
રવીન્દ્ર પારેખ
એમ લાગે છે કે દેશમાં જૂથબંધીનું રાજ ચાલે છે. નાનાં મોટાં જૂથો, તંત્રો પર દબાણ લાવીને ધારેલું કરે છે. આ ઠીક નથી. લોકશાહી એ કૈં લોકો પર ફેરવી દીધેલી શાહી નથી કે એકાદ બે જૂથો ઘણા મોટા વર્ગને સારીનબળી બાબતોથી વંચિત રાખે.
ગુરુવાર, 1 મેના ગુજરાત રાજ્ય સ્થાપના દિને સાંજે 6.45 કલાકે ‘ગોડસેને ગાંધી કો ક્યોં મારા?’ નામનો ‘વાચિકમ’નો ચોથો પ્રયોગ ડો. આત્મન શાહ અને પ્રો. હેમંતકુમાર શાહ, પ્રાર્થના સંઘ અને મૈત્રી ટ્રસ્ટને ઉપક્રમે, રોટરી હૉલ, જીવનભારતી મંડળ, સુરતમાં થવાનો હતો, પણ જીવનભારતીના એક ટ્રસ્ટીએ પ્રાર્થના સંઘના ઉપપ્રમુખ કિશોર દેસાઈને ફોન કરીને બુધવારે રાત્રે જણાવ્યું કે ટ્રસ્ટની ઓફિસ પર પોલીસ રૂબરૂ આવીને કહી ગઈ છે કે આ કાર્યક્રમ થશે તો ટ્રસ્ટીઓને પકડી લેવામાં આવશે. પોલીસ, ટ્રસ્ટીઓને કેમ પકડી જવાની હતી તેનો ખુલાસો તો નથી થયો, પણ આશ્ચર્ય એ વાતનું છે કે આ કાર્યક્રમનું આમંત્રણ કિશોર દેસાઇએ પોલીસ કમિશનરને રૂબરૂ મળીને 23 એપ્રિલે આપ્યું હતું. તે વખતે પોલીસને કશું વાંધાજનક ન લાગ્યું ને કાર્યક્રમની આગલી રાત્રે જ ટ્રસ્ટીઓને પકડી જવાની વાત કરે તે અકળ છે. કોઈ જૂથનું દબાણ પોલીસ પર વધ્યું હોય ને પોલીસે કાર્યક્રમ બંધ કરાવ્યો હોય એમ બને. એ નોંધનીય છે કે ઐતિહાસિક દસ્તાવેજોના આધારે, ગાંધીહત્યા પાછળની હકીકતો દર્શાવવા હેમંત શાહ અને આત્મન શાહ કાર્યક્રમ કરવાના હતા. વડોદરાના ત્રીજા પ્રયોગ સુધી કોઈને પણ વાંધો ન પડ્યો હોય ને એ જ પ્રયોગ માટે પોલીસને સુરતમાં વાંધો પડે ને કાર્યક્રમ ન થવા દે તે આઘાતજનક છે. એમ લાગે છે કે લોકશાહીનો ઠેકો હવે નાનાં મોટાં જૂથોએ લઈ લીધો છે. હવે વાણી સ્વાતંત્ર્ય કે અભિવ્યક્તિ સ્વાતંત્ર્ય, જૂથ આપે તેના પર આધારિત છે. તેને લાગે કે અમુક કાર્યક્રમ નથી થવા દેવો તો, તે પોલીસ પર દબાણ લાવીને એ સ્થિતિ ઊભી કરે કે કાર્યક્રમ થાય જ નહીં !
