આજે, દણ્ડી વિશે —
એમનો સમય છે, સાતમા શતકનો ઉત્તરાર્ધ. એમના ગ્રન્થનું શીર્ષક છે, ‘કાવ્યાદર્શ’.
રાજશેખર ‘કાવ્યનિર્માણ’ સંજ્ઞા પ્રયોજીને એમ સૂચવે છે કે સર્જકે કાવ્યનું નિર્માણ કરવાનું છે. કુન્તક ‘કાવ્યબન્ધ’ સંજ્ઞા પ્રયોજીને એમ સૂચવે છે કે સર્જકે કાવ્યનો બન્ધ બાંધવાનો છે. બન્ને કાવ્યાચાર્યોનું ધ્યાન ભાષા વડે રચાતા કાવ્યના શરીરને વિશે છે.
દણ્ડી તો સ્પષ્ટપણે ‘શરીર’ શબ્દ પ્રયોજે છે અને જણાવે છે કે પ્રાચીન આચાર્યોએ કાવ્યોનાં શરીર અને તેના અલંકારોનું દર્શન કરાવ્યું છે —‘તૈ: શરીરમ્ ચ કાવ્યાનામલંકારાશ્ચ દર્શિતા:’ દણ્ડી કહે છે, ‘શરીરમ્ તાવદિષ્ટાર્થવ્યવચ્છિન્ના પદાવલી – ઇષ્ટ અર્થથી વ્યવચ્છિન્ન, એટલે કે શોભિતી પદાવલી જ કાવ્યનું શરીર છે.
અલંકાર સમ્પ્રદાયમાં દણ્ડીનું નામ પહેલું લેવાય છે. અતિશયોક્તિ અલંકારને એમણે બધા જ અલંકારોમાં ઉત્તમ ગણ્યો છે, એટલું જ નહીં, ઉમેર્યું છે કે વાચસ્પતિઓ એને પૂજે છે, અને તેથી કવિઓ અતિશયોક્તિને બીજા બધા જ અલંકારોનો આશ્રય ગણે છે – વાગીશમહિતામુક્તિમિમામતિશયાહ્વયામ્…
કાવ્યશરીરના સૌન્દર્યના કારક ધર્મો કયા? એટલે કે, વિશિષ્ટ ગુણ કયા? તો દણ્ડી કહે છે, અલંકારો – કાવ્યશોભાકરાન્ ધરમાનલઙ્કારાન્ પ્રચક્ષતે. પછી, તરત ઉમેરે છે કે – આજ દિન સુધી કવિઓ અલંકારોની એટલી બધી વિવિધ કલ્પનાઓ રચી રહ્યા છે કે તેનું પૂર્ણતયા વર્ણન તો કોણ કરી શકવાનો’તો? – તે ચાદ્યાપિ વિકલ્પ્યન્તે કસ્તાન્ કાર્ત્સ્યેન વક્ષ્યતિ.
અલંકારોના એક વર્ગને તેઓ પ્રેયસ્ કહે છે. એટલે કે, ઉક્તિ અથવા કથનમાં અત્યન્ત પ્રીતિકર ભાવ હોય, તે પ્રેયસ્. બીજો વર્ગ છે, રસવત્ અલંકારોનો. એટલે કે, ઉક્તિ અથવા કથનમાં રસ વડે ઉત્પન્ન આનન્દદાયી ભાવ હોય, તે રસવત્. અલંકારોના ત્રીજા વર્ગને તેઓ ઉર્જસ્વિ કહે છે. એટલે કે, ઉક્તિ અથવા કથનમાં ગર્વ કે અહંકારની સ્પષ્ટ અભિવ્યક્તિ થઈ હોય, તે ઉર્જસ્વિ. વગેરે.
દણ્ડી ઉમેરે છે કે પ્રાચીન આચાર્યોએ કાવ્યશરીરના પદ્ય, ગદ્ય, અને પદ્યગદ્ય એવા ત્રણ વિભાગ દર્શાવ્યા છે. એમનું એ કથન પણ શરીરપરક જ છે – એમ કે કાવ્યશરીર પદ્યનું બનેલું હોય, ગદ્યનું બનેલું હોય, અને પદ્ય-ગદ્યના મિશ્રણથી પણ હોય.
કુન્તક જેમ પદ-થી પ્રબન્ધ સુધીના કાવ્યકૃતિના સાવયવ અખિલ દેહને જુએ-તપાસે છે છે તેમ દણ્ડી ગદ્ય, પદ્ય અને તેના મિશ્રણ સુધીની અખિલ કાવ્યસૃષ્ટિને, સમગ્ર વાઙ્મયને, જુએ-તપાસે છે.
દણ્ડીનું આ શરીરપરક દૃષ્ટિબિન્દુ પદ્યને છન્દોબદ્ધ, ગદ્યને છન્દરહિત, અને પદ્યગદ્યના મિશ્રણને ચમ્પૂ કહે છે.
પદ્ય :
પદ્યના ચાર ચરણ દર્શાવે છે અને તેના બે વર્ગ દર્શાવે છે : જાતિવૃત્ત અને વૃત્ત. કહે છે કે “છન્દોવિચિતિ” ગ્રન્થમાં પદ્યની અન્તર્ગત આવનારા જાતિવૃત્ત છન્દોનું વિસ્તૃત વર્ણન મળે છે – છન્દોવિચિત્યામ્ સકલસ્તત્પ્રપંચો નિદર્શિતમ્.
આ છન્દવિદ્યા ગમ્ભીર કાવ્યસાગરમાં તરવાની ઇચ્છા રાખનાર માટે નાવ સમાન છે – સા વિદ્યા નૌર્વિવિક્ષૂણામ્ ગમ્ભીરમ્ કાવ્યસાગરમ્.
મુક્તક, કુલક, કોશ, સંઘાત વગેરે સર્ગબન્ધ મહાકાવ્યના અવયવો છે, તેથી, સ્વાભાવિક છે કે દણ્ડી તેનો પદ્યવિસ્તાર કરવાની જરૂરત નથી જોતા.
દણ્ડી ચરણરહિતપદસમૂહને ગદ્ય કહે છે. આપણે જેને ‘પ્રોઝ પોએમ’ કહીએ છીએ તે કાવ્ય જ છે, કેમ કે બહુશ: તે ચરણસહિત હોય છે.
A man with a boat thinking to sail in a sea …
ગદ્ય :
એમણે ગદ્યને બે વિભાગમાં જોયું છે : આખ્યાયિકા અને કથા.
દણ્ડી આખ્યાયિકાની વ્યાખ્યા આપે છે : કેવળ નાયક દ્વારા વર્ણવાયેલું ગદ્ય આખ્યાયિકા છે. જ્યારે, કથા તો નાયક અથવા કોઈ બીજા પાત્ર દ્વારા કહેવાતી હોય છે.
હું દણ્ડીની આ વાતથી પ્રસન્ન થઈને એમ માનવા લાગ્યો છું કે આખ્યાયિકાનો નાયક, વર્ણવે ત્યારે ‘થર્ડ પર્સન નૅરેટર’-ની રીતે કરતો હશે. અને કથાનો નાયક કે પાત્ર, કથે ત્યારે કથા ‘ફર્સ્ટ પર્સન નૅરેટર’-ની રીતે રજૂ થતી હશે.
કન્યાનું અપહરણ, યુદ્ધ, વિયોગજન્ય રતિ, વગેરેને દણ્ડી આખ્યાયિકાનાં લક્ષણો કહે છે, પણ તેનો ઝાઝો વિસ્તાર નથી કરતા કેમ કે એ લક્ષણો વિશિષ્ટ નથી, મહાકાવ્યોમાં હોય છે, એ જ છે.
કથાનાં એમણે આપેલાં લક્ષણોમાં એક નૉંધપાત્ર છે – કવિભાવકૃતમ્ ચિહ્નમન્યત્રાપિ ન દુષ્યતિ. એટલે કે, કથામાં કવિ પોતાને અભિપ્રેત અર્થભાવ સિદ્ધ કરવા કશું પણ ચિહ્નિત કરે અને તે માટે કોઇપણ ઘટનાનો આશ્રય કરે તો દોષ નથી થતો. આ લક્ષણમાં મને વરતાય છે કે કવિની સર્જકતાનો અબાધ સ્વીકાર થયો છે. જેમકે, દુર્યોધનને સુયોધન રૂપે ચીતરી શકાય તો પણ તેમાં કશો દોષ નથી થતો.
ગદ્યપદ્ય મિશ્રિત ચમ્પૂ :
ગદ્યપદ્ય મિશ્રિત રચનાઓ નાટક વગેરે દૃશ્ય કાવ્યોમાં તેમ જ શ્રાવ્ય કાવ્યોમાં સ્પષ્ટપણે હોય છે. જેમ કે, ન્હાનાલાલનું અપદ્યાગદ્ય એવું જ મિશ્રણ છે. આપણી અછાન્દસ રચનાઓ પણ ગદ્યપદ્યમિશ્રિત છે.
સમગ્ર વાઙ્મય :
દણ્ડી જણાવે છે કે પદ્ય, ગદ્ય અને ચમ્પૂથી સમગ્ર વાઙ્મય રચાયું છે.
કહે છે, વિદ્વાનોએ તેના વિવિધ ભાષાયુક્ત ચાર વિભાગ દર્શાવ્યા છે : સંસ્કૃત, પ્રાકૃત, અપભ્રંશ, અને મિશ્રિત.
સર્ગબદ્ધ મહાકાવ્યો વગેરે કૃતિઓ સંસ્કૃતમાં, સ્કન્ધ વગેરેમાં રચાયેલી કૃતિઓ પ્રાકૃતમાં, ઓસર વગેરેમાં રચાયેલી કૃતિઓ અપભ્રંશમાં, અને આ સૌ મિશ્ર ભાષાઓમાં નાટક વગેરે કૃતિઓ જોવા મળે છે.
= = =
(06/29/23 : USA)
સૌજન્ય : સુમનભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર