ટૂંકીવાર્તામાં શું શું હોવું જોઇએ એ અંગે જાત જાતની વાતો અને સલાહો સાંભળવા મળે છે.
પણ ફોડ પાડીને કોઇ ભાગ્યે જ સમજાવે છે, એવી પૂર્વધારણાને કારણે, કે વાર્તાકારો બધું સમજે છે. પણ કોઈ કોઇ વાર્તાકારો સમજવા માગતા જ નથી, એમને એમ હોય છે કે – મારે સલાહની ક્યાં જરૂર છે, મારું તો વરસોથી સરસ મજાનું ચાલે છે … ખૅર …
કહેવાયું છે કે ટૂંકીવાર્તામાં પ્રૅગ્નન્ટ મૉમેન્ટ હોવી જોઈએ. આજે, એની વાત કરું :
૧૩ : ટૂંકીવાર્તામાં પ્રૅગ્નન્ટ મૉમેન્ટ :
પ્રૅગ્નન્ટ હોવું એટલે? કશાકથી સભર હોવું. ગર્ભવતી નારીનો દેહ સભર હોય છે, એમાં માનવજીવ ધબકતો હોય છે, પણ હજી અવતર્યો હોતો નથી. એ ખરું, પણ ગર્ભવતી નારી હમેશાં સ્પૃહા કરવા યોગ્ય હોય છે તેમ જ ઘણી મનોરમ દીસે છે.
ગર્ભવતી
Picture Courtesy : All free Download
એ જ પ્રકારે, વાર્તાની એ ક્ષણ અર્થસભર હોય છે. એ એવી ક્ષણ છે, જ્યાં થઈ ગયું તે અને જે થવાનું છે તે, સાથોસાથ સૂચવાય છે. આગળની વાર્તા, અવતરવાને સળવળતી હોય છે, પણ બધું અસમંજસ અને અકળ રહે છે. પુત્ર કે પુત્રી? – ગર્ભવતીને પણ ક્યાં જાણ હોય છે ! તેમ છતાં, એ ક્ષણે વાર્તા પણ સ્પૃહા કરવા યોગ્ય અને મનોરમ અનુભવાય છે.
એ ક્ષણે ત્યાં વાર્તાપટમાં સૂચક યતિ આવ્યો હોય છે. એને કારણે વાચકમાં કુતૂહલ જાગે છે, વાચકને થાય છે કે વાર્તામાં હવે શું યે થવાનું હશે. સ્પષ્ટતા નથી મળતી. અવરોધ અથવા નાનકડો વિરામ સરજાય છે. એવું લાગે વાર્તા જાણે ત્રિભેટે આવી ઊભી છે, સામે બીજા બે રૂપાળા રસ્તા છે. કથકને નથી સમજાતું કે કયા રસ્તે આગળ ધપવું – ગમતીલી વિમાસણ થાય છે.
એ ક્ષણને નાનકડો વાણીવિરામ કહી શકીએ. રોજિંદા વ્યવહારમાં પણ વ્યક્તિ આપણને વાતનો ઊથલો આપે એ માટે આપણે એને નથી તાકી રહેતા? એ ક્ષણે મૉં આપણું જરા ખુલ્લું રહી ગયેલું નથી હોતું? – લગભગ એના જેવું.
એ બરાબર, પણ વાર્તાકારે એવું શું કર્યું કે ક્ષણ ગર્ભવતી થઈ એ જાણવું બાકી રહે છે. કશો પણ ગર્ભ રાતોરાત નથી બંધાતો, બંધાય તે પૂર્વે કેટલીક ચૉક્કસ ક્રિયાઓ થવી અનિવાર્ય હોય છે. કલામાં એ ક્રિયાઓ સરવાળે તો સર્જનપ્રક્રિયા છે.
કથક
FreeIconsPNG
વાર્તામાં ઊભા કરાયેલા એ નાનકડા વિરામ પછી થનારો સ્ફોટ રસપ્રદ હોય છે. એ પૂર્વે કથકે ક્રમે ક્રમે સ્થળ-કાળની અને પાત્રોનાં વાણી-વર્તનની તેમ જ પરિસ્થિતિની વીગતો આપી હોય છે, જરૂર જેટલી – ન વધુ – ન ઓછી. કથકની હરેક ચાલ સર્જનાત્મક હોય છે. પોતે જે કરતો-કહેતો હોય એમાં વાચકને જોડે, પટાવે, છેતરે ને એમ એને સતત સંડોવતો રહે, તૈયાર કરતો રહે. તાત્પર્ય, વાચકની સહભાગીતાને સંકોરે છે. સહભાગીતા વિના ગર્ભ કેમ કરી બંધાવાનો? વાચક પણ સક્રિય થઈને ધારણાઓ કરે છે કે આગળ હવે આમ થશે, તેમ થશે. જો કે કથક ધાર્યું કરનારો હોય છે એટલે કેટલીયે વાર વાચકની ધારણાને ખોટી પાડે છે. ટૂંકમાં, વાચકને સાથે રાખીને વાર્તાને રચતો રચતો કથક બધું અર્થસભર કરતો રહે છે ને એ પછી આગળની વાર્તાને અવતરવા દે છે.
એ અર્થસભરતા ક્યારે કયા સ્થાને આવતી હોય છે, સામાન્યપણે વાર્તાના અમુક વિકાસ પછી, છતાં, એ વિશે ચૉક્કસ ન કહી શકાય કેમ કે એ, વાર્તાકારે માંડેલી વાર્તા સાથે સંકળાયેલી સર્જકતાનો મામલો છે.
પણ મારે ઉમેરવું છે કે વાર્તામાં મુકાયેલો કલાત્મક અન્ત પણ અર્થગર્ભ હોય છે. પૂરી થયા પછી એ આખી વાર્તા વાચકના ચિત્તમાં આગળ ચાલતી હોય છે.
= = =
(September 4, 2021: USA)