તાજેતરમાં વિવાદ ‘ફૂલે’ ફિલ્મ માટે પણ થયો. 25 માર્ચ, 2025ને રોજ માત્ર ટ્રેલર આવ્યું કે બ્રાહ્મણ સમાજને વાંધો પડ્યો. તેમનું કહેવું હતું કે ફિલ્મમાં બ્રાહ્મણોને જાણીબૂઝીને ખોટી રીતે રજૂ કરવામાં આવ્યા છે. એક દૃશ્યમાં બ્રાહ્મણ બાળકો સાવિત્રીબાઇ ફૂલે પર પથ્થર ને કચરો ફેંકતા બતાવાયાં છે, તો એક દૃશ્યમાં શૂદ્રોને ઝાડૂ બાંધીને ચાલતા બતાવાયા છે. ફિલ્મ પર એવો આરોપ છે કે આવાં દૃશ્યો સમાજમાં ખોટો મેસેજ મોકલે છે. એ ફિલ્મમાં સેન્સર બોર્ડે પણ, કેટલાંક શબ્દો ને દૃશ્યો બદલવાનું સૂચવ્યું. બોર્ડની સૂચના મુજબ ફેરફારો પણ કર્યા. એને લીધે ફિલ્મ 11 એપ્રિલે રિલીઝ થવાની હતી, તે 25 એપ્રિલ પર ઠેલાઈ. આ વિવાદમાં જાતિવાદ ખતમ થઈ ગયો છે એવું વડા પ્રધાનને નામે ટોળમાં કહીને અનુરાગ કશ્યપે ઝુકાવ્યું, તો એનો ય વંટોળ ઊઠ્યો. ફિલ્મ નિર્દેશક અનંત મહાદેવને કહ્યું કે આજે પણ આપણો સમાજ માનસિક રીતે એટલો જ સંકુચિત છે, જેટલો સો વર્ષ પહેલાં હતો. તેમણે એમ પણ કહ્યું કે ફિલ્મ કોઈને પણ નીચા દેખાડવા માટે નહીં, પણ યુવાનોને એવી સચ્ચાઈ બતાવવા બનાવી છે કે સામાજિક પરિવર્તન, કેવા સંઘર્ષોથી શક્ય બને છે !
ફિલ્મ વિષે જેટલો વિરોધ છે, એટલું જ સમર્થન પણ છે. ફિલ્મ રિલીઝ થતાં વડા પ્રધાન અને યુ.પી.ના સી.એમ. યોગીએ જોઈ અને એમણે ફિલ્મની ભારે પ્રશંસા કરી ને એવો આગ્રહ રાખ્યો કે ફિલ્મને કોઈ પણ કાપકૂપ વગર દર્શાવવી જોઈએ. ફિલ્મ જોઈને બહાર આવેલા પ્રેક્ષકોએ પણ ફિલ્મને મન મૂકીને વખાણી છે. વડા પ્રધાન અને સી.એમ. યોગીએ આ ફિલ્મનાં વખાણ કર્યા એ પછી પ્રેક્ષકોનું વલણ બદલાયું ને આ ફિલ્મ હવે બધે જ રિલીઝ થાય એમ બને. કહેવાનું એ છે કે લોકશાહીમાં જૂથબંધી વધુ પ્રભાવી થઈ રહી છે. કોઈને કાર્યક્રમ કે ફિલ્મ જોયાં પહેલાં જ વાંધો પડે છે ને તે જેમને જોવાની સ્વતંત્રતા છે, તેમની સ્વતંત્રતા પર, કાર્યક્રમ કે ફિલ્મ રોકીને સીધી તરાપ મારે છે. કોઈને લાગે છે કે ફિલ્મ બાન થવી જોઈએ, પણ વડા પ્રધાન કે સી.એમ. એને વખાણે છે, તો વિરોધની ધાર બુઠ્ઠી થવા લાગે છે.
જો ભણેલા હોય તો આજના સાંસદો અને ધારાસભ્યો કે કોર્પોરેટરો મોગલ, મરાઠા, અંગ્રેજનો ઇતિહાસ ભણ્યા જ હશે. એ વખતની કાઁગ્રેસી સરકારોએ લઘુમતીની તરફેણમાં નિર્ણયો લીધા ને તે મુજબનો ઇતિહાસ ભણાવ્યો. આવું તો ઘણું ખરુંખોટું આપણે શીખતાં આવ્યાં છીએ. જેમ કે, વાલ્મીકિ વિષે આપણે એ ગોખી કાઢ્યું છે કે વાલિયો લૂંટારો હતો, પણ હકીકત એ છે કે વાલ્મીકિ લૂંટારા ન હતા. તે બ્રહ્માના માનસપુત્ર પ્રચેતસના પુત્ર છે. એવું તો ઘણું ખરુંખોટું ચાલ્યું, પણ તેને અભ્યાસમાંથી કાઢવાનું થયું નથી. વાલ્મીકિ રામાયણ છે, એમ જ તુલસીદાસનું રામચરિત માનસ પણ છે ને આપણે બંનેનો આદર કરીએ છીએ. વ્યાસનું મહાભારત છે એમ જ અન્ય પણ છે. આજે તો કલ્પી ન શકાય એટલાં મંદિરો રાધાકૃષ્ણનાં છે, પણ કે.કા. શાસ્ત્રી જેવા પ્રખર વિદ્વાન રાધાને કવિઓની કલ્પના માત્ર ગણે છે. ભારતમાં રામાનુજ ને બીજા સંપ્રદાયો રાધાની નિંદા કરે છે. આજની તારીખે પણ રાધાનાં ઐતિહાસિક અસ્તિત્વ વિષે પ્રશ્નો જ છે. આવું હોવા છતાં રાધાના નકારની કલ્પના પણ થઈ શકતી નથી. એ રીતે ભારતીયો સહિષ્ણુ છે. રાધાનો નકાર છે, તો સ્વીકાર પણ છે ને બંને મતને સમર્થન પણ છે.
એ જ રીતે મુસ્લિમોનો નકાર હોય ને હિન્દુત્વનો મહિમા હોય એવી સ્થિતિ પણ સમાંતરે દેશમાં છે, પણ શાસકો વધુ સંકુચિત અને એકાંગી થતાં જાય છે. સુરતના ચોકબજાર ખાતે આવેલા ઐતિહાસિક કિલ્લાનું બે ફેઝમાં રિસ્ટોરેશન પૂરું થયું. સુરત મ.ન.પા.ના શાસકોએ એમાં લાઇટ એન્ડ સાઉન્ડ શો કરવાનું આયોજન પણ કર્યું. કોર્પોરેશનના એક અધિકારીએ થોડાં વર્ષો પર એની સ્ક્રિપ્ટ લખવાનું કામ આ લખનારને સોંપ્યું હતું. એ સ્ક્રિપ્ટ તૈયાર થઈ, પણ તે પછી ન તો શાસકોએ કે ન તો અધિકારીએ તે જોવાની તસ્દી લીધી. તે પછી 29 એપ્રિલના રોજ ખબર પડી કે શો માટેની ફિલ્મ બનાવવાનું તો 2021માં બીજે સોંપાઈ ગયું હતું ને સિસ્ટમ ઊભી કરવા 10 કરોડનો ખર્ચ પણ કરાયો હતો. સિસ્ટમ તો ઊભી થઈ, પણ શોમાં દર્શાવાનારી દસ દસ મિનિટની ત્રણ ફિલ્મને મંજૂરી મળતી નથી. ફિલ્મ અંગે શાસકોને વાંધો એ છે કે તેમાં ‘મુઘલકાળ’નું જ બધું બતાવાયું છે. શાસકોએ ફિલ્મ બતાવનાર અધિકારીઓને સોંસરું પૂછ્યું પણ છે, ‘અત્યારે પણ આપણે મુઘલકાળમાં જીવી રહ્યા છે?’
આ ફિલ્મને બદલે શાસકોએ નવી ફિલ્મ બનાવવાનું કહ્યું છે ને ‘મુઘલસરાય’ જેવો શબ્દ હટાવી દેવાની સૂચના પણ આપી છે. પ્રોબ્લેમ એ છે કે આ કામ હેરિટેજ વિભાગને સોંપાયું હતું, એટલે દેખીતું છે કે એ શાસકોને વફાદાર રહેવાને બદલે, ઇતિહાસને વધારે વફાદાર રહેવાનું સ્વીકારે. શાસકોમાં કોઈ ઇતિહાસવિદ ન હોય તે સમજી શકાય, પણ ઇતિહાસની જાણકારી મેળવવાનું પ્રતિબંધિત નથી. સાહેબો થોડો ઇતિહાસ જાણી લે તો કિલ્લો ખુદાવંદખાને 1540-1541માં બંધાવેલો તે સમજાશે. એ બાંધવા ત્રણ જગ્યાઓ જોવાયેલી, પણ સુલતાન બહાદુરશાહને નદી કિનારાવાળી જગ્યા પસંદ પડી ને કિલ્લો ત્યાં જ બંધાયો. તે એટલો મજબૂત હતો કે અકબર જેવાને પણ તેના પર કાબૂ મેળવતા દોઢ મહિનો લાગેલો. કિલ્લાની ફિલ્મમાં તો આવો જ ઇતિહાસ હોય ને ! કિલ્લાનો લાઇટ એન્ડ સાઉન્ડ શો હોય તો કિલ્લાની નહીં, તો શેની વાત આવે? એ ખરું કે આજે ‘મોઘલકાળ’માં કોઈ જીવતું નથી, પણ કિલ્લાનો કાળ ‘મોઘલકાળ’ જ હોય તો વાત એની નહીં તો કોની થાય?
શાહજહાંએ એની દીકરી જહાંઆરાને સુરત બંદરની જકાત અને મહેસૂલની પંદરેક લાખની આવક ખર્ચ પેટે લખી આપેલી. એનો હિસાબ રાખવા જહાંઆરાએ ઇશાકબેગ યઝદીની નિમણૂક કરેલી જે પાછળથી હકીકતખાન તરીકે ઓળખાયો. એણે 1644માં એક મુસાફરખાનું બાંધ્યું. તે ‘મુઘલસરાઈ’ તરીકે ઓળખાયું. હવે હેરિટેજવાળા તેને ‘મુઘલસરાઈ’ તરીકે નહીં, તો ‘ભાજપ’સરાઈ તરીકે ઓળખાવે?
એવી જ માથાકૂટ NCERTએ ઇતિહાસના પાઠ્યપુસ્તકમાંથી મુગલ સલ્તનત અને દિલ્હી સલ્તનતના પ્રકરણો દૂર કરીને કરી છે. તેને બદલે મહાકુંભ, ‘મેક ઇન ઈન્ડિયા’, ‘બેટી બચાઓ બેટી પઢાઓ’ જેવા વિષયો ઉમેરવામાં આવ્યા છે. નવું ઉમેરાય તેનો તો વાંધો જ નથી, પણ તે જૂનું કાઢીને ઉમેરાય તો બરાબર નથી. આમાંના કોઈ મોગલ સાથે આ લખનારને લેવા દેવા નથી કે નથી કોઈ રાજકીય પક્ષનું સભ્ય પદ પણ ! નથી કાઁગ્રેસ જોડે કોઈ સંબંધ કે નથી ભા.જ.પ. સાથે કોઈ શત્રુતા, પણ અગાઉના શાસકોએ ઇતિહાસ મચડ્યાનો વાંધો પડતો હોય, તો આજના શાસકોની મુગલ શાસકો માટેની નફરત ફેર વિચારણા માંગે, એવું ખરું કે કેમ? મુગલકાળને પાઠ્યપુસ્તકમાંથી કાઢવાથી તાજમહાલ, લાલકિલ્લો, ફતેહપુર સિક્રી … નીકળી જશે? સંભાજીનું મૃત્યુ કેવી રીતે થયું એ કોઈ જાણવા માંગશે તો ઔરંગઝેબને બદલે ખોટું નામ દઇશું? કે પછી શિયાળ તાણે સીમ ભણી ને કૂતરું તાણે ગામ ભણી એવું જ કર્યા કરીશું?
વિચારીએ – 000
e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 02 મે 2025