મેં અગાઉના એક લેખમાં, ગુજરાતી ભાષાના આ બધા પ્રયોગો દર્શાવેલા : પેટ ‘ઠોકીને’ ખાધું : એ બાંગડને મારા ‘તાબામાં’ રાખીશ : સરખું વરત ને, શું ‘ગોથાંપિલ્લાં’ કર્યા કરે છે? : લોહી ‘પી’ ગ્યો : ‘ધૂનમાં ને ધૂનમાં’ હું એ બાજુ ચાલી ગયો : મારા બેડરૂમમાં આમ ‘ચોરપગલે’ નહીં આવવાનું : મારું ‘માથું’ ન ‘ખા’ : પેલાએ મનુને એવી ‘ફાચર’ મારી કે વાત પતી ગઈ : તેં ‘બાફ્યું !’ જોજે હવે તારી શી ‘વલે’ થાય છે.
એ દરેક પ્રયોગનું એક સાદું સંકેતવિષયક વિશ્લેષણ કરી શકાય. નમૂના દાખલ આ જુઓ એમ જણાવીને “પેટ ‘ઠોકીને’ ખાધું” વિશે મેં સંકેતવિષયક વિશ્લેષણ કરેલું.
પહેલાં કહ્યું હતું એમ એને કે આને શાસ્ત્રીય પદ્ધતિએ કરેલું વિશ્લેષણ ન ગણવા વિનન્તી છે. આજે આ પ્રયોગનું કરી જોઉં : — આકાશ પાતાળ એક કરો, હું કરીશ કરીશ ને કરીશ.
અહીં સંજ્ઞાઓ છે, આકાશ. પાતાળ. એક કરવું. હું. કરીશ.
આપણે ત્યાં એવી માન્યતા પ્રવર્તે છે કે ત્રણ ભુવન છે – આકાશ, મૃત્યુલોક, પાતાળ. ત્રણેયના સંકેતાર્થ મનુષ્યને જાણીતા છે, પણ અનુભવ તો એકલા મૃત્યુલોકનો જ છે.
મનુષ્ય જાણે છે અને અનુભવે છે કે પોતે એવા લોકમાં જીવે છે જ્યાં એનું, મનુષ્યમાત્રનું કે જીવમાત્રનું મૃત્યુ નિશ્ચિત છે, મૃત્યુનાં સ્થળ-કાળેય નિશ્ચિત છે પણ એને એની જાણ નથી.
Pic courtesy : Adobe stock
એવા મૃત્યુલોકનો અનુભવી અને એવો જાણકાર એ જણ એમ કહે છે કે – આકાશ પાતાળ એક કરો, હું કરીશ કરીશ ને કરીશ. એમ કહેતી વખતે એ શૂરાએ કદાચ ભાન ગુમાવ્યું હોય અથવા ભારોભારની સભાનતાથી જ બોલ્યો હોય. જેને સમ્બોધીને એ બોલ્યો તે એને સાંભળનાર વ્યક્તિ આકાશપાતાળને એક કરે તો દેખીતું છે કે એ શૂરો કચડાઈ મરે.
એને પાક્કી ખબર છે કે સાંભળનાર તો શું, મૃત્યલોકનો કોઈપણ મનુષ્ય આકાશ અને પાતાળને એક નહીં કરી શકે. સાંભળનારને પણ ખબર છે કે પોતે પણ કદ્દીયે એમ કરી શકવાનો નથી. ટૂંકમાં, વક્તા અને શ્રોતા બન્નેની શક્તિ બહારની વાસ્તવમાં એ એક અસંભવિત વાત છે.
પણ, વાસ્તવમાં સંભવિત વાત એ છે કે બન્ને જણા ‘એક કરવું’ એટલે શું કરવું તે બરાબર જાણે છે. એટલે, આકાશ અને પાતાળના એકત્રીકરણનું કામ બન્નેની કલ્પનામાં તો બને જ છે. કલ્પનામાં બને છે એનો મતલબ એ પણ છે કે પોતે મરવાનો નથી, પેલો એને મારી નાખવાનો નથી.
વાસ્તવમાં અસંભવિત વાતનું કલ્પનામાં સંભવિત થવું એવી અસામાન્યતાનો નિર્દેશ એ આ પ્રયોગમાં છુપાઇને બેઠેલી સર્જકતા છે.
આપણે તો નેટિવ સ્પીકર એટલે એના સમગ્ર સંકેતાર્થને સહજપણે જ આત્મસાત્ કરી શકીએ પણ પરભાષી માટે આ પ્રયોગ કશીક અગડંબગડં વાત બની જાય. એટલે જ હું એને ગુજરાતી ભાષાની ‘જન્મજાત’ સર્જકતા કહું છું.
એ અસામાન્યતા પર, કરીશ કરીશ ને કરીશ, એવો હથોડો ઠોકાય છે જે એ વ્યક્તિનો વાસ્તવિક સંકલ્પ છે. સમગ્ર પ્રયોગમાં ‘કરીશ’-નો ત્રણ વારનો ઉચ્ચાર એ સંકલ્પને દૃઢ કરે છે. અને ‘હું’ વડે ‘કરવું’-થી, ‘ટુ ડુ’-થી, વધારે શક્ય આ સંસારમાં કશું નથી.
હકીકતમાં કયા પ્રસંગ સંદર્ભે આ ઉક્તિ થઈ તે આપણે નથી જાણતા. પ્રૅગ્મેટિક્સને વરેલો વિશ્લેષક આપણને એ દિશામાં લઈ જઈ શકે.
= = =
(Feb 22, 23 : Ahmedabad)
સૌજન્ય : સુમનભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર