લોકશાહી સમાજપરિવર્તનનું સાધન અને સાધ્ય છે. લોકશાહી પ્રક્રિયા દ્વારા અસમાનતા કેન્દ્રિત સાંસ્કૃતિક મૂલ્યો, વ્યવહાર, અને કોટિક્રમ જન્મ આધારિત સામાજિક વ્યવસ્થા ક્ષીણ થાય. કાળક્રમે સમાનતા, સ્વતંત્રતા કેન્દ્રિત અને વૈશ્વિક દૃષ્ટિ આધારિત સમાજવ્યવસ્થાની રચના થાય. આ મિશનને હાંસલ કરવાની જવાબદારી બંધારણે રાજ્યને સોંપી છે. આ માટે રાજ્ય જરૂરી આયોજન, નીતિ અને તેનો અમલ કરે તે અપેક્ષિત છે. પણ સાઠના દાયકાથી સમાનતા કેન્દ્રિત સમાજ રચનાના લક્ષ્યને રાજ્યે તિલાંજલિ આપી છે. બધા જ પક્ષો કોઈ પણ હિસાબે સત્તા મેળવવા તડજોડ કરે છે. તેઓ નિયો-લિબરલ મૂડીવાદી આર્થિક નીતિને અનુસરે છે. આ નીતિમાં સમાનતાના ધ્યેયને સ્થાન નથી. વિચિત્રતા તો એ છે કે આ પક્ષો અને તેમના નિષ્ણાતો માને છે કે આ મૂડીવાદી વ્યવસ્થા સિવાય સમાજના વિકાસ માટે બીજો કોઈ વિકલ્પ નથી. આ પંથ ભારતના ભાગ્યમાં લખાયેલો છે. આ વિચારસરણી ઉપરાંત ૨૦૧૪થી નરેન્દ્ર મોદીની ભા.જ.પ. સરકાર સાંસ્કૃતિક રાષ્ટ્રીયતા એટલે કે હિંદુ રાષ્ટ્રના સિદ્ધાંતને વરેલી છે જેમાં ભારતના લોકોના રોજ-બ-રોજનાં જીવનમાં જે વિવિધ ધાર્મિક અને દુન્યવી સાંસ્કૃતિક ભિન્નતા પરંપરાગત રીતે વણાયેલી છે તેનો છેદ ઉડાડવામાં આવે છે.
આ પરિસ્થિતિમાં નાગરિક સમાજ(સિવિલ સોસાયટી)ની ભૂમિકા મહત્ત્વની છે. નાગરિક સમાજ એટલે રાજ્ય અને સમાજ વચ્ચેની કાલ્પનિક જગ્યા (સ્પેસ). તે રાજ્યનું અંગ નથી અને સમાજના નિજી/આર્થિક કે સામાજિક સમુદાય કે સંપ્રદાય આધારિત સંસ્થા નથી. સૈદ્ધાન્તિક રીતે રાજ્ય અને નાગરિક સમાજ સૌનું વ્યાપક હિત જુએ છે. નાગરિક સમાજનું કાર્ય સમાનતા, બિનસાંપ્રદાયિકતા અને વૈશ્વિક મૂલ્યો કેળવાય તે પ્રકારની નૈતિકતા, સંસ્થાઓ અને કાર્યક્રમો માટે રાજ્ય નીતિ ઘડે, તેમ જ તે રીતે શાસન ચાલે તે માટે રાજ્ય પર દબાણ લાવવાનું અને જરૂર પડે તો રાજ્ય સામે સંઘર્ષ કરવાનું, તેમ જ સાથે સાથે આ મૂલ્યોને સાકાર કરવા જનમત કેળવવાનું છે. જ્યારે જયારે બંધારણનાં મૂલ્યોનો હ્રાસ થાય ત્યારે ત્યારે નાગરિક સમાજ અવાજ ઉઠાવે, જનમત તૈયાર કરે અને સંઘર્ષ કરે. જાહેર સંભાષણ (ડિસ્કોર્સ), વિચાર-વિમર્શ, બૌદ્ધિકો, બિનસાંપ્રદાયિક અને બિનસરકારી સંસ્થાઓ અને સામાજિક આંદોલનો નાગરિક સમાજનાં અંગો છે.
આ સૈદ્ધાંતિક પરિપ્રેક્ષ્યમાં નાગરિક સમાજ વાસ્તવિક રીતે ભારત અને ગુજરાતમાં કેવી રીતે કામ કરે છે તે સમજવાનો મારો પ્રયત્ન પુસ્તક (Democracy, Civil society and Governance, 2019)માં છે. નાગરિક સમાજ બધે જ અને દરેક સમયે એક જ પ્રકારનો હોતો નથી. સમાજનાં સામાજિક વિભાજનો નાગરિક સમાજમાં જોવા મળે તે સ્વાભાવિક છે. વળી, નાગરિક સમાજના બધા જ એકમોમાં એક જ પ્રકારની દૃષ્ટિ, વિચારસરણી અને વાસ્તવિકતાને જોવાનો અભિગમ ન હોય તે સ્વાભાવિક છે. બધાની કામ કરવાની રીત અને પ્રશ્નોની પ્રાથમિકતા અલગ હોય છે. વળી જુદા જુદા સમયે નાગરિક સમાજનો ફલક અને વ્યાપ બદલાતાં રહે છે. સરળતા ખાતર અને મારા સમાજ પરિવર્તનના ખ્યાલના સંદર્ભમાં નાગરિક સમાજને હું બે ભાગમાં વહેંચું છું. એક હેગેમોનિક નાગરિક સમાજ (હવે પછી સરળતા ખાતર ‘હેનાસ’ કહીશું) જે વૈચારિક અને સાંસ્કૃતિક મૂલ્યો દ્વારા પ્રભુત્વ ધરાવે છે અને બીજો, ગરીબ તરફી-પ્રમાણમાં ઉદ્દામવાદી નાગરિક સમાજ (હવે પછી ‘ઉનાસ’ કહીશું). વ્યાપમાં ‘હેનાસ' મોટો છે અને તેને મુખ્ય ધારાનો કહી શકાય. આજે ‘ઉનાસ’ નાનો અને નાગરિક સમાજના હાંસિયામાં છે. ‘હેનાસ’ પ્રવર્તમાન સમાજ વ્યવસ્થાનાં નૈતિક-સાંસ્કૃતિક મૂલ્યોનું સંવર્ધન કરે છે અને નિયો-લિબરલ રાજકીય-આર્થિક નીતિને અનુમોદન આપે છે. આ મૂલ્યો સમાજમાં સ્વીકૃતિ પામે તે માટે પ્રયત્ન કરે છે. તે પ્રર્વતમાન રાજ્ય અને વર્ચસ્વ ધરાવતા વર્ગોની વિચારસરણી અને મૂલ્યોના પ્રચાર -પ્રસાર, સંવર્ધનના તંત્ર તરીકે કામ કરે છે. ‘ઉનાસ’ નિયો લિબરલ-મૂડીવાદી વિચારસરણી અને જ્ઞાતિ, લિંગ, ધર્મ, પ્રદેશ કેન્દ્રિત વિભાજિત કરતાં મૂલ્યોને પડકારી સમાનતા, બંધુત્વ અને સ્વતંત્રતાનાં મૂલ્યોને વરેલ છે. તે માટે તે રાજ્ય અને વર્ચસ્વ ધરાવતા વર્ગોને અવારનવાર પડકારે છે. જરૂર પડે તેમની સામે સંઘર્ષ કરે છે. વંચિતોના પડખે ઊભો રહે છે. નાગરિક સમાજના બંને એકમો તદ્દન સ્પષ્ટ રીતે વૉટર-ટાઈટ ભાગોમાં વહેંચાયેલા નથી. ફ્લુઈડ-પ્રવાહી છે. જુદા જુદા પ્રશ્નો – બાબતે કેટલીક વખત એક મંચ પર કામ પણ કરે છે. વૈચારિક મતભેદો હોવા છતાં તે લોકશાહીમાં શ્રદ્ધા ધરાવે છે, અને જ્યારે લોકશાહી સંસ્થાઓ ભયમાં આવે ત્યારે ‘હેનાસ’ના કેટલાક (ઉદારમતવાદી) અને ‘ઉનાસ’ સાથે મળી કામ કરે છે. બંને વચ્ચે ફરક એ છે કે ‘હેનાસ’ લોકશાહીના ઔપચારિક માળખા માટે વધારે આગ્રહી છે, જ્યારે ‘ઉનાસ’ લોકશાહી માળખાની સાથે તેના મૂળભૂત મૂલ્યો માટે આગ્રહી છે.
ભારતનો આજનો આધુનિક નાગરિક સમાજ બ્રિટિશ શિક્ષણ અને શાસનની દેન છે. આ શિક્ષણની પહેલી પેઢીના ભદ્ર વર્ગે પોતાની સ્વ-અનુભવી વિશ્વ કેન્દ્રિત દૃષ્ટિથી વ્યક્તિ અને સમાજ, વ્યક્તિ અને રાજ્યના સંબંધો, રેશનાલિટી, વિજ્ઞાન, ધર્મ વગેરે અંગે સંભાષણ, વિચાર-વિમર્શ શરૂ કર્યાં, મંડળ સંસ્થાઓ રચ્યાં. પશ્ચિમી શિક્ષણનો પ્રચાર-પ્રસાર કર્યો, સામાજિક સુધારા (રીતરિવાજો) માટે ઝુંબેશ ચલાવી. આ પ્રવૃત્તિઓ મોટે ભાગે શહેરી હતી. આઝાદીની લડત વ્યાપક થતાં ગ્રામીણ વિસ્તારના ખેડૂત જ્ઞાતિના આગેવાનો જોડાયા. તેમ થતાં નાગરિક સમાજનો વ્યાપ વિસ્તર્યો. આઝાદી પછી ઔદ્યોગિકીકરણ અને શિક્ષણના વ્યાપ સાથે નાગરિક સમાજનો ફલક વધ્યો. આ વૃદ્ધિ સમાન સામાજિક સ્તરમાં વધુ થઈ, નીચલા સ્તરની વ્યક્તિઓ જૂજ પ્રમાણમાં જોડાઈ શકી. જે જોડાયા તેનો મોટા ભાગ ‘ઉનાસ’માં. લૈંગિક સમાનતા સંઘર્ષ કરતી થોડીક મહિલા પણ નાગરિક સમાજમાં કામ કરતી જોવા મળે છે; જો કે મોટે ભાગે સવર્ણ.
સમગ્ર રીતે એવું કહી શકાય કે નાગરિક સમાજ, ખાસ કરીને ગુજરાતમાં સવર્ણ (ભદ્ર/ઉપલી જ્ઞાતિ) વર્ગનાં મૂલ્યો અને જીવનશૈલીના પ્રભુત્વનું નવસર્જન કરે છે. અલબત્ત, પ્રભુત્વ ધરાવતાં મૂલ્યો મોનોલિથિક અને એક જ પરિમાણમાં નથી હોતા. આઝાદીની ચળવળ વખતના જ્ઞાતિના કોટિક્રમનાં મૂલ્યોનો પ્રચાર-પ્રસાર હતો તેનું આઝાદી પછી પુનરાવર્તન થયું. આમાં વંચિત શોષિત માટે કરુણા ખરી પણ એમ્પથી (વંચિતની દૃષ્ટિ) અને સહોદરભાવનો અભાવ. તે સાથે આધુનિકતાનાં પરિબળો, મૂડીવાદી અર્થવ્યવસ્થા પ્રેરિત હરીફાઈ, સ્વલાયકાત અને કૌશલ્ય આધારિત સિદ્ધિના ખ્યાલો જે પણ ઉપલા વર્ગની તરફેણ કરે તે બધા પ્રભુત્વ ધરાવતી સંસ્કૃતિ સાથે સંકળાયા. જન્મ આધારિત કોટિક્રમ અને મુક્ત બજાર કેન્દ્રિત મૂલ્યો વચ્ચે અવારનવાર સંઘર્ષ જોવા મળે છે અને નવાં સમીકરણો ઊભાં થાય છે. આપણી બૌદ્ધિક, શૈક્ષણિક વ્યવસ્થા, સાહિત્ય, સંચાર માધ્યમો વગેરે પ્રભાવી મૂલ્યોને પ્રતિપાદિત કરે છે. આધુનિક પરિબળોને કારણે, સ્વાનુભાવો અને આકાંક્ષાઓ દ્વારા સર્જાયેલ જાગૃતિથી વંચિતો અસમાનતાના અનુભવોને પડકારે છે. સ્વમાન અને સમાનતા ઝંખે છે. ‘ઉનાસ’નો મોટો ભાગ (ડાબેરીઓ સહિત) મહદંશે પ્રભાવી મૂલ્યોની માનસિકતામાંથી મુક્ત નથી કારણ કે તેઓ સવર્ણ સ્તરમાંથી આવે છે, આત્મદર્શન(આત્મનિરીક્ષણ)થી પર છે અને ફક્ત આર્થિક માળખાને પ્રાધાન્ય આપે છે. વળી, તેઓ વંચિત સમુદાય-ની સંસ્કૃતિ-નાં પાસાંની અવગણના કરે છે. આમ છતાં જ્યારે રાજ્ય અને વર્ચસ્વ ધરાવતા વર્ગો લોકશાહીનાં મૂલ્યો પર પ્રહાર કરે છે ત્યારે તેઓ અવાજ ઉઠાવે છે અને રાજ્યને પડકારે છે. સંખ્યાબળમાં ‘ઉનાસ’ નાનો છે અને રાજ્ય તેમની પર સતત નિગરાની રાખે છે. અંકુશ રાખવાનો, ડરાવવાનો પ્રયન કરે છે.
આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ અને કોર્પોરેટ હાઉસીસના આર્થિક અનુદાનથી ઘણી સ્વૈચ્છિક સંસ્થાઓ (એન.જી.ઓ.) પોતાને અરાજકીય તરીકે ઓળખાવી, ‘વિકાસ’નાં કામોમાં કુશળ વહીવટ (ગુડ ગવર્નન્સ) માટે કામ કરે છે. તેઓ માને છે કે પ્રોફેશનલ આવડત, વહીવટનું ઉત્તરદાયિત્વ અને પારદર્શકતા અને લાભાર્થીઓની ભાગીદારી ‘વિકાસ’નો રાજમાર્ગ છે, તેઓ જુદા જુદા સ્તરે અને જુદા જુદા કાર્યક્રમો જેવા કે આંતરમાળખાકીય સવલતો, ધિરાણ, શિક્ષણ, આરોગ્ય, સેનિટેશન વગેરેમાં કાર્યરત છે. આ કુશળ વહીવટના માપદંડોનો અમલ જૂજ કેસમાં, જ્યાં ઉપલા મધ્યમ વર્ગના લોકો સહભાગી (લાભાર્થી) હોય છે ત્યાં થાય છે; પણ વંચિત ગરીબ સ્તરના લાભાર્થીઓની ભાગીદારીની વાત ફકત કાગળ પર જોવા મળે છે.
ગરીબોને મદદ કરતા, રાહત આપતા સરકારી અને બિનસરકારી કલ્યાણકારી કાર્યક્રમો ઘણા ‘હેનાસ’ અને ‘ઉનાસ’ના એન.જી.ઓ. કરે છે. આમાંનાં કેટલાક તો નિયો-લિબરલ મૂડીવાદી વ્યવસ્થાના ટીકાકાર છે. તેમનો ઉદ્દેશ ગરીબોની આવક વધારવાનો છે. કેટલાક એન.જી.ઓ. આ કાર્યક્રમોને સશક્તિકરણના કાર્યક્રમો પણ કહે છે. આ કાર્યક્રમો ગરીબોને જીવન ટકાવી રાખવામાં જરૂર મદદ કરે છે. રાહત આપે છે. સાથે સાથે ઘણી વખત ગરીબોમાં એમની ગરીબાઈ માટે, એમની બજાર માટેની જરૂરી આવડતની ઊણપ માટે લઘુતાગ્રંથિનો ભાવ ઊભો કરે છે. આ રીતે ઘણાં સંગઠનો જાણે-અજાણે ગરીબોમાં અરાજકીયતા અને બજારુવૃત્તિનાં મૂલ્યો કેળવે છે. એક દિવસ તેઓ પણ કરોડપતિ થઈ જશે તેવાં સ્વપ્ન દેખાડે છે. મૂડીવાદી સંસ્કૃતિ અને નિયો-લિબરલ આર્થિક વ્યવસ્થાને અંગે સમાજમાં સ્વીકૃતિ (legitimacy) ફેલાવવાનું કાર્ય કરે છે. બીજી બાજુ એ થોડાંક સંગઠનો માનવીય હક્કોના ખ્યાલ સાથે આ કાર્યકમો દ્વારા વંચિતોમાં પોતાના નાગરિક તરીકેના હક્ક માટે, અધિકાર માટે જાગૃતિ ફેલાવવાનો પ્રયત્ન કરે છે. તેઓ સ્થાનિક નેતાગીરી તૈયાર કરે છે જેઓ આત્મવિશ્વાસ સાથે રાજકીય પક્ષો અને અમલદારો સાથે જાતે જ વાતચીત કરે છે. આ ગ્રાસરૂટ કર્મશીલો સ્થાનિક લોકોને તેમના પ્રશ્નોના ઉકેલ માટે સંઘર્ષ કરવા માટે પ્રોત્સાહિત કરે છે. આવા સંઘર્ષથી કોઈક જગ્યાએ પાયાની સુવિધાઓ સ્વમાનભેર પ્રાપ્ત થતી જોવા મળે છે તેમ જ આવી લડતો ગરીબોમાં આત્મવિશ્વાસ પણ કેળવે છે. છતાં ય એમ કહેવું રહ્યું કે શોષણ આધારિત રાજકીય આર્થિક વ્યવસ્થા અંગેના સવાલો ખૂબ જ ઓછા કર્મશીલો ઊભા કરે છે.
કુદરતી સંસાધનોના રક્ષણ માટે, જમીનમાલિકના અધિકાર માટે, વેતન વધારવા માટે, અન્યાય અને અત્યાચાર વિરુદ્ધ વંચિતોના ઘણાં ગ્રાસરૂટ ક્ષેત્રે આંદોલનો થાય છે. ઉનાસ આવા આંદોલનોને ટેકો આપે છે. આવાં આંદોલનોની કેટલીક વખત સંચાર માધ્યમો અને સત્તાધારીઓ નોંધ લે છે. ઉકેલ લાવવાનો પ્રયત્ન કરે છે. આવાં આંદોલનોથી થોડાઘણા ફાયદા જરૂર દેખાય છે. પણ જો સંઘર્ષ સતત ન ચાલે તો આની અસર માર્યાદિત ક્ષેત્રે અને ટૂંકા સમય માટે રહે છે. આ આંદોલનો કોઈક વખત શોષણ આધારિત માળખાને બદલાવવાની આશા જન્માવે છે. પણ આ આંદોલનો એકબીજાથી અલિપ્ત અને મુદ્દા/પ્રશ્ન આધારિત હોય છે. તેમાં મોટે ભાગે રાજકીય આર્થિક સામાજિક વ્યવસ્થા અંગે દૃષ્ટિકોણ હોતો નથી. પ્રસ્થાપિત વ્યવસ્થા અંગે સવાલો પણ ભાગ્યે જ જોવા મળે છે. એટલે આ આંદોલનો લાંબાગાળા સુધી ટકી શકતા નથી.
જાહેર પ્રશ્નોને બારીકાઇથી લાંબાગાળાની દૃષ્ટિએ જોવાની, છણાવટ અને તર્કબદ્ધ પૃથક્કરણ કરવાની શક્તિ ઉનાસમાં હેનાસ કરતાં વધારે છે. રાજ્ય અને વર્ચસ્વ ધરાવતા વર્ગ દ્વારા જાહેર નીતિમત્તાના ઉલ્લંઘન, ગરીબોને અન્યાય, વ્યક્તિ સ્વતંત્રતા પર થતા પ્રહાર વગેરે મુદ્દા પર ઉનાસ અવારનવાર અવાજ ઉઠાવે છે. નાનામોટા સંઘર્ષ કરે છે. આને કારણે તેઓ જાહેર જીવનમાં છવાયેલા રહે છે. રાજ્ય તેમને વારંવાર અવગણી નથી શકતું. પણ મોટાપાયે લોકોને એકત્ર કરવાની ક્ષમતા આ સંગઠનોમાં મર્યાદિત છે. આવાં સંગઠનોની સંખ્યા આંગળીને વેઢે ગણાય તેટલી છે, તેમનાં સાધનો ખૂબ જ મર્યાદિત છે, પણ નિયોલિબરલ અર્થવ્યવસ્થાના વિરોધાભાસો અને લોકોમાં વધતાં જતાં અજંપાને કારણે આ સંગઠનોનો પરિઘ વ્યાપક થાય છે.
સમાજમાં સત્તાની વહેંચણી, રાજ્ય અને રાજકીય વર્ગોનું લક્ષણ, રાજકીય આર્થિક વ્યવસ્થા, ઉપરાંત ભારતની પરંપરાગત સંસ્કૃતિ અને સમાજ પરિવર્તનના ખ્યાલ અંગે ‘ઉનાસ’નાં સંગઠનો અને કર્મશીલોમાં એક મત નથી. આમ છતાં, આજે ક્ષીણ થતી લોકશાહી સ્પેસમાં શોષણ, વંચિતતા, નાગરિક અધિકારોના ઉલ્લંઘન વગેરે મુદ્દા પર તેઓ સાથે કામ કરે છે. બદલાતા સામાજિક પ્રવાહોને સમજવામાં પોતાની વૈચારિક ભૂમિકાની મર્યાદાઓ આ કર્મશીલો ધીમે ધીમે અનુભવી રહ્યા છે. પણ એ સાથે પોતાના મર્યાદિત માનવસંખ્યાબળમાં ઘણી બધી પ્રવૃત્તિઓમાં વ્યસ્તતાને કારણે, અથવા પોતાના વૈચારિક માળખા અંગે ફરી વિચાર કરવા માટે અરુચિને કારણે મોટા ભાગના કર્મશીલો પોતાના અનુભવો અને આત્મદર્શન કરી નવી રીતે વિચારવા માટે તૈયાર નથી અથવા તેમની પાસે ધીરજ નથી. આજે વધતાં જતાં કોમવાદી સંકુચિત પરિબળો, વધતી જતી અસમાનતા અને અસલામતી અને સરમુખત્યારી શાસનથી ઊભા થતાં પડકારો સામે લાંબાગાળાની દૃષ્ટિ અને આત્મખોજ જરૂરી છે.
***
હિન્દુત્વ વિચારધારાના મુત્સદ્દીઓએ ૧૯૬૦થી ગુજરાતના તત્કાલીન નાગરિક સમાજમાં પગપેસારાની શરૂઆત કરી. સિત્તેર અને એંશીના દાયકામાં નાગરિક સમાજ પર તે છવાઈ ગયા. અને છેલ્લા બે દાયકામાં ‘હેનાસ’ અને હિન્દુત્વ રાજકર્તા વચ્ચેની ભેદરેખા ખૂબ જ ક્ષીણ થઇ ગઈ છે. આ દરમિયાન રાજ્યે ઘણા એવા એન.જી.ઓ.ને સ્પોન્સર કર્યા જે હિન્દુત્વ વિચારધારાના પુરસ્કર્તા હોય. આ સંગઠનો કલ્યાણકારી યોજનાઓ – ખાસ કરીને રાહતનાં કામો, આરોગ્ય, શિક્ષણ, સેનિટેશન, ધિરાણ વગેરેનાં કામો કરે છે. તો કોઈ તો પોતાને માનવ અધિકાર સંગઠન તરીકે પણ ઓળખાવે છે.
બીજી બાજુએ ઘણાં ‘ઉનાસ’ સંગઠનોની સરકારી સહાયમાંથી બાદબાકી થઇ. કેટલાકના કાર્યક્રમો પર તવાઈ આવી, અડચણો ઊભી કરાઈ. કોઈક પર આરોપ મૂકવામાં આવ્યો કે તે ધર્મ વટલાવવાનું કામ કરે છે. કેટલાક પર વિદેશી મદદની પરવાનગી રદ્દ કરી અને જાહેર કરવામાં આવ્યું કે આ સંગઠનો રાષ્ટ્રવિરોધી કામ કરે છે. આ સંગઠનો દેશની ચેરિટેબલ સંસ્થાઓમાંથી મદદ ન મેળવે તે માટે મદદ આપતી સંસ્થાઓ પર રાજ્યે સીધું કે આડકતરું દબાણ કર્યું. એટલે ‘ઉનાસ'નાં સંગઠનોમાં ભય અને અસલામતી ફેલાઈ છે.
અભિવ્યક્તિની સ્વતંત્રતા લોકશાહીનો પ્રાણવાયુ છે. બંધારણે એને મૂળભૂત અધિકાર તરીકે સ્વીકાર્યો છે. પણ આઝાદી પછી દરેક સરકારે – નેહરુ સહિત – આ અધિકારને મર્યાદિત કરવાના, અંકુશ મૂકવાના પ્રયત્નો કર્યા છે. નાગરિક સમાજ એનો પ્રતિકાર કરે છે. લડતો આપે છે. ગુજરાતમાં છેલ્લા બે દાયકામાં અને હવે દેશમાં આ અધિકારની સ્પેસ વધુ ને વધુ ક્ષીણ થતી ચાલી છે. ચિંતાનો વિષય એ છે કે ‘હેનાસ'ના ઘણા વ્યક્તિ સ્વતંત્રતાના વિરોધી થયા છે અને રાજ્યને દમનકારી કાયદા કરવામાં ટેકો આપે છે અથવા ચૂપ રહે છે. રાજ્યના વ્યક્તિ સ્વાતંત્ર્ય અને વંચિતો પર વારંવાર થતાં દમનને અનુમોદન આપે છે. બીજી બાજુએ દેશમાં અસંતોષ અને અજંપો વધતાં ચાલ્યાં છે.
‘ઉનાસ’ના સંઘર્ષથી મેળવેલ પ્રમાણમાં અધકચરા હક્કો જેવા કે માહિતી મેળવવાનો, રોજગારી મેળવવાનો (મનરેગા), શિક્ષણ, અન્ન સુરક્ષા સાથે સાથે ન્યાયી પુનઃવસવાટ, અને તે માટે અસરગ્રસ્તોની સંમતિની કાયદામાં જોગવાઈ, આદિવાસીને જંગલ જમીનના અધિકાર વગેરે છેલ્લાં પાંચ વર્ષમાં અને ગુજરાતમાં તો ત્યાર પહેલાંથી બોદા બનાવી દેવાયા છે. વળી, આ હક્કોના અમલ માટે સંઘર્ષ કરતાં કર્મશીલોની હેરાનગતિ વધી ગઈ. થોડાકે તો જાન ગુમાવ્યા. આ બધા ઉપરાંત વર્ચસ્વ અને પ્રભુત્વ ધરાવતાં સવર્ણ વર્ગના લોકો પોતાનું રાજ્ય આવી ગયું છે એમ માની વધુમાં વધુ કાયદો હાથમાં લેતા થઇ ગયા છે. દલિતો, આદિવાસીઓ અને સ્ત્રીઓ પર થતા અત્યાચારનો ગ્રાફ ઉપર ગયો છે.
આ પરિસ્થિતિમાં બંધારણ અંકિત મૂલ્યો આધારિત માનનાર ‘ઉનાસ’ સામે અનેક પડકારો છે. એનું કદ અને વ્યાપ આજે નાના છે. આમ છતાં ય, આ પડકારોે એને સામનો કરવો જ રહ્યો. એણે રાજ્ય, વર્ચસ્વ ધરાવતા વર્ગો અને સાથે સાથે હેગેમોનિક સંસ્કૃતિ સામે ઝઝૂમવાનું છે, આ ધીરજ માગી લેતું અને લાંબા સમયનું કામ છે.
Email : ghanshyam.shah2008@gmail.com
સૌજન્ય : “નિરીક્ષક”, 16 ઍપ્રિલ 2019; પૃ. 03-05