Opinion Magazine
Number of visits: 10029205
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

રાજકારણમાં બૉડી લેંગ્વેજ અને નરેન્દ્ર મોદીની ‘જાદુ કી જપ્પી’

ચિરંતના ભટ્ટ|Opinion - Opinion|1 February 2016

મોદીની બોડી લેંગ્વેજમાં કે વર્લ્ડ લિડર્સને સંબોધવાનું આવે ત્યારે ઠહેરાવ ઓછો અને ઉત્સાહ વધારે દેખાય છે. મુત્સદ્દીપણાની આ દુનિયામાં મોદીએ વડાપ્રધાન તરીકેની અનૌપચારિકતાને જાણે ફગાવી દીધી છે.

થોડા દિવસ પહેલાં ફ્રાંસનાં પ્રેસિડન્ટ ફ્રાંસવાં ઉલોન ભારતની મુલાકાતે આવ્યા અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી એમને પાછળથી ભેટતાં હોય એવી તસવીર વાઇરલ થઈ ગઈ. આ તસવીર પર ઘણાં જોક્સ પણ કરાયાં અને પછી ચંદીગઢ ગાર્ડનમાં થયેલા આ ‘ટાઇટેનિક હગ’નો ખરો ચિતાર આપતો વીડિયો જોયો ત્યારે ખ્યાલ આવ્યો કે એક વાર ભેટી લીધા પછી મોદી બીજી વાર તો પ્રેસિડન્ટને ફોટોગ્રાફરો માટે સરખી રીતે ઊભા રહેવા કહેતા હતા, એ કંઈ તેમને ભેટ્યા નહોતા. પણ છતાં ય આ સ્તરની વ્યક્તિને કમરેથી પકડીને ખસેડવી કોઈ એંગલથી શોભનીય તો નથી જ. સૌથી મોટી લોકશાહી ગણાતા દેશના વડા પ્રધાન તરીકે મોદીએ મોટા ભાગનાં વર્લ્ડ લિડર સાથે મુલાકાત કરી લીધી છે. જોવાનું એ છે કે મોદીની બોડી લેંગ્વેજમાં કે વર્લ્ડ લિડર્સને સંબોધવાનું આવે ત્યારે ઠહેરાવ ઓછો અને ઉત્સાહ વધારે દેખાય છે. આ દરજ્જાના નેતા હોવું અને અન્ય સમાંતર પદવી ધરાવનારાને બાળ ગોઠિયાની જેમ સંબોધવા કે પછી ‘બિછડે હુએ’ ભાઈની જેમ ભેટી પડવું કેટલું યોગ્ય છે? મુત્સદ્દીપણાની આ દુનિયામાં મોદીએ વડાપ્રધાન તરીકેની અનૌપચારિકતાને જાણે ફગાવી દીધી છે.

મોદીનો ઉત્સાહ અને ઉમળકો દરેક વર્લ્ડ લિડરને માફક આવે એ જરૂરી નથી. ફ્રેંચ પ્રેસિડન્ટ માટે મોદીનું ભેટવું જરા વિચિત્ર થઈ પડ્યું કારણકે ફ્રાંસમાં તો ‘હગ’ કરવાનો કોન્સેપ્ટ જ નથી. એમ નથી કે ફ્રાંસમાં લોકો એકબીજાને ભેટતાં નથી, પણ તે અભિવાદનનો વિકલ્પ તો ચોકક્સ નથી. લોકોને ઉત્સાહથી ભેટી પડવાની મોદીની ફિતરત માટે વિશ્લેષકોનું માનવું છે કે એમ કરીને તે જાણે ખુદને અને સામે વાળાને જતાવવા માગે છે કે, તે બધાં એક જ સ્તરે છે. પણ વડાપ્રધાનની પદવી હોય અને તમે આંતરરાષ્ટૃીય પ્લેટફોર્મ પર એ જ સ્તરનાં માણસ સાથે ઊભા હોય ત્યારે શારીરિક ઉત્સાહ દર્શાવીને પોતાનું સ્થાન સ્પષ્ટ કરવું કેટલું યોગ્ય છે? આટલું ઓછું હોય તેમ મોદીએ તો વર્લ્ડ લિડર્સને બિંધાસ્ત તેમનાં પહેલાં નામથી બોલાવવાની છૂટ પણ લઈ લીધી છે. અમેરિકન પ્રેસિડન્ટ બરાક ઓબામાને ‘બરાક’ કહીને બોલાવતી વખતે મોદીએ એમ નહોતું નોંધ્યું કે મિસ્ટર ઓબામા તેમને નરેન કે નરેન્દ્ર કહીને નથી બોલાવી રહ્યા, બલકે મિસ્ટર મોદી, મિસ્ટર પ્રાઇમ મિનિસ્ટર કે પ્રાઇમ મિનીસ્ટરનું ઔપચારિક સંબોધન જ કરી રહ્યાં છે. વર્લ્ડ લિડર્સ એક બીજા સાથે ભલે રોજેરોજ વાત કરતાં હોય પણ નામથી બોલાવવાની બાબતને અમેરિકન એક્સપર્ટ માઇકલ સ્ટ્રેઈન તોછડાઈ અને દોસ્તીનાં દંભમાં ખપાવી તેને સદંતર અયોગ્ય ઠેરવે છે.

મલેશિયાનાં પ્રાઈમ મિનિસ્ટર નજીબ રઝાક, સેક્રેટરી ઓફ સ્ટેટ જ્હોન કેરી, જાપાનિઝ પ્રાઈમ મિનિસ્ટર શિન્ઝો અબે, ફેસબુકના માર્ક ઝુકરબર્ગ, અમેરિકન પ્રેસિડન્ટ બરાક ઓબામા, ઓસ્ટ્રેલિયન પ્રાઈમ મિનીસ્ટર ટોની અબોટ, યુ.કે.ના પ્રાઈમ મિનિસ્ટર ડેવિડ કેમેરુન એવાં કેટલાંક નામો છે જેમને મોદીએ ‘લગ જા ગલે’ કરી પાડ્યું છે. મોદી પાછા જેન્ડર સેન્સિટીવ પણ છે, એ જર્મન ચાન્સેલર એન્જેલા માર્કેલને નહોતા ભેટ્યાં. દરેકની પ્રતિક્રિયાઓ જુદી જુદી રહી છે પણ હવે કોઈ ખેંચીને ભેટી જ લે, તો બીજું કરી પણ શું કરાય. આંતરરાષ્ટૃીય સ્તરે અખબારોમાં વધારે પડતી દોસ્તી દર્શાવવા બદલ મોદી પર ટિપ્પણી પણ કરવામાં આવી છે.

રાજકારણીઓની બૉડી લેંગ્વેજમાં પણ રાજકારણ રહેલું હોય છે અને દરેક હિલચાલને નાણી લેતાં વાર નથી લાગતી. મોદીનાં કિસ્સામાં તેમનો ઉમળકો બાલ્ય લાગે છે. આવું પહેલાં ક્યારે ય કોઈ પણ નેતાએ નથી કર્યું. દલીલ કરનારાઓ એમ પણ કહી શકે કે એ તો પાવરફુલ છે તો કંઈ પણ કરી શકે પણ સામેવાળી વ્યક્તિ તમારા એ વહેવારને કઈ રીતે નાણે છે અથવા તો તેની સાથે કેટલી ક્મ્ફરટેબલ છે એ જોવું પણ જરૂરી છે.

સ્વાભાવિક છે કે રાજકીય નેતાનું વક્તવ્ય સાંભળતાં પહેલાં દર્શકો કે મતદારો તેને જોતાં હોય છે. તેનો દેખાવ, હિલચાલ દરેક બાબત તેની પહેલી ઇમ્પ્રેશન ઘડવામાં કામ લાગે છે. અન્ય નેતાઓની વાત કરીએ તો હિલેરી ક્લિન્ટને છેલ્લાં કેટલાક મહિનાઓથી તેમની બૉડી લેંગ્વેજમાં હળવાશ ઉમેરી છે. ક્યાં ય ટીકા કે આકરો અભિગમ નથી વર્તાતો, પણ છતાં પોતાની લાગણીઓ પોતાના કાબૂમાં છે, પ્રકારનો ચહેરો સ્પષ્ટ કરે છે. એ કોઈનાં ય દબાણમાં આવે તેમ નથી. ભારતની વાત કરીએ તો ઇંદિરા ગાંધીની બૉડી લેંગ્વેજમાં એક જુદાં જ પ્રકારનો પાવર દેખાઈ આવતો. તેમનો વહેવાર એગ્રેસિવ હતો પણ આડકતરી રીતે. તેમની હાજરીમાં ક્ષુલ્લકતાને કોઈ સ્થાન નહોતું. મોટે ભાગે શાંત લાગતાં ઇંદિરા પોતાનાં વહેવારથી જ સ્પષ્ટ કરતાં કે તે પોતાનાં વિચારોને વળગી રહેવામાં ખૂબ મક્કમ છે.

સોનિયા ગાંધી જેને રાજકારણ સાથે લગિરેક લેવા દેવા નહોતી તેઓ અત્યારે જે રીતે જાહેર વક્તવ્યમાં આવે છે તે જ દર્શાવે છે કે એક સમયે રાજીવ ગાંધી સાથે ટ્રોફી વાઈફ બનીને ઊભી રહેનાર આ સ્ત્રી ખૂબ માનસિક સંઘર્ષ બાદ ઘડાઈ છે. જ્યારે સોનિયા ગાંધીએ વડાપ્રધાન પદ જતું કર્યું ત્યારે તેમની ચાલમાં એક અલગ જ પ્રકારનો ઠસ્સો હતો. રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીની સરખામણી થાય તો સ્વાભાવિક રીતે પ્રિયંકામાં રાજકારણનું મુત્સદ્દીપણું અને ગુમાન દેખાઈ આવે. રાહુલ ગાંધી ગમે એટલાં જેન્યુઈન પ્રયાસ કરે તે હંમેશાં કાં તો બાળકની માફક આક્રોશ બતાવતા હોય તેવા અથવા તો થોડાં ખોવાયેલ કે લોસ્ટ જ દેખાઈ આવે છે. લાલુ પ્રસાદ યાદવને લોકો ભારતિય રાજકારણનાં કોમિડિયન ભલે કહેતાં હોય પણ એ જે રીતે પોતાનાં લોકો સાથે કનેક્ટ થાય છે તેમાં તેમની બૉડી લેંગ્વેજનો સૌથી મોટો ફાળો છે. લાલુ પ્રસાદ સંસદમા હોય કે મિટીંગમાં હોય કે પછી જાહેર સભામાં હોય તે પોતાનું કોમિક ટાઇમિંગ, ભાષા કે શૈલીમાં લગિરેક ફેર નથી લાવતા. આ દર્શાવે છે કે તેમને પોતાનાં પર કેટલો આત્મવિશ્વાસ છે. મનમોહન સિંઘ જ્યારે મુશર્રફને મળતાં ત્યારે તમની બૉડી લેંગ્વેજમાં પોતે બધી ક્ષમતાઓમાં પાકિસ્તાનથી ઉચ્ચ સ્તરીય દેશનાં વડા છે તેવો ભાવ રહેતો, પણ કોઈ પણ પ્રકારની તોછડાઈ તેમાં ન વર્તાતી. ઓબામા જ્યારે મનમોહન સિંઘને મળ્યા, ત્યારે તેમને ખભે જે રીતે હાથ થાબડ્યો એ દર્શાવતું હતું કે જાણે કોઈ સિનિયર કોઈ જુનિયરને ફિકર ન કરતા પ્રકારનો સંદેશો આપી રહ્યા છે અને મનમોહન સિંઘની બૉડી લેંગ્વેજમાં નમ્રતા અને આભારવશતા હતી. ગાંધીજીમાં ભારોભાર આદર્શ હતા તો મુત્સદ્દીપણાંમાં પણ એ કાબેલ હતા. અંગ્રેજો સાથે વાત કરતા હોય અને પોતાનાં અનુયાયીઓને સંબોધતા હોય ત્યારે તેમનાં બોલવામાં મોટો ફેર આવી જતો. ગાંધીજીની સાદગી તેમનું શ્રેષ્ઠ રાજકીય હથિયાર હતું, તેમ ઇતિહાસકાર સુમિત સરકારે નોંધ્યું છે. નહેરુમાં આંતરરાષ્ટૃીય નેતા બનવાનાં બધાં લક્ષણ હતાં, તે સ્ટાઇલિશ હતા અને સામેવાળાને વાત ગળે ઉતારી શકે તે રીતે વાત કરતા.

કહેવાય છે કે નેતાઓ પોતાનો મુદ્દો રજૂ કરવા હાથ હલાવે, કે પછી લોકો તરફ હાથ કરીને પોતાના શરીર તરફ પાછા લાવે, ખભા સીધા રાખે અને જરૂર પડે હાથની મુવમેન્ટ માથાની ઉપર સુધી લઈ જાય, ત્યારે સ્પષ્ટ થાય છે કે તે ખુલ્લા દિલે અને આત્મવિશ્વાસથી વાત કરે છે.

ગોઇંગ બેક ટુ વડાપ્રધાન નરેન્દ્ર મોદી, એ જ્યારે પણ વક્તવ્ય આપે ત્યારે તે સંકલ્પ મુદ્રાનો વારંવાર ઉપયોગ કરે છે, જેમાં તર્જની અને અંગુઠાને જોડીને પોતાનો મુદ્દો રજૂ કરવામાં આવે છે. વળી તે જ્યારે પરદેશમાં ભારતીયોને સંબોધે ત્યારે તેમની ઊભા રહેવાની રીતમાં એક અનૌપચારિકતા હોય છે જે, “તમે ચિંતા ન કરતાં હું તમારે માટે હાજર છું” પ્રકારની દોસ્તી દર્શાવવાનો પ્રયાસ છે. મોદીની બૉડી લેંગ્વેજ ઓડિયન્સ પ્રમાણે બદલાય છે, ભારતીય ઓડિયન્સ સાથે અંતર જાળવે છે તો વર્લ્ડ લિડર્સને ભેટી પડે છે તથા વિદેશી ભારતીયો સાથે મજાની દોસ્તી કેળવીને વાત કરે છે. રાજકારણમાં બૉડી લેંગ્વેજ બહુ અગત્યનો ભાગ ભજવે છે અને અત્યંત મુત્સદ્દી ક્ષેત્રમાં અનૌપચારિકતાની ટીકા જ થાય છે. જોઈએ મોદી હજી બીજા કેટલા સાથે ‘લગ જા ગલે’નો દાવ નાખે છે.

બાય ધી વેઃ મોદી જ્યારે અબુધાબીનાં ક્રાઉન પ્રિન્સ શેખ મોહંમદ બિન ઝાયેદ અલ નહ્યાનને મળ્યા અને તેમની બૉડી લેંગ્વેજમાં પ્રતિકુળતા હતી. નિતીશ કુમાર અને અન્ય સેક્યુલર નેતાઓએ તેની ટીકા પણ કરી હતી. અલ નહ્યાનને ભેટી પડવાને બદલે મોદીએ જાણે સજાગ રીતે સહેજ અંતર પર રહ્યા. જો કે દોસ્તી બતાવવા તેમને ‘માય શહેઝાદા’ તરીકે સંબોધ્યા પણ ખરા. મોદીએ સદ્દભાવના મિશન વખતે મુસ્લિમ ટોપી પહેરવાની ના પાડી હતી પણ અહીં આબર હેડગિયર પહેર્યું હતું. એની વે બધાં જ હગ્ઝ, શારીરિક અંતરંગતા દર્શાવવામાં અને પહેલાં નામથી બોલાવવા વાળી ઘટનાઓમાં સૌથી વધારે કોમિક માર્ક્સ તો કમરેથી પકડાયેલા ફ્રેન્ચ પ્રેસિડન્ટ અને માર્ક ઝૂકરબર્ગને (અલા, ફોટો પાડે છે; હખણો રહે) ખસેડી દેનારી ઘટનાને જ મળે છે. જો નરેન્દ્ર મોદીનું નામ બદલવું હોય તો હગેન્દ્ર મોદી (અફકોર્સ અંગ્રેજી વાળું હગ) કરાય કે પછી ભેટેન્દ્ર મોદી રાખીએ, યોર કોલ .. નક્કી કરો ત્યાં સુધી એક ટાઇટ હગ.

e.mail : chirantana@gmail.com

Loading

નાગપુરમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સ્વયંસેવકો સાથે વાર્તાલાપ

રમેશ ઓઝા

, રમેશ ઓઝા|Opinion - Opinion|1 February 2016

જો સમય આવ્યે હસ્તક્ષેપ ન કરો, કોઈ કામ ન કરો, પોતાના હોવાપણાનું મૂલ્યાંકન ન કરો અને માત્ર બચતા રહીને વિકસતા રહો તો એ હોવાપણાનો શો અર્થ? ગાંધીજી પોતાની વિચારધારા સાથે આવ્યા, પોતાનું કામ કર્યું ને વારસો છોડીને જતા રહ્યા. બીજા છેડે હિટલર પોતાની વિચારધારા સાથે આવ્યો, તેને જે કરવું હતું એ કામ કર્યું અને વારસો છોડીને જતો રહ્યો. દરેક વ્યક્તિ માટે અને વિચારધારા આધારિત રાજકારણ માટે મર્યાદિત સમયસંદર્ભો હોય છે

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે ગયા દશેરાના દિવસે ૯૦ વર્ષ પૂરાં કર્યા એ નિમિત્તે સંઘનું મૂલ્યાંકન કરનારા ત્રણ લેખો મેં આ કૉલમમાં લખ્યા હતા એ વાચકોને યાદ હશે. એ લેખોનો એક મિત્રે મરાઠીમાં અનુવાદ કર્યો હતો અને ‘સામ્યયોગ’ નામના મરાઠી સામયિકમાં એ છપાયા હતા. મરાઠીમાં વિચારસંક્રમણતા આપણા કરતાં ઘણી તીવ્ર છે એટલે એ લેખોની ઝેરોક્સ નકલ નાગપુરના સ્વયંસેવકોના વાંચવામાં આવી. એક દિવસ નાગપુરથી એક સ્વયંસેવકનો ફોન આવ્યો અને તેમણે ઇચ્છા પ્રગટ કરી કે તેઓ સંઘ વિશે મારી સાથે જાહેરમાં અને સામૂહિક રીતે ચર્ચા કરવા માગે છે. તેઓ જ્ઞાનયોદ્ધા નામની સંસ્થા ચલાવે છે જે બૌદ્ધિક ચર્ચા માટેનો સંઘના સ્વયંસેવકોનો મંચ છે. શરત એ હતી કે તેઓ પહેલાં એક કલાક માટે મને શાંતિથી સાંભળશે અને એ પછી મારે તેમને શાંતિથી સાંભળવાના. મેં એક ક્ષણનો ય વિલંબ કર્યા વિના સંમતિ આપી દીધી હતી, કારણ કે સંઘના સ્વયંસેવકો સાથે સંઘના ગઢમાં સામૂહિકપણે ચર્ચા કરવાનો મને પહેલી વાર અવસર મળવાનો હતો.

૧૬ જાન્યુઆરીએ નાગપુરમાં બેઠક યોજાઈ હતી. લગભગ સાઠેક જેટલા સ્વયંસેવકો હાજર હતા. મારે એક વાત કબૂલ કરવી જોઈએ કે સંઘના કાર્યકરોએ ચર્ચામાં જે શાલીનતા બતાવી હતી એ કલ્પનાતીત હતી. ન ગમે એવા અભિપ્રાય તેમના કાને પડતા હોવા છતાં કોઈ સ્વયંસેવકે મને વચ્ચે રોક્યો કે ટોક્યો નહોતો. એક કલાક કરતાં વધુ સમય સુધી સંપૂર્ણ શાંતિ સાથે તેમણે મને સાંભળ્યો હતો અને એ પછી તેમણે સંઘના બચાવમાં જે કાંઈ કહેવું હતું એ કહ્યું હતું. તેમના ખુલાસા મને કેટલી હદે ગળે ઊતર્યા છે એ જાણવા પણ તેઓ ઉત્સુક હતા એટલે તેમણે અંતમાં ફરી બોલવાની મને તક આપી હતી. નાગપુરનો અનુભવ સુખદ અને આશ્ચર્યજનક બન્ને હતો.

મેં લખેલા ત્રણ લેખો તેમના વાંચવામાં આવ્યા હતા એટલે બને એટલા પ્રમાણમાં પુનરુક્તિ ટાળીને સંઘ વિશે અન્ય કેટલાક મુદ્દાઓ ઉપસ્થિત કરવાનો મારો પ્રયાસ હતો. મેં ઉપસ્થિત કરેલા મુદ્દાઓ આ મુજબ હતા :

જમણેરી વિચારધારા એ કોઈ નવી વાત નથી. રાષ્ટ્રીય સ્વયંસેવકની સ્થાપના થઈ એના અનેક દાયકાઓ પહેલાં જમણેરી વિચારધારા પશ્ચિમમાં આકાર પામવા લાગી હતી, જેમાં બહુમતી કોમ આધારિત રાષ્ટ્રવાદથી લઈને વાંશિક સર્વોપરિતા સુધીનો સમાવેશ થાય છે. અનેક મેધાવી વિચારકો આ વિચારધારાને સાંપડ્યા છે અને તેમણે આ વિચારધારાને વિકસાવી છે. માત્ર એક ઉદાહરણ આપવું હોય તો માર્ટિન હૈડેગરનું આપી શકાય, જેઓ ૨૦મી સદીના મોટા ગજાના અસ્તિત્વવાદી ફિલસૂફ હતા અને હિટલરના સમર્થક હતા. આવા તો બીજા અનેક વિચારકો, કલાકારો, સાહિત્યકારો જમણેરી વિચારધારાને સાંપડ્યા હતા. ભારતમાં આ વિચારધારા આવી છે તો એ પશ્ચિમમાંથી આવી છે.

સવાલ એ છે કે શા માટે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘને મોટી હેડીના કોઈ વિચારક ન મળ્યા? હિન્દુ મહાસભાના નેતા વિનાયક દામોદર સાવરકરે તો વિના સંકોચે પશ્ચિમના બહુમતી કોમવાદ આધારિત રાષ્ટ્રવાદનો સ્વીકાર કર્યો છે. હિન્દુ રાષ્ટ્ર અને હિન્દુત્વ એ બન્ને સંકલ્પના સાવરકરની છે અને એ પશ્ચિમની ફાસીવાદી વિચારધારાનું ભારતીય સ્વરૂપ છે. હિન્દુત્વ એટલે હિન્દુઓની ઓળખનાં એવાં કેટલાંક ચોક્કસ લક્ષણો જે માત્ર હિન્દુમાં જ જોવા મળે. આમ હિન્દુત્વ શબ્દ દ્વારા સાવરકરે ભારતીયત્વને નકારી કાઢ્યું છે. જો ભારતીયત્વમાં ગેરહિન્દુ લક્ષણો આવતાં હોય તો એ તેમને સ્વીકાર્ય નહોતું. આમ ખાસ ઓળખ ધરાવનારા બહુમતી હિન્દુઓનું રાષ્ટ્ર એટલે હિન્દુ રાષ્ટ્ર અને એ રીતે તેમણે ભારતીય રાષ્ટ્રને નકારી કાઢ્યું હતું.

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે સાવરકરના હિન્દુત્વ અને હિન્દુ રાષ્ટ્ર તો અપનાવ્યાં છે, પરંતુ એ સાથે જ એ સાવરકરથી દૂર ભાગે છે. સાવરકરે તો શબ્દ ર્ચોયા વિના કહ્યું હતું કે જે પ્રજાની જન્મભૂમિ અને પવિત્ર ભૂમિ ભારત છે એ કોમની રાષ્ટ્રનિષ્ઠા પર જ માત્ર ભરોસો કરી શકાય, બાકીની કોમની રાષ્ટ્રનિષ્ઠા શંકાસ્પદ હોવાની. ભારતમાં હિન્દુઓ, બૌદ્ધો, જૈનો, સિખો અને પારસીઓની જન્મભૂમિ અને પવિત્ર ભૂમિ બન્ને ભારત છે એટલે તેમની વફાદારી શંકાતીત હોઈ શકે છે, જ્યારે મુસ્લિમો અને ઈસાઈઓની જન્મભૂમિ ભલે ભારત હોય, પરંતુ તેમની પવિત્ર ભૂમિ ભારત બહાર હોવાથી તેઓ ગમે ત્યારે દેશદ્રોહ કરી શકે છે. સાવરકરે મુસ્લિમોના અને ઈસાઈઓના દેશપ્રેમ વિશે શંકા કરવામાં સંકોચ નહોતો કર્યો. તેમને રાષ્ટ્રની બહાર રાખવામાં સંકોચ નહોતો કર્યો. તેમને દ્વિતીય નાગરિક લેખવામાં સંકોચ નહોતો કર્યો. સાવરકરની વૈચારિક પ્રામાણિકતા સ્વીકારવી રહી.

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની વિચારધારા અસ્પષ્ટ છે. એક બાજુ વ્યવહારમાં સંઘ મુસ્લિમો અને ઈસાઈઓની રાષ્ટ્રનિષ્ઠા વિશે શંકા પણ કરે છે અને બીજી બાજુ તેમની પાસેથી સમરસતાની અપેક્ષા પણ રાખે છે. અપેક્ષા એવી છે કે ઈસાઈઓ અને મુસ્લિમોએ હિન્દુ રાષ્ટ્ર અપનાવી લેવું જોઈએ. ભારતભૂમિ હિન્દુ છે, ભારતનો આત્મા હિન્દુ છે, ભારતની સંસ્કૃિત હિન્દુ છે અને ભારતમાં જે કોઈ જન્મે છે તે હિન્દુ છે; માત્ર તેની ધાર્મિક શ્રદ્ધા અલગ-અલગ છે. તેમણે પોતાની અલગ ધાર્મિક શ્રદ્ધા જાળવી રાખીને પોતાને હિન્દુ તરીકે ઓળખાવવો જોઈએ. આને માટે સંઘ આગ્રહપૂર્વક સમરસતા શબ્દ પ્રયોજે છે.

આ સમરસતા શબ્દ સંઘને બહુ વહાલો છે. વિચિત્રતા એ છે કે મૂળભૂત ફિલસૂફી બહુમતી કોમવાદી રાષ્ટ્રની અપનાવવાની અને સમરસતાની અપેક્ષા રાખવાની. રાજકારણ સાવરકર પ્રેરિત હિન્દુ રાષ્ટ્રનું કરવાનું અને સમરસતાની અપેક્ષા રાખવાની. જેમની પવિત્ર ભૂમિ ભારત નથી એવી પ્રજાની રાષ્ટ્રનિષ્ઠા પર શંકા કરવાની અને અપેક્ષા સમરસતાની રાખવાની. રાજકીય સંજ્ઞાઓ સાવરકરની વાપરવાની અને સમરસતાની અપેક્ષા રાખવાની. આમ શક્ય બને ખરું? અને જો એ શક્ય છે તો સમરસતાનું એવું રસાયણ વિકસિત થવું જોઈતું હતું. સમરસતાપૂર્વકના હિન્દુ બહુમતી કોમના હિન્દુ રાષ્ટ્રનું દર્શન વિકસાવવા માટે ૯૦ વર્ષ એ કોઈ ઓછો સમય નથી. ટૂંકમાં કહીએ તો સ્થિતિ એવી છે કે સંઘ પશ્ચિમની ફાસીવાદી ફિલસૂફી સંપૂર્ણપણે સ્વીકારતો નથી, સાવરકરની ફિલસૂફી ખુલ્લંખુલ્લા સ્વીકારતો નથી તો બીજી બાજુ વિકલ્પે સમરસતાની ફિલસૂફી વિકસાવી શક્યો નથી. નથી સંઘે એવો કોઈ પ્રયાસ કર્યો કે નથી સંઘને એવા વિચારકો મળ્યા.

સંઘના નેતાઓ જ્યારે પણ હિન્દુ ધર્મની વાત કરે છે ત્યારે તેઓ ઉદારમતવાદી હિન્દુ ધર્મનો મહિમા કરે છે જેના પાયામાં વસુધૈવ કુટુંબકમ, એકો હમ બહુસ્યામ, એકો સત્ બહુધા વદન્તિ વગેરે છે. તેઓ ઉપનિષદ, વેદાંત, બુદ્ધ, મહાવીર, રામકૃષ્ણ અને વિવેકાનંદના હિન્દુ ધર્મ દર્શનનો મહિમા કરે છે. તેઓ હિન્દુઇઝમને વે ઑફ લાઇફ અને કૉમનવેલ્થ ઑફ ફેઇથ તરીકે ઓળખાવે છે. તેમને જ્યારે શાસનવ્યવસ્થા વિશે પૂછવામાં આવે છે ત્યારે તેઓ આધુનિક રાજ્યમાં નિષ્ઠા વ્યક્ત કરે છે. આધુનિક રાજ્ય એટલે પ્રજાસત્તાક-લોકતાંત્રિક-સેક્યુલર રાજ્ય. એવું રાજ્ય જેના પાયામાં પ્રાથમિક એકમ તરીકે નાગરિક છે, કોઈ પ્રજાસમૂહ નથી. ભારતમાં સાર્વભૌમત્વ નાગરિકનું છે, કોઈ ભગવાન કે ધર્મનું નથી. મુસ્લિમ દેશોમાં ઇસ્લામિક રાજ્યો ત્યારે રચાઈ શક્યાં છે જ્યારે સાર્વભૌમત્વ અલ્લાહને આપવામાં આવ્યું છે. નાગરિકને સાર્વભૌમત્વ આપીને ધર્મ આધારિત રાજ્ય એ શક્ય જ નથી. નાગરિક આધુનિક ભારતીય રાજ્યનું સાર્વભૌમત્વ ધરાવે છે એટલે તેના મૂળભૂત અધિકારો કોઈ પણ પ્રકારના ભેદભાવ વિના એકસરખા સુરક્ષિત રાખવામાં આવ્યા છે. સંઘનો પોતાનો રાજકીય પક્ષ છે અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના બે સ્વયંસેવકો આધુનિક રાજ્યના સોગંદ લઈને દેશના વડા પ્રધાન બન્યા છે.

સંઘનું હિન્દુ દર્શન અને સંઘનો હિન્દુ જો ઉદાર ઔપનિષદિક છે અને સંઘને સમાનતા આધારિત સવર્‍સમાવેશક આધુનિક રાજ્યમાં શ્રદ્ધા પણ છે તો પછી હિન્દુ રાષ્ટ્ર બનશે કઈ રીતે? ઔપનિષદિક ઉદારમતવાદી હિન્દુ દર્શનનો અસ્વીકાર કર્યા વિના અને આધુનિક રાજ્યને નકાર્યા વિના હિન્દુ રાષ્ટ્રની રચના શક્ય જ નથી. વિનાયક દામોદર સાવરકરે શરમાયા વિના સવર્‍સમાવેશક ઉદારમતવાદી હિન્દુ ધર્મ વિચારનો અને આધુનિક રાજ્યનો અસ્વીકાર કર્યો છે. પશ્ચિમના ધર્મો (ખાસ કરીને ઇસ્લામ અને ઈસાઈ ધર્મ) સંખ્યાકીય તેમ જ સાંસ્કૃિતક રીતે વિસ્તારવાદી છે અને પશ્ચિમના ધર્મો આધ્યાત્મિક કરતાં રાજકીય વધુ છે એવો સાવરકરનો અભિપ્રાય પાછો સંઘ સ્વીકારે છે. પશ્ચિમના રાજકીય ચરિત્ર ધરાવતા ધર્મનો (પૉલિટિકલ રિલિજિયન) મુકાબલો કરવો હશે તો હિન્દુ ધર્મને પૉલિટિકલ બનાવવો પડશે. ઔપનિષદિક ઉદારતાની વાતો કર્યે નહીં ચાલે એમ સાવરકરે કહ્યું હતું.

સંઘ આનાથી ઊલટું, પશ્ચિમના પૉલિટિકલ રિલિજિયન્સથી ભયભીત પણ છે, એનો મુકાબલો પણ કરવા માગે છે, હિન્દુ દર્શનની ઉદારમતવાદી મહાનતા છોડવા પણ નથી માગતો, આધુનિક રાજ્યમાં શ્રદ્ધા પણ ધરાવે છે, રાજકીય પક્ષ સ્થાપે છે અને એ સાથે હિન્દુ રાષ્ટ્ર પણ સ્થાપવા માગે છે. આ તો એવું થયું કે ઉદારતા અને સહિષ્ણુતા જાળવી રાખીને, પાડોશીને સીધો દોર પણ કરવો છે અને તેને અંકુશમાં પણ રાખવો છે. એ ઉપરાંત તેની સાથે સમરસતા વિકસાવીને સાથે જીવવાની અપેક્ષા પણ છે.

આ વૈચારિક અસ્પષ્ટતા સંઘની બુદ્ધિદરિદ્રતાનું પરિણામ છે કે પછી ચાલાકી છે? કે પછી બન્ને છે? કોયડો આ છે. મને એમ લાગે છે કે આ બુદ્ધિદરિદ્રતાનું પરિણામ પણ છે અને ચાલાકી પણ છે. આપણો ઔપનિષદિક વારસો નકારવા જેટલી હિંમત સંઘ એકઠી નથી કરી શકતો એટલે તો એ સાવરકરના રાજકારણને અપનાવવા છતાં સાવરકરની વિચારધારાથી દૂર ભાગે છે. એ ખરેખર હિન્દુઓની રાજકીય સરસાઈ સાથે સમરસતાનું વિચિત્ર ખ્વાબ જુએ છે. આમાં બચી નીકળવાની ચાલાકી પણ છે. અંતિમવાદી વિચારધારા અપનાવવાથી સરકારી પ્રતિબંધનો ભય છે અને એ ઉપરાંત સ્વભાવત: ઉદારમતવાદી હિન્દુ સંઘનો કદાચ અસ્વીકાર તો નહીં કરે એવો ભય પણ છે. ટૂંકમાં, સ્થિતિ એવી છે કે સંઘ નથી સ્પષ્ટ હિન્દુ રાષ્ટ્રની ફિલસૂફી અપનાવતો કે નથી સમરસતાની વૈકલ્પિક વિચારધારા વિકસાવી શકતો. માત્ર બચી નીકળીને આજે એક વટવૃક્ષ બન્યો છે જે નથી હિન્દુઓને છાંયડો આપી શકતો નથી, ફળ આપી શકતો. કતૃર્ત્વ વિનાના ર્દીઘાયુનો શો મતલબ?

ગાંધીજી પોતાની વિચારધારા સાથે આવ્યા, પોતાનું કામ કર્યું અને વારસો છોડીને જતા રહ્યા. બીજે છેડે હિટલર પોતાની વિચારધારા સાથે આવ્યો, તેને જે કરવું હતું એ કામ કર્યું અને વારસો છોડીને જતો રહ્યો. દરેક વ્યક્તિ માટે અને વિચારધારા આધારિત રાજકારણ માટે મર્યાદિત સમયસંદર્ભો હોય છે. જો સમય આવ્યે હસ્તક્ષેપ ન કરો, કોઈ કામ ન કરો, પોતાના હોવાપણાનું મૂલ્યાંકન ન કરો અને માત્ર બચતા રહીને વિકસતા રહો તો એ હોવાપણાનો શો અર્થ?

સૌજન્ય : ‘નો નૉન્સેન્સ’ નામક લેખકની કોલમ, “ગુજરાતી મિડ-ડે”, 31 જાન્યુઆરી 2016

http://www.gujaratimidday.com/features/sunday-sartaaj/sunday-sartaaj-31012016-12

Loading

ફ્લોરેન્સ નાઇટિંગલનું ‘સ્વચ્છ ભારત’ અભિયાન

વિશાલ શાહ|Opinion - Opinion|1 February 2016

સ્વચ્છતાનાં કામમાં લોકોને જોતર્યા વિના અને લોકોને તેનાથી શું લાભ થવાનો છે એવું સમજાવ્યા વિના આપણે કદાચ સ્વચ્છતાનાં કાર્યોનો અમલ કરી શકીશું, પરંતુ એ પછી બધું અર્થહીન થઈ જશે …

ભારત સરકારે જાન્યુઆરી, ૨૦૧૬થી 'સ્વચ્છ ભારત'ની સફળતા-નિષ્ફળતા ચકાસવા સર્વેક્ષણ શરૂ કર્યું છે ત્યારે છેક દસમી ઓક્ટોબર, ૧૮૮૮ના રોજ લખાયેલા આ શબ્દો બરાબર યાદ રાખવા જેવા છે. આ શબ્દો લખનારી વ્યક્તિએ ભારતને સ્વચ્છ કરવા, રોગચાળો ફેલાય જ નહીં એ માટે, જાહેર આરોગ્યની સ્થિતિ સુધારવા, હોસ્પિટલો-દવાખાનાઓ કેવા હોવા જોઈએ, ગટર વ્યવસ્થાની ખામીઓ, પાણી અને જમીનની શુદ્ધતા, નદી-નાળાંની સ્થિતિ તેમ જ ભારત જેવા વિશાળ દેશમાં ભૂખમરાની સ્થિતિનો કેવી રીતે સામનો કરી શકાય એ તમામ વિષયો પર ઘણું લખ્યું હતું. ભારતના આ તમામ પ્રશ્નો પર તેમણે સતત ચાળીસ વર્ષ સુધી ધ્યાન કેન્દ્રિત કરીને સોનેરી સૂચનો કર્યાં હતાં. નવાઈની વાત એ છે કે, સ્વચ્છતાનાં કામમાં લોક ભાગીદારીનું મહત્ત્વ સમજાવવા આ શબ્દો જે વ્યક્તિએ લખ્યા હતાં એ ક્યારે ય

ભારત આવી જ નહોતી. આ વ્યક્તિ એટલે 'લેડી વિથ ધ લેમ્પ' તરીકે અમર થઈ ગયેલાં ફ્લોરેન્સ નાઇટિંગલ.

ઈ.સ. ૧૮૫૩માં યુક્રેનની દક્ષિણ પૂર્વે આવેલા ઓટોનોમસ રિપબ્લિક ઓફ ક્રિમીઆમાં બ્રિટન-ફ્રાન્સે રશિયા સામે જોરદાર યુદ્ધ કર્યું હતું. આ યુદ્ધમાં યુદ્ધમોરચે ઘવાયેલા સૈનિકોની સારવાર કરવાનું કામ ફ્લોરેન્સ નાઇટિંગલની નર્સિંગ ટીમનું હતું. એ વખતે યુદ્ધ મોરચે જઈને જીવંત અહેવાલો પીરસવાની શરૂઆત થઈ ગઈ હતી. એટલે સ્વાભાવિક રીતે જ બ્રિટનના 'ન્યૂઝ સ્ટોરી' ભૂખ્યા અખબારોએ જનસેવા અને દેશપ્રેમના કોકટેલમાં ઝબોળેલા સમાચારો છાપીને નાઇટિંગલને રીતસરના સ્ટાર બનાવી દીધા હતા. નાઇટિંગલની તરફેણમાં આવેલા સંખ્યાબંધ અહેવાલોથી તેમને દાયકાઓ પછી ફાયદો થવાના બદલે નુકસાન થયું. ૧૩મી ઓગસ્ટ, ૧૯૧૦માં નાઇટિંગલના મૃત્યુ બાદ થયેલા કેટલાક સંશોધનોમાં એવો દાવો કરાયો કે, નાઇટિંગલનું કામ સારું હતું પણ તેમની આસપાસ દંતકથાઓ રચવાનું કામ 'સમાચાર-પીપાસુ' મીડિયાએ કર્યું હતું. જો કે, ફક્ત ક્રિમીઆ યુદ્ધમાં કરેલા કામને ધ્યાનમાં રાખીને નાઇટિંગલનું મૂલ્યાંકન કરવું એ તેમના સાથે ઘોર અન્યાય બરાબર છે.

ઈ.સ. ૧૮૫૭માં અંગ્રેજો સામે આઝાદીની લડાઈએ જોર પકડ્યું ત્યારે નાઇટિંગલનું ધ્યાન ભારતમાં જાહેર આરોગ્યની સ્થિતિ તરફ ખેંચાયું. જો કે, શરૂઆતમાં તેમનો ઈરાદો ભારતમાં રહેતા બ્રિટિશ સૈનિકોનું આરોગ્ય સારું રાખવાનો હતો, પરંતુ એ પછી તરત જ નાઇટિંગલે ભારતના સ્વચ્છતાના પ્રશ્નોને સમજવાનું શરૂ કર્યું હતું. ભારત આવી શકે એમ નહીં હોવાથી તેમણે ભારતના તમામ જિલ્લાઓની બ્રિટિશ છાવણીઓમાં સર્વેક્ષણ પણ કર્યું હતું. આ માટે તેમણે જાતે વીસ પ્રશ્નોની યાદી બનાવી હતી, જેથી તેઓ બ્રિટનમાં બેઠાં બેઠાં નકશા અને આંકડાની મદદથી ભારતની મુશ્કેલીઓ સમજી શકે. આ પ્રકારનું 'ડિસ્ટન્સ લર્નિંગ' કરીને નાઇટિંગલે બ્રિટિશ છાવણીઓના જાહેર આરોગ્યની સ્થિતિ સુધારવા સ્થાપવામાં આવેલા રોયલ કમિશન સાથે જબરદસ્ત સક્રિયતાથી પત્રવ્યવહાર કર્યો હતો. તેમણે દુકાળ, ભૂખમરો, સિંચાઈ, રહેણીકરણી, શિક્ષણ, જાહેર આરોગ્ય અને હોસ્પિટલો એમ તમામ બાબતને એકબીજા સાથે જોડીને સ્વચ્છતાના પાયાના પ્રશ્નોને સમજાવવા કમર કસી હતી.

જેમ કે, ઈ.સ. ૧૮૭૭માં દક્ષિણ ભારતમાં સતત બે વર્ષ કારમો દુકાળ પડ્યો હતો. ઈતિહાસમાં આ પ્રકરણ 'ગ્રેટ ફેમિન ઓફ ૧૮૭૬-૭૮' તરીકે જાણીતું છે. આ કુદરતી આફતમાં ૫૫ લાખ લોકો મૃત્યુ પામ્યા હતા. એ વખતે નાઇટિંગલે બ્રિટનમાં બેઠાં બેઠાં ઝીણી ઝીણી વિગતો એકઠી કરીને તાત્કાલિક કેટલાંક પગલાં લેવાની માગ કરી હતી. જૂન ૧૮૭૭માં 'ઇલસ્ટ્રેટેડ લંડન ન્યૂઝ'માં એક ચર્ચાપત્રમાં નાઇટિંગલે મદ્રાસ પ્રેસિડેન્સીના દુકાળ વિશે કરેલી જબરદસ્ત છણાવટની નોંધ મળે છે. નાઇટિંગલનું કહેવું હતું કે, દુકાળગ્રસ્ત જિલ્લાઓને આપણે દુકાળમુક્ત જિલ્લાઓ સાથે કેનાલોની મદદથી જોડી દેવા જોઈએ. આવું કરીએ તો આપણે તમામ જિલ્લાઓ વચ્ચે સિંચાઈની વ્યવસ્થા તો ઊભી કરી શકીએ. આ ઉપરાંત સ્ટિમ બોટ એન્જિનથી એ જિલ્લા વચ્ચે અસરકારક કોમ્યુિનકેશન પણ કરી શકીએ … નાઇટિંગલ અન્ન ઉત્પાદન વધારવા અને દુકાળગ્રસ્ત વિસ્તારોમાં અન્ન પહોંચાડવા પણ સિંચાઈની આક્રમક વકીલાત કરતાં હતાં. એવું નહોતું કે, નાઇટિંગલે સૂચનો કર્યાં એ પહેલાં સિંચાઈનું કામ થતું જ નહોતું, પરંતુ આવા અનેક મુદ્દે તેમણે સંખ્યાબંધ પત્રો લખીને અંગ્રેજ શાસનને ઠાલી વાતો કરવાનું બંધ કરીને ઠોસ પગલાં લેવા ટપાર્યું હતું.

અંગ્રેજ શાસનમાં સ્વચ્છતા અને જાહેર આરોગ્ય ક્ષેત્રે સારું કામ કરનારાને પ્રોત્સાહન આપવામાં પણ તેમણે પાછીપાની કરી ન હતી. ૧૦મી ઓક્ટોબર, ૧૮૮૮ના રોજ લખેલા એક પત્રમાં નાઇટિંગલે બોમ્બે પ્રેસિડેન્સીના હેલ્થ ઓફિસર તરીકે ફરજ બજાવનારા થોમસ ગિલહામ હ્યુલેટ વિશે નોંધ્યું છે કે, ‘'… તેઓ બોમ્બે પ્રેસિડેન્સીના પહેલાં હેલ્થ ઓફિસર છે, એ પણ સાત વર્ષથી. સેનિટરી એન્જિયરિંગને તેમણે જાતમાં વણી લીધું છે. રાત્રિના બે-ત્રણ વાગ્યા સુધી તેઓ ટીમ સાથે જાહેર સફાઈકાર્યો કરતા હોય છે. ઊંચો મૃત્યુદર હવે એક હજારે ૩૫ પરથી ૨૩ પર આવી ગયો છે અને કોલેરા આખરે નાબૂદ થઈ ગયો છે. ૧૮૭૬-૭૮ના દુકાળ વખતે સેનેટરી મિશનરી (સેવા કરવા આવતા ખ્રિસ્તી સંતો) તરીકે આવ્યા હતા. સેનેટરી કમિશનર તરીકે ફરજ બજાવતી વખતે તેઓ તંબૂઓ તાણ્યા વિના, ખાધાપીધા વિના દિવસના વીસેક કલાક પ્રવાસ કરીને દુકાળની રાહત છાવણીઓમાં કાર્યરત રહેતા હતા. ગામડાઓમાં કામ કરવાનો ઘણો મોટો અનુભવ તેમને અહીંથી મળ્યો હતો. પ્રેસિડેન્સીના સેનેટરી મિશનરી તરીકે તેઓ છેલ્લાં પાંચ વર્ષથી સ્થાનિકોને વહેલા મૃત્યુ અને રોગો વિશે તેમ જ તેમની આ શારીરિક ક્ષમતાની અધોગતિ રોકવા જાગૃત કરી રહ્યા છે, જે મ્યુિનસિપાલિટી કે પંચાયતના પ્રમુખ, વડા કે ગ્રામજનો હોઈ શકે છે …''

આટલું લખીને તેઓ લેખની શરૂઆતમાં જે શબ્દો લખ્યા છે એ લોક ભાગીદારીની વાત કરે છે. લોક ભાગીદારી માટે હ્યુલેટે સ્થાનિક લોકોનો વિશ્વાસ કેવી રીતે જીતી લીધો એના પણ તેઓ વખાણ કરે છે. યાદ રાખો, આ ૧૨૮ વર્ષ પહેલાંની વાત છે, જ્યારે ભારતમાં નિરક્ષરતા અને કુરિવાજો ચરમસીમાએ હતા. ત્રીજી ઓક્ટોબર, ૧૮૮૮ના રોજ નાઇટિંગલે પત્ર લખીને અમદાવાદની સ્વચ્છતાને લગતા બે દસ્તાવેજો મોકલવા બદલ હ્યુલેટનો આભાર માન્યો હતો. આ દસ્તાવેજો મંગાવવાનો હેતુ ભારતમાં સ્વચ્છતા મુદ્દે ક્યાં સારું કામ થઈ રહ્યું છે જાણીને પત્રવ્યવહાર કરવાનો હતો. ૨૪મી ઓક્ટોબર, ૧૮૮૮ના રોજ નાઇટિંગલે લોર્ડ રિપનને લખેલા પત્રમાં અમદાવાદ વિશે લખ્યું છે કે, ‘'… અમદાવાદ તેના સ્થાનિક પ્રમુખ રણછોડલાલ છોટાલાલની આગેવાનીમાં પાણી પુરવઠો અને ગટર વ્યવસ્થા મુદ્દે શાનદાર કામ કરી રહ્યું છે, જે તમારા માટે મોટી વાત છે. (એક સમયે આ ત્રાસદાયક શહેર હતું.) હવે તેઓ શહેરને અવિરત પાણી પૂરું પાડવાની તૈયારીમાં છે, જે તેઓ સારી રીતે બાંધવામાં આવેલા નદીના પટમાંથી મેળવશે … અમદાવાદ પાકી ગટરો ધરાવતું ભારતનું પહેલું મોફૂસિલ શહેર હશે. એક સમયે તેનો મૃત્યુઆંક ખૂબ ઊંચો હતો …'' (ઈસ્ટ ઈન્ડિયા કંપનીની ત્રણ રાજધાની બોમ્બે, કલકત્તા અને મદ્રાસ પ્રેસિડેન્સીની બહાર આવેલા નાના-પછાત નગરો મોફૂસિલ તરીકે ઓળખાતા હતા.)

નાઇટિંગલ ઇચ્છતાં હતાં કે, બીજા શહેરો પણ અમદાવાદમાંથી પ્રેરણા લે. અમુક બ્રિટિશ અધિકારીઓની જેમ નાઇટિંગલે ક્યારે ય ભારતીયોની અસ્વચ્છતાની ટીકા નહોતી કરી. નાઇટિંગલનું ધ્યાન ફક્ત ભારત કે ભારતીયો કેમ આવા છે અને તેમને કેવી રીતે સુધારી શકાય એ તરફ હતું. જાણ્યા-સમજ્યા વિના બેફામ ટીકા કરવાની ફેશન પૂરજોશમાં છે ત્યારે આ વાત સૌથી મહત્ત્વની છે. કેન્દ્ર સરકારે સ્વચ્છ ભારતની સમીક્ષા કરવાના હેતુથી ઝૂંપડપટ્ટીઓ, જાહેર ટોઇલેટ અને તેની આસપાસના સ્થળો, બસ-રેલવે સ્ટેશનો તેમ જ કરોડો ગરીબ-મધ્યમ વર્ગીય પરિવારો જ્યાં રહે છે એવા ગીચ વિસ્તારોમાં ટીમો મોકલવાનું શરૂ કર્યું છે, ત્યારે નાઇટિંગલે બ્રિટનમાં બેઠાં બેઠાં ચલાવેલું સ્વચ્છ ભારત અભિયાન સમજવા જેવું છે. અહીં સ્વચ્છતા અભિયાનની બદબોઈ કરવાનો ઈરાદો નથી. આઝાદી પછી ભારતમાં પહેલીવાર કોઈ સરકાર સ્વચ્છતાને આટલું મહત્ત્વ આપ્યું છે એ આવકાર્ય છે, પરંતુ ભારત જેવા મહાકાય દેશને સ્વચ્છ કરવા લોકજાગૃતિના મુદ્દાને ગંભીરતાથી નથી લેવાયો એ તેની સૌથી મોટી ખામી છે. આ કામ પણ અઘરું છે જ પણ અશક્ય નથી. જો અંગ્રેજો આટલાં વર્ષો પહેલાં આ દિશામાં આટલું વિચારતા હોય તો આપણે કેમ નહીં?

સુપરપાવર બનવાના સપનાં જોતા દેશમાં સ્વચ્છતાના પ્રશ્નો આપણી નબળી અને કંગાળ સિસ્ટમનું સૌથી મોટું ઉદાહરણ છે. અંગ્રેજોએ ભારત પર સળંગ ત્રણ સદી કેવું સિસ્ટમેટિક રાજ કર્યું એનો જવાબ પણ નાઇટિંગલના કામમાંથી મળે છે. આપણી સરકારો ગાઈવગાડીને જેટલી જાહેરાતો કરે છે એટલું યોજનાઓના જડબેસલાક અમલમાં ધ્યાન આપતી નથી. વળી, સરેરાશ ભારતીય પણ પોતાના હક્કો અને ફરજો બંને માટે ઉદાસીન, આળસુ અને સ્વાર્થી છે. આપણે હજુયે ભારત સ્વચ્છ કેમ નથી કરી શક્યા અથવા કેમ નથી કરી શકતા? આ સવાલનો એક જ લીટીમાં જવાબ આપવો હોય તો કહી શકાય કે, આપણે અસ્વચ્છતા કેમ થાય છે એ બરાબર સમજી નથી શકતા કે સમજવાની કોશિષ પણ નથી કરતા.

(નોંધઃ ફ્લોરેન્સ નાઇટિંગલે બ્રિટનમાં બેઠાં બેઠાં પત્રવ્યવહાર કરીને ભારત વિશે આશ્ચર્યથી આંખો પહોળી થઈ જાય એવી ઝીણી ઝીણી વિગતો ભેગી કરી હતી અને આ મહાન સ્ત્રી વિશે ગાંધીજીએ શું કહ્યું હતું એ વિશે વાંચો હવે પછી ક્યારેક …)

e.mail : vishnubharatiya@gmail.com

Loading

...102030...3,7663,7673,7683,769...3,7803,7903,800...

Search by

Opinion

  • મોદી સરકારની મજબૂત છબિ ભૂંસાઈ રહી છે?
  • ફાધર્સ ડે પર પિતાને આપો એક સ્મિત, એક સ્પર્શ, એક આલિંગન  
  • ધાનનો ત્યાગ એટલે ‘પ્રધાન’નું ત્યાગપત્ર !?
  • મજા એટલે પુરાયેલાને ફૂટતી પાંખો – લેટ્સ સેલિબ્રેટ વર્લ્ડ સોન્ટરિંગ ડે 
  • કોકરોચ અને મંત્રીઃ બૅરિકેડની બીજી તરફ પહોંચતાં જવાબદારી કેમ ભુલાઈ જાય છે?

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 
  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …

Poetry

  • માર્યા જશે
  • ચાર સાંપ્રત હિન્દી કાવ્યો
  • ગઝલ
  • લૂંટ શકે તો લૂંટ
  • દરિયો

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • State-Sponsored Communal Profiling : The Gujarat Government Must Be Held Accountable
  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved