![](https://opinionmagazine.co.uk/wp-content/uploads/2022/06/Prof.-Yuval-Noah-Harari-1-300x200.jpg)
યુવાલ હરારી
પહેલી જુલાઈએ મહાનગર અમદાવાદ જો વસંત-રજબની કુરબાની સંભારી રહ્યું હતું તો જોગાનુજોગ એ જ દિવસ ઈઝરાયલની વાણિજ્યધાની સમા ટેલ અવિવ સારુ હિંસ્ર અભિગમથી મુક્ત થવાનો શાણપણનો સંદેશ લઈને આવ્યો હતો. લક્ષાધિક લોક એકત્ર આવ્યું હતું અને આપણા દસકાના વિશ્વપ્રતિષ્ઠ ઇતિહાસકાર હરારીએ પોતાના યહૂદી હોવાથી ઊંચે ઊઠીને ખરી દૂંટીના અવાજથી ને ઇતિહાસના ઊંડા જ્ઞાનના અજવાળાથી ઈઝરાયલ ને પેલેસ્ટાઈન બેઉ જોગ શાંતિ સંદેશ આપતી આરતભરી અપીલ કરી હતી.
એક વાચક મિત્રે મને એનો પાઠ મોકલી આપ્યો છે એમાંથી થોડોક અંશ ઉતારું તે પૂર્વે હરારી વિશે બે શબ્દો કહું? 2011માં હિબ્રુમાં અને પછી 2014માં અંગ્રેજીમાં ‘સેપિયન્સ’ સાથે એ વિશ્વવિશ્રુત બન્યા. મનુષ્યજાતિના ઇતિહાસને કઈ રીતે જોઈ શકાય એ એમણે એક આગવા અભિગમથી મૂક્યું છે. અહીં એની ચર્ચામાં નહીં જતાં, જે ભાષણનો અંશ આપવા ધાર્યો છે – શાંતિ સંદેશનો – એ સંદર્ભમાં લગીર કૌતુક શો એક મુદ્દો કરી લઉં કે હરારીનો આરંભિક અભ્યાસ ‘મિલિટરી એંગેજમેન્ટ્સ’ પરત્વે હતો. તે પછી તે ઇતિહાસના વિશાળ વિસ્મયલોકમાં પ્રવેશ્યા.
‘સેપિયન્સ’ પછીયે હરારી લખતા ને વંચાતા રહ્યા છે અને એક માનવહિતચિંતક તરીકે એમના તરફ વ્યાપકણે ધ્યાન ખેંચાતું રહ્યું છે. કોરોના વખતે, વ્યક્તિમાત્રનો ડેટા એની સ્વાસ્થ્યસંભાળ માટે રાજ્ય હસ્તક ચાલ્યો જાય એ મુદ્દા પર એમણે ચેતવણી અને ચિંતાના સૂરે કહ્યું હતું કે આ રીતે સત્તા-પ્રતિષ્ઠાન આપણને સૌને તાબે કરે તો શું. એક રીતના દોઢ ઓરવેલિયન સ્ટેટની, ‘ધ બિગ બ્રધર ઈઝ વોચિંગ યુ’ની તરજ પરની એમની સતત ચિંતા રહી છે.
તાજેતરનાં વરસોમાં એમનું બહુ વંચાયેલું પુસ્તક એકવીસમી સદી જોગ એકવીસ બોધપાઠને લગતું છે. આ એકવીસ મુદ્દામાં એક આતંકવાદને લગતો પણ છે. નવાઈ લાગે પણ 2018ના આ પ્રકાશનમાં હાલ ઈઝરાયલને હંફાવનાર ‘હમાસ’ વિશે નામજોગ ખાસ વાત નથી. ત્યારે જે વ્યાપક લાગણી હતી તે એમની પણ હશે કે ઈઝરાયલની અપ્રતિમ લશ્કરી સજ્જતા અને ગુપ્તચર જાળ સામે આનો શો હિસાબ.
ગમે તેમ પણ, આ પુસ્તકમાં એમણે આતંકવાદ વિશે જે નિરીક્ષણો કર્યાં છે તે તાજેતરનો લોહી નીંગળતો ને ઉદ્ધ્વસ્તકારી દોર જોતાં સચોટ સમજાય છે. ‘આતંકવાદીઓની વાસ્તવિક શક્તિ અને તેઓ જે ભય જગવે છે તેની વચ્ચે વિષમતુલા પ્રવર્તે છે … શત્રુ જ્યારે એમની સામે વળતો પ્રહાર કરે છે ત્યારે એની સામે આતંકવાદીઓનો કોઈ દેખીતો હિસાબ હોતો નથી. ખરેખર તો જ્યારે બીજો કોઈ વિકલ્પ ન જણાય ત્યારે આતંકવાદીઓ હુમલો કરે છે. એક નાઈલાજ મરણિયાપણું!’
હમાસના હુમલામાં (એના બચાવમાં નહીં પણ સમજવાની રીતે નોંધવું જોઈએ કે) આ નાઈલાજી (અને એથી મરણિયાપણું) જોવા મળે છે. એકી સપાટે એની પાસે મર્યાદિત સંખ્યામાં હતાં એટલાં મિસાઈલ પ્રયોજી એણે ઈઝરાયલી આડશો તહસનહસ કરી બસો જેટલાને બાન પકડ્યા – ઈઝરાયલી જેલોમાં પોતાના બે હજાર જેટલા લોકો પુરાયેલા હતા, એમને છોડાવવાના અવેજ વાસ્તે.
આખો રક્ત નીંગળતો નાટારંગ નિહાળી હરારીએ ટેલ અવિવની વિરાટ રેલી જોગ શું કહ્યું, થોડું સાંભળીએ:
‘એક વખત એવો હતો કે અહીં (ઈઝરાયલમાં) માનવીઓ ન હતા. દસ કરોડ વરસ પર અહીં ડાયનાસોર વસતા હતા. દસ હજાર વરસ પહેલાં અહીં આધુનિક માનવ પહોંચી ચૂક્યો હતો, પરંતુ આજે આપણે જેટલા માનવસમૂહોને ઓળખીએ છે તેમાંના એક પણ સમૂહનું ત્યારે અસ્તિત્વ નહોતું … આપણે લાંબી ચર્ચા કરી શકીએ કે ક્યારે યહૂદીઓ અહીં આવ્યા અને ક્યારે પેલેસ્ટાઈનીઓ અહીં ઉભર્યા, પરંતુ અગત્યનું એ છે કે આજે તે બંને લોકો અહીં વસે છે …’
‘દરેક પક્ષ માને છે કે સમગ્ર વિસ્તાર પર માત્ર અને માત્ર પોતાનો અધિકાર છે. પેલેસ્ટાઈનીઓ પૂર્ણ ગંભીરતાથી પૂછે છે કે જેરુસલેમ સાથે યહૂદીઓને શું લેવાદેવા? એટલી જ તીવ્ર ગંભીરતાથી યહૂદીઓ પૂછે છે કે પેલેસ્ટાઈનીઓ કોણ છે? એ બંને પાસે આંખો છે પણ દૃષ્ટિ નથી. તેમની પાસે કાન છે પણ સાંભળી શકતા નથી …’
‘બંને બાજુએ એકબીજાના અસ્તિત્વનો સ્વીકાર કરવો જ રહ્યો. બીજા કોઈનો કોઈ અધિકાર નથી અને એક દિવસ આપણે સામેનાનો સર્વનાશ કરી નાખીશું એવી કલ્પનાથી બધાએ પોતાની જાતને મુક્ત કરવી જોઈએ …’
‘ભૂતકાળમાં આપણે શાંતિના પ્રયત્નો કર્યા હતા અને તેમાં સફળતા મળી નહોતી. યુદ્ધ પણ કર્યાં હતાં અને તેમાંયે ધારી સફળતા મળી નહોતી. જેમ આપણે ફરી ફરીને યુદ્ધ કરીએ છીએ તેમ ફરી ફરીને શાંતિના પ્રયત્નો પણ કરી જ શકીએ. એક વધુ ભીષણ યુદ્ધનો નાદ આપણને બરબાદીની ઊંડી ખાઈને કિનારે લઈ આવ્યો છે. ફરી પાછો શાંતિ માટે પ્રયત્ન કરવો જ જોઈએ.’
આ સ્તો વિશ્વપ્રશ્ન છેઃ કથિત રાષ્ટ્રવાદ કને આંખ હશે, પણ દૃષ્ટિ ક્યાં?
Edito: nireekshak@gmail.com
પ્રગટ : ‘તવારીખની તેજછાયા’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, ‘કળશ’ પૂર્તિ, “દિવ્ય ભાસ્કર”; 24 જુલાઈ 2024