૧૯૪૨નું આંદોલન થયું એનો ઇતિહાસ આપણે બધા જાણીએ છીએ, પરંતુ એક ઓછા જાણીતા ઇતિહાસ વિશે રાજમોહન ગાંધીએ તેમના પુસ્તક ‘મોહનદાસ’માં ધ્યાન ખેંચ્યું છે. બ્રિટિશ સરકારે કૉન્ગ્રેસના તમામ દિગ્ગજ નેતાઓને એક જ જેલમાં અહમદનગરના ર્ફોટમાં કેદ કર્યા હતા. આવું આ પહેલાં કોઈ આંદોલન વખતે બન્યું નહોતું. લગભગ બે વરસના જેલવાસ દરમ્યાન કૉન્ગ્રેસના નેતાઓ વચ્ચે બે વાતની સંમતિ બની ગઈ હતી. એક, યુદ્ધ પછી બ્રિટિશ સરકાર એટલી કમજોર થઈ ચૂકી હશે કે ભારતને આઝાદ કરવા સિવાય સરકાર પાસે બીજો કોઈ માર્ગ નહીં હોય અને એ સ્થિતિમાં પાકિસ્તાન આપી દેવામાં ભારતનું હિત છે. બે, મોહનદાસ કરમચંદ ગાંધી નામના માણસનો ખપ હવે પૂરો થઈ ગયો છે
૯ ઑગસ્ટે ભારત છોડો આંદોલનને ૭૫ વર્ષ થશે એટલે ભારતની પ્રજાએ આઝાદી માટે કરેલા છેલ્લા આંદોલનના અમૃત મહોત્સવનું વર્ષ છે. ૧૯૪૬માં મુંબઈમાં નૌકાદળના કટલાક સૈનિકોએ વિદ્રોહ કર્યો હતો, પરંતુ એ નાનકડી ઘટના હતી અને એ પ્રજાકીય આંદોલન નહોતું એટલે ૧૯૪૨ના આંદોલનને છેલ્લું આંદોલન કહેવું જોઈએ. વર્તમાન સરકારે ૧૯૪૨ના ભારત છોડો આંદોલનની ઉજવણીમાં વિશેષ રસ દાખવ્યો નથી અને એ સ્વાભાવિક પણ છે. તેઓ જે પરિવારમાંથી આવે છે એની દેશપ્રેમની નાદારી એ ઘટના સાથે જોડાયેલી છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) અને હિન્દુ મહાસભાના નેતા વિનાયક દામોદર સાવરકરે ૧૯૪૨ના અંદોલનનો વિરોધ કર્યો હતો એટલું જ નહીં, અંગ્રેજ સરકારને પત્ર લખીને જાણ કરી હતી કે તેઓ આંદોલનનો વિરોધ કરી રહ્યા છે અને સરકારને મદદ કરવા તૈયાર છે. અહીં તેમણે કરેલું પરાક્રમ ચર્ચાનો વિષય નથી એટલે એને બાજુએ મૂકીએ.
વાચકોને જાણ હશે કે ૧૯૪૨ની ૯ ઑગસ્ટે ગાંધીજીએ અંગ્રેજોને ભારત છોડીને જતા રહેવાની હાકલ કરી ત્યારે બીજું વિશ્વયુદ્ધ ચાલતું હતું. અંગ્રેજો માટે આ પાર કે પેલે પારનો અસ્તિત્વનો સંઘર્ષ હતો. શરૂઆતમાં અંગ્રેજોએ ભારતીય પ્રજાની ભાવનાની ચિંતા નહોતી કરી અને ભારતના કૉન્ગ્રેસના નેતાઓને કે બીજા પક્ષોના નેતાઓને પૂછ્યા વિના ભારતને યુદ્ધમાં બ્રિટન વતી પક્ષકાર બનાવી દીધું હતું. આના વિરોધમાં કૉન્ગ્રેસની પ્રાંતીય સરકારોએ રાજીનામાં આપી દીધાં હતાં. એ પછી જ્યારે બ્રિટન જર્મની સામે કમજોર પડવા માંડ્યું અને કદાચ યુદ્ધ હારી જશે એવા સંજોગો પેદા થવા લાગ્યા ત્યારે કૂણી પડી ગયેલી બ્રિટિશ સરકારે ભારતમાં ભારતીય નેતાઓ સાથે વાતચીત કરવા એક પ્રતિનિધિમંડળ મોકલ્યું હતું.
ભારતના નેતાઓ સાથેની યુદ્ધને સમર્થન આપવાની વાતચીત નિષ્ફળ નીવડી હતી. ગાંધીજીએ કહ્યું હતું કે જો અંગ્રેજ સરકાર યુદ્ધ પછી ભારતને આઝાદી આપવાનું વચન આપે તો ભારત બ્રિટનના યુદ્ધપ્રયાસોમાં સમર્થન આપવા તૈયાર છે. બીજી બાજુ અંગ્રેજ સરકારના પ્રતિનિધિમંડળે આગ્રહ રાખ્યો હતો કે ભારતની પ્રજાએ અને કૉન્ગ્રેસે બિનશરતે યુદ્ધમાં સહકાર આપવો જોઈએ અને યુદ્ધ પછી સરકાર પૂરી સહાનુભૂતિ સાથે ભારતની પ્રજાની એષણા વિષે વિચારશે. ગાંધીજીએ અંગ્રેજોના વાયદાને નાદાર બૅન્કના પોસ્ટડેટેડ ચેક તરીકે ઓળખાવ્યો હતો. જો કે ગાંધીજીના પૌત્ર અને જાણીતા ઇતિહાસકાર રાજમોહન ગાંધી કહે છે કે આ પોસ્ટડેટેડવાળું વાક્ય કોઈકે ગાંધીજીના મોઢામાં મૂક્યું છે, ગાંધીજી આવું બોલ્યા હોય એવું કોઈ પ્રમાણ મળતું નથી. ગાંધીજી આ વાક્ય બોલ્યા હોય કે ન બોલ્યા હોય, એ વાક્ય અંગ્રેજોના વલણને પ્રગટ કરતું હતું.
અંગ્રેજોની દલીલ એવી હતી કે ‘યુદ્ધ સભ્યતા અને બર્બરતા વચ્ચેનું યુદ્ધ છે. માનવીયતા અને અમાનવીયતા વચ્ચેનું યુદ્ધ છે. બીજું વિશ્વયુદ્ધ ખુલ્લા સમાજ અને ફાસીવાદ વચ્ચેનું યુદ્ધ છે. લોકશાહી અને તાનાશાહી વચ્ચેનું યુદ્ધ છે. ભારતના નેતાઓએ આ હકીકત સ્વીકારવી જોઈએ અને માનવીયતાનો એક જાગતિક પોકાર અને તકાદો સમજીને કોઈ પણ પ્રકારની શરત મૂક્યા વિના ફરજ સમજીને એમાં સાથ આપવો જોઈએ.’
અંગ્રેજોની આ દલીલ જવાહરલાલ નેહરુ સહિત ભારતના અનેક નેતાઓને ગળે ઊતરતી હતી. એને માટે અંગ્રેજોના તર્કશાસ્ત્રની રાહ જોવાની પણ જરૂર નહોતી. આ ઉઘાડું સત્ય હતું અને એ અંગ્રેજો આપણને સમજાવે એ પહેલાં ભારતના નેતાઓ આ સમજતા હતા.
સવાલ હતો અંગ્રજોના બેવડા વલણનો. સંસ્થાનવાદ અને સંસ્થાનોનાં શોષણમાં ક્યાં માનવતા હતી? કોઈ પ્રજાને ગુલામ રાખવામાં આવે એમાં કયાં લોકશાહી મૂલ્યો હતાં? જો અંગ્રેજો ભારતને આઝાદી આપવાનું વચન આપે તો ભારત એ સ્વીકારવા તૈયાર છે કે આ સામ્રાજ્યવાદી યુદ્ધ નથી પરંતુ માનવીયતાને બચાવી લેવાની જેહાદ છે અને પ્રત્યેક ભારતીયની એ ફરજ બને છે કે એમાં એ આહુતિ આપે. જો અંગ્રેજો આવું વચન ન આપે તો એનો અર્થ એટલો જ થાય કે આ સામ્રાજ્યવાદી યુદ્ધ છે અને યુરોપનાં સામ્રાજ્યો ત્રીજા દેશોની ભૂમિ પર કબજો કરવા આપસમાં લડી રહ્યાં છે. ગાંધીજીએ આવા કેટલાક પ્રશ્નો ઉપસ્થિતિ કર્યા હતા અને અંગ્રેજોને આહ્વાન કર્યું હતું કે વધારે મોડું થાય એ પહેલાં બ્રિટિશ સરકારે એ જે કહે છે એ મુજબ ખરા ઊતરવું જોઈએ. સામે પક્ષે હિટલર અને મુસોલિની છે એટલે તમે આપોઆપ મહાત્મા સાબિત નથી થતા.
ગાંધીજીની આ વાત ગળે ઊતરે એવી હતી; પરંતુ ત્યારે જવાહરલાલ નેહરુ, સી. રાજગોપાલાચારી જેવા કૉન્ગ્રેસના ઘણા નેતાઓને આ વાત ગળે નહોતી ઊતરી. તેમને એમ લાગતું હતું કે બીજું વિશ્વયુદ્ધ ખરેખર સભ્યતા અને બર્બરતા વચ્ચેનું યુદ્ધ છે. તેમને એમ પણ લાગતું હતું કે યુદ્ધ માનવીયતાને બચાવી લેવાનો જાગતિક પોકાર છે અને ભારતે આઝાદીની માગણી થોડો સમય મુલતવી રાખીને બ્રિટિશ સરકારને ટેકો આપવો જોઈએ. ગાંધીજીથી ઊલટું તેમને એમ પણ લાગતું હતું કે હિટલર અને મુસોલિની માનવસભ્યતાએ પેદા કરેલા રાક્ષસો છે અને ઉપરથી તેઓ ફાસીવાદી રાક્ષસી વિચારધારા સાથે યુદ્ધ લડી રહ્યા છે, જો યુદ્ધમાં જર્મની અને ઇટાલીનો વિજય થશે તો સામ્રાજ્યવાદી સંસ્થાનવાદની જગ્યા ફાસીવાદી સંસ્થાનવાદ લેશે અને એ ભયાનક હશે. હા, સામે હિટલર અને મુસોલિની છે એટલે ચર્ચિલને મહાત્મા નહીં તો માણસ તો કહેવા જ પડશે. કૉન્ગ્રેસના કેટલાક નેતાઓએ તો કૉન્ગ્રેસની પ્રાંતીય સરકારોએ રાજીનામાં આપવાં જોઈએ એવા પ્રસ્તાવનો પણ વિરોધ કર્યો હતો. ટૂંકમાં, કૉન્ગ્રેસની અંદર બીજા વિશ્વયુદ્ધને લઈને લાંબું વિચારમંથન ચાલ્યું હતું અને નિર્ણય કરવો સહેલો નહોતો.
એક માત્ર સુભાષચંદ્ર બોઝના મનમાં કોઈ મૂંઝવણ નહોતી. તેઓ એમ માનતા હતા કે દુશ્મનના દુશ્મન મિત્ર તરીકે ભારતે ધરી રાષ્ટ્રોને મદદ કરવી જોઈએ અને ભારતમાંથી અંગ્રેજોને તગેડવા મદદ લેવી જોઈએ. તેમની આ રણનીતિને લગભગ હસી કાઢવામાં આવી હતી, કારણ કે એમાં નર્યું રાજકીય અજ્ઞાન અને ભોળપણ હતું. તેમની દેશદાઝ અને જવાંમર્દી માટે જેટલી વાર વંદન કરો એટલાં ઓછાં છે, પરંતુ એમાં રાજકીય અપરિપક્વતા હતી. તેમને ગાંધીજીએ તેમ જ તેમના મિત્ર (જી હા મિત્ર, જિગરજાન મિત્ર) જવાહરલાલ નેહરુએ સમજાવવાની કોશિશ કરી હતી કે આ દુશ્મનને મારવા જમને ઘરે બોલાવવા જેવું થશે એટલે આવું સાહસ કરવા જેવું નથી. બીજું, આમાં સફળતા મળવાની શક્યતા નહીંવત્ છે. સુભાષબાબુ તો સુભાષબાબુ હતા. સંકલ્પ કર્યો કે એની પૂર્તિ માટે જાન આપી દેનારા. એ પછી જે બન્યું એ ઇતિહાસ છે. સુભાષબાબુની શહાદત એ કારણ વગરની શોકાંતિકા છે.
સામ્યવાદીઓએ તો પોતાને જોકર સાબિત કર્યા હતા. બીજા વિશ્વયુદ્ધને પ્રારંભમાં સામ્યવાદી રશિયાએ સામ્રાજ્યવાદી યુદ્ધ જાહેર કર્યું હતું એટલે ભારતના સામ્યવાદી બિરાદરો બ્રિટનના યુદ્ધપ્રયાસોનો વિરોધ કરતા હતા. તેમણે કૉન્ગ્રેસ નિર્ણય લે એ પહેલાં નિર્ણય લઈ લીધો હતો એટલે સરકારે તેમને જેલમાં ધકેલી દીધા હતા. એ પછી હિટલરે રશિયા પર હુમલો કર્યો અને અત્યાર સુધી તટસ્થ રહેલા રશિયાએ મિત્રરાષ્ટ્રોના પક્ષે યુદ્ધમાં ઊતરવું પડ્યું હતું. રશિયા જેને સામ્રાજ્યવાદી યુદ્ધ તરીકે ઓળખાવતું હતું એ નવી સ્થિતિમાં લોકયુદ્ધ (પીપલ્સ વૉર) તરીકે ઓળખાવા લાગ્યું. અહીં ભારતમાં પણ સામ્યવાદીઓ બીજા વિશ્વયુદ્ધને લોક્યુદ્ધ તરીકે ઓળખાવવા લાગ્યા અને બ્રિટિશ સરકારને મદદ કરવા લાગ્યા. એટલે તો સામ્યવાદીઓ માટે મજાકમાં એમ કહેવાતું હતું કે રશિયામાં વરસાદ પડે તો ભારતના સામ્યવાદીઓ અહીં છત્રી ઉઘાડતા હતા.
ડૉ. બાબાસાહેબ આંબેડકરે અને સામ્યવાદીમાંથી માનવતાવાદી (હ્યુમનિસ્ટ બનેલા માનવેન્દ્રનાથ રૉયે બ્રિટિશ સરકારને ઉઘાડો અને સક્રિય ટેકો આપ્યો હતો. ભારત છોડો આંદોલનને નિષ્ફળ બનાવવા માટે, બ્રિટિશ સરકારને ટેકો આપવા માટે અને બ્રિટિશ સરકારના યુદ્ધપ્રયાસોની તરફેણમાં લોકમત બનાવવા માટે આ બન્ને નેતાઓને મહિને ૧૩,૦૦૦ રૂપિયા આપવામાં આવતા હતા. ડૉ. આંબેડકર જ્યાં સુધી દલિતોના પ્રશ્ને કૉન્ગ્રેસ સાથે પાકી સમજૂતી ન થાય અને કૉન્ગ્રેસ એની દલિતો માટેની નીતિ સ્પષ્ટ ન કરે ત્યાં સુધી નહોતા ઇચ્છતા કે ભારત સ્વતંત્ર થાય. તેમને કૉન્ગ્રેસ પર અને કંઈક અંશે ગાંધીજી પર પણ ભરોસો નહોતો. માનવેન્દ્રનાથ રૉય એવું માનતા હતા કે સંસ્થાનવાદ અને ભારતની આઝાદી કરતાં આધુનિક માનવીય મૂલ્યોની કિંમત અદકેરી છે માટે મિત્રરાષ્ટ્રોનો વિજય જરૂરી છે. ફાસીવાદ એક ભસ્માસુર છે એટલે ઇન્ડિયન ફ્રીડમ કૅન ઍન્ડ શુડ વેઇટ.
સાવરકર અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની સહાનુભૂતિ ઇટલીના ફાસિસ્ટ બેનેટો મુસોલિની માટે હતી. બી. એસ. મુંજે નામના હિન્દુત્વવાદી નેતા અને ડૉ. હેડગેવારના ગુરુ ઇટલી જઈ આવ્યા હતા અને ઇટલીમાં ફાસીવાદી સંગઠન કઈ રીતે કામ કરે છે, કઈ રીતે લોકોને ભરમાવે છે, કઈ રીતે સંગઠનની બાંધણી કરે છે, કઈ રીતે તેઓ સત્તા સુધી પહોંચ્યા હતા એનો અભ્યાસ કરી આવ્યા હતા. તેમણે નાશિકમાં ભોસલા મિલિટરી સ્કૂલની સ્થાપના કરી હતી અને તેમના હિન્દુત્વવાદી મિત્ર બૅરિસ્ટર જયકરે મુંબઈમાં સ્વસ્તિક લીગની (હિટલરનો સ્વસ્તિક યાદ હશે). એટલે તો RSS ઇઝ મોર ઇટાલિયન ધેન સોનિયા ગાંધી એમ કહેવાય છે.
બન્યું એવું કે એ પછી વિશ્વયુદ્ધ શરૂ થયું અને બ્રિટિશ સરકારે વિરોધ કરનારાઓને જેલમાં પૂરવાનું શરૂ કર્યું ત્યારે તેમનાં ગાત્રો ઢીલાં થવા લાગ્યાં હતાં અને ડરીને તેમણે સરકારને લખીને જણાવ્યું હતું કે તેઓ સરકારના યુદ્ધપ્રયાસોને ટેકો આપે છે અને ગાંધીજીના ભારત છોડો આંદોલનનો વિરોધ કરે છે. તેમણે જરા વધારે પડતી વફાદારી બતાવવી જરૂરી હતી, કારણ કે બી. એસ. મુંજે ઇટલી ગયા હતા અને મુસોલિનીને મળ્યા હતા એની સરકારને જાણ હતી અને તેમને ડર હતો કે સરકાર તેમને છોડશે નહીં. એટલે તો એ સમયે મજાકમાં એમ કહેવાતું હતું કે ભૂગર્ભ આંદોલન કરનારાઓ માટે છુપાવા માટે સૌથી સુરક્ષિત જગ્યા સામ્યવાદીઓ અને હિન્દુત્વવાદીઓનાં રહેઠાણો અને ઑફિસો છે.
છેલ્લે મુસ્લિમ લીગ. મુસ્લિમ લીગે કૉન્ગ્રેસ જ્યાં સુધી પોતાની ભૂમિકા સ્પષ્ટ ન કરે ત્યાં સુધી દહીં-દૂધમાં પગ રાખ્યો હતો. આગળ કહ્યું એમ કૉન્ગ્રેસમાં બ્રિટિશ સરકારને શરતી ટેકો આપવો કે બિનશરતી એ વિશે મતભેદ હતા. કૉન્ગ્રેસે જ્યારે શરત રજૂ કરી અને છેવટે અંગ્રેજોને ભારત છોડીને જતા રહેવાનું આંદોલન કરવાનો નિર્ણય લીધો એ પછીથી મુસ્લિમ લીગે બ્રિટિશ સરકારને ખુલ્લો ટેકો આપ્યો હતો. સ્વાભાવિકપણે સરકાર કૉન્ગ્રેસવિરોધી વલણ અપનાવવાની હતી અને એમાં મુસ્લિમ લીગને ફાયદો હતો. મુસ્લિમ લીગ બની શકે એટલા પ્રમાણમાં સરકારની નજીક ગઈ હતી અને બ્રિટિશ સંકટનો વધુમાં વધુ લાભ લીધો હતો. મોહમ્મદઅલી જિન્નાહે માત્ર એક ટાઇપરાઇટર દ્વારા એક રાજ્ય(પાકિસ્તાન)ની સ્થાપના કરી હતી એમ જે કહેવાય છે એમાં બીજા વિશ્વયુદ્ધનો મોટો ફાળો હતો. બ્રિટિશ સરકારે પાકિસ્તાન માટેના આંદોલનને શિરપાવ તરીકે વળતો ટેકો આપ્યો હતો અને લીગને એમાં દરેક પ્રકારની મદદ કરી હતી.
કૉન્ગ્રેસે જો બ્રિટિશ સરકારને બિનશરતી ટેકો આપ્યો હોત અને જો ભારત છોડો આંદોલન ન કર્યું હોત તો ભારતનું વિભાજન ન થયું એવી એક થિયરી છે. કૉન્ગ્રેસે ૧૯૩૭માં સંયુક્ત પ્રાંત (અત્યારનું ઉત્તર પ્રદેશ) મુસ્લિમ લીગ સાથે ભાગીદારીમાં સરકાર રચી હોત તો ભારતનું વિભાજન ન થયું હોત એવી બીજી થિયરી છે. ઇતિહાસમાં જો અને તોની વાતો થતી જ રહેતી હોય છે, પરંતુ એનો કોઈ અર્થ હોતો નથી. દરેક નિર્ણય પ્રાપ્ત પરિસ્થિતિના સંદર્ભમાં લેવાતો હોય છે.
ખેર ૧૯૪૨નું આંદોલન થયું એનો ઇતિહાસ આપણે બધા જાણીએ છીએ, પરંતુ એક ઓછા જાણીતા ઇતિહાસ વિશે રાજમોહન ગાંધીએ તેમના પુસ્તક ‘મોહનદાસ’માં ધ્યાન ખેંચ્યું છે. બ્રિટિશ સરકારે કૉન્ગ્રેસના તમામ દિગ્ગજ નેતાઓને એક જ જેલમાં અહમદનગરના ર્ફોટમાં કેદ કર્યા હતા. આવું આ પહેલાં કોઈ આંદોલન વખતે બન્યું નહોતું. લગભગ બે વરસના જેલવાસ દરમ્યાન કૉન્ગ્રેસના નેતાઓ વચ્ચે બે વાતની સંમતિ બની ગઈ હતી. એક, યુદ્ધ પછી બ્રિટિશ સરકાર એટલી કમજોર થઈ ચૂકી હશે કે ભારતને આઝાદ કરવા સિવાય સરકાર પાસે બીજો કોઈ માર્ગ નહીં હોય અને એ સ્થિતિમાં પાકિસ્તાન આપી દેવામાં ભારતનું હિત છે. આને કારણે આઝાદી વહેલી મળશે અને અર્થાન્તરે સત્તા પણ વહેલી મળશે. બે, મોહનદાસ કરમચંદ ગાંધી નામના માણસનો ખપ હવે પૂરો થઈ ગયો છે એટલે હવે તેમની ઉપેક્ષા થઈ શકે એમ છે. આમાં સરદાર પટેલ અગ્રેસર હતા. ૧૯૧૬થી ૧૯૪૨ દરમ્યાન સરદાર ગાંધીજીનો પડ્યો બોલ ઝીલતા હતા અને ગાંધીના સરદાર તરીકે ઓળખાતા હતા એ જ સરદાર ગાંધીજીને સૌથી ઓછું સાંભળતા હતા.
એ પછીનાં વર્ષો ગાંધીજીની પીડાનાં વર્ષો છે, એકલતાનાં વર્ષો છે, અરણ્યરુદનનાં વર્ષો છે એ આપણે જાણીએ છીએ. અંતે ઇતિહાસનાં વહેણોને ક્યાં કોઈ બદલી શક્યું છે. જે બન્યું એ ઇતિહાસ છે.
સૌજન્ય : ‘નો નૉન્સેન્સ’ નામક લેખકની કોલમ, ‘સન્નડે-સરતાજ’ પૂર્તિ, “ગુજરાતી મિડ-ડે”, 06 અૉગસ્ટ 2017