ઇંગ્લિશ ડિક્શનરીમાં એક શબ્દ છે ‘Dickensian’, અને તેની વ્યાખ્યા આ મુજબ છેઃ ‘the environments and situations most commonly portrayed in Dickens’ writings, such as poverty and social injustice and other aspects of Victorian England’. આ વ્યાખ્યાથી કેટલાક પ્રશ્ન ઉદ્દભવે છે ઃ કોણ હતા આ ચાર્લ્સ ડિકન્સ? કેવું હતું તેમણે આલેખેલું વિક્ટોરીઅન ઇંગ્લેન્ડ? અને તે સમયમાં લખાયેલું ડિકન્સનું સાહિત્ય આજના જમાનામાં કેટલું પ્રાસ્તાવિક છે?
પર્સનલ લાઈફ = ૨૦ નવલકથાઓ ઉપરાંત ટૂંકી વાર્તાઓ, નાટક, કવિતા, નિબંધ અને કેરેકટર સ્કેચીસસ જેવું આજીવન લખતાં રહેલા ચાર્લ્સ ડિકન્સનો જન્મ ૭ ફેબ્રુઆરી, ૧૮૧૨ના રોજ પોર્ટ્સમાઉથમાં મધ્યમવર્ગીય કુટુંબમાં થયો હતો. તેમના પિતા જ્હોન ડિકન્સ નેવીની પે-ઓફિસમાં ક્લર્ક હતા. જ્હોન ડિકન્સમાં કાબેલિયત હતી અને સર્વિસમાં તેઓ ધીમે-ધીમે આગળ વધ્યા હતા, પરંતું તેમની જીવનશૈલી આવકથી વધુ ખર્ચવાળી હતી.
૧૮૧૪માં ચાર્લ્સના પિતાને નોકરી અંતર્ગત અનિશ્ચિત મુદ્દત માટે લંડન મોકલવામાં આવ્યા. બે-એક વર્ષ રાહ જોઈને ૧૮૧૭માં ડિકન્સ ફેમિલી, ચટામમાં સ્થાયી થયું હતું અને ત્યાં ચાર્લ્સ ડિકન્સના બાળપણના સુખદ દિવસો વીત્યા હતા. બાળ ચાર્લ્સને શરૂઆતનું શિક્ષણ માતા પાસેથી મળ્યું અને પછીથી તેમણે ચટામમાં જ શાળાનું ભણતર લીધું. એ સમય દરમિયાન જ તેઓએ પોતાના પિતાના પુસ્તકસંગ્રહમાંથી ટોબિઆસ સ્મોલેટ અને હેન્રી ફિલ્ડિંગ જેવા લેખકોને રસપૂર્વક વાંચ્યા હતા. એ સમય દરમિયાન ચાર્લ્સ ડિકન્સના મનમાં Gad’s Hill Palaceમાં રહેવાની મહેચ્છા પણ પ્રગટી હતી.
ડિકન્સના પિતાને લંડનની નોકરીમાંથી ૧૮૨૨માં પાછા મોકલવામાં આવ્યા અને ડિકન્સ ફેમિલીના સુખદ દિવસોનો અંત આવ્યો હતો. ‘આમદની અઠ્ઠની, ખર્ચા રૂપૈયા’વાળી જીવનશૈલીના કારણે જ્હોન ડિકન્સ ગળાડૂબ દેવામાં હતા. ચાર્લ્સની માતાએ એક સ્કૂલમાં નોકરી શરૂ કરી, આ દેવું ઘટાડવાનો પ્રયત્ન કર્યો, પરંતું દેવું તો વધતું જ ચાલ્યું. ઘરે રોજરોજ લેણિયાતોની ઉઘરાણી થવા લાગી અને ડિકન્સ કુટુંબની ઇજ્જત દિવસે-દિવસે ઘટતી ચાલી.
આવા વિષમ આર્થિક સંજોગોમાં ડિકન્સ ફેમિલી ચટામ છોડીને લંડનના કેમડન ટાઉનમાં આવી વસ્યું. બાર જ વર્ષના ચાર્લ્સ ડિકન્સનું ભણતર અટકાવી દેવામાં આવ્યું અને તેમને એક શૂ-બ્લેિકગ વેરહાઉસમાં ખૂબ જ ઓછા પગારે (અઠવાડિયાના ૬ શિલિંગ) દિવસના ૧૦ કલાક કામ કરવા માટે મોકલવામાં આવ્યા. બે અઠવાડિયા બાદ જ ચાર્લ્સના પિતાને દેવું ભરપાઈ ન કરી શકવાના કારણે જેલમાં મોકલવામાં આવ્યા. થોડા સમયમાં ચાર્લ્સની માતા અને તેમના ચાર નાના ભાઈઓને પણ એ સમયના કાયદા પ્રમાણે જેલમાં મોકલવામાં આવ્યા.
પછીના ચાર-પાંચ મહિના ચાર્લ્સના જીવનના બહુ પીડાદાયક દિવસો હતા. શરીર તોડી નાખે તેવી મજૂરી ઉપરાંત અપૂરતો ખોરાક, ઝૂંપડપટ્ટી જેવું રહેઠાણ અને એકદમ બરછટ સાથીદારોએ ચાર્લ્સના માનસને બહુ પીડ્યું. આ શરમિંદગીભરી પરિસ્થિતિએ ચાર્લ્સના સંવેદનશીલ માનસ પર પ્રગાઢ અસર છોડી હતી, પણ તેઓ ‘ડેવિડ કોપરફિલ્ડ’ના થોડાંક પાનાંઓ સિવાય જીવનપર્યંત એ અનુભવ વિષે કદી બોલ્યા નહીં. ગરીબ અને ગરીબીનો જે પ્રત્યક્ષ અનુભવ થયો, તેણે ચાર્લ્સના ઘડતરમાં મહત્ત્વનો ફાળો આપ્યો છે. એ પરિસ્થિતિને યાદ કરતાં તેમણે પોતાના બાયોગ્રાફર જ્હોન ફોસ્ટરને કહ્યું હતું ઃ ‘The blacking-warehouse was … a crazy, tumble-down old house, … literally overrun with rats. Its wainscoted rooms, and its rotten floors and staircase, and the old grey rats swarming down in the cellars, and the sound of their squeaking and scuffling coming up the stairs at all times, and the dirt and decay of the place, rise up visibly before me, as if I were there again. The counting-house was on the first floor, looking over the coal-barges and the river. There was a recess in it, in which I was to sit and work. My work was to cover the pots of paste-blacking; first with a piece of oil-paper, and then with a piece of blue paper; to tie them round with a string; and then to clip the paper close and neat, all round, until it looked as smart as a pot of ointment from an apothecary's shop. When a certain number of grosses of pots had attained this pitch of perfection, I was to paste on each a printed label, and then go on again with more pots. Two or three other boys were kept at similar duty down-stairs on similar wages. One of them came up, in a ragged apron and a paper cap, on the first Monday morning, to show me the trick of using the string and tying the knot. His name was Bob Fagin; and I took the liberty of using his name, long afterwards, in Oliver Twist.’ (from The Life of Charles Dickens)
જેલવાસના ત્રણ-ચાર મહિના બાદ જ્હોન ડિકન્સની માતા, એટલે કે ચાર્લ્સ ડિકન્સની દાદીનું મૃત્યું થયું અને તેને કારણે જે વારસો જ્હોન ડિકન્સને મળ્યો, તેનાથી દેવું ભરપાઈ કરીને તેઓ જેલમાંથી મુક્ત થઈ શક્યા. જો કે દેવું ભરપાઈ થઈ ગયા પછી પણ ચાર્લ્સને શૂ-બ્લેિકગ વેરહાઉસમાંથી તાત્કાલિક મુક્તિ ન મળી. તેમની માતાએ તેમની પાસે થોડોક વધારે સમય એ કામ શરૂ રખાવ્યું. આ બાબતની ડિકન્સના લાગણીતંત્ર પર ખૂબ જ અસર પડી હતી. તેમણે એક વાર કહ્યું હતું ‘I never afterwards forgot, I never shall forget, I never can forget, that my mother was warm for my being sent back’. તેમનો સ્ત્રીઓ પ્રત્યેનો જે ચોક્કસ અભિગમ હતો તે પણ કદાચ આ જ ઘટનાને કારણે ઘડાયો હશે.
પછીથી તેઓએ પોતાનું શિક્ષણ પૂરું કર્યું, લોયર ઓફિસમાં કામ કર્યું, શોર્ટ હેન્ડ શીખ્યા, પત્રકારત્વમાં હાથ અજમાવ્યો અને ‘પિકવિક પેપર્સ’થી નવલકથાકાર તરીકે સાહિત્યની સફર શરૂ કરી, એ તો ઈતિહાસ છે. ૪૪ વર્ષની ઉંમરે તેમણે બાળપણમાં જે Gad’s Hill Palaceમાં રહેવાનું સપનું જોયું હતું તે પણ પૂરું કર્યું. તેમની પ્રથમ નવલકથા ‘પિકવિક પેપર્સ’ માટે તો એવું કહેવાય છે કે તેણે જેટલું ઇંગલેન્ડનું ભલું કર્યું હશે, તેટલું તો બાઇબલે પણ નથી કર્યું. આ ‘પિક્વિક પેપર્સ’માં તેમણે તે સમયના ઇંગ્લેન્ડ અને તેની સમસ્યાનોએ આબાદ રીતે પ્રતિબિંબિત કર્યા છે. તેમના લેખનમાં તેમના આ અનુભવોની અસર લગભગ બધે જ જોવા મળે છે. આ ઉપરાંત તેમના સમયના ઇંગ્લેન્ડની પણ એક તાસીર હતી જેણે તેમની અનુભવ સૃષ્ટિમાં ઘણું ઉમેર્યું હતું.
તે સમયનું ઇંગ્લેન્ડ ઃ કોઈ પણ લેખકને સમજતા પહેલાં લેખક જે સમય અને પરિસ્થિતિમાં જન્મ્યા અને ઉછર્યા તે સમયને સમજવો જરૂરી બને છે. કારણ કે છેવટે તો લેખક પણ એ જ સમાજનો હિસ્સો છે ને. કેવું હતું તે સમયનું ઇંગ્લેન્ડ? ઇ.સ. ૧૭૮૯થી ૧૭૯૨ દરમિયાન થયેલું ફ્રેન્ચ રિવોલ્યુશન (ક્રાંતિ) અને ત્યાર બાદ ૧૮૧૫ સુધી ચાલેલા નેપોલિયન એરા(યુગ)ની ગંભીર અસર સમગ્ર યુરોપ પર પડી હતી. ઇંગ્લેન્ડ પણ એમાંથી કેવી રીતે બાકાત રહે? એ ફ્રેન્ચ રિવોલ્યુશનની અસર હેઠળ જ ઇંગ્લેન્ડવાસીઓએ સમાજના સ્થાપિત હિતોને ઉખાડી ફેંકીને સમાજની પુનર્રચનાના વિચારને ઉત્સાહપૂર્વક વધાવ્યો હતો. પરંતું જ્યારે ફ્રાન્સમાં હિંસા અને ભયનું સામ્રાજ્ય ચોમેર ફેલાઈ ગયું ,ત્યારે ઇંગ્લેન્ડનો ઉચ્ચવર્ગ – શાસકો અને ધનિકો – આ સ્થિતિથી ખાસ કરીને ચિંતિત બન્યા. જ્યારે બીજી બાજુ, ગરીબો અને લિબરલ (ઉદારમતી) વિચારસરણી ધરાવનારા વિચારકોને ફ્રાન્સની ક્રાંતિ અને તેના પરિણામોથી પ્રોત્સાહન મળ્યું હતું. ઇંગ્લેન્ડ જ્યારે ફ્રાન્સ સાથે યુધ્ધ કરવા ઉતર્યું ,ત્યારે ઇંગ્લેન્ડમાં આંતરિક અવ્યવસ્થા ફેલાઈ અને દમનકારી પગલાં લેવામાં આવ્યાં.
યુરોપમાં ચાલી રહેલા આ સંઘર્ષોને કારણે અંગ્રેજ પ્રજાનું જીવન ખૂબ જ મુશ્કેલીભર્યું બન્યું હતું. યુધ્ધના ખર્ચને પહોંચી વળવા પ્રજા પર જે ભારે કર નંખાયા હતા તેની સૌથી ખરાબ અસર ગરીબો પર પડી હતી. મોંઘવારી અને ખાદ્ય સામગ્રીની અછત જેવી મુશ્કેલી તો હતી જ, પણ જ્યારે પ્રશાસને પેપર કરન્સી દાખલ કરી અને તેને કારણે નાણાંકીય ફુગાવો થઈ ગયો, ત્યારે તો હાલત તેનાથી પણ ખરાબ થઈ ગઈ. ફ્રાન્સ અને તેના શત્રુઓ વચ્ચે ચાલી રહેલ લાંબા યુધ્ધના પરિણામે ઇંગ્લેન્ડનું, તૈયાર વસ્તુઓ(manufactured goods)નું બજાર તૂટ્યું હતું અને ૧૮૧૧થી ૧૮૧૩ દરમિયાન બેકારીનું પ્રમાણ ખૂબ જ વધી ગયું હતું. ૧૮૧૧માં બેકાર થયેલા લોકોનું એક ગ્રુપ (જૂથ) કે જે લ્યુિડટસ (Luddites) નામે ઓળખાતું હતું તેઓ આખા ઇંગ્લેન્ડમાં ફરીને મોટા-મોટા પ્રોડક્શન મશીનોને તોડી રહ્યું હતું કારણ કે તેઓ માનતાં હતાં કે આ મશીનોથી જ તેમનું લેબર માર્કેટ તૂટ્યું હતું.
ઇ.સ. ૧૮૧૨માં, એ વર્ષ કે જેમાં આપણા પ્રિય ચાર્લ્સ ડિકન્સનો જન્મ થયો, manufacturing equipmentનો નાશ કરનાર માટે ફાંસીની સજા જાહેર કરવામાં આવી હતી. (તે સમયે કુલ ૨૨૦ ગુનાઓ ફાંસીની સજાને પાત્ર હતા.) ૧૮૧૫માં જ્યારે નેપોલિયનનો પરાજય થયો અને તેને સેંટ હેલેનાના ટાપુ પર આજીવન કેદ કરવામાં આવ્યો, ત્યારે લોકોમાં સુખ અને શાંતિની એક આશા બંધાઈ. પણ કેવી ઠગારી હતી એ આશા! થોડા સમયમાં જ ઇંગ્લેન્ડે ક્યારે ય ન જોઈ હોય તેવી મંદી આવી અને working class આ બધામાં પીસાતો રહ્યો. ફરી એક વાર, આખા દેશમાં હિંસા અને તોડફોડ વ્યાપક બન્યા અને શાસક્વર્ગે તેનો જવાબ પ્રતિહિંસાથી વાળ્યો. આ હિંસા-પ્રતિહિંસા તેની ટોચ પર ત્યારે પહોંચી જ્યારે ૧૬ ઓગસ્ટ, ૧૮૧૯ના દિવસે આ દેશનો પોતાનો ‘જલિયાવાલાબાગ કાંડ’ થયો, જેને ‘પીટરલૂ મેસેકર’ તરીકે ઓળખવામાં આવે છે. એ દિવસે માન્ચેસ્ટરના સેંટ પિટર્સ ફિલ્ડમાં સેનાની એક ટુકડીએ જાહેર સભામાં ભેગા થયેલા શાંત અને નિ:શસ્ત્ર નાગરિકો પર ગોળીઓ વરસાવી, જેમાં ૧૧ પ્રજાજનો મૃત્યુ પામ્યાં અને ૪૦૦થી વધારે ઘાયલ થયાં. લોકોમાં હાહાકાર થઈ ગયો અને પ્રશાસને એ હિંસાનો માર્ગ છોડવો પડ્યો.
ત્યારબાદ ધીમે-ધીમે બધું થાળે પડવા માંડ્યું. ગુલામી પ્રથા નાબૂદ થવા માંડી, ટોરી પક્ષના હાથમાંથી સત્તા વ્હિગ પક્ષના હાથમાં આવ્યા બાદ, પાર્લામેન્ટરી રિફોર્મ થયું, અને બાળ-મજૂરીને લગતા કાયદા અસ્તિત્વમાં આવ્યા. ક્વિન એલિઝાબેથના સમયથી ગરીબોને, જેને એ સમયે પૉપર્સ (paupers) તરીકે ઓળખવામાં આવતા, સીધી જ નાણાંકીય મદદ મળતી હતી. આર્થિક મંદી બાદ આ સમસ્યા વધારે ગંભીર બની હતી. કેટલાયે સાજા-નરવા, તંદુરસ્ત લોકો, કે જે કામ કરી શકે તેમ હતા, તેઓ કામ કરવાને બદલે આ મદદ લેવાનું વધારે પસંદ કરવા લાગ્યા. કારણ કે કામ મળતું નહોતું અને જો મળતું તો ઓછા વળતરવાળું મળતું. સરવાળે જે નિયમિત કામ કરતાં તેમના પર આ સમસ્યાનું ભારણ કર સ્વરૂપે આવવા માંડ્યું, અને કરદાતાઓમાં અસંતોષ વ્યાપી ગયો. આ સમસ્યાનું સમાધાન લાવવા માટે ૧૮૩૪માં ‘ધ પૂઅર લૉ’ લાવવામાં આવ્યો. કાયદો ‘પૂઅર’ નહોતો, તેનું નામ હતું ‘ધ પૂઅર લૉ’. આ કાયદા હેઠળ કામ કરી શકે તેવા પૉપર્સે વર્કહાઉસમાં રહેવું પડતું અને કામ કરવું પડતું. તેમ છતાં સામાન્ય કરદાતાઓની નજરે તેઓ ઘૃણાસ્પદ હતા. આ વર્કહાઉસીઝમાં વધારે લોકો આવે નહીં અને આવેલા વધારે ટકે નહીં તે માટે વર્કહાઉસીઝમાં જીવવું ખૂબ કઠિન બનાવવામાં આવ્યું. તનતોડ કામ, અપૂરતો ખોરાક અને અમાનવીય વ્યવહાર, આ વર્કહાઉસીઝમાં રહેનારા લોકોના દૈનિક જીવનનો ભાગ બની ગયા. જો કે એની અસર પણ પડી. ૩ વર્ષમાં જ આ વર્કહાઉસીઝને નિભાવવાનો ખર્ચ ત્રીજા ભાગનો થઈ ગયો. પણ આ વર્કહાઉસીઝમાં રહેનારા દરેક લોકો આ સિસ્ટમનો ગેરલાભ ઊઠાવવા નહોતા આવતા. જેમ સૂકા જોડે લીલું બળે તેમ ખરેખર આ મદદની જરૂરત હતી, તેઓનું જીવન આ બધાના કારણે ખૂબ દુષ્કર બની ગયુ હતું. ચાર્લ્સ ડિકન્સની બીજી જ નવલકથા ‘Oliver Twist’નું કથાબીજ અહીંથી રોપાય છે.
આટલી ઐતિહાસિક પશ્ચાદભૂમિની મદદથી ડિકન્સના સમયના ઇંગ્લેન્ડને બરાબર સમજી શકાય તેમ છે. ક્વિન વિક્ટોરિયા, કે જેના નામથી એ સમયને ‘વિક્ટોરીઅન એજ’ તરીકે ઓળખવામાં આવ્યો. જ્યારે ૨૦ જૂન, ૧૮૩૭ના રોજ તે સત્તાધીન થયાં, ત્યારે આપણા પ્રિય ચાર્લ્સ ડિકન્સ પચીસ વર્ષના હતા. તેમના ‘પિકવિક પેપર્સ’ પ્રસિદ્ધ થઈ રહ્યાં હતા અને તેઓ ધીમે-ધીમે લોકપ્રિય થઈ રહ્યા હતા.
ઓલિવર ટ્વિસ્ટ ઃ હમણાં જ જેની વાત કરી, એવા એક વર્કહાઉસમાં ઑલિવર ટ્વિસ્ટનો જન્મ થાય છે અને જ્યારે ઑલિવર પહેલો શ્વાસ લે છે ત્યારે તેની માતા અંતિમ શ્વાસ લે છે. પિતા કોણ છે તેની તો જાણ પણ નથી હોતી માટે ઑલિવર ટ્વિસ્ટને એ વર્કહાઉસમાં જ રાખવામાં આવે છે. ઑલિવર ટ્વિસ્ટ નામ કોણે પાડ્યું તેના જવાબમાં Mr Bumble (ટ્રાન્સફોર્મરવાળા નહીં) સગર્વ જવાબ આપે છે ઃ ‘I, Mrs. Mann. We name our fondlings in alphabetical order. The last was S, – Swubble, I named him. This was a T, – Twist, I named him. The next one as comes will be Unwin, and the next Vilkins.’ કેવું સંવેદનાહીન! અનાથ બાળકો તેમના માટે alphabetical order છે.
આ બાળકોને ખાવા માટે શું આપવામાં આવતું? એક નાનકડી વાટકી જેટલી રાબ. (gruel) એ વાટકી વિશે ડિકન્સે પોતાની આગવી શૈલીમાં લખ્યું છે ઃ ‘The bowls never wanted washing. The boys polished them with their spoons till they shone again; and when they had performed this operation (which never took very long, the spoons being nearly as large as the bowls) ….’ આવી ભૂખમરા જેવી પરિસ્થિતિમાં બધાં અનાથ બાળકો અંદર-અંદર ચર્ચા કરી નક્કી કરે છે કે આપણે થોડું વધારે ખાવાનું માંગવું જોઈએ. પણ બિલાડીના ગળે ઘંટ બાંધશે કોણ? છેવટે તેના માટે ચિઠ્ઠીઓ નાખવામાં આવે છે (to draw lots) અને તેના દ્વારા એવું નક્કી થાય છે કે એ કામ ઑલિવર કરશે. (આખી નવલકથામાં ઑલિવર કોફિન મેકરને ત્યાંથી ભાગી જવા સિવાય ક્યારેય કશું જ નક્કી નથી કરતો. બધું જ તેના નસીબ કે હિતેચ્છુઓ દ્વારા જ નક્કી થતું હોય છે.) એટલે ઑલિવર એ દિવસે સાંજે ચમચી જેવડી વાટકીની રાબ પીધા પછી કહે છે ઃ ‘Please, sir, I want some more.’ બસ, આ જ એનો ગુનો. એક ચમચી રાબ વધારે માંગવા માટે તેને જે સજા કરવામાં આવે છે તેની કલ્પના પણ ન કરી શકાય. જે પોતે માતા કે પિતા બન્યા છે તે જાણે છે કે બાળકને એક ચમચી વધારે ખવડાવવા માટે મા-બાપ કેટલાં કાલાંવાલાં કરતાં હોય છે અને જે હજી માતા કે પિતા બન્યા નથી તેમને પોતાનાં બાળપણમાં એક ચમચી વધારે ખાવા માટેની માતા-પિતા લડાવેલા લાડ તો યાદ જ હશે. પણ આ અનાથ ઑલિવરને લાડ લડાવે કોઈ ક્યાં હતું? (આ ‘Please, sir, I want some more.’વાળું દ્રશ્ય વિશ્વ સાહિત્યમાં લખાયેલા સૌથી યાદગાર દ્રશ્યોમાંનું એક છે. આપણે બધાએ સ્કૂલે કે કૉલેજમાં ક્યાંકને ક્યાંક તો એ વાંચ્યું જ હશે.) તેને તો એક ચમચી રાબ વધારે માંગવા માટે આ વર્કહાઉસમાંથી કાયદેસર કાઢી મૂકવાનો નિર્ણય લેવાયો. તેના માટે જાહેરાત મૂકવામાં આવી કે જે વ્યક્તિ આ છોકરાને પોતાના ઍપ્રિન્ટિસ તરીકે લઈ જશે તેને વર્કહાઉસ તરફથી પાંચ પાઉન્ડ આપવામાં આવશે. અને છેવટે તેને કોફિન બનાવનારાના Mr Sowerberryના ઍપ્રિન્ટિસ તરીકે વર્કહાઉસની બહાર મોકલી દેવામાં આવે છે.
ત્યાં પણ તેની સાથે ખૂબ જ ખરાબ વર્તન કરવામાં આવે છે. ઓલિવર ખૂબ જ સંવેદનશીલ બાળક છે. ડિકન્સે તેના માટે લખ્યું છે ઃ ‘Oliver, instead of possessing too little feeling, possessed rather too much.’ જ્યારે એક દિવસ ઑલિવરની માતાનું ઘોર અપમાન કરવામાં આવે છે, ત્યારે આ સંવેદનશીલ બાળક ત્યાંથી ભાગી નીકળે છે. લંડન આવીને તે આર્ટફુલ ડોજર દ્વારા ફેગિનના શિકંજામાં સપડાય છે જે તેને પાકીટમાર અને ચોર બનાવવાનો પ્રયત્ન કરે છે. (લાગે છે ને કોઈ હિન્દી ફિલ્મની વાર્તા જેવું!) પછી તેને કિસ્મત ક્યાં-ક્યાં ઢસડી જાય છે અને શું-શું કરાવે છે તે તો બહુ લાંબી વાત છે. પણ અંતમાં ‘All’s well that ends well’ આવે છે. ઑલિવરને જેટલા ખરાબ માણસો મળ્યા છે તેટલા જ સારા માણસો પણ મળે છે અને ટિપિકલ ડિકન્સીઅન સ્ટાઇલમાં સારાને અંતે સારુ અને ખરાબને અંતે ખરાબ મળે છે. Poetic justiceની જેમ જ બધા પોતપોતાનાં કર્મોનું ફળ પામે છે. ઑલિવર ઉપરાંત ચાર્લ્સ ડિકન્સે મિસ્ટર બમ્બલ, આર્ટફુલ ડોજર, ફેગિન, નેન્સી, સાઇક્સ, મોન્ક્સ જેવાં ઘણાં યાદગાર પાત્રો સર્જ્યા છે.
Characters from real life : અહીં એક નાનકડી આડવાત અપ્રસ્તુત નહીં ગણાય. ચાર્લ્સ ડિકન્સે પોતાની નવલકથાઓ અને ટૂંકી વાર્તાઓમાં ૪૦૦થી વધારે પાત્રોનું સર્જન કર્યું છે અને તેમના પાત્રોમાંથી અમુક નામ તો ખૂબ જ યાદગાર અને અર્થસૂચક બની ગયા છે. જેમ કે ‘ક્રિસમસ કેરોલ’માં તેમણે સર્જેલ Scroogeનું નામ હવે કંજૂસ શબ્દનો સમાનાર્થી શબ્દ બની ગયો છે. ‘લેખકને આટલા બધા પાત્રો અને તેના નામની પ્રેરણા ક્યાંથી મળતી હશે?’ એવા સવાલ સાથે રુથ રિચર્ડસન નામની એક અન્વેષકે થોડુંક સંશોધન કર્યું છે. [Dickens and the Workhouse: Oliver Twist and the London Poor, by Ruth Richardson (Oxford University Press)]
ડિકન્સ જ્યારે ૧૭થી ૨૦ વર્ષની ઉંમરે મેર્લિબૉન સ્ટ્રીટ પર રહેતા હતા ત્યારે તેમના ઘરથી થોડેક જ દૂર એક દીવા માટે તેલ અને ટૅલો વેચતો વેપારી હતો, જેનું નામ હતું William Sykes જેના પરથી ‘ઑલિવર ટ્વીસ્ટ’ના Bill Sikes નું સર્જન થયું હોય. નજીકમાં જ બીજા એક વેપારી હતો Goodge જેને તે સમયે લોકો કંજૂસ કહીને હસતા હતા. ‘ક્રિસમસ કેરોલ’ના કંજૂસ Scroodge કદાચ અહીંથી જન્મ્યા હશે. ત્યારે Marley નામક ચીઝ બનાવનાર પણ ત્યાં જ હતા, જે કદાચ ‘ક્રિસમસ કેરોલ’ના Mr Marley બન્યા હોય. નાનકડી કોર્નર શોપની ઉપરનું ડિકન્સનું જે 10, Norforlk Street નું ઘર હતું (જે હવે 22 Cleveland Street થઈ ગયું છે.) ત્યાંથી આ બધા વેપારીઓ એકદમ નજીકમાં જ હતા. સૌથી અગત્યની વાત એ કે ડિકન્સના આ ઘરથી માત્ર નવ બારણા દૂર જ એક વર્કહાઉસ પણ હતું, જેને ‘ઑલિવર ટ્વિસ્ટ’ની પ્રેરણા માનવામાં આવે છે. ત્યાં જ એક વીશી ચલાવનારા Mr Sowerby પણ હતા, જે ‘ઑલિવર ટ્વિસ્ટ’ના Mr Sowerberry હોઈ શકે. તે સમયના ડિકન્સના ઘરની સામે જ Dan Weller નામની વ્યક્તિની બૂટની દુકાન હતી અને ‘પિકવિક પેપર્સ’ના Mr Sam Weller પણ બૂટ જ ચમકાવતા હતા. આટલી બધી સમાનતાઓ એમ સૂચવે છે કે આ માત્ર coincidence ન હોય.
ઇંગ્લેન્ડ અને ડિકન્સ ઃ આપણે આગળ નોંધ્યું તેમ ડિકન્સના સમયના ઇંગ્લેન્ડમાં પ્રજા પર ભારે કર, નાણાંકીય ફુગાવો, ઇંગ્લેન્ડે ક્યારેય ન જોઈ હોય તેવી મંદી, સાજા-નરવા લોકો દ્વારા ગરીબો-અશક્તોને મળતી મદદનો થતો દુરુપયોગ (benefit frauds), બેકારી, ધનિકોનું વર્ચસ્વ અને મધ્યમવર્ગ તથા ગરીબોનો સંઘર્ષ આ બધું જ હતું. આજના ઇંગ્લેન્ડમાં આમાંથી શું નથી?
ગરીબ અને ગરીબીની વાત ડિકન્સે તો જાતે અનુભવી હતી અને માટે જ તેઓ આજીવન એ મુદ્દાને વારંવાર ઉઠાવતા હતા. ડિકન્સના મૃત્યુના ૧૪૨ વર્ષ બાદ, આજે પણ, સામાજિક વ્યવસ્થા એ જ છે. ગરીબો વધુ ગરીબ થતાં જાય છે, ધનિકો વધુ ધનવાન થતાં જાય છે અને મધ્યમવર્ગ તે બન્ને વચ્ચે પીસાતો જાય છે. ડિકન્સના સમયમાં ઇંગ્લેન્ડના ફ્રાંસ સાથેના યુદ્ધનો ખર્ચ કાઢવા પ્રજાજનો પર ભારે કર નંખાયા હતા. અત્યારે અફઘાનિસ્તાન સાથે લડવા પ્રજા પર કર નંખાય છે. બીજું બધું તો છોડો પણ જેમનો શાહી ઠાઠ અને લક્ઝરીઓ કરદાતાઓના રૂપિયા વડે પોષાય છે, એવા Royal familyના ડાયમન્ડ જ્યુબિલી સેલીબ્રેશનમાં ડિકન્સને પણ ભૂલી જવામાં નથી આવ્યા? વેસ્ટમિન્સ્ટર એબેમાં આવેલી ડિકન્સની કબર પર બે-ચાર ફૂલ ચડાવી દીધા, બ્રિટીશ મ્યુિઝયમમાં એકાદ શો ગોઠવી દીધો અને આપણા જેવા થોડાક રસિકોએ ભેગા થઈને તેમને એકાદ-બે કલાક સ્મરી લીધા ! પણ ડિકન્સે ઉઠાવેલ પ્રશ્નોનું શું?
ડિકન્સ અને ભારતઃ તેમણે ઉઠાવેલા પ્રશ્નો અત્યારે એશિયા, આફ્રિકા અને લેટિન અમેરિકામાં એટલા જ દાહક છે, જેટલા એક સમયે ઇંગ્લેન્ડમાં હતાં. ભારતના સંદર્ભે તો એમ પણ કહી શકાય કે અત્યારે ડિકન્સ ભારત માટે જેટલા રેલેવન્ટ છે એટલા કદાચ ઇંગ્લેન્ડ માટે નહીં હોય. આમ પણ ભારતમાં ડિકન્સનો અભ્યાસ ઇંગ્લેન્ડ પહેલાં શરૂ થયો હતો. ભારતમાં જ્યારે બ્રિટિશ રુલ હતું ત્યારે બ્રિટિશ ઓફિસર્સને તેમની અને તેઓએ જેની પર શાસન ચલાવવાનું હતું તે પ્રજાની વચ્ચે સંવાદ સાધી શકે તેવા લોકોની જરૂર હતી. તેમાં માત્ર અંગ્રેજી અને સ્થાનિક ભાષાનું જ્ઞાન હોવું પૂરતું નહોતું. તેઓને એવી વ્યક્તિઓ જોઈતી હતી કે જે ભારતમાં જન્મ્યા-ઉછર્યા હોય, સ્થાનિક ભાષાની સાથે તેમની મુશ્કેલીઓ સમજતા હોય, અંગ્રેજી ભાષા જાણતા હોય પણ જેમનો ટેસ્ટ બ્રિટિશ હોય. તો જ તેઓ બ્રિટિશ રુલને વફાદાર રહીને કામ કરે. બ્રિટિશ કલ્ચર, બ્રિટિશ પ્રાઇડ અને બ્રિટિશ ટેસ્ટ એ કોઈ ક્લાસીસમાં શીખવા-શીખવવાની વસ્તુ તો છે નહીં. એ માટે શિક્ષણમાં બ્રિટિશ લિટરેચર દાખલ કરવામાં આવ્યું હતું. જે સમયે ઇંગ્લેન્ડમાં ડિકન્સ માત્ર મનોરંજનાર્થે વંચાતા તે સમયે ભારતમાં તેમનો પદ્ધતિસરનો અભ્યાસ થતો હતો. માટે ભારતીય સાહિત્ય અને સમાજ પર ડિકન્સની નોંધપાત્ર અસર જોવા મળે છે. આજે દરેક ગુજરાતી વર્તમાનપત્ર અને સામાયિકના અભિન્ન હિસ્સા જેવું બની ગયેલ ધારાવાહિક નવલકથાનું એક પ્રકરણ ચાર્લ્સ ડિકન્સના ખોળે અવતરેલ છે. આવી રીતે ધારાવાહિક નવલકથા લખનાર એ પ્રથમ સાહિત્યકાર હતા. આજે અહીં ઇંગ્લેન્ડમાં એ જોવા નથી મળતું પણ ડિકન્સે શરૂ કરેલી એ પરંપરા આપણા ગુજરાતે હજી પણ ચુસ્તપણે સાચવી રાખી છે.
‘ઑલિવર ટ્વિસ્ટ’માં જો ભારતને શોધવાનો પ્રયત્ન કરીએ તો એ ઠેર ઠેર મળી આવશે. બીજા જ પ્રકરણમાં ઑલિવરના જન્મ બાદ વર્કહાઉસ અને પૅરિશ સત્તા વચ્ચે તે બાળકની જવાબદારી માટે મંથરગતિએ પત્રવ્યવહાર થાય છે અને બાળકનું શું કરવું તેનો નિવેડો ૧૦ મહિના સુધી આવતો નથી. ૧૦ મહિના બાદ છેવટે બાળકને ‘બેબી ફાર્મ’(અનાથાશ્રમ)માં મૂકવાનો નિર્ણય લેવામાં આવે છે. બેબી ફાર્મની સંચાલક Mrs Mann આ બાળકો માટે તેને આપવામાં આવતા સ્ટાઇપેન્ડમાંથી મોટાભાગનું પોતાના માટે રાખી લેતી દર્શાવવામાં આવે છે. આ ઘટનાઓ ભારતમાં ચાલતી બ્યુરોક્રસી અને ભ્રષ્ટાચારની યાદ અપાવશે. દસેક વર્ષના ઑલિવરને Mr Sowerberryને ત્યાં એપ્રિન્ટિસ તરીકે મૂકવામાં આવે છે અને તેની પાસે ખૂબ જ કામ કરાવવામાં આવે છે. ભારતમાં બાળ મજદૂરીને લગતા કાયદા હોવા છતાં આપણને ચાની કિટલીએ, રેલવે સ્ટેશન પર કે નાની-નાની દુકાનોમાં કામ કરતાં બાળકો ઠેર-ઠેરે જોવાં મળે છે. પ્રકરણ ૧૨ અને ૧૩માં ન્યાયપાલિકાની વાત છે. તેમાં જેલમાં પૂરાયેલા એક ગુનેગારની વાત આવે છે જેને વાંસળી વગાડવા માટે સજા કરવામાં આવ્યાની વાત છે. તેને જેલની સજા આપતી વખતે ન્યાયાધીશ Mr Fang કહે છેઃ ‘He had so much breath to spare, it would be much more wholesomely expended on the treadmill than in a musical instrument.’ પ્રકરણ ૫૦માં થેમ્સની બાજુમાં આવેલી ઝૂંપડપટ્ટીનું (Jacob’s Island) વર્ણન આવે છે (‘every imaginable sign of desolation and neglect.’) જે સહજપણે મુંબઈની ધારાવી ઝૂંપડપટ્ટીની યાદ અપાવી દે છે. Working Classને પડતી મુશ્કેલીઓ અને ઝડપથી થઈ રહેલું Urbanisation પણ ડિકન્સે તેમની નવલકથાઓમાં આલેખ્યું છે અને આજના ભારતના સંદર્ભે એ બહુ જ વાસ્તવિક છે.
પણ બધી નકારત્મક વાતો જ માત્ર ભારતની યાદ અપાવે છે તેવું નથી, સકારાત્મક બાબતો પણ ભારતની યાદ અપાવે તેમ છે. Faginના શિકંજામાંથી છૂટેલા ઑલિવરને અજાણ્યા લોકો જ આશરો આપે છે. અજાણ્યાને આશરો આપવો કે ભૂખ્યાની ભૂખ ભાંગવી જેવા આજના ઇંગ્લેન્ડમાં ભાગ્યે જ જોવા મળતા સદ્દગુણો ભારતના ઘરે-ઘરમાં આજે પણ જોવા મળે છે.
‘ઑલિવર ટ્વિસ્ટ’ વાંચતી વખતે ધ્રુવ ભટ્ટની ‘કર્ણલોક’ વારે-વારે યાદ આવતી હતી. તેમાં નિરૂપાયેલ અનાથાશ્રમ અને અનાથ બાળકની કરૂણતા તેને ‘ઑલિવર ટ્વિસ્ટ’ની બહુ જ નજીક લાવીને મૂકી દે છે. ભારતમાં અંગ્રેજીમાં લખતા તત્કાલિન લેખકોમાં વિક્રમ શેઠ અને વિકાસ સ્વરૂપને ડિકન્સીઅન નવલકથાકારો ગણવામાં આવે છે કારણ કે તેઓ માત્ર વાર્તા લખીને અટકી નથી જતાં પણ એ વાર્તામાં જ ભારતના કેટલાયે પ્રશ્નો ગૂંથીને રજૂ કરે છે. વિકાસ સ્વરૂપના એક પુસ્તક ‘Q & A’ (Questions and Answers) પરથી હોલિવુડમાં બનેલ મૂવી ‘Slumdog Millionaire’ તો આપ સૌ એ જોઈ જ હશે. તેમાં પણ બાળમજૂરી, ગરીબીમાંથી ઉત્પન્ન થતા અપરાધીઓ અને એવી ઘણી બધી વાતો છે જે વિકાસ સ્વરૂપના ડિકન્સીઅન સ્વરૂપને આપણી આંખ સામે બહુ સારી રીતે ઉજાગર કરે છે.
હોલિવુડની વાત આવી છે, તો સાથે-સાથે એમ પણ કહેવાનું મન થાય છે કે ડિકન્સને વાંચતી વખતે બોલિવુડની યાદ આવ્યા વગર નહીં રહે. બોલિવુડની જે લાક્ષણિકતાઓ છે, જેમ કે melodrama, છૂટા પડ્યા અને મળ્યા, બુરાઈ પર સચ્ચાઈનો અંત, આવું બધું ડિકન્સની નવલકથાઓને અભિન્ન હિસ્સો છે. બોલિવુડના સુવર્ણયુગની કેટલીય મૂવીઝમાં ડિકન્સીઅન ક્વોલિટી જોવા મળે છે.
એક સમય હતો કે જ્યારે ભારતની દરેક સ્કૂલ અને કૉલેજમાં ડિકન્સનું કોઈ ને કોઈ પુસ્તક અભ્યાક્રમમાં રહેતું જ. પણ નવી પેઢી, કે જેને આખું જગત એક ક્લિકવગું છે, તે હવે થોડીક આગળ વધી છે. એ ડિકન્સને વાંચે છે, સમજે છે, ડિકન્સ સાથે connect પણ કરે છે. તેમ છતાં ડિકન્સથી પણ આગળ વધીને જગત સાહિત્યના કેટલાયે રત્નોને તેમને સુલભ છે. ઉપરાંત સમાજમાં પુસ્તકોનું જે સ્થાન હતું, જે દરજ્જો હતો, તે ધીમે-ધીમે નીચે આવતો જાય છે. વાંચનનો શોખ ઘટતો જાય છે. નવું પુસ્તક પ્રગટ થયાં બાદ તેના પરથી બનનારી મૂવીની રાહ વધારે આતુરતાથી જોવાય છે. એટલે નવી પેઢી માટે ડિકન્સ એક icon નહીં પણ એક author છે. તેમ છતાં ડિકન્સ આજના ઇંગ્લેન્ડ, ભારત કે અન્ય કોઈ પણ દેશમાં એટલા જ પ્રસ્તુત છે જેટલા બે શતાબ્દી પહેલા હતા.
કાર્લ માર્કસના ડિકન્સ વિશેના એક અવતરણ સાથે વિરમું છું. કાર્લ માર્કસે કહ્યું હતુ ં: ‘He present splendid brotherhood of fiction-writers in England whose graphic and eloquent pages have issued to the world more political and social truths than have been uttered by all the professional politicians, publicists and moralists put together.’
(ગુજરાતી સાહિત્ય અકાદમી તેમ જ હૅરો કાઉન્સિલના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા, ડિકન્સ દ્વિ-શતાબ્દી અવસર પ્રસંગે, રજૂ થયેલું વક્તવ્ય)
e.mail : chiragthakkar.jay@gmail.com