આજની ગઝલના પાયામાં પરંપરાની ગઝલ છે, એ વાતનો ઇન્કાર થઈ શકે તેમ નથી. ગઝલનો જે હુતાશન હમણાં પ્રજ્જ્વળી રહ્યો છે તેમાં કેટલાયે સંનિષ્ઠ ગઝલકારોએ પોતાનું સમિધ આપ્યું છે. કેટલીક વાર એવું બને કે ઘણાં ય નામોનો પુનરોચ્ચાર થતો રહે અને કેટલાંક નામ ભુલાતાં જ રહે. આવું એક નામ છે, કવિ ‘રાઝ’ નવસારવીનું. મૂળ નામ સૈયદ સગીર અહમદ અલીજાન. તા.૯ ડિસેમ્બર, ૧૯૩૫ના રોજ નવસારી મુકામે જન્મેલા અને તેને જ પોતાની કર્મભૂમિ બનાવીને રહેલા આ કવિ વ્યવસાયે શિક્ષક રહ્યા. ઇયત્તા અને ગુણવત્તાની દૃષ્ટિએ ગઝલસર્જનમાં માતબર એવા ‘રાઝ’ સાહેબ વિશે વાત કરવાનો ઉપક્રમ અહીં છે.
‘ઊર્મિનાં શિલ્પ’ નામે તેમનો પ્રથમ ગઝલસંગ્રહ ડિસેમ્બર, ૧૯૮૨ માં મળે છે. તેની બીજી આવૃત્તિ ૧૯૯૭માં થાય છે. આ સંગ્રહની પ્રથમ આવૃત્તિમાં સર્વશ્રી ઉશનસ્, હરીન્દ્ર દવે, બરકત વિરાણી ‘બેફામ’ અને ‘મરીઝ’નાં નિવેદનો મળે છે. બીજી આવૃત્તિમાં ચંદ્રકાન્ત પંડ્યા, ભગવતીકુમાર શર્મા, મુસાફિર પાલનપુરી, હનીફ મહેરી અને અદમ ટંકારવીએ તેમની ગઝલો વિશે લખ્યું છે. એક મરમી ગઝલકાર તરીકે તેમણે ઉપાસેલી ગઝલ-ખેવનાને સૌની દાદ મળી છે. ભગવતીકુમાર શર્મા ‘રાઝ’ની ગઝલને શબરીનાં ચાખી ચાખીને નાણેલાં બોર સાથે સરખાવે છે. ‘મુશાયરામાં વાહ વાહ થાય તે માટે તેમણે ગઝલનું ધોરણ કદી નીચું રાખ્યું નથી’, એમ કહેતા ચંદ્રકાન્ત પંડ્યા એમને ‘ચીંથરે વીંટેલું રતન ’કહે છે અને અદમ ટંકારવી કહે છે કે તેમના આ શેરને શ્રોતાઓ સમક્ષ વારંવાર રજૂ કરવો પડે :
તારા મિલનની શક્યતાઓ જીવંત રાખવા
પેદા કરું છું રોજ હું અવસર નવા નવા
હનીફ મહેરી આ જ આવૃત્તિમાં તેમના ચુનંદા શેરની આખી યાદી આપે છે. હરીન્દ્ર દવે કહે છે, ‘ગઝલ તર્કગમ્ય નથી પણ લાગણીથી પામી શકાય એવી છે એની પ્રતીતિ ‘ઊર્મિનાં શિલ્પ’માં આપણને ઠેર ઠેર મળે છે. ’(પૃ. ૨૨, ’ઊર્મિનાં શિલ્પ’, બીજી આવૃત્તિ)
તેમના આ પ્રથમ સંગ્રહમાં પ્રચલિત રદીફ-કાફિયાથી નવીન અર્થ પ્રગટાવવામાં તેમનો કલા-ઉન્મેષ પ્રગટ થતો જોવા મળે છે. શબ્દ પ્રત્યેની તેમની જિકર આ શેરમાં કેવી પ્રગટ થઈ છે તે જુઓ : દુનિયા તો મારે માટે નિરાકાર થઈ ગઈ
છે આંખ સામે ફક્ત એક આકાર શબ્દનો (પૃ. ૩૧)
‘કોણ માનશે’ની પ્રચલિત રદીફમાં તેમણે કરેલું કામ જુઓ.
