
ડૉનાલ્ડ ટૃમ્પ
યુ.ઍસ.એ. -ની ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પનો વિજય થયો છે, કમલા હૅરીસનો પરાજય થયો છે.
ટ્રમ્પના વિજયથી ડૅમોક્રેટિક બેઝની પાયાની નબળાઇઓ અને નૈતિક નિષ્ફળતાઓ સ્પષ્ટ થઈ ગઈ છે, પણ વિસંગતિ તો એ છે કે અગાઉની ચૂંટણીમાં જેમના પર ૩૪ આરોપ થયેલા એ ‘felony conviction’ પામેલા ટ્રમ્પ વિજયી થયા છે !
કમલા ‘New genretion of leadership’ ભાસ્યાં હતાં. લાગ્યું હતું કે ઉકેલો શોધશે, પોલિટિકલ વૉરફેરને, રાજકારણી કાવાદાવાને, રોકશે, મૉંઘવારીને ડામશે. પણ હાર્યાં. કમલાના પરાજયનાં બે મુખ્ય કારણો દર્શાવાય છે :
કમલાને એક ઇન્ટરવ્યૂમાં પૂછવામાં આવેલું કે – તમે બાયડનથી જુદું શું કરશો? એમણે કહેલું, ‘Not a thing that comes to mind.’ ટ્રમ્પના વિજયથી એ સ્પષ્ટ થયું કે કમલા બિનલોકપ્રિય રાષ્ટ્રપ્રમુખ બાયડનથી પોતાને અલગ પુરવાર કરવામાં નિષ્ફળ નીવડ્યાં છે. કેમ કે બાયડનનાં મન્તવ્યો સાથે સમ્મતિનો દર, ઍપ્રુવલ રેટિન્ગ, વત્તો-ઓછો થયા પછી પણ સળંગ નીચો રહેલો, ૪૦% -થી કદી ઉપર નહીં ગયેલો.
બીજું કારણ ગણાવાય છે, બાયડન-સરકારની ઇઝરાઇલ-તરફી રાજનીતિ. યુ.ઍસ.એ. ઇઝરાઇલની સ્થાપનાથી એના અસ્તિત્વ અને રક્ષણ માટે એની પડખે રહ્યું છે. પણ સામ્પ્રતમાં એની એ ભાવનાની ટીકા થઈ છે. ખાસ તો, ગાઝા પટ્ટીમાં ચાલી રહેલા ઇઝરાઇલ-હમાસ યુદ્ધમાં એણે કરેલી 14.1 billion ડૉલરની ઇમરજન્સી મિલિટરી એઇડ. એમાં, સંરક્ષક Iron Dome અને David’s Sling મિસાઇલ સિસ્ટમ્સ માટે ફરી પૂર્તિ કરવામાં આવી, એ પણ છે. ઉપરાન્ત, વાર્ષિક 3.8 bilion આપે છે, એ તો ખરા જ.
મને ટ્રમ્પના એક મુદ્દામાં વધુ રસ પડ્યો છે, એટલા માટે કે ધરમકરમવાળાઓ, મહાવેપારીઓ અને રાજકારણીઓ દ્વારા પ્રસારિત થતી વાર્તાઓ અને બ્રાન્ડ્સ વિશે હરારી જે મન્તવ્યો રજૂ કરે છે, તે સાથે એ મેળમાં છે :
ચૂંટણી પૂર્વે ટ્રમ્પે આપેલાં વચનોને ‘fiery brand of America-first economic populism and conservative culture’ કહેવાય છે. ‘ફાયરી’, એટલે કે, આવેશ અને ઉત્તેજનાથી સભર. ‘બ્રાન્ડ ઑફ અમેરિકા’? પાયાનો આર્થિક સિદ્ધાન્ત કે જેમાં જનસામાન્ય અમેરિકનોને રસ છે. ‘બ્રાન્ડ ઑફ અમેરિકા’? અમેરિકાની રૂઢ સંસ્કૃતિની રક્ષા.
આ વચનો વિરોધાભાસી નથી? લોક ચાહે તેવી આર્થિક પ્રગતિ માટે પણ ખાસ પ્રકારની પ્રગતિશીલ નીતિરીતિ અનિવાર્ય છે. એનો રૂઢિવાદી વિચારસરણી સાથે મેળ શી રીતે પડવાનો? બીજું, પૉપ્યુલિઝમ એક અર્થમાં ‘ઍન્ટિઍલિટિઝમ’ હોય છે. લોકને રાષ્ટ્રવાદની દિશામાં દોડાવે છે. મોટે ભાગે પ્રગતિશીલ સુસંસ્થાપિત વિચારોને નકારે છે, અને તેથી સરવાળે, સંસ્કૃતિનું ધોવાણ થાય છે. એ જોઈને તટસ્થ ચિન્તકો, વિજ્ઞાનીઓ, બૌધ્ધિકો, સાહિત્યકારો અને સમાજવિદો દુ:ખી થાય છે.
ટ્રમ્પના એ ‘ફાયરી બ્રાન્ડ ઑફ અમેરિકા’-ની વિચારશીલોના આ દેશમાં હવે કસોટી થશે.
+ +
અત્યાર સુધીમાં મેં વર્ણવેલાં હરારીના મન્તવ્યોનો સાર : વાસ્તવિકતાની રજૂઆત ગમે તેટલી ચૉક્કસ હોય, સ્કેલ-ટુ-સ્કેલ, ગમે તેટલા મોટા કદમાં હોય, સત્યની રજૂઆત નથી કરી શકતી. અબુધ લોકો – naive view ધરાવનારા – એવું માની શકે. કેમ કે એ લોકો રાજ્ય, ધર્મ કે મહાવેપારધંધો ચલાવનારાઓથી દોરવાયા હોય છે અને તેઓએ રચેલી વાર્તાઓથી કે બ્રાન્ડ્સથી અભિભૂત થઈ ગયા હોય છે. તેમને સત્ય નથી દેખાતું કેમ કે તેઓ વિવિધ ભગવાનો, નાણાં કે રાષ્ટ્રો જેવી આન્તરસ્વલક્ષી – intersubjective – વાર્તાઓથી ભરમાઇ ગયા હોય છે.
હરારી દર્શાવે છે કે એ લોકો જ એવું માની શકે કે એ સત્ય જાણવાથી સત્તા (સામર્થ્ય કે શક્તિ) અને ડહાપણ બન્ને લાધશે.
મારે ઉમેરવું જોઈએ કે આ આન્તરસ્વલક્ષી વાર્તાઓ સાથે મોટાભાગની ભારતીય જનતા, સવિશેષે હિન્દુ, સદીઓથી જોડાયેલી છે, પણ તેનો નિર્દેશ હરારીએ કેમ કર્યો નથી. જો કે, એમના એક-બે બીજા મુદ્દાઓના સંદર્ભમાં એમણે “રામાયણ” ‘અસ્પૃશ્યતા નિવારણ’ અને ‘સ્વચ્છતા અભિયાન’-ની ચર્ચા કરી છે. એ મુદ્દા અને ભારત વિશેના અન્ય મુદ્દાઓનું વિવરણ હું યથાસમયે કરીશ.
વાસ્તવિકતા-રજૂઆત-સત્ય-સત્તા-ડહાપણના આ ગુચ્છને હરારીએ બરાબર પડકાર્યું છે.
હરારી કહે છે, લોકોની એ વાતથી એમ સૂચવાય છે કે જેઓ સત્યની અવગણના કરે છે, તેઓને ઝાઝી શક્તિ પ્રાપ્ત નથી થતી. પણ જેઓ સત્યનો આદર કરે છે, તેઓને ઘણી શક્તિ સાંપડે છે. જો કે, હરારી સરસ પૂછે છે – પરન્તુ એ શક્તિમાં ડહાપણ હશે ખરું?
દાખલા તરીકે, જેઓ માનવશરીર-રચનાના સત્યની અવગણના કરતા હોય તેઓ જાતિ-વાદી ગાથાઓમાં, racist myths-માં, માનતા હોય, પણ તેઓ અસરકારક દવાઓ કે bioweapons ઉત્પન્ન કરી શકશે નહીં. પણ જેઓ માનવશરીર-રચના સમજે છે, તેઓ પાસે એ શક્તિ હશે પણ તે વડે તેઓ જાતિ-વાદી વિચારસરણીઓનું સમર્થન નહીં કરે.
હરારી વ્યંગ કરે છે કે જો આમ જ હોય તો, આપણા રાષ્ટ્રપ્રમુખો, ઉચ્ચોચ્ચ પાદરીઓ અને CEOs શાણા અને પ્રામાણિક છે એવો વિશ્વાસ ધારણ કરીને આપણે નિરાંતે ઊંઘી જવું જોઇએ.
કોઈ એક રાજકારણી, કશી ચળવળ કે કોઈ એક દેશ જૂઠાણાં અને છેતરપિંડી વડે ચારેય દિશામાં બહુ આરામથી લાભી શકે, પણ લાંબે ગાળે એની એ યુક્તિથી એ પોતે જ પરાજય પામે.
હરારી જણાવે છે કે સત્ય જાણવાથી અંશત: સત્તા જરૂર મળે છે. બહુજન સમાજના હિતમાં સામાજિક વ્યવસ્થા જાળવવાથી પણ અંશત: સત્તા મળે છે.
જેમ કે, તમારે ઍટમ બૉમ્બ બનાવવો હોય, તો ફિઝિક્સનું જ્ઞાન, ન્યુક્લિયર રીઍક્ટર્સની રચના, ખાણમાંથી યુરેનિયમ ખૉળી કાઢે એવા અનેક કામદારો, સૌની ખાણીપીણી, એમ ઘણી જોગવાઈ કરવી પડે. એ પ્રકારના સહકારથી સમાજસેવા તો થાય.
હરારી ઉમેરે છે કે બીજા વિશ્વયુદ્ધ દરમ્યાનના મૅનહટ્ટન પ્રોજેક્ટમાં ૧,૩૦,૦૦૦ લોકોને કામે રખાયેલા. રૉબર્ટ ઓપેનહાઇમરે પોતાનું બધું ધ્યાન એ પ્રોજેક્ટમાં રહેલી તમામ વૈજ્ઞાનિકતા સાથે શ્રમપૂર્વક જોડી રાખેલું, અને પ્રોજેક્ટના અન્તિમ પરિણામ બાબતે નિષ્ણાતોમાં પૂરી શ્રદ્ધા રાખેલી. એને એ સહકારની પણ ખાતરી હતી કે કૅનેડાની અલ્ડોરાડો અને બેલ્જિયન કૉન્ગોની શાઇનકોલોબ્વ ખાણોમાંથી હજારો ખાણીયાઓ યુરેનિયમ લાવી આપશે. અને ઓપેનહાઇમરેને પોતાની લન્ચ માટે બટાટા ઉગાડનારા ખેડૂતના સહકારની પણ ખાતરી હતી. તમે ઍટમ બૉમ્બ બનાવવા માગો તો તમને જાતભાતના સરખા-અણસરખા લાખ્ખો લોકોના સહકારની જરૂર પડવાની.
સહકારીતાનો આ સિદ્ધાન્ત દરેક મહત્ત્વાકાંક્ષી માનવીય પ્રોજેક્ટમાં ‘સ્ટોન એજ’-થી સંકળાયેલો જોવા મળે છે.
જુઓ, હરારી કહે છે કે બૉમ્બ બનાવવામાં તમે ફિઝિક્સનાં તથ્યોની ઉપેક્ષા કરશો તો બૉમ્બ નહીં ફૂટે, પણ તમે વિચારસરણી ઘડશો અને જો એનાં તથ્યોની ઉપેક્ષા કરશો, તો એ વિચારસરણી અવશ્ય વિસ્ફોટક પુરવાર થશે.
સત્ય અને ડહાપણ સત્તાના આધારો છે, પણ અમુક લોકોને વિચારસરણી ઘડી કાઢતાં આવડતું હોય છે, અને તેઓ જેમને બૉમ્બ બનાવતાં નથી આવડતું એવા લોકોને સૂચનો કરીને વ્યવસ્થા પણ જાળવી જાણે છે.
હરારી કહે છે, અન્ય કોઈને તાબે થવાને બદલે રૉબર્ટ ઓપેનહાઇમર રૂઝવેલ્ટને તાબે થયો. એ જ રીતે, વર્નર હાઇઝનબર્ગ હિટલરને તાબે થયેલો. અને એ જ રીતે, સમસામયિક ઇરાનના ન્યુક્લીયર નિષ્ણાતો ‘શીયા’-પન્થી ધાર્મિક નિષ્ણાતોને તાબે થઈ રહ્યા છે.
ક્રમશ:
(05Nov24USA)
સૌજન્ય : સુમનભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર