના એપ્રિલની છઠ્ઠી તારીખે આ પુસ્તકની ‘કાનૂનભંગ આવૃત્તિ’ પ્રગટ થઇ હતી. તેની પ્રસ્તાવના વજુભાઈ શાહે લખી હતી. ૧૯૩૦ની લડતને પચાસ વર્ષ થયાં ત્યારે આ પુસ્તકની ‘સુવર્ણ જયંતી આવૃત્તિ’ પ્રગટ થઇ હતી. પહેલી આવૃત્તિના નિવેદનમાં મેઘાણીએ લખેલું : “આશરે છેલ્લા એક વર્ષથી ‘સૌરાષ્ટ્ર’ના મુખપૃષ્ઠ પર જે ગીતો દેખાતાં હતાં તેનો – થોડાંક બીજાં સહિત – આ નાનો સંગ્રહ ‘સિંધુડો’ નામે પ્રગટ થાય છે … ગીતો કાવ્યત્વની કસોટીએ તો કાચાં છે જ; પણ પ્રસિદ્ધિ કરવાનો અધિકાર એક જ છે; જેઓએ વાંચ્યાં-સાંભળ્યાં છે તેઓની ચાહના. કેટલેક સ્થળે મોટી મેદનીઓ વચ્ચે પણ ઝિલાયાં છે. આમાંનાં કેટલાં એક યુરોપિ કવિતાનો આધાર લઇ રચાયાં છે : બાકીનાં સ્વયંસ્ફુરિત છે. સ્વયમસ્ફૂરણાનો જેમ ગર્વ નથી, તેમ આધાર લઇ રચેલાની શરમ પણ નથી. શું અનુવાદમાં કે શું સ્વયમકૃતિમાં, જેટલું સ્વાભાવિક હોય તેટલું જ સાચું છે.” પછીથી ‘સિન્ધુડો’નાં કાવ્યો મેઘાણીની સમગ્ર કવિતાના સંગ્રહ ‘સોના-નાવડી’માં સમાવી લેવાયાં છે. (‘સિન્ધુડો’ વિશેની આ માહિતી પણ ‘સોના-નાવડી’ની ૧૯૯૭માં પ્રગટ થયેલી પહેલી આવૃત્તિમાંથી લીધી છે.)

આઝાદીની લડત દરમ્યાન સરદાર વલ્લભભાઈ પટેલનાં ભાષણો ‘વીરની હાકલ’ નામે બે ભાગમાં પ્રગટ થયાં. આ પુસ્તકના પહેલા ભાગની પહેલી આવૃત્તિની દસ હજાર નકલ છપાયેલી, જે જોતજોતામાં વેચાઈ ગયેલી. થોડા મહિના પછી પુસ્તકનો બીજો ભાગ પ્રગટ થયો. ત્યારે સરકારે બંને ભાગ જપ્ત કર્યા. મહાદેવભાઈ દેસાઈ એક પોલિસ સ્ટેશનમાં ક્યારે ધરપકડ કરવામાં આવે તેની રાહ જોતા બેઠા હતા ત્યારે તેમણે પુસ્તકના પહેલા ભાગની પ્રસ્તાવના લખી હતી. તેમાં તેમણે લખ્યું : “એવો કયો ગુજરાતી હશે કે જે સરદારની વાણી સાંભળીને તેમાંના કોક નહિ તો કોક ઉદ્ગારને યાદ કરતો ન હોય, સંઘરી રહ્યો ન હોય. એ હાકલના શબ્દેશબ્દમાં જે જોમ ભર્યું છે, જે આગ ઝરે છે તેનાથી કયું હૃદય સ્પર્શ થયા વિના રહ્યું હોય?” પહેલા ભાગમાં જે ભાષણો મૂક્યાં છે તે સરદારની દેખરેખ નીચે પ્રગટ થયેલી બારડોલી સત્યાગ્રહ પત્રિકાઓમાંથી લેવાયાં છે અને એટલે તે વધારે પ્રમાણભૂત છે. જ્યારે બીજા ભાગમાંનાં ભાષણો અખબારોમાં પ્રગટ થયેલા અહેવાલોને આધારે તૈયાર કર્યાં છે. જો કે બને તેટલા પ્રમાણભૂત થવાના આશયથી દરેક ભાષણ માટે કોઈ એક અખબાર પર આધાર ન રાખતાં ત્રણ-ચાર અખબારોના અહેવાલોનો આધાર લઈને સંકલન કર્યું છે. બન્ને ભાગનું સંપાદન રણછોડજી કેસુરભાઈ મીસ્ત્રી (જોડણી પુસ્તક પર છાપ્યા પ્રમાણે) એ કર્યું છે અને પ્રકાશન પ્રસ્થાન કાર્યાલયે.     

કલ્યાણજી વિઠ્ઠલભાઈ મહેતા સંપાદિત ‘સ્વરાજ્યનાં ગીતો’ પુસ્તકની પહેલી આવૃત્તિમાં કૂલ ૧૫૫ ગીતો હતાં અને તે ૧૯૩૧માં ગાંધીજીના જન્મ દિવસે પ્રગટ થઇ હતી. અમદાવાદના ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલયે તે પ્રગટ કરી હતી. તેમાં ગીતોને સાત ખંડોમાં વહેંચીને મૂક્યાં છે : પ્રભાત ફેરીનાં ગીતો, તિરંગાગાન, સભાનાં ગીતો, સરઘસનાં ગીતો, રાષ્ટ્રીય રાસ, વાનરસેનાનાં ગીતો અને મિજલસ ગીતો. આઝાદીની લડત શરૂ થઇ એ પહેલાં ગાંધીજીની રેંટિયાપુરસ્કાર અને મદ્યનિષેધની પ્રવૃત્તિથી ગુજરાતના આદિવાસીઓના જીવનમાં કેવું ચૈતન્ય આવ્યું હતું તેની પ્રતીતિ કરાવતાં ચોધરી, ગામિત, ઢોડીયા, વગેરે જાતિના કવિઓએ લખેલાં કેટલાંક ગીતો તેમની બોલીમાં જ અહીં મૂક્યાં છે તે આ સંગ્રહની એક આગવી વિશિષ્ટતા છે. ગામિત બોલીમાંના એક ગીતની આરંભની પંક્તિઓ છે :

દુઉઉ દુઉઉ જાજે દારૂ, 

માયા ઘરામાંય રખે રા!

પેલસે પેલસે જાજે દારૂ,

માયા ઘરામાંય રખે રા!

આબદા વેઠી તું એથી ભારી,

મઅયેં વગર મોતે રા!

તું નાંઈ ઓય તો આમ્હે જો દેશમાંય,

આમ્હાં સુખમાંય રો’તે રા!

આ પુસ્તક પ્રગટ થયા પછી થોડા દિવસમાં જ સરકારે તેના પર પ્રતિબંધ મૂક્યો હતો. ૧૫૭ ગીતો સાથે પુસ્તકની બીજી આવૃત્તિ ૧૯૩૮માં પ્રગટ થઇ હતી. પણ તે વખતે મુંબઈ રાજ્યમાં કાઁગ્રેસની સરકાર હતી અને કનૈયાલાલ મુનશી તેના ગૃહ પ્રધાન હતા. તેમણે આ પુસ્તક પરનો પ્રતિબંધ પાછો ખેંચી લીધો હતો.

‘ક્રાંતિને માર્ગે’ પુસ્તક લખાયું ૧૯૩૦માં, પણ પ્રગટ થયું ૧૯૩૨માં. તેના લેખક પ્રભાકર બિહારીલાલે તેની પ્રસ્તાવના લખવાની વિનંતી કાકાસાહેબ કાલેલકરને કરી અને પુસ્તકની હસ્તપ્રત તેમને વાંચવા મોકલી. મુસાફરી દરમ્યાન વાંચવાના આશયથી કાકાસાહેબે એ હસ્તપ્રત પોતાની બેગમાં મૂકી. પણ મુસાફરી દરમ્યાન તે બેગ ચોરાઈ ગઈ. કાલેલકરે ગુજરાતી તથા મરાઠી છાપામાં જાહેરખબર છપાવીને ચોરને વિનંતી કરી કે બીજું કાંઈ નહિ તો પણ તે હસ્તપ્રત તેમને પાછી મોકલી દે. પણ હસ્તપ્રત મળી નહિ. સારે નસીબે લેખક પાસે બીજી નકલ હતી. તેને આધારે કાલેલકરે પ્રસ્તાવના લખી. પણ આ બધામાં સારો એવો સમય ગયો એટલે પુસ્તક ૧૯૩૨માં પ્રગટ થઇ શક્યું. પણ પ્રગટ થતાં વેંત સરકારે તેની નકલો જપ્ત કરી. લેખકના કેટલાક વિચારો તો આજે પણ વધુ પડતા જલદ લાગે તેવા છે. જેમ કે: “આપણા દેશમાં, સત્યાગ્રહની ચળવળ દરમ્યાન જે ધનિકો આગેવાન તરીકે ગણાયા છે તે સાચા આગેવાન નથી, પણ સહાયક છે. જો તેમને સાચા આગેવાન થવું હોય તો તેમણે ધનિક મટી જ જવું જોઈએ. ગરીબનો આગેવાન ગરીબ જ હોય. જ્યાં સુધી નેતા અને અનુયાયીમાં, માનસિક શક્તિ સિવાય બીજી બધી રીતે સામ્ય ન હોય ત્યાં સુધી નેતા અને અનુયાયીનો સાચો સંબંધ હોઈ જ ન શકે.” 

મનુભાઈ પંચોળી ‘દર્શક’નાં બે નાટકો ઉપરાઉપરી પ્રગટ થયાં : ૧૯૩૪માં ‘જલિયાંવાલા’ અને ૧૯૩૫માં ‘૧૮૫૭.’ બંને નાટકો પર સરકારે તરત જ પ્રતિબંધ મૂકેલો. તે માટેનું કારણ દેખીતું છે. આ નાટકો પ્રગટ કરતાં પહેલાં લેખકને પાકો વહેમ તો હતો જ કે સરકાર તેના પર પ્રતિબંધ મૂકશે. એટલે ‘૧૮૫૭’ની પ્રસ્તાવનામાં તેમણે ચોખવટ કરવાનો પ્રયત્ન પણ કર્યો છે : “સરકાર સામે ધિક્કાર ફેલાવવાનો આશય હોવાની કલ્પના સાવ નિર્મૂળ છે. ‘જલિયાંવાલા’ કે ‘૧૮૫૭’ને ધ્યાનપૂર્વક વાંચનારાને પણ એ સ્વીકાર્યા વિના નહિ ચાલે.” પછીનાં વર્ષોમાં દર્શક આપણા એક મૂર્ધન્ય સારસ્વત, શિક્ષણશાસ્ત્રી, અને જાહેર જીવનના અગ્રણી તરીકે આગળ આવ્યા. પણ આ બે નાટક પ્રગટ થયાં ત્યારે હજી સાહિત્યના ક્ષેત્રે તેમનો પ્રવેશ તાજો જ થયેલો હતો. નાટક તરીકે આ બંને કૃતિઓ સારી એવી નબળી છે. રઘુવીર ચૌધરીએ તેમને દર્શકે લખવા ધારેલાં નાટકોના કાચા ખરડા તરીકે ઓળખાવ્યાં છે. દર્શક આ અંગે પણ સભાન હતા. લખે છે : “સાહિત્યમાં જલિયાંવાલા કે ૧૮૫૭ એ કયા ખાનામાં જાય તેની મને ખબર નથી. તેને નાટક કહેવાય કે કેમ એ હું કહી શકું એટલું મારું નાટ્યશાસ્ત્રનુ જ્ઞાન નથી. મને આ રીતે મૂકવું ફાવ્યું છે એટલું જ કહેવું બસ થશે.” ૧૮૫૭ની ઘટનાઓને કેન્દ્રમાં રાખીને પછીથી દર્શકે બંધન અને મુક્તિ નામની નવલકથા લખી તે નાટક કરતાં વધુ સંતોષપ્રદ બની છે. પણ ૧૮૫૭ નાટકની પ્રસ્તાવના આજે વધુ ધ્યાન ખેંચે એવી છે. આપણા અગ્રણી પત્રકાર અમૃતલાલ શેઠે એ પ્રસ્તાવના લખી છે. અંગ્રેજો ૧૮૫૭ની ઘટનાને ‘સિપાઈઓનો બળવો’ તરીકે ઓળખાવતા હતા તે સાથે અમૃતલાલ શેઠ સહમત ન થાય તે તો દેખીતું છે. પણ સાવરકર અને તેમના સાથીઓ ૧૮૫૭ની ઘટનાને ‘પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ’ તરીકે ઓળખાવતા હતા એ વાત સાથે પણ શેઠ સહમત થતા નથી. શેઠ કહે છે કે એ વખતે કેટલાક રાજાઓને પોતાનું રાજપાટ પાછું મેળવવામાં જ રસ હતો અને તેથી તેમણે ચળવળને ટેકો આપ્યો હતો. અંગ્રેજોને બદલે લોકોનું રાજ્ય સ્થપાય એવો ઉદ્દેશ તેમાંના કોઈ રાજાના મનમાં પણ હતો નહિ. શેઠ એમ પણ કહે છે કે ૧૮૫૭ની ઘટનાને પરિણામે રાજાઓ વધુ મજબૂત બન્યા, કારણ ડેલહાઉસીની ‘ખાલસા નીતિ’ની લટકતી તલવાર તેમને માથેથી દૂર થઇ હતી. શેઠ ઉમેરે છે કે જો ૧૮૫૭ની ઘટના ન બની હોત તો દેશના ઘણાખરા ભાગ પર બ્રિટિશ સરકારની હકૂમત સ્થપાઈ ગઈ હોત અને તો દેશ વધુ સુગ્રથિત બન્યો હોત. પ્રસ્તાવનામાં શેઠે જે વિચારો વ્યક્ત કર્યા છે તે સાથે આપણે સહમત થઈએ કે નહિ તે જુદી વાત છે, પણ પોતાને જે લાગ્યું તે બેધડકપણે લખવા માટેની તેમની હિંમતને તો આપણે દાદ દેવી જોઈએ. દર્શકનાં આ બંને પુસ્તકો રાણપુરના સૌરાષ્ટ્ર કાર્યાલયે પ્રગટ કર્યાં હતાં.

નેશનલ આર્કાઈવ્ઝની પ્રતિબંધિત પુસ્તકોની યાદીમાંથી જે થોડાંક પુસ્તકો મુંબઈમાં બેઠાં જોવાનું શક્ય બન્યું તે પુસ્તકો વિષે જ અહીં થોડી વાત કરી છે. તે ઉપરાંત કવિતા / ગીતનાં નીચેનાં પુસ્તકો પણ સરકારે જપ્ત કર્યાં હતાં: હમારા દેશ (કેશવલાલ ગોકુલદાસ શાહ), કિસાન રણગીતો (?), રણનાદ (?), રાષ્ટ્રીય કુસુમાવલિ (?), સૈનિક સૂર (સી. પી. ચુડગર), સત્યાગ્રહ ગીતા (વલ્લભદાસ ભગવાનજી ગણાત્રા). આ ઉપરાંત ગદ્યમાં લખાયેલાં નીચેનાં પુસ્તકો પણ સરકારે જપ્ત કર્યાં હતાં: ભઠ્ઠી (ચંદ્રભાઈ ભટ્ટ), દરિયે દવ લાગ્યો (ચંદ્રભાઈ ભટ્ટ), દિલ્હીનો છેલ્લો બાદશાહ બહાદુરશાહ જફર (નારાયણ વસનજી ઠક્કુર), ઈશુ અને ગાંધી (કપિલપ્રસાદ મહાસુખભાઈ દવે), ધર્મયુદ્ધનાં રહસ્ય (સં. રણછોડજી કેસરભાઈ મિસ્ત્રી), ક્રાંતિની ચિનગારીઓ (નિરંજન), ભારતનું ઘડતર (રમણલાલ ચુનીલાલ), મારી જનમટીપ(વિનાયક દામોદર સાવરકર)નો ગુજરાતી અનુવાદ, આશા-નિરાશા (ઇન્દુલાલ યાજ્ઞિક). આ ઉપરાંત કુમાર (૧૦૦મો અંક), નવ સૌરાષ્ટ્ર, સલાહકાર, સત્સંગ, સત્યજીવન, ઊર્મિ, વીસમી સદી, જેવાં સામયિકોના કેટલાક અંકો પણ જપ્ત થયા હતા. 

આપણે ત્યાં પીએચ.ડી.ની ડિગ્રી માટે એકના એક, ચવાઈને ચૂથો થઇ ગયેલા વિષયો પર વિદ્યાર્થીઓ ‘મહાનિબંધ’ ઢસડી નાખે છે. એના કરતાં બ્રિટિશ અમલ દરમ્યાન પ્રતિબંધિત પુસ્તકો પર કોઈએ શોધ નિબંધ તૈયાર કરવો જોઈએ. તે માટે જરૂર છે થોડો વખત દિલ્હી અને લંડન રહેવાની. પણ આવી મહેનત કરવાની ટેવ નથી તો આપણા વિદ્યાર્થીઓને કે નથી તેમના ‘માર્ગદર્શકો’ને. આવાં કામ આપણી સાહિત્યિક સંસ્થાઓ પણ કરી-કરાવી શકે, પણ એ તો આવી પળોજણમાં પડે જ શાની? 

XXXXXX

13 ઑગસ્ટ 2025
e.mail : deepakbmehta@gmail.com
બાબુ સુથાર સંપાદિત “ઊહાપોહ” : 2 એપ્રિલ–જૂન 2025ના અંકમાં પ્રગટ થયેલો લેખ આપણા દેશના આઝાદી દિવસ નિમિત્તે અહીં સાભાર રજૂ કર્યો છે  

Loading

પુસ્તકની મનોવ્યથા—

દેવિકા ધ્રુવ|Opinion - Opinion, Poetry|13 August 2025

આજના ડિજિટલ યુગમાં માનવી અને પુસ્તકો વચ્ચેનું અંતર ખાસ્સું વધતું ચાલ્યું છે. જગત આખું ઇન્ટરનેટમાં સતત વ્યસ્ત થઈ ગયું છે. હવે માત્ર એક દિવસ એપ્રિલની ૨૩મી તારીખે ‘વિશ્વ પુસ્તક દિવસ’ તરીકે ઉજવાય છે, એટલું તો પુસ્તકોનું અહોભાગ્ય છે!

ઉત્તમ સાહિત્યના પ્રખર સર્જક વિલિયમ શેક્રેસપિયરનો જન્મ અને મૃત્યુ બંને આ દિવસે જ. તેથી તેમની યાદમાં યુનેસ્કો દ્વારા એપ્રિલ મહિનાની ૨૩મી તારીખને “વિશ્વ પુસ્તક દિન” તરીકે મનાવવામાં આવે છે. 

 છંદઃ મંદાક્રાંતાઃ

ખોલી ખોલી, મન ભરીભરી, કેટલું શોધતાં’તાં  
પામી વાંચી, ખુશ થઈથઈ, પ્રેમથી શીખતાં’તાં.
પૂંઠા વચ્ચે, સુખદુઃખ બધાં, પાનપાને સમાવી
પ્રેમીહૈયાં, છલક છલકી, દિલથી ગીત ગાતાં.
શબ્દોના આ, ઉપવન મહીં, પુસ્તકોની સુગંધી 
મ્હેકે એવી પવનરજથી દૂર દેશે જતી’તી.  

આખેઆખી ગતિવિધિ હવે આજની સાવ નોખી
રોજ્જે જોઉં, સતત વધતાં, સૌ જનો જિંદગીમાં.
પૃથ્વીથી તે ગગન ઉપરે પ્હોંચતાં હું નિહાળું.
ખોલે કોઈ નહિ, નહિ અરે, પુસ્તકો છાજલીપે.
શોભાવે સૌ, અવનવી રીતે કાચ કેરાં કબાટે
‘એ આઈ’ કે ‘ગુગલ’ રમતે બાળ નાનાં ભણાવે.

ઓહો..કેવું હજી ઉજવતું  એક તો દિન વિશ્વે!
આનંદે છે, કવિહૃદય સૌ થોડુંથોડું હસીને.

હ્યુસ્ટન
e.mail : ddhruva1948@yahoo.com
http://devikadhruva.wordpress.com

Loading

આદિવાસીઓના અસ્તિત્વ અને અધિકારોની રક્ષાનો દિવસ એટલે વિશ્વ આદિવાસી દિન

ચંદુ મહેરિયા|Opinion - Opinion|13 August 2025

ચંદુ મહેરિયા

એકવીસમી સદીની પહેલી પચીસીની પૂર્ણાહૂતિના આરે ઊભા રહીને દેશ અને દુનિયાના આદિવાસીઓની સ્થિતિ વિશે વિચારીએ છીએ તો શું લાગે છે? આજે પણ આદિવાસીઓનો અસ્તિત્વ માટેનો સંઘર્ષ બરકરાર છે. ગરીબી, બેરોજગારી, નિરક્ષરતા, અમાનવીય શોષણ અને અત્યાચારો, વેઠિયા મજૂરી અને બાળ મજૂરી, શિક્ષણ અને આરોગ્ય સેવાઓનો અભાવ, વિસ્થાપન અને સ્થળાંતર જેવી અનેક સમસ્યાઓથી તેમને પીડવામાં આવી રહ્યા છે. તેમના જળ, જંગલ અને જમીન છીનવાઈ રહ્યાં છે. 

આદિવાસી, ગિરિજન, વનવાસી, વનબંધુ, અત્વિકા, અનુસૂચિત જનજાતિ અને ટ્રાયબલ જેવા વિવિધ નામે ઓળખાતા આદિવાસીઓ પૃથ્વી પરના મૂળનિવાસી અને આદિ કાળથી વસતા અસલ વતની છે. વિશિષ્ટ સંસ્કૃતિ, ભૌગોલિક અલગાવ, કથિત મુખ્ય સમાજ સાથે સંપર્કનો સંકોચ, આદિમ લક્ષણોના સંકેત, પછાતપણું જેવી વિશેષતા ધરાવતા આદિવાસીઓની વિશ્વના ૯૦ દેશોમાં આશરે ૪૭.૬ કરોડ (વિશ્વની કુલ વસ્તીના ૬ ટકા) વસ્તી છે. ૨૦૧૧ની વસ્તી ગણતરી પ્રમાણે ભારતની કુલ વસ્તીમાં તેમની વસ્તી ૮.૬ ટકા (૧૦.૪ કરોડ) છે. ગુજરાતમાં ૮૯.૧૭ લાખ (કુલ વસ્તીના ૧૪.૮ ટકા) છે. દુનિયામાં, દેશમાં કે રાજ્યમાં ભલે તેમની વસ્તી લગભગ ૧૦ ટકાની આસપાસ હોય પરંતુ ગરીબીમાં તે અવ્વલ છે. કુલ ગરીબોમાં આદિવાસી ગરીબો સૌથી વધુ અર્થાત ૧૫ થી ૨૦ ટકા જેટલા છે. ભારતના કુલ ભૂભાગમાં ૨૦ ટકા આદિવાસી ક્ષેત્ર છે. રાષ્ટ્રીય સંસાધનોના ૭૦ ટકા ખનિજ, જંગલ, વન્ય પ્રાણી, જળ સંસાધન અને માનવ શ્રમ ત્યાં જ ઉપલબ્ધ છે. પરંતુ આદિવાસીઓ તેમના અસ્તિત્વ માટે નિરંતર સંઘર્ષ કરતા રહે છે. સરકારી વિકાસ યોજનાઓ તેમને વિસ્થાપિત કરે છે અને બે ટંક રોટલાના સાંસા તેમને સ્થળાંતરિત કરે છે. ભલે દેશનો સામાન્ય સાક્ષરતા દર ૭૩ ટકા હોય આદિવાસી સાક્ષરતાનો દર તેનાથી ઘણો નીચો ૫૯ ટકા જ છે. તેમાં આદિવાસી પુરુષોની સાક્ષરતા ૬૮.૫૩ ટકા અને મહિલા સાક્ષરતા ૪૯.૩૫ ટકા જ છે. 

દુનિયાના સૌથી નબળા અને વંચિત સમૂહ એવા આદિવાસીઓની સ્થિતિમાં બદલાવ માટે સંયુક્ત રાષ્ટ્રસંઘે પ્રયાસો હાથ ધર્યા હતા. પરંતુ તેમનો માર્ગ આસાન નહોતો. યુનો રચિત વર્કિંગ ગ્રુપ ઓફ ઈન્ડિજિનસ પોપ્યુલેશનની પહેલી બેઠક ૯મી ઓગસ્ટ ૧૯૮૨ના રોજ જિનિવામાં મળી હતી. તેણે આદિવાસી અધિકારોનું ઘોષણાપત્ર તૈયાર કરવું શરૂ કર્યું. ફસ્ટ ડ્રાફ્ટમાં આદિવાસીઓને તેમના વિસ્તારોમાં પારંપરિક શાસન વ્યવસ્થા લાગુ કરવાનો આત્મનિર્ણયનો અધિકાર આપવામાં આવ્યો હતો. જળ, જમીન, જંગલ પર અને ઉપલબ્ધ કુદરતી સંશાધનો પર પહેલો અધિકાર આદિવાસીઓનો રહેશે તેમ પણ જણાવ્યું હતું. આ પ્રકારના આધિકારોનો અનેક દેશોએ વિરોધ કર્યો હતો. ૧૯૮૨ થી ૧૯૯૪ એમ બાર વરસ સુધી પહેલો ડ્રાફ્ટ ચર્ચાતો રહ્યો. સતત સંઘર્ષ અને અથાક મહેનત પછી પચીસ વરસે ૧૩ મી સપ્ટેમ્બર ૨૦૦૭ના રોજ યુનોમાં આદિવાસી અધિકારોનું ઘોષણા પત્ર સ્વીકૃત થઈ શક્યું હતું. વિશ્વના ૧૪૪ દેશોએ ઘોષણાપત્રનું સમર્થન કર્યું હતું, જ્યારે ૧૧ દેશો તટસ્થ રહ્યા હતા. દુનિયાના વિકસિત દેશો અમેરિકા, કેનેડા, ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડે શરૂઆતમાં વિરોધ કર્યો પણ પછી તેને સ્વીકાર્યું હતું. ઓસ્ટ્રેલિયાએ ૨૦૦૯માં અને ન્યૂઝીલેન્ડે ૨૦૧૦માં તેનો સ્વીકાર કર્યો હતો. આદિવાસીઓનો જંગલ, જમીન અને જળ સંસાધનો પર એકાધિકાર, આત્મ નિર્ણય અને સ્વશાસનનો અધિકાર, પૂર્વ સંમતિથી જ આદિવાસી વિસ્તારોના સંસાધનોનો ઉપયોગ વગેરે આદિવાસી અધિકારો ઘોષણાપત્રમાં સામેલ હતા. જો કે ઘોષણાપત્ર કાનૂની રીતે બાધ્યકારી નથી પરંતુ તેનાથી નૈતિક દબાવ બની રહે છે. 

સંયુક્ત રાષ્ટ્રસંઘે ૧૯૯૫ થી ૨૦૦૪ અને ૨૦૦૫ થી ૨૦૧૫ એમ બે દાયકા વિશ્વ આદિવાસી દાયકા રૂપે મનાવીને આદિવાસી અધિકારો માટે જાગૃતિ આણી હતી. સંયુક્ત રાષ્ટ્રસંઘની આદિવાસી અધિકારો માટેની નવમી ઓગસ્ટ ૧૯૮૨ની પહેલી બેઠકની સ્મૃતિમાં ૧૯૯૪માં દર વરસે ૯મી ઓગસ્ટે વિશ્વ આદિવાસી દિન INTERNATIONAL DAY OF INDIGENOUS PEOPLES) મનાવવાનું યુનોએ નક્કી કર્યું હતું. ૧૯૯૫થી વિશ્વ નવમી ઓગસ્ટે આંતરરાષ્ટ્રીય આદિવાસી દિવસ મનાવે છે. 

વિશ્વ આદિવાસી દિવસ ઠાલી ઉજવણીનો દિવસ નથી પરંતુ તેની પાછળ કેટલાક ઉદ્દેશ રહેલા છે. આદિવાસીઓની આગવી સંસ્કૃતિ, વિશિષ્ઠ જીવનશૈલી, ભાષા અને અસ્તિત્વનો સ્વીકાર અને રક્ષણ, સમાજની કથિત મુખ્ય ધારાથી કપાયેલા આદિવાસીઓનું સન્માન, તેમના યોગદાનને માન્યતા, તેમના સાંસ્કૃતિક વારસા અને પરંપરાગત જ્ઞાનનું જતન-સંવર્ધન, બહારના તત્ત્વોથી તેમના જળ, જમીન, જંગલનું રક્ષણ, અધિકારો માટેની જાગૃતિ અને શોષણ સામે સંઘર્ષ, તે માટેની પ્રતિબધ્ધતા અને સંકલ્પના ઉદ્દેશ સાથે આદિવાસી દિવસની ઉજવણી થાય છે. દર વરસે કોઈ ચોક્કસ થીમ સાથે દુનિયામાં આદિવાસી દિવસ મનાવાય છે. ૨૦૨૩ના વિશ્વ આદિવાસી દિવસની ‘થીમ પારંપરિક જ્ઞાનના સંરક્ષણ અને પ્રસારણમાં આદિવાસી મહિલાઓની ભૂમિકા’, ૨૦૨૪માં ‘સ્વનિર્ણય માટે પરિવર્તનના વાહક તરીકે આદિવાસી યુવાનો’  અને ૨૦૨૫માં ‘આદિવાસીઓનો આત્મનિર્ણયનો અધિકાર, ખાધ્યસુરક્ષા અને સાર્વભૌમત્વનો માર્ગ’ની થીમ યુનોએ નક્કી કરી છે.

ભારતમાં ૭૦૦ આદિવાસી જનજાતિ છે. પ્રકૃતિપૂજક આદિવાસીઓ વિકાસમાં છેલ્લે છે. એટલે બંધારણના વિવિધ અનુચ્છેદ હેઠળ આદિવાસીઓને વિશેષ સગવડો આપવાની જોગવાઈ કરવામાં આવી છે. શિક્ષણ, નોકરી અને રાજનીતિમાં તેમને યોગ્ય પ્રતિનિધિત્વ મળી રહે તે માટે અનામતની જોગવાઈ છે. પંચાયતથી પાર્લામેન્ટ સુધીના રાજકીય પ્રતિનિધિત્વ માટેની આ જોગવાઈઓને કારણે જ કદાચ આજે દેશના પ્રથમ નાગરિક એવા રાષ્ટ્રપતિના પદે આદિવાસી મહિલા વિરાજમાન છે. આઝાદીના પંચોતેર વરસો પછી શિક્ષણ, સરકારી નોકરીઓ અને રાજનીતિમાં આદિવાસીઓ થોડી પ્રગતિ સાધી શક્યા છે પરંતુ મંજિલ હજુ ઘણી દૂર છે.

અન્ય સમાજોની જેમ આદિવાસીઓમાં પણ પ્રભુત્વ ધરાવતો વર્ગ પ્રગતિમાં આગળ છે. પરંતુ કેટલીક આદિવાસી જાતિઓ સુધી કોઈ વિકાસ પહોંચ્યો નથી. એટલે સરકારે તેના તરફ વિશેષ લક્ષ આપ્યું છે. ઉછંગરાય ઢેબર કમિશનની ભલામણો પરથી ૧૯૭૫માં ૫૨ અને ૧૯૯૩માં ૨૩ આદિવાસી જાતિઓને વિકાસમાં અતિપછાત તરીકે ઓળખવામાં આવી હતી. તેથી દેશની ૭૦૫ અનુસૂચિત જનજાતિમાં ૭૫ અતિ પછાત આદિવાસી જાતિઓ છે. પહેલાં તેની પ્રિમિટિવ ટ્રાયબલ ગ્રુપ (PTG) કે આદિમ જાતિ તરીકે સરકારી ઓળખ હતી. ૨૦૦૬થી તે બદલાઈને PVTG (PARTICULARLY VALNERABLE TRIBAL GROUPS, ખાસ કરીને સંવેદનશીલ આદિવાસી જૂથ)ની થઈ છે. ગુજરાતની ૩૧ ટ્રાઈબ્સમાં કાથોડી, કોટવાળિયા, કોલધા, પઢાર અને સિદ્દી એ પાંચ  પી.વી.ટી.જી. છે. 

ત્રણ દિવસ પછી આવતો વિશ્વ આદિવાસી દિવસ ઉજવણીના ઉલ્લાસ સાથે સંકલ્પનો પણ દિવસ છે. આ સંકલ્પ સમાજ અને સરકાર બંનેએ લેવાનો છે. જ્યાં આદિવાસી વસ્તી ઓછી છે અને તે વોટ બેન્ક નથી તેવા અમેરિકા, કેનેડા અને ઓસ્ટ્રેલિયાની સરકારો અને સમાજે ૨૦૦૮-૯માં અને તાઈવાને ૨૦૧૬માં આદિવાસીઓની જાહેર માફી માંગી હતી. સર્વોચ્ચ કેથોલિક ધર્મગુરુ પોપ ફ્રાન્સિસે પણ આદિવાસીઓ પ્રત્યેના અન્યાય માટે જ્ઞમાયાચના કરી હતી. પરંતુ ભારતમાં તો બિનઆદિવાસીઓને આદિવાસીઓની યાદ તેમના ધર્મપરિવર્તન વખતે જ આવે છે. આ વલણ બદલાય તો આદિવાસી દિવસની ઉજવણી સાર્થક બને.

e.mail : maheriyachandu@gmail.com

Loading

...102030...229230231232...240250260...

Search by

Opinion

  • ગઝલ
  • સુરત મહાનગરપાલિકાને –
  • MET Gala 2026: સૉફ્ટ પાવરના મંચ પર ભારતનો ‘આર્કટેક્ચરલ’ વિજય
  • ચલ મન મુંબઈ નગરી—340
  • ગુજરાત UCCમાં સ્ત્રી  

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 
  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …

Poetry

  • નોકરી એક ચુડેલ
  • સાંજ….ગઝલ.
  • મારા પછી
  • ગઝલ
  • મિસ્ટર આંબેડકર અને આંબેડકર કોણ હતા

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved