વિનોદિની નીલકંઠની નવલકથા ગુજરાતના સીમાડા વીંધીને બહાર જઈ રહી છે ત્યારે અનાયાસ એક જુદું જ સ્મરણ, સહેજે પાંચ દાયકા કરતાં પણ વધુ વરસ પરનું થઈ આવે છે. દ્વારકામાં સાહિત્ય પરિષદનું જ્ઞાનસત્ર યોજાયું હતું. પ્રમુખસ્થાને જ્યોતીન્દ્ર દવે હતા ને સામેલ થયેલાઓમાં ઉમાશંકર જોશી ને સ્નેહરશ્મિ સહિતની એક નક્ષત્રમાળા આખી હતી. પણ બહેનોની સ્વાભાવિક જ અવરજવરવાળી બજારમાં અમે છાત્રયુવા મિત્રોએ જોયું તો રસ્તા પર આ નક્ષત્રમાળા કરતાં વધુ તો વિનોદિનીબહેનની નોંધ લેવાતી હતી! પરનારીઓ આ પેલાં વિનોદિનીબહેન, ‘ઘર ઘરની જ્યોત’ એ કોલમવાળાં, એવું કૌતુક માંહોમાંહે વહેંચતી હતી.
શરૂઆત નવલકથાથી કરી ન કરી અને હું સીધો કોલમકારી પર ચાલી ગયો અને આ નીલકંઠ પરિવાર તે શું અને ગુજરાતના અક્ષર-અને-જાહેર જીવનમાં એની હાજરી તે શું, એના ચપટીક ઈંગિત વાસ્તે. મારો રસ એમાંયે તવારીખની તેજછાયાની રીતે પરિવારકથા નિમિત્તે પલટાતા ગુજરાતના ચિત્રને ઉપસાવવાનો છે. આ વિનોદિની મારી સાંભરણમાં પિયરની અટકે સોહતાં, પિતાની ને પતિની, એમ બેઉ અટકની જરૂરત નહીં જોતાં પ્રથમ (અને કદાચ એકમાત્ર) સન્નારી હતાં. અધ્યાપિકા, લેખિકા, અખિલ હિંદ મહિલા પરિષદ સહિત ઘણી બધી સામાજિક-શૈક્ષણિક પ્રવૃત્તિઓમાં એ પહેલાં હતાં. મહાગુજરાત આંદોલન વખતે એમને અને રંજનબહેન જયન્તિ દલાલને સાંભળ્યાંનાં સંભારણાં આગલી પેઢીનાંને હશે પણ ખરાં.
હમણાં અખિલ હિંદ મહિલા પરિષદનો ઉલ્લેખ વિનોદિનીના જાહેર જીવન સંદર્ભે કર્યો, પણ આ પરિષદના આખા દેશના સંમેલનના અધ્યક્ષ છેક 1932માં, લખનૌ મુકામે એમનાં માતા વિદ્યાગૌરી નીલકંઠ હતાં. ગુજરાતના પ્રથમ બે મહિલા ગ્રેજ્યુએટો પૈકીનાં આ એક, વિદ્યાગૌરી લખનૌથી પાછાં ફરતાં બનારસમાં રોકાયાં ત્યારે યુનિવર્સિટીમાં એક અગ્રણી શિક્ષિત સન્નારી રૂપે એમનું ખાસ સન્માન કરવામાં આવ્યું હતું. મેં કહેતાં શું એમને વિદ્યાગૌરી કહી દીધાં, પણ દાયકાઓ લગી એ લેડી વિદ્યાગૌરી તરીકે ઓળખાતાં, કેમ કે એ સર રમણભાઈ નીલકંઠ(1868-1928)નાં પત્ની હતાં. રહો, આ સર સાહેબની દાસ્તાંમાં જઉં તે પહેલાં વિદ્યાગૌરી ને શારદાબહેનની લગીર વિલક્ષણ તારીફ કરી લઉં? 1907માં સુરતની કાઁગ્રેસમાં સામેલ થયેલા મોતીલાલ નેહરુના મનમાં આ ગુજરાતણો એવી વસી ગયેલી કે એમની હેડીની બીજી નાગરકન્યાઓ હોય તો પોતાના પરિવાર માટે પણ વિચારી શકાય! આ વાત વિનાયક નંદશંકર મહેતાએ નોંધી છે. આપણા પહેલા નવલકથાકાર નંદશંકર મહેતાના એ પુત્ર, ને એ જમાનાના આઈ.સી.એસ. અલાહાબાદમાં ઊંચી પાયરીએ રહેલા, ને નેહરુ પરિવારના મિત્ર. આ જ પરિવારમાં પછી પુપુલ જયકર આવ્યાં, ઈંદિરા ગાંધીનાં સખી.
આ વિદ્યાગૌરી ગુજરાત વર્નાક્યુલર સોસાયટી(ગુજરાત વિદ્યાસભા)ના મંત્રી ને પછી પ્રમુખ પણ રહેલાં. 1943માં એમણે ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખપદેથી આપેલા વ્યાખ્યાનમાં ગુજરાત યુનિવર્સિટી સ્થાપવા વિશે ઊહાપોહભેર જિકર કરી હતી. જોગાનુજોગ, ગુજરાતના અક્ષર જગતમાં કદાચ એક જ દંપતી, નીલકંઠ દંપતી છે, જેમાં પતિ-પત્ની બેઉ પરિષદ-પ્રમુખ બન્યાં હોય.
સરનો ખિતાબ સૂચવે છે તેમ નીલકંઠ દંપતી એકંદરે ત્યારના મવાળ સંઘાડાનાં – લિબરલ સ્કૂલનાં હતાં. સીધા રાજકીય ક્ષેત્રે નહીં એટલાં તે શૈક્ષણિક, સામાજિક ક્ષેત્રોમાં ને સુધારાની ચળવળમાં સક્રિય હતા. ‘ભદ્રંભદ્રં’ એ કેવળ હાસ્યનવલ નથી, પણ સુધારાની ચળવળનું એક અક્ષરઓજાર પણ છે. અમદાવાદની ત્યારની સુધરાઈમાં પણ રમણભાઈની સેવા બોલે છે. આ કુટુંબમાં ગાંધીપ્રવેશ થયો, પણ રમણભાઈ 1928માં ગયા ત્યાં સુધી એ લિબરલ સ્કૂલના જ રહ્યા. જો કે, 1930માં પોલીસ દમનનું જે સ્વરૂપ, ખાસ કરીને વિરમગામમાં મહિલાઓ સાથેના વ્યવહારનું, સામે આવ્યું એણે વિદ્યાગૌરીની નાગરિક ચેતના ને સંવેદનાને એવી ઝંઝેડી જરૂર કે એમણે ‘કૈસરે હિંદ’નું માન પરત કરવાપણું જોયું. પણ, એકંદર લિબરલ વલણો છતાં, નાગરિક અધિકાર બાબતે એ એવી ભૂમિકાએ ચોક્કસ પહોંચ્યાં હતાં કે 1942માં પોલીસે વિદ્યાસભાનો (પ્રેમાભાઈ હોલનો) કબજો લીધો ત્યારે ર.છો. પરીખ આદિ વરિષ્ઠ કાર્યકરોએ પોતાની રાજકીય સક્રિયતાથી વિદ્યાબહેનને મૂંઝવણમાં નહીં મૂકવા રાજીનામું આપવા વિચાર્યું પણ એમણે એમને ચાલુ રહેવા કહી કલેક્ટર સાથે વાતચીત મારફત કબજો છોડાવ્યો હતો.
મહીપતરામ રૂપરામ અનાથાશ્રમ એ નામ સૂચવે છે તેમ રમણભાઈના પિતા મહીપતરામ (1829-1891) સુધારક પ્રવૃત્તિમાં હતા. વિદેશગમનથી નાત બહાર મૂકાયા હતા. શિક્ષણ ખાતામાંયે સક્રિય હતા. પરિવાર ને સમાજમાં સ્ત્રીઓનાં સ્થાનમાન વિશેનો નીલકંઠ સંસ્કાર એમણે પોતાનાં પત્નીને જે રીતે ‘પાર્વતીકુંવર આખ્યાન’માં નિરૂપ્યાં છે એનાથી સમજાઈ રહે છે. થેલીને ધોરણસર ટિંગાડવા વાસ્તે આપણે વિનોદિની નીલકંઠરૂપ ખીંટીનો આરંભે ઉપયોગ કીધો પણ એમને મિશે તેમ એમને વિશે પણ ચાંગળુંક વાત કરવી લાજિમ છે. મિશિગન યુનિવર્સિટીમાં એમણે સમાજશાસ્ત્ર-શિક્ષણશાસ્ત્રનો અનુસ્નાતક અભ્યાસ કરેલો. અહીં વનિતાવિશ્રામમાં જવાબદારી નભાવેલી તો ગાંધીયુગમાં હોવું ને પિકેટિંગમાં ન પડવું એ તો બને કેમ. ‘કદલીવન’ તો એમની નવલ. પણ એમણે કોલમકારી ઉપરાંત વાર્તાદિ પ્રકારોમાંયે હાથ અજમાવેલો – અને ‘કાશીનો દીકરો’ એ ફિલ્મ પણ એમની વાર્તા પરથી જ. ‘કાર્પાસી’ સરખી એમની અણુકથામાં કપાસના ઉદ્ભવની, ગાંધીઘટનાને શોભીતી હૃદ્ય કલ્પના છે.
બે શબ્દો ‘કદલીવન’ નિમિત્તે, ને મારી વાત પૂરી. અહીં એની વાર્તાવિગતમાં નહીં જતાં એની બીજી આવૃત્તિ પ્રસંગે નિરંજન ભગતે કહેલી નુક્તેચીનીનો એક અંશ માત્ર જોઈશું : ‘કદલીવન’ એ ગુજરાતી ભાષામાં દલિત ચેતના અને નારી ચેતનાના સાહિત્યની નાંદી છે. આ નવલકથા 1946માં આવી હતી તે લક્ષમાં લઈએ તો ભોં ભાંગતાં રહેવાની નીલકંઠ અગ્રયાયીતા સમજાઈ રહે છે … સ્વરાજ આવવામાં છે અને લિબરલ ધારા સમતા-સ્વતંત્રતા સારુ કેવુંક સુવાણં સરજે છે એ ઇતિહાસગતિનો આ સ્વલ્પ નિર્દેશ!
e.mail : prakash.nireekshak@gmail.com
પ્રગટ : ‘કળશ’ પૂર્તિ, “દિવ્ય ભાસ્કર”; 19 ઍપ્રિલ 2023