એમાં કોઈ શંકા નથી કે ન્યાયતંત્રનો નાભીશ્વાસ ચાલી રહ્યો છે. જાહેરમાં, કેમેરાની સામે, વડા પ્રધાનની હાજરીમાં, રડતા રડતા દેશના મુખ્ય ન્યાયમૂર્તિ ટી.એસ. ઠાકુરે આની જાહેરાત કરી દીધી હતી, એટલે હવે નિષ્ણાતોના અભિપ્રાયની જરૂર નથી. ન્યાયતંત્ર બકાલ અવસ્થામાં હોય તો કેટલાક લોકો એનો લાભ લઈ શકે છે અને સામાન્ય પ્રજા એની કિંમત ચૂકવે છે. એ કિંમત કેટલી મોટી હોય છે અને કેટલી વસમી હોય છે એ તો એ જે ચૂકવતું હોય તે જાણે. ગયા અઠવાડિયે મેં આ કૉલમમાં દલપતરામની કવિતા અને મહારાષ્ટ્રમાં પેશ્વાઓની રૈયતના રાજીપાનાં દૃષ્ટાંત ટાંક્યાં હતાં. પોતાનાંનો કેટલો ત્રાસ હશે કે પ્રજા અને કવિ પરાયાનું સ્વાગત કરે છે.
પણ એક હકીકત નોંધવી રહી. ન્યાયતંત્રની બકાલ સ્થિતિ નરેન્દ્ર મોદીએ કે તેમની સરકારે પેદા નથી કરી. તેમના આવ્યા પછી આવી સ્થિતિ પેદા થઈ છે એવું પણ નથી. તેઓ તો માત્ર મૃતપ્રાય ન્યાયતંત્રનો લાભ લે છે અને તેમનો એજન્ડા હિંદુ રાષ્ટ્રનો છે એટલે બંધારણ સામેથી મોઢું ફેરવી લેનારા અથવા બંધારણ તરફ નહીં જોનારા જજોની તેમને જરૂર છે. તેઓ તો ખખડેલ ઈમારતને ધ્વસ્ત કરી રહ્યા છે. ઈમારત ખખડી ગઈ, જર્જરિત થઈ ગઈ એને માટે તેઓ જવાબદાર નથી.
તો પછી જવાબદાર કોણ છે? ૧. જજો પોતે. ૨. વકીલો. ૩. સરકાર અથવા શાસકો અને ૪. ન્યાયને ખરીદવાની ક્ષમતા ધરાવતા સંપન્ન માણસો. કિંમત માત્ર સામાન્ય પ્રજા ચૂકવે છે અને તેનું તેને ભાન પણ નથી. એને તો ત્યારે ભાન આવશે જ્યારે એને બારણે ગુનાખોરી, અરાજકતા અને હિંસા આવીને ઊભાં રહેશે.
આપણે ઊલટા ક્રમે જઈએ. આપણા ઘરમાં આપણો દીકરો જેમ જેમ શીલ ગુમાવતો જાય એમ એમ એમ એના દોસ્તો બદલાતા જાય એ તો સમાજમાં જોયું હશે! ધીરે ધીરે આપણા દીકરા ઉપર ગામના ઉતાર જેવા દોસ્તો કબજો લઈ લે. ભારતના ન્યાયતંત્રની બાબતમાં પણ આવું જ બન્યું છે. એ જેમ જેમ શીલ ગુમાવતું ગયું એમ એમ તેના દાસ્તારો, એટલે કે તેને દરવાજે ન્યાય માગનારા બદલાતા ગયા. એવી ટોળકી રચાઈ છે કે ભલો માણસ ત્યાં ઊભો જ રહી ન શકે. ન્યાયના મંદિરમાં પ્રવેશ જ ન મળે અને જો પ્રવેશ મેળવી લીધો તો કોઈ સાંભળનાર ન મળે. સાંભળનારની નજર ફરિયાદ પર નથી હોતી, ફરિયાદી કે બચાવકાર ઉપર હોય છે. એના ખિસ્સાની ઊંડાઈ ઉપર હોય છે.
આપણા સાહિત્યકાર કનૈયાલાલ મુનશી બહુ મોટા વકીલ પણ હતા એ તો તમે જાણતા જ હશો. છ દાયકા પહેલાં એક ઉદ્યોગપતિનો તેમને પત્ર આવ્યો કે તેઓ એક બાબતમાં નીચલી અદાલતમાં હારી ગયા છે, અને તેઓ ઈચ્છે છે કે સર્વોચ્ચ અદાલતમાં અપીલ કરવામાં આવે. જો સીધી સર્વોચ્ચ અદાલતમાં અપીલ કરવામાં આવે તો સમય બચે અને સરકાર પાસેથી વળતર મેળવી શકે. કહેવાની જરૂર નથી કે એ ઉદ્યોગપતિ કનૈયાલાલ મુનશીને વકીલ તરીકે રોકવા માગતા હતા. મુનશીએ તેમને જવાબ આપ્યો કે તેમની અપીલ સર્વોચ્ચ અદાલતમાં દાખલ ન થઈ શકે. નીચલી અદાલતોની લાઈન તોડીને સીધા સર્વોચ્ચ અદાલતમાં જવું હોય તો બંધારણની કોઈક જોગવાઈના કરવામાં આવેલા ભંગને લગતો કોઈ મુદ્દો હોવો જોઈએ અને તમારા કેસમાં એવું નથી.
બંધારણ ઘડનારાઓએ સર્વોચ્ચ અદાલતને બંધારણનું રક્ષણ કરવાનું એક ખાસ અને પવિત્ર કામ સોંપ્યું છે. બંધારણની કોઈ જોગવાઈનો ભંગ થતો નજરે પડે તો સઘળાં કામ બાજુએ મૂકીને તેને પહેલાં સાંભળવી. ભારતનું બંધારણ સર્વોચ્ચ. સર્વોચ્ચ અદાલતને આપવામાં આવેલી પવિત્ર, ખાસ અને સર્વોચ્ચ ફરજ. દેશમાં બંધારણીય માળખું જળવાઈ રહે, કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે, સામાન્ય નાગરિકને ન્યાય મળે એ માટે કેવી આદર્શ વ્યવસ્થા કરવામાં આવી છે નહીં! બંધારણ ઘડનારાઓની પ્રતિબદ્ધતા જોઇને આપણે નતમસ્તક થઈ જઈએ. કનૈયાલાલ મુનશી બંધારણ ઘડનારાઓમાંના એક હતા. આમ છતાં પેલો ઉદ્યોગપતિ ૧૯૬૦ના દાયકાનાં શરૂઆતનાં વર્ષોમાં મુનશીને કહે છે કે મારે નીચલી અદાલતોને કુદાવીને સર્વોચ્ચ અદાલત જવું છે, મને પહોંચાડી દો.
શા માટે? કારણ એ સમયે કોઈક વકીલે એ ઉદ્યોગપતિને સલાહ આપી હશે કે સીધા સર્વોચ્ચ અદાલતમાં જવાનું એક છીંડું છે, પણ એને માટે ખમતીધર વકીલ જોઈએ અને ગરમ ખિસ્સું જોઈએ. ગરમ ખિસ્સું તો એ ઉદ્યોગપતિ પાસે હતું, ખમતીધર વકીલ તરીકે તેમણે મુનશીને પસંદ કર્યા, પણ મુનશીએ કહી દીધું કે તમારો કેસ એને લાયક નથી. આનો અર્થ એ થયો કે એ સમયે, દેશ આઝાદ થયો અને બંધારણ અસ્તિત્વમાં આવ્યું એ પછીનાં તરતનાં વર્ષોમાં સીધા સર્વોચ્ચ અદાલતમાં જવાનાં છીંડાંનો ઉપયોગ થવા લાગ્યો હતો.
એ છીંડાનું નામ છે સ્પેશિયલ લીવ પિટીશન. બંધારણના આર્ટીકલ ૧૩૬ હેઠળ જો બંધારણની કોઈ જોગવાઈનો ભંગ થતો હોય અથવા તો થયો છે એવું પ્રથમ નજરે સર્વોચ્ચ અદાલતને લાગે તો સર્વોચ્ચ અદાલતે બીજાં બધાં કામ બાજુએ મૂકીને એ કેસ દાખલ કરવો અને તેને સાંભળવામાં પ્રાથમિકતા આપવી. ઉદ્દેશ શું હતો? આગળ કહ્યું એમ બંધારણની, બંધારણીય રાજ્યની, કાયદો અને વ્યવસ્થાની અને સામાન્ય નાગરિકના અધિકારોની રક્ષા કરવાનો. લાભ કોણ લે છે? ગરમ ખિસ્સાવાળાઓ. આઘાત તો હવે લાગશે. સઘળાં કામ પડતાં મૂકીને બંધારણનું રક્ષણ કરવાનું એક ખાસ અને પવિત્ર કામ સર્વોચ્ચ અદાલતને સોંપવામાં આવ્યું છે એ અપવાદરૂપે કે રાબેતાના ભાગરૂપે? તમારી સાદી સમજ કહેશે કે એ તો અપવાદરૂપે જ હોય ને! દુ:શ્મન ગાયોનું ધણ વાળી જતો હોય અને ગામને ગોંદરે ઢોલ વાગે ત્યારે ગામનું મલખ સઘળાં કામ પડતાં મૂકીને દોડે એવું તો ક્યારેક જ બને ને રોજ થોડું બને!
પણ આપણી સર્વોચ્ચ અદાલતમાં આવું રોજ થાય છે. જી હાં, રોજ જ થાય છે. એક અભ્યાસ મુજબ સર્વોચ્ચ અદાલતનો સરેરાશ ૯૦ ટકા (થોડો ઘણો નહીં ૯૦ ટકા) સમય સ્પેશિયલ લીવ પિટીશન સાંભળવામાં ખર્ચાય છે. રોજે રોજ સર્વોચ્ચ અદાલતને ઝાંપે કોઈ માતબર વકીલ માતબર અસીલ માટે ઢોલની દાંડી પીટે છે અને જજો સઘળાં કામ પડતાં મૂકીને એને સાંભળવા દોડી જાય છે. જેમ કે કસ્ટમ અધિકારીએ ફલાણી ચીજ ઉપર ખોટી રીતે વધારે પડતી કસ્ટમ ડ્યુટી લાદીને નાગરિકના મૂળભૂત અધિકારનો ભંગ કર્યો છે, ઠોકો દાંડી. બુંગિયો વાગે એટલે તરત જજોના કાન સરવા થઈ જાય છે. અત્યંત સંવેદનશીલ મહાનુભાવો છે એ લોકો. આખરે, વડીલો બંધારણ બચાવવાનું પવિત્ર, ખાસ અને તાકીદનું કામ સોંપતા ગયા છે! એમાં ઢીલ કરવાની હોય!
સુજ્ઞ વાચકને તો આખો ખેલ સમજાઈ ગયો હશે, પણ હું આશા રાખું છું કે ભક્તને પણ સમજાઈ ગયો હશે. હવે કહો, પ્રશાંત ભૂષણને સલામ કરવાની હોય કે દંડવાના હોય. પ્રારંભમાં કહ્યું એવા હાથથી ગયેલા દીકરાને કોઈ વડીલ ઠપકો આપવા જાય અને દીકરો લાફો મારી દે અને પછી જે શરમનો અનુભવ થાય એવું કાંઈક સર્વોચ્ચ અદાલતમાં બન્યું હતું.
પ્રગટ : ‘નો નૉનસેન્સ’, નામક લેખકની કટાર, ‘રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 20 સપ્ટેમ્બર 2020