Opinion Magazine
Number of visits: 10081059
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

પીયૂષ પાંડેઃ જેમણે આપણને આપણી ભાષામાં સપનાં જોતા શીખવ્યું

ચિરંતના ભટ્ટ|Opinion - Opinion|2 November 2025

તેઓ ઇચ્છતા હતા કે ભારતીય જાહેરાત ભારત જેવી લાગે. પાંચ સિતારા હોટેલો અને અંગ્રેજી માધ્યમ શાળાઓનું ભારત નહીં, પણ રેલવે પ્લેટફોર્મ અને લગ્ન સમારોહો અને ગલ્લી ક્રિકેટ અને મસાલા સંઘરવા માટે જૂના ટીનના ડબ્બા સાચવતી મમ્મીઓનું ભારત જાહેરાતમાં દેખાય. 

પીયૂષ પાંડે

શિવાજી પાર્કમાં જે દિવસે પીયૂષ પાંડેને આખરી વિદાય આપવામાં આવી, તે દિવસે ખાસ્સો વરસાદ પડ્યો. જાણે આકાશને પણ ધરતી પર પડેલી ખોટની પીડા હતી. ત્યાં ભેગા થયેલા લોકો “મિલે સુર મેરા તુમ્હારા” ગાઈ રહ્યા હતા. આ ગીત બનાવવામાં તેમણે ત્રણ દાયકા પહેલાં મદદ કરી હતી. ત્યાં હાજર તમામ એ માણસ વગરની દુનિયાનો અર્થ સમજવાનો પ્રયાસ કરી રહ્યા હતા જેણે બ્રાન્ડ ઇન્ડિયા શું છે તે શીખવ્યું.

પીયૂષ પાંડે એટલા માટે લિજેન્ડ નહોતા કારણ કે તેઓએ કાનમાં એવોર્ડ જીત્યા હતા કે ઓગિલ્વીમાં તેમના કેમ્પેઇન્સને મળેલી ટ્રોફીઓથી કેબિનેટ ભર્યા હતા. તેઓ લિજેન્ડ હતા કારણ કે તેમણે ભારત પોતાની સાથે અને પોતાને વિશે કેવી રીતે વાત કરે છે તે ભાષાનું વ્યાકરણ આપ્યું. તેમને લીધે “ચિપકાનેવાલા પદાર્થ’ પણ ભાવનાત્મક અભિવ્યક્તિ બની. તેમણે ચોકલેટને આઝાદીનો પર્યાય બનાવી. તેમણે મોબાઈલ ફોન સેવાને સાથીદારીની લાગણી આપી. એ માત્ર એડમેન નહોતા, આપણી લાગણીને વાચા આપનારા અનુવાદકે એક્ઝિટ લીધી એમ કહેવું યોગ્ય ઠરે.

1987નું વર્ષ હતું, અને અમારે ઘરે ત્યારે જ ટી.વી. આવ્યું હતું. મારા મોટા ભાઈએ કોણ જાણે કેમ પણ નોટબુકમાં જાહેરાતોની યાદી બનાવવાની શરૂ કરી. અહીં ઉત્પાદનો અગત્યના નહોતા પણ તેનાં લખાણ, જિંગલ્સ અગત્યનાં હતાં. એવી વાર્તાઓ જે ગણતરીની ક્ષણો માટે તમને અટકાવે અને ધ્યાન આપવા મજબૂર કરે. મોટાભાઈ કરે એ નાની બહેન પણ કરે, મેં પણ કર્યું.

પરંતુ લાલિતાજી અને લિરિલ લખતાં પછી ફેવિકોલ અને કેડબરીઝની આ જાહેરાતો કોઈ લિસ્ટ નહોતી. એ બાળપણના ટૂકડા હતા. ભારતમાં ઉછરવાની ભાષાનું આર્કાઇવ બની રહ્યું હતું. 30 સેકન્ડનો કમર્શિયલ બ્રેક તમને એવા કેચફ્રેઝ આપી શકે જેનો તમે વર્ષો સુધી ઉપયોગ કરો.

તે સમયે મને પીયૂષ પાંડેનું નામ ખબર નહોતું. મને ખબર નહોતી કે “ક્રિએટિવ ડિરેક્ટર” શું હોય છે કે આ વસ્તુઓ વાસ્તવમાં કોઈ લખે છે. મને ફક્ત એટલી ખબર હતી કે કેટલીક જાહેરાતો તમને હસાવે છે, કંઇ યાદ અપાવે છે, ઇચ્છા જગાડે છે. મારે કેડબરી હાથમાં લઈને ક્રિકેટના મેદાનમાં દોડતી છોકરી બનવું હતું. એ ખાસ સ્વપ્ન—પીયૂષની “કુછ ખાસ હૈ” કેમ્પેઈનથી જન્મેલું—ક્યારે ય સાકાર થયું નહીં. પરંતુ એ ઇચ્છા, એ તેમની ભેટ હતી. 

પીયૂષ પાંડેએ ક્યારે ય જાહેરાતના વિશ્વમાં ડંકો વગાડવાનું નહોતું વિચાર્યું. જયપુરમાં 1955માં જન્મેલા, પીયૂષ પાંડે અંગ્રેજી સાહિત્યના સ્નાતક અને જુસ્સાદાર ક્રિકેટર હતા જેઓ 1982માં ઓગિલ્વી એન્ડ મેથર ઇન્ડિયામાં ગયા—ક્રિએટિવ વિભાગમાં નહીં, પણ ક્લાયન્ટ સર્વિસિંગમાં. તેમની પાસે જાહેરાત બનાવવાની કોઈ ઔપચારિક તાલીમ નહોતી, કોઈ ધાંસુ પોર્ટફોલિયો નહોતો, ભારતની કોમર્શિયલ ભાષાને ફરીથી લખવાની કોઈ મહત્ત્વાકાંક્ષા નહોતી.

તેમની પાસે હતી અણદેખાયેલા પર નજર કરવાની આવડત, જે નથી કહેવાતું તે સાંભળવાના કાન. એક એવી દૃઢ માન્યતા કે જાહેરાતો અંગ્રેજી ચોપડાંમાંથી અનુવાદિત કરવાની જરૂર નથી. એંશી-નેવુંના દાયકામાં ભારત આઝાદ હતો પણ જાહેરાતની દુનિયા પર પશ્ચિમી પકડ હતી. એડ વિશ્વમાં વિઝ્યુઅલ લેંગ્વેજ, ભાષાના તાલ બધાને મામલે પશ્ચિમની નકલ થતી. ભારતીય જાહેરાતો મેડિસન એવન્યૂ માટે બનાવેલી હિન્દીમાં ખરાબ રીતે ડબ કરાયેલી લાગતી. 

પીયૂષ પાંડેએ એ ઉધાર લીધેલી કુશળતા તરફ જોયું અને કહ્યું: યે સબ બકવાસ હૈ.

તેઓ ઇચ્છતા હતા કે ભારતીય જાહેરાત ભારત જેવી લાગે. પાંચ સિતારા હોટેલો અને અંગ્રેજી માધ્યમ શાળાઓનું ભારત નહીં, પણ રેલવે પ્લેટફોર્મ અને લગ્ન સમારોહો અને ગલ્લી ક્રિકેટ અને મસાલા સંઘરવા માટે જૂના ટીનના ડબ્બા સાચવતી મમ્મીઓનું ભારત જાહેરાતમાં દેખાય. તેઓ ફળ વેચનારની વિદ્વત્તા, રિક્ષાચાલકની ફિલસૂફી, દાદીમાનું શાણપણ આ જાહેરાતોમાં સાંભળવા માંગતા હતા. તે કહેતા કે, “જાહેરાત ફેન્સી અંગ્રેજી કે વિદેશી એવોર્ડ વિશે નથી, તે લોકોને સમજવા વિશે છે.”

આ વાત માત્ર ફિલસૂફી નહોતી. તે સ્વતંત્રતાની ઘોષણા હતી.

ફેવિકોલની ઈંડા વાળી જાહેરાતમાં ઇંડાના તૂટેલા કોચલાને જોડી રાખવામાં સંદેશ એ ગતો કે આપણે સરળતા અને આશ્ચર્યથી નાજુક ચીજોને સાથે, જોડેલી રાખવાનો પ્રયાસ કરતા રહીએ છીએ. બસના છાપરે મોટી સંખ્યામાં જોડાયેલા લોકોનું દૃશ્ય પ્રોડક્ટ ફિચરને રમૂજમાં ફેરવી નાખતું. કેડબરીની “કુછ ખાસ હૈ” કેમ્પેઈનએ જિંદગીને ઉજવવાની વાત હતી. ક્રિકેટના મેદાનમાં દોડતી એ છોકરી, એના ચહેરા પરનો આનંદ, આ જાહેરાત ચોકલેટ નહોતી વેચતી પણ નાની જીતને ઉજવવાની અને ખુશી માટે નિયમો તોડવાની લાગણી પણ વેચતી હતી. એશિયન પેઇન્ટ્સની “હર ઘર કુછ કેહતા હૈ” જાહેરાતને પગલે આપણે આપણી દીવાલનો વાર્તા કહેતા પાત્રો તરીકે જોતા શીખ્યા. હચની જાહેરાતમાં પગ નસલનો શ્વાન જે એ છોકરાની પાછળ દરેક જગ્યાએ જાય છે, અદૃશ્ય મોબાઈલ નેટવર્કને સાથીદારી જેવું, વિશ્વાસુ નિષ્ઠા જેવું લાગણીશીલ બનાવી નાખે છે. તે એટલું આઈકોનિક બન્યું કે સમગ્ર પેઢીએ મોબાઈલ કનેક્ટિવિટીને એ નાના શ્વાન સાથે જોડી દીધી. આ માત્ર જાહેરાતો નહોતી. આ સાંસ્કૃતિક કલાકૃતિઓ હતી જે માત્ર બ્રાન્ડની નહીં પણ પ્રેક્ષકોની પણ હતી.

પીયૂષ પાંડે “મેડ મેન”ના આર્કીટાઈપથી અલગ હતા. જ્યારે તેમણે વૈશ્વિક પ્રભાવ, તેમની પર્સનાલિટી પણ ભારતીય જ રહ્યા—મૂછો વાળા, હંમેશાં સ્મિત કરતા, સુલભ અને વિનોદી એવા કે તેની અસર તરત બીજાઓ પર પડે. તેઓ વસ્તુઓને સરળ રાખવામાં માનતા, હંમેશાં તેમની ટીમને “ફ્રન્ટ ફૂટ પર રમો” એમ કહેતા અને દરેક જીત ઉજવતા શીખવતા. 

પીયૂષ પાંડે અને લેખિકા, ચિરંતના ભટ્ટ

2011માં, જ્યારે તેઓ “નૉલેજ સિરીઝ”ના ભાગ રૂપે વક્તૃત્વ આપવા અમદાવાદ ‘દિવ્ય ભાસ્કર’માં આવ્યા હતા, ત્યારે હું તેમને મળી. મારી પાસે તે દિવસે બે જવાબદારીઓ હતી—તેમનો ઇન્ટરવ્યૂ લેવાનો, અને તેમના સાંજના વક્તૃત્વને કવર કરવાનો. ઇન્ટરવ્યૂ સરસ રીતે થયો. તે ઉષ્માભર્યા અને અહમશૂન્ય હતા. તે સાંજે, જ્યારે તેઓ સ્ટેજ પર ગયા, મને વાર્તાઓની અપેક્ષા હતી. પ્રસિદ્ધ કેમ્પેઈન પાછળની મેકિંગ વાર્તાઓ. તેમણે 14 મિનિટ વાત કરી. પછી વાત કરવાનું બંધ કર્યું અને પોતાના કામને બોલવા દીધું. એક પછી એક, તેમની જાહેરાતો સ્ક્રીન પર ચાલી—દાયકાઓનું કામ જેણે ભારત પોતાની જાતને કેવી રીતે જોતું હતું તેને આકાર આપ્યો હતો.

હું ક્યારે ય નહીં ભૂલું: હેન્ડલબાર મૂછો વાળો આ માણસ પોતાની જ રચનાઓ જોતા બેઠેલો, તે હસ્યા તો ખરા જ, પણ રડી પણ પડ્યા. તે પોતાના કામને પણ પહેલીવાર જોતા હોય એવા આશ્ચર્યથી આખા ઑડિયન્સ સાથે જોડાયા. જો કે મને બીજી ચિંતા હતી કે તેમની સ્પીચ ટૂંકી હતી તો હું અડધું પાનું કેવી રીતે ભરીશ? પરંતુ જ્યારે હું લખવા બેઠી, શબ્દો પોતાની મેળે લખાયા, એવા માણસથી પ્રેરિત જેણે આખા દેશને શીખવ્યું કે ભાવના તર્ક કરતાં વધુ સારી રીતે વેચાય છે.

પીયૂષ પાંડેની કેમ્પેઈન અવિસ્મરણીય હતી કારણ કે તે પોતાના પ્રેક્ષકોની અવગણના ન કરતા. તે ભાવનાઓની સસ્તી ચાલાકી કરવામાં નહીં પણ અવલોકન, આંતરદૃષ્ટિ, અને પ્રામાણિકતામાં માનતા હતા.

તે ક્લાયન્ટ બ્રીફને ઊંડાણથી સમજતા, બજારોમાં ફરતા, શેરી બજારના લયને સાંભળતા, અને સમાજના ભાવનાત્મક અંડરકરન્ટને પકડતા. તેમના કામે ભારતીય ઘરોમાં પડઘો પાડ્યો. તેઓ માનતા હતા કે જો કોઈ કેમ્પેઈન કાળજી અને માનવતાની ભાવનાથી આકારવામાં ન આવે તો તે નહીં ટકે. તેમની પ્રતિભા વિશિષ્ટમાં સાર્વત્રિક, સાધારણમાં ઊંડું શોધવામાં હતી.

પીયૂષ પાંડે યુગ પહેલાં, ભારતીય જાહેરાત પોતે જે નહોતી તે બનવાના પ્રયત્નમાં હતી. તેમના થકી તે આખરે જે છે તે બની. તેમણે માત્ર હિન્દી કે પ્રાદેશિક ભાષાઓમાં જાહેરાતો બનાવી એમ નહોતું, ઘણા લોકો એ જ કરતા હતા. તેમણે એવી જાહેરાત બનાવી જે સાંસ્કૃતિક રીતે ભારતીય હતી. આપણા દેશની માટીની મહેક, ભાવનાત્મકતા, અરાજકતા અને ઉષ્માને વણી લેતી જાહેરાતો એટલે પીયૂષ પાંડેનું કામ. સપાટી પર પશ્ચિમી લાગતા વ્યવસાયમાં ગર્વપૂર્વક દેશીપણું ભળ્યું. પશ્ચિમી એસ્થેટિક્સને બદલે આપણી બોલચાલની ભાષા, માટીની મહેકતી રમૂજ, અને ભારતની ગલીઓ અને તમારા-મારા જેવા દેખાતા ચહેરાઓને તેમણે ઓળખ આપી. તેમણે સાબિત કર્યું કે ભારતીય વાર્તાઓ ભારતની પોતાની ભાષાઓ, રંગો અને રૂઢિપ્રયોગો કહી ઉત્પાદનો વેચી શકાય, બ્રાન્ડ બનાવી શકાય, અને એવાં ભાવનાત્મક જોડાણો બને જે દાયકાઓ સુધી ટકે.

પીયૂષ પાંડેએ માત્ર જાહેરાતો જ ન બદલી; તેમણે ભારતમાં જાહેરાતનો અર્થ બદલ્યો. બ્રાન્ડ્સને ઘરોમાં સ્લોટ કરવાથી લઈને ઉત્પાદનોને પ્રેમ, વિશ્વાસ અને નોસ્ટાલ્જિયાના પ્રતીકો બનાવવા સુધી, તેમણે કંપનીઓ અને સમુદાયો વચ્ચે પુલ બાંધ્યા. આજની ભારતીય જાહેરાત તેમણે શરૂ કરેલી સર્જનાત્મક ક્રાંતિ સાથે જોડાયેલી છે.

તેમણે અસંખ્ય કોપીરાઈટર્સ, વ્યૂહરચનાકારો અને માર્કેટર્સને માર્ગદર્શન આપ્યું, બધી પૃષ્ઠભૂમિઓના સર્જનાત્મક પ્રોફેશનલ્સ માટે દરવાજા ખોલ્યા. કોઈ ફોર્મ્યુલા સાથે નહીં, પણ એ બોધપાઠ સાથે કે “સર્જનાત્મકતા એટલે જીવવું, શ્વાસ લેવો અને તમારી આસપાસની દુનિયાને પ્રેમ કરવો છે.”

જ્યારે પીયૂષ પાંડે અવસાન પામ્યા, ત્યારે દેશે માત્ર જાહેરાત ઉદ્યોગના જ નહીં, પણ ભારતીય ઓળખાણને થયેલા નુકસાનનો શોક પાળ્યો. એ આપણાને મળેલા બેસ્ટ કેપ્શન્સના કેપ્ટન રહ્યા છે. ઓગિલ્વી ઇન્ડિયાએ તેમની વિદાયના ફૂલ પેજ ટ્રિબ્યુટને “અમારા જીવનની સૌથી મુશ્કેલ જાહેરાત” ગણાવી. પીયૂષ પાંડેનો વારસો ટ્રોફીઓ કે હેડલાઈન્સમાં નહીં, પણ તેમની સાથે હસેલા, રડેલા અને સપનાં જોયેલાં ભારતમાં લખાયેલો છે.  

બાય ધી વેઃ 

આપણે તાજેતરમાં જ એવા જણ ગુમાવ્યા, જે આગવી રીતે ખાસ હતા: પીયૂષ પાંડે, સતીશ શાહ અને અસરાની. ત્રણ એવી પ્રતિભાઓ હતી જેમણે મધ્યમવર્ગીય ભારત માટે અરીસો પકડી રાખ્યો. એક આખી પેઢી આ ચહેરાઓનાં કામની સાથે ઉછરી છે. સતીશ શાહ એક પેઢી માટે ડિ’ મેલો હતા તો એક પેઢી માટે ઇન્દ્રવદન સારાભાઈ, અસરાની તો અંગ્રેજો કે ઝમાને કે જેલર થે. લોક ચાહના માટે સ્ટાર હોવું જરૂરી નથી. આ ત્રણેય ખોટ અંગત લાગી એમ કહેવામાં કોઈ અતિશયોક્તિ નથી. કેપ્શન્સ પતી ગયા છે પણ કેપ્ટને આપણને ભાષા શીખવી છે. આ સાથે સતીશ શાહ અને અસરાનીને પણ સલામ અને વંદન. 

પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 02  નવેમ્બર 2025

Loading

આ તાકાત ચીને રાતોરાત નથી મેળવી

રમેશ ઓઝા|Opinion - Opinion|2 November 2025

રમેશ ઓઝા

ગયા સપ્તાહના મારા લેખમાં મેં લખ્યું હતું કે ખુમારી દરેક પ્રજાને ગમે છે, પણ તે રળવી પડે છે, ગર્જનાઓ કરવાથી અને બીજાને ગાળો દેવાથી નથી આવતી. એ રળવાનો એક માત્ર માર્ગ છે પુરુષાર્થ. પુરુષાર્થીમાં આ ચાર ગુણ જોવા મળશે; ધીરજ, મહેનત, ધ્યેયલક્ષી લાંબા ગાળાનું આયોજન અને સહિષ્ણુતાપૂર્વકની અસહિષ્ણુતા. જેમ કે ભ્રષ્ટાચાર કે અમલદારશાહી માટે અણગમો હોય (અને અસહિષ્ણુતાના સ્તરે હોવો જ જોઈએ), પણ એ મેં મેં ભી અણ્ણાની ટોપી પહેરીને રામલીલા મેદાનમાં ઉતરી પડવાથી ન આવે, તેને માટે ધીરે ધીરે વ્યવસ્થામાં સુધારા કરવા જોઈએ. ધીરોદત્ત માણસોની અસહિષ્ણુતા સહિષ્ણુતાપૂર્વકની હોય છે. એ પછી જે સ્થાન મળે છે એ અનોખું હોય છે, એ ખુમારી અનોખી હોય છે અને તે વિલક્ષણ સ્વરૂપે ચહેરા પર પ્રગટતી હોય છે. 

આનું મૂર્તિમંત ઉદાહરણ ચાર દિવસ પહેલાં દક્ષિણ કોરિયામાં જોવા મળ્યું. મારી વાચકોને સલાહ છે કે અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને ચીની નેતા શી ઝિંગપીંગ વચ્ચે ટ્રેડ વોરના મામલે જે વાટાઘાટ થઈ અને સમજૂતી થઈ તેની વીડિયો કલીપ અવશ્ય જુવે. ફાચરમાંથી પૂંછડી નીકળી હોય અને વાંદરાને જે રાહતનો અનુભવ થાય એવી રાહત અને રાજીપો ટ્રમ્પના ચહેરા પર જોવા મળે છે અને સામે શી ઝિંગપીંગના ચહેરાના ભાવ જુઓ. કોઈ ઉત્સાહનો અતિરેક નહીં. ઠીક છે, નાદાન છે, પણ કામનો છે. તિરસ્કારયુક્ત આદર! અમે કોઈની લાત પણ સહન નહીં કરીએ અને અમે કોઈને અપમાનિત પણ નહીં કરીએ. અમે કોઈને જલીલ પણ નહીં કરીએ અને અમે કોઈની જીહજૂરી પણ નહીં કરીએ. 

આ તાકાત ચીને રાતોરાત નથી મેળવી. એની શરૂઆત ૧૯૭૯ પછીથી થઈ હતી જ્યારે ચીનનું સુકાન દેંગ ઝિયાઓપીંગના હાથમાં આવ્યું. એ માણસ સામ્યવાદી હતો અને માઓ ઝેદોંગનો ચુસ્ત અનુયાયી હતો. ૧૯૮૦ સુધીમાં તેને સમજાઈ ગયું હતું કે સામ્યવાદી વિચારધારા અને વહીવટ ઝડપી આર્થિક વિકાસ માટે અનુકૂળ નથી. ખુલ્લું અર્થતંત્ર ધરાવનારા દેશો આમાં સરસાઈ ધરાવે છે. બીજી બાજુ લોકશાહી ધરાવનારા દેશો લોકશાહીને કારણે ઝડપી નિર્ણયો લઈ શકતા નથી કે કૃતનિશ્ચયી પગલાં લઈ શકતા નથી. તેમણે વિરોધના કારણે કે ચૂંટણી જીતવા પ્રજાને રાજી રાખવા પીછેહઠ પણ કરવી પડે છે. તેમણે ચીનમાં એવો ઢાંચો વિકસાવ્યો જેમાં આર્થિક બાબતે ખુલ્લાપણું અને રાજકીય બાબતે બંધિયારપણું હતું અને આજે પણ છે. ત્યારે આ લખનારને અને બીજા અનેક લોકોને એમ લાગતું હતું કે આ મૂળભૂત વિરોધાભાસ લાંબો સમય નહીં ચાલે. એક દિવસ ચીન એના વિરોધાભાસનો ભોગ બની જશે. પણ એવું બન્યું નહીં. ચીને ધીરે ધીરે દરેક મોરચે પાંખ વિસ્તારવાનું શરૂ કર્યું જેને કારણે સામ્યવાદી નેતૃત્વ સામે આંતરિક વિદ્રોહ મુશ્કેલ થઈ ગયો. જ્યાં સુધી સફળતા મળતી હોય અને શાસકો વિશ્વમાં દેશની જગ્યા અને પ્રભાવ વિસ્તારી આપતા હોય ત્યાં સુધી વિરોધ મેનેજ કરી શકાય છે અને ચીનમાં ઉત્તરોત્તર સામ્યવાદી શાસકોએ એ માર્ગ અપનાવ્યો હતો.

પણ એ બન્યું કેવી રીતે? ઉપર કહ્યા એ ચાર ગુણો દ્વારા. ધીરજ, મહેનત, ધ્યેયલક્ષી લાંબા ગાળાનું આયોજન અને સહિષ્ણુતાપૂર્વકની અસહિષ્ણુતા. એક જ ઉદાહરણ આપું. છેક ૧૯૮૦માં દેંગ ઝિયાઓપીંગે કહ્યું હતું કે રેર મિનરલ્સની બાબતમાં ચીન એ સ્થાન મેળવશે જે આરબ દેશો ખનીજ તેલની બાબતમાં ધરાવે છે. એટલે કે ઈજારાશાહી. રેર મિનરલ્સ જમીનમાંથી કાઢવા એ તેલ કાઢવા કરતાં પણ અઘરું કામ છે. આજે ઉપયોગમાં લઈ શકાય એવા રેર મિનરલ્સની બાબતમાં ચીન ૯૦ ટકા કરતાં પણ વધુ માર્કેટ શેર ધરાવે છે અને એવી ઈજારાશાહી આરબ દેશો પણ બળતણની બાતમાં નથી ધરાવતા. દક્ષિણ કોરિયામાં ચીન સાથે સમજૂતી કર્યા પછી ટ્રમ્પબાબાના ચહેરા પર જે રાજીપો અને રાહત નજરે પડી રહી છે એ આ રેર મિનરલ્સ અને બીજાં એવાં કારણોને કારણે. ચીને રેર મિનરલ્સની નિકાસ ઘટાડીને લગભગ બંધ કરી દીધી હતી. છેક ૧૯૮૦માં દેંગ ઝિયાઓપીંગને સમજાઈ ગયું હતું કે ભવિષ્યમાં ટેકનોલોજીના વિકાસ માટે અને તેના પર આધારિત અર્થતંત્ર માટે રેર મિનરલ્સ અનિવાર્ય બનવાનાં છે.  

ટ્રમ્પબાબાએ ઝૂકવું પડ્યું એનું બીજું કારણ છે ચીન અમેરિકા વચ્ચેના આયાત-નિકાસના ધંધામાં ચીનની સરસાઈ. ચીને ગયા નાણાંકીય વર્ષમાં ૪૦૧.૪ અબજ ડોલરની કિંમતની ચીજવસ્તુઓની અમેરિકામાં નિકાસ કરી હતી અને સામે અમેરિકા પાસેથી ૧૩૧ અબજ ડોલરની ચીજવસ્તુઓની આયાત કરી હતી. આયાત-નિકાસ વચ્ચે ખાધ હતી ૨૭૦.૪ બાજ ડોલરની. ચીને આ સરસાઈ રાતોરાત નથી મેળવી. ૧૯૮૦માં દેંગ શિયાઓપીંગ શાસક તરીકે આવ્યા ત્યારે ચીન અમેરિકા સામે આયાત-નિકાસમાં માત્ર ૬.૨ અબજ ડોલરની સરસાઈ ધરાવતું હતું. ૧૯૯૦માં એ વધીને ૫૬.૯ અબજ ડોલર થઈ, ૨૦૧૦માં તો પ્રચંડ માત્રામાં વધીને ૩૪૭.૦૨ ડોલર થઈ અને અત્યારે ૨૭૦ અબજ ડોલર. આ રાતોરાત નથી બન્યું. ઘણીવાર એવું બનતું હોય છે કે નિકાસ દ્વારા કોઈ દેશ આયાત કરનાર દેશના અર્થતંત્ર માટે અનિવાર્ય બની જાય. ચીન સામે ભારત પણ આવી જ મજબૂરી ધરાવે છે. ભારત ચીનથી ૧૦૧.૭૫ અબજ ડોલરની ચીજવસ્તુઓની આયાત કરે છે અને સામે માત્ર ૧૬.૬૬ અબજ ડોલરની ચીજવસ્તુઓની નિકાસ કરે છે. એટલે તો ૨૦૨૦ની ગાલ્વાનની ઘટના પછી બોયકોટ ચીનનો નશો ચડે એ પહેલાં જ ઉતરી ગયો હતો. ભારત ચીનનો ચ બોલી શકતું નથી. ચીનથી કરવામાં આવતી આયાત ભારતના અર્થતંત્ર માટે અનિવાર્ય બની ગઈ છે. ક્યાં ૧૦૧ અબજ અને ક્યાં ૧૬ અબજ! અમેરિકા સાથેના ધંધામાં ક્યાં ૪૦૧ અબજ (ચીનની નિકાસ) અને ક્યાં ૧૩૧ અબજ (અમેરિકાની નિકાસ)! ચીનની એકલા અમેરિકામાં નિકાસ ૪૦૧ અબજ ડોલરની છે અને ભારતની આખા વિશ્વમાં કુલ નિકાસ ૪૩૭.૧૧ અબજ ડોલર. ચીન ૧૨૦ દેશો સાથે ધંધો કરે છે જેમાંથી ૧૦૦ જેટલા દેશોમાં તેની નિકાસ આયાત કરતાં વધુ છે. ચીન સ્વયં એક વર્લ્ડ મેન્યુફેક્ચરિંગ ફેક્ટરી છે. 

ટ્રમ્પબાબાએ પોતાની પૂંછડી ફાચરમાં ફસાવી ત્યારે તેમને આ બધી ચીજની જાણ નહોતી? કદાચ હોય તો પણ તેમને કશો ફરક નહોતો પડતો કારણ કે આવા નેતાઓ હેડલાઈન્સમાં જીવતા હોય છે. અરુણ શૌરી કહે છે એમ રોજેરોજ કમાનાર અને ખાનારની જેમ રોજેરોજ હેડલાઈન મેનેજ કરતા હોય છે. સુરખીઓ મેં રેહના હૈ. કાંઈ પણ બોલો, કાંઈ પણ ફેંકો અને કાંઈ પણ કરો, ઘેલાઓને રાજી કરો અને વાહવાહી મેળવો. તમારું અર્થતંત્ર ૪૦૦ અબજ ડોલરની આયાત દ્વારા ચીન પર નિર્ભર હોય અને રેર મિનરલ્સ માટે લગભગ ૯૦ ટકા નિર્ભર હોય ત્યારે કયા મોઢે સાહસ કરો? ૪૦૦ અબજ રૂપિયાની ચીજો અમેરિકામાં ઉત્પાદિત કરવી હોય અને આત્મનિર્ભર બનવું હોય તો ઓછામાં ઓછો એક દાયકો લાગે. ચીનની અનિવાર્યતા ઘટાડવી હોય તો એ બિલકુલ શક્ય છે, પણ એને માટે ચીન જેવી જ લાંબાગાળાની યોજના બનાવવી જોઈએ, ધીરજપૂર્વક પુરુષાર્થ કરવો જોઈએ. જે માર્ગે ચીન અનિવાર્ય બન્યું એ માર્ગે જ ચીનની અનિવાર્યતાનો અંત લાવી શકાય. અહીં ઘણા લોકોના મનમાં સવાલ થતો હશે કે શું ટ્રમ્પ ચીન જેવી સમજૂતી ભારત સાથે કરશે? શક્યતા પૂરી છે, પણ યાદ રહે, અમેરિકાના વિશ્વવ્યાપારમાં ભારતનું સ્થાન ૧૧માં ક્રમે છે. અમેરિકા સાથેના ધંધામાં ચીનની ૨૭૦ અબજ ડોલરની સરસાઈ સામે ભારત માત્ર ૪૧ અબજની સરસાઈ ધરાવે છે. 

પણ આ કરે કોણ? અતીતમાં રાચનારાઓ, ઇતિહાસના હિસાબકિતાબ કરનારાઓ, પ્રજાને આપસમાં લડાવનારાઓ, વર્તમાનમાં હું કેવો લાગું છું એની ચિંતા કરનારાઓ અને રોજેરોજ ચીવીસ કલાક વાહવાહીની ચિંતા કરનારાઓ આ ન કરી શકે. ટ્રમ્પબાબાઓની જમાત જ્યાં ત્યાં ફસાય છે એનું આ કારણ છે. તેઓ પોતાને માટે હેડલાઈન મેનેજ કરે છે, દેશ નહીં અને એમ કરવામાં ઓપરેશન સિંદુર જેવા, ઈરાન જેવા, રશિયા જેવા ફિયાસ્કા થાય છે. 

આનો અર્થ એ નથી કે ચીન કોઈ મહાન દેશ છે. રેર મિનરલ્સ જમીનમાંથી કાઢવામાં અને તેને શુદ્ધ કરવામાં ચીને સરસાઈ મેળવી છે એનું કારણ છે મજૂરો સાથે કરવામાં આવતો અત્યાચાર. કમકમાં આવે એ રીતે ભયંકર માત્રામાં શારીરિક અને માનસિક પ્રતારણા કરવામાં આવે છે. પ્રજાને અધિકારો આપવામાં આવ્યા નથી અને માનવીય ગરિમાનો આદર કરવામાં આવતો નથી. ચીન સભ્ય સમાજનું મોડલ ન હોઈ શકે. આ દૃષ્ટિએ વિશ્વસમાજ ભારત તરફ જોતો હતો. વિશાળ માર્કેટ, ઝાઝા હાથ, સૌહાર્દપૂર્ણ સહઅસ્તિત્વ, સમૃદ્ધ સાંસ્કૃતિક પરંપરા, નાગરિક અધિકાર અને માનવીય ગૌરવ, કાયદાનું રાજ, લોકતંત્ર અને તેની સાથે વિકાસ. દુનિયા ઇચ્છતી હતી અને માનતી હતી કે ભારત મોડેલ બને. પણ ભારતના આજના શાસકોને ચીનની ચિંતા નથી, ઔરંગઝેબની છે. ભવિષ્યની ચિંતા નથી, ઇતિહાસની છે. જે તે શહેર જે તે ધંધાનું હબ બને તેમાં રસ નથી, તેનાં નામ બદલવામાં રસ છે. 

ભારત એક તક ગુમાવી દીધેલો કમનસીબ દેશ છે. 

પ્રગટ : ‘નો નૉનસેન્સ’, નામક લેખકની કટાર, ‘રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 02 નવેમ્બર 2025

Loading

Scrapyard – The Theatreની દસમી વર્ષગાંઠની ઉજવણી

સંજય સ્વાતિ ભાવે|Opinion - Opinion|1 November 2025

અમદાવાદમાં આવેલી અજોડ નાટ્યભૂમિ Scrapyard – The Theatreની દસમી વર્ષગાંઠની ઉજવણી શુક્રવારે રાત્રે ગીતો અને વાતો, સંભારણાં અને સજાવટ, હરખ અને હેતથી હર્યાભર્યા માહોલમાં થઈ. 

સ્ક્રૅપયાર્ડની મંડળીએ નાટકની દુનિયાને લગતાં, સાદા શબ્દોવાળા, અર્થપૂર્ણ અને ઊડતી હલકમાં ગાયેલાં ગીતોએ જમાવટ કરી (‘નાટક આવ્યું નાટક, હસતું નાટક રમતું નાટક…’, ‘નાટક થશે કે નહીં…’, ‘શેક્સપિઅર, ઓ ડિઅર શેક્સપિઅર…’). ગીતોના રચયિતા અને  સ્વરકાર મહેમદાવાદના ગાયક-સંગીતકાર મયંક ઓઝા હાર્મોનિયમની સંગત પર હતા અને ઢોલક પર હતા જાણીતા કલાકાર નિસર્ગ ત્રિવેદી. 

સ્ક્રૅપયાર્ડમાં ખૂબ મહેનતથી આગળ આવેલા કલાકાર એઝાઝ અને તેના સાથીઓએ સૂઝ -સંયમથી બનાવેલી વીસ મિનિટની ડૉક્યુમેન્ટરીમાં ઘણાં પાસાંની ઝલક હતી. ભાવનગરનાં વરિષ્ઠ વકીલ પ્રતિભા ઠક્કર અને તેમનાં દીકરી આર.જે. મેઘાએ બનાવેલા મજાના વીડિયોઝ પણ જોવા મળ્યા. 

ઉજવણીના ભાગ રૂપે એક પ્રદર્શની હતી, જેમાં સ્ક્રૅપયાર્ડમાં ભજવાયેલાં અનેક નાટકો ઉપરાંત તેના નેજા હેઠળ અહીં યોજાયેલાં કાર્યશિબિરો અને કાર્યક્રમોના સુઘડ પોસ્ટર્સ હતાં. 

કબીરના એક દોસ્તે આણેલી મોટ્ટી કેક, બીજાએ લાવેલા પેંડા, ઉપરાંત નાટકવાળાના વડા-પાવ અને ચા-કૉફીના અનલિમિટેડ અલ્પાહારની સાથે લાંબો સમય હળવા-મળવાનું ફોટા પડાવવાનું ચાલ્યું. ઉપસ્થિતોમાં મુખત્વે સ્ક્રૅપયાર્ડના યુવા કલાકારો અને સહાયકો હતા, જ્યારે વડીલ રંગકર્મીઓ અને હિતચિંતકોની ગેરહાજરી વરતાતી હતી. 

પ્રદર્શની, બંને સ્ક્રિનિન્ગ્સ અને વ્યક્તિગત અનુભવ થકી સ્ક્રૅપયાર્ડની અનેક ખાસિયતો ઉપસે છે. તેમાંથી કેટલીક આ મુજબ છે :

∙ સામાજિક નિસબત ધરાવતાં નાટકોનું કંઠી પહેર્યાં વિના નિર્માણ. 

∙ જુદા-જુદા સામાજિક-આર્થિક વર્ગોમાંથી આવતાં યુવક-યુવતીઓનું તખ્તાના અનેક હુન્નરમાં સમાનતાના ભાવ સાથે ઘડતર. 

∙ અનેક પ્રકારના નાટકો અને વિવિધ કલાઓને લગતા કાર્યક્રમો માટે ઉદાર દિલે જગ્યા પૂરી પાડવાની તૈયારી જ નહીં, બલકે આતુરતાપૂર્વની પહેલ.

∙ બાળકો માટે નાટકો, થિએટર, કઠપૂતલી, માટીકામ જેવી વર્કશૉપ.

∙ લોકસંગીત, સિનેમા, કાર્ટૂનિંગ જેવા વિષયો પરના રસપ્રદ કાર્યક્રમો અને દુનિયાભરની ફિલ્મોનાં સ્ક્રિનિન્ગ્સ.

∙ કાવ્ય અને ગદ્યપઠન તેમ જ કથાકથનના કાર્યક્રમો.

∙ યુવા કલાકારો દ્વારા ભેદભાવ વિનાનું જાતમહેનત સાથેનું ટીમવર્ક.

∙ અત્યારના કપરા રાજકીય-સામાજિક માહોલમાં કલાકેન્દ્ર તરીકેની નિડર, પ્રગતિશીલ,  લોકશાહી ભૂમિકા.

∙ સ્ક્રૅપ એટલે કે શબ્દશ: ભંગારમાંથી સર્જયેલી, ધરતી પરથી આભને અડતા લીમડા સાથે ખુલ્લા આકાશ તળે સદા આહ્લાદક એવી નાટ્યભૂમિ. 

∙ આ જગ્યા થકી પૈસો-પદ-પ્રસિદ્ધિ – પ્રતિષ્ઠા મેળવવાની કોઈ જ વૃત્તિ નહીં.

∙ નેહા-કબીરનું સદાય નિર્મળ સૌહાર્દ. 

અવસરે વાત કરતાં, કર્મશીલ ધારાશાસ્ત્રી અને સ્ક્રૅપયાર્ડના મજબૂત ટેકેદાર આનંદ યાજ્ઞિકે નર્મવિનોદ સાથે આ વાસ્તુની મહત્તા ઉપસાવી. સ્ક્રૅપયાર્ડ એ અમદાવાદની ઊંચે જોઈને ચાલનારી ઉન્ન્તભ્રૂ કલાસંસ્થાઓ કરતાં અલગ પડીને સહુનું થિએટર કેવી રીતે છે તે આનંદે કહ્યું. તદુપરાંત તેમણે અમદાવાદના સાંસ્કૃતિક ઇતિહાસમાં આ મંચના પ્રદાનનું પણ ગૌરવ કર્યું. 

સ્ક્રૅપયાર્ડનો પરિસર રિઅલ એસ્ટેટની રીતે કરોડોમાં ગણાય. આવી જગ્યા ઠાકોર પરિવારે શહેરની સાંસ્કૃતિક સંવેદના માટે આપી છે. ઠાકોર પરિવારમાં દિવંગત રંગકર્મી અરુણ ઠાકોર, તેમનાં પત્ની એવાં નેવુંની ઉંમરે પહોંચેલાં કાર્યક્રમમાં કડેધડે હાજરાહજૂર નૃત્યગુરુ ઈલાક્ષીબહેન ઠાકોર તેમ જ તેમનાં સંતાનો તાપસ-કબીર-ચંદનનો સમાવેશ થાય છે. 

અતિશયોક્તિદોષ વહોરીને પણ કહેવાઈ જાય કે કબીર પોતાની રીતે નાટકનો કબીરવડ છે અને તેની હસ્તી નાટ્યનદી નર્મદા સમી નેહાને કારણે છે. નેહા-કબીર બંને અભિન્ન છે. આ કબીરવડની વડવાઈઓનો ફેલાવો સ્ક્રૅપયાર્ડમાં ઘડાયેલાં નાટકઘેલાં યુવક-યુવતીઓ તેમ જ નાટક ઉપરાંત અનેક કલાઓની અભિવ્યક્તિ  માટે અહીં મળતા મુક્ત અવકાશમાં જોઈ શકાય છે. 

Long live Scrapyard, long live theatre !

ફોટોગ્રાફ્સ : નેહા-કબીર, કોલાજ સૌજન્ય : પરીક્ષિત 
01 નવેમ્બર 2025
e.mail : sanjaysbhave@yahoo.com
સૌજન્ય : સંજયભાઈ ભાવેની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

...102030...202203204205...210220230...

Search by

Opinion

  • એક યુવક જન્તર મન્તર છોડતી વખતે પોલીસને કહેતો જાય કે, “ફિર આયેંગે ઔર તબ બંદૂક લેકર આના.”
  •  પ્રાથમિક શિક્ષણથી યુનિવર્સિટી શિક્ષણ સુધી ભ્રષ્ટાચાર એ જ શિષ્ટાચાર …
  • ૨૧મી સદીમાં ઘર પુન: બાંધવું
  • Gen Zનો રોષ: કઠેડામાં આજની કે અગાઉની પેઢી નહીં, વ્યવસ્થા છે
  • ચલ મન મુંબઈ નગરી—353

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 
  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …

Poetry

  • નિષ્ક્રમણ
  • ગઝલ
  • માર્યા જશે
  • ચાર સાંપ્રત હિન્દી કાવ્યો
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • State-Sponsored Communal Profiling : The Gujarat Government Must Be Held Accountable
  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved