Opinion Magazine
Number of visits: 9842844
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

સત્તાના આસને બિરાજતા જનપ્રતિનિધિઓનું વૈચારિક દળદર ક્યારે ફીટશે? 

હિતેશ રાઠોડ|Opinion - Opinion|2 September 2025

હિતેશ રાઠોડ

એક સમય હતો જ્યારે સંસદીય પ્રણાલિમાં સત્તાના સિંહાસને બિરાજમાન શાસકપક્ષ અને સત્તાપક્ષની વિપરીત બાજુએ બિરાજમાન વિપક્ષ વચ્ચે મતભેદો રહેતા હતા, પરંતું મનભેદ કે વાણી-વ્યવહારમાં કટુતા કે દ્વેષ ન હતા. સત્તામાં બેઠેલા લોકો વિપક્ષનો અવાજ કાન દઈને સાંભળતા અને એમાંથી સારા મુદ્દાઓને તારવી લેતા હતા અથવા કહો કે સેરવી લેતા હતા અને અમલ કરવા જેવી બાબતોનો અમલ પણ કરતા હતા. ચર્ચા માટે સદનના પટલ પર લાવવામાં આવતી કોઈપણ બાબતના સઘળાં પાસાઓ અંગે વ્યાપક વિચારવિમર્શ કરવામાં આવતો હતો અને લોક-કલ્યાણની પાયાની વિભાવનાને કેન્દ્રમાં રાખી લોકહિતાર્થે આખરી નિર્ણયો કરવામાં આવતા હતા. વ્યક્તિગત મતભેદો, મનભેદો, અહંકાર કે હું-પણાને બાજુ પર રાખી, સંસદીય ચર્ચાના મૂળમાં લોક-કલ્યાણ, લોકહિત, લોકસમસ્યાઓ અને પાયાના પ્રશ્નોનું નિવારણ રહેતા હતા. લોકપ્રતિનિધિ તરીકે ચૂંટાઈને સંસદભવનમાં પ્રવેશતા લોકોની પહેલી જવાબદારી લોકો પ્રત્યે રહેતી. પક્ષ, પાર્ટી, પક્ષાધ્યક્ષ, વ્હીપ કે પક્ષાદેશ એ સઘળું પછીના ક્રમે રહેતું. લોક હિતાર્થે પદ જતું કરતા અથવા પદ કે પક્ષ ત્યાગ કરતા લોકપ્રતિનિધિઓ જરા ય ખચકાતા નહોતા. એક સમયે ચર્ચામાં ગરમાગરમી આવી જતી તો પણ પછીથી સાથે બેસી લોકહિતાર્થે પ્રશ્નનું નિરાકરણ કરવામાં આવતું હતું અને એ રીતે ઘીના ઠામમાં ઘી પડી જતું અને લોકશાહીના પ્રાણ સમાન લોકહિત જળવાઈ રહેતું. આ બધાનું કારણ એ હતું કે ચૂંટાઈને આવતા જનપ્રતિનિધિઓ ભલે ઓછા ભણેલા હોય પણ એક વાતે બહુ સ્પષ્ટ હતા કે લોકોએ તેમને સંસદમાં બેસાડ્યા છે અને એટલે જ લોક-ફરજ એ તેમની સૌ પહેલી જવાબદારી રહેતી. પક્ષીય હિત કે વ્યક્તિગત હિતને પછીથી જોવાતું. લોકહિતમાં ન હોય એવી બાબત પર કોઈ કાળે સમાધાન કરવામાં આવતું નહિ, પછી ભલે એ માટે સત્તા કે પદ છોડવું પડે. લોક-હિત અને લોક-કલ્યાણની વાત ગમે તેવા ચમરબંધીની સામે પણ નિ:સંકોચ અને બેબાક રીતે કહેવામાં આવતી હતી. જનહિતમાં અને પદની ગરિમા જાળવવા પદનો ત્યાગ કર્યો હોય એવા દાખલા ભૂતકાળમાં જોવા મળતા હતા. 

સંસદ ભવન એ લોકશાહીનું મંદિર છે જ્યાં લોકવાચા કે લોકલાગણીને પ્રાર્થનાની જેમ વિવેકી શબ્દો અને ભાષામાં રજૂ કરવામાં આવે છે. જે રીતે મંદિરમાં પ્રવેશતી વખતે વ્યક્તિ સહજ શિસ્ત, સૌમ્યતા અને શીલતા ધારણ કરી લેતી હોય છે એવી રીતે લોકશાહીના મંદિર સમા સંસદભવનમાં પ્રવેશતી વખતે પ્રજાએ ચૂંટીને મોકલેલા લોકપ્રતિનિધિ પાસેથી લોકોને એટલી અપેક્ષા હોય કે તેઓ લોકહિતાર્થે સ્વયંશિસ્તમાં રહી લોકોનો અવાજ, લોકોની સમસ્યાઓ, લોકોની વેદના, લોકોની પીડા, લોકોની વ્યથા, લોકોની હાડમારી, જીવન જીવવા માટે લોકોએ વેઠવા પડતા સંઘર્ષ અને મથામણોને વાચા આપી વિનમ્ર કે ક્યારેક આક્રંદના સૂરે લોકશાહીના મંદિરમાં રજૂ કરે, જ્યારે અન્ય જનપ્રતિનિધિઓ પણ એ લોકવાચાને એટલા જ ધ્યાનથી સાંભળતા અને એમાં છુપાયેલી લોકોની વેદના કે વ્યથાઓને સમજવા પ્રયાસ કરતા.

પરિસ્થિતિ આજે ક્યાં જઈને ઊભી છે! પ્રજાએ ચૂંટીને મોકલેલા આપણા કહેવા પૂરતા જનપ્રતિનિધિઓ પ્રજાના સેવક તરીકે નહિ પણ પ્રજાના હાકેમ બની સત્તાના મદમાં ચૂર થઈને મહાલતા હોય છે. લોકહિતના ઓઠા હેઠળ વ્યક્તિગત મહત્ત્વાકાંક્ષા અને ‘સ્વ-અર્થ’માં સતત રચ્યાપચ્યા રહેતા આ નામના લોકપ્રતિનિધિઓને પ્રજાના પ્રશ્નો કે સમસ્યાઓ દૂર કરવાનું ભાગ્યે જ સૂઝે છે એમ કહો કે એ લોકહિતની વાતને સાવ વિસરી ગયા છે. લોકોની સમસ્યાઓ, લોકોની વેદના, લોકોની પીડા, લોકોની વ્યથા, લોકોની હાડમારીને લગતા પ્રશ્નો અને સમસ્યાઓ સદનના પટલ પર લાવવાને બદલે લોકકલ્યાણ સાથે નહાવા-નિચોવવાનો સંબંધ ન હોય એવી સાવ વાહિયાત અને ફાલતુ બાબતો પર અર્થહીન ચર્ચા કરી પ્રજાના પૈસાની બરબાદી કરવાની સાથે સાથે દેશની આમજનતાનું ધ્યાન મૂળ સમસ્યાઓથી ભટકાવી અન્યત્ર વાળવાના સહેતુક પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. પ્રજાહિતના નામે મુઠ્ઠીભર માલેતુજારોના અંગત હિતો સચવાતા હોય એવી પરિયોજનાઓ પાછળ પ્રજાના પૈસાનો ધુમાડો થઈ રહ્યો છે. લોકોના પ્રાણપ્રશ્નો માટે નિર્મિત લોકશાહીના મંદિર એવા સંસદભવનમાં પ્રજાના પ્રાણપ્રશ્નોનો અવાજ હવે ગુંગળાઈ રહ્યો હોય એમ લાગે છે. પ્રજાના પ્રશ્નો કે સમસ્યાઓનો ઉકેલ લાવવાની જાણે કે કોઈનામાં ઇચ્છાશક્તિ જ બચી નથી. સંસદમાં ગરીબી, બેરોજગારી, મોંઘવારી, રોજિંદા વપરાશની ચીજવસ્તુઓના આસમાને જતા ભાવો, જાહેર આરોગ્ય પ્રત્યે સેવવામાં આવતું દુર્લક્ષ્ય, ખેતી છોડી રહેલ ખેડૂતો અને ખેતીની પાયમાલી, આર્થિક સંકડામણને કારણે થતી આત્મહત્યાઓ, સારવારને અભાવે મોતને શરણ થતા લોકો, સરકારી બેદરકારીને કારણે વારેવારે થતી મોટી દુર્ઘટનાઓ અને એમાં હોમાતા અનેક લોકો, કુપોષણ, ઘરવિહોણા માનવીઓનાં ટોળાં, કૃત્રિમ સંગ્રહખોરી, ખાદ્યપદાર્થોમાં કરવામાં આવતી ભેળસેળ, ચીજવસ્તુઓની અછત, ખેત પેદાશોની રક્ષા કરવા સામે બેદરકારી, આઝાદીનાં ૭૫ વર્ષો પછી પણ ગામડાઓની બદથી બદતર હાલત, લોકશાહીના પાયારૂપ સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ પાસેથી છીનવાતી જતી સત્તાઓ અને અધિકારો, દેશની સૌથી અગત્યની પુંજી એવા યુવાધનની શક્તિઓના ઉપયોગ સામે સેવવામાં આવતું દુર્લક્ષ, ……., આવા તો અનેક મુદ્દાઓ છે જેના પર છેલ્લાં કેટલાં ય વર્ષોથી સંસદભવનમાં ના તો કોઈ ચર્ચા છેડાઈ છે કે ના એના પર ચર્ચા કરવા કોઈ જનપ્રતિનિધિ રાજી છે, ના સરકારોને એ બધું સાંભળવા માટે રસ કે સમય છે. લોકશાહીના કહેવાતા સેવકો પ્રજાની સામે રાજાની જેમ વર્તી રહ્યા છે, અતિશયોક્તિનો દોષ વહોરીને પણ કહી શકાય કે રાજાઓને પણ સારા કહેવડાવે એ રીતે આપણા જનસેવકો વર્તી રહ્યા છે.

સત્તાના સિંહાસને બિરાજતા લોકોમાં હોવી જોઈતી સમભાવી, નિષ્પક્ષ અને સાત્ત્વિક વિચારસરણી પર જાણે કે કુંઠિત વિચારોનો લુણો લાગી ગયો હોય એમ સર્વત્ર વિચ્છેદ, વિભાજન, વિઘટન, વિખવાદ, વિવાદ, વિરોધ, વિદ્વેષનું વિકરાળ વાવાઝોડું દેશને ચારેકોરથી અજગર ભરડો લઈ રહ્યું હોય એવી પરિસ્થિતિનું નિર્માણ થતું જાય છે. પાયાના પ્રશ્નોની સતત અવગણના કરી વિકાસના નામે મહામૂલી ખેતભૂમિ પર પાકી સડકોના લિસોટા અને ઊંચી તોતિંગ બિલ્ડિંગોની કતારો ખડી કરી દેવામાં આવી છે. આઝાદીનાં ૭૫ વર્ષે ય જમીન પરની મૂળ સમસ્યાઓ તો ઉકેલી શકાઈ નથી ને ચાંદ પર વસવાના સપના દેખાડવામાં આવે છે! લોકશાહીના નામે પક્ષ અને સત્તાના ધણીઓને વફાદાર આ સત્તાલક્ષી રાજકારણમાં સત્તા જ એક માત્ર કારણ અને પરિણામ બની ગયું છે. લોકશાહીમાં લોકલાજ તો હવે કોઈને રહી નથી. યેનકેન પ્રકારેણ સત્તા હાંસલ કરવા આંબા-આંબલી દેખાડી મતદાર પાસેથી તેનો ‘અમૂલ્ય’ મત છીનવી લઈ ચૂંટાઈ આવતા આ કહેવાતા જનપ્રતિનિધિઓ સત્તા પ્રાપ્ત કરી લીધા પછી મતદારને ‘બાપડો’ કે ‘બિચારો’ બનાવી દેતા જરીકે ય અચકાતા નથી. પ્રજાની અરજ સાંભળવા રચાયેલા સંસદ અને વિધાનસભાના મંદિરોમાં પ્રજાનાં કામો પાછળ ફક્ત ‘ટોકન” સમય ફાળવવામાં આવે છે જ્યારે પ્રજાના પૈસાની બરબાદી કરતી ચૂંટણીઓ અને ચૂંટણી પ્રચાર પાછળ દિવસોના દિવસો વેડફી નાખવામાં આવે છે. પ્રજાના પૈસાનો બરાબર ધુમાડો થાય એ માટે ચૂંટણીઓને હવે ‘પર્વ’ બનાવી દેવામાં આવ્યું છે. મહિનાઓ સુધી ચાલતા રહેતા ચૂંટણી પ્રચારમાં પ્રજાના પ્રશ્નો કે સમસ્યાઓ પર સમ ખાવા પૂરતી પણ કોઈ વાત થતી નથી. કહેવાતા ધુરંધર નેતાઓ પણ બીજાની લીટી કાપી પોતાની લીટી મોટી દેખાડવા કોઈપણ હદે જતા અચકાતા નથી. ચૂંટણી પ્રચારના નામે ગલીચ ભાષામાં એકબીજા પર કાદવ-ઉછાળની રમતો ચાલ્યા કરે અને આચારસંહિતા પાલનના નામે સરકારમાં પ્રજાનાં કામો અટવાયાં કરે અને તો પણ એને ‘પર્વ’ તરીકે ઉજવવામાં આવે! વાહ રે લોકશાહી વાહ!

સત્તાકેન્દ્રિત એવા આ રાજકારણમાં નેતાઓનું વૈચારિક દળદર નહિ ફિટે ત્યાં સુધી પ્રજાએ આમ જ સહન કરતા રહેવાની હેરાન-પરેશાન થતા રહેવાની તૈયારી રાખવી પડશે. કૂવામાં હોય તો અવેડામાં આવે એ ન્યાયે જે પ્રજા પોતાની ખુદની મૌલિક વિચારસરણી પર વિશ્વાસ કરવાને બદલે બીજાની ધડમાથા વિનાની વાતો અને વચનોમાં આવી જતી હોય ત્યાં વળી નેતાઓ પાસેથી વૈચારિક સમૃદ્ધિની અપેક્ષા કેવી રીતે રાખી શકાય. આખરે તો નેતાઓ પણ પ્રજામાંથી જ આવતા હોય છે. 

ઉપાય રૂપે મતદારોએ હવે ખરા અર્થમાં શાણા બનવું પડશે અને બુડથલ, અડબંગ, અબૂધ, પોતાની આગવી વિચારસરણીનો અભાવ ધરાવતા, કોઠાસૂઝ વગરના, સમસ્યાનું સમાધાન કરવાની સૂઝ વિનાના, લોકહિતની અવગણના કરનારા, આત્મશ્લાઘામાં રચ્યાપચ્યા રહેનારા, છીછરા વિચારો અને છીછરી માનસિકતા ધરાવતા, લોકોને ગેરમાર્ગે દોરનારા, દૂરંદેશીતા વિનાના તેમ જ ગુનાહિત ઇતિહાસ અને વિકૃત માનસિકતા ધરાવતા લોકોને જનપ્રતિનિધિ તરીકે ચૂંટીને મોકલવાનું બંધ કરવાનું પડશે. માત્ર ઉમેદવારને જ નહિ તેની સાથે સંકળાયેલ રાજકીય પક્ષો અને એની ગતિવિધિઓને પણ સારી પેઠે પિછાણવી પડશે. કોઈપણ પક્ષના ઉમેદવારને મત આપતા પહેલા કોઈના દોરવાયા દોરાઈ જવાને બદલે ખુદની બુદ્ધિ, સ્વવિવેક અને સમજણનો ઉપયોગ કરતા શીખવું પડશે. સૂફિયાણી વાતો, ખોખલા વચનો અને દિવા-સ્વપ્નોથી લોકોના પેટ ભરાતા નથી કે પાયાની સમસ્યાઓ હલ થતી નથી. મત માગવા આવનાર નેતાઓને જનહિતને લગતા પ્રશ્નો કરી સાણસામાં લેવાની અને “પ્રજાહિતના નક્કર કામ કરનારને જ મત” એ નીતિ હવે લોકોએ અપનાવવી પડશે. 

ભાવિ પરિસ્થિતિ વિકટ થઈ રહી હોવાના અણસાર આવે ત્યારે મતદારોએ પણ સજાગ, સચેત અને સમજદાર થઈ પોતાના બહુમૂલ્ય મતનો વિવેકપૂર્વક ઉપયોગ કરવો રહ્યો.

સરગાસણ, ગાંધીનગર
e.mail : h79.hitesh@gmail.com

Loading

વારસો

નરેન્દ્ર ત્રિવેદી|Opinion - Short Stories|2 September 2025

આજે ન્યાયાધીશ સાહેબની કોર્ટમાં એક અજીબ પ્રકારનો વારસાઈ તકરારનો કેસ હતો. તકરારી બે પુત્ર, એક પુત્રી અને મૃતક પૂનમચંદ શેઠનાં પત્ની હતાં. ચારેયનો એવો દાવો હતો કે પૂનમચંદ શેઠ જ્યારે જીવિત હતા, ત્યારે પૂનમચંદ શેઠે સંપૂર્ણ મિલકત તેમને આપવાની વાત કરી હતી, પણ, કોઈ પાસે દાર્શનિક પુરાવા નહોતા, આથી કોઈ એક બીજાનો દાવો માન્ય રાખતા નહોતા. પૂનમચંદ શેઠનું આકસ્મિક મૃત્યુ થયું હતું અને પૂનમચંદ શેઠે વિલ બનાવ્યું છે એ બધાંને ખબર હતી, પણ તે કોની પાસે છે એ કોઈને ખબર નહોતી. શેઠશ્રીની મિલકત ઘણી હતી એટલે વારસાઈ ઝગડો પણ મોટો હતો. સૌને સંપત્તિમાં રસ હતો. 

ભાઈઓનું કહેવું હતું બહેનને લગ્નમાં દહેજમાં ખૂબ જ આપવામાં આવ્યું છે, એટલે તે હક ન માગી શકે. પૂનમચંદ શેઠની પત્નીનું કહેવું હતું, હું તેમની પત્ની છું એટલે સઘળી મિલકત ઉપર મારો પ્રથમ અધિકાર છે. એક બીજાં પોતાનો દાવો સાચો છે, એ પુરવાર કરવા પ્રયત્ન કરી રહ્યાં હતાં. ચારેય દાવેદારને પૂરી મિલકત જોઈતી હતી. વારસાઈ ભાગ પાડવા તૈયાર નહોતા અને વિલ શોધવા કે વિલ કોની પાસે છે એ જાણવા પણ તૈયાર નહોતા.

જજ સાહેબે ચારેયને સાંભળીને કહ્યું, “તમને ખબર છે કે મૃતક પૂનમચંદ શેઠે વિલ બનાવ્યું છે?”

 “હા, સાહેબ, અમને વાત કરી હતી કે મેં વિલ બનાવ્યું છે અને તે પ્રમાણે કરશો તો જ મારી સંપત્તિ મળશે.”

 “તો તમે વિલ કેમ નથી શોધતા?”

 “સાહેબ, અમને બીક છે કે વિલ અમને લાભ અને સંતોષ આપતું ન હોય તો. અમે કંઈ ન કરી શકીએ.” 

“તો પહેલાં વિલની તપાસ કરો, અને વિલ મળે મારી હાજરીમાં ખોલવામાં આવશે, એ પહેલાં હું એ જાણવા માગું છું કે મૃતક પૂનમચંદ શેઠનાં પત્ની અને તમારા માતુશ્રીની જવાબદારી કોણ લેવા તૈયાર છે, મિલકત મળે તો અને મિલકત ન મળે તો પણ ?” કોઈએ જવાબ ન આપ્યો. “તમારી ચુપકીદીમાં મને જવાબ મળી ગયો છે, એટલે વિલ શોધીને કોર્ટમાં હાજર થજો.”

કોર્ટનો ઓર્ડર થયો એટલે વિલ શોધવાના પ્રયત્ન ચાલુ થયા. પૂનમચંદ શેઠનાં પત્નીએ કહ્યું, “વકીલ મુકેશભાઈ વોરા તેમના મિત્ર હતા, તેમને ખબર હોય તો તેમને પૂછી જોઈએ. “

“મારી પાસે પૂનમચંદ શેઠે વિલ બનાવડાવ્યું છે, અને તમે ન માગો ત્યાં સુધી તમને વાત કરવાની ના કહી હતી.”

 “પિતાજીએ એમ કેમ કર્યું હશે?”

 “એટલાં માટે કે તેમને શંકા હતી કે તમે તમારી માતુશ્રીનું ધ્યાન રાખવાને બદલે મિલકતના ઝઘડામાં પડશો, અને થયું પણ એમ જ. હું વિલ કોર્ટમાં રજૂ કરીશ.”

“પૂનમચંદ શેઠના વિલનું વાંચન કરવામાં આવે”, જજ સાહેબે આદેશ કર્યો.

“જજ સાહેબ, પૂનમચંદ શેઠના વિલમાં લખ્યું છે કે જે મારી પત્નીની જવાબદારી સ્વીકારે તેને મારી સંપત્તિ મળશે અને જો કોઈ તૈયાર ન થાય તો કોર્ટના ઓર્ડર પ્રમાણે મિલકતનો વહીવટ કરવાનો રહેશે.”

“બોલો, કોણ તૈયાર છે?” બંને ભાઈઓ તૈયાર થઈ ગયા કે માતાજીનું અમે ધ્યાન રાખશું, બંને ભાઈઓ વચ્ચે સંપત્તિની વહેંચણી કરી દ્યો.”

 “દીકરી, તું કેમ કાઈ ન બોલી, તે પણ સંપત્તિમાં ભાગ માગ્યો છે.” 

“જજ સાહેબ, હું મારા ઘરે ખૂબ સુખી છું. મારે સંપત્તિમાં ભાગની જરૂર નથી. બંને ભાઈઓ વચ્ચે જ્યારે સંપત્તિ માટે ઝગડા જોયા, પણ ક્યાં ય મારી માતાનું સ્થાન ન જોયું ત્યારે મેં નક્કી કર્યું, હું પણ કાયદેસરની વારસ છું સંપત્તિમાં ભાગ માગી ભાઈઓને તેમની ભૂલનું ભાન કરાવીશ. જજ સાહેબ અમારે સંપત્તિ નથી જોઈતી.”

 “જજ સાહેબ, માતુશ્રી અમારી સાથે રહે તેવી વિનંતિ છે.” 

“તમે કોણ છો?”

 “સાહેબ એ મારા પતિદેવ છે.”

“વાહ, અહીં દીકરાને સંપત્તિ મળે તો માતાને રાખવી છે, જ્યારે દીકરી જમાઈને સંપત્તિ નહીં, માતા જોઈએ છે. હવે કંઈ સમજાય છે.”

 “જજ સાહેબ, અમને અમારી ભૂલનો અહેસાસ થઈ ગયો છે. અમે પિતાજીના વિલનો આદર કરીએ છીએ અને માતાજીની સંપૂર્ણ જવાબદારી લઈએ છીએ.”

“મુકેશભાઈ વોરા, તમે પૂનમચંદ શેઠના મિત્ર હતા, આથી વિલ પ્રમાણેની વ્યવસ્થા અને સંચાલન હું તમને સોપુ છું.” 

“જજ સાહેબ, મને વિલના લખાણની ખબર હતી પણ દીકરીના સહકાર વગર સોલ્યુશન શક્ય નહોતું, કારણ કે કોઈ વાત માનવા કે સ્વીકારવા તૈયાર નહોતું, એટલે આપ સાહેબની મદદ લેવી પડી. જજ સાહેબ ખૂબ ખૂબ આભાર.”

(ભાવનગર)
e.mail : Nkt7848@gmail.com

Loading

૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

જગદીશ પટેલ|Diaspora - Features|2 September 2025

જગદીશ પટેલ

બ્રિટનમાં એક ગુજરાતણ માલિકો સામે જંગે ચડે તે વાત જ નવાઈની ! પરદેશમાં પહેલી પેઢીના ગુજરાતીઓ મોટા ભાગે વેપાર કરે, કારણ રંગભેદ અને ભાષા, સંસ્કૃતિને કારણે નોકરીઓમાં પત્તો પડે નહીં. નોકરીઓ કરનારા આપણા લોકોની સામાન્ય માનસિકતા સંગઠન કરી સંઘર્ષ દ્વારા પોતાના હિત અને અધિકારનું રક્ષણ કરવાની નહીં, પણ માલિકોને વફાદાર રહી, નીચી મૂંડીએ વૈતરું કર્યે રાખવાની હોય છે તેવી સામાન્ય છાપ છે. એ સંજોગોમાં છેક ૧૯૭૬માં જયાબહેને જે સંઘર્ષ કર્યો હતો, તેની વાતો ભારતમાં મારા સુધી પહોંચતી હતી અને એ સમાચાર જાણી હું બહુ પોરસાતો. ૧૯૯૨માં મારે બ્રિટન જવાનું થયું, ત્યારે ત્યાં અનેક મજૂર કાર્યકરોને મળ્યો. મેં જયાબહેનને મળવા અને તેમનું ઠામઠેકાણું મેળવવા પ્રયાસ કર્યા પણ કોઈ માહિતી મળી નહીં. તેથી તેમની મુલાકાત લીધા વિના જ પરત ફરવાનું થયું. આજે આટલાં વર્ષે ‘ઇંડિયન એક્સપ્રેસ’માં તેમના વિશેનો આ લેખ જોઈ આનંદ થયો. લેખનો મુક્ત અનુવાદ પ્રસ્તુત છે જ.

— જગદીશ પટેલ

•

જયાબહેન દેસાઈનું નામ ભારતીય મહિલાના ઇતિહાસમાં અથવા મહિલા દિવસ જેવા દિવસોના સંદર્ભમાં ભાગ્યે જ સાંભળવા મળે છે. પણ આ સામાન્ય દેખાતી, સાડી પહેરેલી મહિલાએ એક વાર લંડનની શેરીઓમાં ખળભળાટ મચાવ્યો હતો. બ્રિટનમાં વસેલા સ્થળાંતરિત નાગરિકોના જીવનમાં આ એક મહત્ત્વનો વળાંક હતો. ૧૯૭૬ના બ્રિટન માટે આકરા કહેવાય તેવા ઉનાળામાં, તે સમયે ૪૩ વર્ષીય જયાબહેને ઉત્તર લંડનની ‘ગ્રુનવિક ફિલ્મ પ્રોસેસિંગ લેબોરેટરી’માંથી મજૂરોની હડતાલનું નેતૃત્વ કર્યું હતું. કામદારોનો આ વિરોધ કહો, ધરણાં કહો કે હડતાલ કહો, આગામી બે વર્ષ સુધી ચાલ્યો હતો, તેણે બ્રિટનમાં રાષ્ટ્રવ્યાપી મીડિયાને વર્ષો સુધી આકર્ષિત કર્યું હતું અને બ્રિટનના તત્કાલીન ટ્રેડ યુનિયનોનું સંપૂર્ણ હૃદયપૂર્વક સમર્થન મેળવનાર કોમનવેલ્થ દેશોમાંથી સ્થળાંતરિત કામદારોની પ્રથમ હડતાલ તરીકે ઇતિહાસનાં પુસ્તકોમાં સ્થાન પ્રાપ્ત કર્યું.

જયાબહેન ૧૯૬૦ના દાયકાના અંતમાં અને ૧૯૭૦ના દાયકાના પ્રારંભમાં નવા સ્વતંત્ર થયેલા પૂર્વ આફ્રિકન દેશોની આફ્રિકીકરણ નીતિઓને કારણે બ્રિટન આવી જનારા દક્ષિણ એશિયાઈ દેશોના નાગરિકોના સમુદાયનો ભાગ હતાં. ૧૯૩૩માં ગુજરાતના ધર્મજ ખાતે જન્મેલાં જયાબહેને ૨૨ વર્ષની ઉંમરે ફેક્ટરી માલિક સૂર્યકાંત દેસાઈ સાથે લગ્ન કર્યાં અને તેમના પ્રથમ બાળકના જન્મ પછી આ દંપતી તાન્ઝાનિયા રહેવા ગયું.

સુંદરી અનીથા અને રૂથ પીયર્સને, પોતાના ૨૦૧૮માં પ્રકાશિત પુસ્તક ‘સ્ટ્રાઈકીંગ વિમેન’ માટે ગ્રુનવિક હડતાલનો અભ્યાસ કર્યો હતો. તેમણે પોતાના આ પુસ્તકમાં જણાવ્યું કે જયાબહેન અને તેમના મોટાભાગના સાથી હડતાલિયા કામદારો, ‘શહેરી, અંગ્રેજી ભણેલા અને મધ્યમ-વર્ગીય પૃષ્ઠભૂમિ’માંથી આવ્યાં હતાં.

તેઓ અત્યાર સુધી જે જીવન જીવતા હતાં તેનાથી તદ્દન વિપરીત પરિસ્થિતિમાં તેમને હવે કામ કરવાનું આવ્યું હતું. એશિયન દેશોમાંથી આવેલા નાગરિકોને અહીં ઓછા પગારની નોકરીઓ અને નીચા સામાજિક મોભાની નોકરીઓ સ્વીકારવી પડતી હતી. હેલન લુઈસ નામના પત્રકારે લખેલા પુસ્તક ‘ડીફીકલ્ટ વિમેન’(૨૦૨૦)માં જણાવ્યા મુજબ જયાબહેનની મધ્યમ વર્ગીય સામાજિક પૃષ્ઠભૂમિ અને પોતાની કિશોરવયમાં ભારતીય સ્વતંત્રતા આંદોલનના અનુભવને કારણે બ્રિટનના સ્થાનિક કામદારો અને એશિયન દેશોમાંથી આવેલા સ્થળાંતરિત કામદારો વચ્ચે કામને સ્થળે રોજિંદા જીવનમાં કરવામાં આવતા ભેદભાવને જયાબહેન પારખી શક્યાં.

જે ગ્રુનવિક કંપનીમાં જયાબહેન કામ કરતાં હતાં ત્યાં પહેલાં ગોરા-કાળા બધા કામદારોને કામ આપવામાં આવતું હતું પણ ધીમે ધીમે ત્યાં એશિયન દેશોમાંથી આવેલાં સ્થળાંતરિત મહિલા કામદારોની જ ભરતી કરવામાં આવતી, જેમને બહુ ઓછા પગારે (અઠવાડિક અને કલાક દીઠ) રાખવામાં આવતાં. ૧૯૭૬માં ગ્રુનવિકમાં ૫૦૦ કામદાર પૈકી મોટાભાગની એશિયન મહિલાઓ હતી, ખાસ કરીને મેઇલ ઓર્ડર ખાતા જેવા જ્યાં ભારે શારીરિક મજૂરી કરવાની હોય તેવા વિભાગોમાં તેમને કામ આપવામાં આવતું. હડતાલ પહેલાંના થોડા દિવસોનો રેકોર્ડ જોતાં જાણવા મળે છે કે આ બહેનો સાથે બહુ ખરાબ વ્યવહાર કરવામાં આવતો. તેમને રેસ્ટરૂમ જવું હોય તો પણ પરવાનગી માગવી પડે, ફરજિયાત ઓવરટાઈમ કરાવવો, વગેરે.

અનીથા અને પીયર્સને પોતાના પુસ્તકમાં હડતાલના દિવસનું વર્ણન કર્યું છે. શુક્રવારનો દિવસ હતો, ૧૯૭૬ના ઓગસ્ટ મહિનાની ૨૦મી તારીખ. સપ્તાહના અંત પહેલાં પ્રોસેસ કરેલા ફોટોગ્રાફ્સ મોકલવા માટે પેઢી પર વધારાનું દબાણ હતું. દિવસના અંત સુધીમાં આઉટગોઈંગ મેઇલનાં ૧૩ ખોખાં છૂટાં પાડવાનું કામ પતાવી દેવા માટે કહેવામાં આવ્યું. એક વિદ્યાર્થી કામદારને લાગ્યું કે આ તો વધુ પડતું અને ગેરવાજબી કામ છે ત્યારે તેણે તેનો વિરોધ કર્યો. તેથી વાતાવરણ ગરમાયું. જ્યારે તેને બરતરફ કરવામાં આવ્યો ત્યારે અન્ય ત્રણ પુરુષ કામદારો પણ તેની સાથે તેના સમર્થનમાં બહાર નીકળી ગયા. જ્યારે જયાબહેને ઘરે જવાની તૈયારી કરવા માંડી, ત્યારે તે ઓવરટાઈમ કરશે કે કેમ તે અંગે મેનેજર સાથે ઝગડી પડ્યાં. ગુસ્સામાં ને ગુસ્સામાં તેમણે મેનેજરને કહ્યું, “સારું, તમે અહીં જે ચલાવો છો તે ફેક્ટરી નથી, તે પ્રાણી સંગ્રહાલય છે. પ્રાણી સંગ્રહાલયમાં ઘણા પ્રકારનાં પ્રાણીઓ છે. કેટલાંક એવાં છે જે તમે કહો તેમ નાચે છે; પણ કેટલાક એવા સિંહો છે જે તમારું માથું વાઢી શકે છે. અમે એવા સિંહો છીએ, મેનેજર સાહેબ.”

તકરાર પછી તરત જ, દેસાઈ અને તેમના પુત્ર સુનિલને, જે સ્ટાફનો ભાગ હતો, એક મેનેજરે ધીરે રહીને બહાર મોકલી આપ્યા. પરંતુ મેનેજર સાથે જયાબહેનને થયેલી જીભાજોડીની વાત ગ્રુનવિકના કામદારોમાં ફેલાઈ ગઈ. અને કામદારો એ શબ્દોનો ઉપયોગ વિરોધ દર્શાવવા કરવા લાગ્યા. પછીના થોડા દિવસોમાં, વિરોધ કરી રહેલા કામદારો ફેક્ટરીના દરવાજાની આસપાસ એકઠા થયા, અને પ્લેકાર્ડ લઈ ધરણાં કરવા લાગ્યા. પ્લેકાર્ડમાં લખેલું હતું, “ગ્રુનવિક એ પ્રાણી સંગ્રહાલય છે.” ગ્રુનવિકના ૫૦૦ કર્મચારીઓમાંથી ૧૩૭ કામદારો જયાબહેન સાથે જોડાતાં હડતાલને ઘણું બળ મળ્યું.

જો કે સમસ્યા એ હતી કે વિરોધ કરનારા કામદારોને ટ્રેડ-યુનિયનનો કોઈ અનુભવ નહોતો. તે સમયે યુનાઇટેડ કિંગ્ડમમાં મોટાં ટ્રેડ યુનિયનોમાં ગોરા પુરુષોનું વર્ચસ્વ હતું જેઓ પરંપરાગત ઉત્પાદન ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતા હતા. વિરોધ કરનારાઓએ નોકરીઓ ગુમાવી અને તેઓને કોઈ પણ પ્રકારની નાણાંકીય સુરક્ષા ન હતી. દેસાઈના પુત્ર સુનિલે સૌપ્રથમ મજૂર પક્ષના આગેવાન જેક ડ્રોમીનો સંપર્ક કર્યો, જેઓ તે સમયે બ્રેન્ટ ટ્રેડ્સ કાઉન્સિલના સેક્રેટરી હતા. તેમણે તેમને એપેક્સ યુનિયન સાથે સંપર્ક કરાવી આપ્યો. એપેક્સના સમર્થનને કારણે હડતાલિયા કામદારોને હડતાલનો પગાર અને કાનૂની સલાહ બંને મળ્યાં.

જેમ જેમ હડતાલ કરનારાઓને વ્યાપક મજૂર ચળવળમાંથી ટેકો મળવા માંડ્યો, તેઓએ તેમના પ્રતિનિધિમંડળને દેશભરનાં કાર્યસ્થળો પર ટેકો મેળવવા મોકલવાનું શરૂ કર્યું. લેવિસે લખ્યું છે, “સાડી પહેરેલી મહિલાઓ સ્ટીલ મિલો અને એન્જિનિયરિંગ ફેક્ટરીઓ અને કાર પ્લાન્ટ્સ અને ડોકયાર્ડ્સ પર પહોંચી.”

‘ધ ઇન્ડિયન એક્સપ્રેસ’ સાથેની એક મુલાકાતમાં, સુંદરી અનીથાએ જણાવ્યું હતું કે, “આ હડતાલ અંગે તે સમયનાં પ્રતિભાશાળી માધ્યમોની રજૂઆતમાં આશ્ચર્યનું તત્ત્વ દેખાય છે. તે સમયે બ્રિટનમાં દક્ષિણ એશિયાની મહિલાઓની સામાન્ય છાપ નિષ્ક્રિય, દબાયેલી અને ઘરકામમાં સીમિત હોવાની હતી. કામદારો તરીકે પોતાના અધિકારો માટે સંઘર્ષ કરનાર કામદારોની છાપ તેમની ન હતી.”

વિરોધ તેના બીજા વર્ષમાં પ્રવેશ્યો ત્યાં સુધીમાં, તેને ૨૦,૦૦૦થી વધુ લોકોનું સમર્થન હતું. તેઓ ફેક્ટરીના દરવાજાની આસપાસ એકઠા થઈને બિન-હડતાળિયા કામદારોને પરિસરમાં પ્રવેશતા રોકવાનો પ્રયાસ કરતા હતા. અનિથાએ સમજાવ્યું કે, “માધ્યમોમાં હડતાળિયા કામદારો અને તેમના સમર્થકોને તોફાનીઓ અને વિક્ષેપ પાડનારાઓ તરીકે ચીતરવામાં આવતા હતા.” યુનાઇટેડ કિંગ્ડમમાં ૧૯૩૦ના દાયકાથી જોયા ન હોય તેવા સ્તર પર પોલીસે કડક હાથે કામ લીધું અને હડતાલ કરનારાઓની ધરપકડ કરવામાં આવી.

જુલાઈ ૧૯૭૮ સુધીમાં સરકાર તેમના પર ચડી બેઠી અને વિરોધ કહેતાં હડતાલ પડી ભાંગી. મજૂર પક્ષ સત્તામાં હતો અને વડા પ્રધાન જેમ્સ કેલાહનને માટે આ હડતાલ ક્ષોભજનક હતી. તેમણે વિવાદનો ઉકેલ લાવવા ન્યાયાધીશ, લોર્ડ જસ્ટિસ સ્કેરમેનની નિમણૂક કરી. હડતાળિયા મજૂરો અને મેનેજેમેન્ટની જુબાનીઓ પછી, સ્કેરમેને ભલામણ કરી કે યુનિયનને માન્યતા આપવી જોઈએ. પરંતુ ગ્રુનવિકના માલિક, નવી દિલ્હીના એંગ્લો-ઇન્ડિયન જ્યોર્જ વોર્ડે આ ભલામણનો એમ કહીને વિરોધ કર્યો કે એ પોતે પણ સ્થળાંતરિત નાગરિક છે. મજૂર પક્ષની સરકારના દબાણ હેઠળ એપેક્સ યુનિયને હડતાલને આપેલું સમર્થન પાછું ખેંચ્યું. એટલું જ નહીં, હાઉસ ઓફ લોર્ડસ(આપણી રાજ્યસભા)એ યુનિયનને માન્યતા ન આપવાના માલિકના અધિકારને માન્ય રખ્યો.

હડતાલ ભલે નિષ્ફળ નિવડી, સ્થળાંતરિત મહિલા કામદારોના સંઘર્ષને કામદારો, અને સામાન્ય માણસોના વ્યાપક સમાજ દ્વારા જે ટેકો મળ્યો તે માટે તેને આજે પણ યાદ કરાય છે.

તે પછી જયાબહેને બીજે નોકરી કરી અને પછી હેરોની કૉલેજમાં શિક્ષક થયાં. ૨૦૧૦માં ૮૦ વર્ષની વયે તેમનું અવસાન થયું.

(આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે ‘ઇંડિયન એક્સપ્રેસ’ના ૦૯/૩/૨૫ના અંકમાં પ્રગટ થયેલ અદ્રિજા રોય ચૌધરીના લેખને આધારે)

સૌજન્ય : “ભૂમિપુત્ર”; 01 મે 2025; પૃ. 15-16  

Loading

...102030...209210211212...220230240...

Search by

Opinion

  • ગઝલ
  • સુરત મહાનગરપાલિકાને –
  • MET Gala 2026: સૉફ્ટ પાવરના મંચ પર ભારતનો ‘આર્કટેક્ચરલ’ વિજય
  • ચલ મન મુંબઈ નગરી—340
  • ગુજરાત UCCમાં સ્ત્રી  

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 
  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …

Poetry

  • નોકરી એક ચુડેલ
  • સાંજ….ગઝલ.
  • મારા પછી
  • ગઝલ
  • મિસ્ટર આંબેડકર અને આંબેડકર કોણ હતા

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved