અસલ મુંબઈ જોવું હોય તો ફોર્ટની બહાર પગ મૂકવો પડે
પગ ખરડાશે એની પરવા કર્યા વગર
અને આજે હવે જઈએ ૧૯મી સદીના મુંબઈની સ્કૂલો અને એક માત્ર કોલેજ જોવા, મિસિસ પોસ્ટાન્સની આંગળી પકડીને.
ધોબી તળાવ પર આવેલી એલ્ફિન્સ્ટન સ્કૂલ
‘જેટલું આપણું ભણતર સારું, એટલું આપણું જીવતર સારું.’ – આ વાત જેટલી આપણા દેશને (બ્રિટનને) માટે સાચી છે એટલી જ હિન્દુસ્તાન માટે પણ સાચી છે. નેટિવ એજ્યુકેશન સોસાયટીની સ્કૂલો અને એલ્ફિન્સ્ટન કોલેજ આજે મુંબઈ અને પશ્ચિમ હિન્દુસ્તાન માટે જ્ઞાનના પર્વતોમાંથી વહેતી નદીઓ જેવી છે. નદી જેમ આસપાસની ધરતીને, એ ધરતી પર વસતા લોકોના જીવનને રળિયામણું બનાવે છે તેમ પશ્ચિમી જ્ઞાનની નદીઓ સમી આ શિક્ષણ સંસ્થાઓ પશ્ચિમ હિન્દુસ્તાનના લોકોના જીવનને વધુ સમૃદ્ધ બનાવશે. હા, હજી આ બંને સંસ્થાઓ પા-પા પગલી માંડી રહી છે. તેમાં ય એલ્ફિન્સ્ટન કોલજ તો કેટલાક આંતરિક વિસંવાદને કારણે તેનો મૂળ ઉદ્દેશ પાર પાડવામાં બહુ સફળ થઈ શકી નથી. અને આ વિસંવાદનું ખરું કારણ છે વ્યક્તિઓ વચ્ચેની હૂંસાતૂંસી. એલ્ફિન્સ્ટન કોલેજમાં બે ઉત્તમ વ્યક્તિઓની પ્રોફસર તરીકે નિમણૂક થઈ. અને આદર્શ શિક્ષકના ઘણા ગુણ ધરાવનાર બે જણા સ્કૂલમાં શિક્ષક તરીકે નિમાયા. સ્કૂલની પરીક્ષામાં જેમને સફળતા મળે તે વિદ્યાર્થીઓ જ કોલેજમાં જઈ શકે એવું પણ ઠરાવાયું. પણ સ્કૂલમાં નિમાયેલા બંને શિક્ષકોને લાગ્યું કે આમ થાય તો તો પોતે કોલેજના અધ્યાપકો કરતાં ઊતરતા છે, અને એટલે તેમના તાબેદાર છે એવું બધાને લાગે. એટલે સ્કૂલ અને કોલેજ વચ્ચે સંઘર્ષ ચાલતો રહે છે. તેને ટાળવા માટે એક જુનિયર કોલેજ-સ્કૂલ શરૂ કરવામાં આવી છે. તેના પર એલ્ફિન્સ્ટન કોલેજના બંને પ્રોફેસર, ઓર્લેબાર અને હાર્કનેસ સતત નજર રાખે છે. પણ તેનો રોજ બ રોજનો વહીવટ એ બંને પ્રોફેસરોના એક ખૂબ જ હોશિયાર વિદ્યાર્થી બાળશાસ્ત્રી જામ્ભેકરને સોંપવામાં આવ્યો છે. તેઓ દેખાવમાં જરા ઠીંગણા કહેવાય. બોલચાલ ને રીતભાત એકદમ સાદી ને સરળ. પણ આવા સામાન્ય દેખાતા માણસની અંદર બ્રિટિશ પદ્ધતિના શિક્ષણથી મેળવેલા જ્ઞાનનો સાગર ઘૂઘવે છે. બાળશાસ્ત્રી મૂળ રત્નાગિરીના રહેવાસી. મુંબઈ આવીને બ્રિટિશ પદ્ધતિનું શિક્ષણ લીધું. મુંબઈની સ્કૂલમાં નિમણૂક થઈ તે પહેલાં તેઓ અકલકોટના રાજાના ખાનગી શિક્ષક તરીકે કામ કરતા હતા. (બાળશાસ્ત્રી જામ્ભેકર, જન્મ ૬ જાન્યુઆરી ૧૮૧૨. માત્ર ૩૪ વરસની વયે ૧૭ મે ૧૮૪૬ મૃત્યુ.) બાળશાસ્ત્રીના હાથ નીચે તૈયાર થયેલા વિદ્યાર્થી દાખલ થશે તે પછી કોલેજના શિક્ષણમાં દૈવત આવશે એમ ઘણા લોકો માને છે. અત્યારે કોલેજના પહેલા વરસના અભ્યાસક્રમમાં ગણિત અને ભૌતિક શાસ્ત્રને ઘણું મહત્ત્વ અપાય છે. જ્યારે બીજા વરસના અભ્યાસમાં મોરલ ફિલોસોફી અને અંગ્રેજી સાહિત્યના ભણતર પર ભાર મૂકાય છે. જો કે આ વિષયોનું શિક્ષણ હજી જોઈએ તેટલું પદ્ધતિસરનું બન્યું નથી.
સોસાયટીની બ્રાંચ સ્કૂલ
નેટિવ એજ્યુકેશન સોસાયટીની સ્કૂલ શહેરની મોટી બજાર નજીક આવેલી છે. જો કે આ સ્કૂલની સમિતિઓની બેઠકો બોમ્બે બ્રાંચ ઓફ ધ રોયલ એશિયાટિક સોસાયટીની લાઈબ્રેરીના ખંડમાં મળે છે, અને જુદા જુદા વરસની પરીક્ષાઓ પણ ત્યાં જ લેવાય છે. આ લાઈબ્રેરી ખરેખર બેનમૂન છે. તેમાં અઢળક પુસ્તકો ઉપરાંત હસ્તપ્રતો, નકશા, પૃથ્વીના ગોળા વગેરે વ્યવસ્થિત રીતે સંઘરાયાં છે. તેના બે છેડે સોસાયટીના વિકાસમાં ધરખમ ફાળો આપનાર સર જોન માલ્કમ અને માઉન્ટ સ્ટુઅર્ટ એલ્ફિન્સ્ટનનાં પૂરા કદનાં તૈલ ચિત્રો ગોઠવેલાં છે. તેમાંનું બીજું ચિત્ર સર થોમસ લોરેન્સે બનાવેલું છે અને તેમણે એલ્ફિન્સ્ટનના ચહેરાની બારીકમાં બારીક રેખા પણ ચિત્રમાં આબેહૂબ ઉતારી છે. એલ્ફિન્સ્ટન પોતે લાયબ્રેરીની એક ખુરસી પર બેઠા છે અને તેમની બુદ્ધિમત્તા અને હિન્દુસ્તાનીઓ પ્રત્યેની સાચકલી અનુકંપા આંખોમાંથી છલકાતી જણાય છે.
માઉન્ટ સ્ટુઅર્ટ એલ્ફિન્સ્ટન
સોસાયટીની આ સ્કૂલમાં લગભગ ૪૦૦ છોકરા ભણે છે. મુખ્ય સ્કૂલની શાખાઓમાં બીજા ૧,૫00 છોકરા ભણે છે. આ સ્કૂલોમાં દાખલ થવા માટેની શરત એક જ છે : કોઈ પણ એક ‘દેશી’ ભાષા વાંચતાં-લખતાં આવડતું હોવું જોઈએ. લોર્ડ કલેર અને સર એડવર્ડ વેસ્ટના નામથી કુલ ૧૮ સ્કોલરશિપ અપાય છે. તે મેળવનાર છોકરાને દર મહીને દસ રૂપિયા મળે છે. પણ આ રકમ ત્રણ વરસ સુધી જ અપાય છે. પણ ખરેખર હોંશિયાર હોય તેવા છોકરાઓને તે પછી મોનિટર બનાવવામાં આવે છે અને તેમને સારો પગાર અપાય છે.
છોકરાઓની વાર્ષિક પરીક્ષા જાહેરમાં લેવામાં આવે છે. એ વખતે કોઈ પણ હાજર રહી શકે છે અને વિદ્યાર્થીને સવાલો પૂછી શકે છે. એ પરીક્ષામાં સૌથી વધુ માર્કથી પાસ થનાર વિદ્યાર્થીઓને બે ગોલ્ડ મેડલ અને છ સિલ્વર મેડલ આપવામાં આવે છે. જો કે મોટે ભાગે ગોલ્ડ મેડલ ગણિતના વિષયમાં સારા માર્ક મેળવનારા વિદ્યાર્થીઓ લઈ જાય છે. આવી એક પરીક્ષા વખતે હાજર રહેવાનું મને આમંત્રણ મળ્યું હતું. ત્યારે છોકરાઓની જાણકારી અને તેની રજૂઆત જોઈને મને આશ્ચર્ય અને આનંદ થયાં હતાં. મને હતું કે આ છોકરાઓની જાણકારી સારી હોય તો પણ તેની રજૂઆત ભાંગી-તૂટી અંગ્રેજીમાં થશે. પણ મારા આશ્ચર્ય વચ્ચે લગભગ દરેક છોકરાએ પોતાની રજૂઆત સ્વચ્છ અને શુદ્ધ અંગ્રેજીમાં કરી હતી.
બાળશાસ્ત્રી જામ્ભેકર
અંગ્રેજો આવ્યા તે પહેલાં પણ હિન્દુસ્તાનની પોતાની શિક્ષણ વ્યવસ્થા હતી. પણ તેનો લાભ માત્ર ઉજળિયાત જાતિના છોકરાઓ જ લઈ શકતા. બ્રિટિશ પદ્ધતિનું શિક્ષણ આપતી સ્કૂલોમાં આજે પણ લગભગ આવી જ સ્થિતિ જોવા મળે છે. હિંદુ છોકરાઓમાંના મોટા ભાગના બ્રાહ્મણ જાતિના હોય છે. એક જમાનામાં જે લોકો યુરોપિયનનો પડછાયો પડે તો ય અભડાઈ જતા હતા એ જ લોકો આજે પોતાના છોકરાઓને બ્રિટિશ પદ્ધતિનું શિક્ષણ આપતી સ્કૂલોમાં ભણવા મોકલે છે. આ છોકરાઓ સ્કૂલમાં જનોઈ અને ધોતિયું પહેરીને આવે છે અને અંગ્રેજ શિક્ષક સામે હાથ જોડીને ઊભા રહે છે. તેમના બાપદાદાઓએ સપનામાં પણ જોયું નહિ હોય એવું નવું નવું જ્ઞાન તેઓ મેળવે છે. સોસાયટીની સ્કૂલના પરીક્ષા ખંડમાં તમને એ વાતની પ્રતીતિ થાય કે હિન્દુસ્તાનના જુવાન છોકરાઓ બ્રિટિશ શિક્ષણ મેળવીને નવી દિશામાં ધીમેથી પણ મક્કમ પણે પગલાં માંડી રહ્યા છે.
થોડા વખત પહેલાં માસ્ટર બેલ અને માસ્ટર હેન્ડરસનના ક્લાસની પરીક્ષા વખતે હાજર રહેવાની મને તક મળી હતી. માણસનું ચિત્ત કેટલી ઝડપથી નવી નવી જાણકારી આત્મસાત કરી શકે છે એ હું તે વખતે જોઈ શકી. પરીક્ષા આપનારાઓમાં સાતથી વીસ વરસની ઉંમરના છોકરાઓ હતા. ક્લાસમાં મુખ્યત્વે હિંદુ અને પારસી છોકરાઓ જ હતા. હા, થોડા પોર્ટુગીઝ છોકરા પણ ખરા. પણ મુસ્લિમ છોકરો એક પણ નહોતો! નવી પદ્ધતિના શિક્ષણના લાભ હજી એ સમાજના લોકોને સમજાયા નથી. હિંદુ છોકરાઓ મોટે ભાગે બ્રાહ્મણ જેવા સમાજના ઉપલા ગણાતા વર્ગના હતા. ‘અછૂત’ કે શૂદ્ર જાતિનો એક પણ છોકરો નહોતો. કંપની સરકારે આ સ્કૂલો અહીંના દરેક વર્ગના લાભ માટે ઊભી કરી છે. છતાં અત્યારે તો એનો લાભ માત્ર ઉપલા વર્ગના છોકરાઓ જ લઈ શકે છે. આ અંગે પૂછતાં બંને માસ્ટરોએ કહ્યું કે જો અમે નીચલા ગણાતા વર્ગના એક-બે છોકરાને પણ દાખલ કરીએ તો ઉપલા વર્ગના મા-બાપ તરત પોતાના છોકરાઓને સ્કૂલમાંથી ઉઠાડી લે. જો કે બંને માસ્ટરોને એવી પણ ખાતરી હતી કે આ નવા શિક્ષણને પ્રતાપે સમાજમાંથી ધીમે ધીમે ન્યાત-જાતનાં બંધનો ઢીલાં થતાં જશે અને એક દિવસ એવો પણ આવશે કે જ્યારે બ્રાહ્મણ અને બીજી જાતોના છોકરા એક જ પાટલી પર બેસીને તો નહિ, પણ એક જ ક્લાસમાં બેસીને ભણતા હશે.
મૌખિક પરીક્ષા વખતે દરેક છોકરો સૌથી પહેલો સાચો જવાબ પોતે જ આપે એ માટે આતુર હોય છે ખરો, પણ છોકરાઓ વચ્ચે ઈર્ષા કે અદેખાઈ જોવા મળતાં નથી. જેવો સવાલ પૂછાય કે તરત દરેક છોકરો તેનો જવાબ શોધવા મંડી પડે છે. અને જ્યારે સાચો જવાબ જાણવા મળે ત્યારે એના મોઢા પર આનંદ અને સંતોષ દેખાય છે – પછી ભલે સાચો જવાબ બીજા કોઈએ આપ્યો હોય. સંતોષ સાચો જવાબ મળ્યાનો હોય છે, એ કોણે આપ્યો એ આ છોકરાઓને મન બહુ મહત્ત્વનું હોતું નથી. સ્કૂલ છૂટે પછી બધા છોકરાઓ એક બીજાને ખભે હાથ મૂકી આનંદથી ઘરે જવા નીકળે છે. જે નવું જાણવા મળ્યું હોય તેની ઘરે જતાં રસ્તામાં ચર્ચા કરે છે અને અંગ્રેજીના વિષયમાં વધુ પાવરધા કઈ રીતે થવાય તેની પૂછપરછ કરતા હોય છે.
અત્યારે મુંબઈમાં મેડિકલ કોલેજ શરૂ કરવાની તૈયારી ચાલી રહી છે. બોમ્બે પ્રેસિડેન્સીમાં મેડિકલ સાયન્સને ઉત્તેજન આપવા માટે બનતા બધા પ્રયત્નો કરનાર સ્વર્ગસ્થ ગવર્નર સર રોબર્ટ ગ્રાન્ટનું નામ આ મેડિકલ કોલેજ સાથે જોડવાનું નક્કી થયું છે. (ગ્રાન્ટ મેડિકલ કોલેજની શરૂઆત ૧૮૪૫માં થઈ હતી. – દી.મ.) અત્યારે નેટિવ ડિસ્પેન્સરીમાં એનેટોમિકલ પ્રયોગો થાય છે ત્યારે એ જોવા માટે પણ ઘણા ‘દેશી’ છોકરાઓ હાજર હોય છે. સોસાયટીની સ્કૂલમાં ભણવા આવતા છોકરાઓ સમાજના ઉપલા વર્ગમાંથી આવે છે. અત્યારે તો એવી આશા રાખવી રહી કે આ ઉપલા વર્ગના છોકરાઓ પોતે મેળવેલું જ્ઞાન સમાજના બીજાઓ સુધી પણ પહોંચાડશે અને ક્યારેક તેમાં નીચલા ગણાતા વર્ગોનો પણ સમાવેશ થશે.
સોસાયટીની ‘બ્રાંચ’ સ્કૂલો પણ મહત્ત્વનો ભાગ ભજવે છે. હું જ્યારે આવી એક સ્કૂલમાં ગઈ ત્યારે મેં ત્યાં ચારથી દસ વરસની ઉંમરના લગભગ ૩૦૦ છોકરાઓને જોયા. દરેક છોકરો પોતે લાવેલા નાનાકડા પાથરણા પર પલાંઠી વાળીને બેઠો હતો. દરેકના ખોળામાં ચોપડીઓનો ઢગલો હતો. તેમાંનાં મોટા ભાગનાં પુસ્તકો મૂળ અંગ્રેજી પુસ્તકોના મરાઠી કે ગુજરાતીમાં થયેલા અનુવાદોના હતા. ઘણાખરા છોકરાઓએ માથે પાઘડી પહેરી હતી અને ધોતિયા ઉપર કમરબંધ બાંધ્યો હતો. અમે એક છોકરાને તેના પાઠ્ય પુસ્તકમાંથી વાંચી સંભળાવવા કહ્યું તો તેણે તરત જ કશા ક્ષોભ કે સંકોચ વગર વાંચી બતાવ્યું. એ સ્કૂલમાં એક છોકરો તો છેક ત્રાવણકોરથી ભણવા આવ્યો હતો. અગાઉ કર્નલ ફ્રેઝર ત્રાવણકોરમાં સ્કૂલ ચલાવતા હતા ત્યાં એ થોડું ભણેલો. પણ પછી કર્નલ ફ્રેઝરની બદલી થતાં એ સ્કૂલ લગભગ બંધ થઈ ગઈ હતી. કારણ ત્યાંના રાજાને તે ચલાવવામાં ઝાઝો રસ નહોતો. એટલે આ છોકરો આગળ ભણવા માટે ઠેઠ બોમ્બે આવ્યો હતો.
એક જમાનામાં બ્રિટનને ભણાવવાનું કામ રોમન લોકોએ કર્યું હતું. આજે હિન્દુસ્તાનના લોકોને ભણાવવાનું કામ બ્રિટિશ લોકોએ કરવાનું છે. આપણું શાસન લાંબા વખત સુધી હિન્દુસ્તાનમાં ટકાવવું હોય તો પણ અહીંના લોકોને આપણે આજના જ્ઞાન-વિજ્ઞાનથી પરિચિત કરવા જરૂરી છે. ન કરે નારાયણ, ને ક્યારેક આપણી રાજવટ અહીં ન પણ રહે, તો ય આપણે શરૂ કરેલી શિક્ષણ વ્યવસ્થા તો અહીં રહેશે જ અને તેને પરિણામે હિન્દુસ્તાનના લોકો આપણા લોકો સાથે જોડાયેલા રહેશે.
e.mail : deepakbmehta@gmail.com
xxx xxx xxx
(પ્રગટ : “ગુજરાતી મિડ-ડે”; 20 જાન્યુઆરી 2024)