
રાજ ગોસ્વામી
આ વર્ષની આઈ.એસ.સી. (ઇન્ડિયન સ્કૂલ સર્ટિફિકેટ) બોર્ડની ધોરણ 12ની પરીક્ષામાં 100 ટકા, એટલે કે 400માંથી 400 માર્ક્સ સાથે ટોપ કરનારી કોલકત્તાની 17 વર્ષની વિદ્યાર્થિની સૃજની માત્ર તેના રિઝલ્ટના કારણે જ ચર્ચામાં નથી, પણ તેના નામને લઈને પણ જિજ્ઞાસાનું કેન્દ્ર બની છે.
સૃજનીએ તેના નામ પાછળથી તેની અટક કાઢી નાખી છે. તેનાં માતા અને પિતા પણ અટકનો ઉપયોગ નથી કરતાં. સૃજનીનો પરિવાર માત્ર માનવતામાં માને છે અને તેને જ તેની જાતિ કે ધર્મ ગણે છે. સૃજનીની માતા ગોપા મુખર્જી પ્રોફેસર છે. તેમણે લગ્ન પછી નામની પાછળ પતિનું નામ કે અટક નથી લગાવ્યું. એવી જ છૂટ દીકરીને પણ છે. તેણે બોર્ડ પરીક્ષાના ફોર્મમાં ધર્મની કોલમમાં ‘હ્યુમેનિટી’ લખું હતું.
તેના પિતા દેવાશીષ ગોસ્વામી આઈ.એસ.આઈ.માં ગણિતજ્ઞ છે. તેમણે તેમની દીકરીઓને અટક પસંદ કરવાની છૂટ આપી હતી. દીકરીઓના બર્થ સર્ટિફિકેટમાં પણ તેમણે તેમનાં નામો પાછળ અટક નોંધાવી નહોતી. માતા-પિતા બંને ધર્મ કે જાતિના આધારે માણસોનું વિભાજન કરવાની વિરુદ્ધમાં છે.
ભારત જેવા ધર્મ અને જાતિ આધારિત ઓળખાણોમાં તીવ્ર રીતે વહેંચાયેલા સમાજમાં, એક છોકરીની તેની અટકનો અસ્વીકાર કરવાની હરકત એક તાકાતવર સંદેશ છે. અલબત્ત, છોકરી લઘુમતીમાં છે અને બહુમતી સમાજ આને સ્વીકારે તેવો નથી, પરંતુ માણસ ધારે તો વ્યક્તિગત સ્તરે શું ક્રાંતિ કરી શકે છે તેનું આ નાનું પરંતુ નોંધપાત્ર ઉદાહરણ છે. તેની સરાહના થવી જોઈએ.
માત્ર ભારતમાં જ નહીં, પૂરી દુનિયામાં ધર્મ અને જાતિએ સમાજમાં વિભાજનો ઊભાં કર્યા છે અને તેના કારણે જ સંઘર્ષો અને ભેદભાવ પેદા થયા છે. માણસો તેમની ધાર્મિક કે જાતીય ઓળખાણોમાં સામુદાયિક ભાવનાનો અનુભવ કરે છે તે સાચું, પરંતુ તે સમાજમાં ઊંચ-નીચ અને બીજી અસમાનતાઓને પણ ઉચિત ઠેરવે છે.
અટક પરિવારના વારસાને ઈંગિત કરવા માટે અસ્તિત્વમાં આવી છે અને અટક પરથી પરિવાર કઈ સંસ્કૃતિ સાથે જોડાયેલો છે તે પણ નક્કી થાય છે. તેમાં ધર્મ અને જાતિની ઓળખાણ તો બહુ પાછળથી જોડાઈ હતી.
લોકો પ્રાચીન સમયથી અટક રાખતા નહોતા. કહેવાય છે ચીન સૌથી પહેલી સભ્યતા હતી જેણે ત્રણ હજાર વર્ષ પૂર્વે વ્યક્તિનાં નામ પાછળ પરિવારનું નામ જોડવાનું શરૂ કર્યું હતું. વર્ષો સુધી તે નામ માતા તરફથી આવતું હતું. આજે, ચીન સહિત મોટાભાગના દેશોમાં અટક પિતા તરફથી આવે છે.
ભારતમાં પણ અટકનો ઇતિહાસ પ્રમાણમાં આધુનિક છે. પ્રાચીન સમયમાં લોકો નાનાં-નાનાં ગામડાઓમાં રહેતા હતા અને એકબીજાને સારી રીતે ઓળખતા હતા એટલે અટકની જરૂર નહોતી પડતી. સમય જતાં વસ્તી વધી, ગામડાં મોટાં થયાં અને બીજા ગામડાં સાથે સંપર્ક વધ્યો તે પછી એકબીજામાં તફાવત કરવા માટે અટકોની જરૂરિયાત ઊભી થઇ હતી.
દાખલા તરીકે, મહાભારતમાં સૌ પાત્રોનાં નામ એકલ છે. જેમ કે – કૃષ્ણ, કુંતી, યુધિષ્ઠિર, દુર્યોધન, દ્રૌપદી વગેરે. સમ્રાટ અશોકને આપણે અશોક મૌર્ય તરીકે નથી ઓળખતા. શિવાજીએ ક્યારે ય તેમની ભોંસલે અટક વાપરી નહોતી. મુઘલ રાજાઓની અટક શું હતી? કબીર કે તુલસીદાસનાં નામ પાછળ અટક નથી લાગતી.
ભારતમાં આ પદ્ધતિ અંગ્રેજો લઇ આવ્યા હતા. પહેલું નામ, વચલું નામ અને છેલ્લું નામ રાખવાથી અંગ્રેજોને ભારતીયોને વિવિધ જાતિઓમાં વર્ગીકૃત કરવામાં સરળતા રહેતી હતી. અંગ્રેજો આવતાં પહેલાં રાજાઓ, વેપારીઓ, આધ્યાત્મિક પુરુષો અને સામાન્ય લોકો પહેલા નામથી જ ઓળખાતા હતા. યુરોપમાં વ્યક્તિને તેના વ્યવસાય, પિતા, સ્થાન કે હોદ્દા અનુસાર ઓળખવાની પદ્ધતિ છે. અંગ્રેજો એ જ રીત અહીં લઇ આવ્યા.
એ વાતમાં તથ્ય છે કે સામૂહિક જીવન જીવવાની સહુલિયત માટે અટકો અસ્તિત્વમાં આવી હતી, પરંતુ તેમાંથી અંદરોઅંદર સંઘર્ષોનો પણ જન્મ થયો. પ્રાચીન સમયમાં ધાર્મિક કે જાતિય ઓળખો પરથી એટલી હિંસા થતી નહોતી જેટલી આજે થાય છે. અંગ્રેજોએ જ જાતિને અલગ કરવા માટે અટકોને પ્રોત્સાહન આપ્યું હતું.
સામાજિક સંઘર્ષો મૂળભૂત રીતે ઓળખના સંઘર્ષો છે. એવો એક પણ સમાજ નથી જેમાં એક યા બીજી રીતના તનાવ ન હોય. તેના મૂળમાં સામુદાયિક ઓળખ છે, કારણ કે દરેક સમુદાયની માન્યતાઓ, જીવન રીતો અલગ અલગ હોય છે અને બધા પોતાને ચડિયાતા માને છે.
ધર્મનું મૂળ કામ તો પ્રાકૃતિક જગતને બોધગમ્ય બનાવવાનું અને માનવીય જીવનને અર્થ આપવાનું હતું, પરંતુ જેમ જેમ વિજ્ઞાને પ્રકૃતિનાં રહસ્યો ઉકેલવાની જવાબદારી સંભાળી એટલે ‘નવરા’ પડેલા ધર્મોએ સામાજિક બાબતોમાં દખલ શરૂ કરી અને અંતે તે મનુષ્યોને વિભાજીત કરીને ટકરાવ ઊભો કરવા લાગ્યો.
એટલા માટે જ માનવતાને ધર્મ તરીકે ઘોષિત કરવાના ઇતિહાસમાં ઘણા પ્રયાસો થયા છે કારણ કે તેમાં સમુદાયોની પૃથક ઓળખો સમાપ્ત થઇ જાય છે અને સમાનતાની ભાવના પેદા કરે છે. છેક 18મી સદીમાં ઓગસ્ટ કોમ્ટે નામના ફ્રેંચ ચિંતક અને લેખકે રીલિજિયન ઓફ હ્યુમેનિટી (માનવતાનો ધર્મ) નામના એક બિનસાંપ્રદાયિક ધર્મની સ્થાપના કરવાનો વિચાર આપ્યો હતો.
પાછળથી યુરોપ અને અમેરિકામાં ઘણા લોકો પર આ વિચારનો પ્રભાવ પડ્યો હતો, જેમાંથી નૈતિક સમાજ અને સંસ્કૃતિનો ખ્યાલ પ્રચલિત થયો હતો. માનવતા એ શ્રેષ્ઠ ધર્મ છે એવું તમામ ધર્મો કહે છે, પરંતુ ઓળખોના આધારે વિભાજીત મનુષ્યએ તેને માનવતા વિરોધી કરી દીધો છે.
ભારતમાં તમિલનાડુમાં 20મી સદીના પ્રારંભે સ્વાભિમાન અંદોલનના ભાગ રૂપે અટકોને ત્યજવાનું શરૂ થયું હતું. તેના આગેવાન પેરિયર ઈ.વી. રામાસામી માનતા હતા કે અટકો જાતિ વ્યવસ્થાનું રક્ષણ કરવાનું કામ કરે છે, તેને ત્યજવાથી સમાન સમાજનું નિર્માણ થશે (તેમની અટક નાઈકર હતી, અને પેરિયરે તેને પડતી મૂકી હતી. પેરિયર એટલે ‘વડીલ’, આપણે ત્યાં ‘મોટા’ કહીએ છીએ તેવું ).
મહાભારતમાં એવું કહેવામાં આવે છે કે ધર્મનો સાર એ વાતમાં છે કે પોતાની આત્માને દુઃખ પહોંચાડે તેવો વ્યવહાર બીજા સાથે ન કરવો જોઈએ.
તેનાથી મોટો ધર્મ બીજો શું હોય! ધર્મનો અર્થ થાય છે – સ્વભાવ. જેમ કે પાણીનો સ્વભાવ શીતળતા છે, વાયુનો સ્વભાવ કોમળતા છે, ધરતીનો સ્વભાવ કઠોરતા છે, વગેરે. તેવી જ રીતે મનુષ્યનો સ્વભાવ માનવતા છે. ધર્મના નામ પર લોકો મરવા-મારવા તૈયાર થઇ જાય છે, પરંતુ જો મનુષ્ય જ નહીં બચે તો ધર્મનું શું કરવાનું?
(પ્રગટ : ‘બ્રેકીંગ વ્યુઝ’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, ‘સંસ્કાર’ પૂર્તિ, “સંદેશ”, 12 મે 2025)
સૌજન્ય : રાજભાઈ ગોસ્વામીની ફેઇસબૂક દીવાલેથી સાદર