ખેર, પોતાના માટેનો જી.ડી.પી.નો દર તો સુધારી લીધો, એ પછી પણ ડૉ. મનમોહન સિંહ ઉજળા દેખાતા હતા એટલે યુ.પી.એ. સરકારનો જી.ડી.પી.નો દર બગાડી નાખ્યો પણ પ્રત્યક્ષ નજરે પડતું પરિણામ ક્યાં?
એ જો નજરે પડતું હોત તો આજે દિલ્હીમાં ખેડૂતો રસ્તા પર ઊતર્યા ન હોત. એ જો નજરે પડતું હોત તો યુવાનો આંદોલિત ન હોત. એ જો નજરે પડતું હોત તો વડા પ્રધાનની ઠેકડી ઉડાડવામાં ન આવતી હોત. ૨૦૧૪માં આ જ યુવાનોએ તેમને ખભા પર બેસાડીને દિલ્હી પહોંચાડ્યા હતા. પરિણામ જો નજરે પડતું હોત તો અયોધ્યાને પાછું સળગાવવાની જરૂર ન પડી હોત. જો પરિણામ નજરે પડતું હોત તો જે તે ગામનાં નામ બદલવાની જરર પડતી ન હોત. જો પરિણામ નજરે પડતું હોત તો હનુમાનજીને દલિત જાહેર કરવા ન પડ્યા હોત. આ સાલું કમાલ છે! હનુમાનજી દલિત હતા અને રાણા પ્રતાપના ઘોડા ચેતકની મા ગુજરાતણ હતી એ તેમને કેવી રીતે ખબર પડી હશે? જરૂર ઊંડી સાધના અને દિવ્યદૃષ્ટિ હોવાં જોઈએ. હાડ-ચામનાં બનેલાં મર્ત્ય માનવી આવાં ઊંડા રહસ્યો ન પામી શકે.
પરિણામ અનુભવી શકાય એમ નજરે પડે છે, એને માટે પ્રમાણપત્રોની જરૂર હોતી નથી. પરિણામો જો નજરે પડતાં હોત તો એ પહેલાં વરસાદની માટીની સુગંધની માફક આપોઆપ અનુભવી શકાત. પરિણામ છૂપું રહે? બાળકને સ્કૂલમાં સારા માર્ક્સ મળ્યાં હોય તો ગલીના નાકેથી મલકતું મલકતું ઘરે આવે અને માને વગર સર્ટિફિકેટે પરિણામની ખબર પડી જાય. કામધંધામાં પરિણામ મળતું હોય તો પત્નીને પતિના અવાજના ટોન પરથી ખબર પડી જાય, પણ પતિ જ્યારે પત્નીને કહે કે પાંચ વરસ પહેલાં તે મારી માને ગાળો દીધી હતી ત્યારે સમજી લેવું કે ભાઈ કામધંધામાં ઠર્યા નથી.
ભારતમાં ખેડૂતો એક દાયકાથી સંકટનો સામનો કરી રહ્યા છે. હજારો ખેડૂતોએ આત્મહત્યા કરીને જીવન ટુંકાવ્યું છે. ગ્રામીણ યુવાનો બેકાર છે અને શહેરમાં જાય છે તો ત્યાં રોજગારી નથી. આગળની યુ.પી.એ. સરકારે કાંઈ જ કર્યું નહોતું. હા, એક સારું કામ કર્યું; ડૉ. મનમોહન સિંહની સરકારે સત્તામાં આવ્યા પછી એ જ વરસમાં ૨૦૦૪ના નવેમ્બર મહિનામાં ડૉ. એમ.એસ. સ્વામીનાથનની અધ્યક્ષતામાં એક અભ્યાસપંચની રચના કરી હતી. ડૉ. સ્વામીનાથન વિશ્વવિખ્યાત કૃષિવિદ્ છે. સ્વામીનાથન પંચે પાંચ હપ્તામાં ૨૦૦૬ના ઓક્ટોબર મહિના સુધીમાં સંપૂર્ણ અહેવાલ આપી દીધો હતો. ખેતીવાડીનાં સંકટના કારણો અને તેના ઉકેલની ભલામણો એમાં આપવામાં આવી હતી.
ઓક્ટોબર ૨૦૦૬. એ પછી આઠ વરસ ડૉ. મનમોહન સિંહની યુ.પી.એ. સરકાર કેન્દ્રમાં હતી. શું કર્યું? કાંઈ જ નહીં. પંચની ભલામણો વિષે ચર્ચા થઈ, ખૂબ ચર્ચા થઈ, સાંગોપાંગ ચર્ચા થઈ, સંસદમાં પણ ચર્ચા થઈ પણ પછી શું? શા માટે દેખીતા સંકટને ઉકેલવામાં આવતું નથી? બે જ શક્યતા છે; કાં તો એનો ઉકેલ અશક્ય હોય અથવા બીજે આર્થિક મોરચે નુકસાન પહોંચાડે એવો અઘરો હોય અને કાં જાણીબૂજીને ઉકેલ નહીં લાવવાની કોઈક મોટી રમત હોય.
જગત આખાના કૃષિ અર્થશાસ્ત્રીઓ કહે છે કે આ અર્થતંત્રની ભીડ નથી, પરંતુ ખેડૂતોને ખેતીના વ્યવસાયમાંથી હટાવવાની જાગતિક રમત છે. આખા જગતમાં આવું બની રહ્યું છે, એમાં ભારત અપવાદ નથી. ખેડૂતોના ભાગે ભાગ પડે, જમીનના ટુકડાઓ નાના હોય, પરંપરાગત રીતે ખેતી કરે, મોટી ટેકનોલોજી ઈચ્છે તો પણ નાના ખેતરમાં લાગુ કરવી પરવડે નહીં, વ્યક્તિગત ખેડૂત મોટી રકમ રોકી શકે નહીં, કેટલાક ખેડૂત દેશી બિયારણના વળગણો ધરાવતા હોય, કેટલાક વિલાયતી ખાતરનો વિરોધ કરે, કેટલાક હાઈબ્રીડ કે જેનેટિક સીડ્સનો વિરોધ કરે, કેટલાક ગામ સાથે અને જમીન સાથે રોમેન્ટિક રિલેશનશિપ ધરાવતા હોય એ આજના યુગમાં ચાલે નહીં. ઉપાય થોડો અઘરો અને જલદ જરૂર છે, પરંતુ ખેડૂતોને ખેતરમાંથી અને ગામડાંમાંથી કાઢ્યા વિના કોઈ છૂટકો નથી. બહુ બહુ તો એક કે બે પેઢી બરબાદ થઈ જશે અને તેમના નસીબમાં જે કિંમત ચુકવવાની લખાઈ હશે એ ચૂકવવી પડશે; પરંતુ એ પછી કોર્પોરેટ એગ્રિકલ્ચરનો યુગ શરૂ થશે જે માનવ જાતને થોડી સદીઓ સુધી સાચવી લેશે.
તો યોજના છે ખેડૂતોને ખેતરમાંથી અને ગામડાંમાંથી હટાવવાની. તેને માટે પાળેલા કૃષિ અર્થશાસ્ત્રીઓ પ્રતિ એકર ઉત્પાદનની થીસિસો તૈયાર કરે છે. વ્યક્તિગત ખેતીમાં એક એકરે આટલો ફાયદો થાય અને કોર્પોરેટ ફાર્મિંગમાં આટલો ફાયદો થાય વગેરે વગેરે. શાસકો કોર્પોરેટ કંપનીઓના આશ્રિત છે એટલે તેઓ ખેડૂતોને મરવા અને ડૂબવા દે છે. આ ગંભીર આરોપ છે, પરંતુ આવો ગંભીર આરોપ કૃષિ અર્થશાસ્ત્રીઓ પૂરી ગંભીરતા સાથે મૂકી રહ્યા છે. હવે પછીના કારમા સંકટમાં જે નિર્બળ હશે એ મરશે, પરંતુ જે બચી જશે તેને કમસે કમ બેએક સદી સ્થિર મળવી જોઈએ. શક્તિમાનને થોડી શાશ્વતી માટે નિર્બળને ઉખેડીને હટાવવો જરૂરી છે.
સંવેદનશીલ માણસ હચમચી જાય, ડરી જાય એવી આ થીસિસ છે, પરંતુ ચેતવણી આપનારાઓ પૂરી ગંભીરતા સાથે આવી ચેતવણી આપે છે અને તેઓ ગણનાપાત્ર અર્થશાસ્ત્રી છે. આવા એક અર્થશાસ્ત્રીએ મને કહ્યું હતું કે દર વરસે વેધશાળા વરસાદની ઋતુ કેવી નીવડશે એની આગાહી કરવામાં કેમ થાપ ખાય છે એનો વિચાર કર્યો છે? ચોમાસુ નેવું ટકા કે સો ટકા સફળ નીવડશે એવું કહીને તેઓ ખેડૂતોને છેતરે છે કે જેથી ખેડૂત આશાએ આશાએ બિયારણ, વિલાયતી ખાતર અને જંતુનાશક દવાઓ ખરી દે. આ રીતે કોર્પોરેટ કંપનીઓ કમાય છે. અત્યારનો યુગ નૈતિક પતનનો અને નીચતાનો યુગ છે એટલે આવું બનતું હોય એ શક્ય છે. ગયા અઠવાડિયે ‘ઇન્ડિયન એક્સપ્રેસ’ અને ‘ઇન્ટરનેશનલ કોન્સોર્ટિયમ ઓફ ઈન્વેસ્ટિગેટિવ જર્નાલિસ્ટ્સે’ મળીને ભારતમાં આરોગ્ય સાથે સામાન્ય લોકોના આરોગ્ય સાથે કેવી રમત રમવામાં આવે છે, તેની હાજા ગગડી જાય એવી વિગતો આપી હતી. એ જોતાં ખેડૂતોને નોંધારા કરવાની થીસિસ અમલમાં મુકવામાં આવતી હોય એ શક્ય લાગે છે.
ભારતનાં ખેડૂતો હવે અધીરા થયા છે. ૨૦૧૪માં વડા પ્રધાનપદના ઉમેદવાર નરેન્દ્ર મોદીએ ખેતપેદાશની પડતરનો દેશી હિસાબ કાઢીને ખેડૂતોને વચન આપ્યું હતું કે તેઓ ખેડૂતોને દોઢી કિંમત આપશે. એ પછી તેમણે દોઢો ભાવ આપવાની જોગવાઈ કરી હતી, પરંતુ પડતર કિંમત ઘટાડી નાખી હતી. ૨૦૧૪નો દેશી હિસાબ ભૂલી જવામાં આવ્યો હતો અને તેની જગ્યાએ ગણતરીમાં છેતરપીંડી કરી હતી. આ છેતરપીંડીના કારણે ખેડૂતો વધારે ભુરાંટા થયા છે. તેઓ માગણી કરી રહ્યા છે પડતર કિંમતની ગણતરી સ્વામીનાથન પંચે બતાવેલી ગણતરી મુજબ કરવામાં આવે અને એ પછી તેમને તેમના પેદાશની પડતર કિંમતનો દોઢો ભાવ આપવામાં આવે. આ ઉપરાંત એક વાર કરજ માફ કરવામાં આવે.
તમને લાગે છે કે ખેડૂતો ગેરવ્યાજબી માગણી કરી રહ્યા છે?
સૌજન્ય : ‘કારણ-તારણ’, નામક લેખકની કટાર, “ગુજરાતી મિડ-ડે”, 02 ડિસેમ્બર 2018