Opinion Magazine
Number of visits: 10080621
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

સંબંધો

નરેન્દ્ર ત્રિવેદી|Opinion - Short Stories|22 April 2026

સોનલ અને હીરાબાને આજે એક સમારંભમાં જવાનું હતું. સમારંભનું આયોજન તો માતા અને દીકરીનું સંયુક્ત હતું.

એટલે હીરાબાએ સોનલને કહ્યું,

“બેટા, સમારંભમાં તારે અને તારી માતાએ જવાનું છે. તેને બોલાવી લે.”

“ના બા, આપણે બંનેએ જવું છે. તમે જ મારી માતા અને સાસુ છો.”

હીરાબા સોનલના આગ્રહને અવગણી ના શક્યાં. ક્યાંક સોનલ નારાજ થઈ જાય તો. હીરાબાને પણ સોનલ ઉપર અપાર પ્રેમ હતો. કોઈને ખબર પણ ન પડે કે આ સાસુ-વહુ છે, કે માતા-દીકરી.

સમારંભમાં વાનગી બનાવવાની, ગીત સંગીત અને “માતા” “દીકરી”માં કોને શું ગમે છે એ માતાએ દીકરી માટે અને દીકરીએ માતા માટેની પ્રશ્નોતરીના જવાબ આપવાના હતા.

આ સ્પર્ધા  પચાસ જોડીઓ વચ્ચેની હતી. સ્પર્ધાને અંતે એકથી ત્રણ અને બાકીના પ્રોત્સાહન ઇનામો હતા.

સ્પર્ધા પૂરી થયા પછી આયોજકોએ પરિણામની જાહેરાત કરી કે પ્રથમ ઇનામ સોનલ અને હીરાબાની ટીમને મળે છે. બાકી બીજા, ત્રીજા અને બાકીના પ્રોત્સાહન ઇનામો હતા તેને જે તે સ્પર્ધકને આપવામાં આવ્યા. જે ટીમને બીજું ઇનામ મળ્યું હતું એ પણ ખુશ હતા કે સોનલ અને હીરાબા પ્રથમ ઇનામ માટે યોગ્ય હતાં.

પણ પછી શું થયું કે જેને બીજું ઇનામ મળ્યું હતું. તેઓને ખબર પડી કે સોનલ અને હીરાબા માતા-દીકરી નહીં પણ સાસુ-વહુ છે. તેમણે આયોજકોને રજૂઆત કરી કે સ્પર્ધામાં નિયમનો ભંગ થયો છે.

આયોજકોએ સોનલ અને હીરાબાને પૂછ્યું, 

સોનલે કહ્યું કે “વાત સાચી છે. હીરાબા મારાં સાસુ છે પણ મારા માટે માતાથી વિશેષ છે.”

સોનલે આયોજકોએ કહ્યું, કે “સ્પર્ધા માતા-દીકરી માટેની આયોજિત કરી હતી. પણ નિયમમાં  ક્યાં ય સગી માતા કે જનેતા એવો ઉલ્લેખ નથી. છતાં સ્પર્ધાના નિયમનો ભંગ થતો હોય તો હું મને મળેલ ઈનામ જતું કરું છું. પણ મારી એક વિનંતી છે કે મારે સ્પર્ધકોને કંઈક કહેવું છે.”

આયોજકોએ સોનલની વિનંતી માન્ય રાખી. સોનલે ઊભા થઇ અને કહ્યું ……..

“માતાઓ અને મારી બહેનો, મારે તમને કંઈ કહેવું નથી પણ મારા મનના ભાવો તમારી સાથે વહેંચવા છે. આપણને જન્મદાત્રી માતા સાથે અતૂટ સંબંધ હોવા છતાં એ સમય મર્યાદાથી બંધાયેલ છે જે આપણા લગ્ન સુધીનો હોય છે, અને પછી આપણી સાસુ, પતિની માતા સાથે સંબંધ બંધાય છે, જે એક બીજાના અંત સમય સુધીનો હોય છે. ટૂંકમાં માતા સાથેનો જે સમય છે તે કરતાં સાસુ સાથેનો સમય વધુ હોય છે. આ બાબતે તો તમે પણ મારી સાથે સહમત થશો.”

“મારી જેમ તમને પણ અનુભવ થયો હશે કે સાસુ તમને કંઈપણ કહેશે પણ બીજાને કંઈ કહેવા નહીં દે, ઢાલ બની ઊભાં રહેશે. ઘરની રસોઈની પદ્ધતિ, રહેણીકહેણી શીખવાડશે. સામાજિક સંબંધોની આટીઘૂંટી સમજાવશે અને કોઈ પણ સમયે પહેલો હોંકારો તે આપશે. માતા તો આપણાથી ક્યાં ય દૂર બેઠી હશે. તો પછી આપણે માતાનું પ્રતિબિંબ સાસુમા જોઈને તેમને માતાનો દરજ્જો કેમના આપી શકીએ?”

“મેં હીરાબાને સાસુ નહીં માતા જ માન્યાં છે અને આજે જે જીત થઈ એ તેનું જ પ્રતિબિંબ છે અને પરિણામ છે. અને મને જો હીરાબા મારા સાસુ છે, માતા નથી એટલે ઇનામ આપવામાં નિયમનો ભંગ થતો હોય તો એ ઇનામ મારે નથી જોઈતું.”

“મને એ નથી સમજાતું કે જો અમે માતા-દીકરી હોત તો ઇનામના હક્કદાર, અને જ્યારે ખબર પડી કે અમારા સંબંધો સાસુ-વહુના છે, તો તે ઇનામના હક્કદાર નહીં. સ્પર્ધામાં ભાગ તો સોનલ અને હીરાબાએ લીધો હતો છતાં હું નિર્ણય તમારી ઉપર છોડું છું.”

સોનલની વાત સાંભળી આયોજકો સાથે બધા જ  સ્તબ્ધ હતા. વાત સાચી હતી. વિચારવા લાયક હતી. આ એક સોનલની નહીં પણ હાજર રહેલી દરેક વ્યક્તિને સ્પર્શતી વાત હતી. આયોજકોએ બધાનો નિર્ણય પૂછ્યો. અને નિર્ણય સોનલ અને હીરાબાની તરફેણમાં આવ્યો.

આયોજનના મુખ્ય વ્યવસ્થાપકે કહ્યું, “આજે સોનલ અને હીરાબાની સાસુ-વહુની જોડીએ  આપસી સંબંધોને જુદી રીતે પરિભાષીત કર્યા છે. વિચાર માટે નવી દિશા આપી છે અને તેમના પ્રત્યક્ષ દાખલાથી એ પુરવાર કરી દીધું કે સંબંધોને કોઈ સીમાડા નથી કે એ અશક્ય નથી.

સૌએ તાળીઓના ગગડાટથી વાતાવરણને હળવું ફૂલ બનાવી દીધું, અને આયોજકોએ જાહેર કર્યું કે હવે પછીની સ્પર્ધા સાસુ-વહુની જોડીની યોજવામાં આવશે.

(ભાવનગર)
e.mail : Nkt7848@gmail.com

Loading

સૂબેદાર – મુખ્યધારાનો દલિત હીરો

મૂળ લેખક - હરીશ વાનખેડે [અનુવાદ - નિલય ભાવસાર]|Opinion - Opinion|21 April 2026

આપણે સૌ જાણીએ છીએ કે ભારતીય સિનેમામાં દલિત પાત્રોને વિવિધ રીતે દર્શાવવામાં આવ્યા છે, જેમ કે જમીનદારોના જુલમનો ભોગ બનેલા દલિત પાત્રો (દામુલ, 1985), આ સિવાય અન્ય એક ફિલ્મ બેન્ડિટ ક્વીનમાં દલિત પાત્ર તેમ જ ઉચ્ચ જાતિઓની મદદ વિના ન્યાય નહીં મેળવી શકતી વ્યક્તિઓ (આર્ટિકલ 15, 2019). “માંઝી” (2015) અને “ન્યૂટન” (2017) જેવી ફિલ્મોમાં અલગ રીતે દલિત પાત્રો રજૂ કરવામાં આવ્યા હતા, પરંતુ તેમાં બોલિવૂડના એક્શન હીરોની દેખાડાતી તાકાત અથવા લોકપ્રિય અપીલનો અભાવ હતો. આ સંદર્ભમાં અનિલ કપૂરની તાજેતરની ફિલ્મ “સૂબેદાર” મહત્ત્વની છે કારણ કે તે દર્શાવે છે કે વંચિત પણ મુખ્ય પ્રવાહના હીરો બની શકે છે અને વિજય મેળવી શકે છે. દિગ્દર્શક સુરેશ ત્રિવેણીની આ ફિલ્મ “સૂબેદાર” લોકપ્રિય સિનેમાની માચો હીરો પરંપરા સામેનો એક મજબૂત વિરોધ છે. જેમાં એક્શન છે અને સમાજની વાસ્તવિકતાનું ચિત્રણ પણ કરે છે કે જેમાં જાતિ અને સમુદાયની વાત રજૂ થાય છે. “સૂબેદાર” એક એવા હીરોનું ચિત્રણ કરે છે જે જાતિ-આધારિત દબાણ હેઠળ જીવે છે અને પોતાની હિંમત તેમ જ ગુસ્સાથી તે તોડવા માટે પણ તૈયાર છે. ફિલ્મમાં જાતિનો સીધો ઉલ્લેખ નથી, પરંતુ પ્રતીક અને વર્તન દ્વારા તે દર્શાવવામાં આવ્યું છે, જે દર્શકોએ સમજવું પડશે.

ચંબલના કોતરોમાં સ્થિત આ વાર્તા રેત માફિયાઓનું રાજ હોય તેવા એક નાના શહેરને દર્શાવે છે કે જેનું સંચાલન બાબલી દીદી અને તેના ભાઈ પ્રિન્સ દ્વારા કરવામાં આવે છે. આ પાત્રો જમીનદારી અને જાતિના ઘમંડનું ચિત્રણ રજૂ કરે છે, જે ગરીબોનું શોષણ કરે છે. અનિલ કપૂર સૂબેદાર અર્જુન મૌર્યની ભૂમિકા ભજવે છે કે જે એક નિવૃત્ત સૈનિક છે, જે તેની પત્નીના મૃત્યુ પછી તેની પુત્રી પાસે પાછો ફરે છે. મૌર્ય અને તેની પુત્રી શ્યામા વિવિધ વિલન તરફથી મુશ્કેલીઓનો સામનો કરે છે. મૌર્ય માફિયા નેતા પ્રિન્સ દ્વારા દુર્વ્યવહાર અને અપમાન સહન કરે છે, જ્યારે તેની પુત્રી પોતાની ઓળખ જાહેર કરવા બદલ જાતીય હિંસાનો સામનો કરે છે. આવી સ્થિતિમાં ગુસ્સે ભરાયેલા હીરોનું ઉભરી આવવું સ્વાભાવિક છે. પિતા અને પુત્રી હાર માનવાનો ઇન્કાર કરે છે અને ગુંડાઓને પડકાર આપે છે અને અંતે લડીને જમીનદારોને હરાવે છે. આ ફિલ્મ શરૂઆતમાં એક સરળ એક્શન ફિલ્મ લાગે છે, તે જાતિ અને સમાજની વાસ્તવિકતાઓને ઊંડાણપૂર્વક રજૂ કરે છે. ઉદાહરણ તરીકે, ફિલ્મમાં એક જૂની જીપની વાર્તા દર્શાવવામાં આવી છે, જેની ગુંડાઓ દ્વારા તોડફોડ કરવામાં આવે છે. આ જીપ મૌર્યની પત્ની તરફથી ભેટ હતી, જે તેને સમાજમાં માન-સન્માન મેળવવા માટે આપવામાં આવી હતી. દલિત માટે ગાડી હોવી તે આત્મસન્માન અને સમાનતાનું પ્રતીક માનવામાં આવે છે, જેની ઉચ્ચ વર્ગ કદર કરતો નથી. તેથી, ગુંડાઓ જીપની મજાક ઉડાવે છે અને તેને નુકસાન પહોંચાડે છે.

સુબેદાર ફિલ્મમાં “મૌર્ય” અટકનો ઉપયોગ પણ નોંધપાત્ર છે. ઉત્તર ભારતમાં તે દલિત ઓળખ સાથે સંકળાયેલ છે. ફિલ્મમાં એક દૃશ્ય છે જ્યાં પ્રિન્સ એક લાચાર સ્ત્રીને માર મારે છે અને પછી પોતાના હાથ ધુએ છે, જે “શુદ્ધતા” અને “અશુદ્ધતા”ના વિચારોને પ્રતિબિંબિત કરે છે. બીજા દૃશ્યમાં તે મૌર્યની જીપ પર પેશાબ કરે છે જે વાસ્તવિક જીવનના જાતિ અત્યાચારોને પ્રતિબિંબિત કરે છે. તેમ જ એક ખાલી પડેલું દલિત ગામ પણ બતાવવામાં આવ્યું છે જ્યાં હીરો છુપાઈ જાય છે, આ સમાજની વાસ્તવિકતા દર્શાવવાનો પ્રયાસ કરે છે.

“સૂબેદાર” ફિલ્મ દલિત પાત્રોને નબળા નહીં, પણ મજબૂત અને લડાયક પાત્રો તરીકે દર્શાવે છે. પિતા અને પુત્રી બંને સિસ્ટમ સામે ઊભા છે અને અંતે વિજય મેળવે છે. મૌર્ય અન્ય બોલીવુડ હીરોની જેમ હિંસાનો સહારો લે છે, પરંતુ તે પરિવર્તન લાવવા માટે છે. બહુ ઓછી ફિલ્મોમાં દલિત પાત્રોને આવા ગુસ્સા અને તાકાત સાથે દર્શાવવામાં આવ્યા છે. જ્યારે અગાઉ ફિલ્મોમાં તેમને નબળા તરીકે દર્શાવવામાં આવ્યા હતા, “સૂબેદાર” તેને મજબૂત, ગુસ્સાવાળા અને વિજયી તરીકે દર્શાવે છે. લાંબા સમય સુધી બોલીવુડે ઉચ્ચ વર્ગના પાત્રોને પ્રાથમિકતા આપી છે તેમ જ દલિત-બહુજન પાત્રોને હાંસિયામાં ધકેલ્યા હતા. “સૂબેદાર” આ પરંપરાને તોડીને એક નવા પ્રકારના હીરોનો પરિચય કરાવે છે. “ભીડ” (2023), “ધડક 2” (2025), અને “હોમબાઉન્ડ” (2025) જેવી તાજેતરની ફિલ્મોમાં પણ દલિત પાત્રોને શિક્ષિત અને પોતાના અધિકારો માટે લડતા દર્શાવવામાં આવ્યા છે, પરંતુ તેમને ભાગ્યે જ એક્શન હીરો તરીકે દર્શાવવામાં આવ્યા છે. “સૂબેદાર” આ ખાલી જગ્યાને ભરે છે. દલિત-બહુજન નાયકોનો ઉદ્ભવ દર્શાવે છે કે હિન્દી સિનેમા ધીમે ધીમે બદલાઈ રહ્યું છે અને વધુ વાસ્તવિક વાર્તાઓ રજૂ કરી રહ્યું છે. આ ફિલ્મ ઉદ્યોગને વધુ સમાનતા અને ન્યાય તરફ દોરી જશે. હોલીવુડમાં, “બ્લેક પેન્થર” (2018) જેવી ફિલ્મોમાં અલગ ઓળખ ધરાવતા નાયકો દર્શાવવામાં આવ્યા છે, અને બોલીવુડમાં “સૂબેદાર” એ દિશામાં એક પગલું છે. વિવેચકોએ આવા પરિવર્તનને પ્રોત્સાહન આપવું જોઈએ જેથી સિનેમા દરેક સમુદાયને સચોટ અને મજબૂત રીતે દર્શાવી શકે.

સ્રોત – 

https://hindi.theprint.in/opinion/anil-kapoor-and-the-rise-of-angry-dalit-bahujan-hero/957479/

e.mail : nbhavsarsafri@gmail.com

Loading

રિએક્શન

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|20 April 2026

રવીન્દ્ર પારેખ

દેશની જેના પર નજર હતી, તે મહિલા અનામત બિલ લોકસભામાં પાસ થવાને બદલે નાપાસ થયું. શાસક પક્ષની સમજૂતીઓ છતાં, વિપક્ષે સીમાંકનનો મુદ્દો ન છોડતાં, બિલ 54 મતોથી નામંજૂર થયું. બિલ પાસ થવાં માટે 352 મત જોઈતા હતા, પણ 298 જ મળ્યા ને બિલ મંજૂર થતાં રહી ગયું. આટલા વખતમાં પહેલી વાર સરકાર બિલ પાસ કરાવવામાં નિષ્ફળ રહી. મહિલાઓને ૩૩ ટકા અનામત આપવા બંધારણીય સુધારા, સીમાંકન અને કેન્દ્ર શાસિત પ્રદેશ કાયદા સુધારા બિલ સંદર્ભે 21 કલાકની લાંબી ચર્ચા પછી બંધારણીય સુધારા બિલ (131મો), 2026 પર મતદાન થતાં, જોઈતા 2/3 (352) મતથી 54 મત ઓછા હતા. આ બિલ નામંજૂર થતાં સરકારે બીજા બે બિલ સંસદમાં ન લાવવાનો નિર્ણય કર્યો હતો.

11 વર્ષનાં શાસન દરમિયાન લગભગ તમામ બાબતોમાં સરકારનો હાથ ઉપર રહ્યો છે, એ જોતાં મહિલા અનામત બિલ મંજૂર ન થતાં સરકાર આઘાત પામે તેમાં નવાઈ નથી. દેખીતું છે કે આવે વખતે વિપક્ષોને સંભળાવવાનું ન ચૂકે. એ જ રીતે વિપક્ષોને પણ મળેલી આ ચપટીક સફળતા પોતાનામાં વિશ્વાસ વધારે ને વિપક્ષો ફૂલીને ફાળકો થઈને ફરે કે ઉજવણું કરે તો તે પણ સહજ છે, પણ હકીકત એ છે કે આપણને જીત અને હાર, બંને પચતાં નથી. આપણે જીત તો છલકાવીએ જ છીએ, પણ હાર પણ ઉછાળવા તત્પર થઈ ઊઠીએ છીએ. મૂળ વાત એ છે કે સરકાર બિલ પાસ કરાવવાની જીદે ચડી હતી ને મહિલા અનામતની વાત છે, એટલે વિપક્ષો પણ બહુ વિરોધ નહીં કરે તેવા વિશ્વાસે રહી, કારણ વિપક્ષો વિરોધ કરે તો, તેઓ મહિલા વિરોધી છે, એમ પ્રજાને ઠસાવવાનું સહેલું થઈ પડે ને એમ જ થયું. બને કે આવનારી ચૂંટણીમાં મહિલાઓ વિપક્ષને મત નહિ આપે ને આપે તો એનો લાભ પણ મળશે તો ભા.જ.પ.ને જ !

સરકારની આટલી તૈયારીઓ છતાં મહિલા અનામત બિલ પસાર કેમ ન થયું? એનું એક કારણ સીમાંકન હતું. સરકારનું કહેવું હતું કે મહિલા અનામત ત્યારે જ લાગુ થશે, જો વસ્તી ગણતરી અને તે પછી બેઠકોનું સીમાંકન પૂરું થશે. વિપક્ષનું માનવું હતું કે હાલ સીમાંકન 543 બેઠકો માટે જ લાગુ કરી દેવું. બેઠકો વધવાની રાહ જોવામાં વિપક્ષને સરકારનું ષડ્યંત્ર લાગ્યું. આમ તો મહિલા વિધેયકની વાતો પહેલી વખત રાજીવ ગાંધીનાં શાસનમાં 1987માં આવી, તેમાં પણ 1/૩ મહિલા આરક્ષણ જોગવાઈ લાગુ કરનાર તે વખતની નરસિંહરાવની સરકાર હતી. મહિલા અનામત અંગેનો બંધારણીય સુધારો મનમોહન સિંહની સરકારમાં આવ્યો. 2023માં મોદી સરકારના વખતમાં બંધારણીય સુધારા 128 માટે વિધેયક મૂક્યું ત્યારે તે રાજ્યસભામાં મંજૂર પણ થઈ ગયું. તેમાં હવે પછીની વસ્તી ગણતરી તેમ જ નવા સીમાંકન લાગુ કરવાની વાત હતી.

રહી વાત સીમાંકનની, તો એમાં પણ પ્રશ્નો છે. દક્ષિણના રાજ્યો કર્ણાટક, તમિલનાડુ, આંધ્ર, કેરળ અને તેલંગાણાએ વસ્તી નિયંત્રણમાં યોગદાન આપી, વધતી વસ્તી અટકાવી. તેનો યશ આપવાની વાત તો દૂર રહી, પણ સંસદમાં તે રાજ્યોની બેઠક ઓછી રહી ને ઉત્તર પ્રદેશ જેવાં રાજ્યોએ વસ્તી નિયંત્રણ અપનાવ્યું નહીં, તો વધતી વસ્તી સંદર્ભે સંસદમાં વધુ સીટ્સ મળી. દક્ષિણના રાજ્યો આ અન્યાયનો વિરોધ કરે તે વાજબી છે. હવે લોકસભાની સીટો 800થી વધુ કરવાની વાત છે, પણ એ વખતે પણ, જે રાજ્યોની વસ્તી વધુ એ ન્યાયે ઉત્તરને જેટલો લાભ મળે, એટલો દક્ષિણને મળવાનો નથી. એ જ કારણે સીમાંકનને મુદ્દે લોકસભામાં બિલ પસાર થતું અટક્યું.

અત્યારે પણ ભા.જ.પ. વિરુદ્ધ અન્ય પક્ષો જેવું સમીકરણ રચાયેલું જ છે, તેમાં સીમાંકનને મુદ્દે એ ખાઈ વધુ પહોળી થશે. વસ્તીના પ્રમાણમાં સીટોની વહેંચણી આદર્શની રીતે યોગ્ય જ છે, પણ જે રાજ્યોએ વસ્તી નિયંત્રણ કરીને સરકારની જ વસ્તી નિયંત્રણ ઝુંબેશમાં યોગદાન આપ્યું હોય તેને ઓછી વસ્તીને નામે લોકસભામાં પૂરતી સીટો ન મળે એ ઠીક નથી. કમ સે કમ આ મુદ્દે વિપક્ષનો વાંક કાઢી શકાય એમ નથી.

એ પણ અકળ છે કે મહિલા અનામત બિલ પર ચર્ચા ચાલુ હોય એ દરમિયાન કાયદા મંત્રાલયે મોડી રાતે નોટિફિકેશન બહાર પાડ્યું, તેમાં મહિલા અનામતનો 2023નો કાયદો લાગુ કરી દેવાયો. વિપક્ષોને સવાલ એ થયો કે મહિલા અનામત સુધારા બિલ પર ચર્ચા ચાલુ હોય તેવામાં કેન્દ્ર નોટિફિકેશન લાવી કેવી રીતે શકે? ખાસ તો ત્યારે કે 2023નો કાયદો 2034 પહેલાં લાગુ થઈ શકે એમ ન હોય, કારણ કે તેને 2027ની વસ્તી ગણતરી પછી સીમાંકન પ્રક્રિયા પૂરી થવાં સાથે જોડવામાં આવ્યું છે. હકીકત એ છે કે મહિલા અનામત બિલનો અમલ સરકાર 2029થી લાગુ કરવા ઇચ્છે છે. એટલે જ તો સરકાર લોકસભામાં આ બિલ લાવી. ટૂંકમાં, 2029થી લાગુ કરવા ધારેલું બિલ, 2034માં લાગુ થવાનું હોય, તો એ બિલનું નોટિફિકેશન મોડી રાત્રે લાવવાની જરૂર જ શી હતી?

સાચું તો એ છે કે મહિલા કાયદા માટે કશી સ્પષ્ટતા સરકાર પાસે નથી, તેણે મહિલા અનામતને આગળ કરીને સીમાંકનનો મુદ્દો છેડવો છે, તો વિપક્ષો, ઓ.બી.સી., મુસ્લિમ જાતિઓ ઘૂસાડીને હલકું રાજકારણ રમવા ઉત્સુક છે. બંને પક્ષે રાજકારણ જ કેન્દ્રમાં છે. પ્રજા તો દૂર દૂર સુધી ક્યાં ય દેખાતી નથી. તે કદાચ પ્રાયોરિટીમાં જ નથી. મહિલાઓનું પ્રતિનિધિત્વ વધારવાની વાત બધા કરે છે, પણ એ દિશામાં નક્કર પગલાં ભરવાનું કોઇથી થતું નથી. સાચું તો એ છે કે મહિલાઓ માટે ૩૩ ટકા અનામત દાખલ કરવું હોય તો તેને લોકસભાની કે વિધાનસભાઓની બેઠક વધાર ઝુંબેશ સાથે કોઈ લેવા દેવા નથી. સીટ ગમે એટલી હોય, તો પણ સીટનાં પ્રમાણમાં ૩૩ ટકા મહિલાઓને ફાળવવામાં કોઈ મુશ્કેલી ન નડે, પણ તેમ કરવા જાય તો ઘણાં પુરુષ નેતાઓનું પત્તું કપાઈ જાય. જેમ કે લખનૌ બેઠક મહિલા માટે અનામત થઈ  જાય તો રક્ષા મંત્રી રાજનાથ સિંહનું પત્તું કપાઈ જાય ને રાયબરેલીમાં એમ થાય તો વિપક્ષી નેતા રાહુલ ગાંધી પણ હાથ ઘસતા રહી જાય. આવું તો ઘણી સીટ માટે થઈ શકે. આમ પત્તાં કપાવાનું ન થાય એટલે સંસદમાં સીટો વધારવાનો રસ્તો નીકળ્યો. બેઠકો વધારવાનો પ્રયોગ નિષ્ફળ જવાનું લાગતાં સરકારે લોકસભા અને રાજ્યોની વિધાનસભામાં મહિલાઓ માટે ૩૩ ટકા અનામતનો ખેલ ગુરુવારે જ નોટિફિકેશન બહાર પાડીને કરી લીધો.

સરકાર વિપક્ષોને વિશ્વાસમાં લેવાનું ચૂકી. તે પહેલાં નોટિફિકેશન બહાર પડવાને લીધે વિપક્ષો એ શંકામાં રહ્યા કે આ કોઈ રાજકીય દાવપેચ છે. સીમાંકન જેવાં સંવેદનશીલ મુદ્દાને મહિલા અનામત સાથે જોડી દેવામાં આવ્યું. સીમાંકન બાજુ પર રખાયું હોત ને માત્ર મહિલાઓને ૩૩ ટકા અનામત આપવાને મુદ્દે બિલ લવાયું હોત તો બિલ પાસ થઇ ગયું હોત. આ ભૂલ સ્વીકારવાને બદલે વડા પ્રધાને રાષ્ટ્ર જોગ સંબોધનમાં જનતાની માફી માંગતાં એ વાત આગળ કરી કે વિપક્ષોએ આ બિલ પસાર ના થવા દઈને મહિલાઓને અન્યાય કર્યો છે. મહિલાઓ વિપક્ષોને માફ કરશે નહીં, એમ કહીને વડા પ્રધાને દેશની તમામ મહિલાઓની માફી માંગીને પોતાનો હાથ ઉપર રાખ્યો. બીજી તરફ રાહુલ ગાંધીના ઘર સામે ભા.જ.પે. તેમનું પૂતળું બાળ્યું. એટલે હવે સામસામે આક્ષેપો સુધી સંસદ સીમિત નથી રહી, તે સડકો સુધી પહોંચી છે.

બિલને મુદ્દે વિપક્ષોને વાંધો સીમાંકનનો છે, એવી વારંવારની સ્પષ્ટતાઓ વચ્ચે, એ પણ કહેતાં રહેવું પડ્યું કે તેઓ મહિલા અનામતની વિરુદ્ધ નથી, છતાં એ જોખમ હતું જ કે તેઓ મહિલા વિરોધી ગણાઈ જાય, પણ મતદાનનું જે પરિણામ આવ્યું તેમાં આંધળે બહેરું ન કૂટાય એટલું તો થયું. ભા.જ.પે. કે કાઁન્ગ્રેસ સહિતના વિપક્ષોએ આવા મામલામાં સંયમથી વર્તવું જોઈએ, પણ એવું ખાસ બનતું નથી. એ ખરું કે વિપક્ષોની એકતાનો પરચો સંસદને મળ્યો ને બિલ મંજૂર ન થયું. આ પરિણામનો વિપક્ષો બેંચ ઠોકીને હરખ પ્રગટ કરે કે સરકારને કેવી રીતે પછાડી તેનાં ઉજવણાંમાં પડી જાય તો, તે બરાબર નથી. એ દુખદ છે કે સરકાર અને વિપક્ષો એકબીજાની સ્પર્ધામાં ઊતરી પડ્યાં છે.

સૌથી વધુ આહત વડા પ્રધાન અને કેન્દ્રીય ગૃહ મંત્રી છે. ગૃહ મંત્રીએ તો કહ્યું કે ખરડાને મંજૂર ના થવા દઈને ઉજવણી કરવી નિંદનીય છે, આગામી ચૂંટણીમાં કાઁગ્રેસે મહિલાઓના આક્રોશનો સામનો કરવો પડશે ને ભા.જ.પ.ની મહિલા સાંસદોએ તો વિપક્ષ વિરુદ્ધ રણશિંગુ ફૂંકી પણ દીધું, તો વિપક્ષી નેતા રાહુલ ગાંધીએ કહ્યું કે ‘ઇન્ડિયા’એ રોક્યું, ભારતે જોઈ લીધું, બિલનો ઉદ્દેશ નારી ઉત્થાનનો તો હતો જ નહીં, ચૂંટણીનું માળખું બદલવાનો જ હતો, એવું હોય તો જૂનું બિલ લાવો અમે તેને સમર્થન આપીશું. સ.પા. અધ્યક્ષ અખિલેશ યાદવે પણ રોકડું કર્યું કે વિપક્ષોએ મહિલા અનામતનો વિરોધ કર્યો નથી. કાઁગ્રેસના સાંસદ શશિ થરૂરે કહ્યું કે આ સૌથી મોટી જીત છે. કાઁગ્રેસી સાંસદ પ્રિયંકા વાડ્રાએ પણ કહ્યું કે લોકશાહી માટે એક મોટી જીત છે. તમિલનાડુના મુખ્ય મંત્રી એમ. કે. સ્ટાલિને પણ કહ્યું કે આ તો હજી ટ્રેલર છે. જે બિલ તમિલનાડુની વિરુદ્ધ આવ્યું હતું તે બિલ હારી ગયું છે. રક્ષા મંત્રી રાજનાથ સિંહે પણ કહ્યું કે વિપક્ષો મહિલા વિરુદ્ધ છે. કાઁગ્રેસી અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે મોદી-શાહે દેશની અડધી વસ્તીને ઢાલ બનાવી સીમાંકન કરવાનો પ્રયત્ન કર્યો, તેમની ચાલાકીને એકજૂટ વિપક્ષોએ પારખી લીધું અને બંધારણ સુધારા વિધેયકને પરાસ્ત કર્યું.

એમ લાગે છે કે હવે મહિલા અનામત 2034 પહેલાં લાગુ નહીં થાય ….

000

e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 20 ઍપ્રિલ 2026

Loading

...102030...66676869...8090100...

Search by

Opinion

  • એક યુવક જન્તર મન્તર છોડતી વખતે પોલીસને કહેતો જાય કે, “ફિર આયેંગે ઔર તબ બંદૂક લેકર આના.”
  •  પ્રાથમિક શિક્ષણથી યુનિવર્સિટી શિક્ષણ સુધી ભ્રષ્ટાચાર એ જ શિષ્ટાચાર …
  • ૨૧મી સદીમાં ઘર પુન: બાંધવું
  • Gen Zનો રોષ: કઠેડામાં આજની કે અગાઉની પેઢી નહીં, વ્યવસ્થા છે
  • ચલ મન મુંબઈ નગરી—353

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 
  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …

Poetry

  • ગઝલ
  • માર્યા જશે
  • ચાર સાંપ્રત હિન્દી કાવ્યો
  • ગઝલ
  • લૂંટ શકે તો લૂંટ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • State-Sponsored Communal Profiling : The Gujarat Government Must Be Held Accountable
  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved