વ્યક્તિ મટીને બનું વિશ્વમાનવી
માથે ધરું ધૂળ વસુંધરાની
આ પંક્તિ જેટલી સરળ છે એટલી જ સરળતાથી ઉમાશંકર પોતાની અંદરના વ્યક્તિને ઓગાળી શકતા હતા. અને ઓગળીને ક્યાં પ્રસરવાનું હતું? વિશ્વસમાજમાં, અને એ પણ આધુનિક મૂલ્યોની ખેવના સાથે. મેં ઉમાશંકરને ઓગણીસો ચોર્યાશી-પંચ્યાશીની આસપાસ આ પરિષદના ઉપરના જયંતિ દલાલ ખંડમાં નીરવ પગલે આવીને પાછળની ખુરશીમાં શાંતિથી બેસતા અને કાર્યક્રમના સમાપનની વિધિ થાય તે પૂર્વે એવી જ નીરવતાથી બહાર સરી જતા જોયા છે. એ વખતે નિરંજન ભગત મીરા, દયારામથી લઈને ન્હાનાલાલ સુધીના સર્જકો અંગે વ્યાખ્યાન આપતા જેનો અમારા ઘડતરમાં ફાળો છે. આજે એમના જન્મદિવસની આ ગોષ્ઠીમાં ઉમાશંકરની જેમ જ સ્વાતિબહેન કાર્યક્રમ શરૂ થયાની થોડી વાર પછી આવ્યાં અને મને આ વાત યાદ આવી.
આજના સમયની સહુથી મોટી વિડંબના તો એ છે કે બંધારણના અજવાળે શાસન કરવા મળેલી બહુમતીનો ઉપયોગ એ જ બંધારણીય અધિકારોના હનન માટે થઈ રહ્યો છે, અને બહુ એ ચતુરાઈપૂર્વક. આ ચતુરાઈ એ છે કે વારે વારે આપણને બહુમતીનો હવાલો આપીને કહેવામાં આવે છે કે ચૂંટાયેલી સરકાર જો યુનિવર્સિટીઓ કે સાહિત્ય અકાદમીને પોતાની દેખરેખ હેઠળ લઈ લે તો એમાં સ્વાયત્તતા અને એના લોકતંત્રનો ભંગ નથી થતો કેમ કે છેવટે એમ કરનાર બહુમતીથી ચૂંટાયેલી સરકાર છે, એટલે એક રીતે ત્યાં સ્વાયત્તતા અને લોકતંત્ર તો છે જ. હમણાં સંજય ભાવેએ મેઘાણી, ઉમાશંકર અને દર્શકનો ઉલ્લેખ કર્યો, આમાં મેઘાણી પહેલાં ગાંધી અને ઉમાશંકર તથા દર્શકની વચ્ચે જયંતિ દલાલને આપણે ઉમેરવા જોઈએ. જો આપણી પાસે સ્વતંત્રતા, સ્વાયત્તતા અને લોકશાહી જેવાં આધુનિક મૂલ્યો અને સમાજિક ન્યાય જેવા સિદ્ધાંતોનો પાયો નાખનાર આ પરંપરા ન હોત તો આપણે ક્યારના ય આ ગિલીન્ડરો સામે સરંડર થઈ ગયા હોત. પણ આપણે દીવાદાંડી વિનાના દરિયામાં નથી ફસાયા. ઉમાશંકર દીવાદાંડી જેવા સર્જક છે. રોજબરોજના શાંત વાતાવરણમાં એમની મોજુદગી ભલે ન અનુભવાય, પણ જ્યારે દિશાભ્રમની સ્થિતિ સર્જાય ત્યારે એક તેજલીસોટાની જેમ એ સામે આવે છે અને ઝંઝાવાતની સ્થિતિમાં પણ આપણું નાવડું પાર લગાવી આપે છે. આજે મારે એમનામાં જોવા મળતાં આધુનિક મૂલ્યો અને સિદ્ધાંતોની એમની ત્રણ કવિતાના આધારે ચર્ચા કરવી છે. એ ત્રણ કવિતા છે : ‘અલવિદા દિલ્હી’, ‘જીર્ણ જગત’ અને ‘હું જનશક્તિ’. અને હું જ્યારે ‘ઉમાશંકરમાં જોવા મળતા … ’ એમ કહું છું ત્યારે વાત માત્ર શબ્દની નથી પણ પોતાના શબ્દની પાસે અડીખમ ઊભેલા માણસની છે. આજના સમયની એ પણ એક મોટી કઠણાઈ છે કે સાહિત્યકારનો શબ્દ બાળકો આભલામાંથી ભીંત પર ફરતા ચાંદરણાં ફરતાં કરે એવો થઈ ગયો છે. સવારે લખાતો શબ્દ સાજે અંતરિયાળ મૃત્યુ પાસે છે ને એને લખનાર બરાબર એનાથી વિરુદ્ધ ઊભો હોય છે. દર રવિવારે આપણે છાપાંઓની પૂર્તિઓમાં માત્ર અને માત્ર શબ્દોની જગલરી જોઈએ છીએ અને એવા સમયે ઉમાશંકર તીવ્રતાથી યાદ આવે છે, કેમ કે એ આજે પણ પોતાના શબ્દની પાસે અડીખમ ઊભા છે.
‘અલવિદા દિલ્હી’ કવિતા તો મને પહેલેથી જ બહુ ગમતી. પણ આજે એની લખ્યા તારીખ ઉપર અને આ જ ગુજરાતી સાહિત્ય પરિષદના કવિ સંમેલનમા એ કાવ્ય વંચાયાની તારીખ પર મારી નજર પડે છે ત્યારે આપણા સહુની પીઠ ઉપર ઉમાશંકરનો હુંફાળો હાથ અનુભવાય છે. એની લખ્યા તારીખ છે, ૨૫-૦૪-૧૯૭૬, અને પરિષદના કવિ સંમેલનમાં વંચાયાની તારીખ છે ૦૮-૦૧-૧૯૭૭. આ તારીખનું મહત્ત્વ એટલે છે કેમ કે આ કાવ્ય કટોકટી દરમિયાન લખાયું છે. અને એ વંચાયું આઠ જાન્યુઆરી ઓગણીસસો સત્યોતેરના દિવસે, કટોકટી હળવી થવાના ત્રણ-ચાર દિવસ પહેલાં. એમાં આવતું સંસદના ખંડનું આ વર્ણન જૂઓઃ
અલવિદા સંસદ!
સંસદગૃહ, તારા કારિન્થિયન સ્તંભો સમક્ષ
ગમે તેવો માનવ, મહામાનવ, દેવમાનવ
તેય માંડ માનવ જેવડો લાગે.
અહીં ‘કારિન્થિયન સ્તંભો’ દ્વારા કવિ લોકશાહીનો મહિમા કરે છે અને સહુને એની સામે ઊભા કરી ‘.. તેય માંડ માનવ જેવડો લાગે’કહી લોકશાહી મૂલ્ય સમેત માનવ થવું કેટલું કાઠું છે એ પણ કહી દે છે. આજે આપણે ઉમાશંકરને એટલે યાદ કરીએ છીએ કે કટોકટી વખતે એ રાજ્યસભાના સાંસદ હતા, એ વખતે પણ બહુમતીથી ચૂટાયેલી કૉંગ્રેસ સરકારનું શાસન હતું. એ વખતે પણ એવો તર્ક તો કરનારાઓએ કર્યો જ હશે કે “બહુમતીથી ચૂંટાયેલી સરકારે કટોકટી લાદી છે” એટલે એક રીતે તો આ લોકતંત્રિક પગલું જ ગણાય. આગળની પંક્તિઓમાં ‘ભારત ચારો’ કહી ત્યાંની ગતિવિધિ એ ‘લાઈવ ટેલિકાસ્ટ’ નિરૂપે છે જે આપણને આજે દેખાય છે. અને પછી આજે આપણને નથી દેખાતું એ દેખાડતા કહે છેઃ
દીવાલો પર દિવંગત નેતાઓની માણસ-અદકેરી છબિઓ
છે-નથી સમી.
વીજળી પ્રકાશ ચોપડેલી ગાંધી બાપુની આંખો બધું જોયા કરે.
અને પછી કટોકટીનું આવું વ્યંગ સભર કરુણ વર્ણન છે :
એકાએક સોપો પડ્યો.
કોઈક ગણગણ્યુંઃ હવે જબાન બંધ જાણજો.
ફલાણાભાઈ કરે આપણા પક્ષની વાત જો,
ભૂંડાએ વગોવ્યા મોટા ખોરડા.
કટોકટી લાદનારે આ કવિવાણી હિંદી કે ઇગ્લિશમાં વાંચી હોત તો અને આજે ફરી ગુજરાતીમાં વાંચે તો આજનાઓને સમજાશે કે ‘ભૂંડાએ વગોવ્યા મોટા ખોરડા.’ એટલે શું? અને પછી કવિ ‘દીવાલ પરની છબિઓ માત્ર બોલે, બોલે મહાત્માનું મૌન’ કહી, સહેજ અટકી, ખચકાટ-કચવાટ સાથે કહે છેઃ
શબ્દ, તું મને અહીં લઈ આવ્યો,
લઈ ચાલ ત્યાં,
જ્યાં તું કર્મ સાથે સરસાઈ કરે,
જ્યાં અર્ધેક ઈશારે દુનિયા વરતી જાય સત્તાનો ફરેબ,
જે આપતો આશા ને લઈ લે ભાષા.
કટોકટી દ્વારા રાજસત્તાએ પ્રજા સમસ્ત પર જે ઊંડો ઘા કર્યો છે તે આ ‘જે આપતો આશા ને લઈ લે ભાષા’ છે. દોસ્તો, આજે ઉમાશંકરનો આ ટોન અને એમની આ દિશા કાળજીથી જાળવી રાખવાની જરુર છે. આપણે સહુ આ જાળવી રહ્યા છીએ. સિતાંશુભાઈએ હમણાં અકાદમીના નિમાયેલા અધ્યક્ષ વિષ્ણુભાઈને લખેલા પત્રમાં કહ્યુંઃ
“ગુજરાત સાહિત્ય અકાદમીના અધ્યક્ષપદે સરકારી સત્તાની રૂએ, ચૂંટણી ન થવા દે, એ પ્રથા (ગમે તે પક્ષની સરકાર, ગમે તે સમયગાળામાં હોય તો પણ) સર્વથા અસ્વીકાર્ય છે.”
અને ઉમાશંકરે ૧૯૮૬માં ગુજરાત સરકારની અકાદમીએ એમને સારસ્વત સન્માન આપવા માટે ઠરાવ્યું ત્યારે એમણે સન્માન લેવાનું માંડવાળી વળતા જવાબમાં સરકારને જે કહ્યું તે આ પ્રમાણે હતું : “ગુજરાત સાહિત્ય અકાદમીએ સરકારી ખાતાના ભાગ જેવી ન રહેતા ત્વરાપૂર્વક પ્રજાકીય સંસ્થા બનવું જોઈએ.”
આ ટોન આપણે જાળવી રાખવાનો છે. જેમ ઉમાશંકર ‘અલવિદા દિલ્હી’ના અંતે કહે છે :
નવી, સાતમી દિલ્હી, ખબર છે તને તો –
ઇતિહાસ રાજધાનીઓની છેડતી કરે છે.
ખેડુની-શ્રમિકની વાંકી વળેલી પીઠ પર ઊભી છે એને વધુ વાંકી વાળતી
તો સિતાંશુ સિંહવાહિની સ્તોત્રમાં કહે છે :
“શાસક કુટિલ, શાસિત સ્વાર્થ નિમગ્ન સચિવગણ યંત્ર,
ઘૂંટણભર જલદર્પણ ડૂબ્યા ઋષિ ન દેખે મંત્ર.
આજે શાસક તો કુટિલ છે પણ આ’ઋષિ’ … આપણે ઉમાશંકરનો આ ટોન અને એમણે ચીંધેલી આ દિશા જાળવી રાખવાની છે. સત્તા સામે આ બધું જાળવવું સહેલું તો નહીં જ હોય એનો અણસારો પણ કવિ ‘જીર્ણ જગત’માં આ રીતે આપી ગયા છે :
મને મુર્દાની વાસ આવે!
સભામાં, સમિતિમાં, ઘણાં પંચમાં, જયાં
નવા નિર્માણની વાતો કરે જુનવાણી જડબાં, એક હા-ની પૂંઠે જ્યાં ચલી વણજારમાં હા,
– મળે ક્યાંક જ અરે મર્દાનગીની ના, – પરંતુ એહને ધુત્કારથી થથરાવવા કરતાં.
આનો વધુ એક પરચો અમને હમણાં સ્વાયત્ત અકાદમી આંદોલન વખતે મળ્યો. આપણે ૧ મે, ૨૦૧૫ના સમયથી અમદાવાદ મ્યુિનસિપાલિટી દ્વારા આયોજિત પુસ્તક મેળામાં સ્વાયત્ત અકાદમી આંદોલનના બિલ્લા પહેરી ‘બજ ટેગિંગ’ કરીએ છીએ, પત્રિકા વિતરણ કરીએ છીએ. હમણાં ૨૦૧૭ના પુસ્તક મેળામાં પણ અકાદમી સ્વાયત્ત કરવાની માંગણી સાથે હું પ્રકાશ ન.શાહ અને બારીન મહેતા બિલ્લા પહેરી ‘બજ ટેગિંગ’ કરતા હતા, આ રઘુવીરભાઈની દુકાન પાસે અમે સહુ અટક્યા ત્યારે એમણે ઉપહાસમાં વ્યંગ કરતા મને, પ્રકાશભાઈને અને બારીન મહેતાને કહ્યું :
“તમે ત્રણ જ ટક્યા છો?”
ભાઈ, અમે ત્રણ નથી. અમારી સાથે સાથે નિરંજન ભગત, સિતાંશુ યશશ્ચંદ્ર, ચંદ્રકાન્ત ટોપીવાળા અને ધીરુ પરીખ, રમણ સોની, હિમાંશી શેલતથી લઈને ગુજરાતના અનેક સાહિત્યકારો છે. અમારી પીઠ ઉપર ઉમાશંકરનો હુંફાળો હાથ છે, અને એમનો હાથ એમની પીઠ ઉપર જ હોય જેમની પાસે મૂલ્યો માટે રાજસત્તા સામે ટટ્ટાર ઊભી રહે એવી કરોડરજ્જુ હોય.
આપણે સહુ જાણીએ છીએ કે ઉમાશંકર જીવનનાં આરંભકાળથી અંતિમ ઘડી સુધી ગાંધીવિચાર સાથે વહ્યા છે. હા, વહ્યા છે, એ વિચારધારા સાથે સંકળાયેલી સત્તાનાં ફીણમાં તણાયા નથી. જો તણાયા હોત તો આજે આપણે “જ્યાં અર્ધેક ઈશારે દુનિયા વર્તી જાય સત્તાનો ફરેબ, જે આપતો આશા ને લઈ લે ભાષા.” જેવી લોકતંત્રના માર્ગને અજવાળતી કાવ્યપંક્તિઓ ન પામ્યા હોત. અને જે વિચારધારા સાથે આપણે સહમત હોઈએ એ વિચારધારાનાં કટોકટી જેવાં અલોકતાંત્રિક પગલાંનો વિરોધ કરવા જેવું સામર્થ્ય ન પામ્યા હોત. એ માટે કવિની છાતી જોઈએ જેનું માપ ઈંચમાં ન હોય, ‘વિશ્વશાંતિ’માં કવિએ કહેલી આવી પંક્તિઓમાં હોય :
“વિશાળે જગવિસ્તારે નથી એક જ માનવીઃ પશુ છે, પંખી છે પુષ્પો, વનોની છે વનસ્પતિ!”
આજે તો પોતાની વિચારધારાની વાત આવે એટલે ત્રાજવાં-કાટલાં જ બદલાઈ જાય છે. કટોકટી વખતે જેમને વ્યક્તિના અભિવ્યક્તિ સ્વાતંત્ર્ય અને સંસ્થાઓની સ્વાયત્તતા અને લોકતંત્રનું હનન દેખાતું હતું એમને આજે પોતાની વિચારધારાની સત્તામાં સંસ્થાઓની સ્વાયત્તતા અને એના લોકતંત્રનું હનન દેખાવાનું તો બાજુ પર રહ્યું પણ રાજસત્તાના એ કૃત્યને જસ્ટિફાય કરી રહ્યા છે. અને એ પણ પાછું ઉમાશંકરનું નામ દઈને! કહે છે કે આજે જો ઉમાશંકર હોત તો એમણે મારી પીઠ થપથપાવી હોત.
મને યાદ છે અમે ત્રણેક મિત્રો પહેલીવાર ૧૯૭૯માં અમદાવાદ ભણવા આવ્યા ત્યારે શ્રીમતી ગાંધી મોરારજી દેસાઈની અઢી વર્ષની સરકારને ઉથલાવી બહુમતીથી ફરી સત્તામાં આવ્યાં હતાં. પણ અમારી ચર્ચાનો વિષય તો એ રહેતો કે કટોકટી દરમિયાન મુંબઈમાં ઇંદિરા ગાંધીની સવારી નીકળી ત્યારે ઉમાશંકર ભીંત સામે મોં કરી ઊભા રહ્યા હતા. સ્વતંત્રતા, લોકતંત્ર કે સ્વાયત્તતા એવાં મૂલ્યો છે જેને જાળવવા માટે જબરી હિંમતની જરૂર પડે. ભીંત સામે મોં કરી ઊભા રહેવા જેટલી હિંમતની જરૂર પડે. એટલે જ કહું છું, ઉમાશંકરે જે દિશા ચીંધી છે એના કેડા તો છોડાય જ નહીં, એમનો જે ટોન છે એને સમયાનુસારની પીચની વધઘટ સાથે આપણે જાળવવો રહ્યો.
હમણાં જ, થોડા દિવસ પહેલાના ‘ઇંડિયન એક્સપ્રેસ’માં અમર્ત્ય સેને આ બહુમતીથી ચૂટાયેલી સરકારને કહ્યું કે તમે યુનિવર્સિટીઓને સરકારી ઑફિસની જેમ ન ચલાવી શકો. અત્યારે ગમે તે યુનિવર્સિટીમાં પગ મૂકો, તમને શિક્ષણ કે કેળવણી કરતાં વેપાર અને નફા-નુકસાનની ભાષા અથવા તો સત્તામાં જે પક્ષ છે એમની વિચારધારાનો અતિરેક જ જોવા મળશે. અને સ્વાયત્તતાની વાત આવે ત્યાં તો ગુજરાતી સાહિત્ય પરિષદ જેવીં સંસ્થાઓની સામાન્ય સભામાં પણ એક એવું કોરસ હોય છે જે બોલ્યા કરે … “આ સ્વાયત્તતા સિવાયની વાત કરો” આવી સંસ્થાઓ અને વ્યક્તિઓ માટે જ ઉમાશંકરે ‘જીર્ણ જગત’ કહ્યું છે : “મને મુર્દાની બૂ સતાવે!”
ઉમાશંકરને જ્ઞાનપીઠ પુરકસ્કાર ઓગણીસસો સડસઠમાં કન્નડ કવિ કુવેમ્પુ સાથે મળ્યો હતો. ઓગણીસસો છોંતેરમાં કવિએ જ્યારે વાંકી વળેલી ખેડૂની પીઠ પરથી તું ઊતરી શકીશ, એમ કહી દિલ્હીને અલવિદા કહ્યા પછી પણ એમણે લોકતાંત્રિક મૂલ્યો અને સામાજિક ન્યાય જેવા સિદ્ધાંતોની ખેવના વિસારે નહોતી પાડી. કવિએ ૧૯૮૬માં કરેલી “ગુજરાત સાહિત્ય અકાદમીએ સરકારી ખાતાના ભાગ જેવી ન રહેતા ત્વરાપૂર્વક પ્રજાકીય સંસ્થા બનવું જોઈએ.” ટકોરના કારણે એ વખતની સરકાર ગુજરાત સાહિત્ય અકાદમીને સ્વાયત્ત અને લોકતાંત્રિક બનાવવા તૈયાર થઈ. દર્શકની અધ્યક્ષતામાં યશવંત શુક્લ તથા અન્ય સાહિત્યકારોએ અકાદમીનું બંધારણ ઘડ્યું અને ૧૯૯૩માં ગુજરાત સાહિત્ય અકાદમી પ્રજાકીય સંસ્થા બની. આ અકાદમીને સરકારે ૦૭-૦૪-૨૦૧૫ ના એક કચેરી હુકમથી ફરી પોતાના તાબામાં લીધી. એની સ્વાયત્તતા માટે લડ્યા વિના આપણી પાસે ક્યાં કોઈ વિકલ્પ હતો! રાજસત્તા સાથે રહેનાર ગણ્યાગાંઠ્યા સાહિત્યકારોને બાદ કરતાં આખા ગુજરાતના સાહિત્યકારો અકાદમીની સ્વાયત્તતા માટે કટિબદ્ધ થયા. આવું એટલે કરી શકાયું કેમ કે સહુથી આગળ ઉમાશંકરનું “ગુજરાત સાહિત્ય અકાદમીએ સરકારી ખાતાના ભાગ જેવી ન રહેતા ત્વરાપૂર્વક પ્રજાકીય સંસ્થા બનવું જોઈએ.” આ કથન ઊભું હતું. એટલે જ તો નિરંજન ભગતે કહ્યુંઃ “ઉમાશંકરનું કર્યું ધૂળ થોડું થવા દેવાય?” એમનું કર્યું ધૂળ ન થાય; કેમ કે એમની સાથે ગામથી જે શબ્દ આવ્યો હતો એ આજે ય આપણી વચ્ચે સજીવ છે. એમણે રાજનીતિનાં બે પાસામાંથી રાજસત્તાનો નહીં, જનસત્તાનો મહિમા કર્યો હતો. એમણે રાજશક્તિનો નહીં જનશક્તિનો મહિમા કર્યો હતો, આ રીતે …
જનશક્તિ હું,
રુંધાયેલા ચૈતન્યની ઢૂંઢી રહી અભિવ્યક્તિ હું,
જંજીર પગમાં તોય ઠોકરે
રાજમુગટો કૈંક; ને શા થરથરે
કાળજાં દુઃશાસકોના મારી ભૈરવી ત્રાડથી
માર્ગ મુજ છાયો કંઈ સામ્રાજ્ય કેરા હાડથી.
આજના દિવસે એમના આ શબ્દથી મારી વાતને વિરામ આપું છું. આભાર.
(તા. ૨૧-૦૭-૨૦૧૭ના રોજ કલ્ચરલ ઍન્ડ એજ્યુકેશન ફોરમના ઉપક્રમે જે બોલાયું છે તેને એ જ ભાવ-ભાષા સાથે લખ્યું છે.)
તા. ૨૧-૦૭-૨૦૧૭
E-mail : pjagjivandas@gmail.com
સૌજન્ય : “નિરીક્ષક”, 01 અૉગસ્ટ 2017; પૃ, 04-06