દરેક નવી ચૂંટાયેલી સરકાર તેના મતદારોને એક યા બીજાં વચનો આપે છે તો એમાં બી.જે.પી.ની સરકાર કેમ પાછી પડે? આધુનિકતા અને વ્યાપારને પોતાનો જીવન મંત્ર બનાવનાર રાજકીય પક્ષ પાસે બીજી શી અપેક્ષા રાખી શકાય?
આમ તો સરકારની આવી પ્રતિજ્ઞાથી લોકોને હરખ થાય તે સ્વાભાવિક છે. મારા જેવા અદકપાંસળિયાને એવા પ્રશ્નો સતાવે કે ભાઈ, ભારતને 100 સ્માર્ટ સિટીથી સજાવાશે તો બાકીનાં સાડા છ લાખ ગમાર ગામડાઓમાં રહેતી 83 કરોડ પ્રજા કેવી રીતે રહેશે? વધુ વિચારતાં ખ્યાલ આવ્યો કે લોકો શહેરો ભણી દોટ એટલે મૂકે છે કે ત્યાં એમને ધંધા-રોજગારીની તકો મળે છે. શહેરોમાં પાકા રસ્તા હોય, વીજળીના દીવા ઝગમગતા હોય, થિયેટરમાં ફિલ્મ જોવા મળે, રેસ્ટોરાંમાં જમવા જવાય, મજાનાં સ્કુટર કે ગાડીમાં ફરવા મળે અને જો નસીબ પાધરું હોય તો દેશમાં અને વિદેશમાં ય ‘હોલીડે’માં પણ જવાનું થાય.
હવે કોઈ પણ નાના કે મોટા નગર-શહેરમાં જઈને જોઈએ તો ખ્યાલ આવશે કે ત્યાં વસતી પ્રજા વાહનોના સ્પેર પાર્ટ્સ બનાવવા કે વેચવાનો ધંધો કરે અથવા તેને રિપેર કરવાનો વ્યવસાય આદરે, ફર્નીચર, ઘર વપરાશની વસ્તુઓ, ટેલિવીઝન, મોબાઈલ અને કમ્પ્યુટર જેવાં આધુનિક રમકડાંના વેચાણ-રિપેરનો વેપાર તો કૂદકે ને ભૂસકે વધવા લાગ્યો છે. હા, શાળા-કોલેજો જેવી શિક્ષણ સંસ્થાઓ અને જીવન જરૂરિયાતની વસ્તુઓ જેમ કે અનાજ, શાક-ભાજી અને કપડાંના વેપારની હાજરી શહેરોમાં અનિવાર્ય બને છે.
મજાની વાત એ છે કે અનાજ ઊગાડતો કે ફળ-શાકભાજીની વાડીઓમાં મહેનત કરતો ખેડૂત પોતાનાં સંતાનોને પેટે પાટા બાંધીને ભણાવે (અને તે પણ શક્ય હોય તો અંગ્રેજી માધ્યમની શાળામાં) જેથી કરીને તેના સંતાનોને આવી મજૂરી ન કરવી પડે અને શહેરમાં ‘સાયબ’ જેવી નોકરી મળે, કેમ કે તેમાં પૈસો અને પ્રતિષ્ઠા મળે એમ માનવામાં આવે છે. એ ખેડૂત પોતાનું ખેતર કે વાડી જે ખેડૂત પોતે કે તેનાં છોકરાં ગામડું છોડીને શહેર ભણી દોટ ન મૂકી શક્યા હોય તેવા ભૂમિ વિહોણા મજૂરોને સોંપી દે અને પોતે ખેતર-વાડીના રોકાણના બદલામાં પાકના વેચાણમાંથી નફાનો મોટો ભાગ રાખી, બાકીનો તેના ભાગીદારોને આપીને બાપીકા ધંધાથી ધીમે ધીમે અળગો થતો જાય છે. એવા પણ કિસ્સા જોવા-સાંભળવા મળે છે કે બાપીકા ખેતરમાં સિંચાઈની સગવડ ઓછી થઇ ગઈ હોય ને પંચાયત પાસે મદદ માગવા ગયા હોય ત્યારે પાર વગરનાં ફોર્મ ભરીને તુમારશાહીમાં તેમની અરજી અટકી પડે ત્યારે બે-પાંચ લાખની લાંચ આપવાની તાકાત ન હોવાને કારણે ખેતીનો વ્યસાય સમૂળગો છોડીને ટેક્સી કે ભારે ટ્રક ચલાવવાની નોકરીમાં જોતરાવું પડે. આવી જ હાલત મોટા ભાગના ગ્રામોદ્યોગની થઈ છે. ગામડાના મોચી, લુહાર, સુતાર, વણકર અને દરજી વતન છોડી નજીકના શહેરમાં બાટા શૂઝની કંપની, ફર્નીચર બનાવતી મોટી કંપની (વિદેશી માલિકીની પણ હોઈ શકે), તોતિંગ કાપડ મિલ કે કપડાં સીવતી મહાકાય ફેકટરીમાં ‘નોકરી’ મેળવવા દોડે છે.
પશ્ચિમના એટલે કે જેને આપણે ધનાઢ્ય અને પૂર્ણ વિકસિત દેશો તરીકે ઓળખીએ છીએ તેમણે પોતાના દેશની વિકાસનો રાહ કેવી રીતે કંડાર્યો તે જાણવું રસપ્રદ થઈ પડશે. એક તો એવા દેશોમાં જ્યાં કાચો માલ પેદા થતો હોય કે આયાત કરી શકાતો હોય તે ગામ કે નાના શહેરમાં કે તેની આસપાસ નાનાં મોટાં મશીનો લઈ જઈને ઉત્પાદન શરૂ કર્યું જેથી સ્થાનિક મજ્દૂરોને રોજી મળી, એટલું જ નહીં પણ તેમની શક્તિનો ઓછા ખર્ચે ઉપયોગ પણ થયો. આપણે તો મહમ્મદ માઉન્ટન પાસે જાય તેની બદલે માઉન્ટનને મહમ્મદ પાસે લાવ્યા એટલે કે કારીગરો અને ઉત્પાદક ક્ષમતા ધરાવનારા મજૂરોને પોતાની ધરીમાંથી ખસેડીને જ્યાં મશીનોના ઢગલા ખડકી મુક્યા ત્યાં હડસેલી મુક્યા.
વળી, એક બીજી નોંધપાત્ર વાત એ શીખવા જેવી છે કે વિકસિત દેશોમાં કહેવાતા ગામડાઓ પાકા રસ્તાઓથી જોડાયેલા છે અને ગામમાં પણ ચોવીસ કલાક પાણી પૂરવઠો, વીજળી, તમામ જરૂરતો પૂરી પાડતી માર્કેટ્સ, ભૂગર્ભ ગટરો અને બીજી તમામ આધુનિક સુવિધાઓ કે જે નાનાં શહેરોમાં ઉપલબ્ધ હોય તે ભલે નાના પાયા પર પણ ગામડાંમાં મળે તેવી જોગવાઈ કરી. ભારતે પોતાના ગ્રામ્ય વિસ્તારોની પ્રાથમિક સુવિધાઓ પૂરી પાડવાની બાબતમાં બિલકુલ અવગણના કરી તે તો સહુ સ્વીકારશે. એવું જ શિક્ષણ અને સ્વાસ્થ્યને લગતી સેવાઓની બાબતમાં કહી શકાય. ભારત જેની સાથે હોડમાં ઉતર્યું છે એ G 20 દેશોની સરકારોએ જેનાં પૂતળાં બનાવીને આપણે પૂજીએ છીએ એવા મહાન આર્ષદ્રષ્ટાઓના વિચારો જાણ્યે અજાણ્યે પણ અમલમાં મૂક્યા અને ખુદ આપણે તેને નેવે મૂકી દીધા.
કોઈ ઈમારતમાં જેમ પાયો ખોદવો પડે તેમ દેશની ઈમારતનો પાયો તેની સ્વાસ્થ્ય અને આરોગ્યની વ્યવસ્થા છે. પછી પાયાની ઈંટ સમાણી શિક્ષણ પદ્ધતિ અને ત્યાર બાદ દીવાલો રૂપી આવાસ, રોજગારીની તકો, ઉદ્યોગ-ધંધાઓ, વાહન અને સંદેશ વ્યવહાર અને વ્યાપાર વાણિજ્યનું ચણતર થાય. છેવટ છત ઉપર મોટા અને ભારે ઉદ્યોગો, આધુનિક ટેકનોલોજી અને આંતરરાષ્ટ્રીય વેપારથી ઈમારાત પૂરી થયેલી ગણાય. ભારત દેશના ઘડવૈયાઓ સ્વતંત્રતા પછી ‘વિકાસ’ કરવાની ધૂનમાં છત પહેલાં બનાવવા લાગ્યા જેને કારણે છત નબળી દીવાલો પર મહા મુશ્કેલીથી ટકી રહી અને પાયાની ઈંટ અને પાયો તો ખોદાયા વિનાના જ રહી ગયા. હવે ભૂલ સમજાઈ એટલે નીચેથી ઈમારત બાંધવાનું શરૂ કરી રહ્યા છે પણ કરુણતા તો એ છે કે હજુ પણ ગામડાંઓ ભાંગીને શહેરો બનાવવાથી જ ઉધ્ધાર થશે એમ માનવામાં આવે છે.
આ 100 સ્માર્ટ સિટી બનાવવાની યોજના અંતર્ગત નવાં શહેરો બનાવવાની નેમ નથી પણ જે શહેરો આડેધડ વિકસ્યાં છે તેમને સુવ્યવસ્થિત કરવાનો આશય છે જે બધી રીતે આવકાર્ય છે. એવાં રૂપાળાં શહેરોમાં રહેનારાઓ અને તેની સાથે વેપાર વાણીજ્ય કરનારા સહુની એવી ઈચ્છા રહેશે કે એ શહેરોમાં રસ્તાઓ, ભૂગર્ભ પાણી અને ગટરનું આયોજન થાય અને જાહેર સ્વચ્છતાને અગ્રતાક્રમ અપાય. હવે બે અને ચાર પૈડાનાં વાહનો જો શહેરી જીવનનો અનિવાર્ય હિસ્સો બન્યો જ છે (જો કે તેનાથી થતા પ્રદૂષણનો સ્વાદ ચાખવા મળ્યો છે તેથી બી.અર.ટી. નામની જાહેર બસ સેવા અસ્તિત્વમાં લાવવી પડી છે) તો વાહન વ્યવહારના તમામ નિયમોનું ચુસ્ત પણે પાલન થાય અને તેના રહેવાસીઓને કબૂતરખાના જેવાં ઘોલકા નહીં પરંતુ માનવ અધિકારનું રક્ષણ કરતા હોય તેવા માલિકીના આવાસો પૂરા પાડવામાં આવે તેવી અપેક્ષા વધુ પડતી નથી. ગામડાની ચોખ્ખી હવા-ઉજાસવાળી સ્વતંત્ર જિંદગી છોડીને અતિ ગીચ વસતીમાં રહેવાની ફરજ પડી છે તેવા લોકો માટે પૂરતા બાગ-બગીચા અને ફરવાનાં સ્થળોની જોગવાઈ કરવાથી તેમનું સ્વાસ્થ્ય જળવાઈ રહે અને તો લાંબે ગાળે દેશને જ ફાયદો થાય. ગ્રામ્ય જીવનની એક બીજી દેણ તે માનવ માનવ વચ્ચેના પ્રેમભર્યા અનૌપચારિક અને હુંફાળા સંબંધો છે જે શહેરી જીવનના ધમાલિયા અને એક બીજાની ઓળખ વિનાના જીવનમાં ગાયબ થઈ જાય છે, તેથી શહેરોમાં નાનાં નાનાં સંકુલોમાં રહેવાસ અને પરસ્પરને જોડતી સામૂહિક પ્રવૃત્તિઓ કરવાની જોગવાઈ જ શહેર નિવાસીઓને બેદર્દ અને સ્વાર્થી બનાવતા અટકાવશે અને જીવનને હરિયાળું બનાવશે.
જો ગ્રામ્ય જીવનની ખૂબીઓને શહેરની સગવડો સાથે સમન્વિત કરવામાં આવે તો સ્માર્ટ સિટીનો પ્રકલ્પ આવકાર્ય બનશે, બાકી જો શહેરોને સ્માર્ટ બનાવવા પાછળ કેટલાક ધનાઢયો કે ઉદ્યોગપતિઓના સ્થાપિત હિતો પોષવાની ગણતરી હશે તો સરવાળે ગામડાંઓમાં રોજી રોટીની તકો ગુમાવવાને કારણે લાચાર થઈને આવેલ લોકોનું જીવન ઘાણીના બળદ જેવું દિશાહીન, બુદ્ધિહીન અને રસવિહીન જીવન જીવતા એક મતદારનું થઈ જશે જે બિલકુલ ઇચ્છનીય નહીં રહે. આપણે પ્રાર્થના કરીએ કે 100 સ્માર્ટ સિટીના આયોજન અને સુધારણા માટે તેમાં રહેનારનું હિત સચવાય અને શહેરી નાગરિકોનો અવાજ સાંભળવામાં આવે.
e.mail : 71abuch@gmail.com