Opinion Magazine
Opinion Magazine
Number of visits: 9335230
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

આ દેશમાં અત્યારે દરેક માણસની કસોટી થઈ રહી છે

રમેશ ઓઝા|Opinion - Opinion|6 February 2020

આપણા લાડકા અને લોકપ્રિય નવલકથાકાર અશ્વિની ભટ્ટને મેં એક વાર પૂછ્યું હતું કે તમારી દરેક નવલકથા દળદાર હોય છે તો તમે આટલા લાંબા પ્લોટની ગૂંથણી કેવી રીતે કરો છો? અશ્વિનીભાઈ અત્યંત પ્રામાણિક માણસ હતા એટલે પ્રામાણિક માણસને શોભે એવો તેમણે જવાબ આપ્યો હતો. તેમણે પ્રાંજળ કબૂલાત કરતાં મને કહ્યું કે મારી નવલકથાઓ દળદાર હોય છે એનું કારણ એ નથી કે કથાવસ્તુની એવી માગણી હોય છે, પણ એનું કારણ મારી અંદર રહેલો કસબનો અભાવ છે. ચિત્તનાં ઊંડાણમાં જઈને તેની નિબીડતા અને સંકુલતા મધુ રાય સો પાનાંમાં ઉઘાડી આપી શકે એ કહેવામાં મને ચારસો પાનાંની જરૂર પડે છે અને એ પછી પણ હું મધુ રાયની માફક તો કહી જ શકતો નથી.

અશ્વિનીભાઈ કહી ગયા છે કે જેટલો ઓછો કસબ એટલી દીર્ઘસૂત્રતા વધારે. આપણાં નાણાં પ્રધાન નિર્મલાબહેન સીતારામને પોણા ત્રણ કલાક લાંબુ બજેટ-ભાષણ આપ્યું એનું કારણ મધુ રાય જેવાના, એટલે અર્થાંતરે ડૉ. મનમોહન સિંહ કે પી. ચિદમ્બરમ જેવાના કસબનો અભાવ હતો. વિષય જ પકડમાં ન આવતો હોય ત્યારે તેને સમજાવવા માટે અનેક પ્રકારનાં શિર્ષાસનો કરવાં પડતાં હોય છે.

દીર્ઘસૂત્રતાનું આ એક કારણ છે. બીજું કારણ પ્રામાણિકતાનો અભાવ છે. કોઈ માણસ કોઈ ચીજ છૂપાવવા માગતો હોય અથવા લોકોને ભ્રમમાં નાખવા માગતો હોય ત્યારે તે કારણ વિના કે પૂછ્યા વિના લાંબા લાંબા ખુલાસાઓ કરવા માંડે. ચારે બાજુની વાતો એટલી બધી કરે કે તમને કોઈ વાતનો તાળો જ મળે નહીં અને જોડવા માગો તો છેડા જ મળે નહીં. વકીલો પણ અદાલતોમાં લાંબી લાંબી દલીલો કરે છે એની પાછળનો ઈરાદો પણ જજને ચકરાવામાં નાખવાનો હોય છે.

નિર્મલા સીતારામન પોણા ત્રણ કલાક બોલ્યાં પછી હાંફી ગયાં તે ત્યાં સુધી કે તેમને ચોકલેટ ખવડાવ્યાં પછી પણ તેઓ બોલી શક્યાં નહોતાં અને સ્પીકરને વિનંતી કરી હતી કે તેમનું બાકીનું ભાષણ વંચાયેલું જાહેર કરે. એક્વેરિયમમાં કાચની પેટીમાં માછલી જે રીતે ભ્રમણ કરે એના જેવું ભ્રમણ હતું. ભાષણ સાંભળનારાઓ ટી.વી. સામેથી ઊભા થઈ ગયા હતા. ડૉ. મનમોહન સિંહ અને પી. ચિદમ્બરમે કહ્યું છે કે તેઓ પણ લંબાણ અને દિશાહીનતાને કારણે કંટાળી ગયા હતા. પોણા ત્રણ કલાક લાંબા બજેટ-ભાષણને અત્યારે આખો દેશ ઉકેલવા મથી રહ્યો છે અને તેમાં જે સમય ખર્ચાઈ રહ્યો છે એ વધારામાં. નિર્મલા સીતારામનના બજેટમાં અણઆવડત અને બેઈમાની એમ બન્નેનો સમાવેશ થાય છે. તેમનું ભાષણ ઇતિહાસમાં સૌથી વધુ લાંબુ બજેટ-ભાષણ હતું એનાં આ બે કારણો છે.

અહીં ડૉ. મનમોહન સિંહનું ૧૯૯૧નાં વચગાળાના બજેટની અને ૧૯૯૨નાં સંપૂર્ણ બજેટની યાદ આવે છે. મને બરાબર યાદ છે કે ૧૯૯૨માં ભારતના નાણા પ્રધાન ડૉ. મનમોહનસ સિંહે તેમના બજેટ પ્રવચનમાં કહ્યું હતું કે શ્રેષ્ઠ અર્થશાસ્ત્ર એ જ શ્રેષ્ઠ રાજનીતિ છે. પ્રજાની સુખાકારી શાસનના કેન્દ્રમાં છે. પ્રજા સુખી હોય તો અસંતોષ પેદા ન થાય અને એ જ શાસકોનું રળતર છે. આ શબ્દો ડૉ. મનમોહન સિંહે ૧૯૯૨માં ઉચ્ચાર્યા હતા. તેમણે ૧૯૯૧માં અને ૧૯૯૨માં અંદાજે પોણા પોણા કલાકના બે બજેટ-ભાષણ આપ્યા હતા અને દેશનો ચહેરો બદલી નાખ્યો હતો. જેમને ક્યાં જવું છે એની જાણ છે, કેમ જવું એની સમજ છે એ લોકોને લાંબુ બોલવું નથી પડતું. ટૂંકમાં દીર્ઘસૂત્રતા એ અણઆવડત અને અપ્રામાણિકતાનું પરિણામ છે.

પ્રતાપ ભાનુ મહેતા આપણા મોટા ગજાના પબ્લિક ઈન્ટેલેકચ્યુઅલ છે. તેમણે બજેટ વિશે  ‘ઇન્ડિયન એક્સપ્રેસ’માં લખ્યું છે કે આર્થિક મોરચે સરકારે પરાજય સ્વીકારી લીધો છે. લાંબુ બચાવનામું, ગળે ન ઉતરે એવાં વચનો, કાચી મેળમાથા વિનાની યોજનાઓ અને કલ્યાણયોજનાઓ માટે રૂપિયા ક્યાંથી આવશે એ વિષે ચુપકીદીનું વલણ બતાવે છે કે સરકાર કોઈ નક્કર કદમ ઉઠાવી શકવાની સ્થિતિમાં નથી. પ્રતાપ ભાનુ મહેતાએ તેમના લેખનું શીર્ષક જ આપ્યું છે ‘એન એડમીશન ઓફ ડિફીટ’. હિન્દુત્વવાદીઓને જેનો ગર્વ છે એ પ્રાચીન સરસ્વતી-સિંધુ સભ્યતા ૨૧મી સદીનો આધુનિક ચહેરો ધારણ કરી શકે એમ નથી. 

********

આજકાલ ભારતના મુખ્ય ન્યાયમૂર્તિ પણ બહુ બોલે છે. ક્યારેક એમ થાય કે દેશના મુખ્ય ન્યાયમૂર્તિને બંધારણના સ્વરૂપ અને ભારતીય રાજ્ય વિષેની મૂળભૂત જાણકારી પણ નથી લાગતી. આવી વ્યક્તિ આટલે ઊંચે હોદ્દે પહોંચી કેવી રીતે? તેમનાં કથનો સાંભળીને ક્યારેક એવું લાગે કે તેમની અંદર ઉપદેશકે પ્રવેશ કર્યો છે કે શું? આનું કારણ છે ધર્મનો તકાદો અને એ ખાંડાની ધાર જેવો હોય છે. ભૂંડા દેખાવું નથી અને ધર્મનિષ્ઠ (ફરજના અર્થમાં) બનવા જેટલી કરોડરજ્જુ નથી એટલે કામની વાત છોડીને આડીઅવળી વાતો કરવી પડે છે અને જ્યારે કસોટીરૂપ પ્રશ્નને હાથ ધરવો જ પડે એમ હોય ત્યારે બને ત્યાં સુધી જે તે ઉપાય યોજીને તેનાથી બચી નીકળવા માગતા હોય.

તમને સબરીમાલા મંદિર વિશેનો સર્વોચ્ચ અદાલતનો ચુકાદો યાદ હશે. ૨૦૧૮ના સપ્ટેમ્બર મહિનામાં અદાલતે ચુકાદો આપ્યો હતો કે મંદિરમાં કોઈ પણ વયની સ્ત્રીને પ્રવેશતા રોકી શકાય નહીં. મંદિરની પરંપરા એવી છે કે દસથી ૫૦ વર્ષની ઉંમરની – રજસ્વલા હોઈ શકે એવી ઉંમરની – સ્ત્રી મંદિરમાં પ્રવેશી શકે નહીં. હવે પરંપરા મહાન કે બંધારણ? પરંપરાજન્ય ભેદભાવ સ્વીકારવાનો કે બંધારણજન્ય સમાનતા? સમૂહની લાગણીનું ધ્યાન રાખવાનું કે વ્યક્તિના અધિકારનું? આવા કેટલાક મૂળભૂત સવાલો આ મામલામાં જોડાયેલા હતા.

બન્યું એવું કે સર્વોચ્ચ અદાલતે સમાનતાના પક્ષે, બંધારણની સર્વોપરિતાના પક્ષે અને સમૂહની સામે વ્યક્તિના અધિકારના પક્ષે ચુકાદો તો આપ્યો પણ તેનો વિરોધ પણ એટલો જ થયો. અત્યારના કેન્દ્રના ગૃહ પ્રધાન અમિત શાહે બી.જે.પી.ના અધ્યક્ષ તરીકે જાહેરમાં કહ્યું હતું કે અમે ચુકાદો સ્વીકારવાના નથી, થાય એ કરી લો. દેખીતી રીતે અમિત શાહ અને તેમના જેવા બીજા અદાલતના ચુકાદાની અવમાનના કરનારાઓ સામે અદાલતનો તિરસ્કાર કરવાનો ખટલો ચાલવો જોઈતો હતો, પણ એ તો બહુ વધારે પડતી અપેક્ષા છે. ઊલટું હવે એ મહાશય કેન્દ્રના ગૃહ પ્રધાન છે.

સર્વોચ્ચ અદાલતના ચુકાદા સામે પુનર્વિચાર કરવાની માગણી કરનારી રીવ્યુ પીટીશન આવવાની જ હતી અને આવી પણ ખરી. મુખ્ય ન્યાયમૂર્તિ જાણે છે કે આજના યુગમાં ધાર્મિક ઉન્માદ સામે બંધારણ અને બંધારણનાં મૂલ્યોની સર્વોપરિતા સ્થાપવી કે રખેવાળી સુદ્ધાં કરવી એ ટેઢી ખીર છે. તો શું કરવું? કેવી રીતે જાન છોડાવવો? મુખ્ય ન્યાયમૂર્તિ બોબડેસાહેબે નવ જજોની બંધારણીય બેંચ રચી કાઢી અને તેને કહેવામાં આવ્યું કે બંધારણમાં ધાર્મિક અધિકારો વિશે જે કહેવામાં આવ્યું છે એને સાંગોપાંગ સમજવામાં આવે.

આ છટકબારી છે એ મુખ્ય ન્યાયમૂર્તિ સહિત બધા જ જાણે છે. નવ જજોની બંધારણીય બેંચ રચવાના મુખ્ય ન્યાયમૂર્તિના નિર્ણય સામે જાણીતા ધારાશાસ્ત્રી ફલી એસ. નરીમાને સવાલ કર્યો છે કે આની જરૂર જ શું છે? ધાર્મિક અધિકારો વિશે સ્પષ્ટતા કરતા સર્વોચ્ચ અદાલતના આગળના છ ચુકાદાઓ પડ્યા જ છે એ તપાસી લો. બીજું સબરીમાલા કેસમાં જ્યારે સુનાવણી ચાલતી હતી ત્યારે ધાર્મિક અધિકારો વિશે બંધારણ શું કહે છે અને તેનું શું અર્થઘટન થઈ શકે એ પણ કહેવામાં આવ્યું જ છે. સુનાવણી દરમ્યાન ઉપર કહ્યા એ છ ચુકાદાઓ ટાંકવામાં આવ્યા જ છે.

બીજા એક મોટા ગજાના ધારાશાસ્ત્રી અનિલ દીવાને કહ્યું છે કે વ્યક્તિના ધાર્મિક અધિકારો વિષે વિશાળ બેંચનો બંધારણીય રેફરન્સ લેવો જ હતો તો જ્યારે સબરીમાલા કેસની સુનાવણી ચાલતી હતી ત્યારે લેવો જોઈતો હતો. રીવ્યુ પીટીશન વખતે વિશાળ બેંચનો રેફરન્સ લેવાનો રીવાજ નથી અને એ અનૈતિક છે. આનો અર્થ તો એ થયો કે મૂળ ખટલો સાંભળનારા જજોએ બંધારણ શું કહે છે એ તરફ ધ્યાન આપ્યું નહોતું.

આવા બે ટોચના ધારાશાસ્ત્રીઓના અભિપ્રાય પછી મુખ્ય ન્યાયમૂર્તિએ કહ્યું છે કે હા, વાતમાં દમ તો છે જ. વાત એમ છે કે જે વાત ફલી નરીમાન અને અનિલ દીવાન જાણે છે એ મુખ્ય ન્યાયમૂર્તિ નહોતા જાણતા? જાણતા હતા. બધું જ જાણે છે. આ તો મુસીબતની ટોપલી ખીંટીએ લટકાવવાની કસરત છે. ધકેલો આગળ જેમ નિર્મલા સીતારામને આર્થિક સંકટને આગળ ધકેલ્યું છે. નિર્મલા સીતારામનમાં નથી આવડત, નથી પ્રામાણિકતા અને નથી હિંમત; પણ મુખ્ય ન્યાયમૂર્તિ જાણકારી તો ધરાવે છે, બાકીની બે ચીજ ધરાવતા નથી અને તેને છૂપાવવા તેઓ ખૂબ બોલે છે. એક્વેરિયમની કાચની પેટીમાં ફરતી માછલીની જેમ.

ફલી નરીમાન અને અનિલ દીવાનના વાંધાને કારણે એક ચીજ સારી થઈ છે. ઘણું કરીને, હું કહું છું ઘણું કરીને; બાકી કાંઈ કહી શકાય નહીં, સી.એ.એ.-એન.આર.પી.-એન.સી.આર.ના કેસમાં મુખ્ય ન્યાયમૂર્તિ નાગરિકતા વિશે બંધારણ શું કહે છે એનો રેફરન્સ વિશાળ બંધારણીય બેંચ પાસેથી નહીં માગે. અત્યાર સુધી ડર હતો કે એ પ્રશ્નને પણ રેફરન્સ માગીને ખીંટીએ ચડાવી દેવાશે.

આ દેશમાં અત્યારે દરેક માણસની કસોટી થઈ રહી છે. શબ્દ ધ્યાનબહાર ન જવો જોઈએ; દરેક માણસની, આય રીપીટ માણસની. તમારી અંદર પણ જો ‘હિંદુ’ બેઠો હશે તો ‘હિંદુ’ અને ‘માણસ’ વચ્ચે દ્વન્દ્વયુદ્ધ ચાલતું હશે. કોને મારવો અને કોને જીવતો રાખવો, કોને કલોરોફોર્મ સુંઘાડીને સુવડાવી દેવો અને કોને જાગતો રાખવો. ખરું કે નહીં? દિલ પર હાથ રાખીને જવાબ શોધી કાઢો. 

પ્રગટ : ‘વાત પાછળની વાત’, નામક લેખકની કટાર, “ગુજરાતમિત્ર”, 06  ફેબ્રુઆરી 2020

Loading

6 February 2020 રમેશ ઓઝા
← કોઈ ડાહ્યો મુસલમાન હિંદુ બહુમતી દેશમાં નાગરિકત્વ માંગે નહીં
સી.એ.એ., ગાંધીવિચાર, શિક્ષણ જેવા વિષયો પરનાં, સર્જન, સંશોધન અનુવાદનાં નોંધપાત્ર પુસ્તકોનો ફાલ →

Search by

Opinion

  • ‘શેતરંજ’ પર પ્રતિબંધનું પ્રતિગામી પગલું
  • જેઇન ઑસ્ટિન અમર રહો !
  • જેઇન ઑસ્ટિન : ‘એમા’
  • ‘પ્રાઈડ એન્ડ પ્રેજ્યુડિસ’: એક વિહંગાવલોકન
  • ગ્રામસમાજની જરૂરત અને હોંશમાંથી જન્મેલી નિશાળનો નવતર પ્રયોગ

Diaspora

  • ભાષાના ભેખધારી
  • બ્રિટનમાં ગુજરાતી ભાષા-સાહિત્યની દશા અને દિશા
  • દીપક બારડોલીકર : ડાયસ્પોરી ગુજરાતી સર્જક
  • મુસાજી ઈસપજી હાફેસજી ‘દીપક બારડોલીકર’ લખ્યું એવું જીવ્યા
  • દ્વીપોના દેશ ફિજીમાં ભારતીય સંસ્કૃતિ અને હિન્દી

Gandhiana

  • નિર્મમ પ્રેમી
  • મારી અહિંસા-યાત્રા
  • ગાંધીનો હિટલરને પત્ર 
  • ઈશુનું ગિરિ-પ્રવચન અને ગાંધીજી
  • ગાંધી : ભારતની પ્રતિમા અને પ્રતીક

Poetry

  • વિમાન લઇને બેઠા …
  • તારવણ
  • હે કૃષ્ણ ! કોણ છે તું?
  • આ યુદ્ધ છે !
  • હાલો…

Samantar Gujarat

  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 
  • સરકારને આની ખબર ખરી કે … 

English Bazaar Patrika

  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day
  • Destroying Secularism
  • Between Hope and Despair: 75 Years of Indian Republic

Profile

  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર
  • મૃદુલા સારાભાઈ
  • મકરંદ મહેતા (૧૯૩૧-૨૦૨૪): ગુજરાતના ઇતિહાસલેખનના રણદ્વીપ
  • અરુણભાઈનું ઘડતર – ચણતર અને સહજીવન

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved