ભારતીય અર્થતંત્રને થાળે પાડવા નરેન્દ્ર મોદીએ અવતાર ધારણ કરવાનો સંકલ્પ કર્યો, ત્યારે પહેલી જાન્યુઆરી ૨૦૧૪ના રોજ અમેરિકન ડૉલર સામે રૂપિયાની કિમંત ૬૨.૩૨ પૈસા હતી. ભારતમાં જ્યારે લોકસભાની ચૂંટણી યોજાઈ ત્યારે એપ્રિલ-મે મહિનામાં રૂપિયાની કિંમત સરેરાશ ૬૦ રૂપિયાની આસપાસ હતી અને દોકડાની પણ આવડત નહીં ધરાવતા ડૉ. મનમોહન સિંહે સત્તાના સૂત્ર અવતારપુરુષને સોંપ્યા ત્યારે રૂપિયાની કિંમત ૫૮.૫૨ રૂપિયા હતી. અને આજે? આજે રોજ અઢાર અઢાર કલાક પરિશ્રમ કરનારા વડા પ્રધાન એટલો પરિશ્રમ કરી રહ્યા છે કે ડૉલર સામે રૂપિયાની કિંમત ૭૨ રૂપિયે પહોંચી ગઈ છે. નરેન્દ્ર મોદીએ ૨૦૧૪માં યુ.પી.એ. સરકારની અણઆવડત વિષે જે ભાષામાં અને જે શારીરિક હાવભાવ સાથે જાહેરસભાઓમાં પ્રહારો કર્યા હતા, એની વીડિયો ક્લિપ્સ પર એક નજર કરવી જોઈએ. ત્યારે નરેન્દ્ર મોદીના તેવર જોઇને એમ લાગતું હતું કે ડૉ. મનમોહન સિંહ ઘરમાં લપાઈને રહે એમાં જ તેમની સલામતી છે.
દેશપ્રેમ જાગૃત થયો છે અને દેશપ્રેમ જ્યારે જાગૃત થાય ત્યારે વટવૃક્ષો ધરાશયી થઈ જતા હોય છે. ગાંધીજીએ એ કરી બતાવ્યું હતું અને નરેન્દ્ર મોદીએ અભિનય સાથે એ બોલી બતાવ્યું. આજે ડૉલર સામે રૂપિયો ૭૨ રૂપિયાની સપાટીએ પહોંચી ગયો છે અને વડા પ્રધાન અભિનય તો બાજુએ રહ્યો મોઢું પણ ખોલતા નથી. દેશની જનતાને એટલું પણ કહેવામાં આવતું નથી કે ધીરજ ધરો અમે પ્રયત્નશીલ છીએ. હવે રૂપિયો વધારે નહીં ગગડે કારણ કે રિઝર્વ બેન્કે દરમ્યાનગીરી કરી છે. દરમ્યાનગીરી કરવી પડે એમ છે કારણ કે ક્રુડની આયાત મોંઘી પડી રહી છે. માત્ર વિદેશી હુંડિયામણનું ધોવાણ નથી થઈ રહ્યું, પેટ્રોલ અને ડિઝલના વધતા ભાવોને કારણે ફુગાવો વધી રહ્યો છે. આમ તો ડૉલર સામે રૂપિયો તૂટે ત્યારે નિકાસમાં ફાયદો થતો હોય છે, પરંતુ ભારત એ મોરચે પણ ચીન સામે માર ખાઈ રહ્યું છે.
ભગવાને અને ભક્તોએ ૨૦૧૪માં અને એ પછીના વરસોમાં વિચારવું જોઈતું હતું કે એવું શું હતું કે અર્થશાસ્ત્રી તરીકેની જાગતિક કીર્તિ ધરાવનારા ડૉ. મનમોહન સિંહ ઘૂંટણિયે વાળીને બેસી ગયા છે? એવું શું છે કે જગતની સૌથી મોટી આર્થિક તાકાત ગણાતા અમેરિકા અભૂતપૂર્વ સંકટનો સામનો કરી રહ્યું છે? એવું શું છે કે પશ્ચિમના તમામ દેશો જી.ડી.પી.માં બે-અઢી ટકાથી લઈને નેગેટિવ ગ્રોથમાં અટવાઈ પડ્યા છે અને બહાર જ નથી નીકળી શકતા. એવું શું છે કે જપાન જેવા જપાનનું અર્થતંત્ર ભાંગી પડ્યું છે? એવું શું છે કે જગતમાં જે કાંઈ વિકાસ થાય છે એ રોજગારીરહિત વિકાસ છે? અંગ્રેજીમાં કહીએ તો જોબલેસગ્રોથ. એવું શું છે કે આખા જગતમાં ખેતીઉદ્યોગ મોટા સંકટનો સામનો કરી રહ્યો અને એમાં ભારત અપવાદ નથી? તેમણે એ પણ વિચારવું જોઈતું હતું કે જ્યારે આખું જગત આર્થિક સંકટનો સામનો કરી રહ્યું હોય ત્યારે ભારતનો વિકાસદર સાત-સાડા સાત ટકાની આસપાસ શા કારણે જળવાઈ રહ્યો છે? ચારે બાજુના લેખાજોખા કરવા જોઈતા હતા.
૧૯૯૧માં ભારત આવા જ એક ત્રિભેટે ઊભું હતું જ્યારે વિધાતાએ પી.વી. નરસંહ રાવને વડા પ્રધાન બનાવ્યા હતા. નરસિંહ રાવ ઓછું બોલનારા, ઠરેલ અને ગંભીર માણસ હતા. તેમને સમજાઈ ગયું હતું કે ભારતનું ભાંગી પડેલું અર્થતંત્ર તેમની કબર બની શકે એમ છે. અનેક મિત્રો સાથે સલાહમસલત કર્યા પછી તેમણે એક નીવડેલા અર્થશાસ્ત્રીને નાણા પ્રધાન બનાવ્યા. ૨૦૧૪માં પણ એમ લાગ્યું હતું કે ભારતની નિયતિને એક નિર્ણાયક વળાંક આપવાનો દાવો કરનારા નરેન્દ્ર મોદી કોઈ વિચક્ષણ અર્થશાસ્ત્રીને નાણા ખાતું સોંપશે. જ્યારે પ્રધાન મંડળની રચના થઈ અને અરુણ જેટલીને નાણા ખાતું અને સ્મૃિત ઈરાનીને શિક્ષણ ખાતું સોંપવામાં આવ્યું, ત્યારે જ ખ્યાલ આવી ગયો હતો કે આ સરકાર વિકાસલક્ષી નથી, હિન્દુત્વલક્ષી છે. વિકાસના જે દાવાઓ કરવામાં આવતા હતા અને સપનાંઓ બતાવવામાં આવતાં હતાં એ ખોટાં હતાં.
અહીં એક કમાન રચવા જેવી છે. પી.વી. નરસિંહ રાવ, અટલ બિહારી વાજપેયી અને નરેન્દ્ર મોદી. આ ત્રણેય આર્થિક સુધારાના યુગના વડા પ્રધાન. નરસિંહ રાવને સમજાઈ ગયું હતું કે જો આર્થિક ગતિરોધ દૂર કરવામાં નહીં આવે તો તેઓ મુદત પણ પૂરી નહીં કરી શકે. અટલ બિહારી વાજપેયીને એમ લાગ્યું હતું કે ભારતનું અર્થતંત્ર ઢાળ પર છે એટલે ચિંતા કરવાની કોઈ જરૂર જ નથી. કેટલાક લોકોને તેના લાભ નથી મળતા, પરંતુ તેમની નારાજગી ઇન્ડિયા શાઈનિંગના રાષ્ટ્રીય મૂડમાં ઓગળી જશે. ૨૦૦૪માં ભારત આર્થિક મોરચે ધસમસતી પ્રગતિ કરી રહ્યું છે એવો રાષ્ટ્રીય મૂડ પેદા કરવામાં આવ્યો હતો. ગરીબોને લાભ મળે એ માટે તેમણે ખાસ કોઈ ચિંતા કરી નહીં જેની કિંમત તેમણે ચૂકવવી પડી હતી.
આ ત્રણમાં નરેન્દ્ર મોદી સામે અનેકગણો મોટો પડકાર હતો. એક તો આખું જગત આર્થિક સંકટનો સામનો કરી રહ્યું છે અને માનવીય વહેવારોમાં આર્થિક વહેવાર વધારે પરસ્પરાવલંબી હોય છે અને આ તો પાછો ગ્લોબલાઇઝેશનનો યુગ. ભારત પાસે આખા જગતમાં સૌથી મોટી યુવાશક્તિ છે જેના બે હાથને કામ જોઈએ છે. ભારતમાં કૃષિવિકાસ અટકી પડ્યો છે. ખેડૂતો આત્મહત્યા કરી રહ્યા છે અને નવી પેઢી ખેતી કરવા તૈયાર નથી. ડૉલર સામે રૂપિયો તૂટી રહ્યો છે અને તેલના ભાવ વધી રહ્યા છે. સૌથી મોટી ચિંતાની વાત એ હતી કે આર્થિક ગતિરોધના કારણે જગત આખામાં પ્રતિક્રિયાવાદી ઉભાર આવ્યો છે એટેલ દરેક દેશમાં દરવાજા બંધ કરવાની માંગણી થઈ રહી છે. પરદેશી માલ અને પરદેશી વ્યક્તિ અમારા દેશમાં નહીં જોઈએ. જગત આખું આવું વલણ ધરાવતું થયું છે.
પી.વી. નરસિંહ રાવ સામે નવા યુગમાં નવી જરૂરિયાત પ્રમાણે યાત્રા શરૂ કરવાનો પડકાર હતો. અટલ બિહારી વાજપેયી સામે ગરીબલક્ષી દિશા બદલવાનો પડકાર હતો અને નરેન્દ્ર મોદી સામે અટકી પડેલી અને અટવાઈ ગયેલી યાત્રાને પાછી શરૂ કરવાનો હતો. થાકીને બેસી ગયેલા બળદને ઊભો કરવો એ મોટો પડકાર હોય છે. પૂછી જોજો કોઈ ખેડૂતને. જ્યારે અસીલની જરૂરિયાત અનુસાર કોઈ પણ દિશાની દલીલ કરનારા વકીલ સાહેબને નાણા પ્રધાન બનાવવામાં આવ્યા, ત્યારે ખ્યાલ આવી ગયો હતો કે નરેન્દ્ર મોદી પાસે ચાલવા માટે કોઈ આર્થિક એજન્ડા નથી. હા, જ્યારે પણ સરકારના બચાવમાં પેરવી કરવી પડે ત્યારે કામ આવેલા વકીલ નાણા પ્રધાન છે. અરુણ જેટલી નાણા ખાતાના પ્રધાન નથી, નાણા ખાતાના વકીલ છે. જરૂરિયાત જ આટલી હતી. અરુણ જેટલી નિષ્ફળ નાણા પ્રધાન નથી, પરંતુ નાણા મંત્રાલયે રોકેલા પણ અસરકારક દલીલો નહીં કરી શકનારા નિષ્ફળ વકીલ છે.
હવે ચૂંટણી નજીક આવી રહી છે અને પ્રતિકૂળતાઓ વધી રહી છે. સમય બચ્યો નથી એટલે વિકલ્પો પર પ્રહારો કરવામાં આવી રહ્યા છે. નરેન્દ્ર મોદીનો વિકલ્પ છે જ નહીં એમ કહેવામાં આવી રહ્યું છે અને રાહુલ ગાંધીની ઠેકડી ઉડાડીને તેમને બહાર ધકેલવામાં આવી રહ્યા છે. આના કરતાં ૨૦૧૪માં જ પાટી-પેન લઈને એકડો ઘૂંટવાનું શરૂ કર્યું હોત તો કેટલું સારું થાત!
સૌજન્ય : ‘કારણ-તારણ’, નામક લેખકની કટાર, “ગુજરાતી મિડ-ડે”, 08 સપ્ટેમ્બર 2018