Opinion Magazine
Number of visits: 9882664
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ચંદ્રકાન્ત ટી. દરુઃ માનવવાદી વિચાર-આચારના પુરસ્કર્તા



જયંતી પટેલ

, જયંતી પટેલ|Profile|1 June 2016

જન્મશતાબ્દી – સ્મરણાંજલિ


માનવેન્દ્રનાથ રોયની નવમાનવવાદી (રેડિકલ હ્યુમેનિસ્ટ) વિચારધારાના દાર્શનિક અભિગમને અપનાવવા માટે મૂઠી ઊંચેરી વૈચારિક સજ્જતાની આવશ્યક્તા છે તો તેને વ્યવહારમાં આચરવા-અનુસરવા માટે ધૈર્ય, આશાવાદ અને સત્તા પ્રત્યેની અનાસક્તિ જરુરી છે. ગુજરાતમાં, ગત સદીના ચોથા-પાંચમા દાયકા દરમિયાન આ વિચારધારાના સમર્થકોમાં ચંદ્રકાન્ત દરુ, રાવજીભાઈ પટેલ (વડોદરાનું રેનેસાંસ ગ્રુપ), દશરથલાલ ઠાકર, તૈયબ શેખ, ચંપકલાલ ભટ્ટ, પ્રસન્નદાસ પટવારી, દુર્ગાશંકર ત્રિવેદી, અરુણ દીવેટિયા, મણિભાઈ પંડ્યા, ઠાકોરભાઈ પંડ્યા, હરિભાઈ શાહ, ધવલ મહેતા, રમેશ કોરડે, મનુભાઈ શાહ, સફી મહમદ બલોચ, બિપીન શ્રોફ સહિતના અનેક કાર્યકરો નક્કર ઉદાહરણો છે.



દાર્શનિક ભૂમિકામાં ભૌતિકવાદ, વૈજ્ઞાનિક અને રેશનલ અભિગમ, વૈશ્વીક દૃષ્ટિકોણ, માનવીય ગૌરવ, સ્વતંત્રતા, સમાનતા અને સહોદરભાવનાં મૂલ્યો પ્રત્યે નિષ્ઠા રહેલાં છે. માનવજીવનમાં ઉપલબ્ધ તમામ રસોને વિવેકપૂર્વક (અન્યના ભોગે નહીં) માણવાની હિમાચત તેમાં અભિપ્રેત છે. (આ જીવન-જગતને મિથ્યા ગણી પરલોક માટે ત્યાગ, તપ, વ્રત કરવાની નહીં) આ ભૂમિકાના ફલસ્વરુપ, અનીશ્વરવાદ, ઈહલોકવાદ, સર્વધર્મઅભાવ-બૃહદીકરણ(સેક્યુલર)નો સ્વીકાર તથા, પરલોકવાદ, કર્મનો સિદ્ધાંત કે રંગ, જાતિ, ધર્મ, પ્રદેશના સંકુચિત વાડા કે ભેદભાવનો અસ્વીકાર સમાયેલાં છે. પારંપરિક કે કોઈ પણ ખ્યાલ કે માન્યતાને માનવ જ્ઞાનેન્દ્રિયો દ્વારા પ્રાપ્ય તથ્યો તથા માનવબુદ્ધિની એરણ ઉપર ચકાસવાની બેહિચક અને બિનધાસ્ત તત્પરતા માનવવાદીઓનું નોંધપાત્ર લક્ષણ છે.



માનવીય ગૌરવનો ખ્યાલ કેટલાક વિશેષ સંદર્ભ ધરાવે છે.  તેમાં : –



1.      પ્રથમ તો વૈયક્તિક માનવીને, પાયાનાં એકમ તરીકે સ્વીકારી, અગ્ર અપાય છે. કબીલા, ગામ, કે તેવા કોઈ સામૂહિક એકમના કાલ્પનિક (એબસ્ટ્રેક) ખ્યાલને નામે વ્યક્તિનાં હિતોને અવગણવાની કે તેનો ભોગ આપવાની શૈલીને ફગાવી દેવામાં આવે છે. તેઓ માને છે કે વ્યક્તિનાં સુખ, સમૃદ્ધિ અને હિતનો સરવાળો જ સમૂહનાં સુખ-સમૃદ્ધિ-હિતનો નિર્દેશક-આંક છે. વ્યક્તિઓ દરિદ્ર હોય તો સમૂહ સમૃદ્ધ ગણી શકાય નહીં.



2.      માનવીય ગૌરવની જાળવણી માટે એ જરુરી છે કે પ્રત્યેક વ્યક્તિનું સ્વાતંત્ર્ય, રાજ્ય, સમાજ કે અન્ય વ્યક્તિ દ્વારા, લોપાય નહીં. કારણ કે, વ્યક્તિના મુક્ત વિચાર અને અભિવ્યક્તિનું સ્વાતંત્ર્ય જે તે માનવીને, તેના અસ્તિત્વની પૂર્ણતા હાંસલ કરવા તથા વિકાસ અને પ્રગતિ માટે, આવશ્યક છે અને એકંદરે તે સમાજના હિતમાં છે.



3.       માનવીથી પર કે તેના જીવનની કે વલણોની સંચાલક કોઈ અલૌકિક વ્યક્તિ કે શક્તિ નથી. માનવી જ તેના જીવન અને ભાવિનો ઘડવૈયો છે. દેવ, તારા, ગ્રહો, પ્રારબ્ધ, પૂર્વજન્મનાં કર્મ, મંત્ર-તંત્ર, પ્રાર્થના, પૂજા વગેરેની કોઈ અસર પડતી નથી. માનવીના જીવનનો દોર કોઈ અગમ્ય તત્ત્વ કે નિયતિના હાથમાં નથી પણ માનવીના પોતાના હાથમાં જ છે.



