ત્રીજી ડિસેમ્બરે એ ગયા વળતી સવારે કોઈ છાપાએ હસમુખભાઈને પૂર્વનોકરશાહ (એક્સ-બ્યુરોકેટ) તરીકે તો કોઈ છાપાએ એમને આઈ.પી.સી.એલ. કહેતાં ઇન્ડિયન પેટ્રોકેમિકલ્સ કોર્પોરેશન લિમિટેડના પૂર્વઅધ્યક્ષ તરીકે ઓળખાવ્યા : હસમુખ શાહ જે તે પાયરીએ નહોતા એવું તો નહીં કહી શકીએ. માત્ર, એમને સફળ નોકરશાહો કે જાહેર સાહસના એવા જ યશસ્વી વહીવટકારોથી મૂલ્યાત્મકપણે જુદા તારવી આપતી બાબત એમની સંસ્કારપર્યેષણામાં હતી જે સમાજવિદ્યાઆએમાં – ખાસી કરીને ઇતિહાસમાં તો બીજી બાજુ પર્યાવરણવિજ્ઞાન જેવા એક કાળે મુકાબલે નવા લેખાયેલાં ક્ષેત્રોમાં સાધિકાર પ્રવેશી (અને પ્રવર્તી પણ) શકતી.
હું મને સદ્ભાગી સમજું છું કે દર્શક સાથેના સ્નેહસંબંધ અને કિંચિત્ કર્મબાંધવીને કારણે હસમુખ શાહ, બી.કે. પારેખ, અનિલ શાહ પ્રકારના રૂડા સંપર્કમાં મુકાવાનું બન્યું. (હસમુખભાઈના સંપર્કમાં તો ભારતીબહેન અને રમેશભાઈને કારણે એક વધુ તાંતણો પણ ખરો.)
હમણાં મેં સંસ્કારપર્યેષણાની જિકર કરી. આ સહૃદયતા એમને એક વહીવટકાર તરીકે કેવી રીતે ફળી એનું સરસ દૃષ્ટાંત એમણે આઈ.પી.સી.એલ.ની કામગીરી માટે ૨,૦૦૦ એકર જેટલી જમીન જે ધોરણે સંપાદન કરી એમાં જોવા મળે છે. વિપુલભાઈ (લંડન) અને હીરજીભાઈ (નાઈરોબી) એમણે દર્શકના વિદેશવાસી ચાહકો પાસેથી નિધિ એકત્ર કરી જે વ્યાખ્યાનમાળાનો આરંભ કર્યો એનું પ્રથમ વ્યાખ્યાન અમદાવાદમાં ઑક્ટોબર ૨૦૧૬માં ભીખુ પારેખે આપ્યું હતું. અમારા સૌની ઉત્કટ ઇચ્છા હતી કે ઓપિનિયન પ્રેરિત ને લોકભારતી સંચાલિત આ વ્યાખ્યાનમાળાના પહેલા મણકા સાથે અધ્યક્ષ તરીકે હસમુખ શાહ સંકળાય. આમ પણ દર્શક ઇતિહાસ નિધિ તો એમનું જ સર્જન હતું. સ્વાસ્થ્યવશ એ પહોંચી શક્યા નહીં. એમની પ્રસંગનોંધ જરૂર મળી હતી. પછી એકવાર કંઈક વાત નીકળતાં મેં કહ્યું કે વ્યાખ્યાનની સવારે જ સાહિત્યનું નોબેલ બૉબ ડિલનને મળેલું એટલે વિપુલભાઈના સૂચનથી અમે ડિલનની જ રચના સાથે આરંભ કરેલો. નર્મદ જેને કડખેદ કહે તે ડિલનના ઉલ્લેખે હસમુખભાઈ જરી ઉત્તેજિત થઈ ઊઠ્યા – કહે કે તમે વુડી ગથરી (Woody Guthrie)નું ‘ધીસ લૅન્ડ ઇઝ યૉર લૅન્ડ’ સાંભળ્યું છે? ડિલને ગથરીનો પ્રભાવ સ્વીકાર્યો છે એ જાણતા હશો. પછી એમણે જમીનસંપાદનની કથા ઉકેલી. જી.આઈ.ડી.સી.એ જે જમીનનો ભાવ એકરે પંદર હજાર રૂપિયાનો મૂક્યો હતો તે આઈ.પી.સી.એલે. છપ્પન હજારના ભાવે લીધી, કેમ કે ખેડૂત કે બીજા જમીનમાલિકોને ન્યાય મળવો જોઈએ. એમણે ‘બિઝનેસ સ્ટૅન્ડર્ડ’માં આ વિશે લેખ કર્યો હતો એની ઝેરોક્સ મોકલી આપી ત્યારે ખયાલ આવ્યો કે પોતાની પૂર્વે થયેલ જમીનસંપાદનના અસરગ્રસ્તો છતે વળતરે રસ્તા પર પણ હોઈ શકે છે એનુંયે કંઈક કરવું જોઈએ. એમના પુનર્વસન માટે આઈ.પી.સી.એલે. કરેલા પ્રયાસની તપસીલ એક સહૃદય વહીવટકારનું ચિત્ર ઉપસાવે છે. (યુ.કે.ની એક નોંધપાત્ર સંસ્થાએ આઈ.પી.સી.એલ.ની વિશ્વસ્તરે શ્રેષ્ઠરૂપે આંકણી કરેલી તે સાંભરે છે.)
‘દીઠું મેં’ અને ‘નિરુધેશે’માંથી પસાર થઈએ ત્યારે પણ સંસ્કારિતામંડિત વિશિષ્ટ દૃષ્ટિનો પરિચય થતો રહે છે. રાજકીય ગલિયારીઓમાંના પ્રત્યક્ષ દર્શનનીયે ઝલક મળી રહે છે. જવાહરલાલ ગયા અને કુલદીપ નાયરે જે રીતે મોરારજીભાઈને બદલે શાસ્ત્રીજીનું નામ આગળ આણ્યું એ તો બિલકુલ અંતરંગ માહિતી છે. પરિચય કે સીધી વગ વગર વિદ્યાર્થીને ભણવામાં નિરપેક્ષ સહાયરૂપ થતા મોરારજી દેસાઈનું ચિત્ર પણ હૃદ્ય છે. મોરારજી અને ચરણસિંહ ગયા છે, ઈન્દિરાજી પાછાં વડા પ્રધાન થયાં છે. પૂર્વ વડા પ્રધાન મોરારજી એક અંતરાલ પછી દિલ્હી આવ્યા છે. એમનો ને હસમુખ શાહનો સંબંધ જાણતાં ઈંદિરાજી કહે છે કે તમે મારી સાથે દફતરમાં છો એથી સંકોચ ન કરશો અને એમને જરૂર મળવા જશો. આ પ્રસંગ ઇંદિરાજીને જુદી રીતે ઓળખાવનારો છે.
તાજેતરનાં વર્ષોમાં એમનું બહાર નીકળવાનું ઘટતું ગયું. એકવાર, ઇતિહાસ નિધિની બેઠક માટે વડોદરા જવાનું મારે પક્ષે શક્ય ન બન્યું એટલે રૂબરૂ મળવાની તક ન રહી. પ્રસંગોપાત ફોનથી વાત થઈ એ સિલકમાં ! પરિષદ પ્રમુખ પદે હું ચુંટાઈ આવ્યો ત્યારે એમણે અભિનંદનના ફોન સાથે કોઈક યોજના પરિષદ સંદર્ભે વિચારતા હોવાનો સંકેત આપ્યો હતો. વડોદરા મળીશું એમ વિચારેલું, પણ કોરાનાકાળમાં એ માટે અવકાશ જ ન મળ્યો.
પ્રસંગે ‘ધીસ લૅન્ડ ઇઝ યૉર લૅન્ડ’ સંભારી શકે અને ટાઈનામેન સ્ક્વેરમાંયે પ્રત્યક્ષદર્શી હોઈ શકે એવી શખ્સિયત અલબત્ત દેવદુર્લભ!
E-mail : prakash.nireekshak@gmail.com
સૌજન્ય : “નિરીક્ષક”, 16 ડિસેમ્બર 2021; પૃ. 03