૨૯મી જુલાઈએ કેન્દ્ર સરકારે નવી શિક્ષણનીતિ-૨૦૨૦ને મંજૂરી આપી. આજે જ્યારે આપણે કોવિડની મહામારીના સંકટનો સામનો કરી રહ્યા છીએ, જ્યારે શાળાઓ, કૉલેજો અને યુનિવર્સિટીઓ બંધ છે, ત્યારે આ નીતિ અંગે જાહેર, ખુલ્લી ચર્ચાઓ કરવી લગભગ અશક્ય અને ઘણું જ મુશ્કેલ છે. ઉપરાંત અત્યારે સંસદ પણ કાર્યરત નથી, ત્યારે સંસદમાં પણ આ નીતિની ચર્ચાની લોકતાંત્રિક પ્રક્રિયાને અનુસર્યા વગર આટલી ઉતાવળથી એને મંજૂરી આપવાની શી જરૂર હતી એ એક સ્વાભાવિક પ્રશ્ન સૌને થાય. આ ખાસ ચિંતાનો વિષય એટલે છે કે દેશનાં દરેક બાળકોનું ભવિષ્ય આની સાથે જોડાયેલું છે. એટલે આટલી ઉતાવળમાં આવા મોટા નિર્ણયો વ્યાપક ચર્ચા વગર ન થવા જોઈએ.
નવી શિક્ષણનીતિ-૨૦૨૦માં શિક્ષણ વિશેના વિચારો, તેનાં ધ્યેયો તેમ જ શિક્ષણના માળખામાં પાયાના ફેરફારો કરવામાં આવ્યાં છે. આની પાછળ બે મુખ્ય પરિબળો છે, એક તો આ શિક્ષણનીતિ નવઉદારીકિકરણ અને વૈશ્વિકીકરણની જરૂરિયાતોને લક્ષમાં રાખીને ઘડવામાં આવી છે. નીતિમાં કહ્યું છે કે આ શિક્ષણ ભારતને એક નૉલેજસોસાયટી એટલે જ્ઞાનસમાજ બનાવશે, જેથી ભારત વિશ્વમાં એક મોટી આર્થિક મહાસત્તા બને અને ચોથી ઔદ્યોગિક ક્રાંતિ માટે તૈયાર થાય. આમ, બહુ સ્પષ્ટ રીતે જણાવ્યું છે કે શિક્ષણનો મુખ્ય હેતુ અને ઉપયોગ આર્થિક વૃદ્ધિ કરવા માટે થશે. આ એક પ્રકારનું શિક્ષણનું કૉર્પોરેટકરણ છે અને મૂડીવાદને અનુકૂળ એવું શિક્ષણ આપવામાં આવશે.
બીજું મોટું પરિબળ છે એ છે કે શિક્ષણમાં વિચારધારામાં પણ પાયાનું પરિવર્તન કરવામાં આવ્યું છે. અત્યાર સુધીની શિક્ષણનીતિઓમાં ધર્મનિરપેક્ષ અને ઉદારમતવાદી (સેક્યુલર અને લિબરલ) શિક્ષણની ભલામણ હતી. જ્યારે આ નીતિમાં સ્પષ્ટપણે જણાવ્યું છે કે ભારતના સમૃદ્ધ પ્રાચીન વારસાથી આપણને મળેલું જ્ઞાન એ આ નીતિની માર્ગદર્શક ભાવના છે. આ શિક્ષણનો પાયો એક ચોક્કસ વિચારધારામાં રોપાયેલો છે. એ જમણેરી હિન્દુત્વની વિચારધારા છે. આ પણ એક ચિંતાનો વિષય છે, કારણ કે આને કારણે શિક્ષણમાં એક એવી જાતનો બુનિયાદી ફેરફાર થશે, જેમાં બીજી વિચારધારાઓને વિકસવાની કે વ્યક્ત થવાની કોઈ શક્યતા રહેશે નહીં.
ત્રીજો મુખ્ય મુદ્દો એ છે કે આ નીતિમાં શિક્ષણનું કેન્દ્રીકરણ કરવામાં આવ્યું છે. આપણે જાણીએ છીએ કે દરેક ક્ષેત્રમાં આજે કેન્દ્રીકરણ થઈ રહ્યું છે. એક દેશ એક રેશનકાર્ડ જેવાં અનેક સૂત્રો અત્યારે પ્રચલિત થયાં છે તેમ શિક્ષણને પણ એકરૂપી [homogenise] બનાવવાનો પ્રયત્ન છે. ભારતના બંધારણનું પણ આમાં ઉલ્લંઘન છે, કારણ કે ભારતનું રાજકીય માળખું સમવાયી/ફેડરલ માળખું છે. જુદાં-જુદાં રાજ્યોની જુદી-જુદી સંસ્કૃતિ, ભૂગોળ અને ઇતિહાસ છે, જેને લીધે તેમની શિક્ષણ અંગે પણ જુદી-જુદી જરૂરિયાતો હોય છે. એને નજરઅંદાજ કરીને સમગ્ર દેશમાં એકસમાન શિક્ષણપ્રથા દાખલ કરવામાં આવશે. જેના પર કેન્દ્ર સરકારનું સખત નિયંત્રણ રહેશે.
એક નજરે જો આ ૬૬ પાનાંનો દસ્તાવેજ વાંચીએ, તો એ ઘણી સારી ભાષામાં લખાયો છે અને ઘણો લોભાવનારો છે. એમાં એવા અનેક શબ્દો છે. જેને જોઈને સામાન્ય વાચક ખરેખર રાજી થાય. એમાં સમાનતા, સ્વાયત્તતા, પારદર્શિતા, ઈન્ક્લુઝીવનેસ – બધાનો સમાવેશ થાય એવી વ્યવસ્થા, અનેક શાખાકીય [multi-disciplinary] અભ્યાસક્રમ, આ બધાંનો ઉલ્લેખ છે. પરંતુ આ દસ્તાવેજને વાંચતાં બે વસ્તુ ધ્યાનમાં રાખવાની જરૂર છે. એક તો આ નીતિને આ સરકારનાં છ વર્ષના શાસનના સંદર્ભમાં મૂલવવાની જરૂર છે. આપણે જાણીએ છીએ કે અત્યારે અભિવ્યક્તિની સ્વતંત્રતાને, સરકારની નીતિઓના વિરોધમાં પ્રગટ થયેલા વિચારોને રૂંધવામાં આવે છે. યુનિવર્સિટીઓમાં ચર્ચાઓની જગ્યા સંકોરાતી જાય છે આજે કોઈ જાહેરક્ષેત્રમાં કોઈ પ્રકારની પારદર્શિતા નથી. સમાનતાની જગ્યાએ વિભાજન અને ભેદભાવની નીતિ સમાજમાં ઊંડી તિરાડો પાડી રહી છે. આ બધા વિચારો જ્યારે આ દસ્તાવેજમાં મૂકવામાં આવે, ત્યારે ખોખલા અને ખોટા પુરવાર થાય છે. એને આપણે ગંભીરતાથી લઈ શકીએ, એવી પરિસ્થિતિ કે રાજકીય વાતાવરણ આજે નથી.
બીજું, ખાસ તો આ શિક્ષણવ્યવસ્થામાં એવું માળખું તૈયાર કરવામાં આવ્યું છે કે જેમાં આ બધી બાબતો શક્ય જ નથી. એક એવા પ્રકારની યોજના કરવામાં આવી છે, જેમાં સમાવેશની, એટલે કે બધા વર્ગનાં અને જાતિનાં બાળકો શિક્ષણનો લાભ લઈ શકે, તેવી શક્યતાઓ ઘણી ઓછી રહેલી છે. આ શિક્ષણનીતિ ઉચ્ચ-મધ્યમ અને ઉચ્ચવર્ગનાં બાળકોને ધ્યાનમાં રાખીને ઘડવામાં આવી છે. શિક્ષણમાં એક નવો વર્ગ ઉમેરવામાં આવ્યો છે – સામાજિક અને આર્થિક રીતે વંચિત સમૂહો [socioeconomically disadvantaged groups]. આ એક બહુ વિશાળ વર્ગ છે, જેમાં ૬૦થી ૭૦% બાળકોનો સમાવેશ થઈ શકે. એમને આર્થિક સહાય, શિષ્યવૃત્તિ, વગેરે આપવાનો પ્રસ્તાવ છે. પરંતુ ચોંકાવનારો પ્રસ્તાવ એ છે કે એમના શિક્ષણ માટે ખાસ શિક્ષણવિસ્તારો [special education zones] બનાવવામાં આવશે. ટૂંકમાં એમને માટે અલગ વ્યવસ્થા કરવામાં આવશે અને શિક્ષણમાં ભેદભાવ [Apartheid] ઊભો થશે.એક વખત એસ.સી., એસ.ટી. અને ઓ.બી.સી.નો ઉલ્લેખ છે. આર્થિક મદદના સંદર્ભમાં અસ્પષ્ટ સૂચન છે કે આ સમૂહોના વિદ્યાર્થીઓની ગુણવત્તાને પ્રોત્સાહન આપવા પ્રયત્ન થશે. તેમની શાળામાંથી કૉલેજમાં સંક્રાંતિ સરળ બનાવવા પ્રોત્સાહન અને સલાહ આપવાનું ઉપકારક સૂચન છે, પરંતુ નોંધપાત્ર મુદ્દો એ છે કે આખા દસ્તાવેજમાં અનામતનો ઉલ્લેખ માત્ર નથી.
આ નીતિમાં ઉચ્ચશિક્ષણના માળખામાં ધરખમ ફેરફારો કરવામાં આવ્યા છે. સૌથી પ્રથમ, ઉચ્ચશિક્ષણની સંસ્થાઓનું કદ વધારવામાં આવશે અને તેમાં વિદ્યાર્થીઓની સંખ્યા વધારવામાં આવશે. આમ સંસ્થાઓમાં વિદ્યાર્થીઓની સંખ્યા વધશે અને નાની સંસ્થાઓની સંખ્યા ઘટશે. આજે દેશમાં લગભગ ૪૫ હજાર જેટલી કૉલેજો છે, એમાંથી વખત જતાં પંદર હજાર ઉચ્ચશિક્ષણની સંસ્થાઓ Education Institutions – HEIs] કરવામાં આવશે. આ કેવી રીતે થશે? ૩,૦૦૦ વિદ્યાર્થીઓથી ઓછી સંખ્યા ધરાવતી સંસ્થાઓને બંધ કરવામાં આવશે. આવી અલગ-અલગ નાની કૉલેજોના સમૂહો [clusters] કરીને, એમને ભેગી કરીને એક મોટી સંસ્થા બનાવવામાં આવશે અને એમાં ૫થી દસ હજાર વિદ્યાર્થીઓ અભ્યાસ કરશે. દરેક જિલ્લામાં આવી એક મહાકાય સંસ્થા હશે. આવી વિશાળ સંસ્થાનો વિચાર પ્રાચીન ભારતની તક્ષશિલા, નાલંદા જેવી શિક્ષણસંસ્થાઓમાથી લેવામાં આવ્યો છે, જેમાં હજારો વિદ્યાર્થીઓ એકસાથે ભણતા! આટલા જબરદસ્ત ફેરફારનો અમલ કેવી રીતે કરવામાં આવશે, અત્યારે જે કૉલેજો છે એનું શું થશે, તેના શિક્ષકો વગેરેની શી વ્યવસ્થા થશે, એ અંગે કોઈ માહિતી નથી. એક શાખા, જેમ કે આટ્ર્સ, સાયન્સ, વગેરે ભણાવતી કૉલેજો બંધ થઈ જશે. કોઈ પણ સંસ્થામાં માનવવિદ્યા અને વિજ્ઞાનની જુદી-જુદી શાખાઓ નહીં હોય અને દરેક વિદ્યાર્થીને બી.એલ.એ.[Bachelor of Liberal Arts]ની એકસમાન ડિગ્રી મળશે. આ સંસ્થાઓમાં અનેક શાખાકીય [multi-disciplinary] શિક્ષણ આપવામાં આવશે. કાયદાશાસ્ત્ર, તબીબીશાસ્ત્ર કે ઇજનેરી સંસ્થાઓમાં પણ બધા જ પ્રકારનું શિક્ષણ આપવામાં આવશે. આ પાયાના ફેરફારોનું શું પરિણામ આવશે? એક તો આ સંસ્થાઓની માળખાગત વ્યવસ્થા [infrastructure] ઊભી કરવાનું અત્યંત મુશ્કેલ અને ખર્ચાળ બનશે. સંસ્થા ચલાવવાનો ખર્ચ અનેક ગણો વધી જશે. એ ક્યાંથી આવશે? પૂંજીપતિઓ મૂડીનું રોકાણ કરીને શિક્ષણસંસ્થાઓમાં દાખલ થશે; થોડું સરકારની મૂડીનું રોકાણ થશે. જાહેર-પરોપકારી (ખાનગી) ભાગીદારી [public-philanthropic partnership – PPP] આ નીતિનું એક મુખ્ય પાસું છે. સરકાર અને પરોપકારી (ખાનગી) સંસ્થાઓ અને વ્યક્તિઓની ભાગીદારીથી આ સંસ્થાઓ ચાલશે. તેનું શું પરિણામ આવશે? શિક્ષણનું ખાનગીકરણ થશે. આજે દેશમાં દરેક ક્ષેત્રમાં ખાનગીકરણ થઈ રહ્યું છે તેવું જ શિક્ષણનું થશે. પૂંજીપતિઓ શિક્ષણસંસ્થાઓના માલિક બનશે અને શિક્ષણની ફી વધશે. આ એક ખૂબ જ મોટો ફેરફાર છે. જાહેર અનુદાનથી ચાલતું ગુણવત્તાવાળું ઉચ્ચશિક્ષણ [public-funded quality higher education] જેમાં દરેક વર્ગના વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણનો લાભ મળી શકે એની જગ્યાએ હવે આવી વિશાળ, ખાનગી, ખર્ચાળ સંસ્થાઓ શરૂ થશે. બીજું, નજીકના વિસ્તારોમાંથી કૉલેજો નીકળી જતાં વિદ્યાર્થીઓને, ખાસ તો ગ્રામીણ વિસ્તારના વિદ્યાર્થીઓને, અભ્યાસ માટે દૂર જવું પડશે. ફી ઉપરાંત તેમના રહેવા-ખાવાના ખર્ચનો બોજો માબાપ પર પડશે. છોકરીઓને આ વ્યવસ્થામાં સૌથી વધારે સહન કરવું પડશે. કયાં માબાપો પોતાની દીકરીઓને દૂર ભણવા મોકલશે? ઉચ્ચ શિક્ષણનો ઢાંચો આમ પાયામાથી બદલવામાં આવ્યો છે, જેમાં સમાજના ઓછી આવકવાળા સમૂહો તેમ જ છોકરીઓ માટે ઉચ્ચ શિક્ષણ મેળવવું ઘણું મુશ્કેલ બનશે.
બીજું, ઉચ્ચશિક્ષણ માટે ૩ (અનુસ્નાતક) +૨ (સ્નાતક) વર્ષનો અભ્યાસક્રમ અથવા તો ૪ (અનુસ્નાતક) + ૧ (સ્નાતક) વર્ષનો અભ્યાસક્રમ હશે. ચાર વર્ષના અનુસ્નાતક અભ્યાસક્રમમાં વિદ્યાર્થીને અનેક બહાર નીકળવાના [multiple exit] વિકલ્પ મળશે. એક વર્ષને અંતે બહાર નીકળનારને સર્ટિફિકેટ, બે વર્ષે બહાર નીકળનારને ડિપ્લોમા, ત્રણ વર્ષે બહાર નીકળનારને ડિગ્રી અને ચોથા વર્ષને અંતે બહાર નીકળનારને સંશોધન સાથે ડિગ્રી મળશે. આનાં પણ અનેક આડ-પરિણામો આવશે. પહેલું તો શિક્ષણનું આખું માળખું ઢીલું થશે. બીજું, કયા વર્ગના વિદ્યાર્થીઓ બહાર નીકળશે? મહેનતથી અને મુશ્કેલીથી આગળ વધેલા, વધુ ભણવાનો પ્રયત્ન કરનારા દલિત-બહુજન વિદ્યાર્થીઓ અને ખાસ તો છોકરીઓ તક મળતાં, અનેક કારણોસર બહાર નીકળી જશે. ઉપરાંત, ચાર પ્રકારની ડિગ્રીઓ મળશે. આ ડિગ્રીઓની શું કિંમત હશે? આપણે જાણીએ છીએ કે આજે બેરોજગારી એટલી બધી છે કે એમ. એ. કે એંજિનિયરિંગની ડિગ્રી + હોય એવા વિદ્યાર્થીઓને પણ નોકરી મળતી નથી. ત્યાં આ ડિપ્લોમા અને સર્ટિફિકેટની એક કાગળના ટુકડાથી વધારેશું કિંમત હશે? એમને કેવા પ્રકારની અને કોણ નોકરી આપશે? આવી જુદા-જુદા સ્તરની ડિગ્રીઓ આપવાથી શિક્ષણમાં એક ભેદભાવ ઊભો થશે; એક વર્ણવ્યવસ્થા ઊભી થશે. અમુક વર્ગના લોકો બહાર નીકળી જશે, જેથી શિક્ષણના જે લાભો છે, ફાયદાઓ છે, તેમાંથી તે બાકાત રહે. તેમને ઉચ્ચ હોદ્દાની નોકરી પણ નહીં મળે. આમ નીતિમાં કાગળ ઉપર સમાવેશની વાત છે. પણ આ જાતની વ્યવસ્થામાં કયા સમૂહના લોકો આમાંથી બાકાત રહેશે એ સ્પષ્ટ છે. શિક્ષણનો હેતુ એ હોવો જોઈએ કે એક સઘન અભ્યાસક્રમ હોય, જેનો લાભ દરેક જણ પહેલેથી છેલ્લે સુધી ઊઠાવે. દરેકને તેમાંથી આગળ વધવાની તક મળે. પણ અહીં બહાર નીકળવાની એટલી બધી તકો આપવામાં આવી છે કે સમાજના મોટા સમૂહોનાં બાળકો પૂરું ઉચ્ચ શિક્ષણ નહીં મેળવે.
ત્રીજું, કૉલેજના અભ્યાસ માટે રાષ્ટ્રીય સ્તરે એક સામાન્ય પ્રવેશપરીક્ષા [common entrance test] લેવામાં આવશે, જેને કારણે પણ અમુક વિદ્યાર્થીઓ ઉચ્ચ શિક્ષણના લાભથી બહાર રહી જશે. આજે ગ્રામીણ વિસ્તારોમાં રહેતા, મહેનતથી આગળ વધેલા વિદ્યાર્થીઓ સી.બી.એસ.સી.માં સારું પરિણામ લાવી આગળ ભણવાની તક મેળવી શકે છે. જે.એન.યુ. જેવી જાહેર અનુદાનથી ચાલતી યુનિવર્સિટીઓમાં સામાન્ય આવકવાળાં કુટુંબોમાથી અનેક વિદ્યાર્થીઓ દેશને ખૂણેખૂણેથી નજીવી ફી આપી ભણી શકે છે. નવી વ્યવસ્થામાં શાળાના અભ્યાસની અને પરીક્ષાઓનાં પરિણામોની કોઈ અગત્યતા નહીં રહે. બધાએ ફરજિયાત સામાન્ય પ્રવેશ પરીક્ષા આપવી પડશે. બીજું, આ પરીક્ષા બધા માટે એકસરખી હશે. એનું કેન્દ્રીકરણ અને એકરૂપીકરણ થશે. આનાં પણ પ્રતિકૂળ પરિણામ આવશે. પ્રવેશપરીક્ષા બેશક લેવાય, પરંતુ ફેડરલ માળખાને અનુસાર દરેક પ્રદેશ, દરેક સંસ્થા, દરેક વિભાગ પોતાની જરૂરિયાત પ્રમાણે વિદ્યાર્થીઓને પ્રવેશ આપતાં પહેલાં ચકાસી શકે છે. જે.એન.યુ. આનું એક ઉત્તમ ઉદાહરણ છે. ત્યાં દેશના ખૂણેખૂણેથી અને ગ્રામ્યવિસ્તારોમાંથી અનેક વિદ્યાર્થીઓ આવે છે અને તે લોકો પણ પ્રવેશપરીક્ષામાં ભાગ લે છે, પરંતુ તે વિદ્યાર્થીઓને જુદી રીતે મૂલવવામાં આવે છે અને તેમની પસંદગી જુદી રીતે થાય છે. આની જગ્યાએ એક સમાન સામાન્ય પ્રવેશ પરીક્ષા લેવામાં આવશે, જેમાં વિદ્યાર્થીઓની સામાજિક-આર્થિક પરિસ્થિતિ કે તેમની શિક્ષણ પદ્ધતિનો ખ્યાલ રાખવામાં આવશે નહીં. આને લીધે પણ ઉચ્ચ શિક્ષણ મેળવવામાંથી ઘણા બહાર રહી જશે. ઉપરાંત, સામાન્ય પ્રવેશપરીક્ષા માટે વિદ્યાર્થીઓએ ખાસ જુદા પ્રકારનો અભ્યાસ કરવો પડશે. નીતિમાં કહેવામાં આવ્યું છે કે કોચિંગ ક્લાસની પ્રથા હવે બંધ થઈ જશે. પરંતુ આ પ્રવેશપરીક્ષા કોચિંગ ક્લાસ સિવાય કોઈ આપી શકશે નહીં. તે એક જુદા જ પ્રકારની પરીક્ષા હશે, જેને શાળાના શિક્ષણ સાથે સીધો સંબંધ નહીં હોય. પરીક્ષા લેનારી એજન્સી પણ આમાંથી ઘણું કમાશે. પ્રવેશપરીક્ષા એક ધંધો બનશે. શિક્ષણનું વ્યાપારીકરણ થશે. આવી ખર્ચાળ પ્રવેશપદ્ધતિ કેવળ મધ્યમ અને ઉચ્ચવર્ગના ૨૦થી ૩૦% વિદ્યાર્થીઓને પોસાશે. આને લીધે પણ સામાન્ય વર્ગના વિદ્યાર્થીઓએ, જેમણે શાળામાં સારો અભ્યાસ કર્યો છે એમને માટે ઉચ્ચશિક્ષણની તકો સંકેલાઈ જશે.
ઉપરાંત, આનીતિમાં ઑનલાઇન શિક્ષણ અને ખુલ્લાં અંતરશિક્ષણ [Open Distance Learning] પર ભાર મૂક્યો છે અને ઉચ્ચ શિક્ષણના અંતર્ગત ભાગ તરીકે, વર્ગમાં મળતા શિક્ષણ જેટલા જ મહત્ત્વના, ગણાવ્યાં છે. આજે દેશમાં ૬૦થી ૭૦% લોકોને ઇન્ટરનેટની વ્યવસ્થાનો લાભ નથી મળતો. સ્માર્ટફોન ન હોવાને લીધે ઑનલાઈન અભ્યાસ ના કરી શકતાં ઘણા યુવાન-યુવતીઓએ આત્મહત્યા કરી છે, એ આપણે જાણીએ છીએ. આ પ્રકારની વ્યવસ્થાને કારણે પણ સમાજનો એક બહોળો વર્ગ, દલિત બહુજનસમાજના વિદ્યાર્થીઓ અને ખાસ તો છોકરીઓ ઉચ્ચ શિક્ષણના અભ્યાસમાંથી બાકાત રહી જશે. અને ધારો કે બધાને આ સગવડ આપવામાં આવે તો પણ આવું શિક્ષણ ઇચ્છનીય છે? આવું શિક્ષણ ખરેખર શિક્ષણ છે? આ પદ્ધતિ છેવટે શિક્ષણની બુનિયાદ બદલી દેશે. એક નવા પ્રકારના જ્ઞાની સમાજની રચના થશે જેમાં માહિતી અને ડેટા તેમ જ તૈયાર નમૂનાના પાઠો [modules] પર વધારે ભાર મુકાશે. ઉપરાંત, વિદ્યાર્થીઓ ઘેરબેઠાં શિક્ષણ લેશે. આપણને માત્ર ભણાવવામાં આવે છે તે જ શિક્ષણ નથી. શિક્ષણ વિદ્યાર્થીના સર્વાંગી વિકાસ માટે હોય છે. જ્યારે એક વિદ્યાર્થી કૉલેજમાં પ્રવેશે છે, ત્યારે તેને શિક્ષક સાથે, અન્ય વિદ્યાર્થીઓ સાથે, એક લાગણીનો સંબંધ, સામાજિક અને બૌદ્ધિક સંબંધ, અને બીજા અનેક પ્રકારના સંબંધો બંધાય છે. વર્ગમાં જ નહીં, વર્ગની બહાર પણ તેને ઘણું શીખવાનું મળે છે જ્યાં વિચારોની આપ-લે થાય છે અને એ બહારની દુનિયા સાથે સંપર્કમાં આવે છે. ટૂંકમાં, વિદ્યાર્થીનું સામાજિક ઘડતર થાય છે. જો ઘરમાં શિક્ષણ લેવા પર ભાર હોય, તો શિક્ષણ બહારની દુનિયાથી અલગ પડી જશે અને આજુબાજુના સંદર્ભોથી, કપાઈ જશે. શિક્ષણનું એક પ્રકારનું અમાનવીયકરણ dehumanization] થશે. ઉપરાંત, ઑનલાઇન શિક્ષણ માટે નમૂનાપાઠ તૈયાર કરવામાં આવશે. ઇતિહાસનો કોઈ એક પાઠ ભણાવવાનો હોય તો, કોઈ એક વ્યક્તિએ લખેલો પાઠ બધે ભણાવવામાં આવશે, જે છેવટે એ વિષય માટેનું સામાન્ય જ્ઞાન બનશે. બધા જ ઇતિહાસના સંદર્ભોથી અલગ આ માહિતીના પ્રસારણમાં વિદ્યાર્થીઓને સામે પ્રશ્ન કરવાની, મુદ્દાઓ ઉઠાવવાની, બીજી રીતે વિષયને જોવાની તક મળશે નહીં. આમ જ્ઞાનનું એકરૂપીકરણ [homogenisation] થશે અને એના સંદર્ભોથી અલગ થઈ જશે. આજે દુનિયામાં શિક્ષણપ્રથામાં આ એક ખૂબ મોટો પાયાનો ફેરફાર થયો છે. આ એક એવા પ્રકારની શિક્ષણવ્યવસ્થા છે કે જેમાં વિદ્યાર્થીઓને બીજી કોઈ રીતે વિષયને સમજવાની શક્યતાઓ સંકોરાતી જશે. આ શિક્ષણનું નવું, વૈશ્વિક રાજકારણ છે. હવે પછીની પેઢીના વિદ્યાર્થીઓને ખ્યાલ પણ નહીં આવે કે આ બધા વિષયો પર બીજી રીતે પણ વિચાર થઈ શકે છે અથવા તો આ દરેક વિષયોના બહોળા સંદર્ભો હોય છે. જો પ્રશ્નો કરવાની, ચર્ચા કરવાની, પ્રશ્નોને સમજવાની તપાસવાની, વિષયને તર્કસંગત રીતે સમજવાની બૌદ્ધિક સજ્જતા નહીં કેળવાય તો જ્ઞાન અને સમાજનો વિકાસ કવિ રીતે થશે? આમાંથી એક ગુલામીની માનસિકતાવૃત્તિ ઊભી થશે. વિદ્યાર્થીને જે શિક્ષણ મળ્યું એ જ જ્ઞાન તેની પાસે હશે. બીજાં, સમાંતર, વૈકલ્પિક જ્ઞાનની, અને એ દ્વારા વૈકલ્પિક સમાજની, શક્યતાઓ બંધ થઈ જશે. શિક્ષણનો મુખ્ય હેતુ વિદ્યાર્થીને એક નાગરિક તરીકે સજ્જ કરવાનો છે, જેથી તે પોતાની પરિસ્થિતિ, સમાજના પ્રશ્નો વિષે સભાન થાય અને એને બદલવા માટે પ્રવૃત્ત થાય. પરંતુ આ શિક્ષણમાં એ દિશાનાં બારણાં બંધ કરી દેવામાં આવ્યાં છે.
ઑનલાઇન શિક્ષણને ભારતમાં સુલભ કરવા આવતાં ચાર વર્ષમાં અમેરિકા ભારતમાં લાખો ડૉલરનું રોકાણ કરશે. આજે વિશ્વભરમાં શિક્ષણ એક નફો મેળવવાનું સાધન બની રહ્યું છે. આ મૂડીવાદી શિક્ષણ પદ્ધતિ છે જેમાં દુનિયાના બધા દેશોમાં મૂડીવાદી વ્યવસ્થાને મજબૂત કરવા સમાન જ્ઞાનવાળા યુવાનો તૈયાર થશે. દેશમાં પરદેશની યુનિવર્સિટીઓનો પ્રવેશ એ પણ આ શિક્ષણના વ્યાપારીકરણ અને વૈશ્વિક એકરૂપતાને પોષશે. ઉપરાંત, આ નીતિમાં ‘આજે જ્યારે દુનિયા(ના દેશો) એકબીજા સાથે જોડાતા જાય છે, ત્યારે ‘વૈશ્વિક નાગરિકતા શિક્ષણ [global citizenshipe education]’ આપવાની વાત છે. શિક્ષણનું આંતરરાષ્ટ્રીયકરણ થશે જેમાં ભારત ‘વિશ્વગુરુ’નો ભાગ ભજવશે! પરંતુ જે ખૂબ જ ભયજનક પાસું છે, તે એ છે કે આ જાતનું શિક્ષણ આર્થિક અને સામાજિક પ્રશ્નોને બીજી, જુદી રીતે વિચારવાની શક્યતાઓ ભૂંસી નાખશે, જેને કારણે મૂડીવાદને પડકારનાર તાકતો અને સમૂહો ખલાસ થઈ જશે, જેથી મૂડીવાદનું વર્ચસ્વ જળવાઈ રહે. આ આખું શિક્ષણ સરકાર અને પૂંજીપતિઓના ગઠબંધનને મજબૂત બનાવે તે મુજબનું છે. શાળાઓ બાબતે અહીં ચર્ચા નથી કરવી. છતાં એમાં એક મુખ્ય ફેરફાર કરવામાં આવ્યો છે, તેનો નિર્દેશ જરૂરી છે.છઠ્ઠા ધોરણથી શાળામાં વ્યાવસાયિક [vocational] વિષયો શીખવવામાં આવશે. આપણે જાણીએ છીએ કે જેટલાં બાળકો શાળામાં દાખલ થાય છે, તેના ૧૦ ટકા ધોરણ-૧૨ સુધી પહોંચે છે. અધવચ્ચે અભ્યાસ છોડી જનારની સંખ્યા (ડ્રૉપ આઉટ રેટ) ઘણો મોટો છે. હવે જો છઠ્ઠા ધોરણથી જ બાળકોને વ્યાવસાયિક શિક્ષણ મળશે, તો ઘણાં બાળકો અભ્યાસ છોડીને કામે વળગશે. છઠ્ઠા ધોરણથી એટલે કે ખૂબ જ નાની ઉંમરથી બાળકો કામે લાગી જશે અને કૉર્પોરેટ પૂંજીવાદ માટે સસ્તા મજૂરો તૈયાર થશે. છેવટે આ શિક્ષણ વ્યવસ્થાનો એ આશય છે કે મૂડીવાદ માટે સસ્તા મજૂરો તૈયાર કરવા કે જેમની માનસિકતા ગુલામીની હોય કેમ કે એમને એટલું જ્ઞાન પણ નહીં મળે કે નાગરિક તરીકે સભાન થાય અને પોતાની પરિસ્થિતિ સમજી શકે. એક આખો વર્ગ ઊભો થશે, જે ગુલામીની માનસિકતામાં જીવશે અને મૂડીવાદને સસ્તી મજૂરી પૂરી પાડશે. ૨૦૦૯માં પસાર થયેલા રાઇટ ટુ એજ્યુકેશન [RTE] એક્ટમાં સ્પષ્ટ લખ્યું છે કે ૬થી ૧૪ વર્ષનાં બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણ આપવું. આ કાયદાનો આ દસ્તાવેજમાં ઉલ્લેખ જ નથી. શિક્ષણની વ્યવસ્થા એ પ્રકારની હોવી જોઈએ કે શાળામાં બાર વર્ષ સુધી બાળક સતત ભણે અને અધવચ્ચે અભ્યાસ છોડી ન દે, જેથી દરેક બાળકને ન્યૂનતમ જરૂરી જ્ઞાન મળે. દેશની સૌથી પહેલી શિક્ષણનીતિ જે કોઠારી કમિશન તરીકે ઓળખાય છે એમાં આ જાતનું સૂચન હતું. અહીં તો બાળકોની સ્વેછાએ ભણવાનું છોડવાની [drop out] વાત નથી, પરંતુ તેમને શિક્ષણમાંથી બહાર કાઢવાની [push out] કરવાની વ્યવસ્થા છે, જે વખોડવાલાયક છે. આ નીતિમાં શાળાથી માંડીને ઉચ્ચ શિક્ષણ સુધી અનેક, સ્તરે વિદ્યાર્થીને બહાર નીકળવાની તક આપી છે. આને લીધે સમાજનો મોટા ભાગના યુવાનોને પૂરું શિક્ષણ નહીં મળે. જ્યારે ઉચ્ચ, સંપન્ન વર્ગના યુવાનો આ શિક્ષણનો પૂરો લાભ લઈ શકશે. આ પ્રકારનો અભિક્રમ [hierarchy] શિક્ષણક્ષેત્રમાં એક પ્રકારની વર્ણવ્યવસ્થા ઊભી કરશે અને જાતિવ્યવસ્થા અને વર્ગભેદ જે શિક્ષણની મદદથી દૂર થવાં જોઈએ, એ વધુ મજબૂત બનશે.
સૌજન્ય : “નિરીક્ષક”, 16 સપ્ટેમ્બર 2020; પૃ. 05-07
— 2 —
નવી શિક્ષણનીતિ ૨૦૨૦ : ૨
નવી શિક્ષણ નીતિ ૨૦૨૦માં જણાવ્યા મુજબ સમગ્ર ઉચ્ચશિક્ષણ આંતરશાખાકીય [multidisciplinary] હશે. એકશાખાકીય કૉલેજો વખત જતાં બંધ થઈ જશે અને દરેક સંસ્થામાં વિદ્યાર્થીઓ એકસાથે અનેક વિષયો ભણશે. માનવવિદ્યા અને વિજ્ઞાનની જુદી-જુદી ડિગ્રીઓ, નહીં પરંતુ દરેકને એકસમાન બી.એલ.એ.(બૅચેલર્સ ઑફ લિબરલ આટ્ર્સ)ની ડિગ્રી મળશે. કાયદાનું, તબીબી, તક્નિકી વગેરે શિક્ષણ પણ આંતરશાખાકીય હશે. આ એક આકર્ષક લાગે એવો વિચાર છે. છેલ્લાં ઘણાં વર્ષોથી યુનિવર્સિટીઓમાં આ જાતનું શિક્ષણ પ્રચલિત છે. સાહિત્ય, ઇતિહાસ વગેરેનાં શિક્ષણ અને સંશોધનમાં ઇતર વિષયોનો અભ્યાસ એ પોતાના વિષયનું જ્ઞાન ઊંડું અને વિસ્તૃત કરવામાં મદદરૂપ અને જરૂરી બને છે. પરંતુ અહીં એ પ્રકારનું આંતરશાખાકીય શિક્ષણ આપવાની વાત નથી. નીતિમાં દાવો કરવામાં આવ્યો છે કે ભારતમાં પ્રાચીન સમયમાં તક્ષશિલા જેવી વિશાળ સંખ્યાવાળી સંસ્થાઓ, જેમાં હજારો વિદ્યાર્થીઓએ એકસાથે ભણતા તેમાં આ પ્રકારનું શિક્ષણ આપવામાં આવતું, જેમાં અનેક કળાઓ [skills] એકસાથે શીખવવામાં આવતી. પ્રાચીન ગ્રંથોમાં પણ અનેક કળાઓનો ઉલ્લેખ છે, જેમાં સંગીત, વિજ્ઞાન, સાહિત્ય ઉપરાંત વ્યાવસાયિક કળાઓનો પણ સમાવેશ થાય છે. આ નીતિમાં ઉદારમતવાદી કળાઓ[liberal arts]ના શિક્ષણનો અર્થ અનેક પ્રકારની કળાઓનું શિક્ષણ [liberal use of arts] કરવામાં આવ્યો છે, જે પણ મૂળ પ્રાચીન ભારતીય વિચાર છે અને આજના સમયની, વૈશ્વિક મૂડીવાદની જરૂરિયાતો પૂરી કરવા માટે એ શ્રેષ્ઠ અભિગમ છે! આંતરશાખાકીય શિક્ષણ આમ નવી શિક્ષણનીતિના દાવા મુજબ પ્રાચીન ભારતની શિક્ષણવ્યવસ્થાનો મૂળ વિચાર છે અને આજે ૨૧મી સદીમાં રોજગારી માટે તેમ જ ચોથી ઔદ્યોગિક ક્રાંતિ માટે આ પ્રકારનું શિક્ષણ અત્યંત જરૂરી છે. આ યોજનામાં વિદ્યાર્થીને સર્વગ્રાહી [holistic] શિક્ષણ આપવામાં આવશે, જેમાં એકથી વધુ વિષયો – શૈક્ષણિક તેમ જ વ્યાવસાયિકનું તેને જ્ઞાન હોય. આજે વૈશ્વિક બજારમાં ખૂબ ઝડપથી ફેરફારો થતા જાય છે અને રોજગારીના પ્રકાર હંમેશાં બદલાતા રહે છે, તેથી એકથી વધુ વિષયોનું જ્ઞાન જરૂરી બને છે. શિક્ષણમાં વિષયોની સામગ્રી [content] પર ઓછું અને નવાં તેમ જ બદલાતાં ક્ષેત્રોને કેવી રીતે અનુરૂપ થવું, સમસ્યાઓ કેવી રીતે હલ કરવી, વગેરે વિશે વિદ્યાર્થી વિચારી શકે અને નવા વિચારો રજૂ કરી શકે એ માટેનું જ્ઞાન વધારે આપવામાં આવશે, જેથી એવા પ્રકારના વિદ્યાર્થીઓ તૈયાર થાય કે જે દરેક ક્ષેત્રમાં સરળતાથી કામ કરી શકે. આમ, આંતરશાખાકીય અનેકવિધ વિષયના શિક્ષણનું ધ્યેય વૈશ્વિક બજાર માટે યુવાનોને તૈયાર કરવા એ છે. આજે જ્યારે આટલા મોટા પ્રમાણમાં બેરોજગારી છે અને તેનું કારણ નવઉદારિકીકરણ છે, ત્યારે આ નવઉદારિકીકરણના બજાર માટે વિદ્યાર્થી યુવાનોને તૈયાર કરવા એ એક અપ્રામાણિક પ્રસ્તાવ છે. કેવળ અને કેવળ મૂડીવાદને અનુકૂળ અને તેને સધ્ધર બનાવવા માટે જરૂરી એવું શિક્ષણ આપીને યુવાનોને તૈયાર કરવા એ આ નીતિની વૈચારિક ભૂમિ અને મુખ્ય ઉદ્દેશ છે.
આ શિક્ષણની વિચારધારા ભારતીય પરંપરામાં રોપાયેલી છે. એમાં સ્પષ્ટ કહ્યું છે કે જ્ઞાનનો ભારતનો જે પ્રાચીન વારસો છે, તે આ નીતિની માર્ગદર્શક પ્રેરણા છે. બેશક, ભારતીય પરંપરાનું જ્ઞાન જરૂરી છે, પરંતુ ભારતમાં અનેક પ્રાચીન પરંપરાઓ છે, એ બધાનું શિક્ષણ વિદ્યાર્થીઓને મળવું જોઈએ. આ નીતિ અનેક ઉદાહરણો દ્વારા હિન્દુપરંપરા કેન્દ્રી અભ્યાસ, ખરેખર તો હિન્દુ સર્વોપરિતાવાદી વિચારધારાનો અભ્યાસ સૂચવે છે. દસ્તાવેજમાં ભારતીય પરંપરાના સંદર્ભમાં જે ઉલ્લેખો કરવામાં આવ્યા છે – જેમ કે ‘શાશ્વત ભારતીય જ્ઞાન’(કયું?); ‘જ્ઞાન’, ‘પ્રજ્ઞા’, ‘સત્ય’ને ઉચ્ચતમ માનવીય ધ્યેય ગણવાં; સંસ્કૃતને પ્રાધાન્ય આપવું; પ્રાચીન ભારતીય શિક્ષણપ્રથાના અનેક વિદ્વાનોમાં ચરક, આર્યભટ્ટ, ચાણક્ય, પતંજલિ વગેરેનો સમાવેશ (જેમાં ગૌતમ (બુદ્ધ), જેમણે જાતિવાદી હિન્દુ ધર્મ સામે નવો રેશનાલિસ્ટ ધર્મ સ્થાપ્યો હતો, તેમનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે! ઇસ્લામ સિવાયના ધર્મોને હિન્દુધર્મમાં ભેળવી દેવાનો આ આશય છે.); ભારતનું ‘વિશ્વગુરુ’નું પદ જે ભૂતકાળમાં હતું (?)તેને ફરીથી પ્રસ્થાપિત કરવું (ભારતને આર.એસ.એસ. સિવાય ક્યારે કોઈએ ‘વિશ્વગુરુ’નું પદ આપ્યું છે?) – એ સ્પષ્ટ રીતે બ્રાહ્મણવાદી હિન્દુ પરંપરાનું સૂચન કરે છે. નીતિના ખરડામાં શાળાના અભ્યાસક્રમમાં ‘પંચતંત્ર’ અને ‘હિતોપદેશ’ની કથાઓનો ઉલ્લેખ છે, પરંતુ ‘ઇસપકથાઓ’ અને ‘અરેબિયન નાઇટ્સ’નો ઉલ્લેખ નથી. શાળાઓમાં નૈતિક શિક્ષણ આપવામાં આવશે.નીતિમાં કહ્યું છે કે સંસ્કૃત ભાષાને પ્રાધાન્ય આપવામાં આવશે. પરંતુ તમિળ ભાષા પણ સંસ્કૃત જેટલી જ પ્રાચીન છે, એનો કેમ ઉલ્લેખ નથી? ઉપરાંત, કોઈ પણ નીતિવિષયક દસ્તાવેજ ભારતના બંધારણને અનુસરવા માટે બંધાયેલ છે. આ નીતિમાં ધર્મનિરપેક્ષતાનો ઉલ્લેખ નથી. આ એક ખૂબ ગંભીર ફેરફાર છે. અત્યાર સુધીની જે શિક્ષણ – નીતિઓ હતી, તેમાં ધર્મનિરપેક્ષ અને સ્વતંત્ર વિચારોનો વિકાસ થઈ શકે એવા ઉદાર મતવાદી [secular અને liberal] શિક્ષણ આપવાની વાત હતી. આ શિક્ષણનીતિ શિક્ષણના આ પાયાના સિદ્ધાંતોનો મૃત્યુઘંટ છે. આ નીતિમાં બંધારણીય અને માનવીય મૂલ્યો જેવાં કે સત્ય, અહિંસા, સ્વચ્છતા, વિનય, વડીલોનું સન્માન, ત્યાગ, નિષ્કામકર્મ, શાંતિ, ધૈર્ય, સ્વદેશાભિમાન વગેરે શીખવવાનો ઉલ્લેખ છે (આને બંધારણીય મૂલ્યો કેવી રીતે કહેવાય? આ જ મૂલ્યો વિદ્યાભારતી, જે આર.આર.એસ.ની શિક્ષણની પાંખ છે, તેમાં દર્શાવેલાં છે.), પરંતુ દસ્તાવેજમાં બંધારણીય હક્કોનો ઉલ્લેખ નથી. ધર્મનિરપેક્ષતા કે જે શિક્ષણનો પાયાનો વિચાર હોવો જોઈએ, તેની આ સમગ્ર શિક્ષણનીતિમાં ઉપેક્ષા કરવામાં આવી છે.
આપણે જાણીએ છીએ કે છેલ્લા કેટલાક સમયથી શિક્ષણનું ભગવાકરણ થઈ રહ્યું છે. ભારતના ઇતિહાસ સાથે ચેડાં થઈ રહ્યાં છે. દંતકથાઓ પર આધારિત ઇતિહાસ રજૂ કરવામાં આવે છે. આધુનિક વૈજ્ઞાનિક શોધખોળો પ્રાચીન ભારતમાં અસ્તિત્વમાં હતી, એવા પોકળ દાવાઓ થઈ રહ્યા છે. કોમવાદી કારણોસર અમુક ઐતિહાસિક વ્યક્તિઓ, નહેરુ સુધ્ધાંને અભ્યાસક્રમમાંથી કાઢવાની, તો અમુક વ્યક્તિઓને ઉમેરવાની ચેષ્ટા કરવામાં આવે છે. ધર્મનિરપેક્ષતાની એક નીતિવિષયક દસ્તાવેજમાં અનુપસ્થિતિ અમુક ચોક્કસ વિચારધારાનું સમર્થન કરનારાઓને અભ્યાસક્રમ અને અધ્યાપનમાં છૂટોદોર આપશે. પરિણામે બીજી વિવિધ પરંપરાઓના અભ્યાસની તેમ જ સ્વતંત્ર અને જુદી રીતે વિચારવાની શક્યતાઓ, સમાંતર અને વૈકલ્પિક વિચારધારાઓને વિકસવાની શક્યતાઓ બંધ થઈ જશે. ભારતીય પરંપરાનું મુખ્ય બળ એનું વૈવિધ્ય, એની બહુલતા છે. દરેક પ્રદેશ અને સમૂહોના સદીઓ જૂના, સમૃદ્ધ, પોતાનાં અલગ ઇતિહાસ, સંસ્કૃતિ અને પરંપરા છે એની જગ્યાએ એક બહુમતવાદી, બ્રાહ્મણવાદી હિન્દુપરંપરાનો અભ્યાસ થશે. આ હિન્દુ રાષ્ટ્રની વિચારધારાને અનુમોદન આપતી શિક્ષણનીતિ છે.
આ શિક્ષણનીતિમાં શૈક્ષણિક સંસ્થાઓને સ્વાયત્તતા આપવાની વાત કરવામાં આવી છે. સ્વાયત્તતા ત્રણ પ્રકારની હોય છેઃ શૈક્ષણિક, વહીવટી અને નાણાકીય સ્વાયત્તતા. આજે જે પ્રકારે અભિવ્યક્તિની અને વિભિન્ન પ્રકારની સ્વતંત્રતા છીનવાઈ રહી છે અને યુનિવર્સિટીઓમાં જાહેરચર્ચા અને વિવાદની જગ્યાઓ સંકોરાઈ રહી છે, ત્યારે શૈક્ષણિક સ્વાયત્તતાનો વિચાર એક મજાક જેવો લાગે છે. શિક્ષકો પોતાના અભ્યાસક્રમો રચી શકશે એમ કહેવાયું છે, પરંતુ સખત વહીવટી નિયંત્રણ નીચે એમને કેટલી સ્વતંત્રતા હશે, એ પ્રશ્ન છે. આજે યુનિવર્સિટીમાં કોઈને પ્રવચન માટે બોલાવવા હોય, તો એ.બી.વી.પી. – અખીલ ભારતીય વિદ્યાર્થી પરિષદ, ભા.જ.પ./આર.આર.એસ.ની વિદ્યાર્થી(શાખા)ની સંમતિ વગર આમંત્રી શકાતા નથી. થોડા સમય પહેલાં રામચંદ્ર ગુહાને અમદાવાદ યુનિવર્સિટી ભાષણ આપવા આવતા એ.બી.વી.પી.એ રોક્યા હતા. આજે શૈક્ષણિક સ્વાયત્તતા શક્ય નથી, કારણ કે આજે બહુમતી વિચારધારાનું વર્ચસ્વ છે. નીતિમાં જે સંદર્ભમાં જ્ઞાનની વ્યાખ્યા કરવામાં આવી છે, તેમાં શૈક્ષણિક સ્વાયત્તતા વિશે વાત કરવી તે કેવળ દંભ નથી, પરંતુ અપ્રામાણિકતા અને જુઠ્ઠાણું પણ છે.
વહીવટી સ્વાયત્તતાનો નીતિમાં શું અર્થ કરવામાં આવ્યો છે? દરેક સંસ્થા આત્મનિર્ભર(!) બનશે અને પોતાનો વહીવટ કોઇની દખલગીરી વગર પોતે જ સંભાળશે. એના સંચાલન માટે કૉર્પોરેટ ક્ષેત્રમાં હોય છે એમ એક બોર્ડ ઑફ ગવર્નર્સ હશે, જે સંસ્થાને લગતા બધા જ નિર્ણયો લેશે. વિદ્યાર્થીઓનો પવેશ, એમને શિષ્યવૃત્તિ આપવી, શિક્ષકોની નિમણૂંક કરવી, જો શિક્ષકો જવાબદાર ના હોય, તો એમને પણ સજા કરવી, શિક્ષકોનો પ્રોબેશનનો સમય વધારવો, અનેક શરતોને આધારે એમને સ્થાયી કરવા, એમનો પગાર અને બઢતી પણ સમય કે વરિષ્ઠતાને આધારે નહીં, પરંતુ આ પ્રકારના મૂલ્યાંકન પર નક્કી કરવાં, અભ્યાસક્રમોને મંજૂરી આપવી, આ બધાનું નિયંત્રણ બોર્ડ ઑફ ગવર્નર્સ કરશે. આ પ્રકારની વ્યવસ્થા વિદ્યાર્થીઓ અને શિક્ષકોને સ્વતંત્રતા તો નહીં જ બક્ષે, પરંતુ એથી ઊલટું એમના પર કડક જાપ્તો વધારશે. આવી સ્થિતિમાં શિક્ષક સ્વતંત્ર રીતે વિચાર કરીને, પોતે તૈયાર કરેલો પાઠ્યક્રમ ભણાવી શકે એ બોર્ડ ઑફ ગવર્નર્સની ઇચ્છા કે મંજૂરી વગર શક્ય નથી. ઉપરાંત, આ વ્યવસ્થામાં વિદ્યાર્થીઓ અને શિક્ષકો વહીવટમાં કોઈ પણ પ્રકારે સહભાગી થઈ શકશે નહીં. આજે જાહેર યુનિવર્સિટીઓમાં પ્રગતિશીલ કહી શકાય તેવાં બંધારણ છે; એકૅડેમિક કાઉન્સિલ, ઍક્ઝિક્યુટિવ કાઉન્સિલ, શિક્ષણની જુદી-જુદી સમિતિઓ છે, જેમાં શિક્ષકો અને વિદ્યાર્થીઓનું પ્રતિનિધિત્વ છે, જેમાં એ પોતાના વિચારો રજૂ કરે છે અને બદલાવ પણ લાવી શકે છે. દિલ્હી યુનિવર્સિટીમાં મેં જોયું છે કે શિક્ષકો, વિદ્યાર્થીઓ અને કર્મચારીઓ સંઘર્ષ કરીને ઘણા ફેરફારો લાવી શક્યા છે અને અમુક ફેરફારો થતાં રોકી પણ શક્યા છે. શિક્ષકોની અને વિદ્યાર્થીઓની સંસ્થા ચલાવવા માટેની આ પ્રકારની ભાગીદારી આ નવી વ્યવસ્થામાં બિલકુલ ખતમ થઈ જશે. ઉપરાંત આમાં સામાન્ય શિક્ષક અને ‘નેતૃત્વ’ના ગુણ ધરાવતા શિક્ષક – જે સંસ્થાને શ્રેષ્ઠતા મેળવવામાં સહાય કરશે – વચ્ચે તફાવત/ભેદભાવ કરવામાં આવ્યો છે! બોર્ડ ઑફ ગવર્નર્સ એમની પસંદગી કરશે. ટૂંકમાં આ વહીવટમાં કોઈ પ્રકારની લોકતાંત્રિક પ્રક્રિયાને સ્થાન નહીં હોય. સંચાલકો સાથે-સાથે ચર્ચા અને વિરોધ કરવાની સ્વતંત્રતા હવે શિક્ષકો પાસે રહેશે નહીં. શિક્ષકસંઘ અને વિદ્યાર્થીસંઘની તો સંભાવના જ નહીં રહે.
ત્રીજી સ્વાયત્તતા એ નાણાકીય સ્વાયત્તતા છે. ઉચ્ચશિક્ષણની સંસ્થાઓ જાહેર/પરોપકારી સંસ્થા કે વ્યક્તિની ભાગીદારી[PPP]થી ચાલશે. આને કારણે તેમાં પૂંજીપતિઓનો પ્રવેશ થશે અને આ રીતે શિક્ષણનું ખાનગીકરણ થશે. છેવટે પૂંજીપતિઓ આ સંસ્થાઓના માલિક બનશે. ઉપરાંત સરકાર તરફથી અનુદાન નહીં, પરંતુ લોન મળશે (જે વ્યવસ્થા શરૂ થઈ ચૂકી છે), જે સંસ્થાએ ચૂકવવાની રહેશે. જેને પરિણામે મોટા પ્રમાણમાં ફીવધારો થશે અને તેથી વંચિત સમૂહોનાં મોટા ભાગનાં બાળકો શિક્ષણનો લાભ નહીં લઈ શકે. આજે દેશની સૌથી ઉત્તમ યુનિવર્સિટીઓ જેવી કે જે.એન.યુ., દિલ્હી યુનિવર્સિટી, હૈદ્રાબાદ યુનિવર્સિટી જાહેર/રાજ્ય અનુદાનથી ચાલતી [public/state funded] ગુણવત્તાવાળી યુનિવર્સિટીઓ છે, જેમાં સામાન્ય આવકવાળા કુટુંબના વિદ્યાર્થીઓ ભણી શકે છે. આ વર્ગના વિદ્યાર્થીઓ માટે આ નવી વ્યવસ્થામાં પ્રવેશ મુશ્કેલ બનશે. દલિત બહુજન, શ્રમિકોનાં બાળકો માટે ઉચ્ચશિક્ષણનાં બારણાં લગભગ બંધ થશે. ઉપરાંત લાખો રૂપિયા ખર્ચીને સંતાનને ભણાવનારાં માબાપો કયા વિષયો એમનાં સંતાનો ભણે એમ ઇચ્છશે ? સ્વાભાવિક રીતે કમ્પ્યૂટર, આઇ.ટી. વગેરે ક્ષેત્રોમાં જેમાં કારકિર્દીની શક્યતાઓ રહેલી છે. સાહિત્ય, ઇતિહાસ જેવા માનવવિદ્યા અને સમાજવિદ્યાઓના વિષયોનું મહત્ત્વ ઘટતું જશે. મૂડીવાદી શિક્ષણપ્રથાને આ વિષયોમાં રસ નથી, કેમ કે ‘નફો’ નથી અને મૂડીવાદી વિચારધારામાં આ વિષયોનું મહત્ત્વ નથી, કેમ કે આ વિષયોનો અભ્યાસ વિદ્યાર્થીને પોતાની પરિસ્થિતિ સમજવાનું, એને બદલવાનું, મૂડીવાદને પડકારવાનું જ્ઞાન આપે છે. જે મૂડીવાદ અને સામ્રાજ્યવાદનું આ શિક્ષણપ્રથાને સમર્થન છે, એનો વિરોધ કરવાની આ શિક્ષણમાં શક્યતાઓ નહીં રહે. મૂડીવાદનો મુખ્ય એજન્ડા સમાજના એક નાના (૨૦થી ૩૦ ટકા) મધ્યમ-ઉચ્ચવર્ગના યુવાનોને વૈશ્વિક બજાર માટે તૈયાર કરવા એ છે. મૂડીવાદના અવરોધરૂપ શિક્ષણનું એમાં સ્થાન નથી. વંચિત સમૂહોના અને જાતિના તેમ જ સ્ત્રી-વિદ્યાર્થીઓને આ શિક્ષણમાંથી બાકાત રાખવાની આ એક સભાન વ્યવસ્થા છે, એમ કહી શકાય. આ નીતિમાં કહ્યું છે કે સામાજિક ન્યાય અને સમાનતા એનું ધ્યેય છે, પરંતુ જે વ્યવસ્થામાં સમાજના મોટા સમૂહોના યુવાનો શિક્ષણના લાભોથી વંચિત રહેશે અને સામાજિક પરિસ્થિતિ સમજવા અને બદલવા માટે પ્રસ્તુત શિક્ષણ નહીં મળે, તેમાં આ કેવી રીતે શક્ય બને? જે શિક્ષણપ્રથામાં સમજવ્યવસ્થા બદલાવાના અને સામાજિક ન્યાય માટે જરૂરી અભ્યાસને પૂરતો અવકાશ નથી, એનું ભવિષ્ય ખરે જ અંધકારમય છે.
આ નીતિમાં શિક્ષણનું અનેક રીતે કેન્દ્રીકરણ કરવામાં આવ્યું છે. કેન્દ્ર સરકારે રાજ્ય સરકારોની સલાહ કે સંમતિ વગર એકપક્ષી નિર્ણયો આ નીતિ અંગે લીધા છે, જે ભારતના ફેડરલ માળખાની વિરુદ્ધ અને તેથી ગેરબંધારણીય છે. શિક્ષણવ્યવસ્થાને સંપૂર્ણ રીતે કેન્દ્ર સરકારના અંકુશ નીચે લાવવામાં આવી છે. આ માટે અનેક રાષ્ટ્રીય સંસ્થાઓ રચવામાં આવી છે. અગાઉ જણાવ્યા મુજબ ઉચ્ચશિક્ષણમાં પ્રવેશ માટે રાષ્ટ્રીય સ્તરે સામાન્ય પરીક્ષા લેવામાં આવશે. એ માટે રાષ્ટ્રીય પરીક્ષક એજન્સી [National Testing Agency] રચવામાં આવશે. દરેક સંસ્થામાં બોર્ડ ઑફ ગવર્નર્સની નિમણૂક સંસ્થાના સંચાલનનું કેન્દ્રીકરણ કરશે. આ ઉપરાંત, રાષ્ટ્રીય સંશોધન સંસ્થાન[National ResearchFoundation]ની સ્થાપના કરવામાં આવશે. આ સંસ્થાન દરેક વિષયમાં સ્પર્ધાત્મક રીતે ભંડોળ આપશે. જાહેર તેમ જ ખાનગી સંસ્થાઓ વચ્ચે એક સ્પર્ધાત્મક વાતાવરણ ઊભું કરવામાં આવશે જેમાંથી છેવટે સંશોધકોની પસંદગી કરવામાં આવશે. આ સંસ્થાન સરકારી એજન્સી અને પરોપકારી/ખાનગી સંસ્થાઓ સાથે સતત સંપર્કમાં રહેશે. સરકાર તેમજ ઉદ્યોગો વચ્ચે તે સેતુરૂપ કામ કરશે, જેથી સંશોધકોને રાષ્ટ્ર માટે સંશોધનના કયા વિષયો અગત્યના છે, એની જાણ થાય. બીજા શબ્દોમાં સંશોધન સરકાર અને પૂંજીપતિઓ જે ઇચ્છે એ વિષયોમાં અને એમના લાભાર્થે કરવામાં આવશે. ગુજરાતમાં આ પ્રથા શરૂ થઈ ચૂકી છે કે સરકાર વિષયો મોકલે તેમાંથી પસંદ કરીને સંશોધન થઈ શકે. આમાં બીજા, વૈકલ્પિક પ્રકારના સંશોધનને અવકાશ નહીં રહે. જેમ કે કોઈ સંશોધકને કોઈ પ્રદેશના આદિવાસી પ્રજાના પ્રશ્નો પર કે અમુક પ્રદેશમાં સ્ત્રીઓની પરિસ્થિતિ પર કે લોકસાહિત્ય પર સંશોધન કરવું હોય, તો આવા વિષયો માટેની શક્યતાઓ નહીંવત્ હશે. આ પણ મૂડીવાદી વિચારધારાનો એજન્ડા છે કે દેશની સામાજિક પરિસ્થિતિ, આર્થિક વ્યવસ્થા, સાંસ્કૃતિક વૈવિધ્ય વગેરે વિશે ઊંડાં અભ્યાસ અને સંશોધન દ્વારા પ્રશ્નો કરવાનું, એમને સમજવાનું અને વૈકલ્પિક વ્યવસ્થાઓ સૂચવવાનું, ટૂંકમાં વૈકલ્પિક જ્ઞાન અને સમાજ પેદા કરવાનું મુશ્કેલ અને અશક્ય બને, જેથી યથાવત્ પરિસ્થિતિ બની રહે અને એનું વર્ચસ્વ જળવાઈ રહે.
આ ઉપરાંત, ભારતીય ઉચ્ચશિક્ષણ સંસ્થાન[Higher Education Commission of India]ની રચના કરવામાં આવશે. આ એક ઉપરી સંસ્થાન છે કે જે દેશની સમગ્ર શિક્ષણવ્યવસ્થા પર ધ્યાન રાખશે. એની ચાર મુખ્ય ફરજો હશે જે ચાર ઉપસંસ્થાનો દ્વારા એ નિભાવશે. પહેલું, એ સંસ્થાઓને ભંડોળનું વિતરણ કરશે. બીજું, તે સંસ્થાઓને ગુણવત્તાને ધોરણે માન્યતા [accreditation] આપશે. ત્રીજું, તે વખતોવખત અભ્યાસને અને શિક્ષણને લગતા નિયમો નક્કી કરશે અને ચોથું, તે સમગ્ર શિક્ષણવ્યવસ્થા પર નિયંત્રણ રાખશે. આ આખી પ્રક્રિયા ‘ફેસલેસ’ [faceless] હશે, એટલે કે ટેક્નોલૉજીની મદદથી, ઑનલાઇન માહિતી મેળવીને નિર્ણયો લેવાશે, સંસ્થા સાથે સીધો વ્યક્તિગત સંપર્ક કરીને નહીં. ‘ફેસલેસ’ શબ્દ એ કદાચ આ નીતિના સ્વરૂપને આબેહૂબ રીતે રજૂ કરે છે. શિક્ષણનાં અધ્યાપન અને વ્યવસ્થામાંથી ધીમે-ધીમે ‘કાર્યક્ષમતા’ને નામે માણસો નીકળતા જશે. એક સામૂહિક, સહભાગી અને જીવંત અનુભવ ટેક્નોલૉજીને સમર્પિત થશે અને અમાનવીય બનશે. ઉપરાંત, ખાસ તો શિક્ષણનું કેન્દ્રીકરણ થશે. એકમાત્ર રાષ્ટ્રીય સંસ્થાન દેશની સમગ્ર શિક્ષણવ્યવસ્થાનું નિયંત્રણ કરશે. શિક્ષણનું આ રીતે સંપૂર્ણ કેન્દ્રીકરણ અને એકરૂપીકરણ થશે. નીતિના ખરડામાં રાષ્ટ્રીય શિક્ષણસંસ્થાન[National Education Foundation]નો ઉલ્લેખ હતો, જેનું પ્રમુખપદ પ્રધાનમંત્રી સંભાળશે અને જેમાં અનેક મંત્રાલયોના મંત્રીઓ સભ્ય હશે અને જે રાષ્ટ્રીય શિક્ષણ વિશે દૃષ્ટિ અને દિશાસૂચન કરશે. આ દસ્તાવેજમાં એનો ઉલ્લેખ નથી પરંતુ કેન્દ્રીય સરકાર અનેક રાષ્ટ્રીય સંસ્થાનો દ્વારા અને એના સભ્યોની નિમણૂક દ્વારા સર્વોપરી સંચાલન કરશે, એ સ્પષ્ટ છે. આ આખી વ્યવસ્થામાં શિક્ષણ સાથે જેનો સીધો સંબંધ છે, તેવા શિક્ષકો, વિદ્યાર્થીઓ કે વાલીઓની કોઈ સ્તરે ભાગીદારી નહીં હોય. એમાં સ્ત્રીઓનું, દલિતોનું, આદિવાસીઓનું કે લઘુમતીઓના સભ્યોનું કોઈ પ્રતિનિધિત્વ નહીં હોય. શિક્ષણની દિશા અને દૃષ્ટિ નક્કી કરનાર તંત્રમાંથી શિક્ષણના લાભાર્થીઓને બાકાત રાખવામાં આવ્યા છે. સરકારી તંત્ર જે નક્કી કરશે, એ પ્રકારનું શિક્ષણ મળશે. નીતિના આમુખમાં કહ્યું છે તેમ આ નીતિ ‘હળવી પરંતુ સખત’ [light but tight] હશે. એક ખૂબ જ સખત, કેન્દ્રીય નિયમનતંત્ર ગોઠવવામાં આવ્યું છે, જેમાં બીજા વૈકલ્પિક શૈક્ષણિક અભિગમો અને શિક્ષણ અંગેના ખ્યાલો કે વિચાધારાને રજૂ કરવાની કે વિકસવાની શક્યતા નહીં રહે.
નવી શિક્ષણનીતિ-૨૦૨૦માં શિક્ષણનું વ્યાપારીકરણ, સાંપ્રદાયિકીકરણ અને કેન્દ્રીકરણ કરવામાં આવ્યું છે. આ લોકવિરોધી, મૂડીવાદી શિક્ષણવ્યવસ્થા છે, જેમાં સમાજના વંચિત સમૂહોના યુવાનો માટે ઉચ્ચ શિક્ષણ મેળવવું લગભગ અશક્ય બનશે અને જેમાં સ્વતંત્ર વિચારોને વિકસવાનો અવકાશ નહીં રહે. બલકે એક પ્રકારની ગુલામીની માનસિકતા કેળવવાની આ શિક્ષણપદ્ધતિ છે. મૂડીવાદની ગુલામીની માનસિકતા, ઉચ્ચ વર્ગના યુવાનો વૈશ્વિક બજારમાં કૌશલ ધરાવતા મજૂરો [skilled labourers] તરીકે મૂડીવાદને પોષશે. જ્યારે વંચિત વર્ગના યુવાનો કૌશલ વગરના સસ્તા મજૂરો [unskilled labourers] મૂડીવાદને પૂરા પાડશે. વિદ્યાર્થીઓને એક નાગરિક તરીકે તૈયાર કરવાની, પોતાની પરિસ્થિતિ, સમાજના પ્રશ્નો સમજવાની અને એક નવા, વધુ સારા, સમાનતા પર રચાયેલા સમાજ/દેશનું નિર્માણ કરવા માટે જરૂરી શિક્ષણસજ્જતા મળશે નહીં. એટલું જ નહીં, આ શિક્ષણવ્યવસ્થાથી જાતિવાદ અને વર્ગભેદ દૂર થવાને બદલે વધુ તીવ્ર બનશે. ડૉક્ટર બાબા-સાહેબ આંબેડકરે કહ્યું છે, ‘ શિક્ષિત બનો, સંગઠિત થાઓ, સંઘર્ષ કરો [educate, organize, agitate]. સમાજમાં સમાનતા લાવવા માટે શિક્ષણ એ પાયાનું મુખ્ય સાધન છે. શિક્ષણ એ છેવટે મુક્તિ માટેનું સાધન છે, શોષણ અને અન્યાયથી મુક્તિ માટેનું. એ દરેકને સમાન રીતે જીવવાની સ્વતંત્રતા આપે છે, પરંતુ મૂડીવાદ જે સામાન્ય લોકોના શોષણ પર ટકેલો છે, તેની વિચારધારા પર રચાયેલી શિક્ષણનીતિ ગુલામીની માનસિકતાને પોષે છે અને જાતિવ્યવસ્થા, વર્ગભેદ અને પિતૃસત્તાના વર્ચસ્વને વધુ મજબૂત બનાવે છે. નવી શિક્ષણનીતિનું શિક્ષણ વિશેનું દર્શન દેશના ભવિષ્યનું ચિંતાજનક ચિત્ર રજૂ કરે છે.
[‘શિક્ષણોદય’ ગ્રૂપમાં નવી શિક્ષણ નીતિ-૨૦૨૦ વિશે આપેલું વક્તવ્ય. તન્મય તિમિરે એની લેખિત પ્રત કરવાની તૈયારી બતાવી અને ભાવિક રાજાએ લેખિત પ્રત તૈયાર કરીને મોકલી જેથી આ લેખ શક્ય બન્યો છે. બંને મિત્રોની ખૂબ આભારી છું.]
સૌજન્ય : “નિરીક્ષક”, 01 ઑક્ટોબર 2020; પૃ. 07-09