ઉદયન ઠક્કરે ‘નિરીક્ષક’માં [તેમ જ “ઓપિનિયન” વેબસાઇટે] મરાઠી કવિ મંગેશ પાડગાંવકરની કવિતા ‘સલામ’ વિશે વાત કરી અને સાથે કવિતા પણ પ્રકાશિત થઈ. તો મિત્રો-મિત્રો વચ્ચે ગમતા વિષયની વાતચીતની જેમ બે વાત ઉમેરવાનું મન થયું.
ડિસેમ્બર ૨૦૧૫માં કવિના અવસાન પછી સલિલ ત્રિપાઠીએ અંગ્રેજી અખબાર ‘મિન્ટ’માં શ્રદ્ધાંજલિ આપેલી. એ લેખમાં પણ ‘સલામ’ને અડધોઅડધ જગ્યા આપેલી, અંગ્રેજી અનુવાદ સાથે. સલિલ ત્રિપાઠીએ ’૭૦ના દાયકામાં કટોકટીકાળનો સંદર્ભ આપીને કહ્યું કે એ સમયે પ્રજાના બહોળા વર્ગમાં જાતબચાવની વૃત્તિ સાથે જે નાલેશીભર્યું ‘વર્તન જોવા મળેલું, તે પાડગાંવકરે આ કવિતામાં ઝીલ્યું છે. તેમને કવિ સાથે અંગત પરિચય પણ હતો. ઇન્ટરનેટ પર લેખ ઉપલબ્ધ છે અને વાંચવા જેવો છે.’ (સલિલભાઈને એમની સોજુ ગુજરાતીમાં પણ તે સુલભ કરવાની વિનંતી કરી છે – તંત્રી)
ત્રિપાઠીએ યાદ કર્યું કે તેમને પાડગાંવકરનો પ્રથમ પરિચય ’૭૦ના દશકામાં મુંબઈ જ્યારે બૉમ્બે કહેવાતું – કવિસંમેલનમાં થયેલો, જ્યાં શ્રોતાઓમાં મુખ્યત્વે ગુજરાતીઓ હતા. સુરેશ દલાલે ‘કવિતા’ સામયિક દ્વારા પાડગાંવકર, વિંદા કરંદીકર, વસંત બાપઈ વગેરે મરાઠી કવિતાઓનો ગુજરાતી વાચકોને પરિચય કરાવેલો, માટે ’૮૦ના દાયકામાં ‘સલામ’ વાંચવાનું બન્યું. તે પણ એક રીતે સુરેશ દલાલ મારફતે જ – તેમના સંપાદનમાં આ કવિઓની એક પુસ્તકશ્રેણી તૈયાર થઈ હતી. તેમાંથી (અનુવાદ કદાચ જયા મહેતાના અને પ્રકાશન કદાચ એસ.એન.ડી.ટી. યુનિવર્સિટી કે ઇમેજનું. કપાસીસાહેબની શ્રી વિદ્યાનગર હાઈસ્કૂલના વાર્ષિક ઉત્સવમાં કાવ્ય- પઠનની સ્પર્ધાનું વિશેષ માહાત્મ્ય. ૧૯૮૫માં પહેલું ઇનામ (હવે ફિલ્મોથી જાણીતા) અભિજાત જોષીને, ‘સલામ’ માટે. ૧૯૮૭માં લાભશંકર ઠાકરની કવિતા ‘કૂવો’ના પઠન માટ વિસ્મય ઠાકરને. એ બેની વચ્ચે ૧૯૮૬માં પાડગાંવકરની બીજી કવિતા ‘કૉમરેડ’ માટે. મને પડગાંવકર વાંચવાનું સૂચન કરેલું અભિજાતે. સાઈકલસવારી કરતાં કરતાં અભિજાત ‘સલામ’ ધારાપ્રવાહમાં સંભળાવી શકતો. જો કે સાઇકલસવારીમાં કંઠસ્થ પઠનમાં એ સમયે એની ખાસ ફરમાઇશની ચીજ હતી ધર્મવીર ભારતીનું નાટક ‘અંધાયુગ.’
એ દિવસોમાં તો એવો લહાવો નહોતો, પણ આજે પડગાંવકરના પઠનમાં ‘સલામ’ સાંભળી શકાય એમ છે, યુ-ટ્યૂબ પર.
નવી દિલ્હી
E-mail : ashishm@governancenow.com
સૌજન્ય : “નિરીક્ષક”, 01 અૅપ્રિલ 2018; પૃ. 15