તત્કાલીન શંકરાચાર્ય શ્રી સચ્ચિદાનંદ ભારતી તૃતીયના આદેશથી ભગ્ન મંદિરોનો જિર્ણોદ્ધાર ટીપુએ કરાવ્યો હતો
કર્ણાટકની સિદ્ધરામૈયા સરકારે મહિસૂરના રાજવી રહેલા ટીપુ સુલતાનની જન્મજયંતીની ઉજવણીનો નિર્ણય કર્યો અને હિંસક વિવાદ ભડક્યો. કર્ણાટકના દેવનહલ્લીમાં ૨૦ નવેમ્બર ૧૭૫૦ના રોજ જન્મેલા ફતેહઅલી ખાન બહાદુર ઉર્ફે ટીપુ સુલતાન અંગ્રેજોની કંપની સરકારની સેના સામે ચોથા યુદ્ધમાં લડતાં ૪ મે ૧૭૯૯ના રોજ મરાયો. એને ખાસ્સાં બસ્સો કરતાં વધુ વર્ષ વીત્યાં છતાં મહિસૂરના આ શાસકને રાષ્ટ્રનાયક ગણવો કે રાષ્ટ્રદ્રોહી એ હજુ અનિર્ણિત વિવાદ જ રહ્યો છે. સવિશેષ એટલા માટે કે ટીપુ સામે અંગ્રેજોને પક્ષે લડનારાઓમાં પેશવાના મરાઠા અને હૈદરાબાદના નિઝામ હતા. ટીપુને પડખે ફ્રેંચ હતા.
ભારતીય ઇતિહાસનાં કડવાં પ્રકરણ વર્તમાનમાં તાજાં કરવાના રાજકીય લાભ ખાટવાની વૃત્તિ-પ્રવૃત્તિ અત્યારે દેશભરમાં સોળે કળાએ ખીલેલી છે. એમાંથી જ ઇતિહાસનું વિકૃતિકરણ આરંભાય છે. કૉંગ્રેસ થકી ટીપુ સુલતાનને ‘સૅક્યુલર શાસક’ ગણાવાય, ત્યારે ભાજપ-સંઘ પરિવાર થકી એને ‘હિંદુદ્રોહી, કટ્ટરવાદી અને વટાળપ્રવૃત્તિનો મસીહા’ લેખાવીને ઇતિહાસના એ સમયગાળામાંથી ભૂંસવાની વર્તમાનમાં કોશિશ થાય છે. ટીપુ સુલતાનના વિરોધમાં ઊહાપોહ મચાવવામાં દક્ષિણ ભારતમાં સત્તા કબજે કરવાની મહેચ્છા સવિશેષ કારણભૂત લાગ્યા વિના રહેતી નથી.
સંજય ખાનની સીરિયલ ‘ધ સ્વૉર્ડ ઑફ ટીપુ સુલતાન’ બનતી હતી ત્યારે તેની સામે પણ ભારે ઊહાપોહ મચાવાયો હતો. થોડા વખત પહેલાં તમિળનાડુમાં સંઘ પરિવારના સંગઠન હિંદુ મુન્નાનીના નેતા રામગોપાલને તમિળ સુપરસ્ટાર રજનીકાંતને અશોક ખેનીનિર્મિત ટીપુ સુલતાન ફિલ્મમાં કામ નહીં કરવાનો આગ્રહ કરીને ઉંબાડિયું કર્યું હતું. જો કે કર્ણાટકમાં ટીપુ સુલતાનની જન્મજયંતીની ઉજવણી સામે વિશ્વ હિંદુ પરિષદ સહિતનાં હિંદુવાદી અને કેટલાંક ખ્રિસ્તી સંગઠનોના વિરોધ દેખાવોએ હિંસક વળાંક લીધા પછી પણ ટીપુ સુલતાન ફિલ્મના નિર્માતા અશોક ખેનીએ ફિલ્મ નિર્માણના પ્રકલ્પને આગળ ધપાવવાની જાહેરાત કરી. તેમણે કહ્યું હતું કે આ ફિલ્મ માટેની દરખાસ્ત રજનીકાંતે પોતે જ રજૂ કરી હતી. રજનીકાંત પોતે મરાઠી માણૂસ છે. કર્ણાટકમાં એના પરિવારે અને એણે નોકરીધંધો કર્યા પછી એ તમિળ ફિલ્મોમાં સુપરસ્ટાર થયો છે. ટીપુને મરાઠાવિરોધી, કન્નડવિરોધી, તમિળવિરોધી અને મલયાલીવિરોધી ગણાવવામાં આવતો હોવા છતાં રજનીકાંતની દૃષ્ટિએ એ ‘સર્વધર્મસમભાવ રાખનાર’ અને ‘બ્રિટિશરોને હંફાવનાર’ રાજવી હતો. માટે એનું ફિલ્માંકન કરવા એણે ખેનીને આગ્રહ કર્યો છે.
ઇતિહાસનાં અનુકૂળ તથ્યો લઈને આજકાલ સ્વઘોષિત ઇતિહાસકારો અને રાજનેતાઓ ટીપુ વિશે બહુરંગી બયાન આપે છે, ત્યારે અલાહાબાદ યુનિવર્સિટીમાં ઇતિહાસના પ્રાધ્યાપક રહેલા જાણીતા ઇતિહાસકાર પ્રા.બી.એન. પાંડેએ સંસદસભ્ય તરીકે ૧૯૭૭માં રાજ્યસભામાં કરેલું ‘હિસ્ટ્રી ઇન ધ સર્વિસ ઑફ ઇમ્પીરિયલિઝમ’ શીર્ષક હેઠળનું ભાષણ વાંચવા જેવું છે. ટીપુ સુલતાને ૩૦૦૦ બ્રાહ્મણોને ઇસ્લામ કબૂલ કરવાની ફરજ પાડ્યાનું મહિસૂર ગેઝેટિયરમાં નોંધાયાની ચર્ચા ચોફેર હતી, ત્યારે પ્રા. પાંડેએ એના વિશે તપાસ આદરી. મહિસૂર યુનિવર્સિટીના ઇતિહાસના પ્રાધ્યાપક શ્રીકાંતિયાએ આ સઘળી વાત કપોળકલ્પિત હોવાનું જણાવ્યું અને નોંધ્યું કે મહિસૂર ગેઝેટિયરમાં આવું ક્યાં ય નોંધાયેલું નથી.
હૈદરઅલી અને ટીપુના પ્રધાનમંડળમાં પાંચ-પાંચ પ્રધાનો હિંદુ બ્રાહ્મણ હતા. ટીપુના દીવાન પૂર્ણય્યા અને સરસેનાપતિ કૃષ્ણારાવ એના ભરોસાના માણસો હતા. ઇસ્લામનો અનુયાયી એવો ટીપુ યુદ્ધના મેદાનમાં વિધર્મીઓની હત્યા માટે જવાબદાર લેખાય એ સ્વાભાવિક છે. સાથે જ યુદ્ધમાં અંગ્રેજોને મદદરૂપ થનારા ખ્રિસ્તીઓ પર એનો ખોફ ઊતરવો સ્વાભાવિક છે. ટીપુએ અંગ્રેજો તથા નિઝામ તેમ જ મરાઠાઓની સામે લડતાં અફઘાન મુસ્લિમ શાસકોને મદદે તેડાવ્યાની વાતને આગળ કરવામાં આવે છે, ત્યારે એણે ભારતના હિંદુ રાજા-મહારાજાઓ જ નહીં; નેપાળના હિંદુ રાજાની અંગ્રેજો સામે લડવા મદદ માગી હતી એ હકીકતને સાનુકૂળ રીતે વિસારે પાડવામાં આવે છે.
ટીપુના સામ્રાજ્યમાં આવતી શંકરાચાર્યની પવિત્ર પીઠ શૃંગેરીનાં મંદિરો મરાઠા સૈન્યે તોડ્યાં ત્યારે તત્કાલીન શંકરાચાર્ય શ્રી સચ્ચિદાનંદ ભારતી તૃતીયના આદેશથી એ એ ભગ્ન મંદિરોનો જીર્ણોદ્ધાર ટીપુએ કરાવ્યો હતો. ટીપુની સેનાએ કેટલાંક મંદિરોને તોડ્યાં હશે, પણ દસ્તાવેજો દર્શાવે છે કે શૃંગેરી પીઠ સહિત ૧૫૬ મંદિરોને ટીપુના સરકારી ખજાનામાંથી સખાવતો નિયમિત રીતે જતી હતી. શૃંગેરીના શંકરાચાર્ય પ્રત્યે ટીપુએ અંગ્રેજો સામેની પડતીના વખતમાં જ આસ્થા નહોતી કેળવી. એના પિતા હૈદરઅલીના સમયથી પિતા-પુત્રની શૃંગેરીમઠ અને શંકરાચાર્યમાં આસ્થા હોવાનું આજે પણ શૃંગેરીમઠની સત્તાવાર વેબસાઇટ પર નોંધાયેલું છે. ટીપુ અને શંકરાચાર્ય વચ્ચેના પત્રવ્યવહારના બોલકા પુરાવા જેવા ટીપુના ૩૦ પત્રો આજે પણ સચવાયેલા છે.
માધવ બ્રાહ્મણ એવા દીવાન પુર્ણય્યાને અદ્વૈત અને આચાર્યો પ્રત્યે પૂર્વગ્રહ હતો, પણ એ પાછળથી દૂર થયાની નોંધ પણ શૃંગેરીમઠની સત્તાવાર વેબસાઇટ પર ઝગારા મારે છે. હૈદરઅલી અને ટીપુ સુલતાનથી લઈને રાજા વાડિયાર, પેશવા મરાઠા, નિઝામ અને ઇસ્ટ ઇન્ડિયાના હોદ્દેદારોની શૃંગેરીમઠ ભણીની આસ્થાની પણ અહીં નોંધ જોવા મળે છે.
ટીપુ શાસક તરીકે અત્યાચારી કે પ્રજાવત્સલ હતો, એ વિવાદને બાજુએ રાખીને પણ દેશના સૌથી લોકપ્રિય રાષ્ટ્રપતિ રહેલા ડૉ.એ.પી.જે. અબ્દુલ કલામની આત્મકથા ‘વિંગ્સ ઑફ ફાયર’માં મહિસૂરના આ શાસક વિશે નોંધાયેલા શબ્દો ધ્યાને લેવા જેવા છે. અમેરિકી અંતરીક્ષ સંસ્થા નાસાની દીવાલ પર ટીપુનું ચિત્ર નિહાળીને ડૉ. કલામ એના વિશે જાણવા ઉત્સુક બન્યા હતા. એમણે નોંધ્યું છેઃ ‘નાસા દ્વારા એક ભારતીયનું ગૌરવ રૉકેટ યુદ્ધવિદ્યાના જનક તરીકે થતું નિહાળીને મને ખૂબ આનંદ થયો હતો.’
વિશ્વના પ્રથમ રૉકેટના જનક તરીકે ડૉ. કલામ ટીપુને ગણાવે છે. એનાં ૨.૪ કિલો મિટર સુધી મારો કરી શકતાં રૉકેટમાંથી પ્રેરણા લઈને જ મિસાઇલમેન ડૉ. કલામને ૨૫૦૦ કિલો મિટર અંતર સુધી મારો કરવા સક્ષમ મિસાઇલ બનાવવામાં સફળતા મળ્યાની શબ્દો ચોર્યા વિના કબૂલાત તેમણે પોતે કરી છે. ટીપુ મરાયો ત્યારે બ્રિટિશ સૈન્યના સેનાપતિ કર્નલ આર્થર વેલેસલીએ એના મૃતદેહને સલામી આપીને રાજધાની શ્રીરંગપટ્ટમણમાંથી ૭૦૦ રૉકેટ અને ૯૦૦ રૉકેટનો સામાન કબજે લીધો હતો. લંડનના રૉયલ આર્ટિલરી મ્યુિઝયમમાં આવાં બે રૉકેટ હજુ પ્રદર્શિત કરેલાં છે. ડૉ. કલામે ટીપુનાં વધામણાં કર્યાં છે, પણ બટકબોલા ભાજપી નેતા ડૉ. સુબ્રમણિયન સ્વામી આવા ટીપુ સુલતાનને ‘ફ્રેંચનો નોકર’ ગણાવીને તેના નામે ચડાવાતાં રૉકેટ તો અગાઉના રાજાઓએ બનાવ્યાં હતાં એવું કહે ત્યારે શું કહેવું સમજાતું નથી.
http://www.divyabhaskar.co.in/news/ABH-tipu-sultans-birth-anniversary-celebration-affair-hero-or-villain-5170865-NOR.html
સૌજન્ય : ‘અફર ઇતિહાસ’, “દિવ્ય ભાસ્કર”, Nov 18, 2015