ઘણા ઝંઝાવાતો, ચડતી પડતી, ઓટ ભરતી,
વિધાતાએ વિઘ્નો જીવનપટ મૂક્યા વિકટ જે
સહ્યા તે, સંસારે ખટ મીઠું ઘણું એ ય સમજ્યો,
નથી જો કે કહેતો સુખ દુઃખ નથી આણ્યું મનમાં.
વિસામો લેવાનાં વરસ જૂજ જે વૃદ્ધ વયનાં
હવે આવ્યાં, છોડી ફૂટકપટ કંકાસ, કટકટ
નિરાંતે બેઠો ત્યાં, કરમ કઠણાઈ નકી લખી,
કરોનાની આવી, કમબખત ભૂંડી ભરખતી!
મહામારીમાં આ, અચરજ, સખી, એક નીરખું :
સવારે ને સાંજે સૂરજ ઊગતો નિત્ય, ઢળતો,
હજી પુષ્પો ખીલે, કલરવ કરે પંખીગણ, તો
પછી શાને માટે હરિવર ભરોસે ન જીવીએ ?
કહું? ચિંતા છોડી પ્રણયદિન મોંઘો ઉજવીએ,
બધી માઝા મૂકી, રતિ-મદન ઉલ્લાસ કરીએ!