શ્રદ્ધાને મારી જેના થકી બળ મળી ગયું
એ એમના નકાર હતા કોણ માનશે? (પૃ. ૩૭)
ધર્મ અને સંપ્રદાયને લીધે થતી ગૂંચવણ અને ભીડને લઈને કવિ કહે છે,
સૂઝયું જ નહીં ‘રાઝ’ કયા રાહથી જવું
રસ્તા ઘણા જતા હતા તે ઘરની આસપાસ (પૃ. 38)
જીવનમાં દુ:ખની પણ મહત્તા છે એમ સ્વીકારતાં કવિ લખે છે,
કહેવાય છે કે સ્વર્ગમાં સુખ વિણ કશું નથી
માફક શી રીતે આવશે ત્યાંની હવા મને ? (પૃ. 41)
કવિની ફકીરી બતાવતો આ શેર જુઓ
એથી વધુ જરૂર નથી એનું ભાન છે,
નીચે ધરા છે માથા ઉપર આસમાન છે. (પૃ. 48)
‘મને ખ્યાલ પણ નથી’ ,’મને કંઈ ખબર નથી’, ‘રસ્તો’, ‘શું થશે?’, ;મુકદ્દરની વાત છે’, જેવા જાણીતા રદીફ અને પરંપરાના ગઝલકારો દ્વારા વપરાયેલા કાફિયાને ઉપયોગમાં લઈને પણ આ કવિ નિજી મિજાજ પ્રગટાવવાનો પ્રયત્ન આદરે છે, જે પરંપરાને આત્મસાત કરવાની તેમની ખેવના બતાવે છે. પરંતુ નોંધવાનું એ છે કે આ તો કવિની શરૂઆત છે. ઊર્મિનાં શિલ્પ કંડારવાની શરૂઆત કરતા આ કવિ ત્યાર પછી ઊર્મિની ઇમારત ખડી કરવા સુધી પહોંચ્યા છે, જે તેમની ગઝલનિષ્ઠા બતાવે છે. તેથી જ તેઓ લખે છે,
જીવિત છે મારા ઉરમાં તપસ્વીની આસ્થા
બહાનું તમારી પાસ છે કેવળ કદાચનું
નીકળ્યો છું ખાલી હાથ ઉઘાડા ચરણ લઈ
જોવું છે ‘રાઝ’ કેટલું છે બળ કદાચનું (પૃ. 87)
ગઝલશાસ્ત્રની પૂરી જાણકારી,ભાષા પરનું પ્રભુત્વ, ઊર્મિશીલ ભાવજગત, સર્જકસભાનતા, સાધના, સંયમ, નિસ્બત તથા કાવ્યત્વને સિદ્ધ કરવા તરફની ગતિને સાથે રાખીને આ કવિએ ઉત્તરોત્તર પ્રગતિ સાધી છે. પોતે જેટલું લખ્યું તે બધું જ સંગ્રહમાં સમાવવાનું તેમનું વલણ નથી. વિપુલ પ્રમાણમાં લખતા સર્જકોમાં તેમની ગણના ન થાય તો કઈ નહીં, પણ તેઓ પોતે પસંદ કરેલી કેડી પર જ ચાલ્યા છે.
ઇ.સ. 2000માં તેમની પાસેથી ‘ઊર્મિનાં મોતી’ નામે સંગ્રહ મળે છે, જેમાં સો મુક્તકો અને એંશી તઝમીન સંગ્રહાયા છે. તેમના સમકાલીન કવિ સ્વ. મનહરલાલ ચોક્સીનું નિવેદન તેમાં મળે છે, જેમાં તગઝ્ઝુલ અને તસવ્વુફ બંને રંગને ન્યાય આપતા એક મુક્તક તરફ તેઓ આપણું ધ્યાન ખેંચે છે :
હું ય જાણું છું એ નથી સહેલું
પામવું એને એક સમસ્યા છે
દિલના ઊંડાણમાંથી પ્રગટેલી
કિંતુ મારી એ તીવ્ર ઇચ્છા છે (પૃ. 19)
પ્રણયરંગનું દેખાતું અને અધ્યાત્મરંગથી રસાયેલું આ મુક્તક કવિની ભીતરની મથામણને બરાબર પ્રગટ કરી રહે છે.
કવિની ભાવનાશીલતા આ મુકતકમાં કેવી પડઘાય છે !
ક્યાં કોઈ એક બનાવ બોલે છે
આયખાનો અભાવ બોલે છે
આજ સંયમની વાત ના કરશો
લાગણીનો ઝુકાવ બોલે છે (પૃ. 35)
ગઝલમાં અપેક્ષિત છે તે વેધકતા તેમની ઘણી રચનાઓમાં જોવા મળે છે.
મનને ગમે ના એવી હવા હોઈ પણ શકે
માણી શકો તો એની મઝા હોઈ પણ શકે
એની અસર થયા વિના કે’વાય ના કશું
જેને ગણો છો ઝેર, દવા હોઈ પણ શકે (પૃ. 41)
તઝમીન એ કાવ્યનું એવું સ્વરૂપ છે, જેમાં બીજા ગઝલકારની ભોંય પર પોતાની સુગંધ પ્રગટાવવાની હોય છે. આ પ્રકારમાં સફળતા સર કરવાનું સૌનું ગજું નથી. ‘રાઝ’સાહેબે મરીઝ, શયદા, સૈફ, ગનીથી માંડીને રઈશ મનીઆર સુધીના શાયરો પર અને તે ય તેઓના જાણીતા શેર પર સફળતાપૂર્વક તઝમીન કરી છે.
કવિ અદમ ટંકારવીના શેરની કેવી બખૂબી તઝમીન તેમણે કરી છે !
લાગશે તમને અતિશયતા ઘણી
કિંતુ ઘટના એ ચમત્કારી હતી
તે હતી એક દિલની મીઠી છોકરી
જ્યાં સુકાવા નાખી એણે ઓઢણી
લીમડાની ડાળ મીઠી થઈ ગઈ (પૃ. 62)
મૂળ કવિના શેરને ગળે લગાડીને જ તઝમીન થઈ શકે જે તેમણે કુશળતાપૂર્વક કરી બતાવ્યું છે. મરીઝ સાહેબના શેરને અર્થસઘન બનાવતી આ તઝમીન પણ જોઈએ :
હું જ પોતાને વહન કરતો રહું
કોણ છે મારા સમું જેને કહું
કોઈ કેડી પણ નથી કે ત્યાં વળું
લાખ ચિંતામાં છું હું કોને મળું?
સૌ કહે છે આપ મોંઘા થઈ ગયા (પૃ. 46)
ગઝલના માર્ગ પર ત્રીજા પડાવરૂપે મળે છે તેમનો સંગ્રહ ‘ઊર્મિની ઈમારત’. લગભગ પંચ્યાશી જેટલી રચનાઓ અહીં મળે છે. કવિ ઉશનસ્ અને જયંત પાઠકની પ્રસ્તાવના ધરાવતા આ સંગ્રહમાં કવિ અઝીઝ ટંકારવી પણ પોતાનો સ્વર ઉમેરે છે. ‘રાઝ’ સાહેબનો આ શેર જુઓ :
કોઈ મરમી આંખ વાંચે એટલી આરત રહી
બસ અઢી અક્ષર લઈને ઉંબરે બેઠા છીએ. (પૃ. 21)
જુદું કરી બતાવવા માટેની મહાત્ત્વાકાંક્ષાનો અભાવ, અંતર્મુખી સ્વભાવ તથા માત્ર અને માત્ર શબ્દની જ ઉપાસના કરવાની તત્પરતાને કારણે તેઓ નેપથ્યમાં જ રહ્યા. આમ છતાં ગઝલવિશ્વના મંચ ઉપર તેમનું પ્રદાન ઉવેખી શકાય નહીં. અનુભૂતિની સચ્ચાઈ, અધ્યાત્મરંગ, અર્થગાંભીર્ય, બળકટ કથયિતવ્ય, પૌરાણિક સંદર્ભો, ગઝલને અનુરૂપ અદબ તથા વ્યક્તિત્વની ગુણસંપત્તિને પ્રગટ કરતાં વિચાર અને શૈલીથી તેમની ગઝલો સોહે છે. કેટલાક શેર જોઈએ :
એક પરપોટાનું આયુ કેટલું ?
જિંદગીનો મર્મ સત્વર વાંચીએ (પૃ. 28)
કોઈ થાકેલો મુસાફર બે ઘડી તો માણશે
ફૂલ ને ફોરમ લઈને રાહમાં ઊભા છીએ (પૃ. 29)
માનવીના વેશમાં સામે હજારો જણ હતાં
સત્ય એ છે, માનવીના અર્થમાં બે-ત્રણ હતાં (પૃ. 33)
આ કસોટીની ઘડીઓ છે ઓ મારી નમ્રતા
લોકની નજરોમાં હું મશહૂર થાતો જાઉં છું. (પૃ. 34)
‘રાઝ’ આખી જિંદગી વીતી ગઈ
એ હતી એના ભરોસાની મઝા (પૃ. 60)
એ પ્રતિભા વિશ્વમાં સૌ કોઈને મળતી નથી
તું નથી ને સૌને તારી ભવ્યતા લાગ્યા કરે (પૃ. 68)
એ નહીં ઓળંગે તારી પ્રેમરેખાને કદી
‘રાઝ’ સામે રોજ સોનાના હરણની વાત છે (પૃ. 69)
પોતાના આયુષ્યના આઠ્મા દાયકામાથી પસાર થતાં ગઝલસાધનામાં રાત એવા આ કવિનું વિસ્મય હજી પણ અકબંધ છે. તેઓ કહે છે :
કોઈ બાળક જેમ હું બેસું સમયની રેત પર,
વાયરાની ભાત દોરાયા ને ભૂંસાયા કરે (પૃ. 47)
થોડા સમય પહેલાં જ ‘અમૃત ઘાયલ એવોર્ડ’ જેમને અર્પણ થયો છે એવા આપણાં ‘રાઝ’ સાહેબને અભિનંદન આપીએ.
(પ્રગટ : “કવિલોક”, નવેમ્બર-ડિસેમ્બર 2012)
e.mail : sandhyanbhatt@gmail.com