પ્રિય વાચક મિત્રો,
મારા એક કુટુંબીજને, પોતાના પુત્રના લગ્ન પ્રસંગે, એક અનોખી આમંત્રણ પત્રિકા મોકલી. જી હા, માત્ર લખી નહીં, પણ ખરેખર મોકલી અને તે પણ માત્ર પોતાના જ નહીં, પણ ખુદ વેવાઈશ્રીને અને તેના બધા મહેમાનોને પણ.
હવે એ સ્વજન પોતાની રમૂજ વૃત્તિ માટે જાણીતા છે અને ખુદ વેવાઈએ બધાને ‘લો, આ અમારા વેવાઈની કંકોત્રી, તમે જરૂર આવજો’ કહીને આપી. તેથી એ મેળવનાર કોઈને માઠું લાગ્યું નહીં, એટલું જ નહીં પણ હોંશે હોંશે બધા પધાર્યા.
આ કંકોત્રી વાંચીને જો કોઈને પોતાને ઘેર આવનાર પ્રસંગે આવો અટકચાળો કરવાનું સૂઝે તો તેના આવનારા પરિણામ માટે તેઓ પોતે અને માત્ર પોતે જ સમૂળગા જવાબદાર રહેશે, આ કંકોત્રી લખનાર કે મોકલનાર હરગીઝ નહીં જેની નોંધ લેશો.
બાકી આનંદે માણો આ કંકોત્રી :
કુર્યાત્ સદા મંગલમ્
પરિણીત-પક્ષ પ્રવેશ આમંત્રણ
વહાલેશ્રી ………………………………………………………….
અમારા સુપુત્ર પરોપજીવી ..… અરે સોરી, ચિરંજીવી,
ડો. —- – — (એમ.ડી., ફિઝિશ્યન)
તા. — . — . —-ના રોજ
સૌ. કાં. ચિ. — —– — (બી.ફાર્મ)
સાથે પશુતામાં … અરેરે, પાછો લોચો. …
પ્રભુતામાં પગલાં માંડી રહ્યા છે એટલે કે
‘અખિલ વિશ્વ કુંવારા પક્ષ’માંથી રાજીનામું આપીને પરિણીત પક્ષ ‘અખિલ વિશ્વ પત્ની-પીડિત પક્ષ’માં
જોડાઈ રહ્યા છે તેથી તા. — . — . —-ના રોજ
તેમના આ કૃત્યનું ‘રિસેપ્શન’ યોજવામાં આવ્યું છે, જેમાં
કેટલાક મિત્રોના હઠાગ્રહને કારણે
ભોજન સમારંભનું આયોજન પણ રખાયું છે; જેમાં પધારવા હાર્દિક વિનંતી છે.
તારીખ : — . — . —-, બુધવાર
સમય : રાત્રિના 8.00થી ટાઉનહોલવાલા હડસેલી ન મૂકે ત્યાં સુધી.
સ્થળ : મ્યુિનસિપલ ટાઉન હોલ સમરાંગણ, જામનગર
આપના દર્શનના ચાતકો
– . —– —– —
— —— —
— —— —
—————————————————————————————
જીવન નિયમો પ્રમાણે ચાલે છે,
ભોજન પણ ……..
• ભોજન બનશે ત્યારે અને તો જ મળશે. ટાઉનહોલવાળા તગેડી મૂકે તે પહેલાં ઝાપટી લેવાનું રહેશે.
• રાત્રે ભોજન લેવા આવનારે અગલે દિવસે તેમ જ સવારે જમીને જ આવવાનું રહેશે તથા બીજે દિવસે પોતાના ઘરમાં ભોજન બનવાનું જ છે એ બાબત યાદ રાખવાની છે.
• બધી વાનગીઓને એક સરખો ન્યાય આપવાનો રહેશે, માત્ર પોતાને ભાવતી વાનગી પર ત્રાપડ બોલાવીને બાકીના તમામ મહેમાનો તે વાનગીથી વંચિત રહે તેવા પ્રયત્નો કરવાના નથી. આપને ત્યાં ભૂતકાળમાં યોજાયેલ પ્રસંગોએ અમોએ જે કર્યું હતું તે પરત્વેની વેરભાવનાથી પ્રેરિત થવાનું નથી.
• મીઠાઈ-ફરસાણ વગેરે ડાયબીટીસ-હાઈ બી.પી. કરે છે એ જાણીતી બાબત હોવાથી આમંત્રકો આ અંગેની કોઈ જવાબદારી સ્વીકારતા નથી, તથા અકરાંતિયાપણાંને લીધે જે સમસ્યા ઊભી થાય, તેના અંગે આમંત્રકો જવાબદાર નથી. થાળીનો જે કોન્ટ્રાક્ટ અપાયો છે તેમાં બાટલા ચડાવવા તથા ઇન્જેકશનો ઠોકવાનો સમાવેશ થતો નથી.
• ઠંડી ખૂબ હશે, બરોબર ધરબીને આવવું. સ્વેટર, જેકેટ, બંડી, કોટ, મફલર, વાંદરા ટોપી, ચાદર, શાલ, ધાબળા, રજાઈ, ગોદડાં જેવી વાનગીઓ પીરસવામાં આવશે નહીં.
• કાર્યક્રમમાં કોઈ ક્ષતિ જણાય તો લેખિત ફરિયાદ સ્વચ્છ અક્ષરે પોસ્ટકાર્ડમાં જામનગર મ્યુિનસિપલ કોર્પોરેશનના જનસંપર્ક અધિકારીને ઇ-મેઈલથી કરવાની રહેશે. મેઈલ એડ્રેસ પ્રાપ્ત થયે પૂરું પાડવામાં આવશે.
• અને હા, કાર્યક્રમની અસરને કારણે કોઈ કુંવારા-કુંવારીને ચેપી ‘પરણ-વા’ ઉપાડે તો તેની કોઈ વેક્સીન અત્રે ઉપલબ્ધ નથી.
આ બધું તો ઠીક પણ આવજો જરૂર હો ને, ભાઈ સા'બ.
નહીંતર ! ……..
e.mail : 71abuch@gmail.com