“ઓપિનિયન” − “નિરીક્ષક”માં પ્રકાશિત, દાઉદભાઈ ઘાંચીના લેખોના સંપાદિત સંચય ‘અમે તો પંખી પારાવારનાં’ના, 19 ફેબ્રુઆરી 2022ના રોજ, યુનાઇટેડ કિંગ્ડમસ્થિત ‘ગુજરાતી સાહિત્ય અકાદમી’ને ઉપક્રમે, થયેલા લોકાર્પણ પ્રસંગે અપાયેલું વક્તવ્ય
દાઉદભાઈ વિશે શું વાત કરવી? આ પુસ્તક નિમિત્તે અને અન્યથા પણ. આપણે બધા એમના એટલા ઓશિંગણ છીએ અને એક લાંબા પથ પર આપણને એમનું એક અજવાળું મળતું રહ્યું છે અને સદ્ભાગ્યે અજવાળું એવું છે કે sound, light put together કારણ કે બુલંદ અવાજ છે અને વિચારની બુલંદી છે. આમ, આ રીતે શરૂઆત કરાય કે નહીં તે હું જાણતો નથી. પણ એકવાર અસગરઅલી એન્જિનિયરે સૈયદ શાહબુદ્દીન વિશે પ્રશ્ન કર્યો હતો, કે તમે ‘મુસ્લિમ ઇન્ડિયન’ છો કે ‘ઇન્ડિયન મુસ્લિમ’ છો? અને પછી કહ્યું, “હું ઇચ્છું કે તમે ઇન્ડિયન મુસ્લિમ હો.” દાઉદભાઈ આ બધા સવાલની બહાર છે, કારણ કે એક નાગરિક તરીકેનું એમનું વ્યક્તિત્વ જે રીતે વિકસ્યું છે એ રીતે એ આ છેડે કે પેલે છેડે કોઈ પણ કુંડાળું કે કોઈ પણ પ્રકારનું exclusion, એમાં તે જઈ શકે નહીં. એમની એ એક મોટી વિશેષતા છે. ખરું પૂછો તો આ સહજ છે, અને એમને માટે આપણે આવો જુદો ઉલ્લેખ સામાન્ય અર્થમાં કરવો પણ પસંદ ન કરીએ. પણ જે દોરમાંથી, જે દિવસોમાંથી, આપણે પસાર થઈ રહ્યા છીએ તેમાં this needs to be stressed એમ મને લાગે છે.
આ અંગ્રેજી વાકય આવ્યું પછી હું ગભરાયો કે દાઉદભાઈ હોય અને આપણે અંગ્રેજીમાં લગાવવું અને પાછા ઇંગ્લૅન્ડ-અમેરિકાના શ્રોતા હોય! આની સાથે મારે બીજી એક વાત કહેવી છે. હમણાં આપણી અકાદમીએ ત્રણ પુસ્તકો પ્રગટ કર્યા, એ દરેકે દરેક પોતાની રીતે એકદમ નોંધપાત્ર છે. ઘનશ્યામભાઈ પટેલનું પુસ્તક, ડાહ્યાભાઈ મિસ્ત્રીનું પુસ્તક અને દાઉદભાઈનું પુસ્તક. તમે જુઓ કે ડાહ્યાભાઈના પુસ્તકનું જે સંપાદન કર્યું, ‘એક ગુજરાતી દેશ અનેક’, દાઉદભાઈમાં તો એવો ખુલાસો કરવો જ નથી પડતો. એ એક એવા ગુજરાતી છે કે જે વિશ્વ ગુજરાતીની જેમ દેખાય. અને ઘનશ્યામભાઈ જેવા પટેલ. (આજના ગુજરાતમાં પટેલ હોવું એ પણ અગત્યનું છે) અને એમણે જે ‘ઘડતર અને ચણતર’ની વાત કરી અને જે રીતે આપણે એમને વિકસતા જોયા, મને યાદ છે કે નારાયણભાઈ કહેતા હતા કે મેં ગાંધીચરિત્ર લખ્યું એને આટલું ધ્યાનથી વાંચનારા મને પહેલા મળ્યા. જો કે રચાતું’તું
અને દક્ષાબહેન પટણી વાંચતાં હતાં પણ પુસ્તક રૂપે બહાર આવ્યું અને કોઈએ આટલું બધું ધ્યાનથી વાંચ્યું હોય તો એ કેવળ અને કેવળ ઘનશ્યામભાઈ હતા.
