દેશમાં અનાજના ઉત્પાદન અંગે કેન્દ્ર સરકારના ખેતીવાડી ખાતાએ ગયા ફેબ્રુઆરીમાં એક ગુલાબી ચિત્ર દોર્યું હતું. દેશમાં અનાજના ઉત્પાદનમાં ૧.૭ ટકાનો વધારો થશે અને અનાજનું ઉત્પાદન ૩૧.૬ કરોડ ટન થશે એવો અંદાજ મૂક્યો હતો. એ એક નોંધપાત્ર બાબત છે, કે છેલ્લાં પાંચ વર્ષોથી દેશમાં અનાજના ઉત્પાદનમાં વધારો થઈ રહ્યો છે. ૨૦૧૫-૧૬માં ૨૫.૨ કરોડ ટન અનાજનું ઉત્પાદન થયું હતું જે ચાલુ વર્ષે વધીને ૩૧.૬ કરોડ ટન થવાનો અંદાજ હતો.
અનાજના ઉત્પાદનમાં એકંદરે વધારો થયો છે, પણ પ્રત્યેક અનાજના ઉત્પાદનમાં વધારો થયો નથી. જેને જાડું ધાન્ય કહેવામાં આવે છે તે જુવાર, બાજરી, રાગી અને મકાઈનાં ઉત્પાદનમાં ઘટાડો થવાનો અંદાજ છે. બીજી બાજુ, ચોખાના ઉત્પાદનમાં વાર્ષિક ધોરણે ત્રણ ટકાનો અને ઘઉંના ઉત્પાદનમા બે ટકાનો વધારો થવાનો અંદાજ હતો. કઠોળના ઉત્પાદનમાં છ ટકાનો વધારો થશે એવો અંદાજ હતો. જો કે, તુવેરના ઉત્પાદનમાં સાત ટકાનો ઘટાડો થશે એવો અંદાજ હતો. તેલીબિયાંના ઉત્પાદનમાં ૩.૩ ટકાનો વધારો થશે. જો કે, મગફળી ઉત્પાદનમાં ઘટાડો થવાનો અંદાજ છે. શેરડીના ઉત્પાદનમાં ચાર ટકાનો વધારો થશે, જ્યારે કપાસના ઉત્પાદનમાં ત્રણ ટકાનો ઘટાડો થશે.
આ ચિત્ર પરથી બે મુદ્દા ઊભા થાય છે. એક, અનાજના ઉત્પાદનને લાગુ પડે છે. ઘઉંના જથ્થાબંધ ભાવમાં ૧૦.૫ ટકાનો વધારો થયો હતો અને તેલીબિયાંના ભાવમાં ૨૩ ટકાનો વધારો થયો હતો. જ્યારે, મકાઈના ભાવમાં ૧૪.૫ ટકાનો વધારો થયો હતો. આમ, જેને અનાજનો ફુગાવો કહે છે એની શરૂઆત જાન્યુઆરી મહિનાથી જ થઈ હતી.
અનાજના ઉત્પાદનનું જે ગુલાબી ચિત્ર આલેખવામાં આવ્યું હતું. તેમાં માર્ચ મહિનામાં શરૂ થયેલા ઉનાળાએ પંચર પાડ્યું. માર્ચ મહિનામાં જ ૪૦ ડિગ્રી સેલ્શિયસ તાપમાન પહોચ્યું હતું. ઘઉંના સારા પાક માટે આ ટેમ્પરેચર ૩૦ની આજુબાજુ રહેવું જોઈએ. એ ૪૦ થતાં ઘઉંના ઉત્પાદનમાં મોટો ઘટાડો થશે. પંજાબ અને હરિયાણામાં ઘઉંનુ વાવેતર નવેમ્બર ૧૫ની આસપાસ કરવામાં આવે છે. તો પણ એ રાજ્યોમાં ઘઉંના ઉત્પાદનમાં ઘટાડો થશે અને ઉત્પાદન ગયા વર્ષ કરતાં પણ ઓછું થશે એવો અંદાજ મૂકવામાં આવ્યો છે. અન્ય રાજ્યોમાં, ખાસ કરીને ઉત્તર પ્રદેશ અને બિહારમાં ઘઉંનું વાવેતર ૧૫મી ડિસેમ્બર સુધી કરવામાં આવે છે. તેથી એ રાજ્યોમાં ઘઉંનું ઉત્પાદન કેટલું ઘટશે એનો અંદાજ મૂકી શકાય એમ નથી. ફુગાવાની દૃષ્ટિએ ઘઉંનું ઘટેલું ઉત્પાદન નિર્ણાયક નીવડી શકે. જો કે, ફુગાવો વિશ્વ વ્યાપી છે.
સરકાર જે વિવિધ યોજનાઓ હેઠળ અનાજનું વિતરણ કરે છે. એમાં મુખ્યત્વે ઘઉં અને ચોખા ૪.૩૩ કરોડ ટન ઘઉંનો અંદાજ મુકાયો હતો. જેની સરખામણીએ ૨.૫ કરોડ ટન થવાની સંભાવના છે. આનો અર્થ એ થશે કે સરકાર પહેલાંની જેમ ઘઉંનું વિતરણ નહીં કરી શકે. ગયા વર્ષે દેશમાંથી ૭૮.૫ લાખ ટન ઘઉંની નિકાસ થઈ હતી. આ વર્ષે ઘઉંના ભાવો દેશમાં આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં ઊભા રહી શકે એમ છે. ઘઉંનો મોટો અંદાજ હતો ત્યારે ગયા વર્ષ કરતાં એક કરોડ ટન ઘઉંની વધારે નિકાસ થશે એવો અંદાજ ચૂકવવામાં આવ્યો હતો. હવે દેશને ઘઉંની નિકાસ કરવાનું પરવડી શકે એમ છે કે નહીં તે જોવું પડશે.
લાંબા ગાળાના સંદર્ભમા જોઈએ તો દેશે અનાજના મોરચે સારી સિદ્ધિ હાંસલ કરી છે. ૨૦મી સદીના સાતમા દાયકામાં એક નિષ્ણાંતે કયા દેશોને ભૂખમરાથી બચાવી શકાશે અને કયા દેશોને નહીં બચાવી શકાય એની યાદી આપી હતી. એમાં ભારતનો સમાવેશ ભૂખમરાથી જેમને બચાવી શકાશે નહીં એ દેશોની યાદીમાં થતો હતો. વાસ્તવમાં ૧૯૫૧-૫૨ પછી વસ્તી ચાર ઘણી થઈ છે જ્યારે અનાજનું ઉત્પાદન છ ગણું થયું છે. આમ, કહેવાતા નિષ્ણાતો પણ ખોટી આગાહી કરી શકે છે. આમાં ટેકનોલોજી શોધવાની માણસજાતની આવડતનો ઈન્કારી રહેલી હતો. ૧૯૬૬ પછી નવી ટેકનોલોજીના આધાર ઉપર આપણે અનાજની અછત નિવારી શક્યા છીએ. જો કે એ વર્ષોમાં હરિયાળી ક્રાંતિની ટેકનોલોજીની ક્ષમતા વિશે અનુમાન કરવું મુશ્કેલ હતું પણ આ અનુભવનો બોધપાઠ એ છે કે નિષ્ણાતો એ નિરાશાવાદી આગાહી કરતાં પહેલાં માનવની ક્ષમતાનો વિચાર કરવો જોઈએ.
ખેતીવાડીના ક્ષેત્રે છેલ્લાં પાંચ વર્ષોમાં ઉત્પાદન વૃદ્ધિ થઈ રહી છે એ હકીકતને આપણે નોંધ લીધી છે. પણ આ પાંચ વર્ષોમાં ખેડૂતોની હાલત કથળી છે તેઓ આર્થિક રીતે બદ્દતર સ્થિતિમાં મૂકાયા છે. આ એક કોયડારૂપ ઘટના છે.
ખેતીના ક્ષેત્રે જ અનિશ્ચિતતા પ્રવર્તતે છે. તેનો ખ્યાલ ચાલુ વર્ષે ઘઉંના ઉત્પાદનમાં થનાર ઘટાડો આપે છે. ખેડૂતોને બજાર પ્રવર્તતા ભાવોની અનિશ્ચિતતા સાથે વાતાવરણાં આવતા પરિવર્તનની ઉત્પાદન ઉપર પડતી અસરની અનિશ્ચિતતાનો સામનો કરવો પડે છે. ઘઉંના ઉત્પાદનમાં થનાર ઘટાડો વાતાવરણમાં જે પરિવર્તનનો આવવાની દહેશત છે. તેના પરિવર્તનો થવાથી અનાજના ઉત્પાદનમાં કેવો ફેરફાર થઈ શકે એનો ખ્યાલ આપે છે.
સૌજન્ય : “નિરીક્ષક”, 01 મે 2022; પૃ. 03