અલાહાબાદની વડી અદાલતનો ચુકાદો ન્યાયોચિત ઓછો અને સમાધાનકારી વધારે હતો એટલે તો તમામ પક્ષકારો સર્વોચ્ચ અદાલતમાં ગયા હતા. સર્વોચ્ચ અદાલત માલિકી નિર્ધારણ કરવાની મર્યાદામાં રહીને ન્યાયોચિત ચુકાદો આપે એવી અપેક્ષા રાખવામાં આવી હતી. એની જગ્યાએ મુખ્ય ન્યાયમૂર્તિ હાથ ઊંચા કરી રહ્યા છે. સર્વોચ્ચ અદાલતે પરિણામોની ચિંતા કર્યા વિના શુદ્ધ કાયદાની મર્યાદામાં રહીને ટાઇટલ વિશે ચુકાદો આપવો જોઈએ
રામજન્મભૂમિ-બાબરી મસ્જિદનો વિવાદ સંબંધિત પક્ષકારોએ સાથે બેસીને અદાલતની બહાર ઉકેલવો જોઈએ એવી સલાહ સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિ જે. એસ. ખેહરે આપી છે. ન્યાયમૂર્તિ ખેહરે બન્ને પક્ષકારોને થોડું જતું કરવા જેટલી ઉદારતા બતાવવાની સલાહ આપી છે. કોઈ પણ ઝઘડો અદાલતની બહાર ઉકેલવાનો પ્રસ્તાવ સાંભળીને આપણને એક પ્રકારની સુવાણનો અનુભવ થાય છે. કજિયાનું મોં કાળું એવી આપણે ત્યાં કહેવત છે. અદાલતમાં એ લોકો જાય જેમનામાં વિવેકનો અભાવ હોય. આમ અદાલતની બહાર પ્રશ્નને ઉકેલવાનું સૂચન આવે ત્યારે આપણે રાજી-રાજી થઈ જતા હોઈએ છીએ અને જ્યારે ન્યાયમૂર્તિ પોતે આવી સલાહ આપે ત્યારે આપણે વધારે રાજી થતા હોઈએ છીએ.
પરંતુ ન્યાયમૂર્તિ ખેહરનું સૂચન અનુચિત છે એટલું જ નહીં, અદાલતની જવાબદારીમાંથી હાથ ખંખેરી લેનારું છે. અદાલતની બહાર એવા પ્રશ્નો ઊકલી શકે જ્યાં લેવડદેવડનો કે આપ-લેના પ્રમાણનો ઝઘડો હોય, પરંતુ જ્યાં માલિકીનો કે અધિકારનો સમૂળગો દાવો કરવામાં આવતો હોય એવા પ્રશ્નો અદાલતની બહાર ઉકેલાતા નથી અને રામજન્મભૂમિ-બાબરી મસ્જિદનો પ્રશ્ન આવો છે. જે સ્થળે બાબરી મસ્જિદ ઊભી હતી એ સ્થળે કોઈ યુગમાં રામલલ્લાનું મંદિર હતું કે કેમ એના કોઈ નક્કર પુરાવાઓ નથી. બીજું, નક્કર પુરાવાઓ મળી જાય તો પણ ઇતિહાસના હિસાબ-કિતાબ કરવાની એક મર્યાદા હોય છે. સેંકડો વરસ પહેલાં આ સંપત્તિ મારા બાપ-દાદાઓની હતી અને અત્યારે જે લોકો એના પર કબજો ધરાવે છે તેમના બાપ-દાદાઓએ અમારી સંપત્તિ ઝૂંટવી લીધી હતી એવો કોઈ દાવો કરે એ દાવાને અદાલત સાંભળે ખરી? ત્રીજું, ધાર્મિક શ્રદ્ધા, માન્યતા અને ધારણાઓના આધારે ન કોઈ દાવો થઈ શકે કે ન અદાલત એવા દાવાઓને સાંભળી શકે.
તો આ સ્થિતિમાં અદાલતની શું ભૂમિકા હોઈ શકે એ સવાલ છે. રામજન્મભૂમિ-બાબરી મસ્જિદનો પ્રશ્ન લેવડ-દેવડનો નથી પણ સમૂળગા દવાનો છે. દાવો સેંકડો વરસ જૂનો છે અને એ પણ ધાર્મિક શ્રદ્ધા અને ધારણાનો છે. આ સ્થિતિમાં અદાલતની દેખીતી રીતે કોઈ ભૂમિકા ન હોઈ શકે, પરંતુ એ છતાં અદાલતની એક ભૂમિકા બને છે અને એ ભૂમિકા ભજવવાનું સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિ ટાળે છે. એ ભૂમિકા છે જ્યાં બાબરી મસ્જિદ ઊભી હતી એના ટાઇટલના નિર્ધારણની. અદાલત માટે એ એક સંપત્તિ છે અને એ સંપત્તિ કોની માલિકીની છે એ નક્કી કરવાનું કામ અદાલતનું છે. અદાલતને ધાર્મિક માન્યતાઓ સાથે સંબંધ નથી, ઇતિહાસ સાથે સંબંધ નથી, ઐતિહાસિક પુરાવાઓ સાથે પણ સંબંધ નથી; સંબંધ છે માત્ર અને માત્ર માલિકી સાથે. કોનો કબજો છે અને કોણ કાનૂની માલિકી ધરાવે છે એ નક્કી કરવાનું કામ અદાલતનું છે.
ઉત્તર પ્રદેશની ફૈઝાબાદની અદાલતમાં દાયકાઓ પહેલાં જે અરજી કરવામાં આવી હતી એ માલિકીના દાવાની એટલે કે ટાઇટલ વિશેની હતી. જ્યારે ઝઘડો અદાલતમાં ગયો ત્યારે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને વિશ્વ હિન્દુ પરિષદનું અસ્તિત્વ પણ નહોતું. એ સમયે શ્રદ્ધાની વાત હતી, પરંતુ શ્રદ્ધાનું રાજકારણ નહોતું. ખટલો લંગડાતો-લંગડાતો અલાહાબાદની વડી અદાલતમાં ગયો હતો. ૨૦૧૧માં વડી અદાલતે રામજન્મભૂમિ-બાબરી મસ્જિદને ત્રણ હિસ્સામાં વહેંચવાનો ચુકાદો આપ્યો હતો. એક હિસ્સો વકફ બોર્ડને, બીજો હિસ્સો નિર્માહી અખાડાને અને ત્રીજો હિસ્સો રામલલ્લાનો એટલે કે મૂળ હિન્દુ દાવેદારોનો. વડી અદાલતે સંઘ પ્રેરિત રામજન્મભૂમિ ન્યાસને પક્ષકાર ગણાવવાની ના પાડી દીધી હતી. અપેક્ષા મુજબ ત્રણેય પક્ષકારો સર્વોચ્ચ અદાલતમાં ગયા હતા અને સર્વોચ્ચ અદાલતે ચુકાદા પર સ્ટે આપ્યો હતો.
અલાહાબાદની વડી અદાલતનો ચુકાદો સંપૂર્ણપણે ન્યાયોચિત હતો કે વચલો માર્ગ શોધનારો હતો એ જુદો સવાલ છે, પરંતુ એક વાત નક્કી કે અદાલતનો એ ચુકાદો ટાઇટલ અંગેનો હતો. બીજું, વડી અદાલતનો ચુકાદો ન્યાયોચિત ઓછો અને સમાધાનકારી વધારે હતો એટલે તો તમામ પક્ષકારો સર્વોચ્ચ અદાલતમાં ગયા હતા. સર્વોચ્ચ અદાલત માલિકી નિર્ધારણ કરવાની મર્યાદામાં રહીને ન્યાયોચિત ચુકાદો આપે એવી અપેક્ષા રાખવામાં આવી હતી. એની જગ્યાએ મુખ્ય ન્યાયમૂર્તિ હાથ ઊંચા કરી રહ્યા છે. સર્વોચ્ચ અદાલતે પરિણામોની ચિંતા કર્યા વિના શુદ્ધ કાયદાની મર્યાદામાં રહીને ટાઇટલ વિશે ચુકાદો આપવો જોઈએ.
અહીં એક પ્રશ્ન થશે કે અદાલતની બહાર સમાધાન થતું હોય તો શું ખોટું છે? કમસે કમ પ્રયાસ કરી જોવામાં શું ખોટું છે? કદાચ પ્રશ્ન ઊકલી પણ જાય. પહેલી નજરે આ પ્રસ્તાવ જેટલો નિર્દોષ લાગે છે એટલો એ નિર્દોષ નથી. સંઘપરિવાર અને વિશ્વ હિન્દુ પરિષદને સમાધાન કરવામાં રસ નથી. તેમને મંદિર બાંધવામાં પણ કોઈ રસ નથી. તેમને પ્રશ્ન જીવતો રાખીને એનો રાજકીય લાભ ઉઠાવવામાં રસ છે. ચન્દ્રશેખર જ્યારે વડા પ્રધાન હતા ત્યારે તેમની અધ્યક્ષતામાં સમાધાન માટે શ્રેણીબદ્ધ બેઠકો થઈ હતી અને કોઈ સમાધાન થયું નહોતું. રામલલ્લાનું મંદિર બાંધવા માટે વકફ બોર્ડ જમીન આપવા તૈયાર હતું, પરંતુ તેમને શ્રદ્ધાને નામે મસ્જિદ ત્યાંથી હટાવવી હતી. કારણ વિના સાચાં-ખોટાં ઐતિહાસિક પ્રમાણો રજૂ કરીને વાટાઘાટોને અવળે પાટે ચડાવવામાં આવી હતી અને એ દ્વારા હિન્દુ માનસને વધારે ઝેરી કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. મુખ્ય ન્યાયમૂર્તિ ખેહર આ ન જાણતા હોય એ શક્ય નથી. લાલ કૃષ્ણ અડવાણીએ પોતે એ સમયે આ લખનારને કહ્યું હતું કે અમારું આંદોલન મંદિર માટેનું નથી, તમારા જેવા સુડો-સેક્યુલરિસ્ટોની રાજકીય જમીન આંચકી લેવા માટેનું રાજકીય છે. આજે જ્યારે તેમણે કેન્દ્રમાં અને ઉત્તર પ્રદેશમાં રાજકીય જમીન આંચકી લીધી છે ત્યારે ન્યાયમૂર્તિ ખેહર કહે છે એમ આપ-લેના ધોરણે સમાધાન થાય એ શેખચલ્લીના સપના જોવા જેવું છે.
સૌજન્ય : ‘કારણ-તારણ’, નામક લેખકની કોલમ, “ગુજરાતી મિડ-ડે”, 27 માર્ચ 2017