4.      માનવી દ્વારા જ જ્ઞાન પ્રાપ્ત થઈ શકે. માનવીની જ્ઞાનેન્દ્રિયો દ્વારા પ્રાપ્ત થતું જ્ઞાન જ સત્ય છે. કોઈ અલૌકિક તત્ત્વ દ્વારા કે માનવબુદ્ધિથી પર પદ્ધતિ દ્વારા તે પ્રાપ્ત થતું નથી.



5.      પરિણામે, માનવી જ પાયાનું ચાલકબળ હોવાથી તેના વૈચારિક-સાંસ્કૃિતક ઘડતર દ્વારા જ સમૂહની સુધારણા કે નવનિર્માણ થઈ શકે. આ માન્યતા સાથે માનવીમાં એવો અનર્ગળ આશાવાદ પણ સંકળાયેલો છે કે, પ્રત્યેક માનવી, પ્રબુદ્ધ-જ્ઞાન અને બુદ્ધિથી, અને તેમાંથી નીપજતી નૈતિકતાથી સંચારિત થઈ માનવવાદી અભિગમ સ્વીકારશે અને આચરશે. આ આશાવાદ સામે પ્રશ્ન થાય કે, કેટલી વ્યક્તિઓ, માનવવાદી દર્શન અને મૂલ્યોને અપનાવી, સ્થાપિત હિતની રક્ષા તથા સત્તા અને ભોગની લાલસામાંથી મુક્ત રહેશે ?



ચંદ્રકાન્તભાઈ અને માનવવાદી સાથીઓ સાથે 1956થી હળવામળવાના પ્રસંગો સાંપડ્યા. અધ્યયન શિબિરો, વ્યક્તિગત મળવાનું અને વાણી-વ્યવહારને જોવા-સમજવાની તકો સાંપડી. ચંદ્રકાન્ત દરુના વિચાર અને આચારમાં માનવાદી દર્શન અને મૂલ્યો સુપેર વ્યક્ત થાય છે.



દરુએ જીવનમાં ચણા ફાકી ભૂખ સંતોષવાના દિવસો, સુખસગવડ અને પ્રતિષ્ઠાપૂર્ણ પરિવેશ તથા લોકશાહી માટે ઝઝુમતાં કારાવાસ અને અંતે કેન્સરની ઘાતક બીમારીનું દર્દ અનુભવ્યાં છે. પત્રકાર, શિક્ષક, કામદાર મંડળના સંગઠનકર્તા, વકીલ, રેડિકલ હ્યુમેનિસ્ટ આંદોલનના અગ્રણી તરીકેની ભૂમિકાઓ તેમણે નિભાવી છે. અવારનવાર સામા પ્રવાહે તરવાની હિંમત તેમણે દર્શાવી છે, પછી તે બેંતાલીસનું આંદોલન વિરુદ્ધ ફાસીવાદ સામેના યુદ્ધનું સમર્થન હોય, દારુબંધીનો પ્રતિબંધ હોય, અંગ્રેજી ભાષાના શિક્ષણ(પાંચમા કે આઠમાથી)નો વિવાદ હોય, ગાંધી, નહેરુ કે ઇન્દિરા જેવાં લોકચાહના ધરાવતાં નેતા હોય, તેમની સામે પોતાને સાચું લાગ્યું તે તથા માનવવાદી મૂલ્યો માટે, અવાજ ઊઠાવતાં તે ખમચાયા નથી.



દરુએ જીવનમાં અનેક નિષ્ફળતાઓ પણ અનુભવી અને સહી લીધી. 'સ્વતંત્ર ભારત’ અખબારનો અંત, ચૂંટણીમાં રેડિકલ ડેમોક્રેટિક પક્ષનો ફિયાસ્કો અને પક્ષના વિસર્જનનો નિર્ણય સહકારી અર્થકારણના પ્રયોગરૂપ સ્ટોરનું વિલોપન, ચાલુ બંધ થતાં સામયિકો, કામદાર મંડળની સભ્ય સંખ્યા ટોચ પરથી ગબડતી રહેવી, અંગત સાથીઓ સાથે મનભેદ વગેરેને તેમને પચાવવા પડ્યાં હતાં. આમ છતાં તેમના વાણી-વ્યવહારમાં ક્યાં ય ચીડ, રોષ, કડવાશ દેખાતાં નહીં. હકીકતમાં મેં માત્ર બે વ્યક્તિઓને કદી ગુસ્સો વ્યક્ત કરતાં જોઈ નથીઃ જયંતી દલાલ અને ચંદ્રકાન્ત દરુ.



પક્ષવિહીન તથા સત્તાવિહીન રાજકારણની હિમાયત અને રેડિકલ ડેમોક્રેટિક પક્ષના વિસર્જન સાથે, જનમાનસને લોકશાહી અને નવમાનવવાદી વ્યવસ્થાના નિર્માણ માટે અગ્રસર કરવાના હેતુથી, રેનેસાંસ આંદોલન દ્વારા વૈચારિક-સાંસ્કૃિતક ક્રાંતિ પ્રેરવાનો અભિગમ અપનાવવામાં આવ્યો. માનવ વ્યવહારનાં તમામ (રાજકારણ, સમાજકારણ, અર્થકારણ વગેરે) ક્ષેત્રોમાં માનવવાદી મૂલ્યો અનુસારનાં વર્તન અને વ્યવહારની પ્રસ્થાપના કરવાનું કાર્ય બહુ મોટો પડકાર છે. આ પ્રકારનું કાર્ય વૈચારિક સજ્જતા, ધીરજ, નિષ્કામ વૃત્તિ, લોકોમાં અળખામણા થવાની તૈયારી વગેરે ગુણો માંગી લે છે.



ગુજરાતના પૂર્વ-વિભાગના આદિવાસી ગણાતા પટ્ટાનાં રજવાડાનું નગર છોટાઉદેપુર દરુનું જન્મસ્થાન અને અમદાવાદ કર્મભૂમિ. અમદાવાદમાં ગુલભાઈ ટેકરા પર, અલકાપુરી સોસાયટીમાં તેમનું બે માળનું નિવાસસ્થાન (પત્ની હસુબહેન, પુત્રી નયના, પુત્ર શેખર તથા પુત્રી જેવી નીપા, અવારનવાર આવતાં મહેમાનોથી ભર્યું ભાદર્યું). મીરઝાપુર રોડ ઉપરનાં યુનિયનનાં કાર્યાલયમાં જ તેમની ઓફિસ. તેમના ઘેર ગમે ત્યારે જઈ શકાય. આ ઘરમાં અવારનવાર યોજાયેલ ભોજન સમારંભોમાં વિવિધ મહાનુભાવોને મળવાનો લાભ મળ્યો છે.



પ્રથમ નજરે દરુની સરેરાશ ઊંચાઈ, સહેજ ગોરો વાન, ચોરસ મુખાકૃતિ, જાડી ચોરસ ફ્રેમના જાડા કાચ પાછળ છુપાયેલી તંદ્રીલ (કે વિચારમગ્ન) આંખો, જાડા હોઠ જોતાં, તેમનું વ્યક્તિત્વ પ્રભાવશાળી ના લાગે. પરંતુ તેમની સાથે સંપર્ક વધે, ચર્ચા-વિચારણાનો લાભ સાંપડે, ત્યારે તેમના બહોળા વાંચન, સ્પષ્ટ વિચારણા, મૃદુ વ્યક્તિત્વ સાથે તેજસ્વી વાણી, સાદી સરળ શૈલીમાં ગંભીર વાતને મુકવાની ક્ષમતા, સાહિત્ય-સંગીત-કલા અંગેની તેમની રુચિનો પરિચય સાંપડે અને તેમના પ્રત્યેનું આકર્ષણ અને ભાવનો ગ્રાફ ઊંચો જાય.



દરુની સરળતા નોંધપાત્ર હતી. તે દવાની ગોળીઓ સીધેસીધી ગળી જાય. મિત્રો તેમને ટોકે. તેમની સરખામણીમાં હું તો સાવ નાનો અને નવો. એક વાર, મારી હાજરીમાં તેમને દવા લેતા જોઈ, મેં તેમને કહ્યું દવાના ભારે રસાયણો હોજરીને નુકસાન કરી શકે માટે દવાને કશાંક પીણાં કે ખોરાક સાથે લેવી જોઈએ. (બાજુમાં બેઠેલા પ્રસન્નદાસ પટવારીએ પણ તેમાં સૂર પુરાવ્યો.) તેમણે સાવ બાલ સહજ સરળ રીતે કહ્યું, હવેથી હું દવાઓ એકલી નહીં લઉં. કોઈ દલીલ કે બહાનું રજૂ કરવાને બદલે ઉચિત વાતને સ્વીકારી લેવાની સરળતા બહુ જૂજ વ્યક્તિઓમાં હોય છે.



માનવીમાં તેમના વિશ્વાસનાં તો અનેક પ્રસંગો છે. તેમનાં વપરાશનાં કરિયાણાંનું બીલ લઈને વેપારી આવ્યો, તેમણે નાણાં ચુકવી દીધા. પાસે બેઠેલા વકીલ મિત્રે કહ્યું, દરુ, બીલ તો ચેક કરો. તેમનો જવાબ હતો આ વેપારી મહિના સુધી મારામાં વિશ્વાસ મૂકી વસ્તુઓ આપે છે. હવે જો હું તેનામાં વિશ્વાસ ના રાખું તો તેના કરતાં હું વામણો ગણાઉં. (એડવોકેટ બેલસરેનુ સ્મરણ)



દરુ કાયદાના પાયાના દાર્શનિક ખ્યાલને પકડીને રજૂઆત કરતા. દરુ બંધારણ તથા અધિકારો અંગેના મામલાઓ માટેના નિષ્ણાત વકીલ ગણાતા. તે હંમેશાં વંચિત, દલિત કે શોષિતના કેસો જ હાથ ધરે (દા.ત. ગ્રે ફોલ્ડરોનો પ્રશ્ન). માલિકોની તરફેણના કેસ ના લે. પરિણામે તે કંઈ માલેતુજાર ન હતા. (ગુજરાત યુનિવર્સિટીના અનુસ્નાતક ભવનોના અધ્યાપકોના મતાધિકારના, 'ભૂમિપુત્ર' સામાયિકના સેન્સરના કેસમાં, તેમણે ફી લીધી નહોતી.) છતાં વિવિધ માનવવાદી પ્રવૃત્તિઓમાં (શિબિર, સામાયિકના ખર્ચ વગેરેમાં) તેઓ નાણાં આપતા. વળી, ફી બાબતમાં પણ તેમનું ધોરણ વાજબી અને નૈતિક. અઢળક સંપત્તિ ધરાવતા જાણીતા (દાણચોરીના ધંધા સાથે સંળાયેલા હોવાનો આક્ષેપ ધરાવતા) સુકર બખિયાનો અધિકાર અંગેનો કેસ તેમણે સફળતાપૂર્વક ચલાવ્યો. જીત મળતાં બખિયા ભારે રકમ આપવા માંગતા હતા. દરુએ માત્ર તેમની સર્વસામાન્ય ફી જ લીધી. એક મિત્રએ તેમને આ વિષે પૂછતાં તેમણે કહ્યું, મેં તેના એક નાગરિક તરીકેના અધિકાર માટે લડત આપી હતી. તે માટેની મારી ચાલુ ફી કરતાં વધુ લઉં તો હું તેના અન્ય કૃત્યોમાં ભાગીદાર ગણાઉં. કેવી સુક્ષ્મ ન્યાયબુદ્ધિ ! − સલામ દરુસાહેબ.



તેમનાં જ્ઞાન, તીવ્ર બુદ્ધિ અને દલીલશક્તિની મિસાલ દારુબંધીના કાયદાને પડકારતા કેસમાં જણાઈ આવે છે. વિખ્યાત સરકારી વકીલની સંપૂર્ણ (એબ્સોલ્યુટ) દારુબંધીની તરફેણ કરતી જોરદાર દલીલોના પ્રત્યુત્તરમાં, તેમની સરળ સ્વાભાવિક શૈલીમાં પૂછ્યું, આલ્કોહોલ પર એબ્સોલ્યુટ બંધી માંગો છો ? વકીલશ્રીએ કહ્યું, હા, હા, એબ્સોલ્યુટ. દરુએ તેમના સ્વાભાવિક શાંત (નેસલ) અવાજમાં કહ્યું. મિ લોર્ડ, મારા વિદ્વાન વકીલ મિત્રને એ યાદ આપું કે દરેક વ્યક્તિના લોહીમાં અમુક ટકા આલ્કોહોલ હોય છે અને તે આરોગ્ય માટે જરૂરી છે. તેને દૂર કરીએ તો આરોગ્ય જોખમાય … . અદાલતમાં હાજર સહુ સ્મિત કરી રહ્યા. (એડવોકેટ બેલસરેનુ સ્મરણ)


લોકશાહી માટેના નિર્ભીત લડવૈયા તરીકેની દરુની તસવીર ઇન્દિરાઈ કટોકટી સામેના સંઘર્ષમાં ઉપસી આવે છે. પરિષદોનું આયોજન, સેન્સરશીપ તથા ન્યાયાધીશોની બદલીઓ સામેના કેસો, ભૂગર્ભ પત્રિકા (જે બહાને તેમને કારાવાસમાં ધકેલી દેવાયા) વગેરે દ્વારા તેમણે જનતાના લોકશાહી અધિકારો માટેના અણનમ લડવૈયા તરીકેનું સ્થાન પ્રાપ્ત કર્યું.

e.mail : jaykepatel@gmail.com

સૌજન્ય : “માનવવાદ”, મે 2016; પૃ. 02-04 

Loading

મધોકનું મનોવિશ્વ : વર્તમાન સંદર્ભે

પ્રકાશ ન. શાહ|Opinion - Opinion|31 May 2016

મધોકે હકાલપટ્ટી સમયે કહ્યું હતું કે સંઘનીમ્યા સંગઠનમંત્રીઓની પક્ષ પર ફાસિસ્ટ પકડ છે

ભાજપના પૂર્વ અવતાર જનસંઘના એક કાળના લોકપ્રિય એટલા જ વિવાદાસ્પદ પ્રમુખ પ્રો. બલરાજ મધોક 96 વરસનું પૂર્ણાયુષ ભોગવીને સવિશેષ તો, પોતે જેને વાજપેયી અને અડવાણીના વિકલ્પે કદાચ વધુ પસંદ કરે એવી શખ્સિયતને સુવાંગ બહુમતીથી દિલ્હીમાં સત્તારૂઢ થયેલી જોઈને ગયા. જો કે ક્યારેક એમનું હોવું અને જવું બેઉ જેટલું દબદબાભર્યું હોઈ શક્તું હતું તે હવે સ્વાભાવિક જ શક્ય નહોતું, કેમ કે પોતાની છાપ અને પ્રતિભા છતાં સંઘ પરિવારના નાભિકેન્દ્રથી જમાત ખારિજ જેવી જિંદગી એ છેલ્લા પાંચેક દાયકાથી બસર કરી રહ્યા હતા. બાકી, ભાજપના મુકાબલે યુવાલાભાર્થીઓને કે નવી પેઢીના મતદારોને ભાગ્યે જ ખયાલ આવી શકે કે 1967માં લોકસભામાં જનસંઘના 35 સભ્યોના નોંધપાત્ર પ્રવેશ સાથે મધોકનો કેવોક સિક્કો પડતો હશે. 1967માં જ અમદાવાદમાં જુદા જુદા રાજકીય પક્ષોના અગ્રણીઓનાં વક્તવ્યની શ્રેણી યોજાઈ ત્યારે સાંભળનારાઓની બહુમતીને મધોકની રજૂઆત ઉત્તમ લાગી હતી. પક્ષના સત્તાવાર ઇતિહાસમાં મુખર્જી, દીનદયાલ, અટલ, અડવાણી, મોદી વચ્ચે આજે મધોક ભલે વિસ્મૃતવત હોય!

મધોકનું મનોવિશ્વ અને ઉગ્ર અભિવ્યક્તિ કેવાં હશે એનો ખયાલ આપવા સારુ એક બીજું સ્મરણ કરવા જેવું છે અને તે 1969ના સપ્ટેમ્બરમાં અમદાવાદમાં રાઇફલ એસોસિએશનના ઉપક્રમે એમણે ભારત વિરુદ્ધ પાકિસ્તાનની આક્રમક ધમકી સંદર્ભે આપેલું વક્તવ્ય. પાકિસ્તાનની રચનામાં મુસ્લિમોએ ભજવેલો ભાગ અને મુસ્લિમોના ‘ભારતીયકરણ’ની તાકીદ એ એમના મુખ્ય મુદ્દા પૈકી હતા. ગમે તેમ પણ, 1969ના સપ્ટેમ્બરના ત્રીજા અઠવાડિયામાં અમદાવાદમાં જે રમખાણો શરૂ થયાં એનો યશ પાછળથી રેડ્ડી પંચ સમક્ષની રજુઆતમાં કેટલેક અંશે આ વક્તવ્યને પણ આપવામાં આવ્યો હતો. (2002માં ભાજપનાં તે બીજાં કોઈ કોઈ વર્તુળો 1969નો હવાલો આપીને કહેતાં પણ હતાં કે તે કૉંગ્રેસ શાસનમાં બન્યું હતું.)

અહીં આ પૂર્વરંગ ચર્ચવાનો હેતુ ભાજપ જનસંઘના જનતા અવતારથી આજ સુધી પહોંચતા શેમાંથી પસાર થયો હશે તે સમજવાનો છે. એનડીએ-1માં વાજપેયીના નેતૃત્વમાં ભાજપે એની આગવી ઓળખ રૂપ કેટલીક બાબતો બાજુએ રાખી હતી (‘બેક બર્નર’ પર મૂકી હતી). એનડીએની સરકાર તો 1998-99માં બની હતી, પણ તે પૂર્વે 1975-79 દરમ્યાન જનતા મોરચા અને જનતા પાર્ટીના ભાગ રૂપે (જયપ્રકાશના આંદોલનની આબોહવામાં) જનસંઘનો રાષ્ટ્રીય ધારામાં પ્રવેશ શક્ય બન્યો હતો. દેખીતી રીતે જ આ પ્રક્રિયામાં મધોકની ‘મુસ્લિમોના ભારતીયકરણ’ની ઘાટીએ વાત કરવાનું શક્ય કે ઇષ્ટ નહોતું. પણ જનતા મોરચાની દિશામાં જવાનું શરૂ થયું તે પૂર્વે જ પક્ષમાંથી મધોકની હકાલપટ્ટી થઈ ગયાને કારણે એક સરળતા પણ હતી.

એક ઇતિહાસ વસ્તુ તરીકે અહીં એ નોંધવું રસપ્રદ થઈ પડશે કે મધોકની હકાલપટ્ટીમાં અડવાણી-વાજપેયીની સીધી હિસ્સેદારી હતી. શિસ્તભંગ આદિ જે પણ કારણો ત્યારે અપાયાં હોય, મધોકની તે વખતની એક જાહેર ફરિયાદનું સ્મરણ આજની તારીખે પણ સુસંગત અને સમયસરનું ગણી શકાય એવું છે. એમણે કહ્યું હતું કે સંઘ નીમ્યા સંગઠન મંત્રીઓની પક્ષ પર ‘ફાસિસ્ટ પકડ’ છે. નવા પ્રમુખ તરીકે અડવાણીએ મધોકને પક્ષબહાર કર્યા ત્યારે થયેલી આ ફરિયાદ, પાછળથી, અડવાણીને ખુદને જે રીતે બાજુએ હટવાની ફરજ પડી અગર પાડવામાં આવી ત્યારે કેટલી સુસંગત ને સાચી લાગે છે, નહીં ? અન્યથા, વિચારધારાની રીતે તો મધોકની વાતો કરતાં અડવાણીનો ‘સાંસ્કૃિતક રાષ્ટ્રવાદ’ તત્ત્વત: જુદો નહોતો. બલકે, રામ જન્મભૂમિનો પ્રશ્ન લોકસભાની ચર્ચામાં પહેલી વાર પ્રત્યક્ષ ઉપસ્થિત તો મધોકે જ કર્યો હતો !

પાકિસ્તાન અને મુસ્લિમ પ્રશ્ન વિશે મધોકની ઉગ્રતા, અન્ય સંજોગોમાં પક્ષપરિવારના સાથીઓ પરત્વે પણ, અલગ રીતે પ્રગટ થતી સાથીઓ બાબતે શંકાની એમની મન:સ્થિતિને પેલી ફાસિસ્ટ પકડના અનુભવે ખાસી બઢાવી હશે એમ લાગે છે. પક્ષનું અત્યારનું નેતૃત્વ દીનદયાલ ઉપાધ્યાય ગમે એટલું માન આપતું હોય કે ઊંચા આકતું હોય, મધોકની એમની વૈચારિક પ્રતિભા માટે એવો ને એટલો ઊંચો ખયાલ નહોતો. માત્ર, વાજપેયી-નાના દેશમુખ વગેરે કોઈક રીતે દીનદયાલને ખસેડવા માગતા હતા તે મધોકની પ્રતીતિ હતી, અને દીનદયાલની હત્યામાં કોઈ અકસ્માતનું તત્ત્વ એ સ્વીકારતા નહોતા. પક્ષને જ્યારે સત્તાસુવિધા મળી ત્યારે પણ ખરી ને પૂરી તપાસ નહીં થયાની એમની તીવ્ર લાગણી હતી.

કટોકટી વખતે લાંબો મિસાવાસ ભોગવનારાઓમાં મધોક પણ હતા અને એ રીતે ઈંદિરા ગાંધી અને એમની વચ્ચે ચોક્કસ ટકરાવ સ્વાભાવિક હતો. પણ 1980ના અરસામાં એમનું ‘રેશનલ ઑફ હિંદુ સ્ટેટ’ વાંચી ઇંદિરા ગાંધીએ કોઈક અધિકારી મારફતે આનંદ લાગણી પાઠવી હતી અને કદાચ મધોક કેબિનેટમાં જોડાવા રાજી થાય કે કેમ એવો દાણો પણ ચાંપી જોયો હતો. મધોકનો પ્રતિભાવ પ્રથમ તો ચોક્કસ નહોતો પણ જ્યારે સંજય ગાંધીએ રૂબરૂ મળવાનું આગ્રહપૂર્વક ગોઠવ્યું ત્યારે એ કદાચ આ માટે મન બનાવવા પણ લાગ્યા હશે. જો કે નિર્ધારિત મુલાકાતને દિવસે જ સંજય ગાંધીનું અકસ્માત મૃત્યુ થયું અને આ મુલાકાત રહી ગઈ. આ ઘટનાક્રમને કેવી રીતે જોશું ? બને કે પુનરાગમન પછી ઇંદિરા ગાંધી હિંદુ મતને ઓર સાથે રાખવાના વિકલ્પ પર કામ કહી રહ્યાં હોય. સંજય ગાંધીનાં વલણો સાથે એ બંધબેસતું પણ હતું. હાલના ભાજપ સાંસદ વરુણ ગાંધીની સંજય બજરંગ ચેષ્ટાઓ આ સંદર્ભમાં કાબિલે ગૌર છે. એક તબક્કે જમ્મુ અને બીજી ચૂંટણીઓમાં આરએસએસે ભાજપને બાજુએ રાખીને કૉંગ્રેસ જોડે ગોઠવણ કર્યાના સાડા ત્રણ દાયકા પરના હેવાલો પણ અહીં સાંભરે છે, અને ત્રીજા સરસંઘચાલક દેવરસે કોઈક તબક્કે ઇંદિરાજી સાથે કાર્યગોઠવણ વિચાર્યાની વાત પણ સાંભરે છે. ગમે તેમ પણ, ઇંદિરા ગાંધીની હત્યા પછી સહાનુભૂતિ મોજા સાથે જે હિંદુ કોન્સોલિડેશન થયું તે રાજીવ ગાંધીને સૂંડલા મોંઢે ફળ્યું અને ભાજપ કેવળ બે જ બેઠકોમાં સમેટાઈને રહી ગયો એ ઇતિહાસ હજુ બહુ જૂનો નથી. કથિત વાજપેયી લાઇનને બદલે અડવાણી લાઇન તરફ અયોધ્યાને બહાને વળ્યાનું એક રહસ્ય આ ધક્કામાં પડેલું છે. ફરી પાછા એનડીએ-1ના વારામાં વાજપેયી લાઇન આગળ ધરવામાં આવી તે પણ આપણે જોયું છે. નમોનું વિકાસગાન અને શૌરીના શબ્દોમાં ‘કૉંગ્રેસ વત્તા ગાય’ જેવું શાસન એ જરૂર પ્રમાણે વાજપેયી-અડવાણી મિક્સમાં માત્રાની વધઘટ સૂચવે છે.

ગમે તેમ પણ, મધોકની ભાજપ સામેની ફરિયાદોમાંથી વ્યક્તિગત અંશ કાઢી નાખ્યા પછી પણ કેટલાક મુદ્દાઓ રહે છે. ઉલટ પક્ષે મધોકથી મોદી સુધીની વિચારધારાકીય ભૂમિકાનું સાતત્ય ભાજપ બાબતે આમૂલ પુર્નવિચાર પણ પ્રેરે છે, જેમ કટોકટીવાદે કૉંગ્રેસ વિશે પુર્નવિચાર પ્રેર્યો હતો. મધોકને વિશે આ થોડી વાતો, વૈકલ્પિક નાગરિક મથામણમાં ઉપયોગી થવા સારુ.

સૌજન્ય : ‘ચક્રગતિ’, “દિવ્ય ભાસ્કર”, 14 મે 2016

Loading

‘સંસ્કારી’ જણને જગવતા પરિણામ

પ્રકાશ ન. શાહ|Samantar Gujarat - Samantar|31 May 2016

આ હિમાયત અંગ્રેજી હટાવો સારુ નથી, પણ અસ્થાને અંગ્રેજી નહીં ને યથાસ્થાને દેશભાષા સહી, તે વાસ્તે છે

આમ તો, વીર નર્મદ યુનિવર્સિટીમાં પૂરા કદનો ગુજરાતી વિભાગ શરૂ થતાં જે વિલંબ થયેલો, એ પોતે જ હાલના રાજકીય-શાસકીય અગ્રવર્ગની એકંદર પરિકલ્પના અને આયોજનામાં (પ્ર)દેશભાષા અને માતૃભાષા ગુજરાતીનું સ્થાન કેવું ને કેટલું હશે તે સમજવાને અંગે એક દ્યોતક બીના છે. ગુજરાતી પત્રકારત્વની ચવાઈકુથ્થા શૈલીએ કહીએ તો તે દાખલો એકદમ જ એકદમ નેત્રદીપક છે. પણ હમણાં બોર્ડની પરીક્ષામાં ખાસા 2.29 લાખ વિદ્યાર્થીઓ માતૃભાષા (પ્રથમ ભાષા) ગુજરાતીમાં નાપાસ થયા એ પછી કદાચ કશું જ કહેવાનું રહેતું નથી.

અને અનવસ્થા તો જુઓ તમે. સામાન્યપણે સ્વભાષાના માધ્યમનો મહિમા વસ્તુત: શાસ્ત્રશુદ્ધ પણ છે. પોતાની ભાષામાં અભિવ્યક્તિ સહજસરળ બની રહે. ગ્રહણ કરવાની દૃષ્ટિએ પણ એમાં સરળતા રહે, એ સાદો હિસાબ છે. પણ ગુજરાતમાં વિવિધ માધ્યમગત કાર્યરત શાળાઓનાં પરિણામની તપસીલ જોતાં ઊપસતું ચિત્ર કદાચ જુદું જ છે. અંગ્રેજી માધ્યમની શાળાઓના 88 ટકા વિદ્યાર્થીઓ પાસ થાય છે. જ્યારે હિંદી માધ્યમના પણ ઠીક ઠીક ચાલે એટલે કે 68 ટકા પાસ થાય છે. એથી ઊલટું, શું શાં પૈસા ચાર એ પ્રેમાનંદખ્યાત ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓનું પરિણામ ફક્ત અને ફક્ત 52 ટકા જ છે.

માધ્યમની ચર્ચા (જો કે એ એક બુનિયાદી શૈક્ષણિક ને સમાજિક મુદ્દો છે, છતાં) માનો કે આ ક્ષણે મૂકી દઈએ. માનો કે અંગ્રેજી ને હિંદી માધ્યમના વિદ્યાર્થીઓ બહુધા બિનગુજરાતી હશે, જો કે અંગ્રેજીની અપીલઆંધી જોતાં એ સાચું ન હોય. પણ ગુજરાતી માધ્યમનો, અને એક વિષય તરીકે ગુજરાતીનો, આપણે ત્યાં વાસ્તવિક કોઈ દબદબો કે દરજ્જો છે કે કેમ એ ખુદ એક તપાસવિષય છે. હજુ હમણાં સુધી કેન્દ્ર તરફથી અન્યાયની તરજ પર ફરિયાદ કરવાની ગુજરાત સ્તરે નવાઈ નહોતી. ગુજરાતમાં ગુજરાતી ભાષાનું જો ઠેકાણું ન પડે તો તેમાં ગુજરાતના રાજકીય અગ્રવર્ગની કેમ જાણે કોઈ જવાબદારી જ ન હોય !

માન્યું કે શિક્ષણ એ સમવર્તી (કન્કરન્ટ) યાદી પરનો વિષય છે. એમાં કેન્દ્ર અને રાજ્ય બંનેનો પ્રવેશ છે. પણ જે તે રાજ્યમાં પોતાની ભાષામાં વહીવટનો આગ્રહ તો રાખી જ શકાય છે. ભાષા તરીકે અંગ્રેજી અને હિંદી યથાસ્થાન અવશ્ય હોઈ શકે છે, પણ એમને અસ્થાને આસન આપવાનું કોઈ કારણ નથી સિવાય કે હજુ આપણા રાષ્ટ્રરાજ્યવાદને સંસ્થાનવાદની કળ ન વળી હોય.

શિક્ષણ વિષયક એકદિવસીય કાર્યશિબિરમાં મુખ્યમંત્રી આનંદીબહેન પટેલે ગુજરાતીનાં કથળતાં પરિણામો માટે આદિવાસી તેમ જ સરહદી વિસ્તારોનાં બાળકોના ગુજરાતી પહેલા ધોરણમાં પ્રવેશને જવાબદાર ગણાવ્યો છે, તો શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાના કહેવા પ્રમાણે નીચેના વર્ગોમાંથી પરીક્ષા નીકળી ગઈ – ‘નો ડિટેન્શન પૉલિસી’ – અમલ બની એ પણ એક મહત્ત્વનું પરિબળ છે. જ્યાં સુધી શિક્ષક મુખ્યમંત્રીના મુદ્દાનો સવાલ છે, કોઈકે એટલું જ કહેવું બસ થઈ પડશે કે જડબેસલાક સ્ટીમરોલર અગર ધરાર બુલડોઝર ફરી ન વળે એ રીતે આદિવાસી તેમ જ સીમાવિસ્તારનાં બાળકોને સારુ શિક્ષણ સુલભ કરવાનું છે. શૈક્ષણિક ધોરણે આ પ્રશ્નોની ચર્ચા નથી થઈ એમ નથી. બને કે એમને લક્ષમાં રાખી પાઠ્યપુસ્તકો અને વિષયપ્રવેશ જરી જુદી રીતે જોગવવાં પડે. જ્યાં સુધી ‘નો ડિટેન્શન પૉલિસી’નો સવાલ છે, એ કોઈ એકાએક આસામાનમાંથી ટપકી પડેલી વાત તો નથી. શૈક્ષણિક મૂલ્યો અને પ્રક્રિયાને ધોરણે તે વિશે ખાસ્સી ચર્ચા થયેલી છે. હવે આ અમલ અનુભવના ઉજાસમાં એ વિશે વધુ વિચાર કે કંઈક પુર્નવિચાર ન થઈ શકે એમ નથી, પણ બાળકને પોતાની ભાષા આવડવાનું એટલું સહજ છે કે તે ન આવડવા માટે ‘નો ડિટેન્શન’ને યશ આપવાનું કારણ નથી.

રાજ્ય સરકાર કાર્યશિબિરોનો દોર ચલાવવા ઇચ્છે છે, પ્રવેશોત્સવને ગુણોત્સવો ઉજવવા તડેપેંગડે રહે છે, વાંચે ગુજરાત પ્રકારનાં અભિયાન વાસ્તે સદોદ્યત રહે છે એમાં કમસે કમ જે પહેલો એક પાયાનો મુદ્દો પકડવો ને પકડાવો અપેક્ષિત છે તે એ છે કે કુમળી વયે પરભાષાનું ભારણ (ખાસ કરીને માધ્યમબોજ) સહેજ પણ સલાહ ભરેલ નથી. અંગ્રેજીની મોહની જો ઊંચી નોકરીઓ કે પરદેશ ગમનવશ હોય તો જે તે તબક્કે તેના વિશેષ ભણતરની જોગવાઈ ક્યાં નથી થઈ શકતી? માત્ર, રાજ્ય સરકાર જોડ ભાષાની ઉપયોગિતા અને આદર સ્વીકારતે છતે પ્રદેશભાષા બાબતે અગ્રતાપૂર્વક વળગી રહે તો અકારણ અને અસ્થાને અંગ્રેજીને કારણે જે ખોટા ખેંચાણને અવકાશ છે તે ન રહે. આ હિમાયત ‘અંગ્રેજી હટાવો’ સારુ નથી, પણ અસ્થાને અંગ્રેજી નહીં અને યથાસ્થાને દેશભાષા સહી તે વાસ્તે છે. ઇંગ્લેન્ડના રાજદરબારમાં ક્યારેક ફ્રેન્ચનો દબદબો હતો, એને સ્થાને અંગ્રેજી આણતાં એમને ઓછી મુશ્કેલી પડી નહોતી.

ગમે તેમ પણ, સાંસ્થાનિક નવધનિકશાહી વણછાથી મુક્ત જ્ઞાનભાષા અંગ્રેજીનો તો અલબત્ત આદર જ હોય. એક વાર દેશભાષાનો સામાન્ય વ્યવહારભાષા તરીકે સ્વીકાર થાય તો પછી પોતાની ભાષા એ સહજ ગૌરવનો વિષય બની રહે તે નિઃશંક છે. ગુજરાતી ઉપરાંત જે તે ઇતરભાષી સમુદાય માટે રાજ્યમાં હિંદી, મરાઠી, ઉર્દૂ, ઉડિયા માધ્યમની પ્રાથમિક શાળાઓનું યે સ્થાન છે જ. કેન્દ્રીય બોર્ડ, ડીપીએસ આદિને પણ અહીં પ્રવેશ છે અને રહેશે. પણ, કેમ કે આ સૌ ગુજરાતમાં કાર્યરત છે એમના અભ્યાસ અને પાઠ્યક્રમમાં એક વિષય તરીકે ગુજરાતી અનિવાર્યપણે હોવું જ જોઈએ. અને આ અનિવાર્યતા, અંતિમ પરિણામના ગુણાંકનમાં ગુજરાતી વિષયને બિનચૂક લક્ષમાં લેવાથી જ અંકે થઈ શકે. આ કોઈ સાંકડો પ્રાદેશિક અભિગમ નથી. મહારાષ્ટ્રમાં મરાઠીનું કે આંધ્રમાં તેલુગુનું સ્થાન પણ બિનમહારાષ્ટ્રી કે બિનઆંધ્રી માટે આ જ ધોરણે અપેક્ષિત છે. અપેક્ષિત જ કેમ, અનિવાર્ય પણ.

દૂર દેશથી આવીને ફાર્બસ અહીં ગુજરાતી ભાષાની સેવા કરી શકે, કોઈ એક રેવરંડ ટેલર આપણી ભાષાનું પહેલું વ્યાકરણ લખી શકે, મૂળે મરાઠીભાષી કાકા કાલેલકર સાર્થ જોડણીકોશમાં ખૂંપી શકે અને ગુજરાતનાં 2.29 લાખ વિદ્યાર્થીઓ ગુજરાતી ભાષામાં નાપાસ થાય? અક્ષમ્ય. ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓ પૈકી માંડ 52 ટકા પાસ થાય ? અક્ષમ્ય, ત્રિવાર અક્ષમ્ય.

તો, આ પ્રશ્ન અંગ્રેજી વિ. હિંદી વિ. ગુજરાતી એવો નથી. આ પ્રશ્ન સર્વ દેશભાષાઓનો (અને અંગ્રેજી પણ લગભગ તે પૈકી જેવી છે, તેનો) છે. આ પ્રશ્ન સ્વરાજ અને સ્વભાષાનો છે. પ્રશ્ન લોકતંત્ર અને લોકભાષાનો છે. વાલ્મીકિ રામાયણમાં ઘણું કરીને રામ અને લક્ષ્મણની વાતચીતમાં એ મતલબનો ઉલ્લેખ છે કે આ (હનુમાન) કેટલું ચોખ્ખું (શુદ્ધ) બોલે છે. તે નક્કી કોઈક સંસ્કારી જણ હશે. બોર્ડનાં પરિણામો, ખાસ કરીને ગુજરાતી ભાષાના સંદર્ભમાં, આ ‘સંસ્કારેજણ’ને જગવતા આહ્વાન અને આવાહન રૂપ નથી એમ કોણ કહેશે?                                                       

સૌજન્ય : ‘ચિંતા’, “દિવ્ય ભાસ્કર”, 28 મે 2016

Loading

...102030...3,6743,6753,6763,677...3,6803,6903,700...

Search by

Opinion

  • સહિષ્ણુતા: ભારતની અસલી તાકાત
  • Artificial Intelligence: જવાબો વધી રહ્યા છે, પણ આપણી વિચારશીલતા પર કાટ ચઢી રહ્યો છે?
  • ચલ મન મુંબઈ નગરી—343
  • ઓઈલ કંપનીઓ મગરનાં આંસુ સારે છે …
  • જ્યોતિરાવ ફુલે અને સ્ત્રી શિક્ષણની ક્રાંતિ: એક અર્થશાસ્ત્રીય અર્થઘટન

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 
  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …

Poetry

  • ગઝલ
  • ગઝલ
  • નોકરી એક ચુડેલ
  • સાંજ….ગઝલ.
  • મારા પછી

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved