પાંત્રીસ લાખ જેટલા ગુજરાતી શબ્દોને કમ્પ્યૂટર થકી વિશ્વવ્યાપી બનાવનાર ઉદ્યોગપતિના વિરાટ કાર્યની ઝલક
‘ગુજરાતી ભાષા જીવશે કે નહીં?’, ‘વિદેશમાં તો ઠીક; આપણા દેશમાં ય તેનું અસ્તિત્વ જોખમાઈ રહ્યું છે.’ આવી ચિંતા, આશંકા અને ભીતિ છેલ્લા થોડા સમયથી અનેક લોકો દ્વારા સેવાઈ રહી છે.
પણ તેરમી જાન્યુઆરી, 2006ના રોજ મુંબઇમાં, અને ત્યાર પછી નવમી જુલાઈ, 2006ના રોજ, યુનાઇટેડ કિંગ્ડમના વેમ્બલી ખાતે, બે અભૂતપૂર્વ સમારંભો યોજાઈ ગયા, જેમાં આવી તમામ આશંકાઓનો સમૂળો છેદ ઊડી ગયો. આ સમારંભમાં ગુજરાતીની સૌ પ્રથમ ડિજીટલ ડિક્શનેરી ‘ગુજરાતી લૅક્સિકોન ડૉટ કૉમ’ની વેબસાઈટનું લોકાર્પણ થયું અને આ અનોખા પ્રોજેક્ટના સ્વપ્નદ્રષ્ટા રતિલાલ ચંદરયાનું અભિવાદન પણ કરવામાં આવ્યું. રતિલાલ ચંદરયા એટલે સાચા અર્થમાં વિશ્વવ્યાપી એવા ચંદરયા પરિવારના મોભી. ચંદરયા પરિવારના ઉદ્યોગો પાંસઠેક દેશોમાં ફેલાયેલા છે અને એલ્યુિમનિયમ, સ્ટીલ, પ્લાસ્ટિક, ઇલેકટ્રોનિક્સ જેવા બહુવિધ ક્ષેત્રોમાં તેમનો વ્યાપ છે. આજે સત્યાંશી વટાવી ચૂકેલા રતિલાલ ચંદરયાની, માતૃભાષા માટે આવું અનોખું કામ પાર પાડવા સુધીની સફરની વાતો પણ; એમની જીવનસફર જેવી જ રસપ્રદ છે. પણ પોતાના વિશે નહીં જ લખવા માટેનો તેમનો આગ્રહ એટલો પ્રબળ કે અનેક વાતો તેમણે ખુલ્લા દિલે કરી હોવા છતાં; અહીં તેનો ઉલ્લેખ માત્ર કરીને, લૅક્સિકોનના સંદર્ભે જ તેમની વાત લખવાનો ઉપક્રમ રાખ્યો છે. તેમના આ આગ્રહમાં જ તેમના ઉમદા અને કર્મઠ વ્યક્તિત્વનો અંદાજ આવી શકે એમ છે. એક કામ લીધા પછી તે સંપન્ન ન થાય ત્યાં સુધી મચ્યા રહેવું એ ચંદરયા પરિવારનો મંત્ર છે.
પ્રેમચંદ પોપટ ચંદરયા જામનગર નજીક ખેતીનું કૌટુંબિક કામ સંભાળતા હતા. એ સમયે વેપાર માટે સૌરાષ્ટ્રમાંથી ઘણા લોકો વહાણવટું ખેડતા અને મુખ્યત્વે મોમ્બાસા, ઝાંઝીબાર, માજુંગા જેવા બંદરો સાથે વહેવાર રાખતા. ખોજા, મેમણ, લોહાણા જેવી જ્ઞાતિઓના ઘણા લોકો વેપાર અર્થે આ સ્થળોએ સ્થાયી પણ થયા હતા. પ્રેમચંદભાઈ પણ 1916માં ઊપડ્યા નાઇરોબી. ત્યાં જઈને તેમણે થોડો સમય નોકરી કરી અને છએક મહિનામાં જ પોતાનો છૂટક વેચાણનો વ્યવસાય શરૂ કર્યો. તેઓ નાઇરોબીમાં જ સ્થાયી થઈ ગયા. ધીમે ધીમે તેમણે પત્ની, બાળકો તથા ભાઈ ભાંડુઓને પણ બોલાવી લીધાં અને અહીં જ તેમનો પરિવાર વિસ્તર્યો. પ્રેમચંદ અને પૂંજીબહેનનાં કુલ આઠ સંતાનો – દેવચંદ, રતિલાલ, કેશવલાલ, મણિલાલ, કસ્તૂરબહેન, મંજુબહેન, સુષ્માબહેન તેમ જ રમિલાબહેન, જેમાંના રતિલાલનો જન્મ પણ નાઇરોબીમાં જ 24મી ઓક્ટોબર, 1922ના દિવસે થયો.
રતિલાલનું શાળાકીય શિક્ષણ નાઇરોબી તેમ જ મોમ્બાસાની શાળાઓમાં થયું. ત્યાંની શાળાઓમાં એક ગૌણ વિષય તરીકે ગુજરાતી ભણવા મળ્યું હોય એટલું જ ગુજરાતી તેઓ ભણી શક્યા. પણ માતૃભાષા પ્રત્યેના બેહદ લગાવનાં મૂળિયાં આ ગાળામાં નંખાયાં. આ મૂળિયાં વરસો પછી ક્યાંનાં ક્યાં ફેલાવાનાં હતાં, તેની કલ્પના ખુદ રતિલાલને ય ક્યાંથી હોય !
1940માં રતિલાલે જુનિયર કૅમ્બ્રીજની પરીક્ષા પાસ કરીને સિનિયર કૅમ્બ્રીજમાં પ્રવેશ મેળવ્યો, જે મૅટ્રિકની સમકક્ષ ગણાતું. આ અરસામાં જ બીજું વિશ્વયુદ્ધ શરૂ થઈ જતાં સૌ કુટુંબકબીલા સહિત જામનગર પાછા આવી ગયા. રતિલાલે ભારત આવ્યા પછી અભ્યાસને મૂક્યો પડતો અને ઝંપલાવ્યું વ્યવસાયમાં. પોતાની સૂઝબૂઝ વડે તેમણે ધારી સફળતા મેળવવા માંડી. ગાંધીનો પ્રભાવ તેમના પર એટલો પડેલો કે 1943માં જામનગરમાં તેમનાં લગ્ન વિજયાલક્ષ્મી સાથે લેવાનું નક્કી થયું ત્યારે તેમણે ભાવિ પત્ની માટે પણ ખાદીની જ સાડી ખરીદી હતી.
આ અરસામાં જ તેમણે ગુજરાતી ટાઇપ કરી શકાય એવું એક જૂનું રૅમિંગ્ટન ટાઇપરાઇટર ખરીદ્યું અને ટાઇપ શીખવાના પ્રયત્નો આરંભ્યા. દરમ્યાન બીજા વિશ્વયુદ્ધનો ખોફ ઊતરતાં ચંદરયા પરિવાર 1946માં નાઇરોબી પાછો ફર્યો અને પોતાનો મૂળ વ્યવસાય સંભાળી લીધો. થોડા સમયમાં તેમણે ઉદ્યોગોમાં ઝંપલાવ્યું. ચંદરયા પરિવારની ત્યાર પછીની આગેકૂચ વણથંભી હતી. આફ્રિકાના દેશોમાં, ત્યાર પછી યુરોપમાં, અમેરિકામાં, દક્ષિણપૂર્વ એશિયામાં અને એમ વિશ્વભરમાં ચંદરયા પરિવારના ઉદ્યોગો સ્થપાવા માંડ્યા. એ કથા વળી અલાયદું આલેખન માંગી લે એવી દીર્ઘ, રસપ્રદ અને રોમાંચક છે.
દુનિયાભરમાં વિસ્તરીને પણ પોતાની ઓળખ અકબંધ રાખનાર આ પરિવારના રતિલાલના દિલમાં ગુજરાતી ભાષા એ હદે વસેલી હતી કે તેઓ ગુજરાતી લખાણ શી રીતે સરળતાથી ટાઇપ કરી શકાય તે અંગે સતત કંઈ ને કંઈ વિચાર્યા કરતા. તેમના કુટુંબની બીજી પેઢીએ ધીમે ધીમે વ્યવસાય સંભાળ્યો. દરમ્યાન ઇલેક્ટ્રિક ટાઇપ રાઇટરનો જમાનો આવ્યો એટલે રતિલાલે એવા ટાઇપરાઇટરની શોધ આરંભી કે જેની મદદથી સહેલાઈપૂર્વક ગુજરાતીમાં ટાઇપ કરી શકાય. પણ પરિણામ શૂન્ય. દરમ્યાન કમ્પ્યૂટરનું આગમન થતાં ટાઇપરાઇટર કરતાં અનેકગણી સુવિધા સહેલાઈથી પ્રાપ્ય બની.
આમ છતાં, તેમાં ફોન્ટના અભાવે ગુજરાતી લેખનની સુવિધા ઉપલબ્ધ નહોતી. આથી રતિલાલે ગુજરાતી ફોન્ટ વિકસાવી આપે એવી કંપનીની શોધ આદરી. તાતા કંપનીએ દેવનાગરીના ફોન્ટ બનાવ્યા હોવાની પણ તેમને જાણ થઈ. જો કે, ક્યાંયથી નક્કર પરિણામ નીપજ્યું નહીં. કેડીઓ અનેક દેખાતી હતી, પણ તે આગળ જઈને માર્ગ બને એવી શક્યતા જણાતી નહોતી.
દરમ્યાન તેમનો ભત્રીજો રાજ અમેરિકામાં એમ.બી.એ.નો અભ્યાસ પૂરો કરીને લંડન આવ્યો. તેણે રતિલાલને ઍપલનું કમ્પ્યૂટર આપીને તે વાપરતાં શીખવ્યું અને સાઠી વટાવી ચૂકેલા રતિકાકાએ આ નવા સાધનનો પરિચય કેળવવા માંડ્યો. આ કમ્પ્યૂટરમાં પણ તમામ વ્યવહાર અંગ્રેજીમાં હતો, એટલે ફરી એક વાર તપાસ ચાલુ થઈ ગુજરાતી ફોન્ટની.
દરમ્યાન રતિકાકાને ભારત આવવાનું થતાં ગુલાબદાસ બ્રોકર થકી જાણ થઈ કે અમેરિકામાં મધુ રાય આને લગતું કંઇક કામ કરે છે. મધુ રાય સાથે થોડા સમય પછી મુલાકાત થતાં ખબર પડી કે તેઓ ગુજરાતી ફોન્ટ બનાવવામાં સફળ થયા હતા, એટલું જ નહીં, તેમનું કીબોર્ડ પણ ઉચ્ચાર આધારિત ( ફોનૅટિક ) હોવાથી વાપરવામાં ઘણું સુવિધાયુક્ત હતું. આમ, રતિલાલ ચંદરયાની મહાશોધનો જાણે દાયકાઓ પછી સુખદ અંત આવ્યો. પણ તે પૂર્ણવિરામ નહીં; અલ્પવિરામ હતું.
ગુજરાતીનું ટાઇપીંગ કમ્પ્યૂટર પર શરૂ તો થયું. એનાથી મુસીબત અવશ્ય ઘટી; પણ મૂંઝવણ તો અનેકગણી વધી. કેમ કે સાચી જોડણી લખવાની મોટી સમસ્યા હતી. તેમણે અંગ્રેજીના સ્પેિલંગ આપોઆપ સુધારી આપતા સોફ્ટ્વેર ‘સ્પેલચૅકર’નો ઉપયોગ કર્યો ત્યારે થયું કે આ જ રીતે ગુજરાતી સ્પેલચૅકર કેમ ન બની શકે ? તેમણે ઍપલ મેકિન્તોસ અને માઇક્રોસોફ્ટનો સંપર્ક કર્યો, અનેક સામયિકોમાં લેખો પ્રસિદ્ધ કર્યા, હિન્દીમાં રસ ધરાવતા કેટલાક પ્રૉફેસરોનો પણ સંપર્ક કર્યો. અરે ! અરેબીક ભાષા માટે સ્પેલચૅકર બનાવનાર ફ્રેંચ નિષ્ણાતને ય તેઓ મળ્યા. પણ આ બધાનું કશું પરિણામ નીપજ્યું નહીં.
આ શોધયાત્રા દરમ્યાન તેમને હૃદયની બાયપાસ સર્જરી પણ કરાવવી પડી, પણ તેઓ પાછા પડ્યા નહીં. ગુજરાતી લિપિ કમ્પ્યૂટર પર લખાય એટલું પૂરતું નથી; તેના શબ્દો, સાચી જોડણીઓ, રૂઢિપ્રયોગો જેવી અનેક સામગ્રીઓ પણ કમ્પ્યૂટર પર આસાનીથી ઉપલબ્ધ થાય તો જ ગુજરાતી ભાષાનો વ્યાપ કમ્પ્યૂટર પર વિસ્તરી શકે અને વિશ્વભરમાં ફેલાયેલા ગુજરાતીઓ તેનો આસાનીથી ઉપયોગ કરી શકે. સાચી ગુજરાતી લખવાની રતિકાકાની પોતાની મૂંઝવણ તો તેમના પરમ મિત્ર બનેલા સુરતના ઉત્તમ ગજ્જરને કારણે ઊકલી ગઈ, કેમ કે ઉત્તમભાઈ થકી તેમને પરિચય થયો એક જ ‘ઉ’ અને એક જ ‘ઈ’ ધરાવતી ઉંઝા જોડણીનો.
દરમ્યાન પૂનાના બે યુવાનોએ હિન્દી સ્પેલચૅકર બનાવ્યું હોવાની માહિતી મળતાં, તેમણે એ બનાવનાર સ્વામી અસંગ અને તેમના સાથીદારોનો સંપર્ક કર્યો. સ્વામી અસંગ પાસે મુખ્ય સમસ્યા હતી સમયની. તકલીફ ત્યારે (અને આજે ય ) એ હતી કે ગુજરાતીમાં કોઈ સ્ટાન્ડર્ડ કીબોર્ડ વપરાશમાં નહોતું. તેથી રતિકાકાના કીબોર્ડ પર કામ કરવા કોઈ રાજી નહોતું. આ બધી જળોજફા દરમ્યાન ગુજરાતી સાહિત્ય તેમ જ શબ્દકોશ સાથે સંકળાયેલી સંસ્થાઓને મળવાનું અને આ પ્રકારનો, માળખાકીય સવલતો ધરાવતી કોઇ મોટી સંસ્થા જ હાથ ધરી શકે એવો ગંજાવર પ્રોજેક્ટ ઉપાડી લેવા માટેની સમજાવટ કરવાનું ચાલુ જ હતું; પણ કોઇ સંસ્થા તૈયારી બતાવતી નહોતી. છેવટે ‘કરે એનું કામ’ એ ન્યાયે રતિકાકાએ પોતે જ આ કામ આગળ વધારવાનું નક્કી કરી લીધું.
ઉંમર અને આરોગ્ય ઉપરાંત આ પ્રોજેક્ટનું વિરાટ કદ જોતાં તેમની પરિસ્થિતિ ‘ ઓછી મદિરા અને ગળતા જામ ’ જેવી હતી. આટલું ઓછું હોય એમ તેમના કમ્પ્યૂટરના મધરબોર્ડ પર ગજા ઉપરાંતનો બોજો આવી જતાં તે બળી ગયું ! પણ રતિકાકા હિંમત ન હાર્યા. બલકે પૂરા જોશથી તેઓ મચી પડ્યા. ‘સ્પેલચૅકર’માં જોવા માટે શબ્દો તો જોઈએ ને! એટલે સૌ પ્રથમ તેમણે ગુજરાત વિદ્યાપીઠના ‘ખિસ્સાકોશ’ અને ‘સાર્થ જોડણીકોશ’ના શબ્દોને ડિજીટલાઈઝ્ડ સ્વરૂપે કમ્પ્યૂટરમાં ફેરવ્યા. આ ઉપરાંત કે.કા.શાસ્ત્રીના ‘બૃહદ ગુજરાતી શબ્દકોશ’ ના શબ્દો પણ તેમાં ઉમેર્યા. પૂનાના સ્વામી અસંગને આ કામમાં રસ પડતાં તેમણે થોડી મદદ કરી અને સૂચન પણ કર્યું કે બધો જ ડેટા ‘જાવા’માં અને ‘યુનિકોડ’માં ફેરવી દેવામાં આવે તો કામ સરળ થઈ શકશે. આમ, ‘લોગ આતે ગયે, કારવાં બનતા ગયા’ જેવી પરિસ્થિતિનું નિર્માણ થવા લાગ્યું. એક સમયે જે પ્રોજેક્ટ અસંભવ જણાતો હતો, તે હવે બબ્બે દાયકાની જહેમત પછી નજીકના ભવિષ્યમાં જ સાકાર થાય એમ જણાવા લાગ્યું. રતિકાકાનું પોતાનું કમ્પ્યૂટર વિશેનું તકનિકી જ્ઞાન તો સાવ મર્યાદિત હતું; પણ તે ‘અલ્પજ્ઞાન’ જ આખા કાર્યક્રમનું ચાલકબળ બની રહ્યું અને સ્વામી અસંગ, હિમાંશુ મિસ્ત્રી ( સુરત), અલકા છેડા, માધવી, અંજલિ(તમામ મુંબઇના), મેહરુ સિધવા (લંડન), વિપુલ મોતીવરસ(મુંબઈ), રોહિત( મેંગ્લોર) ઉપરાંત ગુજરાતીનો ‘ગ’ પણ ન જાણનાર ત્રિવેન્દ્રમનાં રેવતી શ્રીધરન જેવા સાથીદારોની સહાય મળી રહી. આ સૌના પ્રયાસોથી આગળ જણાવેલાં કોશ–ગ્રંથો ઉપરાંત પાં.ગ. દેશપાંડેના ‘ગુજરાતી-અંગ્રેજી કોશ’ અને ‘અંગ્રેજી-ગુજરાતી કોશ’, નરહરિ કે. ભટ્ટનો ‘ગુજરાતી વિનયનકોશ’, પ્રબોધ પંડિત રચિત ‘ફોનૅટિક એન્ડ મોર્ફેમિક ફ્રિક્વન્સી ઓફ ગુજરાતી લેન્ગ્વેજ’, શાંતિલાલ શાહનો ‘વિરુદ્ધાર્થ કોશ’ તેમ જ ડો. ઇશ્વર દવેનો ‘થિસોરસ’ જેવા કોશ–ગ્રંથોને પણ ડિજીટલાઈઝ સ્વરૂપમાં ફેરવીને ગુજરાતી ભાષાની સૌપ્રથમ ઓનલાઇન ડિક્શનેરી ‘ગુજરાતી લૅક્સીકોન’ ખુલ્લી મૂકવામાં આવી, જેમાં પોણા ત્રણ લાખ કરતાં ય વધુ શબ્દોના અર્થ આપવામાં આવેલા છે.
મુંબઇ પછી તેનું લોકાર્પણ ઇંગ્લેન્ડ, કેનેડા તેમ જ અમેરિકામાં પણ એ જ વરસે કરવામાં આવ્યું. આ લખાય છે ત્યાં સુધીમાં આ વેબસાઇટ પર તેત્રીસ લાખ કરતાંય વધુ મુલાકાતીઓ નોંધાયા છે , જે તેની ઉપયોગિતા સૂચવે છે. અત્યંત સરળતાપૂર્વક તેને ઓનલાઇન કે ઓફલાઇન વાપરી શકાય છે. તેને વિના મૂલ્યે http://www.gujaratilexicon.com પરથી ડાઉનલોડ કરવાની સુવિધા ઉપરાંત તેની સી.ડી.નું પણ વિશ્વ આખામાં ‘ચંદરયા ફાઉન્ડેશન’ દ્વારા વિના મૂલ્યે વિતરણ કરવામાં આવ્યું અને તે કામ હજી ચાલી રહ્યું છે. રતિલાલ ચંદરયાની આ સંઘર્ષગાથાની ઝલકનો અંદાજ ઉત્તમ ગજ્જર અને બળવંત પટેલ દ્વારા સંપાદિત પુસ્તિકા ‘કમ્પ્યૂટરની ક્લિકે’માંથી મળી રહે છે, જેની આ ત્રણ વરસમાં પંદર હજાર નકલોનું વિતરણ કરવામાં આવ્યું છે. રતિકાકાની પ્રકૃતિ એવી કે પોતે મહામુશ્કેલીએ એવરેસ્ટ પર પહોંચે પછી પહેલું કામ પોતાની આ સિદ્ધિના પુરાવારૂપે તેના પર ફોટો પડાવવાનું નહીં, પણ બીજાઓ માટે વધુ સરળ હોય એવો માર્ગ બનાવવાનું કરે, જેથી એવરેસ્ટ સૌ કોઇની પહોંચમાં આવી શકે. આ જ રીતે ગુજરાતી લૅક્સીકોનનું એવરેસ્ટ સર કર્યા પછી તેમનું બીજું લક્ષ હતું ગુજરાતી ભાષાના નવ લાખ શબ્દો, નવ હજાર પાનામાં સમાવતા નવ ભાગના અભૂતપૂર્વ ગ્રંથ ‘ભગવદ્ગોમંડળ’ના ડિજીટલાઇઝેશનનું.
પહેલી નજરે આ કામ અશક્ય લાગે, પણ અશક્ય લાગતા કામને શક્ય બનાવીને સૌ માટે સુલભ કરવું એ જ ચંદરયા પરિવારનો મંત્ર છે. આ કામ હાથ ધરવા માટે અમદાવાદમાં જ નવી ઑફિસ શરૂ કરવામાં આવી. અશોક કરણિયાની રાહબરી હેઠળ, કાર્તિક મિસ્ત્રી, સુમૈયા વોહરા, મૈત્રી શાહ, દેવળ વ્યાસ, પદ્મા જાદવ, શ્રુતિ અમીન માત્ર ટેકનિકલ નિષ્ણાતો જ નહીં, ખંતીલા અને સમર્પિત સાથીદારો બની રહ્યાં, જેમની મદદથી આ આખો પ્રોજેક્ટ ફક્ત સાડા અગિયાર મહિનાના વિક્રમ સમયમાં સંપન્ન થયો. અમદાવાદમાં તેનું લોકાર્પણ કરવામાં આવ્યું ત્યારે તમામ અગ્રણી અંગ્રેજી-ગુજરાતી અખબારો-સામયિકોએ આ સીમાસ્તંભ સમી ઘટનાને મથાળે ચમકાવી હતી. લૅક્સિકોન અને ભગવદ્ગોમંડળની સી.ડી.માં બધું મળીને પાંત્રીસેક લાખ શબ્દો ડિજીટલ સ્વરૂપે સમાવાયેલા છે.
આ પ્રોજેક્ટ અંગે રતિકાકા હળવાશથી કહે છે, “ખરેખર તો આ કામ કોઈ સાહિત્યની સંસ્થાનું, યુનિવર્સિટી કે સરકારનું છે, મને એ હજી નથી સમજાતું કે આમાં રતિલાલ ચંદરયા ક્યાંથી વચ્ચે આવી ગયા !”
ઉંમરને કારણે શ્રવણશક્તિ તેમ જ દૃષ્ટિ ક્ષીણ થઈ હોવા છતાં, તેમના જુસ્સામાં જરા ય ઓટ આવી નથી. ટેલિફોનને બદલે લેપટૉપના સ્ક્રીન પાસે કાનનું કામ લેવાનું એમને ફાવી ગયું છે. મુંબઇમાં હોય ત્યારે જયેશભાઈ તેમની જરૂરતોનું ધ્યાન રાખે છે. સાદગીના પ્રતીક જેવા રતિકાકા અનેક દેશોમાંના પોતાનાં નિવાસસ્થાનોમાંથી ક્યાં ય પણ રહેતા હોય, આજે પણ પોતાનો મોટા ભાગનો સમય કમ્પ્યૂટર પર ગાળે છે અને ઇ-મેઇલના માધ્યમ થકી પોતાના પરિવારજનોના તેમ જ ઉત્તમ ગજ્જર, તુષાર ભટ્ટ, બળવંત પટેલ, વિપુલ કલ્યાણી, મનસુખલાલ શાહ જેવા અનેક સાથીમિત્રોના જીવંત સંપર્કમાં રહે છે.
હવે પછીનો તેમનો પ્રકલ્પ છે ‘લોકકોશ’નો, જેનો વિધિવત આરંભ 27 ઓક્ટોબર, 2009ના રોજ કરવામાં આવ્યો. ગુજરાતીમાં વ્યાપક રીતે વપરાતા, પણ કોઈ પણ કોશમાં હજી સ્થાન ન પામેલા અન્ય ભાષાના શબ્દોને લોકસહકારથી વીણી વીણી સમાવવાનો તેનો ઉપક્રમ છે. કોઈ પણ શબ્દપ્રેમી એમાં ભાગ લઈ ફાળો આપી શકશે. નિષ્ણાતોની સમિતિ આ શબ્દોને, તેના અર્થને ચકાસીને તેમને યોગ્ય લાગશે તો એ શબ્દો મોકલનાર(શબ્દદાતા)ના નામ સાથે ‘લોકકોશ’માં સ્થાન આપશે. આ પ્રોજેક્ટ અંગે આપણે સાશંક થઈને પૂછવા જઈએ તો રતિકાકા તેમના ટ્રેડમાર્ક જેવું મૃદુ હાસ્ય કરતાં તરત કહે છે, “મેં એક જ વાત મનમાં રાખી છે, અને તે એ કે, કોઈ પણ બાબતમાં ‘ના’ સ્વીકારવી નહીં.” તેમના મૃદુ હાસ્ય પછવાડે રહેલી તેમની ‘ભીષ્મવિચારદૃઢતા’નો ખ્યાલ ત્યારે જ આવે છે !
(માહિતીવિશેષ: ઉત્તમ ગજ્જર, સુરત)
(‘ગુર્જરરત્ન’ સ્થંભ, “અહા ! જીંદગી”, ડિસેમ્બર 2009)
http://birenkothari.blogspot.com
e.mail : bakothari@gmail.com
A/403, Saurabh Park, B/h Samta Flats, Subhanpura, Vadodara-23.(Gujarat) India.