આ ત્રણ પુસ્તકો હવે ગુજરાતમાં એની રીતસર નોંધ લેવી પડે એવા થયાં છે. એટલે કે ગુજરાત બહારથી આવ્યા, અકાદમીએ કર્યા કે હવે એને આશ્વાસન ઇનામ આપો એ પ્રકારનાં આ પુસ્તકો નથી. અને જે આપણી લંડનની અકાદમી એણે જે પહેલેથી એક વસ્તુ સ્પષ્ટ કરી છે કે અમે ગુજરાતી માત્રની સંસ્થા છીએ, કોઈ એક દેશના ગુજરાતીઓ માટેની સંસ્થા નથી. બક્ષીએ લખેલું, મૌલિક સાવ નહીં હોય, ઇંગ્લૅંડના કોઈ ગામમાં ગયા ત્યાં ભારતના મુસ્લિમો અને પાકિસ્તાનના મુસ્લિમો એ બન્નેની જુદી મસ્જિદ હતી. હોય તેમ માનું છું. કહેવાનો મતલબ કે એક વિશ્વ ગુજરાતી અભિગમ ઘનશ્યામભાઈમાં અલગ રીતે આવ્યો, ગુજરાત, આફ્રિકા અને લંડન. વિપુલભાઈમાં અલગ રીતે આવ્યો, જે માણસે પોતાના આફ્રિકી મુલકમાં સ્વાહિલીમાં સ્વાતંત્ર્ય દિન ઉજવ્યો હોય, એ મુંબઈમાં ઉછર્યો હોય, આફ્રિકામાં ઉછર્યો હોય અને આજે વિલાયતવાસી હોય. અને વિલાયતવાસી હોવું એટલે શું, દાઉદભાઈ કહેશે કે, “ઘણી ખમ્મા, લંડન તને, તારી વિલાયતને.” આ એક અસામાન્ય ઉદ્ગાર છે અને આખી વાતને આ એક જ વાક્યમાં જે પકડી એ તો દાઉદભાઈની જ એક સિદ્ધિ છે, એમનું જ કૌશલ છે અને દૃષ્ટિ છે એમ કહેવું જોઈએ. મને દાઉદભાઈને મળવાનું મોડેથી થયું, પણ નારાયણભાઈ દેસાઈના મુખે એમની વાત સાંભળી હતી. એ મોડાસામાં રમખાણો વખતે concern citizen. દાઉદભાઈએ જે ચિંતા કરી હતી ભારતીય નાગરિક તરીકે અને જે જવાબદારીનો ખ્યાલ, એ નારાયણભાઈને બહુ સ્પર્શી ગયો હતો. અને દાઉદભાઈનું જે આખું વિશ્વદર્શન, મેં બે કે ત્રણ વાર એમને સાંભળ્યા એ જે વિશ્વદર્શન છે તે આ સંકલિત લેખોમાં પણ દેખાય છે. સંકલિત-સંપાદિત લેખોમાં પણ એ એક ન્યાયી દુનિયાનું છે, નવી દુનિયાનું છે અને જ્યાં ઊભા છીએ ત્યાં સાંકડામાં સમાવાનું નથી એટલે કે દિલ સાંકડા કરવાનું નથી, ચિત્ત સાંકડું કરવાનું નથી. જગ્યા સાંકડી હોઈ શકે પણ એક વ્યાપકતા એટલે કે ઉપનિષદ પરંપરામાં કહીએ કે ભૂમાથી મોટું કોઈ સુખ નથી એ તમને આમાંથી પસાર થતાં પણ દેખાશે.
હું તમને એક જુદી જ વાત કહું, મેં નારાયણ દેસાઈનો ઉલ્લેખ કર્યો. એટલે નારાયણભાઈ જ્યારે ગૂજરાત વિદ્યાપીઠના કુલપતિ એટલે કે ચાન્સેલર થયા એ વખતે એમણે પોતે કેમ આ સ્વીકારે છે અને શું ઇચ્છે છે એની એક વાત કરી હતી અને ગુજરાતભરમાં ખરું જોતાં ઘણી જગ્યાએ વંચાઈ હશે, વિદ્યાપીઠમાં તો ખરું જ, નાની સંસ્થાઓમાં ખરી, સર્વોદયના મિત્રો-પરિચિતોમાં ખરી બધામાં, પણ આ આખી વાત પકડી, એને આત્મસાત કરી, હસ્તામલકવત્ મૂકી આપવાનું કામ અને એને યોગ્ય પરિપ્રેક્ષ્યમાં આગળ કરવાનું કામ એ ગુજરાતમાં કદાચ એક માત્ર દાઉદભાઈએ કર્યું એવી મારી છાપ છે અને નારાયણભાઈના એ પછી, કુલપતિ રહ્યા ત્યાં સુધી જે વ્યાખ્યાનો થયાં, અલગ અલગ વખતે જે જુદા જુદા વિષયો લેતા હતા એ બધાનો એક જાણે બંધાયો હોય એવી એક મારી લાગણી હતી તે અત્યારે હું નિવેદિત કરું છું.
બીજું એક મારે એ કહેવું જોઈએ કે દાઉદભાઈને આપણે ગુજરાતના જાહેરજીવનમાં તો એમનાં વકતવ્યોથી ઓળખ્યા પણ ઘડતરમાં તો આપણું મોડાસા કૅમ્પસ – ઉમાશંકરે જેને વ્હાલમાં આપણું ઑક્સફર્ડ કહ્યું હતું. એ કવિ હતા એટલે વહાલ તો ઊભરાય, પણ ઉમાશંકર પાછા જરા ઝીણું પણ જોનારા, એટલે એમણે કહ્યું અને સાધારણ રીતે આપણે ધીરુભાઈ ઠાકરને યાદ કરીએ તે બરાબર જ છે પણ મોડાસા કૅમ્પસ, એનો જે સ્પિરિટ બંધાયો એમાં ઘણા અર્થમાં મને એમ લાગે છે એ વખતના મિત્રો પાસે સાંભળ્યું હોય, ભૂપેશ અધ્વર્યુ બહુ વહેલો ગયો, આ બધા પાસે, તો મોડાસાની જે હવા બંધાઈ એમાં દાઉદભાઈનો હિસ્સોએ ધીરુભાઈની સાથે બરોબરીનો, ખભેખભા અને દિલોદિલનો હતો એ આપણે ઇતિહાસવસ્તુ તરીકે નોંધવું જોઈએ. પછી દાઉદભાઈની સેવા યુનિવર્સિટીને પણ મળી, ઉત્તર ગુજરાત યુનિવર્સિટીને. ત્યાં પણ એક પ્રણાલિકા કાયમ થઈ, કુલીનચંદ્ર યાજ્ઞિકે એક પ્રણાલિકા શરૂ કરી હતી એમાં દાઉદભાઈના પ્રવેશ સાથે એક વિશેષ ઉષ્મા આવી અને જે પાયો નંખાયો હતો એનામાં એક નવો નિખાર અને નવું સિંચન આવ્યાં, એ આપણે નોંધવું જોઈએ. એટલે આમ તો સહેલામાં સહેલું વાક્ય એ છે કે ગુજરાતમાં જ છોકરાઓની કેટલી પેઢી એમની ચોપડી વાંચી અંગ્રેજી શીખી હશે.
પણ આ લખાણોમાં એમનો જે અભ્યાસ પ્રગટ થાય છે એ એક વસ્તુ બતાવે છે કે એમની શિક્ષાદીક્ષા અંગ્રેજીભાષા સાહિત્યની હશે એથી ઓછી સમાજવિદ્યાની નથી, એ એમણે આત્મસાત કરી છે. અર્થશાસ્ત્રના સ્નાતક એ તો એક વિગત થઈ પણ એમણે જે સમાજપ્રવાહો છે એને એક અંદર ક્યાંક ખેંચાતા અને ક્યાંક બહાર રહીને એમ બે રીતે જોયા છે એ જાણે કે એક પ્રકારની કોઈ શાસ્ત્રીય દૃષ્ટિ પણ એમણે કેળવેલી છે અને સાથે એક ઇન્સાઇડર અને આઉટસાઇડર બન્ને છે એવી પણ એક છાપ આમાંથી આવે છે. મેં કોઈ પણ એક આમાંનો લેખ એ અલગ કરીને તારવ્યો નથી અત્યારે, હું મારી એક જે સામાન્ય છાપ છે, સ્વાભાવિક છાપ એ અત્યારે મૂકું છું અને થોડુંક વધારે ચર્ચાશે, ગુજરાતમાં આમે ય પુસ્તકોની ચર્ચા જોઈએ એવી થતી નથી, એક કાળે ‘ગ્રંથ’ હતું, અમુક સમયે યશવંત દોશીના ‘ગ્રંથ’ પછી અમુક સમયે રમણ સોની ‘પ્રત્યક્ષ’ લઈને આવ્યા પણ જોઈએ એટલી ચર્ચા થતી નથી, અને જેવી જોઈએ તેવી થતી નથી. છતાં હું આશા રાખું છું કે અકાદમીના હમણાંનાં પ્રકાશનો અને ખાસ તો અત્યારે જેની વાત આપણે કરી, ‘અમે તો પંખી પારાવારનાં’ એની કોઈ ચર્ચા થશે. આમાં એક અભિજ્ઞતા છે, કેતને [સંપાદકીયમાં] મુકામ નાગરિકતા કહી, આ ‘મુકામ નાગરિકતા’ એ પ્રકારાંતે લોકશાહીમાં કોઈ પણ વ્યક્તિ પાસે જે એક રાજકીય અભિજ્ઞતાનું પરિમાણ જોઈએ એનો નિર્દેશ કરે છે. નાગરિક શબ્દ દેખીતો, આમ બહુ નિર્દોષ છે પણ રાજકીય અભિજ્ઞતા એનું અનિવાર્ય એક અંગ છે અને એ રીતે હું જોઉં તો આપણે ગુજરાતી વાચકો, હમણાં જ મેં ભુજના જ્ઞાનસત્રમાં કહ્યું હતું, તદ્દન દાખલા તરીકે અને ઑફહૅન્ડ કે કોઈ મોટો સર્વે કરીએ એમ નહીં પણ સામાન્ય છાપ તરીકે – છેલ્લાં દસ-બાર વર્ષમાં આપણે ત્યાં રાજકીય અભિજ્ઞતાવાળી બે કિતાબ આવી. પણ હું જે કહેતો હતો તે ઉમાશંકરની વિચારયાત્રા, એક સાહિત્યકારના શતાબ્દી ગ્રંથમાં રાજકીય અભિજ્ઞતાનો મુદ્દો કરીને ચાલી અને એ જ રીતે હિમાંશીબહેનનો વાર્તાસંગ્રહ ૨૦૧૮માં જે આવ્યો, ‘ધારો કે આ વાર્તા ન હોય’ એ એક રીતે તમારા પ્રકાશનો જોઈએ – હમણાંના ત્રણ. એમાં પણ ખાસ કરીને ડાહ્યાભાઈ અને દાઉદભાઈના, તો એમાં એક રાજકીય અભિજ્ઞતા છે અને એ અસાધારણ વસ્તુ છે અને તળ ગુજરાતે એ એક શીખવા જેવી વાત છે એવું મને લાગે છે. અત્યારે આશ્વાસન લાયક કૃતિઓ ડાયસ્પોરાની જે હશે તે હશે, આશ્વાસન ઇનામને લાયક, પણ આ કૃતિઓ એ ચર્ચાની બહાર નીકળી ગઈ છે, આ પુસ્તકો એની બહાર નીકળી ગયા છે. સૌને માટે વિચારસામગ્રી અને એક નાગરિકતાના વ્યાપક સંદર્ભમાં જેમ ઉમાશંકર કહેતા હતા કે પોલિટિક્સ પોલિટિક્સ શું કરો છો, હું જે વાત કરું છું તે ‘પબ્લિક અફેર્સ’ની કરું છું, પણ એ જે રાજકીય અભિજ્ઞતા એ ઉમાશંકરનો એક નાગરિક સ્વાંગ હતો, પણ હતી તો રાજકીય અભિજ્ઞતા. એ રાજકીય અભિજ્ઞતા તમને આમાં દેખાય છે અને એવું માનું છું કે આપણી ચર્ચામાં આજે નહીં તો કાલે પણ એ વસ્તુને લેવી પડશે, નોંધમાં – રીતસરની ચર્ચામાં.
આપણે ત્યાં ચર્ચાઓ નથી થતી એ સંજોગોમાં આને કેવી રીતે મૂકી શકાય પણ હું માનું છું કે આપણે આજે જે વાતની શરૂઆત કરી છે એનાથી આપણે દાઉદભાઈનું જે જીવનકાર્ય, જે લેખનમાં પ્રગટ થયું અને એમના બુલંદ વકતવ્યોમાં થતું હોય છે, એ કોઈ વાર We shall overcomeના સ્પિરિટમાં વાત કરે, પછી ટાગોર યાદ કરે, બધું આમ આખું આપણી સામે હવે આવ્યું છે લેખિત રૂપે. પહેલા એમના વિશેના સ્મરણોનો આખો એક ગ્રંથ થયો, હવે આ થયો અને આપણી વચ્ચે દાઉદભાઈ હજુ છે અને તમે સમયમર્યાદા ના આપો તો એમને વાંધો નથી.
[દાઉદભાઈ] ૯૪-૯૫ વર્ષના. ૧૯૨૭માં જન્મેલા એટલે એમણે ’૪૭ના પહેલાં એક આખી વીસી વટાવી છે. એટલે વીસે વાન પ્રાપ્ત કરેલું છે. અને સોળે સાન આવ્યું હોય કે ના આવ્યું હોય પણ સાન મળે એ પ્રકારે સ્વરાજ પછીનો પણ એક ઘડતર કાળ છે. એટલે સ્વરાજસંઘર્ષ સંગ્રામ અને સ્વરાજ નિર્માણ એ બન્નેના જે ગત્યંતર-સ્થિતયંતર અને એક સંવેદનશીલ સ્વાધ્યાયપુત માણસને એના મળતા પ્રતિભાવો, જાગતા પ્રત્યાઘાતો આ બધું એ થઈને આપણે આજે આ અભિજ્ઞતાવાળા ગ્રંથની પાસે પહોંચ્યા છીએ, જે આખો ગાળો એમાં નિમિત્ત બનાવામાં જેમ વ્યક્તિગત સંસ્થાગત રીતે અકાદમીના ફેલો તરીકે મને એક વિશેષ આનંદ થાય છે. મારો આનંદ અને દાઉદભાઈ પ્રત્યે એક ઋષિઋણ ઉતારવામાં આપણે સામેલ થઈ શક્યા એવી મારી લાગણી પ્રગટ કરી અને આ પારાવારના પંખીને – એ તો પિંજરમાં હોય જ નહીં – પણ ઊડતું મૂકું છું. ધન્યવાદ.
લિપિયાંતર : મૈત્રી શાહ-કાપડિયા
અમે તો પંખી પારાવારનાં : લેખક – દાઉદભાઈ ઘાંચી, સંપાદક – કેતન રુપેરા, પરામર્શન : વિપુલ કલ્યાણી, પ્રકાશન : 3S Publication, પ્રાપ્તિસ્થાન : ગ્રંથવિહાર, ગુજરાતી સાહિત્ય પરિષદ – અમદાવાદ – 380 009, પ્રથમ આવૃત્તિ, જાન્યુઆરી 2022, પાકું પૂઠું, સાઈઝ : 5.75” x 8.75”, પૃ. 256 , રૂ.400 • £ 5, $ 7.5
સૌજન્ય : “નિરીક્ષક”, 01 માર્ચ 2022; પૃ. 13-14