Opinion Magazine
Number of visits: 10080943
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

હિંદુ પંચાંગનું નવું વર્ષ તમારા આંતરિક ‘રિસેટ’ માટે આદર્શ સમય 

ચિરંતના ભટ્ટ|Opinion - Opinion|26 October 2025

ચિરંતના ભટ્ટ

આપણને દરેકને કોઈને કોઈ માપદંડની ટેવ હોય – એ માપદંડ માનસિક હોય – આપણે આપણા અનુભવોથી બનાવ્યા હોય એવા જ હોય. કોઇ એક મોટું કામ પતશે પછી આમ કરીશું અથવા તો આ ગોઠવી દઇને પછી પેલું નવું કામ શરૂ કરીશું, નવા વર્ષે જીમમાં જઇશું કે પછી દિવાળી પછી ચાર મહિના સુધી ગળ્યું નહીં ખાઈએ, વગેરે – મોટે ભાગે આવું બધું નક્કી કર્યા પછી થોડો વખત ગાડું બરાબર ચાલે પણ વાસ્તવિકતા એ છે કે તારીખ કે પંચાગ કે સ્થિતિ બદલાય તેને માપદંડ બનાવનારા આપણે જો અંદરથી ન બદલાઇએ તો પછી આ બધું નક્કી કરવાનો કોઈ અર્થ નથી રહેતો.

આપણે ગયા અઠવાડિયે નૂતનવર્ષાભિનંદના મેસેજીઝના જવાબ આપીને અને લોકોને સામે શુભેચ્છાઓ મોકલીને આપણે મોટા ભાગની રજાઓ ગાળી. આપણે મનમાં વિચાર્યું હશે કે જેમ ઘરની આખા વર્ષની સાફ-સફાઇ કરી તેમ અમુક બાબતો દિવાળી પછી બદલી નાખવી છે. આપણે જાતને રીસેટ કરવા ઇચ્છતા હોઈએ, સ્ટ્રેસને નેવે મૂકવો હોય, અમુક ઉશ્કેરી નાખતી બાબતને કાબૂમાં લઇને સંતુલિત કરવા ચાહતા હોઈએ તેમ પણ બને. પારંપરિક ચાઇનીઝ મેડિસીનના પાયામાં એક વિચાર છે જેને કહે છે – ‘ચી’ – એક પ્રકારની ઉર્જા, યુનિવર્સ કે બ્રહ્માંડનો શ્વાસ – આધ્યાત્મિક અને દુન્યવી વિશ્વ વચ્ચેની એક કડી એટલે કે ‘ચી’ – આપણે આજકાલ એવું ફ્રિકવન્સી, બ્રહ્માંડની ઉર્જા સાથે મેળ ખાઇ શકાય એવી રીતે જીવવું – વિચારવું – એવી વાઇબ રાખવી પ્રકારની વાતો સાંભળીએ છીએ – કદાચ અમુક હદે સમજીએ પણ છીએ પણ એ ઊર્જા, એ સંતુલન, – એ ચી – મેળવવાના રસ્તા આપણને ખબર હોવા છતાં ય માળું ક્યાંથી શરૂ કરવું એ નથી સમજાતું. આંતરિક શાંતિ શોધવાની વાત છે, આપણું કેન્દ્ર શોધવાની વાત છે – આમ તો આ માણસની મૂળભૂત જરૂરિયાત છે – એક એવું મન જે ક્યારે ય ન થોભતી દુનિયામાં શાંત હોય, આરામમાં હોય. આપણી પ્રાચીન પરંપરાઓ પાસે આ જવાબો હંમેશાંથી રહ્યા છે અને હવે આધુનિક ન્યુરોસાયન્સ પણ આ જવાબો શોધવા મથે છે. યુવલ નોઆ હરારી જેવા લેખકોએ યુદ્ધો અને ટેકોનોલૉજી જેવા વિષયો પર લાંબાં પુસ્તકોને અંતે વાત તો મેડિટેશન એટલે કે ધ્યાનની જ કરી છે. 

મનની શાંતિ મેળવવા મથતો માણસ, અત્યાધુનિક સવલતોમાં પણ એ જ શોધવાનો પ્રયાસ કરતો રહે છે – પણ મનની શાંતિ કોઇ મુકામ નથી, કોઇ ગંતવ્ય સ્થાન નથી જ્યાં તમે એક સરસ મજાની સવારે બધા પ્રોબ્લેમ્સ ઉકેલીને પહોંચી જશો – આ એક એવી ચીજ છે જે રોજ નાની બાબતોમાં ફેરફાર કરવાથી, નાની આદતો કેળવવાથી મળી શકે છે. મનની શાંતિ મોટેભાગે બહુ જ સામાન્ય ક્ષણોમાં મળતી હોય છે. આજે આપણે રાજકારણ કે અર્થતંત્રથી પર જઇને દસ એવી આદતોની વાત કરીએ જેનું અનુસરણ આપણને મનની શાંતિ – આપણા કેન્દ્ર – આપણા ચી સુધી લઇ જવામાં કામ લાગશે.

1.    ધીમી સવાર

સવાર શાંત હોય તેનાથી મોટું સુખ કંઇ નથી. પણ એ શાંત છે એ જોવા માટે આપણે સજાગ હોઈએ તે જરૂરી છે. ઊઠીને તરત ફોન હાથમાં લેવાને બદલે કે તરત બારણું ખોલીને છાપું કે દૂધ લેવાને બદલે આપણે પથારીમાં બેઠા થઇને પહેલા જાતને સાંઇઠ સેકંડ આપવી જોઇએ. જરા તમારા હોવાનો અનુભવ કરો, સવારથી જ આખા દિવસનો સૂર સેટ કરો. તમારા દિવસમાં ખેંચાઈ જવાને બદલે તમે તમારા રિધમમાં તમારા દિવસમાં પ્રવેશો.                                              

2.   કૃતજ્ઞતાનું એન્કર

ગ્રેટિડ્યુડ એટલે કે કૃતજ્ઞતાનો બીજો વિકલ્પ નથી. દિવસમાં એકવાર, સમય કાઢીને કોઇપણ ત્રણ એવી બાબત લખો જેના માટે તમે આભારી હો. એ માત્ર વસ્તુઓ માટેનો આભાર ન હોઈ શકે, તમે તમારી આરામદાયક પથારીનો આભાર માની શકો છો કે તમારી હાઉસ હેલ્પનો જેણે દિવાળીમાં રજા ન પાડી હોય કે પછી સવારની સારી ચાનો. જે છે તેને માટેનો ભાવ વ્યક્ત કરવો જરૂરી છે, જે નથી તેના અભાવો ગણાવવામાં સાર નથી. ગ્રેટિટ્યુડ માટે નાની નોટબુક રાખી શકાય. કૃતજ્ઞતા મુશ્કેલીઓ નકારશે એમ નથી પણ તમને તેનાથી સારું જોવાની ટેવ પડશે એ ચોક્કસ.

3. શારીરિક હલનચલન

જિમ મેમ્બરશીપ નથી ચાલશે, ઘર પાસે બગીચો નથી ચાલશે, ઘરમાં યોગ મેટ નથી ચાલશે – પણ છતાં ય વીસ મિનીટ માટે તમે એવી કોઇપણ શારીરિક એક્ટિવિટી કરી શકો છો જેમાં તમારું શરીર માત્ર સારું ફીલ થાય એટલે હલન-ચલન કરતું હોય. ડાન્સ હોઇ શકે, સ્ટ્રેચિંગ હોઇ શકે, બે વાર દાદરા ચઢ-ઉતર કરી શકાય. કસરતથી માત્ર એન્ડોર્ફિન્સ છૂટા પડીને આનંદ આપે છે એમ નથી, તેનાથી નકારાત્મકતા ખંખેરાય છે અને તમારી સ્થિર થઇ ગયેલી ઉર્જામાં ચેતન આવે છે. આંતરિક રીતે કશુંક અટવાયું હોય તો તેને છૂટું પાડવા માટે કસરત અકસીર ઇલાજ છે.

4. સિંગલ–ટાસ્કિંગનું મહત્ત્વ

આપણને બધાંયને મલ્ટિટાસ્કિંગનો મોહ છે, સમય એવો છે કે એ કરવું ય પડે છે. પણ રોજ કોઇપણ એક કામ એવું કરો કે તમે જ્યારે એ કરતા હો ત્યારે એ સિવાય બીજું કંઇ જ  કરતા હો. ચા પીતી વખતે બીજું કંઇ ન કરો, કપડાંની ગડી વાળો તો માત્ર એ જ કરો, કોઇની વાત સાંભળો ત્યારે ફોનમાં જોવાનું ટાળીને પૂરું ધ્યાન ત્યાં આપો વગેરે. આપણી લાઇફમાં વિક્ષેપો કાયમી છે, આ માઇન્ડફુલનેસથી – કોઇ એક સમયે એક કામ કરવા વાળી આદત આ વિક્ષેપો સામેનો બળવો છે. એક કામ આ રીતે કરો બાકી મલ્ટીટાસ્કિંગમાં મચ્યા રહેવું પડે એ સમજી શકાય છે.

5. ડિજિટલ સૂર્યાસ્ત

એક સમય નક્કી કરો—કદાચ સૂતા પહેલાં એક કલાક—જ્યારે સ્ક્રીન્સ તમારી આંખોથી દૂર થાય. એટલા માટે નહીં કે ટેકનોલોજીની અસરો માઠી હોય છે – એવાં ગાણાં ગાવાનો વખત ગયો કારણ કે એના વગર ચાલે એમ નથી. પણ આ એટલા માટે કરવાનું કારણ કે તમારી નર્વસ સિસ્ટમને દિવસભરની દોડાદોડ અને રાતની ઊંઘ વચ્ચે એક બફરની જરૂર હોય છે. આ કલાક દરમિયાન લાઇટ મ્યુઝિક કે વાંચન કરી શકાય. ઇમેઇલ કે મેસેજિઝ આવતા રહેશે – ફોન તમારી સુવિધા માટે છે – તમને ખડે પગે રાખવા માટે નથી.

6. મન ભરીને ખાવ

મન ભરીને ખાવું એટલે દાબવું નહીં – માત્ર હેલ્ધી ખાવું એ પણ નહીં. – જો કે હેલ્ધી ખાવાથી મન ઠેકાણે રહે છે એ પણ એટલું જ સાચું છે. દિવસના જે પણ મીલ્સ લો, બ્રેકફાસ્ટ, લંચ, ડિનર – કોઇપણ એક મીલ શાંતિથી ખાવ. આપણે બધા દોડાદોડમાં ઉડઝૂડિયા થઇ ગયા છીએ. ઓન ધી ગો ખાવાની ટેવ પડી છે. પણ કોઇ એક મીલ આપણે આપણી રીતે, શાંતિથી, બરાબર ચાવીને ખાઇ શકીએ તો શરીરને સમજાય કે તમે તેને ઇંધણ આપતી વખતે સજાગ છો અને તમે તમારા શરીરનું મૂલ્ય છે – તમે તેને ગ્રાન્ટેડ નથી લેતા.

7. શ્વાસની ક્ષણો

દિવસમાં ત્રણ વખત—સવારે, બપોરે અને સાંજે—પાંચ ઊંડા શ્વાસ લો. સિગ્નલ પર ઊભા રહીએ ત્યારે અકળામણ થાય પણ આ સિગ્નલ તમારા અકસ્માત ટાળવા માટે હોય છે. એટલે જ દિવસ દરમિયાન થોડી સેકંડો તમારા શ્વાસને અનુભવવા માટે આપો. નાકથી શ્વાસ લઇ મ્હોંથી કાઢો – સ્પિરિચ્યુઆલિટી અનુસાર આમ કરવાથી નકારાત્મક ઊર્જા ઓછી થાય છે. નકારાત્મક ઊર્જા તમારી ન હોય પણ લોકોને મળો, રિક્ષા માટે રાહ જોવી પડે, કાર બગડી જાય કે ઑફિસમાં કોઇ મગજની નસો ખેંચે ત્યારે જે અકળામણો થઇ હોય તેના ફાઇનટ્યુનિંગ માટે આ ઊંડા શ્વાસ જરૂરી છે. આ પ્રક્રિયા નર્વસ સિસ્ટમ પર રીસેટ બટન દબાવવા જેવી છે. તેમની કોઈ કિંમત નથી અને સાવ થોડ સમય લાગે પણ ખરેખર તો તે તમારી બાયોકેમિસ્ટ્રી બદલે છે.

8. પ્રકૃતિ સાથે જોડાઓ

આપણે કોંક્રિટના જંગલમાં રહેતા હોઇએ તો પણ, દરરોજ કુદરતની નજીક જવાના રસ્તા શોધવા જોઇએ. અઘરું છે પણ અશક્ય નથી. ઘરમાં એકાદ કૂડું તો રાખી શકાય. છોડને પાણી આપો. ક્યાંક જતા હો તો જરા આકાશ ભણી નજર કરો. બગીચો મળે તો ઉઘાડા પગે એક નાની લટાર મારો. આપણે પણ પ્રકૃતિ જ છીએ અને માટે આ કડી જરૂરી છે. સતત હાઇ સ્ટ્રંગ રહેતા આપણે એ યાદ કરીએ કે કુદરત આપણાથી કંઇક ગણી વધારે છે અને આપણી ચિંતાઓ તેની સામે સૂક્ષ્મ છે.

9. સાંજ પડે દિવસ ખીંટી પર લટકાવો

દરેક સાંજે, આખા દિવસ કેવો રહ્યો તે યાદ કરવા પાંચ મિનિટ ગાળો. તમારી જાતને જજ કરવા કે  વિશ્લેષણ કરવા માટે નહીં, પરંતુ સભાનપણે વિતી ગયેલા દિવસને બાજુમાં મુકવા માટે. કોઇ વાતની અકળામણ, અધૂરાં કાર્યો, તમે હજી પણ રિહર્સલ કરી રહ્યા છો તે વાતચીતને નેવે મૂકવાની કલ્પના કરો. આ તમામને ભૌતિક વસ્તુઓ તરીકે વિઝ્યુઅલાઈઝ કરો જેને તમે બાજુ પર મૂકી રહ્યા છો. આવતીકાલ તેના પોતાના પડકારો લાવશે; આજે રાત માટે બધું બાજુમાં મૂકીને હળવા થાવ.

10. રોજ કંઇક સરસ કરો

દરરોજ કંઇક એવું કરો જે કર્યા પછી તમને લાગે કે વાહ તમે કંઇક સરસ કર્યું – અથવા તો એમ કહીએ કે કોઇ વસ્તુને વધારે સુંદર બનાવી. ફૂલો ગોઠવો, ટેબલ સાફ કરો, સુગંધી મીણબત્તી કરો, સૂર્યાસ્ત જુઓ, કવિતા વાંચો – સૌંદર્ય એક અમૂલ્ય દવા છે – તે આપણને યાદ અપાવે છે કે કામ પૂરાં કરવા અને સમસ્યાઓ હલ કરવા કરતાં જીવન કંઇગણું વધારે છે અને તેને સાર્થક બનાવવા માટે બહુ મોટી ચીજોની જરૂર નથી પડતી.

બાય ધી વેઃ 

આ બાબતો ગુપ્ત નથી, આ મેં તમને કીધી એટલે તમે જાણી એમ નથી – બસ ક્યારેક કોઈ આપણને આ ચીજો યાદ કરાવે તો સારું પડે એટલે મેં યાદ કરી અને તમને યાદ કરાવી. જો કે જે ચીની હું વાત કરું છું એ મારા હાથમાંથી પણ છટકી જાય છે. રજાઓમાં લેપટોપ લઇને સતત કામ કરવાથી મનનું કેન્દ્ર કે મુકામ નથી મળતા પણ અમુક બાબતો આપણે માથે મારી લઇએ છીએ – આપણને એમ લાગે કે ના પાડીશું તો કેવું લાગશે – પણ આપણને કેવું લાગે છે એમ વિચારવાનું આપણે શીખ્યા નથી. મારે પણ આ લેખ નહોતો લખવો – શ્વાસ લેવો હતો પણ એવું થઇ ન શક્યું – દિવાળી આવી અને લેપટોપની કીઝના અવાજ વચ્ચે બહારગામની ટ્રીપથી માંડીને બધું જ થયું – હા મને રીસેટ કરવાનો સમય નથી મળ્યો અને મુંબઈની દોડાદોડ શરૂ પણ થઇ ગઇ છે. ચાલો પ્રયત્ન કરીએ સાથે મળીને – પોત પોતાના ખૂણામાં કે આ મેનેજ કરી શકીએ.

પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 26 ઑક્ટોબર 2025

Loading

ખુમારી રળવી પડે છે, એ વાતો કરવાથી નથી આવતી

રમેશ ઓઝા|Opinion - Opinion|26 October 2025

રમેશ ઓઝા

હું રાજકારણ સમજતો થયો, ત્યારથી એક વાત સાંભળવા મળે છે કે ઇન્ડિયા ઈઝ અ સોફ્ટ સ્ટેટ અને તેણે આકરું વલણ અપનાવતા શીખવું જોઈએ. સરદાર પટેલથી લઈને અરુણ શૌરી સુધી આ વાત કંઈ કેટલા ય જમણેરી કાઁગ્રેસીઓ, હિન્દુત્વવાદીઓ, લશ્કરી રણનીતિકારો અને વિચારકો કહી ગયા છે અને કહેવામાં આવે છે. જ્યારે પણ ભારત પર ત્રાસવાદી હુમલો થાય ત્યારે આ વાત ખાસ કહેવામાં આવે છે. ભારતનાં ચીન અંગેના વલણ વિષે અરુણ શૌરીએ ‘સેલ્ફ-ડિસેપ્શન- ઇન્ડિયાઝ ચાઈના પોલિસીઝ, પ્રેમાઈસીઝ, લેસન્સ’ એવું એક પુસ્તક લખ્યું છે, જેના કવર પર ડૉ મનમોહન સિંહ ઝૂકીને ચીનના વડા હુ જિન્તાઓનું સ્વાગત કરતા જોવા મળે છે અને સામે ચીનના નેતા હુ ટટ્ટાર ઊભા છે. શૌરીએ પોતે જ કહ્યું છે કે તેમણે એ તસ્વીર જાણીબૂજીને ભારતની નબળાઈ બતાવવા ઉપયોગ કરી છે. એમાં વિનય નજરે નથી પડતો, નબળાઈ અને લઘુતાગ્રંથિ નજરે પડે છે. ભારત ક્યાં સુધી આવું વલણ અપનાવશે? ક્યારે પોતાની તાકાત સમજતું થશે? ક્યારે આંખમાં આંખ પરોવીને ટટ્ટાર ઊભા રહેતા શીખશે? ક્યારે ભારતના દુ:શ્મનોને તેમની જગ્યા બતાવશે? લાડ કરનારાઓને ક્યારે લાડ લડાવતું બંધ થશે? વગરે વગેરે. 

આમ દેશને આઝાદી મળી ત્યારથી કહેવામાં આવી રહ્યું છે, પણ મારી જાણ મુજબ કોઈએ કહ્યું નથી કે ભારતે કયો માર્ગ અપનાવવો જોઈએ. આકરું વલણ અપનાવીને શું કરવું જોઈએ? ચીન સાથે શું કરવું જોઈએ? પાકિસ્તાન સાથે શું કરવું જોઈએ? અમેરિકા સાથે શું કરવું જોઈએ? આંતરિક સમસ્યાગ્રસ્ત અન્ય પાડોશી દેશો સાથે શું કરવું જોઈએ? આધુનિક મૂલ્યવ્યવસ્થા અને તેના પર આધારિત રાજ્યનો અસ્વીકાર કરનારા કેટલાક મુસ્લિમ અને અન્ય દેશો સાથે શું કરવું જોઈએ? સામ્યવાદ અને મૂડીવાદી દેશો વચ્ચે કેવી રીતે સંતુલન જાળવવું જોઈએ એમ કંઈ કેટલા ય સવાલો હતા જેના વિષે શું કરવું તેનો ઈલાજ તેમણે બતાવ્યો નથી. કોઈએ બતાવ્યો હોય અને તમે જાણતા હો તો મારું ધ્યાન ખેંચવામાં આવે. તરુણોની ફરજિયાત લશ્કરી ભરતી અને તાલીમ, ત્રણ-ચાર ગણું લશ્કરી બજેટ, નાગરિક અધિકાર કરતાં ફરજને વધારે મહત્ત્વ આપવામાં આવે અને મર્યાદિત લોકતંત્ર જેવાં કેટલાંક વાહિયાત સૂચનો કરવામાં આવતાં હતાં પણ એ બધા નાના લોકોના સૂચનો હતાં. સરદાર પટેલથી લઈને શૌરી જેવા, જેમના શબ્દનું વજન હોય એવા કોઈએ કોઈ નક્કર સૂચન કર્યું હોય એવું મારી જાણમાં નથી.  

દરેક પ્રજાને ખુમારીનું આકર્ષણ હોય છે, પણ ખુમારી આકાશમાંથી આવતી નથી, એ રળવી પડે છે. હિન્દુત્વવાદીઓને જેટલું ખુમારીનું આકર્ષણ છે એટલું ભાગ્યે જ ભારતમાં બીજા કોઈને હશે. તેઓ ઇતિહાસમાં ખુમારી શોધે છે અને વર્તમાનમાં અને ભવિષ્યમાં ખુમારી બતાવવા માગે છે. ગાંધીજીની અહિંસા સામે તેમને એટલા માટે વાંધો છે કે તેમાં તેમને ખુમારીનો અભાવ નજરે પડે છે. તેઓ દિવસરાત ખુમારીની આરાધના કરે છે. સો વરસથી આપણે આ જોતા આવ્યા છીએ. તેઓ આજે ૧૧ વરસથી સત્તામાં છે, પણ ખુમારી? ચીને લડાખમાં ભારતની ભૂમિ પર કબજો કર્યો છે એ છોડાવી તો શકતા નથી, ચીનનું નામ લઈને નિંદા પણ કરી શકતા નથી. આવું જ અમેરિકા અંગે. ટ્રમ્પ કંઈ પણ બોલે અને આપણે પ્રતિક્રિયા પણ ન આપીએ? પાકિસ્તાન સામેનું ઓપરેશન સિંદુર ચાર દિવસમાં આટોપી લેવું પડ્યું. આવું જ બંગલાદેશ, નેપાળ અને શ્રીલંકાની બાબતમાં. હિંદુ રાષ્ટ્રવાદીઓએ તાલેબાની નેતાનું લાલ જાજમ પાથરીને સ્વાગત કરવું પડે એ કેવી મજબૂરી! ક્યાં છે ખુમારી? ઘરઆંગણે નિર્બળ લઘુમતી કોમ પર જુલમ કરવો એ વિકૃતિ છે, ખુમારી નથી. આજકાલ વૈશ્વિક રાજકારણ એટલું પ્રવાહી છે કે લગભગ દર મહીને ખુમારી બતાવવાનો અવસર મળતો રહે છે, પણ હિંદુ રાષ્ટ્રવાદીઓ ખુમારી બતાવી શકતા નથી. 

ખુમારી રળવી પડે છે, એ વાતો કરવાથી નથી આવતી. ઇતિહાસમાં રાચવાથી અને પોતાને અનુકૂળ તોડમરોડ કરવાથી તો બિલકુલ ન આવે. ઊલટું નમાલાપણામાં વધારો થાય. મૂછ મરડવાથી જો બહાદૂરી આવતી હોત તો આ જગતમાં કોઈ કાયર હોત જ નહીં. તાકાત રળવી પડે છે અને એ રળવાનો માર્ગ છે, પુરુષાર્થ. માત્ર પુરુષાર્થ. બીજા વિશ્વયુદ્ધ પછી ચાર દેશોએ કેવળ પુરુષાર્થ દ્વારા તાકાત રળી છે. એ છે; જર્મની, ઇઝરાયેલ, જપાન અને ચીન. દક્ષિણ કોરિયા અને સિંગાપુરનાં નામ પણ કોઈ ઉમેરે. ૧૯૯૦ની સાલ સુધી ભારત પણ ચીનની લગોલગ હતું, પણ અયોધ્યા રામજન્મભૂમિ આંદોલન પછી હિન્દુરાષ્ટ્રવાદે ભારતીય રાષ્ટ્રવાદની જગ્યા લેવા માંડી અને ભારત પાછું ઠેલાતું ગયું. ભારત એક તક ગુમાવી દીધેલો દેશ છે અને હિંદુ રાષ્ટ્રવાદીઓને કારણે ભારતે તક ગુમાવી દીધી છે. આજે સ્થિતિ એવી બની છે કે જિંદગીભર ખુમારીનો જાપ કરનારાઓ ખુમારી બતાવી શકતા નથી. 

ભારતમાં સંસદભવન પર થયેલા ત્રાસવાદી હુમલા પછી લોકસભામાં થયેલી એ ચર્ચાની મને યાદ આવે છે જેમાં ભારતીય જનતા પક્ષનાં નેતા સુષ્મા સ્વરાજે પાકિસ્તાનને યાદ અપાવી હતી કે અમારી પાસે આઇ.આઇ.ટી. છે, ઈસરો છે, આઈ.એ.એમ. છે, ઇન્સ્ટિટયૂટ ઓફ સાયન્સ છે, બી.એ.આર.સી. છે, તમારી પાસે શું છે? સુષ્મા સ્વરાજે પાકિસ્તાનને યાદ અપાવી હતી કે તાકાત અને પ્રતિષ્ઠાનાં આ સ્રોત છે, મદરસા અને ઇસ્લામનું ગૌરવગાન નહીં. ભારતનું ગૌરવગાન કરવામાં તેઓ એ ભૂલી ગયાં હતાં કે તેઓ નેહરુનું ગૌરવગાન કરી રહ્યાં છે. 

ભારત સોફ્ટ સ્ટેટ છે એ તેની નબળાઈ નથી. ભારતની વિવિધતાઓનો આંતરિક પ્રજાકીય વિભાજન દ્વારા રાજકીય દુરુપયોગ કરવામાં આવે છે એ તેની મર્યાદા છે. આંતરિક ઉદારતા અને વિકાસલક્ષી પુરુષાર્થ જ તાકાત અને સાચી રણકેદાર ખુમારી રળી આપશે. 

નવા વરસમાં આટલો સંકલ્પ કરીએ તો! 

પ્રગટ : ‘નો નૉનસેન્સ’, નામક લેખકની કટાર, ‘રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 26 ઑક્ટોબર 2025

Loading

ચલ મન મુંબઈ નગરી—312

દીપક મહેતા|Opinion - Opinion|25 October 2025

ટાઈમ મશીનમાં બેસીને જઈએ જમાનાઓ જૂના મુંબઈના પોઈન્ટ ઝીરો પર      

“પાઠકો સે નિવેદન હૈ કિ યાત્રા કે દૌરાન વે અપની કુર્સી પર આરામ સે બૈઠે, કોઈ પટ્ટી બાંધને કી જરૂરત નહિ હૈ. મુંબઈ કે પોઈન્ટ ઝીરો તક કી દૂરી કિતની દેર મેં પૂરી કિ જાયેગી ઉસ કા હમે કોઈ અંદાજ નહિ. આપ કે વૈમાનિક હૈ હર્બર્ટ જ્યોર્જ વેલ્સ, ઉર્ફ H.G. Wells જો ૧૮૯૫ સે યે ટાઈમ મશીન ઉડા રહે હૈ.”

હા જી, મુંબઈનું પોઈન્ટ ઝીરો, કહેતાં કેન્દ્રબિંદુ, કહેતાં મધ્યબિંદુ. આજે તો મુંબઈ દિવસે ન વધે એટલી રાતે વધે, અને રાતે ન વધે એટલી દિવસે વધે એવી રાજકુંવરીની જેમ વધી, ફૂલીફાલી, ‘વિકસી’ રહ્યું છે. પણ એક જમાનામાં આ મુંબઈ શહેરને પણ એક પોઈન્ટ ઝીરો હતું. અને બીજી બધી જગ્યાઓનું અંતર એ પોઈન્ટ ઝીરોથી માપીને માઈલ સ્ટોન પણ શહેરમાં જુદી જુદી જગ્યાએ મૂકાતા. શહેર વિકસતું ગયું તેમ તેમ એ માઈલ સ્ટોન ઊખડાતા કે ઢબૂરાતા ગયા. પણ છેલ્લાં કેટલાંક વરસોમાં તેમાંથી ૧૬ માઈલ સ્ટોન મળી આવ્યા છે. અને તેમને યોગ્ય જગ્યાએ પાછા ગોઠવવામાં આવ્યા છે.

મુંબઈના પોઈન્ટ ઝીરો નજીક લીલા ઘાસથી ઊભરાતી લગભગ ગોળાકાર જગ્યા દેખાય છે. તેને એક ખૂણે એર પોર્ટના કંટ્રોલ ટાવર જેવી ઈમારત પણ દેખાય છે. તો ત્યાં જ ઉતારીએ આપણું આ ટાઈમ મશીન.

કોટન ગ્રીન પરનો કોટન મર્ચન્ટ

આ જગ્યાનું સૌથી જૂનું નામ બોમ્બે ગ્રીન અથવા કોટન ગ્રીન. એ જમાનામાં હિન્દુસ્તાનના કોટનની હજારો ગાંસડીઓ અહીં ખુલ્લામાં રાત-દિવસ પડી રહેતી – હા, ચોમાસાના ચાર મહિના બાદ કરતાં. અહીંથી બળદ ગાડામાં જતી પાલવા કહેતાં એપોલો બંદર, અને ત્યાંથી પાલ કહેતાં શઢવાળાં વહાણોમાં ચડીને એ ગાંસડીઓ જતી ગ્રેટ બ્રિટન. અને માત્ર ચોમાસામાં નહિ, અહીં બારે મહિના લીલું છમ ઘાસ પથરાયેલું રહેતું એટલે નામ પડ્યું કોટન ગ્રીન. આ કોટન ગ્રીનની ધાર પર દરિયાને અડીને આવેલો હતો બોમ્બે કાસલ. પોર્ટુગીઝ શાસકોએ મુંબઈમાં બાંધેલો સૌથી પહેલો ફોર્ટ કહેતાં કોટ. પોર્ટુગીઝ ગવર્નરો આ બોમ્બે કાસલમાં બેસીને રાજ કરતા જેને તેઓ ‘બોમ બહિઆ’ કે ‘બોમ બાઈમ’ કહેતા એ ટાપુ પર. આ નામનો અર્થ થાય ‘સરસ કાંઠો’. પોર્ટુગીઝો પાસેથી અંગ્રેજોને મુંબઈ દાયજામાં મળ્યું તે પછી પહેલવહેલો અંગ્રેજ ગવર્નર જ્યોર્જ ઓક્સેનડન મુંબઈ ફક્ત એક જ વાર આવ્યો હતો, પોર્ટુગીઝો પાસેથી મુંબઈનો કબજો લેવા. ફક્ત એક દિવસ મુંબઈમાં રોકાઈને તે સુરત પાછો ફર્યો હતો અને પછી ક્યારે ય મુંબઈમાં પગ મૂક્યો નહોતો! પણ બીજા ગવર્નર જેરાલ્ડ ઓંગીઆરે તો મુંબઈમાં જ ધામા નાખેલા. અને એ સાહેબ રહેતા પોર્ટુગીઝોએ બાંધેલા બોમ્બે કાસલમાં. આ ઓંગીઆર તે ગવર્નર તો ખરો જ, પણ મુંબઈ શહેરનો એ પહેલો સ્વપ્નદૃષ્ટા, પહેલો ઘડવૈયો. બીજા સૌને જ્યાં કેવળ પથરો દેખાય છે, ત્યાં શિલ્પકારને મૂર્તિ દેખાય છે. પોતાની નજર સામેના સાત ભૂખડી બારસ ટાપુઓને જોઈને આ ઓંગીઆરે જ મુંબઈ માટે કહ્યું હતું : “The city which by God’s assistance is intended to be built.” ઓંગીઆરે પહેલું કામ કર્યું પોર્ટુગીઝોએ બાંધેલા નાનકડા કિલ્લાને વધુ મોટો અને મજબૂત કરવાનું. બીજું કામ કર્યું દેશાવરથી વેપારીઓ અને કારીગરોને લાવીને મુંબઈમાં વસાવવાનું. દીવ બંદરેથી નીમા પારેખ નામના મોટા વેપારીને અને બીજા નાના-મોટા વેપારીઓને મુંબઈ આવવા નોતરું આપ્યું. પણ તેમણે કહ્યું કે તમારી સરકાર અમારી ધાર્મિક બાબતોમાં માથું નહિ મારે એવી લેખિત બાંહેધરી આપો તો આવીએ. અને ઓંગીઆરે ૧૬૭૭ના માર્ચની ૨૨મી તારીખે એ અંગેના લેખિત કરાર પર સહીસિક્કા કર્યા. બસ, પછી તો આજના ગુજરાત અને મહારાષ્ટ્રમાંથી લોકો મુંબઈ આવીને વસવા લાગ્યા. નવસારી અને સુરતથી પારસીઓ આવ્યા અને મુંબઈમાં શરૂ કર્યો લાકડાનાં વહાણ બાંધવાનો ઉદ્યોગ. પછીથી એ કુટુંબની અટક પડી વહાડિયા કે વાડિયા. પારસીઓએ અંતિમ ક્રિયા કરવા માટે દોખમું બાંધવા જમીન માગી તો ઓંગીઆરે મલબાર હિલ પર તેમને જમીન આપી જ્યાં પછીથી ટાવર ઓફ સાઇલન્સ બંધાયો. આર્મેનિયન વેપારીઓ આવ્યા. તો તેમને પોતાનું ચર્ચ બાંધવા ૧૬૭૬માં ઓંગીઆરે ફોર્ટની અંદર જમીન આપી. ઓંગીઆરે મુંબઈનું ગવર્નરપદ લીધું ત્યારે મુંબઈની વસતી હતી દસ હજાર! પછીનાં દસ વરસમાં વધીને વસતી થઈ સાઈઠ હજાર! 

નીમા પારેખ સાથેનો કરાર, ગવર્નર ઓંગીઆરની સહી સાથે

તો બીજી બાજુ આ જ ઓંગીઆરે ખ્રિસ્તી ધર્મના પ્રોટેસ્ટન્ટ પંથની પહેલી ચર્ચ બાંધવાની પણ શરૂઆત કરી. એ જમાનામાં તેણે નક્કી કરેલું કે એક સાથે એક હજાર શ્રદ્ધાળુઓ સમાઈ શકે એવી મોટી ચર્ચ બાંધવી! એ ચર્ચ બાંધવા માટે શરૂ કરેલા ફંડફાળામાં તેણે પોતે અંગત રીતે પાંચ હજાર રૂપિયા જેટલી રકમ આપી. અને ચર્ચને ચાંદીનું chalice ભેટ આપ્યું. હાથ નીચેના અફસરોને કડક સૂચના કે ચર્ચ માટે ફંડ-ફાળો ઉઘરાવતી વખતે બિન-ખ્રિસ્તીઓને સહેજ પણ દબાણ નહિ કરવાનું. પણ પછી એક વાર સુરત ગયો ઓંગીઆર. ત્યાં માંદો પડ્યો. મૃત્યુ પામ્યો, ૩૦ જૂન ૧૬૭૭. ઉંમર વરસ સાડત્રીસ! સુરતના એ વખતના ખ્રિસ્તીઓ માટેના કબ્રસ્તાનમાં દફનાવાયો. નથી કોઈ એનું ચિત્ર, કે પૂતળું, કે સ્મારક – નથી મુંબઈમાં કે નથી બીજે ક્યાં ય દેશ કે પરદેશમાં.

સેન્ટ થોમસ કેથીડ્રલ, કલોક ટાવર વગરનું અને કલોક ટાવરવાળું

ઓંગીઆરે જે ચર્ચ બાંધવાનું શરૂ કર્યું તે આ કોટન ગ્રીનને એક છેડે આવેલ સેન્ટ થોમસ કેથીડ્રલ. આ ચર્ચનો પાયો નખાયો ઓંગીઆરની હાજરીમાં, ૧૬૭૬માં. પણ ઓંગીઆરના અવસાન પછી કામ ખોરંભે પડ્યું, પૈસાના અભાવે. પછી કામ શરૂ થાય, પણ એક યા બીજા કારણ સર બંધ પડે, ચાલુ થાય. છેવટે ૧૭૧૮ના ક્રિસમસના દિવસે આ ચર્ચ શ્રદ્ધાળુઓ માટે ખુલ્લું મૂકવામાં આવ્યું. વળી ૧૮૩૭ પહેલાં તેમાં સમારકામ અને નવા ઉમેરા કરવામાં આવ્યા. આજે આ ચર્ચની ટોચે જે ટાવર છે તે મૂળ ઈમારતમાં નહોતો. પછીથી ઉમેરવામાં આવ્યો. અને એ નવી ચર્ચમાં પ્રાર્થનાની શરૂઆત થઈ ૧૮૩૭માં. 

મુંબઈના ફોર્ટ કહેતાં કોટને હતા ત્રણ ગેટ કે દરવાજા. જે ગેટથી દાખલ થઈને આ ચર્ચ સુધી પહોંચી શકાય તેનું નામ પડ્યું ચર્ચ ગેટ. પછી જ્યારે બી.બી.સી.આઈ. રેલવેની ટ્રેન શરૂ થઈ ત્યારે જે સ્ટેશને ઊતરીને આ ચર્ચ સુધી જવાય તે સ્ટેશનનું નામ પાડ્યું ચર્ચ ગેટ સ્ટેશન. અને એ સ્ટેશનથી કોટના ચર્ચ ગેટ સુધી ચાલતાં પહોંચાય તે રસ્તાનું નામ પડ્યું ચર્ચ ગેટ સ્ટ્રીટ. આઝાદી પછી નામ બદલાઈને થયું વીર નરીમાન રોડ. ખુરશેદ ફરામજી નરીમાન (૧૮૮૩-૧૯૪૮) દેશની આઝાદી માટેની ચળવળમાં ભાગ લેનાર એક અગ્રણી હતા. ૧૯૩૦માં નમક સત્યાગ્રહ અંગેના કાર્યક્રમો મુંબઈમાં યોજવામાં તેમનો મોટો ફાળો. પરિણામે ૧૯૩૫-૧૯૩૬ના એક વરસ માટે મુંબઈના મેયર બન્યા. ૧૯૩૭માં સ્થાનિક સ્વરાજ્ય માટેની ચૂંટણીમાં કાઁગ્રેસ પક્ષનો જ્વલંત વિજય થયો. નરીમાનને હતું કે તેમની કારકિર્દી અને મેયરનું પદ જોઈને તેમને મુંબઈના પહેલા ચીફ મિનિસ્ટર બનાવવામાં આવશે. પણ કાઁગેસ પક્ષે પસંદગીનો કળશ બી.જી. ખેર પર ઢોળ્યો. એટલે નરીમાન ગિન્નાયા. પક્ષના વડાઓને ફરિયાદ કરી. પણ કશું વળ્યું નહિ. એટલે પછી કૉન્ગ્રેસના નેતાઓ સામે મન ફાવે તેવા આક્ષેપો જાહેરમાં કરવા લાગ્યા. પરિણામે તેમને કાઁગ્રેસમાંથી બરતરફ કર્યા. સુભાષચંદ્ર બોઝે ૧૯૩૯માં શરૂ કરેલી નવી પાર્ટી ફોરવર્ડ બ્લોકમાં નરીમાન જોડાયા. પણ તે પછી પણ મુંબઈના રાજકારણમાં તેમનો ગજ વાગ્યો નહિ. આ રસ્તા સાથે તેમનું નામ જોડવાનું એક જ કારણ – આ રસ્તા પર આવેલા ‘રેડીમની મેન્શન’માં નરીમાન રહેતા હતા. 

મુંબઈનું ઝીરો પોઈન્ટ – સેન્ટ થોમસ કેથીડ્રલ

સોફા પર બેસીને, મસ્સાલાવાળી ચાની ચુસ્કી લેતાં લેતાં ટાઈમ મશીનમાં પ્રવાસ કરતા અમારા માનવંતા વાચકોને થતું હશે કે આજે આ ‘ચર્ચ પુરાણ’ કેમ? કારણ એક જમાનામાં મુંબઈનું ઝીરો પોઈન્ટ કે સેન્ટર પોઈન્ટ કે કેન્દ્ર બિંદુ મનાતું હતું આ સેન્ટ થોમસ કેથીડ્રલ. એટલે કે મુંબઈના બધા રસ્તા ત્યાંથી શરૂ થાય અને ત્યાં જ પૂરા થાય એમ મનાતું. કોઈ જગ્યાએ ‘ચાર માઈલ’નો માઈલ સ્ટોન જડ્યો હોય તો તેનો અર્થ એ કે એ જગ્યા આ ચર્ચથી ચાર માઈલ દૂર આવેલી છે. પણ કહે છે ને કે ‘ચડે તે પડવા માટે.’ કોટનની નિકાસ ઓછી ને ઓછી થતી ગઈ. કોટન ગ્રીનમાંથી પહેલાં કોટન ગયું, પછી ગ્રીન ગયું. આખો વિસ્તાર એક મોટો ઉકરડો બની ગયો. લોકો ત્યાંથી પસાર થતાં નાક પર રૂમાલ દાબે. વખત જતાં મુંબઈના પોલીસ કમિશનર ચાર્લ્સ ફોર્જેટને વિચાર આવ્યો, એ જગ્યાએ મોટો બગીચો બનાવવાનો, એ બગીચા ફરતો ગોળાકાર રસ્તો બનાવવાનો. અને એ રસ્તાની ધારે ગોળાકારમાં એક સરખાં મકાનો બાંધવાનો. ગવર્નર લોર્ડ એલ્ફિન્સ્ટન અને ગવર્નર સર બાર્ટલ ફ્રેરેએ તેમની દરખાસ્તને ટેકો આપ્યો. ૧૮૭૨માં ચક્રાકાર બગીચો તૈયાર. અને પછી બંધાયાં ગાર્ડન ફરતાં ગોળ આકારનાં એક સરખાં મકાનો. જેમણે આ દરખાસ્તને ટેકો આપેલો તે ગવર્નર લોર્ડ એલ્ફિન્સ્ટનનું નામ આ વિસ્તાર સાથે જોડાયું, એલ્ફિન્સ્ટન સર્કલ. પછીથી બદલાઈને થયું હોર્નીમન સર્કલ. ‘ઇન્ડિયન ક્રોનિકલ’ નામના દૈનિકના તંત્રી બેન્જામીન હોર્નીમન પોતે બ્રિટિશ હોવા છતાં હિન્દુસ્તાનની આઝાદી માટેની લડતને જોરદાર ટેકો આપતા હતા. એ માટે બ્રિટિશ સરકારે તેમને હિન્દુસ્તાનમાંથી તડીપાર કર્યા. પણ કાયદાની વાડમાં કોઈક છીંડું શોધીને હોર્નીમન પાછા હિન્દુસ્તાન આવ્યા, અને પોતાના છાપાનું તંત્રીપદ પાછું સંભાળીને બ્રિટિશ સરકારની આકરી ટીકા કરવા લાગ્યા. આઝાદી પછી એલ્ફિન્સ્ટન સર્કલને નવું નામ અપાયું, હોર્નીમન સર્કલ. વીસમી સદીમાં મુંબઈ ફુગ્ગાની જેમ એટલું ફૂલતું ગયું અને ઉત્તર દિશામાં વિસ્તરતું ગયું કે તેનું સેન્ટર પોઈન્ટ સતત બદલાતું રહ્યું. આજે તો હવે મુંબઈ એક મલ્ટી પોઈન્ટ મહાનગર બની ગયું છે. 

એક જમાનામાં જેટલું મહત્ત્વ સેન્ટ થોમસ કેથીડ્રલનું હતું, લગભગ તેટલું જ મહત્ત્વ તેનાથી થોડે દૂર આવેલા એક મકાનનું હતું. પણ એ મકાન વિશેની વાત ટાઈમ મશીનની બીજી ખેપમાં. પણ હા, હવે પછી આપણે ઊડશું નહિ. આપણું આ ટાઈમ મશીન આકાશમાં ઊડી શકે છે તેમ પાણીમાં તરી શકે છે અને જમીન પર ચાલી પણ શકે છે. એટલ તેની મદદથી જૂના જમાનાના મુંબઈના રસ્તાઓ પર ચાલશું. ચાલતાં ચાલતાં જોશું, અને જોતાં જોતા ચાલશું.  

e.mail : deepakbmehta@gmail.com

XXX XXX XXX

પ્રગટ : “ગુજરાતી મિડ-ડે”; 25 ઓક્ટોબર 2025

Loading

...102030...210211212213...220230240...

Search by

Opinion

  • એક યુવક જન્તર મન્તર છોડતી વખતે પોલીસને કહેતો જાય કે, “ફિર આયેંગે ઔર તબ બંદૂક લેકર આના.”
  •  પ્રાથમિક શિક્ષણથી યુનિવર્સિટી શિક્ષણ સુધી ભ્રષ્ટાચાર એ જ શિષ્ટાચાર …
  • ૨૧મી સદીમાં ઘર પુન: બાંધવું
  • Gen Zનો રોષ: કઠેડામાં આજની કે અગાઉની પેઢી નહીં, વ્યવસ્થા છે
  • ચલ મન મુંબઈ નગરી—353

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 
  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …

Poetry

  • નિષ્ક્રમણ
  • ગઝલ
  • માર્યા જશે
  • ચાર સાંપ્રત હિન્દી કાવ્યો
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • State-Sponsored Communal Profiling : The Gujarat Government Must Be Held Accountable
  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved