૧૮
ગુજરાતમાં અર્વાચીનતાના સૂરજના છડીદાર : ફાર્બસ
ફાર્બસ અને ગુજરાતના સંબંધની કથા એટલે પહેલી નજરના પ્રેમની એક કથા. એકવીસ વરસની ઉંમરે ફાર્બસ હિન્દુસ્તાન આવ્યા અને ૪૪ વર્ષની જિંદગીમાંથી લગભગ તેર વર્ષ તેમણે ગુજરાતમાં ગાળ્યાં. ૧૮૪૬ના નવેમ્બરમાં ફાર્બસ પહેલી વાર અમદાવાદ આવ્યા ત્યારે તે એક માંદું, મરવા પડેલું શહેર હતું. મુંબઈમાં પશ્ચિમની સંસ્કૃતિના જે વાયરા વાતા થયા હતા તેની નાનકડી લહેરખી પણ હજી અમદાવાદ સુધી પહોંચી નહોતી. અમદાવાદ એ વખતે ખંડેરોનું નગર હતું. હા, એ ખંડેરો ઊજળા ભૂતકાળની એંધાણી આપતા હતા. પણ એ શહેરના લોકોને પોતાના એ ભૂતકાળમાં જરા ય રસ નહોતો. કારણ રોજિંદું જીવન જ એટલું હાડમારી ભર્યું હતું કે બીજી કોઈ વાત અંગે વિચારવાનું તેમને માટે શક્ય જ નહોતું. જ્યાં અમદાવાદની આ સ્થિતિ હતી ત્યાં ગુજરાતના બીજા ભાગોની તો વાત જ શી કરવી? પણ કોણ જાણે કેમ, ફાર્બસ અમદાવાદ આવ્યા પછી તરત જ ગુજરાતના ભવ્ય ભૂતકાળ સાથે અનુસંધાન સાધી શક્યા હતા. તો સાથોસાથ ઘોર નિદ્રામાં પોઢેલા લોકોને ઢંઢોળીને જાગૃત કરવાની અને તેમને અર્વાચીનતાના વાયરાનો સ્પર્શ કરાવવાની જરૂરિયાતને પણ તેમણે ઓળખી લીધી હતી. પશ્ચિમના – ખાસ કરીને બ્રિટિશ – વિચારો, આદર્શો, પદ્ધતિઓ, સંસ્થાઓ વગેરેનો પરિચય ગુજરાતના લોકોને કરાવીને ફાર્બસે એ કામ કર્યું. બહુ સૂઝ, સમજ, કુશળતા અને કૂનેહપૂર્વક તેમણે બેવડે દોરે કામ કર્યું. એક બાજુથી તેમણે ગુજરાત અને તેના લોકોના ભૂતકાળનો અભ્યાસ કર્યો અને સાચકલા પ્રેમ અને આદરપૂર્વક એ વિષે લખ્યું. તો બીજી બાજુ પરિવર્તન માટેનાં સાધનો તેમણે સુલભ કરી આપ્યાં : ‘ગુજરાત વર્નાક્યુલર સોસાયટી’, જાહેર પુસ્તકાલય, નિશાળ, અખબાર અને સામયિક. પણ મધ્યકાલીન ગુજરાતના અર્વાચીન ગુજરાતમાંના રૂપાંતર માટેનું સૌથી મોટું અને મહત્ત્વનું સાધન તો બન્યા ફાર્બસ પોતે.
ફાર્બસ મુંબઈમાં રહ્યા ભલે ઓછું, પણ તેમણે સ્થાપેલી સંસ્થા તેમનું નામ અને કામ જાળવીને ઊભી છે. મુંબઈ યુનિવર્સિટીની એલ.એલબી.ની પરીક્ષામાં આજે પણ તેમના નામનો ગોલ્ડ મેડલ અપાય છે. સોલી સોરાબજી અને ફલી નરીમાન જેવા કાયદાના ધુરંધરોને આ મેડલ અપાયો હતો.
આજે ફાર્બસ ફરી ગુજરાતમાં આવે તો આજના ગુજરાતને ઓળખી શકે? કદાચ ના. અને ગુજરાતે તો ફાર્બસને ક્યારનાયે વિસારે પાડી દીધા છે. પોતાની જિંદગીનાં ઉત્તમ વર્ષો જેમણે ગુજરાતને, ખાસ કરીને અમદાવાદને આપી દીધાં એ ફાર્બસનું ભલે નાનકડું, પણ એક્કે જાહેર સ્મારક આજે અમદાવાદમાં નથી. અને અમદાવાદના સંસ્કાર જગતના અગ્રણીઓને તેની ખોટ પણ સાલતી નથી. અલબત્ત, ફાર્બસને એવી કોઈ અપેક્ષા પણ નહોતી. પોતે કશુંક અસાધારણ કામ કરી રહ્યા છે એમ તેમણે માન્યું જ નહોતું. જે પ્રદેશ સાથે સંકળાવાનું થયું હોય તે પ્રદેશ માટે મારાથી બને તેટલું કરી છૂટવું જોઈએ એવી કર્તવ્ય ભાવનાથી તેમણે જે કરવા જેવું લાગ્યું તે કર્યું. પણ અર્વાચીન ગુજરાતના ઘડતર અને ચણતરમાં ફાર્બસનો ફાળો અત્યંત મહત્ત્વનો હતો. એક કવિતમાં કહ્યું છે તેમ :
‘ફાર્બસ સમ સાધન વિના, ન ઉધ્ધરત ગુજરાત’
સમાપ્ત
e.mail : deepakbmehta@hotmail.com