આપણે ભાગ્યે જ વિચારીએ છીએ કે કાલિદાસ શેક્સપીયર રવીન્દ્રનાથ ગોવર્ધનરામ કે સુરેશ જોષીનાં સર્જન આપણને ગ્રેટ કેમ લાગે છે; શા માટે અમુકોનાં સર્જન ગ્રેટ નહીં પણ ઍવરેજ અને સામાન્ય કે નિ:સામાન્ય લાગે છે.
એ ગ્રેટનેસ અથવા કલાપરક મહાનતાનું એક કારણ સર્જક વ્યક્તિની બુદ્ધિમત્તા છે એમ માનવું જોઈશે. એમ પણ માનવું જોઈશે કે એ મહાનતામાં બુદ્ધિની કશીક નિર્ણાયક ભૂમિકા છે. કાવ્યશાસ્ત્રીઓ તો કોઈ કોઈ કવિને ‘મન્દબુદ્ધિ’ કહેતાં ખચકાતા નથી બલકે સાચું કહ્યાનો સંતોષ મેળવે છે.
કાવ્યશાસ્ત્રમાં, ‘પ્રતિભા’, ‘વ્યુત્પત્તિ’ અને ‘અભ્યાસ’-ને ‘કાવ્યહેતુ’ કહ્યા છે. કાવ્યહેતુ એટલે, સર્જનનાં પરિબળો, કારણો. પરન્તુ, રાજશેખર એ ત્રણ ઉપરાન્ત ‘કવિત્વશક્તિ’ નામના કારણનો ઉમેરો કરે છે. સ્પષ્ટ કહે છે કે એ જ છે, કાવ્યનિર્માણનું મુખ્ય કારણ.
રાજશેખર બુદ્ધિના ત્રણ પ્રકાર દર્શાવે છે : સ્મૃતિ, મતિ, પ્રજ્ઞા.
સ્મૃતિ, ભૂતકાળમાં અનુભવાયેલા વિષયોનું સ્મરણ રાખે છે. મતિ, વર્તમાનમાં જિવાતા વિષયોનું મનન કરે છે. અને, ભવિષ્ય દર્શાવનારી તેમ જ દીર્ઘ દર્શનો કરાવનારી બુદ્ધિ પ્રજ્ઞા છે.
કહે છે, આ ત્રણેય પ્રકારની બુદ્ધિ કવિ માટે, એટલે કે, સર્જક માટે, આવશ્યક છે, કેમ કે ઉપકારક છે. ત્રણેય બુદ્ધિપ્રકારોનો ‘કાવ્યહેતુ’ સાથે સીધો કે આડકતરો સમ્બન્ધ છે.
જેને આપણે ‘કાવ્યસર્જન’ કે સર્વસામાન્યપણે ‘સર્જન’ કહીએ છીએ એને રાજશેખર ‘કાવ્યનિર્માણ’ કહે છે. કાવ્યનિર્માણને તેઓ ‘સરસ્વતીનું રહસ્ય’ ગણે છે, મહા ગમ્ભીર અને અવર્ણનીય લેખે છે. રાજશેખર જણાવે છે કે સમાધિ અને અભ્યાસ બન્ને મળીને કાવ્યનિર્માણશક્તિનું નિર્માણ કરે છે. કહે છે, એ અત્યન્ત નિપુણ વિદ્વાનોના જ્ઞાનનો વિષય છે. એની પ્રાપ્તિનો એક માત્ર ઉપાય છે, સમાધિ. શ્યામદેવ કાવ્યનિર્માણમાં સમાધિની આવશ્યકતા પર ભાર મૂકે છે. સમાધિ એટલે, મનની એકાગ્રતા. એકાગ્રચિત્તવ્યક્તિ અનેક સૂક્ષ્મ વિષયોનું ચિન્તન કરી શકે છે. મંગલ નામના વિદ્વાન કાવ્યનિર્માણમાં અભ્યાસને જ મોટું કારણ ગણે છે. અભ્યાસ એટલે, નિરન્તરનું અનુશીલન.
જોઈ શકાશે કે સ્મૃતિ મતિ અને પ્રજ્ઞા સાથે સમાધિ કહેતાં મનની એકાગ્રતા અને નિરન્તરનું અનુશીલન, એટલાં તત્ત્વો આ વિષયની ચર્ચામાં ઉમેરાયાં.
Pic Courtesy : Spotify
પ્રતિભાને ઈશ્વરદત્ત ગણનારા શાસ્ત્રીઓ પણ હતા ને તેઓ એટલે લગી કહેતા કે ‘પ્રતિભા વિના કાવ્ય ન જનમી શકે, જનમે તો હસનીય પુરવાર થાય.’ સવાલ એ છે કે સર્જક પ્રતિભાશાળી છે કે કેમ તે જાણવું શી રીતે. ઇરાદાપૂર્વક વધારેલાં દાઢી અને વાળ કે સ્વયં સરજાયેલી ટાલથી માણસ દેખાય પ્રતિભાવન્ત, – ઋષિઓનાં આપણે એવાં નિર્માલ્ય ચિત્ર જોયેલાં એટલે – પણ હોય, સામાન્ય ! સાતમા દાયકામાં, ખભે બગલથૅલો ને પગમાં સોલાપુરી ચમ્પલથી આપણા કેટલાક મિત્રો કવિ દેખાવાની ગમતીલી ચેષ્ટા કરતા’તા.
એટલે, રાજશેખરની વાત મને વિચારણીય લાગી છે. કેમ કે પ્રતિભા, વ્યુત્પત્તિ અને અભ્યાસ હોય કે ન હોય પણ જો વ્યક્તિમાં કવિત્વ કહેતાં, કવિપણું – પોએટિક ડિસ્પોઝિશન – નહીં હોય, તો એને કાવ્યત્વ અને અ-કાવ્યત્વ વચ્ચેનો ભેદ પણ નહીં પરખાય. એને હમેશાં લાગશે કે પોતે લખ્યું તે કાવ્ય જ છે ! ઇનામ-ઍવૉર્ડ મેળવી ચૂકેલાને તો વળી એમ લાગશે કે પોતે કેટલું તો મહાન સરજ્યું છે ને પોતે કેવો તો મહા કવિ છે ! જાતને અને એ ભેદને પરખનારી શક્તિને જ રાજશેખર, મને લાગે છે કે કવિત્વશક્તિ કહે છે.
રાજશેખર સમાધિ અથવા એકાગ્રતાને ‘આન્તરિક પ્રયત્ન’ ગણે છે, તે મને સમુચિત લાગે છે, કેમ કે દેખીતું છે કે એ તો સર્જકના ચિત્તમાં ઘટનારી ઘટના છે. તેઓ અભ્યાસને ‘બાહ્ય પ્રયત્ન’ ગણે છે, તે પણ સમજાય એવું છે, કેમ કે સાહિત્યકાર પોતાની કલમનો મહાવરો રાખે છે, હરિપ્રસાદ ચૉરસિયા રોજ સવારે બાંસુરીવાદનનો અભ્યાસ કરે છે, પોતાની કલાનું નિરન્તરનું અનુશીલન કરે છે. તે સાધના છે, પણ બાહ્ય વસ્તુ છે.
રાજશેખર કહે છે, કવિત્વશક્તિ, પ્રતિભા અને વ્યુત્પત્તિથી પૃથક, ભિન્ન, જુદી છે. કવિત્વશક્તિ કર્તારૂપ છે અને પ્રતિભા તથા અભ્યાસ કર્મરૂપ છે. કવિત્વશક્તિ હશે તો પ્રતિભા ઉત્પન્ન થશે, અને શક્તિસમ્પન્ન હશે એ જ વ્યુત્પન્ન હશે.
પ્રતિભા જેવા કંઈક રહસ્યમય ભાસતા કાવ્યહેતુને રાજશેખર આમ વાસ્તવની ધરા પર લાવ્યા, આત્મપરીક્ષણ સૂચવતી કવિત્વશક્તિનો નિર્દેશ કર્યો તેની નૉંધ લેવી જોઈએ.
કોઈને ઉતાવળથી પ્રતિભાશાળી કે પ્રતિભાનિકટનો – જીનિયસ કે બૉર્ડર લાઇન જીનિયસ – કહેવા કરતાં, તેની કવિત્વશક્તિના તોલમોલ કરવા તે વધારે ઉચિત દીસે છે.
= = =
(May 2, 23 : Ahmedabad)
સૌજન્ય : સુમનભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર